Wednesday 28 June 2023

કટકામાં ફેંકાતી સ્ત્રી, આ કેવી રીલેશનશીપ!

 

 

 

 

 

 

 

 

 

 

 કટકામાં ફેંકાતી સ્ત્રી, આ કેવી રીલેશનશીપ!

 સુરતના મહુવામાં પ્રેમી યુગલનો ગળે ફાંસો ખાઈ આપઘાત, 2 વર્ષથી લીવ-ઈનમાં રહેતા  હતા

 

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ ગામમાં અનુરાધાકુમારીએ તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતા અનવરખાનને લગ્ન કરવાનું કહ્યું, પણ અનવરખાને ના પાડી, એટલે તેણીએ આપઘાત કરી લીધો. અનવરખાનને પહેલેથી બે પત્નીઓ હતી! મહારાષ્ટ્રમાં પાલઘરમાં મનોજ સાહની નામના 54 વર્ષના વૃદ્ધે લીવ ઇનમાં રહેતી પોતાની પાર્ટનર સરસ્વતી વૈધને મારીને તેના ટુકડા કરીને કૂકરમાં બાફી નાખી. એ ટુકડા થેલીમાં ભરી દીધા, વાસને કારણે પાડોશીએ ફરિયાદ કરી અને આખો કેસ સામે આવ્યો!

  બેંગલુરુમાં સંતોષધામી નામના માણસે પોતાની પાર્ટનર ક્રિશ્નાકુમારીને દીવાલ સાથે માથું અફળાવીને મારી નાખી. બંને વચ્ચે ખૂબ ઝઘડા થતા. કૃષ્ણાકુમારીએ વારંવાર પોતાની નજીકના માણસોને કોલ કરીને વારંવાર થતાં ઝઘડાની જાણ કરી હતી. એક મિત્ર તેને બચાવવા પણ દોડ્યા પણ માત્ર લોહીમાં તરફડતું તેનું શરીર જ મળ્યું, તો દિલ્હીમાં એક યુવાને નિક્કી યાદવ નામની પોતાની લીવ ઇન પાર્ટનરને મારી તેના ટુકડા કરી પોતાના ધાબાના ફ્રીજમાં સ્ટોર કરી દીધી. દિલ્હીમાં આફતાબ નામના એક યુવાને શ્રદ્ધા નામની પોતાની પાર્ટનરને મારી તેના 35 ટુકડા કરી નાખ્યા!

 આ બધામાં એક સંબંધ કોમન છે અને એ છે લીવ ઇન રીલેશનશીપ’. લગ્ન ના કરવા માંગતા લોકો આજકાલના આ ટ્રેન્ડ મુજબ લગ્ન વગર સાથે રહેવા માટે કે પછી પોતાના લગ્નેતર સંબંધને છુપાવવા માટે અને કા તો લગ્નને ટાળવા માટે આ સિસ્ટમનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. પણ છેલ્લા કેટલાક મહિનાઓના છાપાઓ અને ટી.વી. કે મોબાઇલની સ્ક્રીનો લીવ ઇન ના ઘાતક સમાચારોથી ઉભરાઇ રહી છે.

  બે વ્યક્તિઑ એકબીજા સાથે પ્રેમથી જોડાય છે, પણ નિભાવી ના શકતા કે પુરુષને એ સંબંધ અબખે પડી જતાં, તે એકદમ ક્રૂરતાથી પોતાની લીવ ઇન પાર્ટનરને મારી નાખી રહ્યો છે. કોઈ પોતાના દુશ્મનને પણ ના મારે એ રીતે તે એકવખત જેને પ્રેમ કરતો હતો કે પ્રેમ કરતો હતો ,એવા દેખાડા કરતો હતો, તેને મારી રહ્યો છે. દરેક રાજયમાં દિન-પ્રતિદિન આવા કિસ્સાઓ વધી જ રહ્યા છે.

   સ્ત્રીઓ શા માટે આવા સંબંધોને ઝકડીને રાખતી હોય છે? કારણકે તેને ડર હોય છે, કે એક વાર આવી રીતે કોઈ પુરુષ સાથે રહ્યા બાદ કુટુંબ કે સમાજ તેનો સ્વીકાર કદી નહી કરે. જેમ લગ્નથી જોડાયેલી સ્ત્રીઓ પાસે પુરુષ ગમે તેટલો ત્રાસ ગુજારે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી અને જે વિકલ્પો છે, એ એટલા બધા અટપટા છે કે એ લગ્ન નિભાવવાનું જ પસંદ કરી લેતી હોય છે. આપણાં સમાજમાં હજી આજની તારીખે છુટ્ટાછેડા માટે સ્ત્રીઓને જ જવાબદાર ગણવામાં આવે છે. હવે સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા પર છુટ્ટાછેડાની જવાબદારી આવી ગઈ છે!

  લીવ ઇન રીલેશનશિપમાં પણ સ્ત્રીઓ પાસે બહુ ઝાઝા વિકલ્પો નથી હોતા. હા જે સ્ત્રીઓ પરિણીત પુરુષો પાસેથી પ્રેમ અને સાથની અપેક્ષા રાખે છે, એ સાવ ખોટી છે. કુટુંબ સાથે સંકળાયેલો પુરુષ કદી પોતાના લગ્નેતર અફેરને સામાજિક સ્વીકૃતિ આપતો નથી. તે એ બીજી સ્ત્રી સાથે કદી લગ્ન કરવાનો નથી, તેથી સ્ત્રીઓ એ જ આવા સંબંધોથી દૂર રહેવાની જરૂર છે.

  વારંવાર લગ્ન કરવાનું કહેવા છતાં લગ્નને જો પુરુષ ટાળતો રહે તો એ સંબંધથી સ્ત્રીઓએ દૂર થઈ જવાની જરૂર હોય છે, પણ સ્ત્રીઓ લાગણીઓના ખોટા પૂરમાં તણાઈને આવું નથી કરતી અને પરિણામે કપાઇ રહી છે, બફાઈ રહી છે કે પછી પંખે ટિંગાઈ રહી છે. ઉપરના દરેક કિસ્સામાં જો સ્ત્રીઓ વહેલાસર સમજીને સંબંધમાથી દૂર થઈ ગઈ હૉત, તો અત્યારે જીવતી હૉત અને નરક સમાન જિંદગીમાથી આઝાદ પણ થઈ ગઈ હોત.

  વારંવાર પાર્ટનરના હાથનો માર ખાવા છતા, ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનવા છતાં, સ્ત્રીઓ શા માટે મારનારને છોડી નથી રહી. ઈમોશનલ બેવકૂફ બનીને સામેથી મૃત્યુને શા માટે બોલાવી રહી છે? હવે તો લીવ ઇન રીલેશનશીપ અંગેના કાયદાઑ પણ સુપ્રીમકોર્ટે ઘડયા છે, તેનો ઉપયોગ શા માટે નથી કરી રહી? એકવાર કોઈની સાથે વગર લગ્ને રહેવાનુ સ્વીકારી લીધું એનો અર્થ એ નથી કે એ વ્યક્તિને છોડી ના શકાય.

 સમાજ સ્વીકારે કે ના સ્વીકારે, કુટુંબ અપનાવે કે ના અપનાવે, અસ્તિત્વના સંઘર્ષમાથી પસાર થવું પડે તો ભલે પણ આવા સંબંધોમાં ગૂંગળાઇને રહેવાની કોઈ જ જરૂર નથી હોતી. આવી ક્રૂરતાનો ભોગ બનવું એના કરતાં તો લીવ ઇન રીલેશનશીપમાથી લીવ જ થઈ જવું સારું.....

Friday 23 June 2023

ત્રણ ત્રણ ભાષાઓનું શિક્ષણ ... ભારતનું ભાવિ વર્ગખંડોમાં ‘મૂંઝાય’ રહ્યું છે....

 

ત્રણ ત્રણ ભાષાઓનું શિક્ષણ ... ભારતનું ભાવિ વર્ગખંડોમાં ‘મૂંઝાય’ રહ્યું છે....

 Describing language - OpenLearn - Open University

 

      બાળક આજે ઘરમાં માતૃભાષા, નિશાળમાં આંતરાષ્ટ્રિયભાષા અને ટી.વી. અને બીજા સોસિયલ પ્લેટફોર્મ્સ પર રાષ્ટ્ર-ભાષા ભણીને એટલું બધુ કંફ્યૂઝ થઈ રહ્યું છે કે એક પણ ભાષા વ્યવસ્થિત રીતે શીખી નથી રહ્યું! ઘર નજીક ગાય આવે, તો મમ્મી એને કાઉ કહે છે, અને દાદી ગાય બોલતા શીખવે છે. ઘરમાં બાળક પાણીને ભૂ કહે છે, તો નિશાળમાં સોરી સ્કૂલમાં વોટર બોલવું પડે છે, તો ટી.વી.માં એ જ બાળક પાણી માટે પાની શબ્દ સાંભળે છે. એટલું જ નહી, શાળામાં પણ બાળકોને પ્રી-સ્કૂલથી આ ત્રણેય ભાષાઓ શીખવી દેવાની ઉતાવળ આજકાલ સૌને આવી ગઈ છે!  આવું આજે ભારતના તમામ રાજ્યોમાં થઈ રહ્યું છે.

     પ્રી-સ્કૂલ અને પ્રાથમિક સ્કૂલ લેવલે બાળકો સૌથી વધુ અવલોકન, પ્રશ્નપદ્ધતિ, પ્રાયોગિક પદ્ધતિ અને ચિત્રો થકી શીખે છે, પણ આ બાબતો જે શૈક્ષણિક મનોવિજ્ઞાને આપણને સમજાવી છે, તે આપણે સૌ વાલી કે શિક્ષક તરીકે શીખી નથી રહ્યા. આપણે તો બસ ગમે તે રીતે બાળકોને આ ત્રણેય ભાષાઓ લખતા, બોલતા અને વાંચતાં આવડી જાય તે જ જોઈ રહ્યા છીએ. એમાં પણ આજકાલ માતૃભાષાને અવગણી અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવાની જીદ લઈને આપણે બેસી ગયા છીએ, તે આપણે સૌ આપણાં જ પગ પર કુહાડી મારી રહ્યા છીએ. વળી ઘણી શાળાઓમાં ચોથી ભાષા તરીકે સંસ્કૃત પણ શિખવવામાં આવી રહ્યું છે. હવે વિચારો તો ખરા એક જ શબ્દને ચાર અલગ અલગ ભાષાઓમાં વિદ્યાર્થીઓએ કેવી રીતે યાદ રાખી શકે?

   ભારતમાં ઇ.સ. 1968ની નવી શિક્ષણનીતિ અંતર્ગત આ ત્રણ ભાષાઓની ફોર્મ્યુલા દાખલ થઈ હતી. પણ તેમાં પણ એવું સ્પષ્ટ લખ્યું છે કે બાળક માતૃભાષા શીખી લે પછી જ બીજી ભાષાઓ તેને શિખવવી. યાદ કરો આપણે ભણતા હતા ત્યારે પાંચમા ધોરણ સુધી અંગ્રેજી કે બીજી કોઈ ભાષા શિખવવામાં જ નહોતી આવતી. પણ હવે માતા-પિતા પર બાળકોને બધુ જ ખૂબ જ ઝડપથી શીખવી દેવાની ધૂન સવાર થઈ ગઈ છે, ને પરિણામે બાળકો વર્ગખંડોમાં જઈને નવું નવું શીખવાને બદલે વધુ ને વધુ મૂંઝાય રહ્યા છે.

 યુનેસ્કો પણ કહી રહ્યું છે કે બાળકોનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ. યુનેસ્કોના લેટેસ્ટ રીપોર્ટ મુજબ મોટા ભાગના દેશોમાં માતૃભાષા સિવાયની ભાષામાં શિક્ષણ અપાય રહ્યું છે. વિશ્વની કુલ વસ્તીના 40% લોકો માતૃભાષામાં શિક્ષણ નથી લઈ રહ્યા. તેઓને પોતાની માતૃભાષામાં લખતા કે વાંચતાં નથી આવડતું! વિશ્વમાં કુલ 7000 ભાષાઓ છે, જેમાની ઘણી બધી આજે આપણી જિદને લીધે અદ્રશ્ય થઈ જવાની તૈયારીમાં છે.

  સંશોધનો મુજબ માતૃભાષા એ ગુણવત્તાયુક્ત શિક્ષણનું સૌથી મહત્વનુ પરિબળ છે. જે બાળકો માતૃભાષામાં ભણે છે, તેઓનો એકેડેમીક રેકોર્ડ સારો રહે છે, તેઓ કોઈપણ વિષયને સમજીને ભણી શકે છે. જેથી તેઓનું શીખવાનું આઉટપુટ પણ વધે છે અને શીખવાની ઝડપ પણ વધે છે. વળી માતૃભાષામાં શિખનાર બાળક પોતાની સંસ્કૃતિ અને પોતાની ઓળખને બીજા કરતાં સારી રીતે સમજી શકે છે. માતૃભાષા આસપાસ સૌથી વધુ બોલાતી ભાષા હોય છે, માટે આસપાસના લોકો સાથે પ્રત્યાયન કરવામાં એ જ ઉપયોગી સાબિત થતી હોય છે. અને હા આ હકીકત તો આપણે સૌએ સ્વીકારવા જેવી છે કે માતૃભાષા શિખીને જ બીજી ભાષાઓ વધુ સારી રીતે શીખી શકાય છે.

 માતૃભાષામાં નહી ભણનાર વિદ્યાર્થીઓનાં ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયો કાચા રહી જતાં હોય છે. આ બંને વિષયોમાં અમુક સંકલ્પનાઓ માત્રને માત્ર માતૃભાષામાં જ સમજી શકાય છે. પાંચમા ધોરણ સુધી માતૃભાષા ને પછી જ અંગ્રેજી કે હિન્દી ભાષા તરીકે શિખવવી જોઈએ. એકસાથે ત્રણેય ભાષાઓ અને એ પણ હજી ભણવા બેસતું બાળક કેવી રીતે ગ્રહણ કરી શકે?

   પ્રી-સ્કૂલ, પ્રાથમિક લેવલે આ ત્રણ ભાષાઓનું દબાણ બાળકો લઈ શકતા નથી, ને પરિણામે તેઓને ઘણીવાર શિક્ષણ પ્રત્યે જ નફરત થઈ જતી હોય છે. એના કુમળા મન પર જે ભાષા દબાણ નહી ,પણ હળવાશ લાવી શકે તે ભાષા તેઓને શીખવીએ. દફતરનો બોજ, જુદી જુદી પ્રવૃતિઓનો બોજ, માતા-પિતાની જિદનો બોજ, અને આ ત્રણ ત્રણ ભાષાઓ શીખવાનો બોજ....

 વાલીઓ તરીકે આજે આપણે જાગૃત થયા છીએ કે બાળકોને ભણાવવા જોઈએ તો એ બાબતે પણ જાગૃત થઈએ કે તેઓને શું અને કેવી રીતે ભણાવવા જોઈએ?

 

 

 

 

 

 

Wednesday 14 June 2023

શિક્ષણનીતિઓ, શિક્ષણપંચો, આ બધામાં ‘શિક્ષક’ ક્યાં???

 

શિક્ષણનીતિઓ, શિક્ષણપંચો, આ બધામાં ‘શિક્ષક’ ક્યાં???

Pin on Inspirational quotes

       બાળક જન્મે એટલે માતા-પિતા હવે તેના શિક્ષણની ચિંતા કરતાં હોય છે.  બાળક નહી ભણે તો શું કરશે? એ પ્રશ્ન મોટા ભાગના માતા-પિતાના મગજમાં ઘૂમરાતો રહે છે. 2 કે 3 વર્ષે બાળકોને શાળાએ મૂકી દેવાની આજકાલ ફેશન છે, અને વળી આ ફેશન ટ્રેન્ડમાં છે. આપણે સોસિયલ ગેધરિંગમાં મળીએ એટલે શિક્ષણના ટોપીક પર ચર્ચા થયા વિના રહેતી નથી!  શિક્ષણ એ માનવજીવનની સૌથી આહલાદક વસંત છે, પણ આપણે સૌએ તેને પાનખરની સજા આપી દિધી છે. શિક્ષણ આજે કાળાપાણીની સજા ભોગવી રહ્યું છે.

  આઝાદી પહેલા અંગ્રેજોએ, પોતાની વહીવટી સેવામાં મદદરૂપ થઈ શકે એવા નોકરો અને ગુલામો ઊભા કરવા માટે આધુનિક શિક્ષણ-પદ્ધતિની શરૂઆત કરી! ઇ.સ. 1781માં વોરન હેસ્ટિંગ્સે કલકત્તા મદરેસાની સ્થાપના કરી, તો 1791માં જોનાથન ડનકન દ્વારા વારાણસીમાં સંસ્કૃત કોલેજની ની શરૂઆત થઈ. ઇ.સ. 1813માં ચાર્ટર એક્ટ મુજબ શિક્ષણનો સમાવેશ સરકારી હેતુઓમાં થયો. તો 1835માં લોર્ડ વિલિયમ બેંટિકે અંગ્રેજી ભાષાને સરકારી વહિવટમાં દાખલ કરી.

  ઇ.સ. 1854માં ચાર્લસ વૂડ્સનો ખરીતો આવ્યો, તો 1857માં મુંબઈ, દીલ્હી અને કલકત્તામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ. 1882/83માં હંટર કમિશન, 1917માં સેડલર કમિશન, 1937માં વર્ધા શિક્ષણ પદ્ધતિ તો 1944માં સાર્જંટ કમિશન જેણે UGCની સ્થાપના કરી. આઝાદી પછી, 1948/49માં રાધા-કૃષ્ણ કમિશન, 1964/66 માં કોઠારી કમિશન, 1968માં નવી શિક્ષણ નીતિ, 1986માં નવી શિક્ષણ નીતિ, અને 1990 સુધી રામમુર્તિ કમિશન, તેજ વર્ષમાં જ્ઞાનમ કમિટીની સ્થાપના, 1992માં પુનૈયા કમિટી, 2000માં અંબાણી-બિરલા કમિટી, 2006માં સામ પીટ્રોડાના અધ્યક્ષપદે નોલેજ કમિશન, 2009માં યશપાલ કમિટી, અને 2014 પછી શિક્ષણમાં થયેલા ફેરફારો, અને હમણાં હમણાં ગાજી રહેલી નવી શિક્ષણ નીતિ-2020....

   આપણે કોઈપણ ક્ષેત્ર કરતાં સૌથી વધુ ફેરફારો શિક્ષણમાં કર્યા છે, પણ છતાં આજે આપણાં શિક્ષણની જે હાલત છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. હજી આપણી શિક્ષણપદ્ધતિમાં સતત કઈક ખૂંટતું રહે છે. કારણકે જે લોકો આ કમિશનમાં બેસીને પોતાના રીપોર્ટ સરકારને આપે છે, તેઓ વિદ્યાર્થીઓ સાથે સીધા સંપર્કમાં બહુ ઓછા હોય છે. ક્લાસરૂમ શિક્ષણથી તેઓ કોંસો દૂર હોય છે. હકીકત તો એ છે કે તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કે વાલીઓ શું ઈચ્છે છે, કે તેઓ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેનાથી અજાણ હોય છે.

 એટલે શિક્ષણમાં ફેરફારો તો બહુ થયા, પણ જે મુજબનું શિક્ષણ થવું જોઈએ એ ના થયું! આટલા બધા કમિશનો માથી કોઈ કમિશને એવું ના કહ્યું કે મેકોલની શિક્ષણ પદ્ધતિ બંધ થવી જોઈએ. એના કરતાં વધુ ફ્લેક્સિબલ પદ્ધતિ આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હતી, તેને આપણે શા માટે અમલમાં ના મૂકી? હજી આજે પણ આપણા વિદ્યાર્થીઓ અને નિશાળો પ્રયોગો અને પ્રકટીકલ જ્ઞાન આધારિત શિક્ષણ-પદ્ધતિની રાહ જોઈ રહ્યા છે!

  રમવાની ઉંમરે બાળકો સ્કૂલની ચાર દિવાલોમાં કેદ થઈ રહ્યાં છે. દફતરના બોજ હેઠળ તેઓની જિંદગી કચડાઈ રહી છે. એવો અભ્યાસક્રમ તેઓ શિખી રહ્યા છે, જેને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા-દેવા જ નથી. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે 10માં કે 12માં ધોરણનો વિદ્યાર્થી કે પછી કોલેજમાં ભણતો વિદ્યાર્થી નથી લખી વાંચી શકતો કે નથી સામાન્ય એવું ફોર્મ ભરી શકતો. તેને બેંકના રૂટિન કામો પણ નથી આવડતાં હોતા! એકપણ પ્રયોગ વિના તેઓ વિજ્ઞાન ભણી રહ્યા છે અને એક પણ શૈક્ષણિક પ્રવાસ વિના સામાજિક વિજ્ઞાન ભણી રહ્યા છે! આવું લગભગ દરેક વિષયોમાં જોવા મળે છે.

 જ્યારે પણ નવી શિક્ષણનીતિ ઘડાય તેમાં શિક્ષકોને કોઈ સ્થાન નથી આપવામાં આવતું! જે વ્યક્તિઓ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહે છે, તેઓ સાથે જોડાયેલા રહે છે, તેઓને જ અવગણવામાં આવે છે. નિષ્ણાતો પોતે જે પદ્ધતિને યોગ્ય માને છે, એ પદ્ધતિને અમલમાં મૂકવાનો રીપોર્ટ આપી દેતાં હોય છે. શિક્ષક એ શિક્ષણપ્રક્રિયાનો સૌથી અગત્યનો આધારસ્તંભ છે, પણ એ સ્તંભને કમજોર સમજી લઈ તેઓને ક્યાંય સ્થાન આપવામાં આવતું નથી!

 જે અભ્યાસક્રમ શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિખવવાનો હોય છે, એ જ અભ્યાસક્રમ બાબતે શિક્ષકોનો કોઈ જ અભિપ્રાય લેવામાં આવતો નથી! કેટલાક સરકારના ખાસ માણસો છે, જેઓ આ બધુ નકકી કરી લેતા હોય છે. દરેક રાજયમાથી શિક્ષકોને પસંદ કરી તેઓની મદદ લઈ નવી શિક્ષણનીતિઓ નક્કી થવી જોઈએ. પણ એવું થતું નથી ને પરિણામે આપણું શિક્ષણ ગઇકાલે જ્યાં હતું, આજે પણ ત્યાં જ આવીને ઊભું રહી ગયું છે.

 

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...