Friday, 7 August 2026

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!

 

 India – A Land of Cultures - Diplomatist

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન! 

1875માં ભારતના એક મંદિરમાથી વિમાનિકા શાસ્ત્ર ગ્રંથની પ્રત મળેલી, જેની રચના ઈ.સ. પૂર્વે 400 દરમિયાન ઋષિ ભારદ્વાજે કરેલી. જેમાં પણ વિમાનોના આકાર અને પ્રકાર વિશે માહિતી આપેલી છે.  

 

 

    શૂન્યની શોધ  સૌપ્રથમ કોણે કરી? વાયરલેસ રેડિયો વેવ્સની શોધ સૌપ્રથમ કોણે કરી? ગણિતમાં આવતા પાયથાગોરસના સૂત્રની સૌપ્રથમ શોધ કોણે કરી? ગણિતમાં જ આવતા અને કોઇકને જ સમજાતાં સાઇન, કોસ, વગેરે ત્રિકોણમિતિના નિયમોની સૌપ્રથમ શોધ કોણે કરી? અણુનું સૌપ્રથમ વિભાજન કોણે સમજાવ્યું? ફિબોનાકી જેવી સંખ્યાઓની વિશિષ્ટ શ્રેણી સૌપ્રથમ કોણે શોધી? ગોડ પાર્ટીકલ સાથે સૌપ્રથમ કોનું નામ જોડાયું હતું? ક્વોન્ટમ ઓપ્ટિક્સમાં ડાયાગોનલ રિપ્રેઝન્ટેશન સૌપ્રથમ કોણે રજૂ કરેલું? ફાઈબર ઓપ્ટિક્સના ક્ષેત્રે સૌપ્રથમ મહત્વનુ યોગદાન કોણે આપેલું? પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, એવું સૌપ્રથમ કોણે સમજાવેલું? મોટા ભાગના રોગોની સારવાર પદ્ધતિઓ સૌપ્રથમ ક્યાં શોધાઈ હતી? સૌપ્રથમ વ્યવસ્થિત હિસાબી પદ્ધતિની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી?

  આ સિવાય પણ ઘણા બધા સવાલો છે, જેના જવાબો આખું વિશ્વ જાણે છે, બસ આપણે ભારતીયો જ આ સવાલોના જવાબો મેળવવાની તસ્દી લેતા નથી. અને તેથી મોટા ભાગના સંશોધનો પાછળ વિદેશી વ્યક્તિઓના નામ જોડાઈ ગયા છે. અને મોટા ભાગના સંશોધનો માટેના નોબલ પ્રાઇઝ જે તે વ્યક્તિઓને મળી ગયા છે. આપણાં પ્રાચીન ગ્રંથો અને સંશોધકો આપણાં માટે જ્ઞાનનો અદ્ભૂત વારસો આપણને આપતા ગયા હતા, પણ આપણે તેને સાચવી ના શક્યા અને પરિણામે આજે આ બધુ જ આપણે આપણાં વિદ્યાર્થીઓને વિદેશી સંશોધકોના નામે શીખવાડી રહ્યા છીએ!

 ભારતીય સંસ્કૃતિની એ જ તો વિશેષતા છે કે તે સૌથી પ્રાચીન અને જીવંત હોવા સાથે સાથે વૈજ્ઞાનિક પણ છે. મોટા ભાગના ઈતિહાસકારોનું માનવું છે કે આપણી સંસ્કૃતિ 10000 વર્ષો જૂની છે. આપણા વેદો એ માત્ર ધાર્મિક નહી, પણ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા ગ્રંથો છે. જેમાં વ્યક્તિના શરીર અને મનની રચના સંબધિત અગત્યની માહિતીઓ આપેલી છે. બસ આપણે માત્ર વાંચવાની તસ્દી લેવાની જરૂર છે. આપણે હડપ્પાનું નગર-આયોજન સમજીશુ તો જણાશે કે ત્યાના લોકો માપનપ્રક્રિયા અને ભૂમિતિથી પૂરેપૂરા માહિતગાર હતા.

  આર્યભટ્ટ, બ્રમ્હ્ગુપ્ત, લીલાવતી, ભાસ્કરાચાર્ય વગેરે વગેરે ગણિતજ્ઞો થકી આપણે સમૃદ્ધ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ પદ્ધતિઓનો ઉપયોગ ઇ.સ. પૂર્વે 3જી સદીથી થતો,તો બીજ-ગણિત અને ભૂમિતિના ખરા શોધક પણ હિન્દુઓ જ હતા. રસાયણવિદ્યામાં પતંજલિ અને નાગાર્જુન જેવા મહાનુભાવોનો ફાળો આપણે જાણી લેવાની ખાસ જરૂર છે. 2600 વર્ષો પહેલા ઋષિ કણાદે અણુસિદ્ધાંત ની શોધ કરેલી જેનો શ્રેય અત્યારે ડાલ્ટનને મળી રહ્યો છે. ભૌતિક વિજ્ઞાનમાં પણ આપણી પાસે ગુરુત્વાકર્ષણ વિષે ખાસ્સી માહિતી હતી, ગતિના નિયમો પણ હતા અને વીજળીક ઘટનાની ઉમાસ્વતીએ ઇ.સ. પૂર્વે 50માં નોંધ લીધેલી.

  એવો જ દબદબો આપણો રોગોની સારવાર પદ્ધતિઓમાં હતો. જેમાં ચરક અને સુશ્રુતના કારનામાં સૌથી જાણીતા છે. ઇ.સ. પૂર્વે 500 વખતે આ બંને સારવાર પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી. આ સારવાર પદ્ધતિઓમાં ઓપરેશન પણ થતાં અને રોગોની જડ-મુળથી સારવાર પણ થતી. તેઓ પાસે દમ, લકવો, હાર્ટ-એટેક, વગેરે વગેરે રોગોની સારવાર થઈ શકે એવી દવાઓ હતી! એટલું જ નહી આ બંને સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોએ પણ કરેલો છે! હિંદુઓની શરીરરચના પદ્ધતિ પણ એકદમ આધુનિક હતી, જેને આજના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારેલી છે. અને આપણે સૌએ એ ખાસ વાંચવા જેવી છે. ચરક અને સુશ્રુત દ્વારા રજૂ થયેલી જનીન વિષેની હકીકતોને આજની નેનો-ટેકનૉલોજી પણ સ્વીકારે છે. શરીરના તમામ અંગોના રોગો વિષેની સમજણ આપણી પ્રાચીન સારવાર પદ્ધતિઓ પાસે હતી.

 રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉલ્લેખ જોવા મળે છે. જેનું એક ઉદાહરણ સંજય 80 કિલોમીટર દૂર રહી, યુદ્ધના દ્રશ્યોનું લાઈવ ટેલિકાસ્ટ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. રામાયણમાં રાવણ પાસે વિમાન હતું, એ આપણને ખબર જ છે. આ બંને મહાકાવ્યોમાં અનેક જગ્યાએ આપણી પાસે છે, એના કરતાં પણ લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ વિષેની જાણકારી આપવામાં આવી છે. એટલું જ નહી, ઋગ્વેદમાં પણ વિમાનનો ઉલ્લેખ વાંચવા મળે છે. 1875માં ભારતના એક મંદિરમાથી વિમાનિકા શાસ્ત્ર ગ્રંથની પ્રત મળેલી, જેની રચના ઈ.સ. પૂર્વે 400 દરમિયાન ઋષિ ભારદ્વાજે કરેલી. જેમાં પણ વિમાનોના આકાર અને પ્રકાર વિશે માહિતી આપેલી છે.

 આવું તો ઘણું બધુ છે, આપણી સંસ્કૃતિ પાસે, બસ આપણે લાઈબ્રેરી તરફ વળવાની જરૂર છે....

 

 

 

  

Friday, 31 July 2026

ભારતના અર્થતંત્રની કમાન ખેંચતી, ‘લારીઓ’

  

 Pushcart india hi-res stock photography and images - Alamy

 

 

 

 

 

 

ભારતના અર્થતંત્રની કમાન ખેંચતી, ‘લારીઓ’

 

 

     નાના હતા ત્યારે ઉનાળાના વેકેશનમાં બપોરે ગોલાવાળા કે માટલાં-ગુલ્ફીવાળાનું ટીન-ટીન સાંભળીને ઘરની બહાર દોડતા અને તેની લારીએ ઊભા રહીને એ મોજથી ખાતા. ઠેલા વાળાની પાણીપૂરી ખાવાની મોજ જ કઈક અલગ હોય છે. સોસાયટીઓમાં રોજ સવાર પડતાં જ શાકભાજી અને ફળો લઈને આવતા ફેરિયાઓ મોજથી લારી ખેંચતા હોય છે. આપણી આસપાસ નજર કરીશું તો દુકાનો અને શો-રૂમ્સ કરતાં પણ વધુ લારીઓ લઈને ફૂડ, શાકભાજી, આઈસક્રીમ, જીવનજરૂરી વસ્તુઓ, કટલેરી, ફેશનેબલ વસ્તુઓ કે ફળો વેચતા હાથ-લારી વડે દેશનું અર્થ-તંત્ર ખેંચતા લોકો જોવા મળે છે.

 આ લારીઓ જેને આપણે રેંકડી પણ કહીએ છીએ, એ રેંકડીઓની સંખ્યા આ દેશમાં 10 લાખ મિલિયન જેટલી છે અને તેમાથી ઊભી થતી રોજગારી બિન-કૃષિ ક્ષેત્રના 14% જેટલી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આ રેંકડીઓની સંખ્યા વધુ જોવા મળે છે. જેમાથી 60-70 ટકા ફેરિયાઓ રોજના 300-400 રૂ કમાય છે, જ્યારે 20 % જેટલા 500-1000 કમાય છે. તો 10% ઠેલાવાળા એવા છે, જે રોજના 1000-10000 પણ કમાતા હોય છે.

 અમાના ઘણા વિસ્તાર વાઇઝ અલગ-અલગ સમયે ઊભા રહેતા હોય છે. તો કેટલાક કાયમી એક જ વિસ્તારમાં ઊભા રહેતા હોય છે, ખાસ કરીને સ્કૂલ-કોલેજ પાસે ઊભા રહેતા રેંકડીઓ વાળા સાથે તો વિદ્યાર્થીઓને એક ખાસ પ્રકારની લાગણી બંધાઈ જતી હોય છે. એ એટલી ખાસ હોય છે કે વિદ્યાર્થીઓ પોતાની જીંદગીની ખાટી-મીટી વાતો મોજથી ત્યાં કરતાં હોય છે. ઘણા લારીઓ વાળાને તો આ સિસ્ટમ એટલી ફાવી ગઈ હોય છે કે તેઓ ઘણું કમાતા હોવા છતાં મોટી દુકાનોના બદલે એ લારીઓ જ ખેંચતા રહે છે. ઘણીવાર તો કોઈ એક વ્યક્તિની આખી જિંદગી એ લારીમાં સમાઈ જતી હોય છે. સાવ સામાન્ય લારી રોજના 500 રૂપિયે ભાડે મળે છે અથવા 15000માં નવી પણ મળે છે.

 આવી રેંકડીઓમાં એકદમ નીચા મૂડીરોકાણે ધંધો શરૂ કરી શકાય છે. અને હવે તો લારીઓમાં અપગ્રેડેશન આવી ગયું છે. ફૂલ્લી સુવિધાઓવાળી રેંકડીઓ પણ હવે જોવા મળે છે, જેમાં ફૂડ બનાવવા માટેની સમગ્ર સામગ્રી સ્ટોર કરી શકાય છે. આવી સુવિધાઓવાળી એક રેંકડીની કિંમત 50000 થી માંડીને 300000 સુધીની હોય શકે છે. ઇનસ્ટાના જમાનામાં હવે આવી રેંકડીઓ વાળા પણ પોતાની વસ્તુની, ખાસ કરીને ફૂડની જાહેરાત કરવા રીલ્સનો અને ઇન્ફ્લુઅન્સર્સનો ઉપયોગ કરે છે. અને સંભવિત ગ્રાહકો સુધી પહોંચે છે.

   એમાં પણ ભારતમાં સ્ટ્રીટ ફૂડનો ક્રેઝ તો એક જીવંત વારસો છે જે રેસ્ટોરન્ટ સંસ્કૃતિથી પણ પહેલાનો છે. મુંબઈમાં વડાપાંવના થાળા, ભારતના ઉત્તર ભાગમાં ચાના સ્ટોલ, દક્ષિણ ભારતમાં ઇડલી અને ઢોસાના સ્ટોલ સુધી. પ્રાચીન બજારોમાં, વિક્રેતાઓ માટીના વાસણોમાં નાસ્તા લઈને પ્રવાસીઓ અને વેપારીઓને રેશમ અને મસાલાના માર્ગો પર સેવા આપતા હતા. વસાહતી યુગ સુધીમાં, શેરી વેચાણ એક અસ્તિત્વ ટકાવી રાખવાની કળા બની ગયું. ફેક્ટરીઓ, બંદરો અને રેલ્વે સ્ટેશનો પર ચા અને મીઠાઈઓ ફેરિયાઓ વેચતા હતા જેથી ભારતના વધતા જતા કામદાર વર્ગને ખોરાક મળી શકે.

 ભારતમાં રેંકડીનો ઇતિહાસ શહેરીકરણમાં થયેલા વધારા, ઔદ્યોગિક શ્રમના ઉદય અને પોર્ટેબલ સૂક્ષ્મ-અર્થતંત્ર સાથે જોડાયેલો છે. 19મી સદીના બ્રિટિશ ઔદ્યોગિકીકરણ અને બંદર વિકાસે મિલ કામદારો, ડોકરો અને ક્લર્ક્સના ટોળા ભેગા કર્યા જેમને ઝડપી, સસ્તા ભોજનની જરૂર હતી. જે જરૂરીયાત લારીઓ દ્વારા પૂરી કરાઇ. અને એ જ લારીઓ આજે ઘણા લોકો માટે આર્થિક જીવનરેખા બની ગઈ.

 આપણું રાજકોટ, ગાઝિયાબાદ,મોરાદાબાદ અને ચેન્નઈ લારી બનાવવાના મોટા કેન્દ્રો છે. જ્યાં સામાન્યથી લઈને લેટેસ્ટ લારીઓનું ઉત્પાદન થાય છે, જે લારીઓ વડે વેપાર કરવામાં ફેરિયાઓને આઝાદીનો અનુભવ થાય છે. કોઈની  અંડરમાં કામ નથી કરવું પડતું. અને કામના કલાકો પણ પોતે જ નકકી કરી શકે છે. અને ઘણીવાર તો તેઓ સિઝન મુજબ વસ્તુઓનું વેચાણ કરી શકે છે.

  નાનકડી એવી લારીમાં આખું કુટુંબ સમાય જતું હોય છે. જે કહો તે પણ આ રેંકડીઓ વડે ગરીબ લોકોનું આખું જીવન ખેંચાઇ જતું હોય છે.

 

Friday, 24 July 2026

સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઘોંઘાટમાં ખોવાય ગયો છે, કોલેજનો ગોલ્ડન ટાઈમ!

 

 college life Archives ~ The Land of Wanderlust


સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઘોંઘાટમાં ખોવાય ગયો છે, કોલેજનો ગોલ્ડન ટાઈમ! 

 

 

     કોલેજો અને સ્કૂલો સુમશાન છે, એડમિશન લઈ લીધા બાદ દૂર દૂર સુધી વિદ્યાર્થીઓ દેખાઈ નથી રહ્યા. સ્કૂલોમાં માત્ર નોંધણી થઈ રહી છે, જ્યારે બાળકો ભણી રહ્યા છે, કોઈને કોઈ સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગો ચલાવતી સંસ્થાઓમાં! તો ધોરણ 12 બાદ 75% વિદ્યાર્થીઓને નિયમિત કોલેજે નથી જવું. સાંસ્કૃતિક પ્રવૃતિઓ તો દૂરની વાત રહી કોઈને કોલેજના શિક્ષણમાં પણ રસ નથી રહ્યો. કોલેજ અને યૂથ-ફેસ્ટિવલના સ્ટેજિસ એકદમ ખાલી પડ્યા છે. કોલેજના બુલેટિન-બોર્ડસ કોરાધાકોર થઈ ગયા છે, પ્રવૃતિઓમાં કોઈને રસ નથી રહ્યો. નથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કે નથી ફ્રેંડશિપ-ડે નો આનંદ! વિદ્યાર્થીઓના જીવનનો ગોલ્ડન પિરિયડ કથીરમાં ફેરવાઇ ગયો છે.

  વિવિધ પદ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઑ એ વિદ્યાર્થીઓને મેંટલી એટલા સ્ટ્રેસમાં નાખી દીધા છે કે તેઓની જિંદગીમાથી મોજ-મસ્તી, કળા, રમત-ગમત, કેમ્પસ એક્ટિવિટી સઘળું જ છીનવાઈ ગયું છે. ભારતમાં, શિક્ષિત યુવાનોના જીવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે.સિવિલ સર્વિસીસ, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC), નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET), બેંકિંગ,શિક્ષણ ક્ષેત્રની પાત્રતા કસોટીઓ અને રાજ્ય-સ્તરની સેવાઓ જેવી પરીક્ષાઓને સુરક્ષિત રોજગાર અને સામાજિક પ્રતિષ્ઠા મેળવવાના માર્ગ તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે.

   ઘણા યુવાનો માટે, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી એ માત્ર કારકિર્દીનું લક્ષ્ય નથી, પરંતુ જીવનનું એક એવું લક્ષ્ય છે જે તેમને જીવનમાં સ્થિરતા, સમાજમાં ગરિમા અને સામાજિક માન્યતા અપાવવાનું વચન આપે છે. નાનપણ થી જ વિદ્યાર્થીઓમાં એવી માન્યતા કેળવવામાં આવે છે કે સખત મહેનત અને સમર્પણથી આખરે આ પરી ક્ષાઓમાં સફળતા મળે છે. પરિવારો, શિક્ષકો, કોચિંગ સંસ્થાઓ અને પ્રચલિત ધારણાઓ એ વિચારને સમર્થન આપે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેરિટ અને પ્રતિભાને ઉજાગર કરે છે. પરિણામે, મોટી સંખ્યામાં યુવાનો આ પરીક્ષાઓની તૈયારીમાં તેમના જીવનના વર્ષો વિતાવે છે. લગ્ન પણ કરતાં નથી!

   જો કે, વાસ્તવિકતા એ છે કે ઉમેદવારોએ તીવ્ર સ્પર્ધા અને મર્યાદિત તકોનો સામનો કરવો પડે છે. એક જગ્યા માટે હજારો ઉમેદવારો વચ્ચે સંઘર્ષ હોય છે. પણ એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓ સઘળું એક સાઈડ પર રાખીને માત્રને માત્ર માર્ક્સ અને રેન્કસ પાછળ જ દોડતા રહે. અધુરામાં પૂરું સરકારે નોકરી માટેના મેરીટમાથી શાળા અને કોલેજોના માર્ક્સની જ બાદબાકી કરી દીધી છે, પરિણામે વિદ્યાર્થીઓનો રહ્યો સહયો રસ પણ ઊડી ગયો છે. વળી આટલી મહેનત બાદ આવી પરીક્ષાઓમાં સફળતા મળશે જ એની પણ કોઈ ગેરંટી નથી. અથાક પ્રયાસો કર્યા બાદ પણ જો ધાર્યા પરિણામો ના મળે તો વિદ્યાર્થીઓ હતાશ અને નિરાશ થઈને આપઘાત કરી લેતા હોય છે.

  હવે ભારતમાં માત્ર આઈ.પી.એસ., ડોકટર્સ, મેનેજર્સ, તલાટીઓ, કોન્સ્ટેબલ્સ જ જન્મે છે, કોઈ સારો વક્તા કે કોઈ સારો કલાકાર જન્મતો જ નથી. કોલેજ-ડાન્સ, કોલેજ-ડ્રામાઝ, બધુ જ ડિલીટ થઈ રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળનું આ પાગલપન વિદ્યાર્થીઓને એટલા ડીપ્રેશનમાં લાવી દે છે કે એ ડીપ્રેશનનો રંજ આખી જિંદગી તેઓને કોરતો રહે છે. નો ડાઉટ જિંદગીમાં આગળ વધવા મહેનત કરવી પડે છે, પણ એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓ જીંદગીનો ઓરિજિનલ આનંદ ગુમાવી દે.

 જે ક્ષણો આજે તેઓ પાસેથી જઇ રહી છે, તેને તેઓ કોઈપણ કિંમતે પાછી નથી લાવી શકવાના. મોટી મોટી કોચિંગ સંસ્થાઓને વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ કે સ્કીલ નહી, પણ માત્ર પોતાની ફી જ દેખાય છે. એટલે તેઓ વિદ્યાર્થીઓને એટલું બધુ ખોટું પ્રોત્સાહન આપે છે કે વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા સમજયા વિના દોડયે જ રાખે છે, અને કશું જ મેળવ્યા વિના જિંદગી ખર્ચી નાખે છે. આજની પેઢી પાસે પોતાની કોલેજ લાઇફનું કોઈ જ નેરેટિવ નહી હોય કે નહી હોય કોઈ સ્ટોરી-ટેલિંગ!

  અનેક સફળ વ્યક્તિઓના જીવનમાં મહત્વનુ સ્ટેજ પૂરું પાડનાર કોલેજોના પોતાના સ્ટેજ આજે એકદમ ડગી ગયા છે. વિદ્યાર્થીઑ માટે કોલેજીસ આજે માત્ર ડીગ્રી મેળવવાનું માધ્યમ બનીને રહી ગઈ છે. એક એવો સન્નાટો છવાઇ ગયો છે કે દૂર દૂર સુધી વિદ્યાર્થીઓની કિકિયારી અને કલરવ કાને નથી પડી રહ્યા. છે કોઈ જે વિદ્યાર્થીઓને કોલેજ-જીવન તરફ વાળી શકે?

 

 

 

 

Sunday, 19 July 2026

ઉમ્મીદ પે દુનિયા કાયમ હે.....

 

 Hope Stock Photos, Images and Backgrounds for Free Download

 

ઉમ્મીદ પે દુનિયા કાયમ હે..... 

 

 

 

                આજે એક સરસ મજાની વાત સાંભળી... ઇ.સ. 1971માં બંગાળના હંસપુકુર નામના ગામે સુભાષિની નામની સ્ત્રી પૈસાના ના હોવાને લીધે પોતાના પતિને ના બચાવી શકી. આ અફસોસ ને અહેસાસમાં બદલવા ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે આવો અફસોસ હવે હું કોઈના જીવનમાં નહી થવા દઉં. અને ઉમ્મીદનું એક કિરણ લઈને તેણીએ ખાલી ખિસ્સે, બાળકોની જવાબદારી સાથે ત્રીસ વર્ષ બાદ મફત હોસ્પિટલ બનાવી. પોતે શોકભાજી વેચતી રહી, દીકરાને અનાથાશ્રમમાં રાખીને ભણાવ્યો અને આજે સુભાષિની અને તેણીનો પરિવાર ત્રણ હોસ્પિટલ ચલાવે છે, જેમાં સેંકડો દર્દીઓને નવજીવન મળી રહ્યું છે! તેમણે ગરીબ પરિવારોમાં એક ઉમ્મીદ જગાવી છે કે આપણું પણ કોઈ છે.

   રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે આશાના અનેક કિરણો આપણાં સુધી પહોંચે છે, અને આપણને કહે છે કે જે વીતી ગયું તેને ભૂલી  આગળ વધી જઈએ. નિરાશાનો અંધકાર આશાના પ્રકાશ સામે લાંબો સમય ટકી શકતો નથી. એક નવી સવારની આશામાં આપણે રાત્રે સૂઈ જતાં હોઈએ છીએ. એ સઘળું જ ભૂલીને જેણે વિતેલા સમય દરમિયાન આપણને દર્દ અને પીડા આપેલી. સવારે ઊઠીએ ત્યારે હમેંશા એક નવી આશા સાથે ઊઠીએ કે જે કઈ આપણને નથી મળી શક્યું, એ બીજાને આપીએ અને તેઓની જિંદગીમાં આશાના રંગો પુરીએ.

  આપણી આસપાસ ગમે તેટલું ખોટું કે ખરાબ થતું હોય, આપણને આશા હોય છે કે એવી જ રીતે સારું કે સાચું પણ થતું જ રહે છે. આપણને દૂ:ખની નકારાત્મકતા કરતાં સુખની હકારાત્મકતા પર વધુ શ્રદ્ધા હોય છે. વિશ્વના કોઈ ને કોઈ હિસ્સામાં એવા પણ લોકો છે, જે બીજાના જીવનમાં આશાના કિરણો લઈને આવે છે અને તેઓના જીવનને પ્રકાશિત કરી દે છે. કોઈ અન્યાયનો વિરોધ કરે છે, કોઈ ની:સહાય લોકોને સહાય આપે છે, કોઈ રડતાં અને ભૂખ્યા બાળકોને સાચવે છે, તો કોઈ ગંદી આદતો છોડાવીને લોકોને નવજીવન આપી રહ્યા છે. તો કોઈ ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ જીવનમાં આગળ વધી રહ્યું છે. કોઈ જગ્યાએ કોઈ પહેલ કરી રહ્યું છે, તો કોઈ જગ્યાએ સ્ત્રીઓ પોતાના પર થતાં અત્યાચારોનો સામનો કરીને વધુ ને વધુ આગળ વધી રહી છે. કોઈ પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે, તો કોઈ પક્ષીઓને અને પ્રાણીઓને! આમાથી મોટા ભાગના લોકો એવા છે, જેઓને કોઈ જ લાઈમ-લાઇટની જરૂર નથી, કે નથી કોઈ સોસિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કરવાની. તેઓ બસ નવી આશાઓની તાકાત લઈને વિશ્વને મજબૂત બનાવી રહ્યા છે. વધુ ને વધુ બેટર બનાવી રહ્યા છે.

      તમને થશે આજે વળી આ આશા કે ઉમ્મીદ ની વાતો કેમ? આ રહ્યો જવાબ, વૈશ્વિક પડકારોને દૂર કરવા, શાંતિને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિઓ અને રાષ્ટ્રોમાં નવા વિચારો અને હકારાત્મકતાની જ્યોતને સળગતી રાખવા માટે દર વર્ષે 12 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય આશા દિવસ ઉજવવામાં આવે છે. આશા એ શકિત છે, જે દિવ્યાંગને પણ એવરેસ્ટ સુધી પહોંચાડી શકે છે કે પછી કોઈ રમતમાં શ્રેસ્ઠ બનાવી શકે છે. હું આ કરી શકું છુ એ આશાએ કેટલાયે લોકોના જીવનમાં શ્રદ્ધાનો સંચાર કર્યો છે, અને એવી મજબૂતી બક્ષી છે કે લોકો ગમે તેવી મુશ્કેલીઓ સામે લડીને પણ જીવનમાં નવા રંગો ઉમેરી રહ્યા છે.

  આશાનો સંચાર એ મોસમના પ્રથમ વરસાદ જેવો હોય છે, જે આપણને હમેંશા તાજગી જ આપતો રહે છે, અને મનમાં એ ઉમ્મીદ જગાવે છે કે હાશ.. હવે વર્ષ સારું જશે. આપણી આસપાસ આજે જ્યારે આપઘાત સ્વરુપે, હત્યા સ્વરૂપે, લાગણીઓના દુકાળ સ્વરૂપે, બળાત્કારના પાપ સ્વરૂપે, કરપ્શન સ્વરૂપે, માનસિક અસ્વસ્થતા સ્વરૂપે, એમ અલગ અલગ સ્વરૂપે ઘોર નિરાશા વ્યાપી રહી છે, ત્યારે આપણે આત્માના પ્રકાશ થકી નિરાશાના વાદળોને હટાવવાના છે. આશા એક સંદેશ છે, કે દુનિયાના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ આપણી ચિંતા કરી રહી છે. તે આપણને સારું જીવન આપવા મથી રહી છે. આપણે ધગાવેલી આશાની એક ચિનગારી નકારાત્મકતાના અનેક જંગલોમાં દાવાનળ લગાડી શકે છે.

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!

    ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!  1875માં ભારતના એક મંદિરમાથી ‘ વિમાનિકા શાસ્ત્ર ’ ગ્રંથની પ્રત મળેલી , જેની રચના ઈ.સ. પૂર્...