Monday 30 January 2023

રોટીયા ઉન્હીકી થાલીયોસે કુડે તક જાતી હે, જીન્હે પતા નહી હોતા ભૂખ ક્યાં હોતી હે????

રોટીયા ઉન્હીકી થાલીયોસે કુડે તક જાતી હે, જીન્હે પતા નહી હોતા ભૂખ ક્યાં હોતી હે??


   હમણાં એક જગ્યાએ જમણવારમાં એક ભાઈને બધાને એવું કહેતા સાંભળ્યા કે  જોઈએ તેટલું જ લેજો, અન્નનો બગાડ કરતાં નહી. જેટલીવાર લોકો બુફે પાસે થાળી લઈને ખાવાની વસ્તુઓ લેવા જાય, તેટલીવાર તેઓ આ પ્રમાણે સૂચના આપતા જતાં હતા. તેનાથી તે દિવસે અન્નનો ઘણો બધો બગાડ અટકાવી શકાયો. આપણે લગ્ન-પ્રસંગો કે બીજા કોઈ સારા પ્રસંગોએ કે પછી મૃત્યુ પછીની ક્રિયાઓ પાછળ થતાં જમણવારમાં ખાવાની વસ્તુઓનો સૌથી વધુ બગાડ કરતાં હોઈએ છીએ. બુફે-સિસ્ટમમાં વારંવાર લેવા ના જવું પડે એટલા માટે એકસાથે આપણે થાળી જરૂરી-બિનજરૂરી વસ્તુઓથી ભરી લેતા હોઈએ છીએ. અને પછી પેટ ભરાય જાય એટલે થાળીમાં હજી એક વ્યક્તિ જમી લે, એટલું પડતું મૂકતાં હોઈએ છીએ.

  તે ઉપરાંત ઘરમાં પણ જમ્યા પછી આપણે થાળીમાં ઘણું બધુ પડતું મૂકતાં હોઈએ છીએ. ઘરે પણ આપણે ખોરાક રાંધતી વખતે કોઈ ચોક્કસ માપ નથી રાખતા અને પરિણામે ઘણો બધો વધેલો ખોરાક ફેંકી દેવો પડે છે. આપણે જોતાં જ હોઈએ છીએ કે રોજ આપણાં ઘરોમાં કેટલા બધા લોકો ખાવાનું માંગવા આવતા હોય છે. એ લોકોને ખાવાનું નથી મળતું અને આપણે ખોરાકનો બગાડ કરતાં રહીએ છીએ.

   સમગ્ર વિશ્વમાં અનાજની ભયંકર તંગી છે. રોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઈ રહ્યા છે. ત્યારે આપણી આ કુટેવને આપણે છોડી દેવાની જરૂર છે. બીજીવાર લેવા ઊભા થવું પડે એમાં શું થઈ ગયું? જોઈએ તેટલું જ થાળીમાં લેવું જોઈએ. આપણે થાળી મૂકવા જઈએ ત્યારે ઘણા પ્રસંગોમાં જોતાં હોઈશું કે ભૂખ્યા લોકો એ એંઠી થાળીમાં પણ પોતાનું ભોજન શોધતા હોય છે. આપણે નાખી દીધેલું તેઓ જમતા હોય છે. આવો ભૂખમરો જોઈને પણ આપણને એમ નથી થતું કે ખાવ-પીવાની વસ્તુઓનો બગાડ ના કરવો જોઈએ.

  નિષ્ણાંતોના કહેવા મુજબ વિશ્વની કુલ વસ્તીને થઈ રહે એટલા અનાજનું ઉત્પાદન દર વર્ષે થાય છે. પણ કમનસીબે અને આપણી ખોરાકનો બગાડ કરવાની કુટેવને કારણે આ પૃથ્વી પરની કુલ વસ્તીના 1/3 ભાગને ખાવાનું મળતું નથી! વિશ્વના કુલ અનાજ ઉત્પાદનમાથી 17% અનાજનો બગાડ ઘરોમાં, હોટેલાઓમાં સ્ટોર્સમાં થાય છે. જેના લીધે દર વર્ષે અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ આપણને અબજો રૂપીયાનુ નુકસાન થાય છે.

     UNEP ના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં એક વ્યક્તિદીઠ 50 કિલો અનાજનું નુકસાન દર વર્ષે થાય છે. જે વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ છે! આને આપણે ગુણાકાર કરીને વસ્તીના પ્રમાણમાં ફેરવીએ તો અધધધ આંકડામાં રકમ આવે છે. યુનાઈટેડ નેશન્સ ના આંકડા મુજબ ભારતમાં 40% ખોરાક પ્રસંગો વખતે નકામો જાય છે. જેને રૂપિયામાં ફેરવીએ તો 92000 કરોડનું નુકસાન દર વર્ષે આના લીધે આપણને થાય છે.

  ભારતમાં ભૂખમરાનું કારણ ઓછું ઉત્પાદન નથી, પણ ખોરાકનો બગાડ છે! 14 ઓક્ટોબર,2022 માં બહાર પડેલા  ગ્લોબલ હંગર ઇંડેક્સ-2022 મુજબ વિશ્વમાં ભારતનો નંબર 121 દેશોમાં 107 પર આવી ગયો છેજે પાછલા ઇંડેક્સ કરતાં 13 રેન્ક વધી ગયો છે. વળી ખોરાકના બગાડને લીધે પોષણયુક્ત ખોરાક બાળકો સુધી નથી પહોંચી રહ્યો અને તેને લીધે આપણાં દેશના લાખો બાળકો કૂપોષણનો પણ ભોગ બની રહયા છે. અમુક દેશોમાં જમતા સમયે થાળીમાં પડતું મુંકવું એ ગુનો ગણાય છે, એના માટે નાગરિકોએ દંડ ભરવો પડે છે.

  ઘણા પ્રસંગોમાં તો ખોરાકનું મેનું એટલું લાંબુ હોય છે કે મોટા ભાગના લોકો ફુલ મેનૂ સુધી પહોંચી પણ નથી શકતા અને તેને લીધે પણ ખોરાકનો ખૂબ બગાડ થાય છે. ઘણી સંસ્થાઓ આવા ખોરાકને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડી રહી છેઆપણે વિશ્વમાં ઘઉં, ચોખા વગેરે પાકોના ઉત્પાદનમાં બીજા નંબરે છીએ, છતાં કરોડો લોકોને ભૂખ્યા સૂઈ જવું પડે એ કેવો વિરોધાભાસ! કેટલાયે એવા બાળકો છે, જેઓનું ભવિષ્ય ભૂખમરાને લીધે રગદોળાઇ રહ્યું છે. બે ટંક પૂરતું જમવાનું ના મળવાને કારણે આવા બાળકોને અને લોકોને બીજી કોઈ બાબત માટે વિચારવાનો સમય જ નથી મળી રહ્યો. અને એટલે જ સમાજના એક વર્ગનો વિકાસ જ થઈ રહ્યો નથી.

  આ બધુ રોકવા માટે આપણે માત્ર થાળીમાં જોઈએ એટલું જ જમવાનું લેવાનું છે. આ એક સુટેવ આપણે સૌએ ખાસ અપનાવી લેવાની છે.... થાળીમાં પડતું મૂકતા સમયે એટલું જરૂરથી વિચારીએ કે દેશના કોઈ ખૂણે કોઈ ભૂખ્યું સૂઈ રહ્યું છે. ને કોઈ બે ટંક પૂરતું ના જમવાનું મળવાને લીધે કચરામાં કશુંક શોધી રહ્યું છે.

 

 

 


 


Thursday 19 January 2023

‘વહુઓ’વડીલોને સાચવે એવી અપેક્ષા રાખવી હોય તો ‘દીકરીઓ’ પાસેથી પણ આ અપેક્ષા રાખો..... 

વહુઓ’વડીલોને સાચવે એવી અપેક્ષા રાખવી હોય તો ‘દીકરીઓ’ પાસેથી પણ આ અપેક્ષા રાખો.....

6 Ways To Target Seniors More Effectively In Digital Marketing

 

         હમણાં અમારા પાડોશમાં રહેતા એક યુવાનને જોવા એક યુવતી આવી. મુલાકાત વખતે તેણે યુવાનને પ્રશ્ન પૂંછયો બહું રસપ્રદ પ્રશ્ન છે હો ધ્યાન દઈને વાંચજો, ઘરમાં તાંબા પીતળનાં વાસણો કેટલા છે?’ યુવાનને પ્રશ્ન જ ના સમજાયો એટલે એણે પૂંછયું એટલે આ વળી કેવો પ્રશ્ન! તો યુવતીએ પ્રશ્ન સમજાવ્યો કે હું પૂંછવા માંગુ છુ કે ઘરમાં ઘરડાઓ કેટલા છે? પેલો યુવાન તો આવું ભાષાંતર સાંભળીને અવાક થઈ ગયો. આ તે કેવો પ્રશ્ન? જો કે આ પ્રશ્ન આજે દરેક સગપણ વખતે ગુંજી રહ્યો છે.

  છોકરાના માતા-પિતા કે બીજા વડીલો સાથે રહેશે કે નહી? એનો જવાબ શું આવે છે? એના આધારે મોટા ભાગના સગપણોનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. વડીલો સાથેનું ઘર મારી દીકરીને માફક નહી આવે, એવું આજે મોટા ભાગના માતા-પિતા માની રહ્યા છે. આમ તો કોઈપણ સગપણ ક્યારેય કોઈ શરત પણ ટકતું નથી, પણ આવી શરત પરના સંબંધો તો બાંધવા જ જોઈએ નહી. જે છોકરી માતા-પિતાને સાચવવા તૈયાર નાં થાય તેવી છોકરીઓ  બહારથી ગમે તેટલી સુંદર હોય અંદરથી એકદમ કદરૂપી ગણાય. અને માતા-પિતા જો એવું ઇચ્છતા હોય કે મારા દિકરાની વહુઓ અમને સાચવે, તો તમારી દીકરીઓને પણ સમજાવો કે સાસુ-સસરા કે વડીલોને સાચવવા એ પણ તેઓના લગ્ન-જીવનનું એક અગત્યનું પગલું છે. વડીલો એ કોઈ જવાબદારી નથી, પણ જવાબદારીનું વહન કરવામાં મદદરૂપ થતાં ફરિશ્તાઓ હોય છે.

 માતા-પિતાએ ક્માયેલી સંપતિ જોઈએ છીએ, પણ માતા-પિતા નથી જોઈતા આ તો કેવી સ્વાર્થ-વૃતિ? વળી ઘણા યુવાનો-યુવતીઓ માતા-પિતા સંપતિ આપે તો જ સાથે રાખવા એવી સ્વાર્થ-વૃતિ ધરાવતા હોય છે. આ બંને બાબતો કોઈપણ સમાજને તોડી નાખનારી છે. આજે આપણી કુંટુંબ-વ્યવસ્થા તૂટી રહી છે, તેની પાછળનું આ કારણ સૌથી મોટું છે. બધાને એકલા રહેવું છે. વડીલોને કોઈએ સાચવવા નથી. તેઓની છત્ર-છાયામાં રહેવું નથી. લગ્નો જ જુદા થઈ જવાની શરતોએ થઈ રહ્યા છે.

 અમે નાના હતા ત્યારે લગભગ દરેક શેરીમાં એકાદ બે વૃદ્ધો એવા રહેતા જેઓને માત્ર દીકરી હોવાથી કે દીકરાઓ સાચવતા ના હોવાથી એકલવાયું જીવન જીવતા હતા. તો કોઈ એવા માજી પણ રહેતા હોય કે જેઓ ની:સંતાન વિધવા થયા હોય એટલે એકલા રહેતા હતા. શેરીના તમામ લોકો આવા વૃદ્ધોનું પૂરું પૂરું ધ્યાન રાખતા. કોઈ સંબંધ ના હોવા છતાં તેઓ શેરીના તમામ લોકોના સગા હતા. કોઈના પણ ઘરે જમવાની સારી સારી વસ્તુઓ બનતી તો એ તેઓ સુધી જરૂરથી પહોંચતી. તેઓ સાજા માંદા પડે તો સારવાર પણ તેઓ સુધી પહોંચતી. લાગણીઓ થકી આવા સંબંધો દરેક ગલીઓમાં ધબકતા રહેતા.

   આજે શેરીઓ એની એજ છે, પણ દ્રશ્ય થોડું બદલાય ગયું છે. ગામડાઓની શેરીઓ તો લગભગ ખાલી થઈ ગઈ છે. આપણી આસપાસ કેટલાયે ગામો એવા છે, જ્યાંના યુવાનો પોતાના કુટુંબોને લઈને કમાવવા શહેરોમાં જતાં રહે છે, ને વડીલો એકલા એકલા ગામોમાં પાછળનો પહોર વિતાવતા રહે છે! દર મહીને દીકરાઓ પૈસા મોકલાવે છે, પણ આખા વર્ષમાં માત્ર એક કે બે-વાર મળવા આવે છે. અહી રહેતા વડીલોની જિંદગી એટલી એકલવાયી થઈ ગઈ છે કે તેઓ અંદરથી ઘૂંટાતા રહે છે, પણ એ ઘૂંટનનો અવાજ બહાર નથી આવી રહ્યો માત્ર તેઓની આંખોમાં વરસી રહ્યો છે. શહેરોમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય છે, તેથી દાદા-દાદી જોઈતા હોતા નથી.

  કુંટુંબોમાથી દાદા-દાદીની બાદબાકીઑ થઈ રહી છે. બાળકોના સૌથી સારા મિત્રો અને સ્ટોરી-ટેલર્સ દાદા-દાદી આજે કુંટુંબના ફોટાઓમાં ક્લિક નથી થઈ રહ્યા. જેની લાકડી ચોરીને બાળકો દાદા-દાદી બનતા એ બાળકો આજે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના સહારે ઉછરી નથી રહ્યા, માત્ર મોટા થઈ રહ્યા છે! નેનો ટેક્નોલોજીના આ યુગમાં કુંટુંબો પણ નેનો થઈ રહ્યા છે. વિભક્ત કુટુંબો આપણા દોડી રહેલા વિકાસની સૌથી મોટી આડ-પેદાશ છે. આપણે બગડી રહેલા પર્યાવરણની ચર્ચાઓ અને ચિંતા કરી રહ્યા છીએ, પણ ઘરોનું ભાવાવરણ ગૂંગળાઈ રહ્યું છે, તેની ચર્ચાઓ કે ચિંતા કોઈ નથી કરી રહ્યું!

  પહેલા જ્યારે બાળકોને માતા-પિતા કોઈ બાબતે ખીજાતા કે મારતા, તો દાદા-દાદી કાયમ વચ્ચે આવી જઇ બાળકોનું ઉપરાણું લેતા. મમ્મી-પપ્પાએ મનાઈ ફરમાવેલી વસ્તુઓની જરૂરિયાતો દાદા-દાદી થકી પૂરી થતી. મમ્મી-પપ્પાને ઘરમાં કોઈ ખીજાય શકતું તો એ વડીલો હતા, બાળકોની આંગળી પકડીને સ્કૂલે કે ધર્મસ્થાને લઈ જતાં હાથો જ આજે ક્યાંક ખોવાય ગયા છે કે પછી કપાય ગયા છે. મોટા ભાગની છોકરીઓને એવું લાગી રહ્યું છે કે વડીલોને સાથે રાખવાથી આપણી સ્વતંત્રતા છીનવાઈ જશે. આપણે રહેવું હશે એમ નહી રહી શકીએ, પણ આ જરાપણ સાચું નથી. હકીકત તો એ છે કે તેઓ છે, એટલે જ આપણે જે કરવું હોય તે કરી શકતા હોઈએ છીએ. નોકરી કરતી સ્ત્રીઓ માટે દાદા-દાદી સૌથી મોટું છત્ર  છે, જેના સહારે તેઓના બાળકો ઉછરી શકે એમ છે, સંસ્કારો મેળવી શકે એમ છે.

વડીલોનો કોઈ વાંક નથી, એવું નથી પણ એમ તો આપણે પણ નાના હોઈએ ત્યારે આપણે પણ કેટલા અણસમજુ હતા? શું આપણા માતા-પિતાએ આપણને કાઢી મૂક્યા હતા કે રાખવાની ના પાડી દીધી હતી, તો પછી આપણે શા માટે તેઓને કાઢી મૂકવા જોઈએ? કે પછી તેઓને એકલા છોડી દેવા જોઈએ? તેઓ જેમ આપણી અણસમજને સમજી જતાં હતા તેમ આપણે પણ તેઓની અણસમજણને સમજીને તેઓને સાથે રાખવા જોઈએ. દીકરીઓને સમજાવો કે વડીલોને સાચવવા જરૂરી છે. પોતાની દીકરીઓ માટે વડીલો વગરનું ઘર શોધવામાં ક્યાંક આપણે આપણા ઘરોને તો ખાલી નથી કરી રહયા ને? તમારા દીકરા માટે છોકરી જોવા જાવ અને કોઈ આવો પ્રશ્ન પૂંછશે તો તમને કેવું લાગશે? વહુ સેવા કરે એવું ઈચ્છો છો, તો દીકરીઓને પણ સાસરિયાં પક્ષના વડીલોને સાથે રાખવાનું શીખવો....

 

Sunday 15 January 2023

  માતા-પિતાની મહત્વાકાંક્ષાના ભાર હેઠળ કચડાતી જિંદગીઓ....

 

માતા-પિતાની મહત્વાકાંક્ષાના ભાર હેઠળ કચડાતી જિંદગીઓ....

 Debate: Parental expectations[1]- Chinadaily.com.cn

 

 

બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્ય ચાલતું હતું, “ where the mind is without fear” જેમાં ચિતને ભયથી દુર રાખવાની વાત કહેલ છે. મસ્ત કાવ્ય છે. ભણાવતા-ભણાવતા મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ચાલો કહો તમને સૌથી વધુ ડર શેનો લાગે છે? બધાએ જવાબ આપ્યા, કોઈકે કહ્યું પાણીનો,કોઈકે કહ્યું આગનો, કોઈકે કહ્યું મરવાનો. બધાએ અલગ-અલગ જવાબ આપ્યા. પણ એક જવાબ જેણે મને આજે લખવાની પ્રેરણા આપી અને એ છે મને મારા માતા-પિતાની મહત્વાકાંક્ષાઓનો ડર લાગે છે.હું જયારે ભણવા બેસું મને એવું લાગે છે, હું તેઓની અપેક્ષાઓ નહિ પૂરી કરી શકું તો? અને તેના લીધે મારા જીવનમાં નકારાત્મક વિચારો આવી જાય છે. ને હું હતાશ અને નિરાશ થઇ જાઉં છું.

 અને સાંજે આ સમાચાર વાંચ્યા! કોટા ( રાજસ્થાનમાં) કૃતિ ત્રિપાઠી નામની એક વિદ્યાર્થીનીએ 90+ ટકા હોવા છતા ભણતર અને માતા-પિતાની અપેક્ષાઓના બોજ નીચે મૂંઝાઇને આપઘાત કર્યો. તેની સુ-સાઈડ નોટ ખરેખર વાંચવા જેવી છે, “ હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કહેવા માંગુ છું કે જો તેઓ ઈચ્છે છે કે કોઈ બાળકનું મૃત્યુ ના થાય તો વહેલી તકે આ કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ.” આ ભણતરના ભાર હેઠળ કચડાઈને આવી તો કેટલીયે માસૂમ જિંદગીઓ ખીલ્યા પહેલા જ કરમાઈ જતી હોય છે. શિક્ષણ વિદ્યાર્થીઓને જીવતા શીખવે તેવું હોવું જોઈએ, પણ આ તો કેવું શિક્ષણ જે વિદ્યાર્થીઓને મૃત્યુ તરફ ખેંચી જતું હોય છે! ભારતમાં દર એક કલાકે એક વિદ્યાર્થી આપઘાત કરે છે!

 આ જવાબ લગભગ આજના ૯૦% વિદ્યાર્થીઓનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ડરને લીધે કોઈપણ કામ સરખું થઇ શકતું નથી. આપણે જેનાથી ડરીએ છીએ, તેને કદી પૂરેપૂરું આપી શકતા નથી. તો પછી માતા-પિતા શા માટે પોતાના સંતાનોને પોતાના સપનાઓ પુરા કરવાનું મશીન સમજતા હશે? અને બાળકો પર પોતાના વિચારો ફરજીયાત લાદતા હશે. અને એ પણ કોઈક સાથે સરખામણી થવાને લીધે. હકીકત તો એ છે કે માતા-પિતા સંતાનોને બજારમાં એક ચલણી સિક્કો બનાવી દેવાની દોડમાં એના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. સંતાનોને ખુદની જિંદગી જીવવા મળતી નથી. તેઓ સતત માતા-પિતાની મહત્વાકાંક્ષા હેઠળ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. માતા-પિતા એ નહિ સમજતા કે સંતાનોને પોતાની પણ કોઈ ઈચ્છાઓ, સપનાઓ હોય છે. છે કોઈ ક્ષેત્ર એવું જે તેને બહુ ગમતું હોય છે, પણ એ દુનિયાની દ્રષ્ટીએ કે બજારની દ્રષ્ટીએ બહુ ઉપયોગી નહિ હોવાને લીધે, માતા-પિતા સંતાનોના એ સપનાઓને સ્પેસજ આપતા નથી.

  મોટાભાગના ઘરોમાં આ બાબતે માતા-પિતા અને સંતાનો વચ્ચે વિશ્વયુદ્ધથતા રહે છે. અને તેઓ વચ્ચે ગેપ વધતો જાય છે. માતા-પિતાની મહત્વાકાંક્ષા સાથે મેળ નહિ પડતો હોવાથી મોટાભાગના બાળકોને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જાય છે. દર વર્ષે લાખો બાળકો માતા-પિતાની મહત્વાકાંક્ષાને લીધે પોતાનું મનપસંદ શિક્ષણ કે જીવન મેળવી શકતા નથી. બીજાની સરખામણીએ મારું સંતાન પાછળ ના રહી જાય એ જ તેઓનું એકમાત્ર ધ્યેય હોય છે. તેઓ પોતાના સંતાનોને રેસના ઘોડાથી વિશેષ કશું સમજતા હોતા નથી. ગમે તે રીતે સંતાનોને રેસ જીતવાની છે, આગળ વધવાનું છે. પછી ભલે એ રેસમાં રસ હોય કે ન હોય!

 મોટાભાગે માતા-પિતા બાળક જન્મે એ પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી લેતા હોય છે. મારો દીકરો કે દીકરી આમ જ કરશે અને આમ જ બનશે. તેઓને ખબર નથી હોતી કે જે જન્મવાનું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે જન્મશે. આપણે એને જન્મ આપીએ છીએ,પણ એનું ભવિષ્ય એને જાતે નક્કી કરવાનું છે.વળી મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને કા તો ડોક્ટર અને કા તો એન્જિનિયર જ બનાવવા ઈચ્છતા હોય છે, જાણે આ સિવાય બીજું કઈ તેઓનું ભવિષ્ય જ ના હોય એવું લાગે! આવી મહત્વાકાંક્ષાને લીધે બાળકોનું અસ્તિત્વ સતત ભૂંસાતું રહે છે. તું આમ કર આમ ના કર એવું કહી માતા-પિતા સંતાનોને ટોકતા રહે છે અને સંતાનો ઘણીવાર એને લીધે પોતાનું અસ્તિત્વ બનાવી શકતા નથી.

 દરેક વાલીએ એ સમજવું જોઈએ કે તેઓ પોતાના સંતાનોના વોચમેન નથી, પણ માળી છે. જેમ માળી ફૂલને ખીલવાની પૂરી તક આપે છે, એ ફૂલને પાણી, સૂર્યપ્રકાશ,હવા બધું સમયાંતરે આપે છે, જેથી ફૂલ એની પૂર્ણ કક્ષાએ ખીલી શકે. એ ફૂલો વચ્ચે કદી સરખામણી નહિ કરે. એમ જ આપણે પણ આપણા સંતાનોને સમયાંતરે જરૂરી બધું જ આપવું પણ એ આપણી રીતે જ ખીલે એવી અપેક્ષા કદી ના રાખવી. જેમ દરેક ફૂલને પોતાનું સોંદર્ય,મહેક હોય છે, એમ જ દરેક બાળકને પોતાનું વિશ્વ હોય છે. કોઈ રમતમાં હોશિયાર તો કોઈ કળામાં તો કોઈ ભણવામાં હોશિયાર હોય છે, સૌને સૌનું ક્ષેત્ર પસંદ કરી લેવા દેવું જોઈએ. તમે માર્ક કરજો જે માતા-પિતાએ પોતાના બાળકોને આવી ક્ષમતા પારખી ઉછેર્યા છે, તેઓ આજે સફળ છે. જે તે ક્ષેત્રમા આગળ છે. તો પછી શા માટે બાળકોને મહત્વાકાંક્ષા ના બોજ નીચે કચડી દેવા. એ જે છે એ પણ ભૂલી જશે. એક ડર હમેંશા તેની સાથે વિકસતો રહેશે, કે હું મારા માતા-પિતાની આંકાક્ષાઓ પૂરી નહિ કરી સકું તો શું થશે? એ બીકે ઘણા બાળકો પોતાનું બાળપણ,યુવાની બધું જ ગુમાવી બેસે છે!

     એક માતા-પિતા તરીકે સમાજમાં આપણે આપણા બાળકોને હમેંશા એક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો કરતા રહીએ છીએ અને એટલે જ જનરેશન ગેપ વધતો જાય છે. એવી ખાઈ બંને વચ્ચે બનતી જાય છે જે રોજેરોજ વધુને વધુ ઊંડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને સંતાનોના સપનાઓ ટકરાતા રહે છે અને બંને પક્ષે હતાશા,નિરાશા વધતી જાય છે. ઘણા મા-બાપ સંતાનોને સ્ટેટસ અપડેટ માનતા હોય છે. દુનિયાને દેખાડી દેવાના ચક્કરમાં તેઓ પોતાના સંતાનોને સ્ટેટસનું પ્રેશર આપતા રહે છે, જેને લીધે બાળકો વધુ ટેન્શનમાં રહે છે. તેઓ બાળકોને પાંખ તો આપે છે, પણ ઉડવા આકાશ આપતા નથી. મહત્વાકાંક્ષાની બેડીઓ સંતાનોના આકાશને સીમિત કરી દે છે.

  ઘણા ઘરોમાં તો વિચારોની બારીઓ ખોલવાની પણ છૂટ નથી હોતી. માતા-પિતા પોતાના સંતાનોનું જીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાઓ જેવું કરી દે છે, આમ કરાય અને આમ ના કરાય. સંતાનોને હરહમેંશ એવું લાગ્યા કરે કે કોઈ અદ્રશ્ય સ્વરૂપે એની પાછળ ફરતું રહે છે, જે એને વિકસવા દેતું નથી. તું અમારી આશા છે એવું જયારે કોઈ માં-બાપ પોતાના સંતાનને કહે છે એ સંતાન પોતાના જીવનની આશા ગુમાવી બેસે છે. આપણે એને માત્ર ચાલવા શીખવવાનું છે, રસ્તાઓ એને જાતે શોધવા દેવાના છે, આપણે એને રક્ષણ આપવાનું છે બાકી એ પોતાનું અસ્તિત્વ જાતે શોધી લે છે. હકીકત તો એ છે કે આપણે તેઓને વારસામાં મિલકત કે અપેક્ષાઓ નહિ પણ એને જાતે વિકસવાની તકો આપવાની છે. એને નક્કી કરવા દેવાનું છે કે એને શું બનવું છે?

 

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...