Monday 31 May 2021

સ્ત્રી, ચારિત્ર્ય અને આપણે,

 

સ્ત્રી, ચારિત્ર્ય અને આપણે,

165 Best strong women quotes (2021) - Minequotes

   સ્ત્રી, એક એવી ફીલિંગ છે, જેને પુરુષો પણ ફીલ કરવા માંગતા હોય છે. ઈશ્વરે સ્ત્રીઓને જે કેટલીક ખાસિયતો આપી છે, તેના થકી તે દુનિયામાં આધ્ય-શક્તિ તરીકે પૂજાય છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓને વિકસવાની પૂરતી તકો પણ મળી રહેતી. આપણી આર્ય-સંસ્કૃતિ માતૃ-પ્રધાન હતી, આપણા ઉપનિષદોએ પણ સ્ત્રીઓને સુખી રાખવાની વાત કહી છે, જો કે કેટલાક સંપ્રદાયોએ સ્ત્રીઓને મોક્ષ-પ્રાપ્તિ માટે પોતાનાથી દૂર રાખેલ છે. તેઓના માટે સ્ત્રીઓ મોક્ષ પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ બને છે. સ્ત્રીઓ સાથે હોય તો ધર્મના રસ્તે જઇ શકાતું નથી. જો કે આપણા ઋષિમુનિઓએ ક્યારેય એવું નથી વિચાર્યું કે સ્ત્રીઓને સાથે રાખીશું તો ઈશ્વર સાથે સંવાદ નહીં થઈ શકે!  પણ કેટલાક ધર્મગુરુઓએ સ્ત્રીઓને પોતાના સંપ્રદાયથી દૂર રાખી છતાં આજે જુઓ ધર્મ તરફ આજે પણ સ્ત્રીઓ જ વધુ વળેલી છે!  સ્ત્રીઓને સાથે રાખવાથી ઈશ્વર મળે કે ના મળે? આ પ્રશ્ન પણ ચર્ચા કરીએ તો ઘણા ધર્મોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા છતી થઈ જાય. પણ આપણે વિવાદ નહીં સંવાદ જોઈ છીએ, અને એટલે જ બહુ સરળ શબ્દોમાં આપણે આજે સ્ત્રીઓના ચારિત્ર્ય બાબતે વાતો કરીશું. આમપણ ઘણા લોકો માટે આ સ્ત્રી-ચારિત્ર્ય બહુ જ ગમતો અને ચર્ચાસ્પદ વિષય છે! હકીકત તો એ છે કે સ્ત્રીઓના ચારિત્ર્યને સર્ટિફિકેટ આપવાનું કે તેને લેબલ મારવાનું કામ દરેક સમાજે પોતાની હસ્તક લઈ લીધેલું છે.

સ્ત્રી માટે ચારિત્ર્ય સૌથી અમૂલ્ય ફીલિંગ છે, એવું આપણો સમાજ માને છે, તમે ભણેલા છો, અભણ છો, તેની બહુ અસર સ્ત્રીઓ પ્રત્યેના અભિગમમાં પડતી નથી. શિક્ષિત લોકો વધુ ભ્રૂણ-હત્યાઓ કરે છે એ આ વાતની સાબિતી છે. વેલ આપણે વળી ચારિત્ર્ય તરફ વળીએ. જ્યારે પુરુષ-પ્રધાન સમાજમાં કોઈ પુરુષને એવું લાગે કે આ સ્ત્રી પોતાના કરતાં આગળ વધી જાય તેમ છે તો તેઓ માટે આ ચારિત્ર્ય વાળું લેબલ વાપરવું ખૂબ જરૂરી બની જાય છે. સ્ત્રીની શક્તિઓને રોકવા આ સર્ટિફિકેટનો ઉપયોગ થતો જ રહે છે. કોઈ સ્ત્રી બિન્ધાસ્ત છે, કે કોઈ સાથે ફ્રીલી બોલે છે તો પણ આ લેબલ વપરાતું રહે છે.

પ્રેમની પ્રથમવાર અભિવ્યક્તિ પુરુષોનો ઇજારો હોય એવું લાગી રહ્યું છે. કોઈ સ્ત્રી કોઈ પુરુષ પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરી જ કેમ શકે? જો તે એવું કરી રહી છે, તો એના ચારિત્ર્યમાં પ્રોબ્લેમ છે, એવું સૌને લાગે છે. મજાની વાત તો એ છે કે ખુદ સ્ત્રીઓ પણ સ્ત્રીઓ માટે આ લેબલ વાપરવાનું ચૂકતી નથી. કોઈ પુરુષ પોતાને ગમતી સ્ત્રીને મેળવી નથી શકતો ત્યારે તો આ સર્ટિફિકેટ ફરજિયાત બની રહે છે. પુરુષ જે સ્ત્રીને મેળવી શકતો નથી, તેના ચારિત્ર્યનો તો તે ચોકીદાર બની જાય છે. આવી સ્ત્રીઓને કેમ કરીને ચારિત્ર્યના નામે ઉતારી પાડવી એ મોકો તેઓ શોધતા જ રહે છે.

સ્ત્રીનું ચારિત્ર્ય, સ્ત્રીઓના વિકાસ આડે આવતો એટલો મોટો અવરોધ બની ચૂક્યું છે કે સ્ત્રીઓ ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચી જાય પણ એ અવરોધ તેને મૂકતો નથી. જે સમાજને સ્ત્રીના ચારિત્ર્યની આટલી બધી ચિંતા છે, તે જ સમાજ સ્ત્રીઓને ચારિત્ર્યના નામે બદનામ કરવાનો એકપણ મોકો મૂકતો નથી. મને ઘણીવાર એવું લાગે છે કે સ્ત્રીઓને જ ચારિત્ર્ય હશે! પુરુષોમાં ઈશ્વરે એ ફીલિંગ નહીં મૂકેલી હોય! પુરૂષોને ચારિત્ર્ય જેવુ કશું નહીં હોય! કેમ પુરુષોના ચારિત્ર્યને લઈને આપણે એટલા બધા સેન્સિટિવ નથી હોતા. જે સ્ત્રીઓના ચારિત્ર્ય વિષે લોકો બોલતા હોય છે, તેઑ પાસે જતાં સારામાં સારા ઘરના પુરુષો પણ અચકાતાં હોતા નથી. ભદ્ર સમાજના પુરુષો આવી સ્ત્રીઓથી પોતાના સમાજની સ્ત્રીઓ દૂર રહે તેવું ઇચ્છતા હોય છે, પણ પોતે દૂર રહી શકતા નથી. જે સમાજ ગણિકાઓને સ્વીકારે છે, તેઓને સ્ત્રીઓના ચારિત્ર્ય વિષે બોલવાનો કોઈ અધિકાર હોય છે ખરો! કેટલીયે સ્ત્રીઓના લગ્ન-જીવન આ સેક્સ-વર્કર્સને લીધે ટકી રહેતા હોય છે.

  રામ ભગવાને આદર્શ રાજા તરીકે સ્થાપિત થવા સીતાની લીધેલી અગ્નિપરીક્ષા એ હું માનું છુ ત્યાં સુધી સ્ત્રીઓના ચારિત્ર્યની પ્રથમ પરીક્ષા હતી, જેને આજ સુધી આપણો સમાજ અનુસરી રહ્યો છે. પોતાની પ્રજાના સુખ માટે સીતાને ત્યાગી દેનાર રામ એ પુરુષનું પ્રતિક બની ગયા જેઓ આજના સમયમાં લોકોની વાત સાંભળી સ્ત્રીઓને બદનામ કરવાનો એકપણ મોકો મૂકતાં નથી. આપણે કદી કોઈ ગ્રંથોમાં વાચ્યું કે ચારિત્ર્ય ને લીધે કોઈ સ્ત્રીએ કોઈ પુરુષનો ત્યાગ કર્યો હોય કે તેની અગ્નિપરીક્ષા લીધેલી હોય. રામરાજ્યનું ક્રેડિટ રામને મળ્યું, પણ તેના પાયામાં સિતાનો ત્યાગ હતો. દરેક સ્ત્રીઓને સીતાની જેમ ધરતીમાં સમાય જવાનું સદભાગ્ય નથી મળતું. સ્ત્રીઓએ તો પોતાના ચારિત્ર્યને સફેદ વસ્ત્રોની જેમ સાચવતા સાચવતા જ જીવવું રહ્યું. સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ સૌથી પેલા સંઘર્ષની શરૂઆત છે!

ચારિત્ર્યના નામે સ્ત્રીઓ સાથે થતી છેતર-પિંડી એ જ સમાજમાં કુંવારી-માનું સર્જન કર્યું છે. એક સ્ત્રી માટે આ લેબલ કેટલું ઘાતક હોય છે, આપણે સૌ જાણીએ જ છીએ. ચારિત્ર્યને સ્ત્રીઓના પોશાક સાથે પણ જોડી દેવામાં આવે છે. અને એટલે જ સ્ત્રીઓને શું પહેરવું જોઈએ? અને શું નહીં? એ પણ આપણો સમાજ જ નક્કી કરી આપે છે. પુરુષો સ્ત્રીઓમાં શું જુએ છે? એની ચર્ચા કોઈ કરતું નથી, પણ સ્ત્રીનું ક્યૂ અંગ ક્યાં પોશાકમાં કેવું લાગે છે? એ ચર્ચાઓ થતી જ રહે છે. નોકરી કરતી સ્ત્રીઓ માટે કે કોઈ ક્ષેત્રમાં આગળ આવવા મથતી સ્ત્રીઓએ તે ડગલે ને પગલે ચારિત્ર્યની અગ્નિ-પરીક્ષા આપતી જ રહેવી પડે છે!  ઘરમાં પુરુષ કામ કરી પૈસા ના લાવતો હોય અને સ્ત્રીઓને કમાવવા નીકળવું પડે એવા સંજોગોમાં પણ આ ચારિત્ર્ય પીછો છોડતું નથી!

પોતાના કરતાં સ્ત્રીઓને આગળ જતી રોકવા માટે પુરુષો પાસે આ હથિયાર હમેંશા હાથવગું હોય છે. ઘણીવાર તો છુટ્ટા-છેડા લેવા માટે પણ આ હથિયારનો ભરપૂર ઉપયોગ થાય છે. આપણે સૌ સ્ત્રીઓને ચારિત્ર્ય અંગેનું લેબલ આપી દેવા તત્પર હોઈએ છીએ, પણ આ લેબલ કેટલીયે સ્ત્રીઓના જીવનની પ્રગતિને અટકાવી દેતા હોય છે, તે આપણે સમજતા નથી કે પછી સમજવા માંગતા નથી. દર્દ તો એ વાતનું છે કે સ્ત્રીઓ પોતે પણ બીજી સ્ત્રીઓ વિષે આવા સર્ટિફિકેટ લઈ ફરતી હોય છે. અને આ દર્દની દવા આપણે ચંદ્ર અને મંગળ પર જઈ આવ્યા તોપણ હજી મળી નથી.

આપણે વૈચારિક રીતે બહુ બદલાતા નથી ઘણીવાર એવું લાગ્યા વિના રહેતું નથી. એટલિસ્ટ સ્ત્રીના ચારિત્ર્ય વિશેના આપણા વિચારો હજી બદલાયા નથી. પ્રત્યાયન માટે આપણે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણા વિચારો હજી લેટેસ્ટ નથી થયા! સોસિયલ મીડિયા પર થોડા સારા વાક્યો કે વિચારો મૂકી દેવાથી કશું થતું નથી. જ્યાં સુધી એ વિચારો કે વાક્યો અમલમાં મૂકાતા નથી, આપણે સ્ત્રીઓના ચારિત્ર્ય સાથે કદી સમાધાન સાધી શકવાના નથી.

બાકી સ્ત્રી તરીકે આપણે સૌ યાદ રાખીએ શું? સ્ત્રીઓ ના ચારિત્ર્ય વિષે મોટી મોટી વાતો લખી સમાજે તમામ જવાબદારીઓ સ્ત્રી પર મૂકી દીધી છે, લગ્ન-જીવન જાળવી રાખવાની, વિધવા તરીકે જીવન જીવવાની,  કુંવારી માના લેબલ સાથે જીવવાની, etc. etc. આપણે જવાબદારીઓ નિભાવીએ પણ આપણા ચારિત્ર્ય વિષે ચર્ચા કરવાની કે એ ચર્ચાને મહત્વ આપવાની છૂટ કોઈને ના આપીએ.

સ્ત્રીઓનું ચારિત્ર્ય સ્ત્રીઓની અંગત મિલકત છે, અને એના પર ટીકા કરવાનો કોઈને અધિકાર નથી. ખુદ ઈશ્વરને પણ નહીં, કે કોઈ ધર્મ અને સંપ્રદાયને પણ નહીં! 

100 Strong Women Quotes to Encourage you with Powerful Images


 

Saturday 29 May 2021

અકસ્માતો અને આપણે,

 

અકસ્માતો અને આપણે,
How do Car Accidents Compare to Motorcycle Accidents? | Adam S. Kutner  Accident & Injury Attorneys
 
    દેશ ક્યારેય સરહદોથી બનતો નથી. સરહદ એ તો કોઈપણ દેશની રાજકીય અને પ્રાદેશિક મર્યાદા બતાવે છે. કોઈપણ દેશનું નકશામાં સ્થાન સરહદ નક્કી કરી આપે છે. આમ તો સરહદો લોકોને તોડવાનું અને વહેચવાનું કામ કરે છે. પણ આજે આપણે સરહદ નહિ સરહદોથી દોરાયેલા આપણા દેશની વાત કરવી છે. એનો ભવ્ય ઈતિહાસ, એની ભવ્ય સંસ્કૃતિ આપણે બહુ વાગોળતા રહીએ છીએ, એના ઉજવવળ ભવિષ્યની આપણે કલ્પનાઓ કરતા રહીએ છીએ. પણ એનો વર્તમાન કદી આપણી સમક્ષ રહેતો નથી. હા આપણી વાતોમાં,ચર્ચાઓમાં, આપણો દેશ કેન્દ્રસ્થાને હોય છે, પણ આપણે દેશ વિશે માત્ર વાતો કરતા રહીએ છીએ. દેશ વિષે જયારે કશું કરવાનું આવે આપણે આઘા ખસી જઈએ છીએ.( જે લોકો દેશ માટે કશું કરતા હોય એણે ખોટું ના લગાડવું) જેને લાગૂ પડતું હોય એની જ વાત અહી થાય છે. આપણે બધા માત્ર ત્યારે જ જાગીએ છીએ જયારે કોઈ સમસ્યા આપણને નડે કે આપણા ઘર સુધી પહોંચે. અન્યથા આપણે સુતા જ રહીએ છીએ. આપણે ઉઠીએ છીએ રોજ પણ જાગીએ છીએ ત્યારે જ જયારે કોઈ દુર્ઘટના આપણી સાથે કે આપણા કુટુંબ સાથે બને. આ દેશમાં એક સામાન્ય સમસ્યા લઇએ. દેશમાં સડક અકસ્માતો નિયમિત થતા રહે છે.અરે આપણે સેકન્ડો કે મીનીટોમાં આંકડા કાઢીએ તો મળી આવે, એવી રીતે અહી લોકો વિહિકલ ચલાવતા રહે છે. દારૂ પીકે ડાન્સ કરેગા નહિ દારૂ પીકે ગાડી ચલાયેંગે એ આપણું સુત્ર છે. નશામાં તરબત્તર વ્યક્તિ જયારે અકસ્માત કરી બેસે છે,નિર્દોષ લોકો એનો ભોગ બને છે, કોઈ ફેમીલી અધૂરું થઇ જાય છે. કોઈ બાળક પોતાના માતા-પિતા કે કોઈ પત્ની પતિ ગુમાવી બેસે કે કોઈ માતા-પિતા પોતાનો વહાલસોયો દીકરો ગુમાવી દે છે. પણ આપણે નથી નશો કરવાનું છોડતા કે નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરી આપણી જિંદગી બચાવવાનું વિચારતા. આપણે ટ્રાફિકના નિયમોને તોડવામાં બહાદુરી સમજીએ છીએ. અતિ ટ્રાફિક વાળા શહેરોમાં તો વ્યક્તિ ઘરે પહોંચે, ત્યારે સમજવાનું કે આજે તે જીવતા પાછા આવ્યા.પણ છતા આપણે અકસ્માતો ટાળવાનો જરાપણ પ્રયાસ કરતા નથી!  

Image result for accidents in india
આપણે ત્યાં ૪થાકે પાચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વિહિકલ ચલાવતા થઇ જાય છે. લીટરલી ઘણા માતા-પિતા ગર્વ અનુભવતા હોય છે કે મારું સંતાન નાનું હોવા છતાં વિહિકલ ચલાવે છે.એ બાળકોને ટ્રાફિકના નિયમોનું જરાપણ જ્ઞાન હોતું નથી, આગળ થઇ જવાની ઉતાવળમાં તેઓ ગમે તેમ ઓવર ટેક કરે છે અને અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવતા રહે છે. પછી અફસોસ સિવાય આપણી પાસે કશું રહેતું નથી. જીવન ઝડપ કરતાયે સસ્તું બની રહે છે. એક જ વાહનમાં કેપેસીટી કરતા જાજા ભરવાની આપણી પોલીસી પણ ક્યારેક સેંકડોના મૃત્યુનું કારણ બની રહે છે.પણ આપણે કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડી સૌનો જીવ જોખમમાં મુકતા જ રહીએ છીએ. બાઈકની કેપેસીટી ૨ વ્યક્તિની જ છે, છતાં આપણે ૪/૫ એમ બેસાડતા જ રહીએ છીએ. તમે વિચારો ક્યારેક તો સામસામાં બાઈક ભટકાય તો પણ ૪/૫ લોકો મૃત્યુ પામે છે. કેવી બેદરકારી! આપણી એસ.ટી. બસો તો જાણે ગમે તેટલા મુસાફરો સમાડવાની બસો  હોય એવું જોતા લાગે. અમુક રાજ્યોમાં તો લોકો બસની ઉપર પણ બેસતા હોય છે. આપણી ટ્રેનો પણ આ જ પરીસ્થીતીમાં હોય છે. એક ડબામાં કેપેસીટી કરતા વધુ મુસાફરો ભરી આપણે લોકોની જિંદગીને સસ્તી બનાવી મુકીએ છીએ. અહી વાહનમાં લોકો અંદર બહાર ઉપર જ નહિ પણ બારણે લટકીને પણ પોતાનું જીવન મુસીબતમાં મુક્તા રહે છે. ચાલુ વિહીકલે ચડવું કે ઉતરવું પણ અહી એકદમ કોમન ગણાય છે. ટૂંકમાં અહી લોકોને પોતાની જાતની સલામતી કરતા વધુ ઝડપ વહાલી હોય છે. દરેકને ઝડપી ક્યાંક પહોચવું છે. એ ઝડપમાં તેઓ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવી દે છે.ક્યાંક ઉતાવળમાં પહોંચમાં આપણે સીધા ઈશ્વરના ધામમાં પહોચી જતા હોઈએ છીએ.
આવું બધું જયારે વાંચીએ કે સાંભળીએ આપણને પ્રવચન જેવું લાગે, પણ જયારે આપણા પર વીતે ત્યારે જ અમુક બાબતો સમજાતી હોય છે. ઘરમાંથી વિહિકલ લઈને ગયેલું કોઈ જયારે પાછું નાં આવે, ત્યારે આ બધી બાબતોની ગંભીરતા આપણને સમજાતી હોય છે.સરકાર કડક કાયદા કરે, હેલ્મેટ પહેરવાનું કહે, રસ્તા પર સુત્રો મુકે, પણ આપણે તો માનવાનું નહિ એ નક્કી જ કરી લીધું છે. અને જયારે અકસ્માત થાકી આખી જિંદગીની વિકલાંગતા ભોગવવી પડે ત્યારે સમજાય કે આડેધડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે. આપણા દેશમાં કદાચ વસ્તી બહુ છે, એટલે મૃત્યુનું મુલ્ય નહિ સમજાતું હોય! મુંબઈની ટ્રેનોમાં મુસાફરી  આખા વિશ્વમાં સૌથી વધુ એડવેન્ચરીયસ ગણવી પડે લોકો એટલી ઝડપથી જીવનાં જોખમે ચડતા હોય, ટીંગાતા હોય આપણને લાગે વિશ્વમાં આનાથી વધુ સાહસિક કાર્ય કોઈ છે જ નહિ! લોકો ચડતા ચડતા થાંભલા સાથે ભટકાય જાય કે પડી જાય તો માત્ર જોઈ લેવાનું જીવ્યો કે મર્યો? માનવ જીવનનું કશું મહત્વ જ નહિ!
તમને શરૂઆત નું લખાણ જોઈ એવું લાગતું હશે ગાડી પાટા પરથી ઉત્તરી ગઈ કે શું? અરે એ અકસ્માત તો ચર્ચવાના જ રહી ગયા! બેદરકારી ને લીધે દર વર્ષે આપણા દેશમાં બે-ત્રણ મોટા અકસ્માતો થતા જ રહે છે અને સેંકડો લોકો જીવ ગુમાવતા રહે છે. અમુક અકસ્માતો તો સાવ નજીવી બેદરકારીને લીધે થાય છે. પછી તપાસ થાય પણ છેલ્લે કોની બેદરકારી હતી એ નક્કી નાં થાય! અને આપણે પ્રજા તરીકે બહુ ટૂંકી યાદ-શક્તિ ધરાવીએ છીએ. બે-ત્રણ દિવસ હો-હા કરી આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો વિહિકલ આપણી સરળતા અને સગવડતા માટે છે,પણ આપણે જ એને આપણા મૃત્યુનું કારણ બનાવી મુકીએ છીએ. યાદ છે,મિત્રો હમણાં દશેરા પર રાવણ દહન દરમિયાન લોકો એટલા મગ્ન થઇ ગયા કે ક્યારે ટ્રેન આવી અને ઘણા લોકોને કચડી ગઈ એ પણ કોઈને ખબર ના રહી. આપણે ત્યાં હજી એક સ્થળ એવું છે, જ્યાં આવા અકસ્માતો થાય છે અને એ છે ધર્મસ્થાનો દર વર્ષે એકાદ ધર્મસ્થાનમાં એવી ઘટના તો બને જ છે, જેમાં ધક્કા-મુક્કી માં સેંકડો લોકો મૃત્યુને શરણે જતા રહે છે. ઈશ્વર પાસે જવાની ઉતાવળ એટલી કે સીધા ઈશ્વર પાસે જ પહોંચી જાય! ઝડપની લાયમાં જિંદગીને આપણે સાવ સસ્તી બનાવી દીધી છે. ખબર નહિ આપણને સૌને ક્યાં પહોચવાની ઉતાવળ હોય છે. કેમ ખરું ને?
એક પ્રજા તરીકે આવી બાબતો પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ, એ ખ્યાલ આવે એટલે લખ્યું. દરેક સમસ્યા સામે આપણો એક જ ઉકેલ હોય છે, ‘સરકાર કઈ કરતી નથી’ ઓવર ક્રાઉડ આપણો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ પણ છે અને એ છે, આપણામાં સ્વયમ શિસ્ત હોવી જોઈએ. બેદરકારીથી વાહન  ચલાવતા પકડાય જઈએ તો દંડ ભરાય કે પછી ટ્રાફિક પોલીસના ખિસ્સા ભરાય એ આપણે નક્કી કરવાનું છે. હેલ્મેટ પહેરવાથી આપણી સુરક્ષા જળવાય તો પહેરવું કે ના પહેરવું એ આપણે નક્કી કરવાનું છે. ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા માટે છે, એ પાળવા કે ના પાળવા એ આપણે નક્કી કરવાનું છે, નહિ તો કોઈ સ્કૂલ-વાન વધુ બાળકોને લઇ જતી હશે અને ઉથલી પડશે, પ્રવાસની કોઈ બસ વિદ્યાર્થીઓ સહીત ગમે ત્યારે અકસ્માત નોતરી બેસશે.જેટલી કાળજી આપણે રાખીશું અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું. હવે તો ફોર ટ્રેક બની રહ્યા છે, સૌનો પોતાનો અલગ ટ્રેક છે, જો આપણે આપણા ટ્રેકને વળગી રહીશું તો અકસ્માત નહિ થાય. બાકી જો દરેક વખતે કોઈ વાહનને ઓવર-ટ્રેક કરવાનો પ્રયાસ કરીશું તો જિંદગી આપણી આઉટ ઓફ ટ્રેક થઇ જશે. નિર્યણ આપણે લેવાના છે, આખરે જિંદગી પણ આપણી જ છે ને? અને યાદ રાખો આપણી જિંદગી માત્ર આપણી એકલાની નથી એની સાથે કેટલાયે અન્ય લોકો સંકળાયેલા છે. એના માટે પણ સલામતી અપનાવીએ.
 
અકસ્માતો થકી વાહનો તો કાટમાળમાં ફેરવાય જ છે, પણ જિંદગીઓ પણ કાટમાળ બની રહે છે.

Thursday 27 May 2021

વી.i.પી.કલ્ચર, આપણા ધર્મસ્થળો અને આપણે,

 

વી.i.પી.કલ્ચર, આપણા ધર્મસ્થળો અને આપણે,


VIPism | SANTOSH CHAUBEY


 અમે મધ્ય-પ્રદેશ પ્રવાસમાં ગયેલા.ત્યાં ઉજ્જૈનમાં ‘મહાકાલેશ્વર’ નું જ્યોર્તિલિંગ આવેલું છે. ત્યાં અમે દર્શન કરવા ગયેલા.કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી અમારો દર્શન કરવાનો વારો આવ્યો.પણ અમારે શિવલિંગથી દસ-બાર ફૂટ દુર રહી દર્શન કરવા પડ્યા.ત્યાના અમલદારો સાથે અમે ઘણું ઝઘડ્યા પણ નજીકથી દર્શન કરવા ન મળ્યા.( આટલું કષ્ટ વેઠ્યા બાદ પણ શિવલિંગના દર્શન કરવા ના મળ્યા!) છેલ્લે અમારા ગ્રૂપ માંથી માત્ર એક વ્યક્તિને દર્શન કરવાનો મોકો મળ્યો. એ અમારું મીની-આંદોલન બંધ કરવાનું મહેનતાણું હતું! એક સામાન્ય માણસ માટે ‘ઈશ્વર’ કેટલો દુર હોય છે, એ તે દિવસે ખબર પડી. એવું લાગે છે આ દેશમાં સામાન્ય માણસ માટે જ લાઈનો બનાવવામાં આવી છે. ત્યાં ઉભેલા ભાઈએ એવું કહ્યું. અમે શું કરિએ ઉપર ફરિયાદ કરો. આ ઉપર એટલે ક્યાં ઉપર? સમજી જજો યાર..અધિકારીઓ પૈસા લઇ પૈસાદાર માણસોને અને વગ વાળી વ્યક્તિઓને કોઈપણ જાતની લાઈન વિના દર્શન કરાવી રહ્યા હતા. જે લોકો કલાકોથી લાઈનમાં હતા એ બહાર અને જેઓ વી.i.પી.હતા તેઓ અંદર! શોલેના ગબ્બરસિંગની જેમ ડાયલોગ મારવાનું મન થઇ આવે, “ बहोत ना-इन्साफी हे” પણ ખરેખર તે દિવસથી નક્કી કર્યું કોઈ પણ મોટા મંદિરે દર્શન કરવા જવું નહિ. એના કરતા આપણી અંદર રહેલ ઈશ્વર સારા. લાઈનમાં તો ઉભા ના રાખે. એ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લિંગમાનું એક મંદિર છે. એવું માનવામાં આવે છે કે એ સર્વશક્તિમાન ‘શિવ’નો વાસ એમાં હોય છે. ‘શિવ-મહાપૂરાણ’ મા એની પૂરી વાર્તા છે. અને આપણા ગૂગલ-ગુરુ પાસે પણ છે.વાંચજો. અરે યાર  જ્ઞાન સાથે ગમ્મત! ok મૂળ વાત પર આવીએ. જેમાં શિવનો વાસ હોય એ ઘર સૌને જોવું જ હોય ને! નાનપણથી જે ઈશ્વરની વાત સાંભળતા આવ્યા હોય એનું ઘર જોવાની કુતુહુલતા તો હોવાની જ ! પણ અફસોસ અમેં એ ઘર નજીકથી ના જોઈ શક્યા. અને એનાથી પણ વધુ દુખ અમારી સાથે થયેલા ભેદભાવનું છે.
 મંદિર હિંદુ ધર્મમાં અતિ પવિત્ર ધર્મસ્થળ ગણાય છે. તમામ લોકો જે ઈશ્વરમાં માને છે, તેઓની શ્રદ્ધા આ સ્થળ સાથે સંકળાયેલી હોય છે.અને આ સ્થળોએ પણ જો આવો ભેદભાવ અને વી.i.પી. કલ્ચર જોવા મળે તો લોકોનો એ સ્થળ પર વિશ્વાસ ઉઠી જાય. અત્યારે દેશમાં દરેક ધર્મસ્થાનોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ કરીને જે ધર્મસ્થાનો અતિ પ્રસિદ્ધ હોય તે સ્થળોએ આવું ખાસ જોવા મળે છે. જાણે એવું લાગે ઈશ્વર પણ લોકોનો હોદો,પૈસો જોઇને દર્શન આપતા હશે.એના દરબારમાં બધા સરખા એવું આપણે હમેંશા સાંભળતા આવીએ છીએ, પણ ખરેખર એવું જોવા મળતું નથી.ખાસ કરીને કોઈ મોટા નેતા કે સેલેબ્રેટી દર્શને આવે ત્યારે પ્રોટોકોલના નામે સામાન્ય માણસોને હાલાકી ભોગવવી પડે છે.જાણે એ લોકોને જ દર્શન કરવાનો અધિકાર હોય એવું લાગે છે! ભગવાન માત્ર તે લોકો માટે જ ધર્મસ્થાનોમાં બેઠા હોય એવું લાગતું રહે છે. એક તો ઈશ્વરનો કોન્સેપ્ટ જ આપણા સૌના મગજમાં અધુરો છે, ને એમાં વળી આપણે એવું અનુભવીએ એટલે એ કોન્સેપ્ટ વધુ અસ્પષ્ટ બની રહે છે.જેની પાસે કોઈ વગ ના હોય એને લાઈનમાં ઉભા રહેવા છતાં દર્શન કરવાનો અધિકાર મળતો નથી. આ તો કેવું વી.i.પી. કલ્ચર કે માત્ર થોડા લોકોના લીધે મોટા વર્ગને નુકસાન ભોગવવાનું. જાણે સામાન્ય માણસોના સમય, હોદા નું કઈ મહત્વ જ ના હોય એવું લાગે છે. શું ઈશ્વર પણ આ બધું જોઇને જવાબ આપતો હશે. કે પછી એના ચોપડામાં પણ કોઈ વી.i.પી. લીસ્ટ હશે. આપણા દેશમાં દરેક સ્થળે આ પરિસ્થતિ જોવા મળે છે. જેની પાસે પૈસો અને વગ હોય એ હમેંશા આવા વધારાના લાભો મેળવતા રહે છે. તમે જ વિચારજો કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ કોઈ વચ્ચેથી આગળ જતું રહે તો આપણી સૌની શું હાલત થાય? સ્કૂલ,કોલેજના એડમિશનના ફોર્મ ભરવાના હોય કે કોઈ અન્ય જગ્યાની લાઈન હોય આવા વી.i.પી. લોકોનો ત્રાસ હમેંશા સામાન્ય માણસોને સતાવતો રહે છે.અને આપણે ગુસ્સો સિવાય કશું કરી શકતા નથી.


જે મંદિરોનું મહત્વ વિશેષ છે, એવા ધર્મસ્થાનોમાં લોકો સૌથી વધુ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા હોય છે. ઘણા લોકોનું નાનપણનું સપનું હોય છે, આવા સ્થળોની મુલાકાત લેવાની અને લોકો કેટલી અપેક્ષા સાથે આવા સ્થળોની મુલાકાતે આવતા હોય છે. અને કોઈ વી.i.પી. ને લીધે તેઓને દર્શન કરવા ના મળે તો શું થાય કદી તમને પણ આવો અનુભવ જરૂર થશે.હકીકત તો એ છે કે જે ધર્મસ્થળો પર લોકોને આટલો વિશ્વાસ હોય, ત્યાંથી એને એવું ફિલ થવું જોઈએ કે અહી તો બધા એકસરખા જ ગણાય છે.એને બદલે અહી પણ તેને અસમાનતાનો અનુભવ થાય છે. જે ઈશ્વરને એ સર્વસ્વ માને છે, એની પાસેથી જયારે આવી ઉપેક્ષા મળે તે કોના પર વિશ્વાસ રાખે.મહાભારતમાં એક પ્રસંગ છે, જયારે કૃષ્ણ ભગવાન યુદ્ધ ના થાય એની સંધી માટે આવે છે, ત્યારે દુર્યોધનના મહેલોમાં રહેવાને બદલે વિદુરના ઘરે રહે છે. આ પ્રસંગ વાંચતી કે જોતી વખતે આપણે એવું માનીએ છીએ કે ઈશ્વર તો ભાવનો ભૂખ્યો હોય છે, પણ વાસ્તવિકતા કઈક અલગ જ જોવા મળે છે. અત્યારના ધર્મસ્થાનોમાં ભગવાન જાણે ભોગ અને પૈસાને આધારે જ દર્શન આપતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. ઘણા ધર્મસ્થાનોમાં તો આવી રીતે દર્શન કરાવવા ખાસ માણસો કામ કરતા હોય છે,જે કમીશન લઇ દર્શન કરાવતા હોય છે. હવે વિચારો આ સ્થળ અને ધંધાના સ્થળમાં ફેર શું રહી ગયો? જયારે ઘણા ધાર્મિક સ્થળોએ વી.i.પી. દર્શન ની અલગ લાઈનો જોવા મળે છે, એ લાઈનમાં ઉભા રહેલા લોકોને સૌથી પેલા દર્શન કરવા મળે છે. તો જે લોકો કલાકો સુધી એક અખૂટ શ્રદ્ધાથી લાઈનમાં ઉભા રહે છે કે ઈશ્વર ક્યારે જોવા મળે એનું શું?
આપણા ધાર્મિક સ્થાનોએ તમને એક મેનુ પણ જોવા મળશે.જેમાં જુદા-જુદા પ્રસાદ માટે અને પૂજા કે કર્મકાંડના ભાવો લખેલા હોય છે. જેઓ એ મેનુમાંથી કોઈ item પસંદ કરે છે, તેઓને પણ વી.i.પી. સવલતો મળે છે.ઘણા મંદિરોમાં એટલી ભીડ હોય છે કે લોકોને માંડ માંડ દર્શન કરવા મળતા હોય છે, અને એમાં કોઈ લાઈન તોડી આગળ જતું રહે, ત્યારે થાય આના કરતા કોઈ ધાર્મિક ચેનલ પર દર્શન કરી લેવા સારા. જે લોકો પાસે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એને શું કરવાનું? થોડી વાર ઝઘડી પછી હતા ત્યાં ને ત્યાં. હકીકત તો એ છે કે જેટલો હક વી.i.પી. લોકોને દર્શન નો હોય છે, એટલો સામાન્ય માણસોને પણ છે અને એ હક તેઓને મળવો જોઈએ. દરેક ધાર્મિક સ્થળોએ એક જ લાઈન હોવી જોઈએ.કોઈ વ્યક્તિ ગમે તેટલી વગ ધરાવતી હોય કે ધનવાન હોય દરેક માટે એક જ લાઈન હોવી જોઈએ.અને દરેક માટે એ લાઈનમાં ઉભું રહેવું ફરજીયાત હોવું જોઈએ. જો ખરેખર ઈશ્વર માત્ર હૃદય નું જ સાંભળે છે, તો આ ઉત્તમ વ્યવસ્થા છે. અને જો એ પણ વગ જોઈ કે પૈસો જોઈ દર્શન આપે છે, તો એ આપણા થી અલગ નથી અને એ ભગવાન કે અલ્લા કે ઈશુ કે કોઈ અન્ય પંથના ઈશ્વર નથી.કેમ ખરું ને? કોઈ સજેશન હોય આ વ્યવસ્થા સુધારવા તો જરૂર કહેજો.ok અને આપણે પણ એકવાત યાદ રાખીએ ઈશ્વર કદી કોઈને સ્ટેટસ કે પૈસો જોઇને દર્શન નથી આપતો એવી શ્રદ્ધા રાખીએ અને આનો વિરોધ કરીએ.જરૂર નથી આવી બાબતોમાં પણ બીજાને અનુસરવું જ પડે. કોઈ ગરીબ કે જરૂરિયાત વાળાને મદદ કરજો એની ‘હોટલાઈન’ તમારા માટે કાયમ માટે ખુલી જશે.  અને એ જ ઈશ્વર સુધી પહોચવાની વી.i.પી. લાઈન બની રહેશે. જે લોકો વી.i.પી. ની યાદીમાં આવે છે, તેઓ ખાસ યાદ રાખે તેઓ ઈશ્વરના દરબારમાં ક્યારેય વી.i.પી. નથી બનવાના!
“Anyone who thinks sitting in church can make you a Christian must also think that sitting in a garage can make you a car.”
― Garrison Keillor
 
Equal before the law: Citizens raise awareness against 'VIP culture'









Wednesday 26 May 2021

સત્ય,પરિશ્રમ, પ્રામાણિકતા અને આપણે,,,

 

સત્ય,પરિશ્રમ, પ્રામાણિકતા અને આપણે,,,

 But what about the original Satyameva Jayate

       સમજણા થઈએ ત્યારના આ ત્રણ શબ્દો ( જો કે આ શબ્દો નહિ, લાગણીઓ છે! ) આપણે સાંભળતા હોઈએ છીએ! આપણી જિંદગીના આદર્શો,સિદ્ધાંતો, મુલ્યો સઘળું આ ત્રણ શબ્દો પર નભે છે. આપણું ભવિષ્ય કેવું ઘડાશે? એ પણ આ ત્રણ શબ્દો પર આધારિત હોય છે. નાનાં હોઈએ ત્યારે આ મુલ્યો કેમ વ્યક્તિના જીવનમાં ઉતારવા એ વિષે આખો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. બધા ધર્મ-ગ્રંથો પણ આપણને આ જ ત્રણ આદર્શો સાથે ચાલવાનું કહે છે. આ ત્રણ સંવેદનાઓ આપણા આત્મા સાથે સંકળાયેલી છે. આપણે સૌ ભલે ધર્મને ધર્મ-સ્થાનોમાં શોધતા ફરીએ, પણ હકીકત તો એ છે કે આ લાગણીઓને જીવનમાં ઉતાર્યા વિના ધર્મનું પાલન ક્યારેય થઇ શકતું જ નથી. આ ત્રણ વિના આપણે ગમે તેટલા ધર્મ-સ્થાનોમાં ફરીએ કે ગમે તેટલા ધર્મ-ગુરુઓને અનુસરીએ જીવન ઉન્નત થઇ શકતું નથી. શરીરમાં આત્મા નાં હોય તો શરીર માત્ર એક યંત્ર છે, તેમ જ જીવનમાં આ ત્રણ અનુભૂતિઓ વિના જીવન એકદમ સુમશાન થઇ જવાનું. આપણા પૂર્વજો અને વડીલો આપણને હમેંશા એ રસ્તે ચાલવાનું કહે છે, પણ મજાની વાત એ છે કે એ રસ્તાઓ બહુ કાંટાળા અને લાંબા છે, એટલે કોઈ એ રસ્તે જવા નથી ઇચ્છતું. લોકોએ આ ત્રણેય મુલ્યોને સ્ટ્રોંગ-રૂમમાં મૂકી દીધા છે. અને જયારે પ્રવચન આપવાનું થાય ત્યારે આ મુલ્યો બહાર કાઢવામાં આવે છે. 

 

 Honesty is the Best Policy | Invictus Fitness

    બધા જ લોકો જાણે છે, કે આ મુલ્યો વિના જીવન મોજથી જીવી શકાતું નથી, છતાં લોકો જીવનમાં ઉતારવાની કોશિશ કર્યા બાદ તેને અધવચ્ચે જ છોડી દેતાં હોય છે. ભલે આપણે આ ત્રણનો સાથ છોડી આગળ વધવાની કોશિશ કરીએ છીએ, પણ આ ત્રણેય આપણને વારંવાર યાદ અપાવે છે કે અમારા વિના તમે ગમે તેટલા સફળ થશો પણ એ સફળતા લાંબો સમય ટકશે નહિ. હકીકત તો એ છે કે ત્રણેય મુલ્યો વિના માનવ-જીવન ધબકતું નથી, છતાં લોકો કૃત્રિમ શ્વાસો સાથે જીવવાના પ્રયાસોમાં અંદરનું જીવવાનું જ જાણે કે ભૂલી જતાં હોય છે. આ ત્રણેય આપણી જિંદગીના સિગ્નલો છે, જેના થકી આપણને સાચો માર્ગ મળી રહે છે અને આપણે સુંદર જીવન જીવી શકીએ છીએ. જેઓ આ મુલ્યો વિના જીવવાની કોશિશ કરતાં રહે છે, તેઓ માટે જીવનમાં જીવંતતા રહેતી નથી. જરૂરિયાતોનાં બોજ હેઠળ આવી જઈ ઘણા લોકો આ ત્રણેયને ભૂલી જતાં હોય છે, પણ આ વિસ્મૃતિ લાંબો સમય ટકતી નથી, તુરંત જ તેઓને અંદરનું સિગ્નલ ચેતવતું રહે છે, પણ ઘણા લોકો અંધ બની દોડ્યે જ જાય છે. તેઓને માટે જીવન માત્ર જરૂરિયાતોનું પોટલું જ બની રહે છે. તેઓ એ પોટલાનાં ભાર નીચે આ મુલ્યોને દાટી દેતાં હોય છે.

 આપણે ધર્મ-સ્થાનોમાં જઈએ છીએ, ધર્મ-ગુરુઓને અનુસરીએ છીએ, કર્મ-કાંડ કરીએ છીએ, લાઉડ-સ્પીકર દ્વારા ધર્મનો પ્રચાર કરીએ છીએ, બાધા-માનતા રાખીએ છીએ, વ્રત કરીએ છીએ, ઉપરવાળાને બધે જ શોધતા ફરીએ છીએ. પણ આ ત્રણ મૂલ્યોમાં જ એ સમાયેલો છે, એ આપણે જાણતાં હોવા છતાં માનતાં નથી! છે ને આશ્ચર્ય! પ્રત્યેક મહાન માણસોએ અને ધર્મ-ગુરુઓએ આપણને સમજાવવાની કોશિશ કરી છે કે સત્ય,પ્રામાણિકતા અને પરિશ્રમ વિના માણસના જીવનનું કશું મુલ્ય નથી, અને છતાં આપણે તેઓને અવગણતાં રહીએ છીએ. તમે માર્ક કરજો, બધા જ વાતો કરતાં હોય ત્યારે, અભિપ્રાયો આપતાં હોય ત્યારે ‘કરપ્શન ખુબ વધી ગયું છે’ ‘કોઈને કામ જ નથી કરવું’ વગેરે વગેરે...... જો આપણને સૌને આ બધી વાતોની ,આ દુષણોની ખબર છે, પણ એનાથી દુર કોણ રહી શકે છે? આપણે  સૌ આ દુષણોને મૂંગે મોઢે સહન કરતા રહીએ છીએ અને તેનો એક હિસ્સો બનીને રહી જતા હોઈએ છીએ. આપણા દેશમાં કે જ્યાં ધર્મનો પ્રભાવ અને ધર્મ-સ્થાનો વધુ હોવા છતાં આપણે આ ત્રણેય મુલ્યોને આપણા સૌના જીવનમાં ઉતારી શક્યા નથી! ધર્મ અને મુલ્યો વચ્ચે કોઈ સંબંધ છે ખરો!

  નાનપણથી વાર્તાઓ દ્વારા, ધર્મ-ગ્રંથો દ્વારા, નાટકો દ્વારા, કથાઓ દ્વારા, આપણને આ ત્રણેય મૂલ્યો ગળે ઉતારવાનું શીખવવામાં આવે છે, તો પછી, ભૂલ ક્યાં થઇ ગઈ!  આપણા મોટાભાગના માતા-પિતા સંતાનોને સંસ્કારો આપવા કરતા જરૂરિયાતો તરફ વધુ વાળતાં રહે છે. તેઓ સંતાનો માટે અનુકરણ પૂરું પાડી શકતાં નથી. તેઓ ખુદ અસત્યનો સહારો લે છે, બાળકો તેઓને અનુસરે છે અને પાયો જ ખોટો નખાય જાય છે. તમે જ વિચારો બાળક જન્મે ત્યારે તો એક સ્વતંત્ર વિચારો ધરાવતી સ્લેટ હોય છે. તેઓને સાચું શું? ખોટું શું? એ ખબર પણ નથી હોતી, તેઓમાં જે કઈ પણ આવે છે, એ આપણા થકી જ પાંગરતું હોય છે. જેવો છોડ વાવીશું, એવું વટ-વ્રુક્ષ ઉગશે.  ( બધા માતા-પિતા નહિ, પણ મોટા ભાગના આ જ કરતા હોય છે!) સંપતિ અને સંબધોમાં છળ-કપટ કરતાં સંતાનોને કોણ શીખવે છે? વધુ માહિતી માટે મહાભારત જોઈ લેવું. કુટુંબો બાળકોને પરિશ્રમનું મહત્વ પણ નથી સમજાવી શકતા! બધાને ટૂંકા રસ્તે સફળ થવું છે.

  હવે બીજું પગથીયું બાળક શાળાનું ચડે છે. શાળા બાળકના જીવન અને વ્યક્તિત્વ ઘડતર માટે સૌથી અગત્યનું સ્થાન ગણાય છે. આ ત્રણેય મુલ્યોના વહન માટે શિક્ષણ શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. પણ આજે આ વાત સાવ પોકળ સાબિત થઇ છે. આજ-કાલ અસત્ય અને અપ્રામાણીકતાનાં માર્ગો આ માધ્યમ પાસેથી પસાર થઇ રહ્યા છે. આજની શાળાઓ અને શિક્ષણ એટલા બધા વ્યવસાયિક થઇ ગયા છે કે આ મુલ્યો સાથે જાણે કોઈને કઈ લેવા-દેવા જ નાં હોય એવું લાગે છે! વિધાર્થી પરિક્ષામાં ચોરીઓ કરતા શીખે છે, શિક્ષકો પાસેથી અગત્યના પ્રશ્નો મળી જાય છે, પેપરમાં કઈ લખ્યું નાં હોય છતાં વિદાર્થીઓ પાસ થઇ જાય છે, પેપર બદલાય જાય છે, શું નથી થતું? આજની શિક્ષણ-સંસ્થાઓમાં? ભાવિ નાગરીકો કોઈપણ ખરાબ સિસ્ટમનો ભાગ બનતાં અહીથી જ શીખી લે છે. અને પછી એ જ વિદ્યાર્થી જુદી જુદી પોસ્ટ પર નોકરીએ લાગે છે, વિચાર કરી લઈએ, એ લોકો આગળ જઈને શું કરશે? અહીથી ભણીને જ તેઓ દેશમાં કોઈને કોઈ નોકરી ધંધો કરે છે, હવે એ શું કરશે? એક ડોકટર કે એન્જીનીયર બનવા માતા-પિતા કેટલો તોતિંગ ખર્ચો કરતાં હોય છે, પછી એ ડોક્ટર ફી લે કે ફ્રી સેવા કરે? અરે શૈક્ષણિક સંસ્થાઓ આજ-કાલ આ મૂલ્યોથી લોકોને કોસો દુર લઇ જવાનું કામ કરી રહી છે. જેઓનું નાનપણ,કિશોરાવસ્થા અને યુવાની આ પ્રમાણે ઘડાય એ દેશ પછી કેવી રીતે આ મુલ્યો સાથે ધબકી શકે? શાળાઓ શારીરિક શ્રમનું મહત્વ સમજાવવામાં પણ પાછળ રહી ગઈ છે!

તમને થશે આ દેશમાં આ મુલ્યો સાથે જનારું કોઈ નથી? એવું નથી પણ જો કોઈ હોય તો એની હાલત કેવી હોય છે? એ આપણે સૌ ક્યા નથી જાણતા! એ એકલપંથી પ્રવાસી જાણે આ ગ્રહ પર એલિયન હોય એવી તેની દશા થઇ જતી હોય છે.  જો કે એકલો વ્યક્તિ પણ ઘણું બધું કરી શકે છે. પણ......... અસત્ય.અપ્રામાણિકતા ,કામચોરી સૌને નડે છે, પણ એ ગંદી ગટરને સાફ કરવા એમાં કોઈ ઉતરવા તૈયાર નથી. આ ગટરને આપણે સૌએ સ્વીકારી લીધી છે. એને લીધે દેશનું ચારિત્ર્ય બગડી રહ્યું છે, પણ એને સ્વચ્છ કરવા કોણ આગળ આવશે? ગાંધીજીના સત્યના પ્રયોગો આજે લુપ્ત થઇ રહ્યા છે, સરદારની પ્રામાણીકતા ક્યાંક ખોવાય ગઈ છે, અને ભગતસિંહનો પરિશ્રમ જાણે એળે જવામાં છે. હવે એવા સેનાનીઓની જરૂર છે, જેઓ આ ત્રણ મુલ્યો સાથે રહીને દેશને આગળ વધવામાં મદદ કરે.

કુટુંબ, શાળા, કોણ કરશે આ પહેલ? છે કોઈને ઈચ્છા ! 

Motivational Quotes Inspirational Quotes Good Thoughts Quotes About Success  And Hard Work | સફળતા મેળવવા માટેની એક જ માસ્ટર-કી છે, તમે બધી જ ફાલતૂ  વાતોથી ધ્યાન હટાવીને માત્ર પોતાના ...

સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે.

 (ઉપનિષદ)     

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...