Saturday 30 October 2021

કોરોના,2020 થી 2021,આપણે શું શીખ્યા?


  • કોરોના,2020 થી 2021,આપણે શું શીખ્યા?

     Lessons from COVID-19 in the Education Sector — Observatory | Institute for  the Future of Education

              હમણાં છાપામાં એક સર્વે વાચ્યો કે કોરોના દરમિયાન સ્ત્રીઓએ અપડેટ થઈ સૌથી વધુ નવું નવું શિખ્યું. અહી આપણે ફેમિનીઝમની વાત નથી કરવી. પણ મિત્રો એક સવાલ આપણે સૌ આપણી જાતને પુંછી શકીએ કે આપણે આ સંઘર્ષકાળ દરમિયાન કઈ નવું શીખ્યા? અપ-ડેટ થયા કે પછી? આમપણ આ સમય દરમિયાન આપણને સૌથી વધુ મોકો આપણી જાત સાથે રહેવાનો મળ્યો છે. તો આપણે એ જાતને નવી ઊંચાઈ તરફ લઈ ગયા કે નહી? તમે આ પ્રશ્નો તમારી જાતને પુંછીને આગળનું વાચજો. તમે ખુદ ઘણુબધું લખી શકશો. પણ અત્યારે તો તમારે મારુ લખેલું જ વાચવું રહ્યું.

        2020ની સાલમાં માર્ચ મહિનો એક નવું એંડિંગ લઈને આવેલો. આમ તો માર્ચ મહિનો એટલે આપણાં આખા વર્ષના નાણાકીય હિસાબોના સરવૈયાનો મહિનો. આપણે આખા વર્ષ દરમિયાન શું મેળવ્યું ?તેનો હિસાબ આ માહિનામાં થતો હોય છે. પણ આ માર્ચ પહેલીવાર આપણાં સૌ માટે લોકડાઉન લઈને આવેલો. 24મી માર્ચ-2020 ની રાત્રે આપણાં આદરણીય વડાપ્રધાને આપણને 21 દિવસનું પ્રથમ લોકડાઉન આપેલું. બધુ જ બંધ. અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર નહી નિકળવાનું. બહાર જઈએ તોપણ સોસિયલ ડિસ્ટન્સ રાખવાનું અને હાથને સેનેટાઈઝ કરતાં રહેવાનુ. માસ્ક પહેરીને નીકળવાનું. રસ્તાઓ સુમશાન, ગલીઓ ખાલી, કામ વિના બહાર નીકળે એને પોલીસના ડંડા ખાવા પડે. એક ગામથી બીજા ગામ જવા પણ વિઝા લેવા પડે. જે લોકો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ ઊભા રહી જવું પડ્યું. ધંધા બંધ. આપણે તો ટોળાના માણસો અને ટોળાથી જ દૂર થઈ જવું પડ્યું. ( જે લોકોને કશાનું વ્યસન હતું, તેઓની હાલત તો સૌથી વધુ ખરાબ થઈ ગયેલી.) ટી.વી. અને અન્ય સોસિયલ મીડિયા પર કોરોનાના આંકડા જોતાં રહેવાનુ અને ડરીને ઘરની અંદર પુરાઈ રહેવાનુ. વચ્ચે દીવા પણ પ્રગટાવ્યા. બધા તહેવારોની ઉજવણી પણ બંધ! અરે આપણે ગરબા ના રમ્યા! આપણે સામાજિક પ્રસંગો પણ ના ઉજવી શક્યા! આપણે જાણે પેરેલાઇઝ્ડ થઈ ગયા!

      આ સમય દરમિયાન માનવજાતના ઈતિહાસમાં પ્રથમવાર ધર્મસ્થાનો પણ બંધ રહ્યા! ( જાણે પરમ શકિતએ  ખુદ સમજાવ્યું કે મને તમે શોધો છો, ત્યાં તો હું હોતો જ નથી!). પરીક્ષાઓ પણ બંધ, બસ માત્ર ખુલ્લા હતા દવાખાના,મેડિકલો, કરિયાણું, અને ડેરીઓ. ( જાણે આપણને સમજાવવા કે ખરેખર આપણાં માટે જીવવા કઈ કઈ જરૂરિયાતો જરૂરી છે?). ઘણા લોકોને આ સમય દરમિયાન પોતાનું વતન યાદ આવ્યું અને તેઓ રાતોરાત ચાલીને પણ નીકળી ગયા. આપણે ધાર્યું ના હોય એવું બધુ જ જાણે આપણી જિંદગી સાથે થઈ ગયું. ખરું રમખાણ તો ઘરમાં થયું. બહાર નીકળવાની મનાઈ એટલે બધા ઘરમાં ને ઘરમાં! ઘર ખાલી ખાલી હતા તે ભરાઈ ગયા. બાળકો સ્કૂલે સચવાતા તે ઘરમાં,ઓફિસે જતાં પુરુષો પણ ઘરમાં, ટૂંકમાં બધા જ ઘરમાં!!!! છેલ્લા થોડા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે આપણે બધા 24 કલાક એકસાથે એક જ ઘરમાં અને જે ધમાલ થઈ, થોડા દિવસો તો એવું લાગ્યું કે ઘરમાં સાથે એક છત નીચે રહી શકાશે કે કેમ? આપણે બનાવેલા દરેક પ્લાનિંગ પર આ મુશ્કેલીએ ઠંડુ પાણી રેડી દીધું. દૂર રહેલા આપણાં સગા-સંબંધીઓની ચિંતાએ આ મુશ્કેલીને વધુ ઘેરી બનાવી દીધી. આપણને એ ફીલ થયું કે “ ધરતીનો છેડો એટલે ઘર”

     જો કે સમય જતાં આપણે ઘરમાં સાથે રહેતા પણ શીખી ગયા. કોરોનાએ ભલે સોસિયલ ડિસ્ટન્સ આપ્યું,પણ ઈમોશનલ ડિસ્ટન્સ ઘટી ગયું! અરે વર્ક પણ ફ્રોમ હોમ થઈ ગયું. ઘણા બાળકોને પહેલીવાર ઘરમાં નવું વાતાવરણ જોવા મળ્યું. આપણાં દેશના સૈનિકો ડોકટર્સ અને પોલીસ બની ગયા. ઘણા ડોકટર્સ પણ શહિદ થયા. ઘણા ડોકટર્સે પોતાનું સર્વસ્વ દર્દીઓની સારવારમાં લગાવી દીધું. લોકડાઉન ને લીધે જેઓને બે ટંક ખાવાના ફાંફા હતા, તેઓને ભોજન આપવા માટે પણ અનેક સંસ્થાઓ આગળ આવી. ઘણી બધી સામાજિક સંસ્થાઓ એ પણ લોકોની સેવા કરવા માટે પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું. તો ઘણા બધા લોકોએ દવા,ઈંજેકશન, અને ઓક્સિજનના કાળાબજાર પણ કર્યા. તો કોઈ જગ્યાએ વૃદ્ધોએ પોતાના શ્વાસો એટલે કે વેન્ટિલેટર કોઈ યુવાનને આપીને તેઓને નવજીવન પણ આપ્યું.

    સાથે સાથે આર્થિક નુક્સાનીઓ પણ ચાલુ થઈ ગઈ. મહિનાઓ સુધી અમુક ધંધાઓ બંધ રહ્યા. લોકો માટે કુટુંબનું ભરણ-પોષણ કરવું પણ અઘરું થઈ પડ્યું. એક આશ્ચર્ય એ પણ થયું કે ખેતી સાથે જોડાયેલા રહેલા લોકોને ઓછું આર્થિક નુકસાન થયું. ( કદાચ આપણને ઈશ્વર સમજાવવા માંગતા હશે કે આપણે જમીન સાથે જોડાયેલા માણસો જ છીએ!) રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે આ સમય સૌથી વધુ કપરો હતો. માત્ર ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આ પરિસ્થિતિ હતી. ઈટલી, બ્રિટન,અમેરિકા, બ્રાઝિલ વગેરે  જેવા દેશોમાં તો પરિસ્થિતી અત્યંત ખરાબ હતી. હજી પણ ઘણા દેશો કોરોનાથી પ્રભાવિત છે જ! પ્રથમ અને બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સગા-સંબંધી ગુમાવ્યા. એ ઈમોશનલ આઘાતમાથી તો હજી પણ આપણે બહાર આવી શક્યા નથી. વર્ષો વીતી જશે, કોરોના સાવ ખતમ પણ થઈ જશે પણ એણે આપણાં સૌના જીવનમાં ઊભો કરેલો ખાલીપો આપણને પૂરતા વાર લાગવાની. શિક્ષણ ક્ષેત્રે, કોરોનાને લીધે ઓનલાઈન શિક્ષણ આવ્યું અને સાથે અનેક સવાલો પણ લાવ્યું. જે સવાલોના જવાબ હજી સુધી મળી શક્યા નથી. ( જો કે કોરોનાને લીધે ઘણા બધા શિક્ષકો અને અધ્યાપકો લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં પણ થયા) જે લોકોએ પોતાની આવકના સ્ત્રોતો ગુમાવ્યા, તેમણે નવા સ્ત્રોતો શોધી પણ લીધા. આપણે આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે કેટલા નવા નવા રસ્તાઓ આ સમય દરમિયાન આપણે આપણી માટે ખોલી દીધા છે.

      મારે તમને પણ એ દિશામાં જ લઈ જવા છે. કોરોના એક એવો સંઘર્ષકાળ લઈને આપણાં સૌના જીવનમાં આવ્યો કે આપણામાં બદલાવ જરૂરી બની ગયો. છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જે ઇચ્છતા હતા તે નવરાશ અને જાત સાથે એક મુલાકાત કરવાનો મોકો આપણને આ સમય દરમિયાન મળ્યો. આ સમયે આપણને જે બોધપાઠ આપ્યા આપણે એમાથી કશું શિખીને અપડેટ થયા કે નહી એ આપણે આપણી જાતને ખાસ પૂછવાનું છે. જોઈએ કેટલાક બોધપાઠ,,,

    જીવનમાં આરોગ્ય સૌથી અગત્યની બાબત છે. પહેલું સુખ તે જાતે નર્યા

    કુટુંબ આપણાં સૌના જીવનના વર્તુળનું કેન્દ્ર છે, જેના વિના આપણે આપણાં જીવનની ત્રિજ્યાઓ ખેંચી શકતા નથી.

    ધર્મસ્થાનોમાં દાન આપવા કરતાં કોઈ ગરીબ વ્યક્તિને કે સામાજિક સંસ્થાને મદદ કરવી વધુ જરૂરી છે.

    માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.

    સાચવેલા સંબંધોથી વિશેષ કોઈ સંપતિ નથી.

    પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, જો લડતા રહીશું તો એને પણ પાર કરી શકીશું.

    જેઓ સતત કશું નવું શિખતા રહે છે, તેઓ ફરિયાદો કરતાં પ્રયાસોને વધુ મહત્વ આપે છે.

    ગૃહિણી કેવી રીતે મકાનને ઘર બનાવે છે?

    એકલા એકલા કોઈપણ મુશ્કેલીનો સામનો થઈ શકતો નથી, પણ સમૂહમાં રહીશું તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો થઈ શકશે.

    હજી તમારા મુજબ પણ કોઈ બોધપાઠ હશે. તો એમાથી શિખતા રહીએ અને આ સંઘર્ષકાળનો સામનો કરતાં રહીએ. કોઈપણ સંઘર્ષકાળ આપણામાં રહેલું શ્રેસ્ઠ લાવે છે. એ આપણાં પણ નભે છે કે આપણે તેને તક માનીને આગળ વધીએ છીએ કે અવરોધ માનીને અટકી જઈએ છીએ. જેઓ આ સમય દરમિયાન કશું શીખ્યા છે, તેઓ આગળ પણ સતત અપડેટ થતાં રહેશે. ઘણા બધા લોકોએ આ સંઘર્ષનો સુંદર રીતે સામનો કર્યો છે. આપણે પણ શીખી લઈએ કારણકે જીંદગીની પરીક્ષામાં માસ-પ્રમોશન નથી હોતું! કેમ ખરું ને?

     હવે કોરોનાની ત્રીજી લહેર નહી, પણ આપણાં સૌના જીવનમાં ખુશીઓની લહેર આવે એવી પ્રાર્થના સાથે,

    સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ!

    લાઈક,કમેંટ,શેર....

      જેઓ સમય સાથે અપડેટ નથી થતાં તેઓ આઉટ ઓફ ડેટ થઈ જતાં હોય છે.

     



Sunday 24 October 2021

હજી આજે પણ બિલાડીના ગળે ઘંટ બાંધવાવાળું કોઈ મળ્યું નથી!!!

 

   હજી આજે પણ બિલાડીના ગળે ઘંટ બાંધવાવાળું કોઈ મળ્યું         નથી!!!

 Who will tie the bell on the cat's neck - YouTube

      આજે જ્યારે આસપાસની અને દેશની પરિસ્થિતી જોઈએ છીએ, તો નાનપણની એક વાર્તા યાદ આવી જાય છે. એક ગામમાં એક શેરીમાં  ઘણા બધા ઊંદરો રહેતા હતા. નાના, મોટા, વૃદ્ધ એમ દરેક પ્રકારના ઊંદરો રહેતા હતા. શરૂ શરૂમાં તેઓને કોઈ તકલીફ નહોતી, બધા મોજથી રહેતા હતા.  પણ એક દિવસ એ ગામની એ શેરીમાં એક બિલાડી આવી. બિલાડીને તો આટલા બધા ઉંદર જોઈ મજા આવી ગઈ. તે એકદમ દબાતા પગલે રોજ આવતી અને ઉંદરને મારીને ખાઈ જતી. બિલાડી એટલી સાવધાન રહેતી કે ઉંદર ગમે તેટલા છટકવાનો પ્રયાસ કરે કોઈને કોઈ ઉંદર તો પકડાઈ જ જતો. દિવસે દિવસે બિલાડીનો ત્રાસ વધવા લાગ્યો. અંતે એક દિવસ બધા ઉંદરોએ આ બિલાડીનો ત્રાસ દૂર કરવા શું કરવું? એ નક્કી કરવા એક મીટિંગ બોલાવી. ( આપણે પણ કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા આવી જ મીટિંગ્સ ભરતા હોઈએ છીએ!!)  બિલાડીનો ત્રાસ દૂર કરવા ઘણાએ અલગ અલગ ઉપાયો સૂચવ્યા. એમાથી એક ઉપાય બધાને ગમી ગયો. એ ઉપાય હતો, બિલાડીના ગળે ઘંટ બાંધવાનો! બધા હા હા કરવા લાગ્યા. પણ એક વૃદ્ધ ઉંદરે કહ્યું ઉપાય સારો છે, પણ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ? અને બધા એકદમ ચૂપ થઈ ગયા.

  આપણે આપણને નડતી સમસ્યાઓ સામે આ જ કરતાં હોઈએ છીએ. સમસ્યાઓ ઉકેલવા માટે કોઈને કોઈએ તો પહેલ કરવી જ પડે છે. પણ પહેલ કરે કોણ? એ પ્રશ્ન દરેક ક્ષેત્રમાં ઉદભવતો રહે છે! આપણે બધા જ આ સમસ્યાઓ વિષે ચર્ચા કરતાં રહીએ છીએ, પણ તેનો ઉકેલ લાવવા માટે જે પહેલ કરવી પડે એ કરતાં હોતા નથી. બધા ને ખબર છે, સામાજિક અને ધાર્મિક દૂષણો દૂર કરવા કોઈને કોઈએ તો પહેલ કરવી જ પડે છે. પણ કરે કોણ એ શાશ્વત પ્રશ્ન છે.

  આ દેશમાં મોટા ભાગના એમ કહે છે કે ભ્રષ્ટાચાર છે, લાગવગ છે, ભ્રૂણ-હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, જ્ઞાતિવાદ છે, કોમવાદ છે, પ્રદેશવાદ છે, ગરીબી છે, બેકારી છે, ગામડાઓ હજી વિકસિત નથી, અમુક વિસ્તારોમાં માથાભારે લોકોનો ત્રાસ છે, ધર્મના નામે ઝઘડા થતાં રહે છે, હજી અમુક વિસ્તારોમાં અશ્પૃશ્યતા છે, બાળ-લગ્નો પણ થાય છે, અંધશ્રદ્ધા પણ છે, દેશના પ્રતિભાશાળી લોકોને આગળ આવવાની તકો નથી મળતી, રમતવીરોને તકો નથી મળતી, કૂ-પોષણ છે, વગેરે વગેરે હજી તો લાંબુ લિસ્ટ છે. આપણી સમસ્યાઓનું!! પણ આપણે માત્ર લિસ્ટ જ તૈયાર કરીએ છીએ, તેને દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરીએ છીએ, પણ પહેલ કરવાની વાત આવે ત્યારે આપણે ખસી જતાં હોઈએ છીએ. આ બધી જ બિલાડીઓના ગળે ઘંટ બાંધવાની પહેલ કોઈ કરતું નથી.

  કોઈ સરકારી કે ખાનગી ઓફિસોમા આપણું કામ થતાં વાર લાગે કે ના થાય છતાં કરાવવું હોય તો આપણે શું કરતાં હોઈએ છીએ? ખુદને પુંછી લેવું. એ લોકો લાંચ કે રિશ્વત લે છે, પણ આપે છે કોણ? દેશમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર વિષે ચર્ચાઓ બધા કરતાં રહે છે, પણ તેની સામે લડવાની વાત આવે ત્યારે બધા જ.... અરે હકીકત તો એ છે કે બાળકોને બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવાની ભલામણ માતા-પિતા જ કરતાં હોય છે! પોતાના સંતાનોને ભ્રષ્ટાચારની એ.બી.સી.ડી. જ તેઓ શીખવતા હોય છે. ગમે તે રીતે સંતાનોને એડમિશન અપાવવા માતા-પિતા જ હવાતિયાં નાખતા હોય છે. શિક્ષણની હાટડીઓ તેમણે ખોલી પણ ગ્રાહક બનીને આપણે પણ ગયા જ ને! બાળકને તો આપણે જે શીખવીએ એ જ તે શીખે છે, અગર તો આપણને જોઈને શીખે છે! ભ્રષ્ટાચાર એવું કેન્સર છે, જેને દૂર કરવા રેઝ લેવા પડે પણ આ માટે પહેલ કરે કોણ! આપણે સૌ આ સિસ્ટમનો વિરોધ કરવાને બદલે તેનો જ એક ભાગ બની રહી ગયા છીએ. હું મારુ કામ કરાવવા ભ્રષ્ટાચાર નહી જ કરું... કરે છે કોઈ પહેલ?

      હવે વાત કરીએ બીજી આવી જ સમસ્યાની, ભ્રૂણ-હત્યા આ શબ્દ સાંભળીએ ત્યાં જ શરીરમાં કંપારી છૂટી જવી જોઈએ. ( જો આપણે માનવ હોઈએ તો!) પણ એવું નથી થતું. જેમ કોઈ રીઢો ગુનેગાર ઠંડે કલેજે કોઈનું ખૂન કરી નાખે એમ જ કુટુંબના સભ્યો ભેગા મળીને આ કામને ઠંડે કલેજે પાર પાડતા હોય છે! ભ્રૂણ-હત્યા એ દીકરીને દૂધપીતી કરવાના કુરિવાજનું આધુનિક સ્વરૂપ છે. ખબર પડે કે ગર્ભમાં દીકરી ઉછરી રહી છે, એટલે તેના અસ્તિત્વને ત્યાં ને ત્યાં જ ખતમ કરી દેવાનું. આ દૂષણ એ ભણેલા લોકોનું આભૂષણ છે. તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી ભ્રૂણ-હત્યા કરતાં રહે છે. ગર્ભ-પરીક્ષણ કરવું એ ગુનો બને છે, અહી એવું કોઈ પરીક્ષણ કરવામાં આવતું નથી. આવું બોર્ડ આપણે દરેક દવાખાનામાં વાંચીએ છીએ,પણ એવા કેટલા દવાખાના હશે, જ્યાં આ પરીક્ષણ નહી થતું હોય? તેઓ પરીક્ષણ કરે છે, કારણકે આપણે કરાવીએ છીએ. હાલતા એવા દવાખાના પકડાય છે, જ્યાં આ અધર્મ થતું હોય છે. તેઓ પકડાય છે, પણ છૂટી જતાં હોય છે. અને આપણે કોઈ બીજા દવાખાના તરફ વળી જતાં હોઈએ છીએ. મોટા ભાગના રાજ્યોમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આટઆટલા પ્રયત્નો છતાં! હવે આપણે જ નક્કી કરીએ કે આ કુરિવાજના ગળે ઘંટ કોણ બાંધશે? સિસ્ટમને બદલવા પહેલા આપણે બદલાવવું પડે છે!

       આવું જ વલણ સ્ત્રીઓ સાથે થતાં બળાત્કારો બાબતમાં જોવા મળે છે. બળાત્કાર એવું દૂષણ છે,જે સ્ત્રીઓને તેઓના અસ્તિત્વથી અલગ કરી દેતું હોય છે. આપણા દેશમાં સેકંડે સેકંડે ગણવા પડે એવી રીતે બળાત્કારો થતાં રહે છે. બળાત્કાર બાદ સ્ત્રીઓને મારી પણ નાખવામાં આવે છે, અમુક પ્રદેશોમાં આ કુરિવાજથી લોકો એટલા ડરે છે કે દીકરીઓને સાંજે અમુક સમય થયા બાદ ઘરની બહાર પણ નીકળવા દેવામાં આવતી નથી. છાપામાં ગેંગ-રેપ ના કિસ્સાઓ રોજ છાપાની કાળી શાહીને વધુ કાળી કરતાં રહે છે. દરેક નિર્ભયાના નસીબમાં ન્યાય નથી હોતો! કેટલીક સ્ત્રીઑ તેની નજર સામે જ પોતાની સાથે બળાત્કાર કરનારને ખુલ્લેઆમ ફરતા જોઈ રહે છે. અને રોજ રોજ મરતી રહે છે. પોતાની સાથે થયેલા બળાત્કારને સાબિત કરવા સ્ત્રીઓએ વારંવાર પોતાના અસ્તિત્વ સાથે રેપ કરવો પડે છે. આ દૂષણ સામે લડવાને બદલે મોટા ભાગના લોકો પોતાની દીકરીને આ અન્યાય ચૂપચાપ સહન કરી લેવાનું કહેતા હોય છે! અહી પણ ઘંટ બાંધવાવાળું કોઈ નથી....

            આપણું સમસ્યાઓ તરફનું આવું વલણ જ આપણને કોઈપણ સમસ્યાના ઉકેલ તરફ જવા નથી દેતું. આ બધી સમસ્યાઓ વારંવાર આપણા દેશના અસ્તિત્વને હર્ટ કરતી રહે છે. પણ આપણે હજી પણ આ સમસ્યાઓના ગળે ઘંટ બાંધી શક્યા નથી. અહી તો માત્ર આપણે બે-ત્રણ સમસ્યાઓની જ વાત કરી છે. જો આપણે બધી સમસ્યાઓ વિષે લખીશું તો તો શબ્દો ઓછા પડી જશે. આ બધી સમસ્યાઓ ઉકેલી ના શકાય તેવી નથી, પણ આપણે પહેલ કરતાં ડરીએ છીએ, એટલું જ નહી, જે લોકો પહેલ કરે છે, તેઓને પણ મદદ કરતાં નથી. અહી લડનાર એકલો/એકલી થઈ જતા હોય એવું લાગ્યા કરે છે.

 વળી આપણે એવું પણ વલણ ધરાવીએ છીએ કે કોઈપણ સમસ્યા જ્યાં સુધી મને નથી નડતી ત્યાં સુધી એ મારી સમસ્યા જ નથી. પગ તળે રેલો આવે ત્યારે જ આપણે એ સમસ્યાની મુશ્કેલી અનુભવવા લાગીએ છીએ. સમસ્યાઓ સામે સમસમીને મૌન રહી જવાની આપણને સૌને આદત પડી ગઈ છે. આ સઘળી સમસ્યાઓ લાંબા સમયથી આપણા દેશને પજવી રહી છે, પણ આપણે તેને દૂર કરવાની પહેલ કરવાનું જ જાણે ભૂલી ગયા છીએ.

        આ બધી સમસ્યાઓ સામે લડવા પહેલ કરે એવા વ્યક્તિઓની આજે ખાસ જરૂર છે. છે કોઈ?? ફરિયાદો કરનાર તો ગલીએ ગલીએ છે, બહાનાઓ કાઢનાર રસ્તે રસ્તે ઊભાછે.બસ સમસ્યાઓસામે ઘંટ બાંધનાર જોઈએ છીએ.

લાઈક, કમેંટ, શેર........

          દુનિયામાં સમસ્યા છે, સમસ્યાનું કારણ છે અને સમસ્યાનો ઉકેલ છે.

                                                           ભગવાન બુદ્ધ

 

Sunday 17 October 2021

તેરે હોતે કોઈ કિસી કી જાન કા દુશ્મન ક્યો હો? જીને વાલો કો મરને કી આઝાદી દે મૌલા!

 

તેરે હોતે કોઈ કિસી કી જાન કા દુશ્મન ક્યો હો? જીને વાલો કો મરને કી આઝાદી દે મૌલા!

Why do people commit murder in the name of religion? 

  આજકાલ સમાચારોમાં ચારેબાજુ ધ્રુજારી જ વાચવા મળે છે. સવારના પહોરમાં છાપું વાચવું એ ઘણાની ટેવ હોય છે. છાપું હાથમાં આવે એ સાથે દર્દની એક કંપારી શરીરમાં છૂટી જતી હોય છે. છાપાની શાહી ભલે કાળી હોય, પણ શબ્દો જાણે લાલ રંગે રંગાઈને લખાતા હોય એવું લાગ્યા કરે છે! એમાં પણ જ્યારે શહીદોના રક્તનો રંગ ભળે, આખું છાપું જાણે સાંજના આકાશમાં ખીલતી સંધ્યા જેવુ  કે સવારના પહોરમાં આકાશમાં પથરાતા સૂર્યના કિરણોની ગરિમા સમું લાગે છે! રોજ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે છે, તો કોઈનું ખૂન થઈ જતું હોય છે. ખૂનના કારણો વાચીને જાણે એવું લાગે કે આપણે એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં સંવેદનાઓ માઈનસમા જતી રહી છે. આપણે ખરેખર ભૂલા પડી ગયા હોઈએ એવું લાગ્યા કરે છે.

    સંબંધો એ હદે વણસી જતાં હોય છે કે એ સંબંધો જ જીરવવા અઘરા બની જતાં હોય છે અને અંતે એ બંધનો જ એક વ્યક્તિને બીજી વ્યક્તિના મૃત્યુનું કારણ બનાવી દેતી હોય છે. માતા-પિતા, કે કુટુંબની કોઈપણ વ્યક્તિ સાથેના સંબંધો જ્યારે આપણને મૃત્યુ તરફ લઈ જતાં હોય તો થોડીવાર વિસામો લઈને વિચારી લઈએ, ખરેખર આપણે કઈ તરફ જઇ રહ્યા છીએ? પણ મોહ અને ક્રોધના વમળમાં આપણે એવા ફસાઈ જતાં હોઈએ છીએ કે આપણે સંબંધોમાં રહેલા સ્પંદનોને પામવાને બદલે માપતા રહીએ છીએ. જ્યાં પ્રેમ હોય છે, ત્યાં કદી આવું નથી થતું. ગમે તે ભોગે કશું મેળવી લેવાની આપણી ઘેલછાએ જ આપણને યુદ્ધો અને વિનાશ તરફ વાળ્યા છે.

 દૂર રહેવાથી પણ એવો ને એવો જ રહે, એ પ્રેમ હોય છે. જ્યાં સ્વ-તંત્રતા હોય છે, ત્યાં પ્રેમ હોય છે. આપણે ભલે આ બધી બાબતોને કલ્પનાઓ સાથે જોડી દઈએ પણ હકીકત તો એ છે કે આ સંવેદનાઓ જ આપણને સુખના સરનામે લઈ જતી હોય છે. પણ આપણે સરનામું જ ગલત લખી દેતાં હોઈએ છીએ અને સુખ માટે ફાંફા મારતા રહીએ છીએ. આપણે સંબંધો સાથે કનેક્ટ થવાને બદલે અટેચ થતાં રહીએ છીએ અને એ અટેચમેંટ જ આપણાં શ્વાસો રૂંધી નાખતું હોય છે. મિલકત અને સંપતિ માટે એકબીજાના લોહીના તરસ્યા લોકોને જોઈને કે તેઓ વિશેના સમાચારો વાંચીને આપણને લાગતું રહે છે કે શું લોકો એકબીજા સાથે લાગણીઓ થકી જોડાતા જ નહી હોય!

 લગ્ન બહારના સંબંધો પણ ખૂન થઈ જવાનું એક અગત્યનું પરિબળ બનતું જાય છે. લગ્ન એક અંગત લાગણી છે, પણ આપણે ત્યાં મોટાભાગના લોકો લગ્ન સાથે જોડાયેલી લાગણીઓને સમજી શકતા નથી હોતા ને પરિણામે લગ્ન એક સ્પંદનને બદલે એક બંધન બની રહી જતાં હોય છે. એ વાસી થઈ ગયેલું લગ્ન-જીવન તાજગી માંગતુ રહે છે અને એ તાજગી જ્યાં મળે એકાદૂ પાત્ર તેની તરફ વળતું રહે છે અને અંતે એ બંધન તોડવા લોકો ખૂન જેવા અપરાધ તરફ વળી જતાં હોય છે. આવા કિસ્સાઓમાં સૌથી વધુ સંતાનોને અને કુટુંબના સભ્યોને જ સહન કરવું પડતું હોય છે. ઘણીવાર તો આવા બનાવોને લીધે આખે આખા કુટુંબો વિખરાઈ જતાં હોય છે. હમણાં હમણાં આપણે છાપામાં મહેંદી અને સચીનનો કિસ્સો વાંચી જ રહ્યા છીએ. શિવાંશના નામ પાછળ અનાથ શબ્દને જોડી દેનાર એ સંબંધોને શું કહેવું? દસ મહિનાના એ બાળકને માના પાલવ અને પિતાના છત્રને બદલે અનાથાશ્રમની દીવાલો મળી!

     આ તો વાત થઈ વ્યક્તિગત સંબંધોની, દુનિયામાં ધર્મના નામે, વિસ્તારના નામે અને મહત્વાકાંક્ષાના નામે પણ લોકોના ખૂન થતાં રહે છે. તો વળી અમુક દેશોમાં લોકોના ચામડીના રંગના આધારે પણ રક્ત રેડાતું રહે છે. સૌથી વધુ દર્દ તો ત્યારે થાય જ્યારે લોકો ધર્મના નામે એક-બીજાનું લોહી રેડતા રહે છે! આપણો ઇતિહાસ જોઈશું તો ખ્યાલ આવશે કે આપણે સૌથી વધુ લોહી ધર્મના નામે જ રેડ્યું છે. ધર્મની સ્થાપના માનવતાના રક્ષણ માટે થઈ છે, આપણે સૌ એ વાત જ જાણે ભૂલી ગયા છીએ. દેશના ભાગલા સમયની વાત હોય કે ધર્મસ્થાનોના ઝઘડા હોય કે પછી ધર્મના સાચા સ્વરૂપને સમજી ના શકવાની આપણી ઝડતા હોય કે જેહાદના સાચા અર્થને આપણે જીવનમાં ના ઉતારી શકતા હોય! આપણે લડતા રહીએ છીએ અને લોહીની નદીઓ વહાવતા રહીએ છીએ.

  આજે પણ આપણે રોજ છાપામાં વાંચીએ છીએ, શ્રીનગર, જમ્મુ-કશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાઓ થતી રહે છે. હમણાં જ થોડા દિવસો પહેલા સ્કૂલના એક આચાર્ય અને શિક્ષકની હત્યાઓ થઈ હતી! લોકોના જીવનની પ્રત્યેક ક્ષણ પર જાણે આતંકવાદનો પડછાયો હોય તેવું લાગતું રહે છે. આતંકવાદીઓ ધર્મના નામે જેહાદને આગળ કરી લોકોની હત્યાઓ કરતાં રહે છે. શું કોઈ ધર્મ આવી ક્રૂરતા શીખવે ખરી? નિદા ફાજલીજી એ એક સરસ કવિતા આપણને આપી છે, તેરે હોતે કોઈ કિસીકી જાન કા દુશ્મન ક્યો હો? જીને વાલો કો મરને કી આસાની દે મૌલા  એમાં પણ જ્યારે આપણે આપણાં દેશના સૈનિકોની શહાદતના સમાચાર વાંચીએ છીએ એ દરેક કુટુંબની વેદના અને દર્દ આપણને ભીંજવી દે છે જેમણે પોતાના ઘરનો આધાર ગુમાવ્યો હોય છે. જેઓ આપણી ખુશીઓ અને સલામતી માટે પોતાનો જીવ ગુમાવી દેતાં હોય છે.

   આઝાદી મેળવ્યા બાદ વિસ્તારની લડાઈમાં આપણે આપણાં સેંકડો સૈનિકો ગુમાવ્યા છે, અને સેંકડો લોકોએ પણ પોતાના જીવ અને જીવંતતા ગુમાવી દીધી છે. ઘણા લોકોને તો રાતોરાત પોતાના ઘર છોડી રેફયુજી બનવું પડ્યું છે! અરે આ આતંકવાદીઓ નાના નાના ફૂલોને પણ મૂરઝાવી નાખતા હોય છે. ધર્મ આપણને જીવતા શીખવે, બીજાને મદદ કરતાં શીખવે કે પછી કોઈને મારી નાખતા? આ પ્રશ્નોનો જવાબ આપણે શોધવાનો છે! આજે પણ દુનિયાના અનેક વિસ્તારોમાં ધર્મના નામે લોકો લડતા રહે છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતાં રહે છે. આપણે કોઈ છાપામાં બોમ્બ અને દારૂગોળાના ધુમાડામાં જીવતા બાળકની તસવીરને જોઈને અરેરાટી અનુભવી લેતા હોઈએ છીએ, પણ એ અનાથ બાળક આખી જિંદગી માટે પોતાના માતા-પિતાની લાગણીથી વંચિત રહી જતું હોય છે. એ ધુમાડો કેટલાયે બાળકોને મા-બાપ વિહોણા અને મા-બાપને સંતાનો વિહોણા કરી દેતું હોય છે. પણ છતાં આપણે ધર્મના નામે કે વિસ્તારના નામે લડવાનું છોડી શકતા નથી હોતા!

  અફઘાનિસ્તાનમાં છેલ્લા પંદર દિવસમાં મસ્જિદમાં બે બોમ્બ-બ્લાસ્ટ થયા. આ ઘટનામાં 200 જેટલા લોકો માર્યા ગયા. એવા તો કેટલાયે લોકો દુનિયાભરમાં પોતાના પ્રાણ ગુમાવતાં રહે છે. શું આપણે નક્કી કરી લીધું છે કે લોકોના મૃત્યુને સાવ સસ્તું બનાવીને જ જંપવું છે! અરે અમુક લોકો તો ધર્મના નામે એટલા ઝડ બની જતાં હોય છે કે તેઓ ધર્મના નામે સ્ત્રીઓને જીવતે જીવ મારી નાખતા હોય છે. ધર્મના નામે તેઓ સ્ત્રીઓની સ્વ-તંત્રતા પર કાપ મૂકી દેતાં હોય છે. અરે સ્ત્રીઓને હસવું કે ના હસવું એ પણ તેઓ જ નક્કી કરી લેતા હોય છે. ધર્મના નામે લોકો પર કેવા અત્યાચારો થતાં રહે છે, આપણે સૌ જાણીએ જ છીએ. એ સમાચારો એટલા રૂટિન બની ગયા છે, કે આપણે પણ આવા સમાચારો પ્રત્યે પત્થર જેવા બની ગયા છીએ.

   આપણે બે વિશ્વ-યુદ્ધો અને નાના મોટા કેટલાયે યુદ્ધોમાથી પસાર થઈ ગયા છીએ. એ યુદ્ધોએ આપણને માનસિક રીતે પણ બહુ મોટું નુકસાન પહોચાડ્યું છે. બીજા વિશ્વ-યુદ્ધ બાદનું મોટાભાગનું સાહિત્ય યુદ્ધની વેદનામાથી પ્રગટ્યું છે. એ વાંચીએ તો પણ ખ્યાલ આવે કે આપણે શા માટે શાંતિથી નથી રહેતા? ઈશ્વરે આટલું સુંદર જીવન આપ્યું છે, તો શા માટે તેને જાળવી નથી શકતા? શું આપણે ઇતિહાસમાથી કશું શિખતા નથી? કે પછી આપણે સંવેદના અને સ્પંદનો ગુમાવી દીધા છે?

   ઈશ્વરના શ્રેસ્ઠ સર્જનને આપણે ઈશ્વરના અસ્તિત્વ સાથે સંકળાયેલા ધર્મના નામે કચડતા રહીએ છીએ. આપણી અંદરના આંસુઓ સુકાય ના જાય. બસ હવે અટકી જઈએ. જીવીએ અને બીજાને જીવવા દઈએ એનાથી મોટો કોઈ ધર્મ નથી!  વળી આપણાં દેશમાં તો દહેજ અને ભ્રૂણ-હત્યા જેવા સામાજિક દૂષણોને લીધે પણ જીવનનો અંત આવતો રહે છે. પણ એ વાત ફરી ક્યારેક!!!

Kerala housewife kills 6 family members in 14 years - News | Khaleej Times

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...