સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઘોંઘાટમાં ખોવાય ગયો છે, કોલેજનો ગોલ્ડન ટાઈમ!
કોલેજો અને સ્કૂલો સુમશાન છે, એડમિશન લઈ લીધા બાદ દૂર દૂર સુધી વિદ્યાર્થીઓ દેખાઈ નથી રહ્યા. સ્કૂલોમાં માત્ર નોંધણી થઈ રહી છે, જ્યારે બાળકો ભણી રહ્યા છે, કોઈને કોઈ સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગો ચલાવતી સંસ્થાઓમાં! તો ધોરણ 12 બાદ 75% વિદ્યાર્થીઓને નિયમિત કોલેજે નથી જવું. સાંસ્કૃતિક પ્રવૃતિઓ તો દૂરની વાત રહી કોઈને કોલેજના શિક્ષણમાં પણ રસ નથી રહ્યો. કોલેજ અને યૂથ-ફેસ્ટિવલના સ્ટેજિસ એકદમ ખાલી પડ્યા છે. કોલેજના બુલેટિન-બોર્ડસ કોરાધાકોર થઈ ગયા છે, પ્રવૃતિઓમાં કોઈને રસ નથી રહ્યો. નથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કે નથી ફ્રેંડશિપ-ડે નો આનંદ! વિદ્યાર્થીઓના જીવનનો ગોલ્ડન પિરિયડ કથીરમાં ફેરવાઇ ગયો છે.
વિવિધ પદ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઑ એ વિદ્યાર્થીઓને મેંટલી એટલા સ્ટ્રેસમાં નાખી દીધા છે કે તેઓની જિંદગીમાથી મોજ-મસ્તી, કળા, રમત-ગમત, કેમ્પસ એક્ટિવિટી સઘળું જ છીનવાઈ ગયું છે. ભારતમાં, શિક્ષિત યુવાનોના જીવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે.સિવિલ સર્વિસીસ, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET), બેંકિંગ,શિક્ષણ ક્ષેત્રની પાત્રતા કસોટીઓ અને રાજ્ય-સ્તરની સેવાઓ જેવી પરીક્ષાઓને સુરક્ષિત રોજગાર અને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાના માર્ગ તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે.
ઘણા યુવાનો માટે, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ માત્ર કારકિર્દીનું લક્ષ્ય નથી, પરંતુ જીવનનું એક એવું લક્ષ્ય છે જે તેમને જીવનમાં સ્થિરતા, સમાજમાં ગરિમા અને સામાજિક માન્યતા અપાવવાનું વચન આપે છે. નાનપણ થી જ વિદ્યાર્થીઓમાં એવી માન્યતા કેળવવામાં આવે છે કે સખત મહેનત અને સમર્પણથી આખરે આ પરી ક્ષાઓમાં સફળતા મળે છે. પરિવારો, શિક્ષકો, કોચિંગ સંસ્થાઓ અને પ્રચલિત ધારણાઓ એ વિચારને સમર્થન આપે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેરિટ અને પ્રતિભાને ઉજાગર કરે છે. પરિણામે, મોટી સંખ્યામાં યુવાનો આ પરીક્ષાઓની તૈયારીમાં તેમના જીવનના વર્ષો વિતાવે છે. લગ્ન પણ કરતાં નથી!
જો કે, વાસ્તવિકતા એ છે કે ઉમેદવારોએ તીવ્ર સ્પર્ધા અને મર્યાદિત તકોનો સામનો કરવો પડે છે. એક જગ્યા માટે હજારો ઉમેદવારો વચ્ચે સંઘર્ષ હોય છે. પણ એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓ સઘળું એક સાઈડ પર રાખીને માત્રને માત્ર માર્ક્સ અને રેન્કસ પાછળ જ દોડતા રહે. અધુરામાં પૂરું સરકારે નોકરી માટેના મેરીટમાથી શાળા અને કોલેજોના માર્ક્સની જ બાદબાકી કરી દીધી છે, પરિણામે વિદ્યાર્થીઓનો રહ્યો સહયો રસ પણ ઊડી ગયો છે. વળી આટલી મહેનત બાદ આવી પરીક્ષાઓમાં સફળતા મળશે જ એની પણ કોઈ ગેરંટી નથી. અથાક પ્રયાસો કર્યા બાદ પણ જો ધાર્યા પરિણામો ના મળે તો વિદ્યાર્થીઓ હતાશ અને નિરાશ થઈને આપઘાત કરી લેતા હોય છે.
હવે ભારતમાં માત્ર આઈ.પી.એસ., ડોકટર્સ, મેનેજર્સ, તલાટીઓ, કોન્સ્ટેબલ્સ જ જન્મે છે, કોઈ સારો વક્તા કે કોઈ સારો કલાકાર જન્મતો જ નથી. કોલેજ-ડાન્સ, કોલેજ-ડ્રામાઝ, બધુ જ ડિલીટ થઈ રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળનું આ પાગલપન વિદ્યાર્થીઓને એટલા ડીપ્રેશનમાં લાવી દે છે કે એ ડીપ્રેશનનો રંજ આખી જિંદગી તેઓને કોરતો રહે છે. નો ડાઉટ જિંદગીમાં આગળ વધવા મહેનત કરવી પડે છે, પણ એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓ જીંદગીનો ઓરિજિનલ આનંદ ગુમાવી દે.
જે ક્ષણો આજે તેઓ પાસેથી જઇ રહી છે, તેને તેઓ કોઈપણ કિંમતે પાછી નથી લાવી શકવાના. મોટી મોટી કોચિંગ સંસ્થાઓને વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ કે સ્કીલ નહી, પણ માત્ર પોતાની ફી જ દેખાય છે. એટલે તેઓ વિદ્યાર્થીઓને એટલું બધુ ખોટું પ્રોત્સાહન આપે છે કે વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા સમજયા વિના દોડયે જ રાખે છે, અને કશું જ મેળવ્યા વિના જિંદગી ખર્ચી નાખે છે. આજની પેઢી પાસે પોતાની કોલેજ લાઇફનું કોઈ જ નેરેટિવ નહી હોય કે નહી હોય કોઈ સ્ટોરી-ટેલિંગ!
અનેક સફળ વ્યક્તિઓના જીવનમાં મહત્વનુ સ્ટેજ પૂરું પાડનાર કોલેજોના પોતાના સ્ટેજ આજે એકદમ ડગી ગયા છે. વિદ્યાર્થીઑ માટે કોલેજીસ આજે માત્ર ડીગ્રી મેળવવાનું માધ્યમ બનીને રહી ગઈ છે. એક એવો સન્નાટો છવાઇ ગયો છે કે દૂર દૂર સુધી વિદ્યાર્થીઓની કિકિયારી અને કલરવ કાને નથી પડી રહ્યા. છે કોઈ જે વિદ્યાર્થીઓને કોલેજ-જીવન તરફ વાળી શકે?

