Monday 13 June 2022

કશું શીખવા માંગો છો? કશું નવું કરવા માંગો છો? તો ઉંમરના આંકડાને અવગણતાં રહો.....


કશું શીખવા માંગો છો? કશું નવું કરવા માંગો છો? તો ઉંમરના આંકડાને અવગણતાં રહો.....

 Age Is Just a Number Quote for All Ages - EnkiQuotes | Number quotes, Words  quotes, Aging quotes

       ફાલ્ગુની નાયરે એપ્રિલ-2012માં કોટક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટરના પદેથી છુટ્ટા થઈ નાયકા કંપનીની સ્થાપના કરી ,ત્યારે તેઓની ઉંમર 50 વર્ષની હતી.  જેના આઈ.પી.ઑ. એ ઘણાને માલામાલ કરી દીધા હતા. આજે તેઓની સંપતિ 1.1 અબજ ડોલરની છે. તેઓ ભારતની બે અબજોપતિ(પત્નીઓ) માના એક છે. આમાં હાઇલાઇટ કરી શકાય એવી એક ખાસ બાબત  છે, તેમણે 50માં વર્ષે કરેલી શરૂઆત. આ ઉંમરે ઘણા કામ છોડી દેવાનું વિચારતા હોય છે!

  કેરળના વાયનાડમાં મોટાકકાર ગામમાં લોકોની વાંચનભૂખને સંતોષવા 65વર્ષના રાધામણિ છેલ્લા એક દાયકાથી દરરોજ લોકોના ઘરો સુધી પુસ્તકો પહોંચાડી રહ્યા છે. દર મહિને તેઓ 500 થી 550 ઘરોમાં પુસ્તકો પહોંચાડે છે.

   છેલ્લા વર્લ્ડ-કપ વખતે એક દાદીમાને સ્ટેડિયમમાં ક્રિકેટનો આનંદ માણતા જોઈને આપણને સૌને પણ મજા આવી ગયેલી. આપણી ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની સાથે ખાસ ફોટા પડાવેલા. દિવસો સુધી એ દાદીમા સોસિયલ મીડિયા પર ચમકતા રહેલા. આ બધુ વાંચીને અમારા વિસ્તારના એક બહેન 48 વર્ષની ઉંમરે ગાડી ચલાવતા શીખી ગયા.

   અમુક ઉંમર બાદ કશું નવું નથી થઈ શકતું એવું જે લોકો માને છે, તેઓ માટે આવા કિસ્સાઓ નવી આશાઓ અને ઉમંગો લઈને આવે છે, બસ આપણને એ ઉત્સાહ ઝીલતા આવડવું જોઈએ. આપણે ઘણીવાર અમુક ઉંમર બાદ જીવવાનું જ છોડી દેતાં હોઈએ છીએ. અમુક ઉંમર બાદ નવા વિચારોને આપણે આપણી અંદર આવવા જ દેતાં હોતા નથી. સજજડ રીતે મનની બારીઓને બંધ કરીને આપણે જાણે કે જીવવાનું જ છોડી દેતાં હોઈએ છીએ. હકીકત તો એ છે કે અમુક ઉંમર બાદ જીવન અણગમતું જ એટલે લાગે છે કે આપણે ગમતું કરવાનું જ છોડી દેતાં હોઈએ છીએ. જિંદગીને ઉંમરના દાયરામાં બાંધીને આપણે પણ બંધિયાર થઈ જતાં હોઈએ છીએ.

 બંધિયાર પાણી જેમ પોતાની શુદ્ધતા ગુમાવી બેસે છે, એવી જ રીતે બંધિયાર જીવન પોતાનું સત્વ ગુમાવી દેતું હોય છે. આપણે ત્યાં તો અમુક ઉંમર બાદ એક લિસ્ટ પકડાવી દેવામાં આવે છે, જેમાં આમ કરાય અને આમ ના કરાયના લાંબા લચ્ચક નિયમો પકડાવી દેવામાં આવે છે. અને એ નિયમાવલી ખુલ્લા મને જીવવા માંગતા લોકોને જીવવા જ દેતી નથી. જિંદગીના જોશને ઉંમરના વધારા સાથે કોઈ લેવા દેવા નથી. માટે જેઓ કોઈપણ ઉંમરે કશું નવું શીખવા માંગે છે, તેમણે મનના દરવાજા કાયમ માટે ખુલ્લા રાખવા.

   વધતી ઉંમરની અસ્મિતા હોય છે, જિંદગીના અનુભવોનું ભાથું સાથે હોય છે. અને એમાં કશું નવું શીખવા મળે, એનાથી વધુ સારું શું હોઇ શકે! હકીકત તો એ છે કે આપણે જિંદગીને જીવવાનું છોડી દઈએ છીએ એટલે એ કંટાળાજનક લાગતી રહે છે. જો આજીવન વિદ્યાર્થી બની સતત કઈક નવું શિખતા રહીશું તો જિંદગી અનહદ આનંદ આપનારી બની રહેશે.

      ઘણા લોકો નાની ઉંમરે ઘરડા થઈ જતાં હોય છે, તેઓ કશું નવું શિખતા જ નથી. હકીકત તો એ છે કે જે લોકો એવું માને છે કે મને બધુ આવડે છે અને હવે મારે નવું કશું શીખવાની જરૂર નથી, તેઓ પણ આવા ઘરડા લોકોની યાદીમાં આવી જતાં હોય છે. આપણું મન જેટલું યુવાન એટલા આપણે જીવંત! લોકો શું કહેશે? હવે આ ઉંમરે, એ નકારાત્મક વિચારને આપણાથી એટલો દૂર કરી દઈએ કે એ આપણને ક્યારેય જીવતા ના અટકાવી શકે.

  આપણે મોટી ઉંમરે અધૂરા શોખોને પૂરા કરતાં હોય એવા કેટલાયે ઉદાહરણો જોઈએ છીએ, પણ તેને અનુભવવાનું ભૂલી જતાં હોઈએ છીએ. આપણી આસપાસ ઉંમરનું એવું વર્તુળ રચાઇ જતું હોય છે કે આપણે નક્કી કરીએ છીએ પણ એ વર્તુળમાથી બહાર આવી શકતા નથી. અરે આપણે આપણાં શોખોને, આવડતોને એવી અભેરાઈએ ચડાવી દેતાં હોઈએ છીએ જેના પર સમયની રજ ચડી જતી હોય છે. આપણે એ રજને ખંખેરવાની કોશિશ પણ વધતી ઉંમરે છોડી દેતાં હોઈએ છીએ.

  આપણી અંદરનું જીવન આપણને દરેક ઉંમરે બળ આપતું રહે છે, પણ આપણે તેનો અવાજ પણ સાંભળતા હોતા નથી. આપણે એવું જ માની લઈએ છીએ કે હવે આ ઉંમરે આ કામ મારાથી શરૂ નહી થઈ શકે. વધતી ઉંમર સાથે મન જ એવું ઓર્ગન છે, જે નબળું પડતું નથી, પણ આપણાં વિચારો જ નબળા પડી જતાં હોય છે. આપણે ખુદને જ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોઈએ છીએ. ઉંમરના કોઈપણ પડાવને ક્યારેય અર્થ વગરનો ના સમજવો.

  અમે તમારા જેવડા હતા, ત્યારે આ કરતાં ને તે કરતાં એવું આપણે મોટી ઉંમરના લોકો પાસે સાંભળતા હોઈએ છીએ, તો હવે શું થઈ ગયું? એવું બાળકો અને યુવાનો પુંછે ત્યારે એવો જવાબ આવે છે, હવે અમારી ઉંમર થઈ ગઈ. હવે આ બધુ ના થઈ શકે, પણ એક વાત યાદ રાખીએ, જેઓ ઉંમરને સાઈડ પર રાખી સતત કઈક નવું શિખતા રહે છે, તેઓ જ ઈશ્વરે આપેલા જીવનને શ્રદ્ધાપૂર્વર્ક જીવી શકે છે. કારણકે આપણે જીવવાનું તો છેક છેલ્લા શ્વાસ સુધી!


Thursday 9 June 2022

ઓનલાઈન ગેમ્સ, યંગ ગનરેશન અને બાળકો પોતાની જાત પર કાબૂ ગુમાવી રહ્યા છે!!!

 

 

 

 

ઓનલાઈન ગેમ્સ, યંગ ગનરેશન અને બાળકો પોતાની જાત પર કાબૂ ગુમાવી રહ્યા છે!!!

Negative Effects of Online Games to students | Stay Informed Group 

 આજે છાપામાં ઉતર-પ્રદેશનો કિસ્સો વાંચ્યો, લખનઉમાં એક પુત્રએ પોતાની માતાને ગોળી મારી મૃત્યુને શરણ કરી દીધી. કારણકે એ માતાએ તેને ઓનલાઈન પબજી ગેમ રમવાની ના પાડી દીધી! એ લાશને તેણે ત્રણ દિવસ સુધી છુપાવી પણ રાખી! તેની નાની બહેનને કશું ના બોલવા ધમકાવ્યે રાખી! અને પછી એક ખોટી વાર્તા બનાવી પિતાજીને ફોન કર્યો કે એક ઇલેકિટ્રેશિયને અમને બંનેને અંદર પૂરી દઈ માતાને મારી નાખી! દરેક વાક્યે વાક્યે આશ્ચર્ય ચિહ્ન! ઓનલાઈન ગેમ હજી તો આવા ઘણા આશ્ચર્યો આપણી સામે લાવશે!

    સુરતની ગ્રીષ્માના કેસના ચુકાદા સમયે પણ કોર્ટે કહ્યું હતું કે યુવાનોને અને યુવતીઓને ઓનલાઇન ગેમ્સથી દૂર રાખો. આ ઝેર સમાજમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તો ઘણીવાર શાળાઓમાં ગેમ્સની ઘેલછાને લીધે વિદ્યાર્થી ભણવાનું પણ છોડી રહ્યા છે.  શેરીમાં, ગલીઓમાં, ઘરના ઓટલે બેઠા બેઠા, ઘરમાં ઓરડામાં પુરાઈને, નિશાળે ફ્રી તાસ કે રીસેસ દરમિયાન બાળકો ધૂળમાં રગદોળાવાને બદલે ઓનલાઈન ગેમ્સમાં ખૂંપીને પોતાનું જીવન રગદોળી રહ્યા છે.

     ઓનલાઈન ગેમ રમતા સમયે તેઓ એટલા મશગુલ હોય છે કે કોઈ બોલાવી રહ્યું છે, ઘરમાં કોઈ મળવા આવ્યું છે, સગા-સંબંધી ઘરે આવ્યા છે, એ પણ તેઓના ધ્યાનમાં રહેતું નથી. ઘરના સભ્યો સાથે પણ તેઓ બેસીને શાંતિથી વાત કરતાં હોતા નથી. ઘણી જગ્યાએ તો સામુહિક ગેમ-ઝોન ચાલતો હોય છે, જેમાં લાઇનમાં બધા એકસાથે બેસીને ગેમ્સ રમતા હોય છે. એક-બીજા સાથે કોમ્યુનિકેશન કરવાને બદલે તેઓ મોબાઇલની સ્ક્રીનમાં જ ચોંટેલા રહે છે. અને ઘણીવાર એમાં થતી હાર-જીત મારપીટનું અને ઝઘડાનું કારણ બની રહે છે.

    ઓનલાઈન ગેમ્સ તમામ ઉંમરના લોકોના સ્વાસ્થયને નુકસાન પહોંચાડી રહી છે. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને તે નબળા પાડી રહી છે. આંખને થતું નુકસાન આપણે સૌ જોઈ જ રહ્યા છીએ, એકધાર્યા બેસી રહેવાને લીધે તે કમર અને પગના દુખાવાનું કારણ બની રહી છે. અહી બાળકોને કે યુવાનોને શારીરિક કોઈ જ હલનચલન ના કરવાનું હોવાથી તેઓ એકદમ આળસુ બની રહ્યા છે. સતત સ્ક્રીન સામે રહેવાને લીધે ઘણાને નાની ઉંમરથી જ માઈગ્રેન અને માથાનો દૂ:ખાવો થઈ રહ્યો છે. તો ઘણાને સ્નાયુઓનો દુખાવો થઈ રહ્યો છે. તો વળી ઘણા યુવાનો અને યુવતીઓ આ ગેમ્સની ઘેલછામાં આખી આખી રાતના ઉજાગરા કરતાં રહે છે, જેને લીધે તેઓના શરીર અને મનને જે પોષણ મળવું જોઈએ તેની તરફ પણ જાગૃત નથી રહેતા.

   આ ગેમ્સને લીધે બાળકો અને યુવાનોનું માનસિક સ્વાસ્થય પણ બગડી રહ્યું છે. અને એ તો શારીરિક નુકસાન કરતાં પણ વધુ ખતરનાક કક્ષાએ પહોંચી રહ્યું છે! ગુસ્સો,ચીડિયાપણું, હિંસકતા,એકલતા, હતાશા, નિરાશા આ આદતની દેન છે. આ આદતને લીધે યુવાનો પોતાની જાત પરનો પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે. ઉપરના બંને કિસ્સા તેના જ ઉદાહરણો છે! તેઓને આ ગેમ્સથી દૂર રાખનાર લોકો પોતાના દુશ્મન લાગે છે!

       વળી આ આદતને લીધે તેઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે. ગેમ્સની ઘેલછાને લીધે તેઓનું ધ્યાન શિક્ષણ તરફ રહેતુ જ નથી. શિક્ષણમાં એકાગ્રતાના પ્રશ્નો ઊભા થતાં રહે છે. ઘણા હોશિયાર વિદ્યાર્થીઑ આ આદતને લીધે પોતાનું કરિયાર બગાડી રહ્યા છે. તો ઘણી ગેમ્સનું કન્ટેન્ટ પણ સારું નથી હોતું. જે યુવાનોમાં થતાં સાંવેગિક ફેરફારોને ગલત દિશામાં લઈ જઇ રહ્યા છે. આ એક એવું વ્યસન છે, જે આપણી ભાવિ પેઢીને ઊધઈની જેમ અંદરથી કોરી રહ્યું છે. ખોખલું કરી રહ્યું છે.

   એક આંકડા મુજબ આપણાં દેશમાં 360 મિલિયન્સ ઓનલાઈન ગેમ યુઝર્સ છે. આ સંખ્યામાં દુનિયાના કોઈપણ દેશ કરતાં વધુ ઝડપે વધારો થઈ રહ્યો છે!  2021 ના રીપોર્ટ મુજબ આપણાં દેશમાં ઓનલાઈન ગેમ્સનું 101 બિલિયનનું બજાર છે. આ બજારમાં આપણાં યુવાનો ખર્ચાઈ રહ્યા છે. માતા-પિતા પાસે બાળઉછેરનો સમય નથી. અને તેઓ જાણ્યે-અજાણ્યે પોતાના સંતાનોને આ ગલત આદત તરફ વાળી રહ્યા છે. જે સંતાનો માટે તેઓ આટલી બધી મહેનત કરે છે,એ સંતાનો આવી ગંદી આદતના ગુલામ બનીને ગુમરાહ થઈ રહ્યા છે. તેઓને સાચા માર્ગે વાળવા આપણે સૌએ કઈક ઠોસ કદમ લેવું રહ્યું.

    આપણી ભાવિ પેઢીની શારીરિક અને માનસિક શક્તિઓને આ ઓનલાઈન ગેમ્સ ગ્રહણ લગાડી રહી છે. હવે એ લોકોને એ અંધકારમાથી પ્રકાશ તરફ આપણે જ વાળવા રહ્યા. પાસે બેસીને તેઓને સમજાવીએ કે આ સ્ક્રીનની બહાર પણ એક દુનિયા છે. તેઓને સમજાવીએ કે કેવી રીતે આ આદત તેઓને શારીરિક,માનસિક અને સાંવેગિક નુકસાન પહોંચાડી રહી છે. તેઓની લાગણીઓને સમજવાનો સમય કાઢીએ અને તેઓ માટે સમય કાઢીએ. ભટકી ગયેલા સંતાનોને સાચા માર્ગે માતા-પિતા જ વાળી શકે છે.


Sunday 5 June 2022

મજૂરોના મૃત્યુનું મૂલ્ય કેટલું? બસ રાહત પેકેજ જેટલું!!!

 

મજૂરોના મૃત્યુનું  મૂલ્ય કેટલું? બસ રાહત પેકેજ જેટલું!!!

At least 6,500 employees died on duty at factories, mines | Mint 

      હમણાં થોડા દિવસ પહેલા હળવદની મીઠાની ફેક્ટરીમા દીવાલ પડી જતાં 12 જેટલા મજૂરો મૃત્યુ પામ્યા. મૃત્યુ પામેલા મજૂરોના કુટુંબો માટે રાહત પેકેજની પણ જાહેરાત થઈ ગઈ. 15-20 દિવસ થઈ ગયા છે અને બોર્ડના પરિણામની ઋતુમાં આપણે સૌ એ દુર્ઘટનાને ભૂલી પણ ગયા છીએ. આમ પણ આપણી યાદશક્તિ કમજોર છે, એટલે ઘણી આવી સંવેદનશીલ ઘટનાઓ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. મૃત્યુ પામેલી વ્યક્તિની ખોટ કોઈ રાહત-પેકેજ પૂરી શકે ખરી?

     કોની બેદરકારીને લીધે આવું થયું? એની ચર્ચાઓ પણ થોડા દિવસ સુધી ચાલી, પણ હવે આપણે એ ઘટનાને સાવ જ ભૂલી ગયા છીએ. એ ઘટના કાયમ માટે યાદ રહેશે એ ઘરોને, એ કુટુંબોને જેમણે કોઇની બેદરકારીને લીધે એક જીવંત વ્યક્તિને ગુમાવી દીધી છે. એ વ્યક્તિ જે રોજ સાંજે ઘરે પાછી આવતી હતી, એ હવે કદી નહી આવી શકે. તેઓ પર નભતા કુટુંબો કોઇની બેદરકારીને લીધે કાયમ માટે અનાથ થઈ ગયા.

   મજૂરો એ વિકાસશીલ ભારતની આધારશિલાઓ છે. કોઈપણ ક્ષેત્રે કામ કરતી એવી વ્યક્તિઓ છે, જેના વગર એ ક્ષેત્ર મજબૂત થઈ જ ના શકે. રોજી-રોટી માટે પોતાના કુટુંબોને છોડીને આવતા મજૂરો કેટલા છે? તેનો આંકડો આપણને કોરોના કાળની હિજરતે આપી દીધો છે. કોઈપણ ક્ષેત્રમાં સૌથી વધુ કામ આ લોકો કરે છે અને સૌથી ઓછું વેતન તેઓ મેળવે છે. આ મજબૂત આધાર પોતે પાયાની સુવિધાઓને અભાવે નબળો પડતો જાય છે. સખત તાપ, ટાઢ અને વરસાદમાં તેઓ શેકાતા રહે છે. અને સાથે સાથે તેઓના કુટુંબો પણ!

   મશીનોમાં રહેલી ખામીઓની જાણ સુપરવાઈઝરોને અને બીજા સતાધારી લોકોને કરવામાં આવે છે, પણ તેઓ આ બાબતને બહુ ધ્યાનમાં નથી લેતા. તેઓ સમયસર મશીનો રીપેર નથી કરાવતા કે બાંધકામોને મજબૂત નથી કરતાં ને પરિણામે દર વર્ષે ઘણા મજૂરો અલગ અલગ દુર્ઘટનાઓમાં પોતાનો જીવા ગુમાવતાં રહે છે. ઘણા વિકલાંગ પણ થઈ જતાં હોય છે. હકીકત તો એ છે કે આપણાં દેશમાં મોટા ભાગના કારખાનાઓ અને ફેકરીઓમાં મજૂરો માટે કામ કરવા માટે સાનુકુળ વાતાવરણ નથી હોતું. અમુક ધંધાઓમાં તો મજૂરો જીવ હાથમાં લઈને જ કામ કરતાં હોય છે. તેઓ મજૂરોની સલામતી માટે કરવું જોઈએ એના પા ભાગનું પણ રોકાણ કરતાં હોતા નથી!

    એલ.જી. પોલીમર્સ વિશાખાપટનમમાં 7 મજૂરો મૃત્યુ પામેલા, એન.ટી.પી.સી. માં 40 મજૂરો 2017માં મૃત્યુ પામેલા, શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં 43 મજૂરો મૃત્યુ પામેલા, આઈ.ઓ.સી. જયપુરમાં 12 મજૂરો મૃત્યુ પામેલા..... યાદી હજી ઘણી લાંબી છે. કામના સ્થળે મજૂરો માટે સલામતીના કાયદાઓનું ખુલ્લેઆમ કતલેઆમ થાય છે. આવા અકસ્માતો થાય ત્યારે થોડા દિવસો બધા રાડારાડ કરે છે, પણ કશું નક્કર થતું નથી. આવા નાના ધડાકાઓ તો આપણાં કાન સુધી સંભળાતા પણ નથી. જો કે આપણે તો ભોપાલ ગેસ દુર્ઘટના જેવા મોટા ધડાકાઓને પણ સાંભળી શક્યા નથી!

  આપણાં દેશમાં દર વર્ષે 48000 મજૂરો જુદી જુદી આવી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામે છે. આવા ઘાતક અકસ્માતો થાય ત્યારે તેઓને મામૂલી વળતર આપી દેવામાં આવે છે. તેઓ વધુ વળતર માટે અવાજ ના ઉઠાવે તે માટે પોલીસ અને મજૂર ઈન્સ્પેકટર્સ દ્વારા તે લોકોના અવાજને દાબી દેવામાં આવે છે. અહી પણ સૌનો હિસ્સો નક્કી છે! કાયદાઓ છે, પણ તેનું પાલન કરવામાં છટકબારી આવી કંપનીઓ અને ફેક્ટરીઓ શોધી જ લેતી હોય છે. વળી મજૂરોના હક માટે લડવા કોઈ આગળ પણ આવતું નથી.

   2020 ના આંકડા મુજબ ભારતમાં 501 મિલિયન મજૂરો કામ કરે છે, આ બાબતે આપણે ચીન બાદ બીજા સ્થાને છીએ. શ્રમિકો વિના કોઈપણ કાર્યક્ષેત્ર ચાલુ રહી શકે એમ છે જ નહી. તેઓના વેતન બાબતે પણ ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. તેઓનું આર્થિક શોષણ પણ સૌથી વધુ થતું રહે છે. આથી તેઓના કુટુંબોને પૂરતું પોષણ અને બીજી સગવડો મળી શકતી નથી. તેઓના બાળકો વ્યવસ્થિત શિક્ષણ પણ મેળવી શકતા નથી. આર્થિક સંકટને લીધે તેઓ પણ બહુ નાની ઉંમરે કામ પર લાગી જતાં હોય છે. અકસ્માતને લીધે તો મજૂર જે તે સમયે મૃત્યુ પામે છે, પણ આર્થિક શોષણને લીધે તે રોજ રોજ મૃત્યુ પામતો રહે છે!

       આપણને મીણબત્તીઓ પ્રગટાવતા આવડે છે, પણ આવા અકસ્માતોમાં મૃત્યુ પામેલા મજૂરો માટે લડતા આવડતું નથી. ઉપર આપેલા કિસ્સાઓમાથી ક્યાં કિસ્સામાં કોઈને સજા થઈ? જેની બેદરકારીને લીધે આવું થયું તેઓને પકડવામાં આવ્યા કે નહી? અમુક સમય બાદ આપણે એ જાણવાની પણ કોશિશ કરતાં હોતા નથી. રોજ સવારે કુટુંબ માટે કાળી મજૂરી કરવા નીકળી પડતાં આ મજૂરોના હકો માટે લડી શકે એવા વ્યક્તિઓની ખાસ જરૂર છે. મજૂરો પ્રત્યેની આપણી સંવેદનાઓ જગાડવાની ખાસ જરૂર છે.

  લાઈક,કમેંટ,શેર.....

   આપણે જેટલી વસ્તુઓ વાપરીએ છીએ, જે ઘરોમાં રહીએ છીએ, તેની સજાવટમાં પસીનો મજૂરોનો જ લાગેલો છે.

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...