Sunday 31 July 2022

રોજ સવારે કચરામાં પોતાનું ભવિષ્ય શોધતાં બાળકોની પીઠ પરનું વજન કેટલું હોવું જોઈએ?

 

 રોજ સવારે કચરામાં પોતાનું ભવિષ્ય શોધતાં બાળકોની પીઠ પરનું વજન કેટલું હોવું જોઈએ?

 From Reduced Weight of School Bags to Lesser Homework: How the Government's  Recommendations Can Help School Children - The New Leam

   હમણાં હમણાં શાળાઓના બાળકોના દફતરના વજન બાબતે બહુ ચર્ચાઓ થઈ રહી છે. બાળકો શાળામાં અમુક કિલો કરતાં વધુ વજન લઈને ના આવે તેવો હુકમ પણ થયેલો છે. જિલ્લાશિક્ષણઅધિકારી અમુક શાળાઓમાં જઇ બાળકોના દફતરના વજન પણ તપાસી રહ્યા છે. બાળકોના દફતરોનું વજન નિયત કરેલા વજન કરતાં ઘણું વધુ છે, એવું છાપે પણ ચડી ગયું છે. આ મુદ્દો જ્યારે જ્યારે નિશાળો શરૂ થાય ત્યારે ઊઠતો રહે છે. પણ અમુક સમય બાદ બાળકો અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો એ વજનથી ટેવાય જતાં હોય છે! હકીકત તો એ છે કે આપણને સૌને એ વજનનું માપ મળે છે, પણ જે વજન જાણ્યે-અજાણ્યે આપણે સૌ આપણાં બાળકો પર લાદતા રહીએ છીએ, એ વજનનું માપ આપણી પાસે નથી!

   હમણાં એક સરસ વાત વાંચી, એક બિલાડીનું બચ્ચું અને એક માણસનું બાવ બંને વાતો કરી રહયા હતા, તેમાં બિલાડીના બચ્ચાએ પેલા બાવને કહ્યું, જોયું હું તો ચાલતા પણ શીખી ગયું. જો હવે હું કેવી દોડાદોડી કરી રહ્યું છુ. તું તો હજી ચાલતા પણ નથી શિખ્યુ. એટલે પેલા બાવે કહ્યું, ના હો હમણાં મારે ચાલતા નથી શીખવું. મારી મમ્મી પપ્પાને કહેતી હતી કે લાલો ચાલતા શીખી જાય એટલે તેને નિશાળે મોકલી દેવો છે! આ બાળકોના દફતરોમાં મુકાતું પેલું વજનિયું છે. બાળક 2 કે 2.5 વર્ષનું થાય એટલે માતા-પિતા તેઓને પરાણે નિશાળે ધકેલી દેતા હોય છે. ઘણીવાર તેવા બાળકોને જે રીતે આપણે રડતાં રડતાં નિશાળે નથી જવું એમ બોલતા સાંભળીએ છીએ, આપણને દયા આવી જાય છે, પણ માતા-પિતાને આવતી નથી! બહુ નાની ઉંમરે તેઓને નિશાળે ધકેલી દેવાથી તેઓની કુદરત પાસેથી શીખવાની આવડત આપણે છીનવી રહ્યા છીએ. મુક્ત વાતાવરણમાં ઉછરવા માંગતા બાળકોને આપણે વર્ગખંડોમાં કેદ કરીને તેઓમાં રહેલી નિખાલસતા અને નિર્દોષતાને ડગલે ને પગલે આપણે કચડી રહ્યા છીએ.

    રમવા માંગતા બાળકોના હાથમાં નોટબૂક અને પેન પકડાવીને આપણે શું સાબિત કરવા માંગતા હોઈએ છીએ? વળી એ બાળકો કેટલા કેટલા ચોપડાઓમાથી કેટલી કેટલી જુદી જુદી ભાષાઓ શિખતા રહે છે. કક્કાનો ક’,એ.બી.સી.ડી. નો એબેમાથી શું શીખવું એમાં જ એ કંફ્યૂઝ થતા રહે છે. 2થી4 વર્ષના બાળકોનો સરકારે નક્કી કરેલો અભ્યાસક્રમ કોઈ છે જ નહી, એટલે દરેક નિશાળો વાળા અલગ અલગ પ્રકાશનોના ચોપડા,( જેમાથી તેઓને સૌથી વધુ કમિશન મળતું હોય) બાળકોને ફરજિયાત લેવડાવતા હોય છે. આ ઉંમરના બાળકો સમજ્યા વિના અંગ્રેજીની પોએમ્સ બોલ્યા કરે એવું ઇચ્છતા માતા-પિતા બાળકોને બધુ ગોખાવતા રહે છે. પોતાનું બાળક ભણવા નથી માંગતુ છતાં તેઓને પરાણે ભણાવવાનું આ વજન જ બાળકોને શિક્ષણથી દૂર કરી દેતું હોય છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે આ સમયગાળા દરમિયાન બાળક સૌથી વધુ શીખે છે, પણ પોતાનું મનગમતું શીખે છે, એ આપણે સૌ ભૂલી જ ગયા છીએ.

        બાળકોને જુદા જુદા ક્લાસીસમાં મોકલીને આપણે તેઓ પર વજનનો મોટો ટોપલો મૂકી દેતા હોઈએ છીએ. વેકેશન પણ આપણે તેઓ પાસેથી છીનવી લીધું છે! સગા-સંબંધીઓ અને મિત્રોના બાળકો સાથે આપણાં બાળકોની સરખામણી કરતાં રહીને આપણે તેઓને ક્યારેય ના પૂરી થાય એવી રેસમાં દોડાવતા રહીએ છીએ. કુદરતનું કોઈ તત્વ ક્યારેય એકબીજાની સરખામણી નથી કરતું. પણ આપણે બાળકોને એકબીજા સાથે સરખાવ્યા જ કરીએ છીએ. પેલાનું છોકરું સારો ડાન્સ કરી શકે કે ગીત ગાઈ શકે તો મારૂ કેમ નહી? બસ આ જ કારણે આપણે તેઓમાં રહેલી ખામીઓ કે વિશેષતાઓને સમજ્યા વિના તેઓને બીજા બાળકો સાથે સરખાવતા જ રહીએ છીએ. અને એ સરખામણીના બોજનું વજન તેઓ આખી જિંદગી ફીલ કરતાં રહે છે. મનોજકાકાનો છોકરો જે છોકરી ડોક્ટર કે એંજિનિયર થઈ એટલે મારે પણ એ જ ભણવાનું! આ વજન તો ઘણીવાર તેઓનો જીવ પણ લઈ લે છે. આવું બાળકો સાથે શાળાઓમાં પણ થતું રહે છે. હોશિયાર અને ઠોઠનું વજન તેઓ કાયમ અનુભવતા રહે છે. તેઓને આપણે જે કોઈપણ ખરાબ લેબલ લગાડતા રહીએ છીએ, તેનું વજન પણ તેઓ ફીલ કરતાં રહે છે!

    આપણી અપેક્ષાઓના બોજનું વજન, આપણાં સપનાઓ પૂરા કરવાના બોજનું વજન, માતા-પિતા અરસપરસ લડતા રહે છે, તેનું વજન, આપણે તેઓ પાસેથી છીનવી લીધેલા બાળપણનું વજન, સમય આપવાને બદલે હાથમાં પકડાવી દીધેલાં ઈલેકટ્રોનિક ગેજેટસનું વજન, બાળમજૂરીનું વજન, આ બધા વજન હેઠળ તેઓ દટાઇ રહ્યા છે. આ બધા વજનોનું માપ કોણ નક્કી કરશે?

   બાળકોના દફતરમાં ભાર કેમ વધુ છે?  કારણકે એ ભાર માપવાનો આપણો માપદંડ જ ખોટો છે!!!

 

Sunday 24 July 2022

જેને ભણવું છે, એના માટે આપણું શિક્ષણ છે, પણ જેને ભણવું નથી તેના માટે પણ આ જ શિક્ષણ!!!

 

જેને ભણવું છે, એના માટે આપણું શિક્ષણ છે, પણ જેને ભણવું નથી તેના માટે પણ આ જ શિક્ષણ!!!What has failed our education system in India? - Manav Rachna  Vidyanatariksha

 

         હમણાં એક 18 વર્ષના છોકરાને મિસ્ત્રી કામ કરતાં જોયો, એટલે પૂંછયું ભણવા નથી જતો. તેણે જવાબ આપ્યો દસમા ધોરણમાં નાપાસ થયો એટલે ભણવાનું છોડી દીધું. એક બીજો છોકરો આવી જ રીતે ધોબીકામમાં જોડાઇ ગયો. આવા વિદ્યાર્થીઓ માટે આપણાં શિક્ષણમાં કોઈ વર્ગખંડ નથી!  દર વર્ષે કોલેજમાં એવા ઘણા છોકરા છોકરીઓ હોય છે, જેઓ જુદી જુદી કળાઓમાં ખૂબ જ હોશિયાર હોય છે, પણ તેઓને તે કળાઓ અંગેનું શિક્ષણ ના મળતું હોવાથી તેઓ એ ક્ષેત્રમાં આગળ વધી શકતા નથી. આપણાં દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાય ફાઇન આર્ટ્સ ની  કે સ્કિલ-ડેવલપમેન્ટ ની કોલેજો સ્થાપવાનો વિચાર સરકારને નથી આવતો!    

આપણા વર્ગખંડોમાં સૌથી મોટી સમસ્યા ઊભી કરનાર વિદ્યાર્થીઓ એ જ છે, જેઓને ભણવું નથી પણ છતાં માતા-પિતાના દબાણને કારણે ભણવા જવું પડે છે. વળી અમુક વિદ્યાર્થીઓ એવા છે જેઓને સરકારી નોકરી મેળવવા જરૂરી ડીગ્રીઓ ગમે તે રીતે ભેગી કરી લેવી છે. તેઓ પરિક્ષામાં બેફામ ચોરી કરતાં રહે છે અને નિયમિત વિદ્યાર્થીઓને પણ હેરાન કરતાં રહે છે. તેઓને આવું કરતાં જોઈને હોશિયાર વિદ્યાર્થીઓનો મોરલ પણ તૂટી જતો હોય છે.

  હમણાં ફિલ્મ અભિનેત્રી કાજોલની એક છાપામાં મુલાકાત વાંચી, જેમાં તેણે એવું કહેલું કે હું કોલેજમાં ભણવા ગઈ તો ખરી પણ મને ત્યાં કઈ નવું શીખવા નહોતું મળતું એટલે મે એક્ટિંગ શરૂ કરી દીધી” આવું વાક્ય આપણે ઘણી બધી સેલેબ્રેટીઝ પાસેથી સાંભળ્યુ છે. જે શિક્ષણ પાછળ વ્યક્તિ પોતાની જીંદગીનો એક આખો હિસ્સો ઇન્વેસ્ટ કરી દે છે, તેમાથી જો કશું જીવાનુપયોગી શિખવા ના મળતું હોય તો એ ઈન્વેસ્ટમેન્ટ વિષે કશું નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે.

     જેને ખરેખર આગળ ભણવું જ નથી, તેઓ માટે બીજો કોઈ અભ્યાસક્રમ બનાવવાની જરૂર છે. તેઓ માટે જેન્યુઇન વોકેશનલ કોર્સ શાળાઓમાં શરૂ કરાવવાની જરૂર છે. જેઓ પાસે કોઈ અલગ સ્કીલ છે, જેમ કે રમવાની, રસોઈ બનાવવાની, મહેંદી મૂકવાની, ચિત્ર દોરવાની, પેઇન્ટિંગની, વગેરે વગેરે તેઓ માટે અલગ નિશાળો કરવી જરૂરી છે. વિદેશોમાં બાળકો આગળ ક્યાં ફિલ્ડમાં જઇ શકે એમ છે, તે નક્કી કરવા એપ્ટીટ્યુડ ટેસ્ટ લેવાય છે અને અહી બાજુવાળાના કે સગાસંબંધીઓના દીકરા કે દીકરીઓ શેમાં એડમિશન લે છે, એ જ જોવાય છે.

   ભારત એક ખેતીપ્રધાન દેશ છે, પણ આપણા યુવાનો ખેતીથી દૂર ભાગતા ફરે છે. જે દેશની 67%ખેતી પર નભતી હોય તે દેશના શિક્ષણમાં ખેતીના પ્રેક્ટિકલ જ્ઞાનને કોઈ જગ્યા ના હોય, આવો અભ્યાસક્રમ તો આ દેશમાં જ ઘડાય શકે. ડેનમાર્કનો મુખ્ય વ્યવસાય દૂધની ડેરીઓન છે, તો ત્યાના વિદ્યાર્થીઓને શિક્ષણમાં તેના વિષે ભણાવવામાં આવે છે. આપણે ત્યાં એવા કેટલા ક્ષેત્રો છે,જેમાં કામ કરવા વાળા માણસોની કમી છે. અમુક કામોની આપણા દેશમાં એટલી બધી ઉપેક્ષા કરવામાં આવે છે કે તે ક્ષેત્રોમાં ઊંચું વળતર મળતું હોવા છતાં કામ કરવાવાળા મળતા નથી.

   આપણી શિક્ષણપદ્ધતિમાં માત્ર એવા વિષયોને જ મહત્વ મળી રહ્યું છે, જેમાં કમાણી (સંચાલકોની અને માલિકોની) વધુ હોય. કોઈપણ શાળા કે કોલેજ પાસે વોકેશનલ કોર્સ માટેનું કોઈ સ્ટ્રક્ચર જ નથી! વિદ્યાર્થીઓની સ્કીલને વિકસિત કરી શકાય એવું માળખું જ નથી. ડાન્સ, એક્ટિંગ, સિંગિંગ, મિમિક્રી વગેરેનું આપણાં શિક્ષણમાં કોઈ સ્થાન જ નથી. શિક્ષણના ભાર હેઠળ આ બધી કળાઓ આજે શ્વાસ પણ લઈ શકતી નથી!  

   આપણે કેવી શિક્ષણનીતિના આધારે ભારતનું ભાવી ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? આઝાદી બાદ આપણને આપણી શિક્ષણનીતિ ઘડવાનું સ્વાતંત્ર્ય મળ્યું હતું. પણ આપણે મેકોલને કાઢી શક્યા નહી. કેટલા બધા કમિશનોએ આઝાદી બાદ શિક્ષણમાં ફેરફારો સૂચવેલા છે. શું કોઈએ આ મેકોલની શિક્ષણપદ્ધતિ ને દૂર કરવાનું સજેશન નહી કર્યું હોય? શિક્ષણ એ કોઈપણ દેશના વિકાસનું સૌથી અગત્યનું માધ્યમ છે. પણ આપણે એ માધ્યમની પવિત્રતાને જાળવી નથી શકયા!

        પ્રાચીન સમયથી આપણાં દેશમાં શિક્ષણને અતિ પવિત્ર માનવામાં આવે છે. આપણી પાસે એ પ્રાચીન શિક્ષણનો અદભૂત વારસો છે. પણ આપણે એ વારસાને ના તો જાળવી શકયા કે ના તો અપડેટ કરી શક્યા. આઝાદી બાદથી અત્યાર સુધી આપણે જે રીતે શિક્ષણ સાથે ચેડાં કરતાં આવ્યા છીએ, તેના લીધે આપણું શિક્ષણ આજે વિદ્યાર્થીઓની મૌલિકતા અને સર્જનાત્મકતા ખતમ કરવાનું કારખાનું બની ગયું છે. એક એવી ફેકટરી બની ગયું છે, જેમાં કૌશલ્ય અને પ્રયોગોને કોઈ સ્થાન જ નથી.

 

 

 

Thursday 14 July 2022

માતાપિતા બનવું એ ‘લાગણી’ છે, માત્ર કોઈ જૈવિક પ્રક્રિયા નથી.......

 

માતાપિતા બનવું એ ‘લાગણી’ છે, માત્ર કોઈ જૈવિક પ્રક્રિયા નથી.......

Family a mere fairy tale for orphans at TN shelters

   હમણાં એક બહેનને મળવા જવાનું થયું. તેમને મોટી ઉંમરે મા બનવાનું નક્કી કરેલું વારંવાર પ્રયાસો કરવા છતા તેઓ નિષ્ફળ ગયા. છેલ્લે તો તેઓને છ મહિના બાદ મિસ-કેરેજ થયું. તેમની વાતો પરથી તેમનો ખોળો ખાલી રહી ગયાનું દૂ:ખ સ્પષ્ટ દેખાતું હતું. હવે તે ક્યારેય મા નહી બની શકે, એ નક્કી હતું, તો આવા સંજોગોમાં એ ખાલી ખોળાને ભરવા માટે શું તેઓ કોઈ અનાથ બાળકને દત્તક ના લઈ શકે? આવા લાખો ખાલી ખોળામાં રમવા થનગનતા અનાથ બાળકોને શું આવા માતા-પિતા લાગણી અને હુંફ ના આપી શકે?

કોરોનાને લીધે પડેલી ખાલી જગ્યાઓએ માણસોના જીવનમાં એકલતાનો સાચો અર્થ સમજાવી દીધો છે. લોકોને સમજાવા લાગ્યું છે કે કુટુંબ વ્યવસ્થાના દરેક પાયા જરૂરી છે, સાથે મળીને ગમે તેવી મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે. જીવનમાં માંદા પડીશું તો માત્ર નર્સથી નહી ચાલે, પણ ઘરનું કોઈ જોઈશે જે પ્રેમથી આપણી સારવાર કરે. હોસ્પીટલમાં એકલા રહેવાની બીકે જ ઘણાંને એટેક આવી ગયા હતા, ઘણાના શ્વાસો ખૂંટી ગયા હતા. જે લોકોને ઘરના લોકોની સારવાર મળી હતી, તેઓ પ્રભુના દરવાજેથી પણ પાછા આવી ગયા હતા. નવજીવન ઘરના સદસ્યો જ આપી શકે છે. એ વાત હવે સૌને સમજાઈ ગઈ છે.

હોસ્પિટલના રૂમની બહાર કોઈ એવું હોવું જોઈએ જેને આપણાં સાજા થવાની ચિંતા હોય.  ઈશ્વર પાસે આપણાં સાજા થવાની દુઆ માંગતા લોકો જ આપણી સાચી સમૃદ્ધિ છે. આ લાગણીઓ આપણાં હ્રદયમાં હવે ક્લિક થઇ ગઈ છે. પણ એક લાગણી છે, જે હજી આપણે ફીલ કરીએ છીએ, પણ સ્વીકારી શકતા નથી! હ્રદય એ તરફ લઈ જાય છે, પણ મગજ તેનો વિરોધ કરતું રહે છે. એ વળી શું? તમને એવો સવાલ અત્યારે થઈ રહ્યો હશે. હું જવાબ આપું છુ, પણ એ પહેલા મારે એ માતા-પિતાને સવાલો  પુછવાં છે, જેઓ મોટી ઉંમરે માતા-પિતા બનવા માંગે છે, પણ બની શકતા નથી અને તે માતા-પિતાને જેઓ બે-માથી કોઈ એકમાં રહેલી ખામીને લીધે બાળકને જન્મ આપી શકતા નથી. આઈ.વી.એફ. કરાવ્યા બાદ પણ!

   શું માતા-પિતા માત્ર ને માત્ર બાયોલોજિકલ હોય છે? લાગણીઓ થકી પણ માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળી શકે એમ હોય તો આપણે શા માટે અપનાવતા હોતા નથી?

    આપણે સૌ અનાથાશ્રમની મુલાકાત લેતાં હોઈએ છીએ, ઘરમાં કોઈના જન્મદિવસની ઉજવણી અનાથ બાળકો સાથે કરતાં હોઈએ છીએ. કોઈ અનાથાશ્રમની મુલાકાત લીધા બાદ જે વેદના આપણી અંદર ઊગી નીકળે છે, તેને આપણે કોઈ બાળકને દત્તક લઈને શા માટે સંવેદના માં ફેરવી નથી શકતા? કોઈ અનાથ બાળકને પોતાના દીકરા કે દીકરી તરીકે આપણે શા માટે અપનાવતા હોતા નથી. કોરોના જેવી મહામારી અને કુદરતી આફતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને લીધે લાખો બાળકો પોતાના માતા-પિતા ગુમાવી દેતાં હોય છે. આવા અનાથ બાળકોને દત્તક લઈ તેઓના ભવિષ્યને ઉજાળવાનો વિચાર આપણને કેમ નથી આવતો?  

    આવા લાખો અનાથ બાળકો માતા-પિતાની છત્ર-છાયા માટે તરસતા રહે છે, તેઓનું ભાવિ અંધકારમાં ગરકાવ થઈ જતું હોય છે. આવા કેટલાયે બાળકો માતાનો ખોળો અને પિતાનું છત્ર મેળવવા માંગતા હોય છે, પણ માતા-પિતા આ એક પ્રગતિશીલ કદમ ઉઠાવતા ડરતા રહે છે, એ બાળક ક્યાં વંશનું હશે, તેમાં કોનું લોહી હશે? તે ભવિષ્યમાં મોટું થઈને કેવું થશે? એવા બિન-જરૂરી પ્રશ્નો તેઓના દિમાગમાથી દૂર થતા નથી અને કોઈને તેઓને સાચા જવાબો તરફ લઈ જવાની પહેલ કરતું હોતું નથી.

   આવું વિચારતી વખતે આપણે જો થોડા હકારાત્મક વિચારો કરી લઈશું કે અનાથ બાળકોના જીવનમાં આપણે લાગણી અને પ્રેમ થકી આપણે તેઓનો શ્રેસ્ઠ ઉછેર કરી શકીશું તો મૂરઝાયેલા ફૂલોને નવેસરથી ખીલવાની તક આપી શકીશું. તેઓના જીવનમાં આશાઓ અને ઉત્સાહ ભરી શકીશું. માતા-પિતાના પ્રેમ માટે તરસતા બાળકોનું આપણા પ્રેમ થકી સિંચન કરી શકીશું. અને માતા-પિતા તરીકે આપણે પણ આપણા મનને તેઓના પ્રેમ થકી હર્યુભર્યું રાખી શકીશું. સામસામો બંનેના જીવનમાં રહેલો ખાલીપો પૂરી શકીશું. એ ખાલીપાની માલીપા આપણી સર્જનાત્મકતાને ભરી શકીશું.

      કેટલીયે એવી મમ્મીઓને આપણે આપણી આસપાસ જોઈએ છીએ જેઓ જીવના જોખમે પોતાના બાળકને જન્મ આપવાના નિષ્ફળ પ્રયાસો કરે છે, તેઓ બધુ જ કરે છે, બાળક માટે માનતાઑ કરે છે, બાધાઓ રાખે છે, દરેક ધર્મસ્થાનની ચોખટ પર તેઓ જાય છે, પણ તેઓ ઈશ્વરે આપેલા કોઇ અનાથના માતા-પિતા બનવાનું સ્વીકારતા નથી. શું માત્ર લોહીના સંબંધો પર જ દુનિયા ટકતી હોય છે. લાગણીના સંબંધો થકી પણ જિંદગીમાં જીવન ઉમેરી જ શકાતું હોય છે.

   જેમને સંતાનો હોય તેઓ પણ આવા બાળકો તરફ પોતાનો હાથ પસારી શકે છે. આપણને બધુ ઉછીનું લેતા આવડે છે, તો શું આપણે ખુશીઓ ઉછીની ના લઈ શકીએ?  આ ઉધારની ખુશીઓ પણ આપણા જીવનને ધબકતું રાખી શકે છે. અને એક અનાથ જીવને નવજીવન આપી શકે છે.

લાઈક,કમેંટ,શેર......

     The world may not change if you adopt a child, but for that child their world will change.

Friday 8 July 2022

લડકીઓ કે પંખોકો ઉડાન ભરને દો, વોહ અપના આસમાં ખુદ ઢુંઢ લેંગી......


લડકીઓ કે પંખોકો ઉડાન ભરને દો, વોહ અપના આસમાં ખુદ ઢુંઢ લેંગી......

 Saikhom Mirabai Chanu: One Olympic medal and its many stories | The News  Minute

કોલેજમાં સત્રનો પ્રથમ ક્લાસ શરૂ છે, પરિચય ચાલે છે. બધા પોતપોતાનો પરિચય આપી રહ્યા છે. છોકરીઓમાથી મોટાભાગની છોકરીઓ એમ કહીને અટકી જાય છે, કે મારે આ બનવું છે અને મારે આમ કરવું છે. પણ મમ્મી-પપ્પા ના પાડે છે. હમણાં જ એક છોકરીએ એવું કહ્યું કે હું કબડ્ડીમાં સ્ટેટ લેવલ સુધી રમી આવી છુ, પણ હવે મારા પેરેન્ટ્સ ના પાડે છે કે આમાં આગળ નથી વધવું. મારા કોચ પુરુષ છે, એટલે.....

  હમણાં એક શિક્ષિત વાલી સાથે વાત થઈ. તેની દીકરી 12માં સાયન્સમાં હતી, એમ.બી.બી.એસ. જેટલો સ્કોર ના થયો, એટલે બીજા વિકલ્પો તરફ વળવાનું નક્કી થયું. દીકરીએ કહ્યું મારે ફિઝિયો-થેરાપિસ્ટ બનવું છે, તો વાલીએ એટલે ના પાડી કારણકે ફિઝિયોને લોકોના હાથ-પગ પકડી કસરત કરાવવી પડે! મારી દીકરી બધાને અડતી ફરે એ મને ના ગમે! જવાબ સાંભળી હસવું કે રડવું એ ના સમજી શકાયું! શું કોઈપણ ક્ષેત્રના ડોકટર્સનું કામ લોકોને અડયા વિના થતું હશે! આ કેવી મેંટાલીટી??

  હજી ત્રીજો કિસ્સો તો આનાથી પણ આશ્ચર્યજનક છે, એક દીકરી 12 આર્ટસમા પાસ થઈને ફોર્મ લેવા આવી. તેનું રિઝલ્ટ જોયું, 85% હતા. બે દિવસ થઈ ગયા પણ ફોર્મ ભરવા ના આવી. જગ્યા પૂરી થવામાં હતી, એટલે અમે ફોન કર્યો, શું થયું? ફોર્મ ભરી જાવ નહી, તો જગ્યા નહી રહે, જવાબમાં એ રડવા લાગી અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો. થોડા દિવસ પછી એ છોકરી બાય ચાન્સ બજારમાં મળી, તો તેને વાત કરી મારા ભાઈને ભણાવવામાં ખર્ચ વધી જાય છે, એટલે મને ભણવાની ના પાડી! તારા ભાઈને કેટલા ટકા છે, તો તેણે જવાબ આપ્યો, 50%. છતાં મારા મમ્મી-પપ્પા તેની પાછળ ખર્ચ કરવા તૈયાર છે, મારા પાછળ નહી.... મમ્મી સાથે હતી, તરત બોલી ઉઠી, દીકરીને ગમે તેટલું ભણાવીએ, એ તો પારકા ઘરે જતી રહેવાની! એની પાછળ ખર્ચો કોણ કરે?

  હા આ આજના ટેકનોયુગની જ વાત છે, એક તરફ આપણે બીજા ગ્રહ પર જીવન છે કે નહી? એ શોધી રહ્યા છીએ અને બીજી તરફ આ પૃથ્વી નામના ગ્રહ પરનું જીવન હજી આજે પણ આવા પૂર્વગ્રહોમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. આપણાં સમાજમાં સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ સૌથી મોટો સંઘર્ષ છે. હજી આજે પણ મોટા ભાગના મમ્મી-પપ્પા દીકરીને જન્મ દેવો કે નહી એ વિચારતા રહે છે. કુટુંબમાં પુત્ર-જન્મને જે વધામણી મળે છે, એ દીકરીઓના જન્મને મળતી નથી!

  હજી કેટલાયે એવા કુટુંબો વસે છે, જેમાં જો સ્ત્રી દીકરાને જન્મ ના આપી શકે તો પુરુષ બીજા લગ્ન કરી લેતો હોય છે. આપણે થોડી ઘણી દીકરીઓની સફળતાથી અંજાઈને આંખો બંધ કરીને બેસી ગયા છીએ, પણ ગ્રામ્ય વિસ્તારોમાં અને અમુક શહેરી વિસ્તારોમાં દીકરીઓ વિષેની લોકોની માન્યતાઓમાં ઝાઝો ફર્ક નથી પડ્યો! દીકરીઓ રમત કે શિક્ષણમાં આગળ વધશે તો ડગલે ને પગલે આપણે તેનું ધ્યાન રાખવું પડશે, એવું આપણે માનીએ છીએ એનો અર્થ એ છે કે આપણે દીકરાઓને કોઇની દીકરી સાથે કેવી રીતે વર્તવું એ શીખવી શકયા નથી!

   દરેક વખતે આપણે સ્ત્રીઓને જ શીખવતા રહીએ છીએ, કે તારે આમ કરવાનું અને આમ નહી, દીકરીઓ માટે સલામત વાતાવરણ આપણે ઊભું નથી કરી શક્યા કારણકે આપણે દિકરાઓને એ નથી સમજાવી શકતા કે દીકરીઓનું સન્માન કરવું જરૂરી છે. તમામ બંધનો અને જવાબદારીઓ દીકરીઓ પણ નાખી આપણે તેઓના પગમાં ગાળિયો નાખતા જ રહીએ છીએ. દર વર્ષે આવી કેટલીયે છોકરીઓને અમે સાંભળીએ છીએ કે અમને ઉડવા મનગમતું આકાશ મળતું નથી.

  જે મમ્મી-પપ્પાએ પોતાની દીકરીઓને એ આકાશ આપ્યું છે, તેઓને નિરાશ થવાનો જરાપણ વખત નથી આવ્યો.. આજે એવા કેટલાયે ક્ષેત્રો છે, જેમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતો અને તેમણે પ્રવેશ મેળવીને પોતાની જાતને સાબિત કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઓલમ્પિક અને બીજા આંતરરાષ્ટ્રીય રમોત્સવમાં  છોકરીઓ દેશ માટે મેડલ્સ લાવી રહી છે. સાહિત્ય અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, વર્કિંગ વીમેન બની ઘર અને ઓફિસ બંને ચલાવી રહી છે, પોતાના પર થતાં અત્યાચારો સામે લડી રહી છે, ન્યુઝીલેંડ અને એવા કેટલાયે દેશોના સુકાન સંભાળી રહી છે, દરેક વર્ક-પ્લેસ પર પુરુષો સાથે કદમ થી કદમ મિલાવી રહી છે, ત્યારે આપણે જો હજી સદીઓ જૂની એ જ રુઢીઓને પકડીને બેસી રહીશું અને દીકરીઓને ઉડવા માટે આકાશ નહી આપીએ તો એ પોતાનું આકાશ ખુદ શોધી લેશે. એના કરતાં આ શુભ કામ આપણે જ કરી લઈએ.

 લાઈક,કમેંટ,શેર.....

   આગળ વધવા માંગતા લોકોના ધસમસતા પ્રવાહને કોઈ રોકી શક્યું નથી..... માટે દીકરીઓને ખુદ આપણે ઉડતા શીખવી દઈએ, તેને માન્યતાઑ અને પૂર્વગ્રહોના સંકુચિત વર્તુળમાં બાંધી ના રાખીએ.....

 

   

Saikhom Mirabai Chanu - Wikipedia

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...