Wednesday 28 February 2024

અમીન સયાની, ઓલ ઈન્ડિયા રેડિયો અને આખો દેશ......

 

અમીન સયાની, ઓલ ઈન્ડિયા રેડિયો અને આખો દેશ......

Amin Sayani was the 'king' of the radio world.

              એક એવી વ્યક્તિ જેના અવાજે આ દેશની એક આખી જનરેશનને રેડિયો પાસે લાવી ભેગી કરી દીધી. માત્ર એટલું બોલાય બહેનો ઓર ભાઈઓ એટલે ઘરના ખૂણે ખૂણેથી  સભ્યો આવીને રેડિયો સામે ભેગા થઈ જાય. જેમના શો બિનાકા ગીતમાલા એ 42 વર્ષો સુધી લોકોના હ્રદય પર રાજ કર્યું. જેમને લીધે બોલિવૂડ સંગીત આ દેશના ઘરે ઘરે, ઓફોસે ઓફીસે, શેરીએ શેરીએ પહોંચ્યું. જેમનો શો શરૂ થતાં જ હજારો લોકો કાગળ અને પેન લઈને ગીત અને ગીત વિષેની માહિતી લખવા બેસી જતાં!

     ભારતમાં રેડિયોની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં જે મખમલી અવાજ સૌથી વધુ વખત સુધી ગુંજતો રહ્યો છે, એ છે, “અમીન સયાની.” માત્ર ને માત્ર અવાજના માધ્યમથી તેઓ વર્ષો સુધી આ દેશના લાખો કરોડો લોકોના હ્રદયમાં સંગીતની જ્યોત પ્રગટાવતા રહ્યા. એટલું જ નહી, પોતાની સફળ કારકિર્દી દરમિયાન તેમણે 54000થી વધુ રેડિયો કાર્યક્રમો કર્યા. 19000 જિંગલ્સમાં પોતાનો અવાજ આપ્યો. અનેક ટી.વી. શો હોસ્ટ કર્યા. અને ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું.

   અમીન સયાની જેમનો સમય ભારતીય રેડિયોનો સુવર્ણકાળ ગણાય છે, તેમનો જન્મ ઇ.સ. 1932ની 21મી ડીસેમ્બરે મૂંબઈમાં થયેલો. તેમના માતા-પિતા બંને સ્વાતંત્ર્ય-સેનાનીઓ હતા. તેઓ પોતાને ગાંધીવાદી ગણાવતા. પ્રથમવાર તેઓ રેડિયો એનાઉન્સર તરીકે રીજેક્ટ થયા. કારણકે તેઓની બોલીમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ વધુ હતું. પછી તેમણે પોતાની બોલી સુધારવા પર ધ્યાન આપ્યું અને ઇ.સ. 1951માં તેઓ રેડિયો પર એનાઉન્સર તરીકે પસંદગી પામ્યા.

  હજી તેઓનો અવાજ થોડો લાઉડ ગણાતો. જ્યારે અવાજ કલાકાર અને ગાયક રમા મટ્ટુએ તેઓનો અવાજ પ્રથમવાર સાંભળ્યો તો તેણીએ પોતાના ભાઈને કહ્યું કે બંધ કર આ ઘોઘરો અવાજ.  આ બાબતથી અમીન સયાનીને સમજાયું કે જો લોકોના લિવિંગરૂમમા તેઓની સાથે જીવવું હશે તો અવાજની ક્વોલોટી સુધારવી પડશે. અને તેમણે તેના માટે ભરપૂર પ્રયાસો કર્યા. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના સામાન્ય ટોનમાં જ રેડિયો પર કાર્યક્રમ આપશે. આ જ રમા મટ્ટુ સાથે તેમના લગ્ન થયેલા!   

  ઇ.સ. 1952માં RAS રેડિયો સિલોન માટે 'બિનાકા ગીતમાલા' નામનો રેડિયો શો લખવા, પ્રસ્તુત કરવા અને પ્રોડ્યુસ કરવા માટે કોઈની શોધમાં હતો, જે લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો વિશેનો કાર્યક્રમ હતો. પણ ઓફર કરાયેલો પગાર શો દીઠ માત્ર 25રૂ હતો, તેથી કોઈ એ કાર્યક્રમ કરવા તૈયાર ના થયું. પણ અમીનજી એ ઓફર સ્વીકારી લીધી. અને પછી જે થયું તે આખા દેશ માટે અભૂતપૂર્વ બની રહ્યું.

  ઇ.સ. 1952માં શરૂ થયેલો અડધા કલાકનો એ કાર્યક્રમે આખા દેશને રેડિયો સાથે જોડી દીધા. પણ થોડા જ સમયમાં ત્યારની સરકારને આ કાર્યક્રમ "પશ્ચિમી" મૂલ્યોથી અસ્વસ્થ લાગ્યો!  અને  સરકારને લાગ્યું કે તેઓ એક પેઢીને બરબાદ કરી શકે છે. બી વી કેસકર, ત્યારના I&B પ્રધાને, રેડિયો પર ફિલ્મ સંગીત પર પ્રતિબંધ મૂક્યો.  તેને "શૃંગારિક અને અભદ્ર" ગણાવી અને માત્ર શાસ્ત્રીય સંગીતને પ્રસારિત કરવાની મંજૂરી આપી!

   પ્રતિબંધ પછી, સાયનીએ રેડિયો સિલોન પરથી તેના શોનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું, જે શરૂઆતમાં હિટ પરેડ માટે જાણીતું હતું. માધ્યમ બદલાયું પણ શોની લોકપ્રિયતામાં કોઈ ફેર ના પડ્યો. તે સમયે કોઈપણ રેડિયો કાર્યક્રમની સફળતા તેને મળતા પત્રો પરથી નક્કી થતી. પહેલા જ અઠવાડિયે આ શોને 9000 પત્રો મળ્યા! જે સંખ્યા બાકીના અઠવાડીયા દરમિયાન 65000 પત્રો સુધી પહોંચી ગઈ. આ કાર્યક્રમમાં પોતાનો પત્ર વંચાય અને અમીનજીના મોઢે પોતાનું નામ બોલાય તે માટે લોકો ગામના ટપાલીને કહેતા કે બીજા કોઈના પત્રો ના લઈ જાય!

    તેઓ કાર્યક્રમમાં દરેક ગીતો સાથે જોડાયેલો ઇતિહાસ કહેતા અને પત્રોને આધારે હિન્દી ફીલ્મોના ગીતોને રેંકિંગ આપતા. બિનાકા ગીતમાલામાં પોતાની ફિલ્મનુ ગીત વાગે, તે માટે ગાયક કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો પણ પોતાને ધન્ય સમજતા! બિનાકા ગીતમાલા ની સફળતા સમજીને ત્યારના  જાણીતા શિક્ષણશાસ્ત્રી અને રાજકીય કાર્યકર અરુણા અસફ અલીએ સયાનીને કહ્યું કે તેમને આ લોકપ્રિય શો AIR પર કરવાની જરૂર છે, શ્રીલંકાથી નહીં. અમીનજી એ કહ્યું મને મંજૂરી લાવી આપો, હું આ કાર્યક્રમ AIR પરથી કરીશ. અરુણાજીના પ્રયાસોથી ઇ.સ. 1957થી હિન્દી ફિલ્મ સંગીત રેડિયો પર પાછું ફર્યું અને અમીનજી પણ! પછી તો આ કાર્યક્રમ ઇ.સ.1994 સુધી ચાલુ રહ્યો.

 આ શો સિવાય તેમણે રેડિયો પર અનેક નામી કલાકારોના ઇન્ટરવ્યુ પણ લીધેલા. હિન્દી ફિલ્મ-ઉદ્યોગમાં લોકો પોતાનું ઇન્ટરવ્યુ અમીન સયાની દ્વારા લેવામાં આવે તેને પોતાનું સન્માન માનતા. તેમણે લતા મંગેશકર સાથેના પોતાના ઇન્ટરવ્યૂમાં તેમની પાસેથી ઘણી અંગત વાતો પણ સિફતપૂર્વર્ક લોકો સમક્ષ રજૂ કરાવેલી. કોઈપણ મહાન કલાકર પાસેથી તેમના અંગત જીવનની વાતો અત્યંત સહેલાઇથી કઢાવી લેવાની અમીનજીમાં આવડત હતી.

  20મી ફેબ્રુઆરી,2024 ના રોજ આ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો, પણ લોકોના હ્રદયમાં અને જીવનમાં એ કાયમ ગુંજતો રહેશે.

  

 

  

 

 

 

 

 

 

 

Monday 26 February 2024

સોસિયલ પ્લેટફોર્મ્સ - જૂની પેઢીની આવડત અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનું અદભૂત જોડાણ!!!

 

સોસિયલ પ્લેટફોર્મ્સ - જૂની પેઢીની આવડત અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનું અદભૂત જોડાણ!!!

 16 Reasons Why Social Media Is Important to Your Company

 

હમણાં એક દરજી બહનને મળવાનું થયું. દરજીકામમાં તેઓ બહુ હોશિયાર છે. અત્યારના ટ્રેન્ડ મુજબ તમે કહો એવી ફેશનના કપડાં તેઓ સીવી આપે. છેલ્લી વખત હું તેઓની પાસે મારા સીવેલા કપડાં લેવા ગઈ ત્યારે તેમણે મને કહ્યું, મે એક યુ-ટ્યુબ ચેનલ બનાવી છે, તમે એને સબ્સ્ક્રાઈબ કરીને વિડીયો જો જો અને તમારા ગ્રૂપમાં બધાને કહેજો કે મારી ચેનલ જુએ.

  મે કહ્યું, તમને આવડે છે? આ ચેનલ બનાવતા અને વિડીયો મૂકતાં, તો તેમણે કહ્યું કે મારા દીકરાએ અને દીકરીએ મને આમાં મદદ કરે છે. એક વિડીયો બનાવી આપે, એક એડિટ કરે અને બંને ભેગા થઈને ચેનલ બનાવી અને વિડીયો પણ તેજ અપલોડ કરે છે. હવે એ મને ઇન્સ્ટાપેજ પણ બનાવી આપશે. મારા દીકરા-દીકરીએ કહ્યું મોમ તારી આ આવડતને સોસિયલ મીડિયાના ઉપયોગ થકી આપણે આગળ લઈ જઈએ.

   આ એક ઉદાહરણ અહી મે લખ્યું છે, પણ આવા ઘણા ઉદાહરણો આજકાલ આપણે આપણી આસપાસ જોઈએ છીએ, જ્યાં યંગ જનરેશન પોતાના માતા-પિતા કે પોતાના સગાવહાલાની કે પોતાની આવડતને સોસિયલ પ્લેટફોર્મ પર રજૂ કરીને એ આવડતને લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ઢાળી રહ્યા છે.

  જૂની પેઢીની આંખો (અનુભવ) અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનો સમન્વય થઈ રહ્યો છે. અને એના ઘણા સારા પરિણામો આપણને મળી રહ્યા છે. હકીકત તો એ છે કે સોસિયલ મીડિયા એ પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈપણ જાતના જ્ઞાતી, જાતિ કે ધર્મના ભેદભાવ વગર આપણે આપણી પ્રોડક્ટ અને આવડતને લાખો-કરોડો લોકો સમક્ષ મૂકી શકીએ છીએ.

  આવી રીતે કેટલીયે માતાઓએ પોતાની જે આવડતને અભેરાઈએ ચડાવી દીધી હતી, તેને નીચે ઉતારીને પોતાની એ આવડતને સારામાં સારા ધંધામાં ફેરવી દીધી છે. વળી આવું કરીને આપણે આપણી જૂની સંસ્કૃતિને આજની જનરેશન સુધી પહોંચાડી પણ શકીએ છીએ. યુ-ટ્યુબ, ઇનસ્ટા, વોટ્સએપ, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે વગેરે ઓનલાઈન પ્લેટફોર્મ થકી લાખો લોકોની આવડત રજુ થઈ રહી છે અને રોજીરોટી મેળવી રહી છે.

 ખાખરા, નાસ્તા, ટિફિન, લેટેસ્ટ ફેશનવાળા કપડાં, ચણિયાચોળી, લગ્નના લેટેસ્ટ કપડાં, હેંડીક્રાફ્ટની વસ્તુઓ, અથાણાં, મસાલા, વગેરે વગેરે આજે આ સમન્વય થકી જુદા જુદા સોસિયલ મીડિયાના ઉપયોગ થકી કરોડો લોકો સુધી પહોંચી રહ્યું છે. ઘણા લોકો પોતાના આખા કુટુંબનું ભરણ-પોષણ આવી રીતે ઓનલાઈન બિઝનેસ થકી કરી લેતા હોય છે. માતા-પિતાએ પોતાના સંતાનોને નાના હતા ત્યારે નવી દુનિયામાં ડગ માંડીને ચાલતા શીખવ્યું હવે સંતાનો તેઓને ટેક્નોલોજીની દુનિયામાં ડગ માંડતા અને ચાલતા શીખવી રહ્યા છે.

 

  ઘણી મહિલાઓ પોતાની રસોઈની આવડતને યુ-ટ્યૂબના માધ્યમ થકી લાખો લોકો સુધી પહોંચાડી શકી છે. તેઓની ચેનલ આજે લાખો સબ્સક્રાઈબર્સ સુધી પહોંચી ગઈ છે. આ મહિલાઓને પણ તેઓના સંતાનો ચેનલ અપડેટ કરવામાં મદદ કરી રહ્યા છે. ક્રાફ્ટ, આર્ટ વગેરે વગેરે આજે યંગ-જનરેશન થકી આવા જ માધ્યમો થકી પહોંચી રહ્યું છે. અને તેઓ તેમાથી ઘણું બધુ શીખીને આગળ વધી પણ રહ્યા છે!

  ભારતમાં દર પાંચમાથી એક વ્યક્તિ ફેસબૂક કે બીજા કોઈપણ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દર મહિને લગભગ 2.5 મિલિયન લોકો યુ-ટ્યુબ જુએ છે, અને હજી આ સંખ્યા વધતી જ જાય છે. એક સર્વે મુજબ ભારતની કુલ વસ્તીના 67.5% લોકો કોઈને કોઈ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. (દેશની આટલી વસ્તી ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે!) હવે વિચારો આવડું મોટું માર્કેટ આપણને બીજે ક્યાં મળવાનું?

   આપણાં દેશમાં સોસિયલ મીડિયા હવે માત્ર ટાઈમ-પાસ કે મિત્રો કે સગા-સંબંધીઓ સાથે જોડાવાનું માધ્યમ નથી રહ્યું, પણ દેશની જીડીપીને બુસ્ટ આપનાર માધ્યમ પણ બની રહ્યું છે. ઘણી મમ્મીઓ માટે આ માધ્યમ પોતાની આવડત અને શોખને નવી ઊંચાઈઓ આપવાના માધ્યમ બની રહ્યા છે.

    આપણે મોટા ભાગે સોસિયલ મીડિયાને બે જનરેશન વચ્ચેના ગેપ તરીકે જ પ્રમોટ કરી રહ્યા છીએ. લગભગ દર ત્રીજા લેખમાં કે રીપોર્ટમાં આપણે સોસિયલ મીડિયાની યંગ જનરેશન પર પડી રહેલી ખરાબ અસરો વિષે લખતા વાંચતાં રહીએ છીએ. ચારેબાજુ સોસિયલ મીડિયાના દુરુપયોગ વિષે રાડો પડતી રહે છે. પણ આપણે સોસિયલ પ્લેટફોર્મ્સની આ સારી બાબતોને હાઇલાઇટ કરવાનું ભૂલી રહ્યા છીએ.

  આજ માધ્યમ થકી આજે બે જનરેશન વચ્ચેનો ગેપ ઘટી રહ્યો છે. જૂના જ્ઞાન અને નવી ટેક્નોલૉજી વચ્ચે પુલ બંધાઈ રહ્યો છે અને એ પુલ આપણને લેટેસ્ટ સંબંધો તરફ લઈ જઇ રહ્યો છે. કોઈપણ મમ્મીની ઇન્સ્ટા-રીલ જુઓ તો તમને દીકરા કે દીકરીની મહેનત જરૂર દેખાશે.

    

Tuesday 6 February 2024

જનનાયક કર્પૂરી ઠાકુરજી, હવે ભારતના સૌથી મોટા વી.આઈ.પી.

 

જનનાયક કર્પૂરી ઠાકુરજી Karpoori Thakur: The country is remembering the former Chief Minister of  Bihar, who was able to drive away the British by throwing spit and not  build a house after decades of politics.

           23મી જાન્યુઆરી,2024ના રોજ આપણાં આદરણીય રાષ્ટ્રપતિ શ્રી.દ્રૌપદી મુર્મુજીએ 49માં ભારત-રત્નની જાહેરાત કરી અને એક નવું વ્યક્તિવ આપણી સમક્ષ રજૂ થયું.  આ જાહેરાત પહેલા કર્પૂરી ઠાકુરજીને કોઈ ઓળખતા નહોતા, પણ 23મી તારીખ બાદ દર ત્રીજો લેખ તેઓ વિષે લખાયો. આઝાદ ભારતમાં સૌપ્રથમ વખત ઇ.સ. 1954ની સાલમાં આ એવોર્ડ આપવાની શરૂઆત થયેલી. દર વર્ષે વધુમાં વધુ 3 લોકોને તેઓના કળા, સમાજસેવા,સાહિત્ય, વિજ્ઞાન, ક્ષેત્રમાં પ્રદાન બદલ આપવામાં આવે છે. જો કે ઇ.સ. 2011માં થયેલા સુધારા બાદ કોઈપણ ક્ષેત્ર જે માનવવિકાસ તરફ લઈ જતું હોય તેવા દરેક ક્ષેત્રમાં આ એવાર્ડ આપવાનું શરૂ થયું.

   કર્પૂરીજીને આ એવાર્ડ મરણોત્તર આપવાની જાહેરાત થઈ છે. અત્યાર સુધીમાં 15 લોકોને આ એવાર્ડ મરણોત્તર મળેલ છે. કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતુઝિયા ગામમાં 24 જાન્યુઆરી, 1924ના રોજ થયો હતો. તેમણે 1940માં પટનાથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા હતા. કર્પૂરી ઠાકુરે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. આ પછી તેમણે સમાજવાદનો માર્ગ પસંદ કર્યો અને 1942માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો. જેના કારણે તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું.

   ભારતને આઝાદી મળી, પછી તેમણે ગામડાની એક નિશાળમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. ઇ.સ. 1952માં તેઓ તેજપુર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઇ.સ.1960માં  કેન્દ્ર સરકારના કર્મચારીઓની સામાન્ય હડતાળ દરમિયાન પી એન્ડ ટી કર્મચારીઓની આગેવાની કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1970માં, તેમણે ટેલ્કો મજૂરોના ઉદ્દેશ્યને પ્રોત્સાહન આપવા માટે 28 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કર્યા હતા.

  તેઓ બિહારના શિક્ષણમંત્રી પણ બન્યા અને અંગ્રેજી ભાષાના ફરજિયાત શિક્ષણ પર તેમણે રોક લગાવી હતી. સરકારી ઓફિસોમાં અંગ્રેજીને બદલે હિંદીને મહત્વ આપનાર તેઓ પ્રથમ રાજનેતા હતા.  ઇ.સ. 1970માં તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા. તે સમયે તેમણે બિહારમાં દારૂબંધી માટે ઘણા પ્રયાસો કરેલા. એટલું જ નહી તે સમયે તેમણે પછાત જાતિના વિસ્તારોમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના પણ કરેલી. આ સમયગાળા દરમિયાન તેઓ છ મહિના સુધી સત્તામાં રહ્યા. તેમણે એવા ક્ષેત્રો પરની મહેસૂલ નાબૂદ કરી જે ખેડૂતોને કોઈ નફો આપતી ન હતી, 5 એકરથી ઓછી જમીન ધરાવતી જમીન પરની આવક પણ નાબૂદ કરી અને ઉર્દૂને રાજ્ય ભાષાનો દરજ્જો પણ આપ્યો. આ પછી તેમની રાજકીય શક્તિમાં જબરદસ્ત વધારો થયો અને કર્પૂરી ઠાકુર બિહારના રાજકારણમાં સમાજવાદનો મોટો ચહેરો બની ગયા. ઇ.સ. 1977માં તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા.  

   કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમના અઢી વર્ષના શાસન દરમિયાન તેમણે ગરીબો, દલિતો અને પછાત લોકો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા હતા. 1952 થી 1984 સુધી તેઓ ક્યારેય વિધાનસભાની ચૂંટણી હાર્યા નથી. આ પછી પણ તેણે પોતાની જાતિના વાળંદના વ્યવસાયનું સન્માન જાળવી રાખ્યું. સીએમ બન્યા પછી પણ તેમના પિતા ગોકુલ ઠાકુર વાળંદના પરંપરાગત વ્યવસાયથી પોતાનું ગુજરાન ચલાવતા રહ્યા. એકવાર કર્પૂરી ઠાકુરે પોતે ગામડાના લગ્નમાં વાળંદની ભૂમિકા ભજવી હતી.

  તેઓ સરકારી નોકરીની લાગવગ લઈને આવનાર દરેકને પોતાનો પરંપરાગત વ્યવસાય કોઈપણ જાતની શરમ રાખ્યા વિના કરવાનું કહેતા. તેઓ મુખ્યમંત્રી હોવા છતાં એકદમ સાદું જીવન જીવતા. તેમના પિતાનું અપમાન કરનાર એક માથાભારે વ્યકિતના ઘરે જઈને તેમણે વાણંદનું કામ કરવાનું કહેલ. તેમણે ક્યારેય પોતાના પદનો ગલત લાભ નહોતો ઉઠાવ્યો. ઇ.સ. 1988માં તેઓનું મૃત્યુ થયા બાદ આજે પણ બિહારના ઘર ઘરમાં તેઓના આદર્શો અને સાદગીની ચર્ચા થતી રહે છે.

    ઠાકુર ગરીબોના ચેમ્પિયન તરીકે જાણીતા હતા. 1978 માં, કર્પૂરી ઠાકુરે બિહારમાં સરકારી નોકરીઓમાં પછાત વર્ગો માટે 26% અનામત મોડલ રજૂ કર્યું. આ સ્તરીય આરક્ષણ શાસનમાં, અન્ય પછાત વર્ગને 12%, સૌથી વધુ પછાત વર્ગને 8%, સ્ત્રીઓને 3%, અને ઉચ્ચ જાતિઓમાંથી આર્થિક રીતે પછાત વર્ગને રાજ્ય સરકારની નોકરીઓમાં 3% અનામત મળી. ભારતમાં આવું કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા.

  ઠાકુરે સંયુક્ત સમાજવાદી પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમને લાલુ પ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન, દેવેન્દ્ર પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર જેવા અગ્રણી બિહારી નેતાઓના માર્ગદર્શક કહેવામાં આવે છે. બિહારના નેતાઓ તેઓના આદર્શો અને સિદ્ધાંતો પર આજે પણ ચાલે છે.

 

 

 

  

 

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...