ભારતમાં કેટલા પ્રકારના ‘અછૂતો’ રહે છે?
ભારતમાં બે પ્રકારના અછૂત લોકો રહે છે, એક જેઓને તેઓની જ્ઞાતિ અને કામના આધારે અછૂત ગણવામાં આવે છે અને બીજા જેઓને તેઓના પાવર, સામાજિક સ્ટેટસ અને વિશેષાધિકારને લીધે કોઈ સ્પર્શી શકતું નથી! આ સાચો અને સુપર્બ સંવાદ છે, માર્ચ-2024માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર પામેલી ફિલ્મ ‘સંતોષ’નો. નેશનલ બોર્ડ ઓફ રીવ્યુ દ્વારા આ ફિલ્મનો વર્ષ 2024ની શ્રેસ્ઠ 5 આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં સમાવેશ થયેલો છે. બીજા પણ ઘણા-બધા એવાર્ડ્સ આ ફિલ્મને મળેલા છે, જેનું ડાયરેકશન સંધ્યા સુરી દ્વારા થયેલું છે.
સંતોષ વાર્તા છે, એક 28 વર્ષીય વિધવાની, જે પોતાના ઈન્સ્પેકટર પતિના મૃત્યુ બાદ પોલીસમાં જોડાય છે. એ સ્ત્રી જે પોલીસ ઓફીસર બને છે, જો કે તેનું કોઈ ધ્યેય નથી હોતું કે મારે પોલીસ ઓફિસર બનવું છે, પણ પોતાના પતિના આકસ્મિક મૃત્યુને લીધે આપણી સરકારી નોકરીની સિસ્ટમ મુજબ એ જોબ પોલીસ ઓફીસરની પત્નીને મળે એટલે પોતાની આજીવિકા ચલાવવા અને સાસરિયાના ત્રાસથી બચવા તે સ્ત્રી તે નોકરી સ્વીકારે છે. અને તેની પાસે એક દલિત છોકરીના ખૂનનો કેસ આવે છે, જેને સોલ્વ કરતી વખતે તેને સમજાય છે કે આ દેશની પોલીસ સિસ્ટમ કોના કોના થકી ચાલે છે? શા માટે આ દેશમાં સાચો આરોપી પકડાતો નથી અને જો પકડાય જો કેવી રીતે આબાદ તે છટકી જતો હોય છે? આ જે કેસ સોલ્વ કરવાની આખી પ્રોસેસ છે, તેના આધારે તેને ઉપરનો ડાયલોગ કહ્યો છે.
તેની સાથે કામ કરતી બીજી મહિલા પોલીસ તેણીને કેસ ઉકેલવામાં મદદ કરે છે, અને સિસ્ટમની ક્રૂરતાઑ સમજાવે છે. છોકરી દલિત અને ગરીબ હોવાથી, અમુક પાવરફૂલ લોકોને આ કેસ ઉકેલવામાં કોઈ રસ નથી પડતો. જે લોકો છોકરીના મૃતદેહ વિષે ઘણું બધુ જાણે છે, તેઓ પણ કશું બોલતા નથી. સંતોષ કોઈ ધર્મયુદ્ધ નથી લડતી, પણ ધીમે ધીમે તે પોતાની આસપાસ જે કઈ જુએ છે, સાંભળે છે, તેના આધારે નિયમો શીખે છે. તેણી જુએ છે કે એક દલિત દીકરીનો મૃતદેહ બરફ પર પડેલો છે, પણ કોઈને તે કેસ ઉકેલવામાં રસ નથી. તેણી કેસ ઉકેલવાનો પ્રયાસ કરે છે, પણ એક કોન્સટેબલના મર્યાદિત અધિકારો તેણીને જગ્યાએ જગ્યાએ સીમિત કરી નાખે છે. આખી ફિલ્મનુ શૂટિંગ લખનઉના આજુબાજુના વિસ્તારોમાં જ થયેલું છે.
આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય પોલીસ સિસ્ટમ મુઠ્ઠીભર રાજકારણીઓના ઇશારે જ કામ કરે છે. આપણે ભલે એવું માનતા હોઈએ કે ‘ દેશમાં ન્યાય બધા માટે એકસમાન છે.’ પણ વાસ્તવિક દુનિયામાં આપણે કઈક અલગ જ ફીલ કરીએ છીએ. અહી અમુક પાવરફૂલ લોકોને કોઈ જ કાયદાઓ લાગુ પડતાં નથી. તેઓ કોઈપણ ગલત કામ કરીને આબાદ છટકી જતાં હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા રેપ-કેસ, મર્ડર કેસ, વગેરે કેસો પર નજર નાખીશું તો સમજાશે કે એ કેસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો જ નથી! અરે જે કેસોમાં કોઈ એક વ્યક્તિની ભૂલને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા હોય એવા કેસોનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
ને છૂત-અછૂત હજી આ દેશની જ્ઞાતિ સિસ્ટમનો એક ભાગ છે જ! હજી આજની તારીખે દલિત વર્ગના લોકો સાથે આ દેશમાં અન્યાય થઈ જ રહ્યો છે. આવી ફિલ્મો પર પ્રતિબંધ મૂકીને સરકાર આ સત્યો સામે આંખ બંધ કરી શકે એમ નથી. સત્યો સ્વીકારવાની આદત આપણે અપનાવી લેવી પડશે. સીનેમાં સમાજનું જ પ્રતિબિંબ દર્શાવે છે. અને આપણને આપણું પ્રતિબિંબ જોવામાં કોઈ છોછ ના હોવો જોઈએ.
2025માં આ ફિલ્મ ભારતમાં રજૂ થવાની હતી, પણ સેન્સર બોર્ડને ફિલ્મમાં પોલીસની સિસ્ટમ અંગેના કેટલાક દ્રશ્યો, મારા-મારીના કેટલાક દ્રશ્યો, ઇસ્લામોફોબિયા,જાતિવાદ, જ્ઞાતિવાદના કેટલાક દ્રશ્યોને લઈને સમસ્યા હતી, એટલે રજૂ ના થઈ શકી. ( આ જ સેન્સર-બોર્ડને ‘એનિમલ’ જેવા મુવીમાં કઈ વાંધો નહોતો જણાયો!) જો કે સેન્સર બોર્ડનો પ્રતિબંધ જ ફિલ્મને લોકો સુધી પહોંચાડશે. બેન ફિલ્મો જોવાની મજા જ કઈક અલગ હોય છે.

