Friday 10 September 2021

જિંદગી,ભૂલો,જરૂરિયાતો, આત્મ-હત્યા...........


 જિંદગી,ભૂલો,જરૂરિયાતો, આત્મ-હત્યા...........

 52 Suicide Quotes Sayings Sayings Point

જિંદગીને મૃત્યુના હવાલે કરવી પડે, એટલે કે આત્મ-હત્યા સુધી કોણ લઈ જતું હોય છે? આપણે રોજ છાપામાં આત્મ-હત્યાના સમાચારો વાંચીએ છીએ, થોડીવાર દૂ:ખ પ્રગટ કરીએ છીએ અને રૂટિનમા જોડાઈ જતાં હોઈએ છીએ. કોઈ જાણીતું હોય તો તેના કારણો જાણવાની કોશિશ કરીએ છીએ, અને પછી રૂટિનમા જોડાય જતાં હોઈએ છીએ. દર વર્ષે સરકાર આત્મ-હત્યાને લગતા આંકડાઓ પણ રજૂ કરે છે. દર વર્ષે 10મી સપ્ટેમ્બરનો દિવસ world suicide prevention day’ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. આત્મ-હત્યાના કારણો જાણી ક્યારેક આપણને આશ્ચર્ય થતું હોય છે, કે આવા કારણોસર પણ લોકો ખુદને મૃત્યુ-દંડ આપતા હોય છે. તો વળી ક્યારેક અરેરાટી પણ થાય છે કે લોકો અભાવથી કંટાળી જઇ આપઘાત કરી લેતા હોય છે. તો વળી કોઈ હતાશા, નિરાશામાં ગરકાવ થઈ કે કોઈ શિક્ષણ કે સંબંધમાં નિષ્ફળ જવાથી મૃત્યુને શરણ થઈ જતાં હોય છે! ( જો કે ગલત રસ્તે ના જવાના આપણાં આત્માના સિગ્નલને અવગણીને આપણે રોજ થોડી થોડી આત્મ-હત્યા તો કરતાં જ રહેતા હોઈએ છીએ! પણ એ વાત પછી ક્યારેક)

  હા તો આપણાં મૂળ સવાલ પર પાછા આવીએ, જિંદગીને આત્મ-હત્યાના રવાડે કોણ ચડાવતું હોય છે? જેઓ ખુદ સાથે સંવાદ નથી કરતાં હોતા તેઓ જલ્દીથી આ રસ્તે વળી જતાં હોય છે. જેઓ ખુદનું નિરીક્ષણ નથી કરતાં હોતા, તેઓ પણ આ ગલીએ આવી લાઇનમાં ઊભા રહી જતાં હોય છે!  હસતી ખેલતી જીવંત જિંદગીને આ રસ્તે લઈ જનારા બે માઈલસ્ટોન્સ છે, ભૂલો અને જરૂરિયાતો! ના સમજાયું ચાલો સમજીએ.

     આપણે વ્યક્તિએ કરેલી ભૂલોને સુધારવાને બદલે તેઓની ભૂલો બદલ તેઓને સતત ગિલ્ટ ફીલ કરાવતા રહીએ છીએ. આપણું સંતાન કોઈ મોટી ભૂલ કરી બેસે તો આપણે તે ભૂલોને ભૂલી જઇ તેઓને સારા રસ્તે વાળવાને બદલે કોઈ એવી સજા કે દંડ આપી દઈએ છીએ કે તેઓ આપઘાત તરફ વળી જતાં હોય છે. સંતાનમાં પણ ખાસ કરીને દીકરીઓ કોઈ ભૂલો કરી બેસે તો આપણે તેઓને અપનાવવાને બદલે તેઓના પાછા ફરવાના દરવાજા બંધ કરીને બેસી જતાં હોઈએ છીએ. અને પછી તેઓ માટે આત્મ-હત્યા સિવાય કોઈ દરવાજો ખુલ્લો નથી તેવું આપણે ફીલ કરાવી દેતાં હોઈએ છીએ! ( જો કે કેટલાક માતા-પિતા પોતાની દીકરીઓને ભૂલો બદલ ખુદ મૃત્યુના હવાલે કરી આત્મ-હત્યાના નામે એ મૃત્યુ કરી દેતાં હોય છે! પણ એ વાત પછી કયારેક)

     ભૂલો શું જીવન કરતાં પણ મોટી હોય છે? આ સવાલ દરેક વ્યક્તિએ ખુદને પૂછી લેવાની જરૂર છે. અને આપણને જવાબ મળશે ના..... જિંદગી એવડું મોટું ઈર-રેજર લઈને ફરતી હોય છે કે ગમે તેવડી ભૂલો પણ ભૂંસી શકાતી હોય છે. તેના કી-બોર્ડ પર બેક-સ્પેસની સ્વીચ છે, તેનો ઉપયોગ કરીએ અને સંબંધોમાં થઈ ગયેલી ભૂલોને દૂર કરતાં રહીએ, એના માટે જિંદગીથી દૂર થઈ જવાની જરાયે જરૂર નથી. આપણાથી ભૂલો થઈ જાય તો પણ આ વાત યાદ રાખીએ અને બીજા કોઇથી થઈ જાય તો પણ યાદ રાખીએ.

      વળી કેટલાક માતા-પિતા શિક્ષણનો એટલો બધો ભાર સંતાનો પર નાખી દેતાં હોય છે કે શિક્ષણમાં નિષ્ફળતા મળે એટલે સંતાનો આત્મ-હત્યા કરી લેતા હોય છે. તેઓ માટે સંતાનોના જીવન કરતાં પણ તેઓનું સ્ટેટસ ઊંચું હોય છે! છીછોરે મુવીમાં હીરો સરસ ડાયલોગ બોલે છે, “આપણે આપણાં સંતાનોને સફળ થઈશ તો શું કરીશું? એ સમજાવીએ છીએ, પણ નિષ્ફળતા મળે તો શું કરવું એ સમજાવતા નથી હોતા!” અને એ નિષ્ફળતા જ એક દિવસ તેઓના આપઘાતનું કારણ બની રહે છે. અરે યાર શિક્ષણ તો જીવન જીવતા શીખવે છે, એ શિક્ષણના ભાર હેઠળ જિંદગી કચડાઈ જાય તો જવાબદાર કોણ? શિક્ષણને સફળતા કે નિષ્ફળતા સાથે જોડી દેવાની આપણી ભૂલ કે કોઈ બીજું? આપણાં સંતાનો એ આપણી અપેક્ષાઓ સંતોષવાની ગેરંટી કે વોરંટી નથી હોતા, તેઑ તો આપણી આશાઓના દિપક હોય છે, જેને સ્વયં પ્રગટવાની સ્વ-તંત્રતા આપતા રહીએ.

  તેઓને ભૂલો કરવા દઈ ઠોકર ખાવા દઇશું તો તેઓ આપોઆપ જિંદગીના રસ્તાઓ પર ચાલતા અને આગળ વધતાં શીખી જશે. ભૂલો કરો તમતમારે અમે તમારી પડખે ઊભા છીએ, એ આધાર તેઓને કદી આપઘાતનો આધાર લેવા મજબૂર નહી કરે. ટીન-એજના આકર્ષણથી તેઓ ભૂલ કરી બેસે તો પણ તેઓનો સહારો બનીએ.

     આપઘાત તરફ લઈ જતો બીજો માઈલ-સ્ટોન છે, જરૂરિયાતોની અનંતતા! આજે આપણે સૌ જરૂરિયાતોના ઢગલા નીચે દબાઈ ગયા છીએ. આપણું જીવન અને જીવંતતા આપણે બજારના હવાલે કરી દીધી છે. આપણી ખુશીઓનું સરનામું જરૂરિયાતોના લીસ્ટમાં ક્યાક ખોવાય ગયું છે. બજાર વસ્તુઓથી ઉભરાઇ રહ્યું છે અને આપણે સૌ જરૂરિયાતોથી છલકાય ગયા છીએ. આપણે જરૂરિયાતો સાથે એટેચ થતાં રહીએ છીએ અને દૂ:ખને આમંત્રણ આપતા રહીએ છીએ.

 એ જરૂરિયાતો પૂરી કરવા આપણે ક્યાક ભટકી જતાં હોઈએ છીએ અને એ રખડપટ્ટી જ આપણને આત્મ-હત્યા તરફ લઈ જતી હોય છે! ઇવન આપણે જરૂરિયાતોની પૂર્તિ માટે જ જાણે અમુક સંબંધો બાંધતા હોઈએ એવું થઈ ગયું છે અને અંતે એ સંબંધો જ આપણને આત્મ-હત્યા તરફ લઈ જતાં હોય છે. માણસ તરીકે આપણે સૌએ જરૂરિયાતોનું પોટલું છોડી નાખવાની જરૂર છે, પણ આપણે એવું કરતાં નથી હોતા. અને જરૂરિયાતો પૂરી કરવા ગલત સંબંધ તરફ વળી જતાં હોઈએ છીએ.

 જરૂરિયાતોની પૂર્તિને જ આપણે જીવનનું લક્ષ્ય માની લીધું છે અને પરિણામે આપણે એવા ખોવાય જતા હોઈએ છીએ કે જિંદગી આપણને શોધે છે, પણ આપણે ઝડતા હોતા નથી! અરે યાર જરૂરિયાતો પૂરી કર્યા વિના પણ મોજથી જીવી શકાતું હોય છે, એ આપણે સૌએ જાણી લેવાની જરૂર છે.

  જરૂરિયાતો પૂરી કરવાની રેસમાં આપણે દોડતા રહીએ છીએ અને એ રેસ આપણને ગલત ડેસ્ટિનેશન સુધી લઈ જતી હોય છે. એ રેસ જીતવાની લ્હાયમાં આપણે એવા એવા રસ્તાઓ પસંદ કરી લેતા હોઈએ છીએ કે એ રસ્તાઓ જ આપણને આત્મહત્યા સુધી લઈ જતાં હોય છે! શાળાઓમાં કે કોલેજોમાં આજે છોકરાઓ અને છોકરીઓ આ જ કરી રહ્યા છે. એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા તેઓ સંબંધો બાંધતા રહે છે અને બ્રેક-આપ કરતાં રહે છે. ચોકલેટ, ગિફ્ટ્સ, ડેઝ વગેરેમાં બંધનો ટાઈટ થતાં જાય છે અને પછી એ બંધનો જ ગાળીયા બની આપણને જિંદગી ખતમ કરવા તરફ દોરી જતાં હોય છે.

 સોસિયલ મીડિયાથી શરૂ થયેલા સંબંધો લાઈક,કમેંટ્સના ચક્કરમાં એવા ફસાય જતાં હોય છે કે પછી ખુલ્લેઆમ શેર થતાં હોય છે અને એ શેરિંગ વાયરલ બની આપણને ગૂંચવી અને મૂંઝવી દેતું હોય છે! માટે જરૂરિયાતોના ચક્કરમાં બહુ ના પડવું. સાથે સાથે માતા-પિતા એ પણ યાદ રાખે દીકરા ને દીકરીઓની જરૂરિયાતો સમાન રીતે પૂરી કરે, જેથી દીકરીઓ જરૂરિયાતો પૂરી કરવાના મોહમાં કોઈ પ્રત્યે એટલી આકર્ષિત ના થઈ જાય કે એ આકર્ષણ જ તેઓને આત્મ-હત્યા તરફ લઈ જાય! જરૂરિયાતો જ આર્થિક ભીંસ તરફ લઈ જતી હોય છે.

   કોઈપણ ભૂલનો ઉકેલ હોય જ છે, માટે ભૂલ થઈ જાય તો એને સુધારી લેવી, અને જરૂરિયાતો એના ક્રમમા આપણી ક્ષમતા મુજબ પૂરી થતી જ હોય છે, માટે ઉતાવળ ના કરવી.કોઈપણ સામાજિક કે આર્થિક ભૂલો એવડી વિશાળ નથી હોતી કે જિંદગીના પરિઘને ટૂંકો કરી શકે!

  ભૂલો કે જરૂરિયાતોનો અભાવ ક્યારેય આપણને હતાશ કે નિરાશ ના કરે એ માટે હમેંશા એક વાત યાદ રાખીએ, " દરેક પાનખરને તેની વસંત હોય છે." સાચા સંબંધો જ એ છે જે આપણને જીવતા અને જીવંત રહેતા શીખવે. સંબંધોમાં પડેલી ગૂંચો ઉકેલી શકાય છે અને જો ના ઉકેલી શકાય તો એ ગુંચને આપણે કાપી શકીએ છીએ. એના માટે જીંદગીની ડોરને કાપવાની જરાયે જરૂર નથી. 


Understanding the suicidal mind and how you can help - Times of India

 

 

 

 

 

 

Wednesday 8 September 2021

શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!!!

 

       શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!!!

 Burned out: why are so many teachers quitting or off sick with stress? |  Teaching | The Guardian

  કોઈ સંશોધક કોઈ સંશોધન પાછળ વર્ષો વિતાવી દેતો હોય છે, તે પોતાના સંશોધન માટે અનેક જાતના પ્રયોગો કરતાં હોય છે. પ્રયોગોને અંતે તે કોઈ તારણ પર આવે છે અને દુનિયાને કોઈ નવી વસ્તુ મળે છે. પણ આપણાં દેશમાં એક સ્થાન એવું છે. જ્યાં સતત પ્રયોગો થતાં રહે છે, જેના અંતે કોઈ નવી વસ્તુ કે વિચાર નહી, પણ પરીપત્રો મળતા રહે છે, ને નવા નવા કામો પ્રયોગપાત્રોને મળતાં રહે છે. કોઈ કહી શકશે ક્યૂ છે તે સ્થાન?

 એક આચાર્ય આજે શાળામાં પ્રવેશે છે, પોતાનો ઇ-મેલ ચેક કરે છે, અને પરિપત્રોનો ઢગલો ખડકેલો જોવા મળે છે. એને બીજું કશું સર્ચ કરવાનું જ રહેતું નથી. આમાં જ સમય જતો રહે છે. એ શિક્ષકોને જાણ કરે છે, આજે આ કાર્યક્રમ કરવાનો છે, આજે આ ઓનલાઈન તાલીમ લેવાની છે, શિક્ષક જવાબ આપે છે, સાહેબ મારો લેકચર છે, આચાર્યને ના છૂટકે ક્લાસ પડતો મુકાવી શિક્ષકોને કા તો કાર્યક્રમોમાં અથવા તો ઓનલાઈન તાલીમમાં જોડવાનું કહેવું પડે એમ છે. આ પરીપત્રો શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવવા જ દેતાં નથી. શું આવા કાર્યક્રમો વારંવાર કરવાથી કે વારંવાર ઓનલાઈન તાલીમ આપતા રહેવાથી પ્રાથમિક,માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણનું સ્તર ઊંચુ આવી જશે?

આજે કોઈપણ આચાર્ય કે શિક્ષક શાળાઓમાં કે મહાશાળાઓમાં પગ મૂકે એ પહેલા તો કોઈ નવા પરિપત્રએ પગ મૂકી દીધો હોય છે. રોજ નવા પરિપત્રો અને રોજ નવા કાર્યક્રમોએ વર્ગખંડ શિક્ષણને હાંસિયામાં ધકેલી દીધું છે. શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!

 વળી આ પરીપત્રો એટલા ગતિશીલ હોય છે કે બદલાતા જ રહે છે. ક્યારે ક્યો પરિપત્ર બદલાય એ ભવિષ્યવાણી તો ભલભલા જ્યોતીષો પણ ના કરી શકે! આપણું શિક્ષણ જાણે પરિપત્રોને આધીન થઈ ગયું છે. શિક્ષકોને બીજા કામોમાં એટલા રોકી દેવામાં આવે છે કે તેઓને પોતાના વર્ગમાં ભણાવવા માટે પૂરતો સમય જ મળતો નથી! જેમ આજના વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની જાળમાં ફસાય ગયા છે, એમ શિક્ષકો પરીપત્રો, કાર્યક્રમો અને ઓનલાઈન તાલીમની જાળમાં ફસાય ગયા છે!

  વિદ્યાર્થીઓ કહેતા થઈ ગયા છે, કુછ દિન તો ગુજારો ક્લાસમે’. શિક્ષકોનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું છે, એ જ ભૂલાય ગયું છે. વિદ્યાર્થીઑ અને શિક્ષકોને એકલા મૂકી દેવાની જરૂર છે. શિક્ષણના આ બે ધ્રુવો વચ્ચે એટલા બધા પરિબળો આવી ગયા છે કે તેઓ એકબીજાને સમજી શકે એટલો સમય જ મળતો નથી. શિક્ષણ હવે વિદ્યાર્થીકેન્દ્રી નહી, પણ કાર્યક્રમો કેન્દ્રિત બની ગયું છે. રોજ દિવસ ઊગે ને શિક્ષકોને ચોંકાવી દેનાર જાહેરાતો થતી રહે છે. આ બધા કાર્યક્રમો વચ્ચે ક્યારેક સમય મળે તો શિક્ષક પોતાના વર્ગમાં ભણાવવા જતાં હોય છે!

   પ્રાથમિક શિક્ષણ નબળું રહી જાય છે, તેનો સંપૂર્ણ દોષ શિક્ષકો પર ઢોળી દેવામાં આવે છે. શિક્ષકો ભણાવતા જ નથી એવું કહી આ બધી જવાબદારી શિક્ષકો પર જ નાખી દેવામાં આવે છે. પણ જરા નજર કરો સરકારી શાળાઓ અને શિક્ષકો તરફ યાર, બધા શિક્ષકો એવા નથી હોતા. શિક્ષકો અથાક મહેનત કરતાં હોય છે. પણ કોઈનું ધ્યાન એ તરફ ભાગ્યે જ જાય છે. સરકારને પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત બનાવવું જ હોય તો ઘણું થઈ શકે એમ છે.

   ખાનગી અને સરકારી શાળા માટે અલગ અલગ નિયમો શા માટે? શું કોઈને નથી ખબર કે ખાનગી શાળાઓમાં કેવી લાયકાતવાળા શિક્ષકો બાળકોને ભણાવતા હોય છે? સરકારી શાળાના શિક્ષકો બનવા જેટલી ડીગ્રીઓ અને લાયકાતો જોઈએ છીએ, એની પા ભાગની પણ ખાનગી શાળાઓના શિક્ષકો માટે જરૂરી નથી રહી. ધોરણ 10 કે 12 પાસ કે નાપાસ કે નાસીપાસ થયેલા શિક્ષકો ખાનગી શાળાઓમાં ભણાવતા હોય છે! આજે વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો ખાનગી શાળાઓમા ભણવા જતો હોય છે. તેઓ એવા શિક્ષકો પાસે ભણે છે, જેઓને શિક્ષણ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો નથી!

   જેટલા અને જે નિયમો આપણે સરકારી શાળાઓ માટે ઘડીએ છીએ એ નિયમો ખાનગી શાળાઓ માટે પણ હોવા જોઈએ. બધા પરીપત્રો, કાર્યક્રમો, તાલીમો તેઓને પણ લાગુ પાડવી જોઈએ ને?

  શિક્ષકોના અનેક સ્વરૂપો આપણી સરકાર દ્વારા નક્કી થયેલા છે! ક્યાક એ બી.એલ.ઑ. છે, તો ક્યાક એ ચૂંટણીમાં કામ કરનાર અધિકારી છે, ક્યાક એ વસ્તી-ગણતરી કરનાર છે, તો ક્યાક એ આરોગ્ય ખાતાનો અધિકારી છે, તો વળી ક્યાક એ સર્વે કરનાર અધિકારી છે! ક્યાક એ કોરોના થયો હોય એવા ઘરનો ચોકીદાર છે, તો ક્યાક એ શાળાનો ક્લાર્ક છે, ક્યાક એ તીડના ટોળાં ઉડાડે છે, તો ક્યાક એ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ચણાની નોંધ રાખનાર કર્મચારી છે! હજી તો ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં શિક્ષકોના નવા નવા સ્વરૂપો પ્રગટ થતાં રહે છે, કોણ પ્રગટ કરશે એમ? જસ્ટ વેઇટ એન્ડ વોચ! આમાં ક્યાય શિક્ષણ નો પણ દેખાય તો....  

    તમારે નવા નવા પ્રયોગો જ કરવા છે, તો સૌથી મોટો પ્રયોગ કરો, શિક્ષકોને આ બધી કામગીરીમાથી મુક્ત કરી માત્ર ને માત્ર શિક્ષણનો વાહક બનાવો. તેઓને તેઓનું મૂળ કામ કરવા દઇશું તો શિક્ષણનું સ્તર ખરેખર ઊંચું લાવી શકીશું. જો શિક્ષકને પોતાના પદ અને કાર્યથી સંતોષ મળશે તો એ આપોઆપ વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું 100% આપી શકશે. તેને સતત ક્યાક ને ક્યાક બંધાયેલા રાખીશું તો શિક્ષણની ગુણવત્તા હજી નીચે જશે અને જશે જ!

  વળી કેટલોક વર્ગ એવો છે, જેને શિક્ષકોના પગારની ગણતરીમા જ રસ હોય છે! તેઓ શિક્ષકોના પગાર ગણવા એક કેલ્ક્યુલેટર સાથે જ રાખતા હોય છે. હકીકતમાં તો તેઓને પોતાની કમાણી કરતાં પણ શિક્ષકોની કમાણીમાં વધુ રસ હોય છે. આટલો પગાર અને આટલું જ કામ? એ તેઓ માટે રાષ્ટ્રીય પ્રશ્ન હોય છે! પણ શિક્ષણ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું કાર્ય છે. એકધારું ત્રણ-ચાર કલાક ભણાવી જો જો... શિક્ષક તો ભણાવી દેશે પણ વિદ્યાર્થી એકસાથે આટલું બધુ સમજી શકશે? માનસિક શ્રમ સાથે જોડાયેલું પ્રત્યેક કાર્ય વચ્ચે વચ્ચે વિરામ માંગતુ હોય છે. શિક્ષકોને કોઈ મશીન સાથે કામ નથી લેવાનું હોતું, જીવંત બાળકો સાથે કામ કરવાનું હોય છે. એ સૌએ સમજી લેવાની જરૂર છે.

  એ બાળકો સાથે રહી શિક્ષકો વધુ ને વધુ પ્રયોગો કરી શકે એ માટે તેઓને વર્ગ નામની પ્રયોગશાળામાં રહેવા દઈએ. જેઓ ખરેખર કામ નથી કરતાં તેઓને શાળામાથી કાયમ દૂર કરી દઈએ, પણ જેઓ કામ કરે છે, તેઓને વારંવાર જુદા જુદા કાર્યક્રમોમાં અને પરિપત્રોમાં જોડી તેઓનો શિક્ષણ પ્રત્યેનો સ્નેહ ઘટાડતા જવું એ વળી કેવો પ્રયોગ છે? શિક્ષકના ભાગે વિદ્યાર્થીઓના વિકાસનો વહીવટ જ હોવો જોઈએ, અન્ય વહીવટમાં જોડી તેઓની કાર્યક્ષમતાને અને આવડતને કાટ લગાડવાની જરૂર નથી ને નથી જ!

  ન્યાયતંત્ર ની જેમ શિક્ષણ-સંસ્થાઓ પણ સરકારથી અલગ સંસ્થાઑ તરીકે વિકસવી જોઈએ. ન્યાયતંત્ર જેટલી નિષ્પક્ષતા શિક્ષણમાં હોવી જોઈએ. જેમ આપણાં દેશનું ન્યાયતંત્ર સરકારના દબાણમાં આવ્યા વિના કાર્ય કરે છે, એમ જ શિક્ષણ-સંસ્થાઓ પણ મુક્ત રીતે કાર્ય કરતી હોવી જોઈએ. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં માત્રને માત્ર શિક્ષણ પ્રત્યે સમર્પિત લોકોને જ સ્થાન હોવું જોઈએ.

 સરકારમાં શિક્ષણ હોવું જોઈએ પણ શિક્ષણમાં સરકારી દખલ બને તેટલી ઓછી હોવી જોઈએ. આ પ્રયોગ કરવા જેવો છે હો!!!

    લાઈક, કમેંટ, શેર....

           હે શિક્ષક સતત બદલાતા આ પરીપત્રો, સતત તને આપવામાં આવતી આ તાલીમો, તારા માટે તૈયાર કરવામાં આવેલા આ મોડ્યુલો, અને તને સોંપવામાં આવતા આ કાર્યો વચ્ચે પણ શિક્ષણ પ્રત્યેની તારી સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખજે!!!

  100 Teacher Quotes—Teacher Appreciation Quotes (2021)

 

   

Monday 6 September 2021

તૈયાર સ્ટડી-મટિરિયલ્સ અને આપણે,

 

તૈયાર સ્ટડી-મટિરિયલ્સ અને આપણે,

Best Study Material for XAT 2021 Preparation- Check Here

    એક વિદ્યાર્થી પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે, એની આસપાસ જે તે વિષયોનું અઢળક મટિરિયલ્સ છે, તે મટિરિયલ્સથી ઘેરાઈને મૂંઝાઇને બેઠો છે. શું વાચવું અને શું નહી? એ તેને સમજાઈ નથી રહ્યું. એટલામાં તેના મિત્રનો કોલ આવે છે, મારી પાસે આ વિષયમાં પુંછાય એવું ઘણું બધુ મટિરિયલ્સ છે, તું અહી આવી લઈ જા. પેલો વિદ્યાર્થી ફોન મૂકીને સીધો મિત્રને ઘરે દોડે છે. તેનો મિત્ર પણ તેની જેમ પથારો કરીને બેઠો છે. તેની પાસે હતું એના કરતાં પણ વધુ સ્ટડી-મટિરિયલ્સ તેના મિત્ર પાસે હતું! બંનેનો પ્રોબ્લેમ એક જ હતો, શું વાંચવું અને શું નહી?

  ક્લાસમાં શિક્ષકે દાખલો ગણીને આવવાનું કહ્યું. દાખલો થોડો અઘરો હતો. પણ થોડું મથીએ તો આવડી જાય તેવો હતો. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જાતે પ્રયત્ન કરવાને બદલે માર્ગદર્શિકામાથી કોપી કરીને ગણીને લાવ્યા!

  તો વળી એક કલાસમાં શિક્ષકે નિબંધ લખીને લાવવા કહ્યું અને વિદ્યાર્થીઓએ નિબંધમાળામાથી બેઠે બેઠો નિબંધ લખીને આવી ગયા. નિબંધ અભિવ્યક્તિ માટે સૌથી શ્રેસ્થ માધ્યમ ગણાય છે. પણ એ અભિવ્યક્તિ પણ જો ઉછીની લેવી પડે તો આપણે ભૂલા પડી ગયા છીએ એ માની લેવાનો સમય આવી ગયો છે.

  આ ચિત્ર લગભગ અત્યારે દરેક શાળાઓમાં અને મહાશાળાઓમાં, અને ઇવન ઉચ્ચ-શિક્ષણમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ કોઈપણ વિષય શીખવા માટે જાણે મથવાનું જ ભૂલી ગયા છે.તેઓ માટે બજારમાં એટલું તૈયાર મટિરિયલ્સ ઉપલબ્ધ છે, કે તેઓ જાતે કશું શીખવાની કોશિશ જ કરતાં નથી. આપણું શિક્ષણ ગોખણિયું બની ગયું છે, એનું એક મોટું કારણ આ પણ છે કે આપણે વિદ્યાર્થીઓને બધુ તૈયાર જ આપી દઈએ છીએ. તેઓને કોઈપણ વિષયમાં નવું શીખવા કે જાણવા જ આપણે દેતાં નથી. વિદ્યાર્થીઓએ પણ થોડી મહેનત કરે અને ના આવડે એટલે વધુ પ્રયાસો કરવાને બદલે તૈયાર મટિરિયલ્સમાં જોઈને જવાબો લખી નાખતા હોય છે, ક્યાં નાખતા હોય છે? એ આપણે સૌ જાણીએ છીએ.

   કોઈપણ વિષય પર રજૂઆત કરવાની વિદ્યાર્થીઓની ક્ષમતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. તેઓ એટલું બધુ ગોખે છે કે સમજણને કોઈ સ્થાન જ રહેતું નથી. કોઇકે કહ્યું કે આ પ્રકાશનની આ બૂક સારી છે, કે પછી આનું આ તૈયાર મટિરિયલ્સ સારું છે, એટલે તેઓ ગાડરિયા પ્રવાહમાં તણાઈને તેની પાછળ દોડતા જ રહે છે, ભાગતા જ રહે છે! કટ કોપી અને પેસ્ટ એ જાણે તેઓનો શિક્ષણ-મંત્ર બની ગયો છે! તેઓ વરસાદની ભીનાશ પણ નિબંધમાં જ જાણે માણે છે. વધુમાં આજનું શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી બની રહી ગયું છે. એટલે કોઈપણ વિષય ઊંડાણપૂર્વર્ક શીખવામાં કોઈને રસ જ રહ્યો નથી. પરીક્ષામાં પૂછાય એટલું શીખવો બાકીનું જવા દ્યો!

   રેફરન્સ બુક્સ બિચારી ધૂળ ખાઈ રહી છે. વળી અમુક તૈયાર મટિરિયલ્સનો ઉપયોગ માત્ર ને માત્ર પરીક્ષામાં ચોરી કરવા માટે જ થાય છે. વિદ્યાર્થીઓની આસપાસ એટલું બધુ તૈયાર સ્ટડી-મટિરિયલ્સ છે કે તેઓની વિચારવાની શક્તિ જ સ્ટોપ થઈ ગઈ છે. માત્ર ને માત્ર ઉપરછલ્લું જ તેઓ ભણે છે, શીખે છે એમ પણ આપણે કહી શકીએ એમ નથી. એમાં વળી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આવ્યા જેણે બધુ ઓનલાઈન કરી દીધું ને પરિણામે વિદ્યાર્થીઓએ વાચતા અને વિચારતા જ જાણે અટકી ગયા. ગૂગલ પર તો બધુ રેડી ટૂ ગેટ મળે છે. વિદ્યાર્થીઓ એમાથી કોપી કરીને પ્રોજેકટ, અસાઇનમેંટ તૈયાર કરી લેતા હોય છે. તે પેજ ભરી ભરીને નેક્સ્ટ નેક્સ્ટ આપતા જાય છે અને વિદ્યાર્થીઓએ શું લેવું અને શું ના લેવું? એમાં અટવાતા રહે છે.

   ગણિત અને અન્ય ગાણિતિક વિષયમાં શિખવ્યા બાદ વિદ્યાર્થીઓ મથતા જ નથી, તેઓ એકાદ બે સ્ટેપ ગણ્યા બાદ તરત જ માર્ગદર્શિકાનો સહારો લઈ લેતા હોય છે. ને પરિણામે દાખલો ક્યાં પદથી નથી આવડતો તે ભૂલો શોધી જ શકાતી નથી. પરીક્ષામાં પણ પાઠયપુસ્તકમાં હોય એવા બેઠા જ દાખલા પૂછાય છે, પરિણામે તેઓ વધારાના દાખલાની પ્રેક્ટિસ જ કરતાં નથી. શીખવાનો ઉદેશ જ જાણે ભૂલાય ગયો છે. શિક્ષકો પોતે પણ રેફરન્સ બુક્સનું સરનામું ભૂલી ગયા છે. બધા જ તૈયાર સ્ટડી-મટિરિયલ્સની જાળમાં ફસાઈ ગયા છે.

   શિક્ષક કોઈપણ નવો ટોપીક શીખવે પછી, એના પર વિદ્યાર્થીઓએ મનન કરવું જરૂરી હોય છે, પણ એ થતું નથી. પાઠ કે ચેપ્ટર પૂરું થાય અને શિક્ષક લેશન આપે એટલે કોપી કરવાનો સિલસિલો ચાલુ થઈ જતો હોય છે. શિક્ષણને એપ્લાય કરવાનું જ જાણે ભૂલાય ગયું છે. પરીક્ષામાં એપ્લાય ટાઈપના પ્રશ્નો પૂછાય એટલે વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગવા માંડે છે અને દેકારો અને હોબાળો શરૂ થઈ જતા હોય છે. સાચું શિક્ષણ જ એ છે જે વિદ્યાર્થીઓને વિચારતા કરી શકે, પણ હવે એ બધુ જાણે આઉટ ઓફ ડેટ થઈ ગયું છે.

 આપણું શિક્ષણ એટલું બધુ તૈયાર સ્ટડી-મટિરિયલ્સ પર નભતું થઈ ગયુ છે કે ચિંતન અને મનન જેવી બાબતોને તેમાં સ્થાન જ નથી રહ્યું. ગોખણ-પટ્ટીની ફૂટપટ્ટી થકી જ એ મપાતું રહે છે. જેમાં વિદ્યાર્થીઓની આંતરિક ક્ષમતાઓ મપાયા વિનાની રહી જાય છે. તેને શિક્ષણમાં ખીલવાની તક જ મળતી નથી. સ્ટડી-મટિરિયલ્સના ઢગલા નીચે વિદ્યાર્થી દટાઇ ગયો છે. સ્વ-અધ્યયન તો જાણે ક્યાય દૂર હડસેલાઈ ગયું છે. તે કશું શીખવા પર પોતાની જાતને એકાગ્ર જ નથી કરી શકતો કે નથી કરી શકતી. પુસ્તકાલય તો જાણે ક્યાય દૂર હોય એવું લાગી રહ્યું છે.

આપણા શિક્ષણમાં નવીનતા લાવવા આપણે થોડું મથવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ જાતે શીખવા તત્પર થાય એવા પ્રયાસો શરૂ કરવાની જરૂર છે, શિક્ષણ તેને બોજારુપ ના લાગે એવા પ્રયાસો કરવાની જરૂર છે. અને સૌથી વધુ જરૂર છે, તેઓને મથવા દેવાની. તેઓને વાંચન તરફ લઈ જવાની ખાસ જરૂર છે. તેઓ ઓનલાઈનમાથી ઓફલાઇન પર આવે તે માટે વિશિષ્ટ પ્રયાસો કરવાની જરૂર છે. શિક્ષણ સાથે માર્ક્સને જોડીને આપણે તેઓને ગલત રસ્તે લઈ જઇ રહ્યા છીએ. તેઓને શીખવા માટે પરિણામનું નહી પણ ખુલ્લુ આકાશ આપીએ, જેમાં તેઓ વિહરી શકે અને સાચી ઉડાન ભરતા શીખી શકે. હા આ બધુ થોડું અઘરું છે, પણ અશક્ય તો નથી જ !

તેઓને કેમ શીખવું? એ શીખવીએ. તૈયાર સ્ટડી-મટિરિયલ્સથી તેઓને બને તેટલા દૂર રાખીએ. તેઓનું મટિરિયલ્સ જાતે તૈયાર કરતાં શીખવીએ. જેટલું તેઓ મથીને શિખશે, એટલો ફાયદો તેઓને જ થશે એ સમજાવીએ. સમજીને શિખેલું જીવનભર યાદ રહી જતું હોય છે. કેમ ખરું ને?

સાચું શિક્ષણ ફીલ કરતાં શીખવે છે. 


33 Best Back-to-School Quotes to Read Now - Sayings About Education for 2020

 

    

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...