Tuesday, 8 September 2026

યંગ જનરેશનનો નવો સંવાદ, ‘ પોડકાસ્ટ’

 

 The Biggest & Most Premium Podcast Studios in Delhi NCR | South Delhi |  Gurgaon | Cellar Door Studios

યંગ જનરેશનનો નવો સંવાદ, ‘ પોડકાસ્ટ’

 

 

   આપણે માણસો એકબીજા સાથે વાતો શેર કર્યા વિના નથી રહી શકતા. બધા જ પોતાની અંદર રહેલી લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ કરતાં હોય છે. આજથી 40/50 વર્ષો પહેલા આવી લાગણીઓ અભિવ્યક્ત કરવાના માધ્યમો ઓછા હતા અને જેઓ પાસે આપણી સંવેદનાઓ અભિવ્યક્ત કરી શકાય એવા લોકો પણ ઓછા હતા. પણ આજે આપણી પાસે એકબીજા સાથે કનેક્ટ થવા માટે ઘણા બધા ટેક્નોલોજિકલ માધ્યમો છે, એમાનું એક એટલે, પોડકાસ્ટ

  પોડકાસ્ટ ખાસ કરીને યંગજનરેશનમાં સૌથી લોકપ્રિય માધ્યમ છે, જેના થકી આજની યુવાપેઢી પોતાના વિચારો સરળતાથી રજુ કરી શકે છે અને બીજા પાસેથી સારા વિચારો લઈ પણ શકે છે. સૌપ્રથમ માન્ય પોડકાસ્ટ જુલાઈ ૨૦૦૩માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકન રેડિયો હોસ્ટ ક્રિસ્ટોફર લિડન અને સોફ્ટવેર ડેવલપર ડેવ વાઈનર વચ્ચેની ઓડિયો મુલાકાતનો સમાવેશ થતો હતો, જેનું વિતરણ વાઈનર દ્વારા વિકસાવવામાં આવેલી 'ઓડિયો એન્ક્લોઝર' ટેક્નોલોજી સાથેના RSS ફીડનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. અને આજે આખા વિશ્વમાં આશરે 4550000 જેટલા પોડકાસ્ટ રજૂ થાય છે! 

  ઇન્ટરનેટ પોડકાસ્ટ એ એક ડિજિટલ ઓડિયો અથવા વિડિયો પ્રોગ્રામ છે જેને આપણે ઓનલાઇન ડાઉનલોડ અથવા સ્ટ્રીમ કરી શકિએ છીએ. તેમાં સમાચાર, રમતગમત, કોમેડી, અપરાધો, મનોરંજન, કોઈ સફળ વ્યક્તિની મુલાકાત વગેરે વગેરે રજૂ થતું હોય છે. આ પોડકાસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે, કોઈપણ વ્યક્તિ તેને કોઈપણ સમયે પોતાની અનુકૂળતા મુજબ સાંભળી કે જોઈ શકે છે. અને તેમાં થતી વાતો પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ અને યંગ-જનરેશનને સ્પર્શતી હોય છે.

  'ઇન્ડિકાસ્ટ' ઓક્ટોબર 2005માં ભારતનો આદિત્ય મહાત્રે અને અભિષેકકુમાર દ્વારા શરૂ થયેલો સૌપ્રથમ પોડકાસ્ટ હતો, જે હજી ચાલુ છે અને જેમાં સમાચાર અને વર્તમાન ઘટનાઓ પર ચર્ચાઓ થતી અને હજી પણ થાય છે. તે જ સમયગાળા દરમિયાન, છવી સચદેવે પણ દેશમાં ઓડિયો અને રેડિયો-શૈલીના પોડકાસ્ટિંગની શરૂઆત કરી હતી. સુદીપ્તા ભૌમિક દ્વારા રજૂ થતું બંગાળી પોડકાસ્ટ જે મહાભારતની વાર્તાઓ પર આધારિત હતું, તે ખૂબ જ લોકપ્રિય થયેલ છે.

 રણવીર શોરણવીર અલ્લાહબાદિયા જેઓ આધ્યાત્મિકતા, ઇતિહાસ, ભૂરાજકીય બાબતો અને સેલિબ્રિટીના ઊંડાણપૂર્વકના અનુભવો શોમાં રજૂ કરે છે. રાજ શમાણી શોજેમાં નવા નવા ઉદ્યોગપતિઓની સફળતા, ભારતીય અર્થતંત્ર અને નાણાકીય બાબતો રજૂ થાય છે.દેશી ક્રાઇમ પોડકાસ્ટ જેમાં આર્યન મિશ્રા અને ઐશ્વર્યા સિંહ સાવધાન ઈન્ડિયાની જેમ દક્ષિણ એશિયામાં થતાં અપરાધોને સીરોયલો સ્વરૂપે રજૂ કરે છે. તો આરૂષિ ઠક્કર 5-મિનિટના દૈનિક ઓડિયો અપડેટ્સ આપે છે, જે અઘરા બિઝનેસ સમાચારોને સરળ ભાષામાં સમજાવે છે.

 આ બધા લોકો પોડકાસ્ટ દ્વારા કરોડો રૂપિયા કમાય શકે છે. એટલે તમારો અવાજ સારો હોય, તમને આસપાસના લોકોમાં રસ હોય, તમારી રજૂઆત સારી હોય તો તમે પણ આ ક્ષેત્રે જંપલાવી શકો છો.  આ પોડકાસ્ટના વિડિયોઝ તેઓ યુ-ટ્યુબ અને ઇનસ્ટા પર પણ મૂકે છે, જેથી યંગજનરેશન સુધી પહોંચી શકાય. ભારતમાં પોડકાસ્ટ સાંભળનારા લોકોની સંખ્યા 105 થી 177 મિલિયન જેટલી છે, જે ચાઈના અને અમેરિકા બાદ ત્રીજા નંબરે આવે છે! આ આંકડો એકલા ભારતમાં જ આવતા વર્ષોમાં 260 મિલિયનને આંબી જવાનો છે. કમાણીની દ્રષ્ટિએ જોઈએ તો આશરે 969 મિલિયન ડોલરનું આ માર્કેટ છે, જે 2030 સુધીમાં 4.5 બિલિયન ડોલર્સનું થઈ જશે.

 ભારતમાં સૌથી વધુ પોડકાસ્ટ લીસનર્સ હિન્દી ભાષાના છે, ત્યારબાદ તમિલ અને તેલેગુ, મરાઠી અને બંગાળી ભાષાના લીસનર્સ આવે છે. ઘણા સ્પીકર્સ પોતાના પોડકાસ્ટસ હિંગલીશ ભાષામાં પણ રજૂ કરે છે. તો ઘણા હવે પ્રાદેશિક ભાષામાં પણ ઓનલાઈન થઈ ગયા છે. ગુજરાતી ભાષામાં પણ ઘણા સારા પોડકાસ્ટ્સ અવેલેબલ છે, લોકપ્રિય ગુજરાતી પોડકાસ્ટમાં જલ્સો પોડકાસ્ટ પર સાંસ્કૃતિક વાર્તા કહેવાનો કાર્યક્રમ, ડિજિટલ વાતો પર ઇશાન જોશી સાથે સર્જક અને વ્યવસાયિક ઇન્ટરવ્યુ, ગ્રો લાઈક અ ગુજરાતી પર લોક સંસ્કૃતિ અને કલા, ગપ્પા ગુજરાતી પોડકાસ્ટ પર કેઝ્યુઅલ ચેટ્સ અને લર્ન ગુજરાતી વિથ મી પર ભાષા શીખવાનો સમાવેશ થાય છે.

  યંગજનરેશન સુધી પહોંચવા માટે આ માધ્યમ આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડમાં છે, અને કમાણીની પણ અઢળક તકો રહેલી છે...

Wednesday, 12 August 2026

કોમનવેલ્થ ગેમ્સની અન-કોમન ‘સંઘર્ષ-કથાઓ’

 

 The Unofficial Guide to The Commonwealth Games Glasgow 2026 eBook : Harrison, Simon: Amazon.in: Kindle Store

 

 કોમનવેલ્થ ગેમ્સની અન-કોમન ‘સંઘર્ષ-કથાઓ’ 


  ભારતમાં રમતગમતનો વિકાસ એ માન્યતાને કારણે અવરોધાયો છે કે રમતગમત દ્વારા લાંબા ગાળાના નાણાકીય આયોજનો થઈ શકતા નથી. જેને લીધે અલગ અલગ રમતોમાં યોગ્ય પ્રતિભા ધરાવતા રમતવીરોને તકો મળી નહી. પણ હવે નવો વાયરો ફૂંકાઈ રહ્યો છે, અને આપણે એ ફ્રેશ વાયરાને આપણાં વિચારોમાં સ્થાન આપવાની ખાસ જરૂર છે.

 

 

   આ વર્ષે કોમન વેલ્થ ગેમ્સ માં એક બાબત કોમન રહી અને એ હતી, કે ભારતે જેટલા મેડલ્સ જીતા એમાં મોટા ભાગના વિજેતાઓ એકદમ સાધારણ કુટુંબમાથી અને સાધારણ પરિસ્થિતિમાથી પસાર થઈને આ સ્ટેજ સુધી પહોંચેલા હતા. આ એવા વિજેતાઓ હતા, જેમણે વિપરીત પરિસ્થિતિઓ સામે સંઘર્ષ કરીને આ સ્થાન મેળવ્યુ. સૌથી મહત્વની વાત એ હતી કે તેમણે હાર ના માની અને લડતા રહ્યા.

 આપણે ઘણીવાર સોશિયલ મીડિયા કે અન્ય ક્ષેત્રોમાં લોકપ્રિય હોય તેવા લોકો પાસેથી પ્રેરણા મેળવતા હોઈએ છીએ. પરંતુ મને લાગે છે કે ખરેખર તો આપણે આવા લોકો તરફ જોવું જોઈએ. એવા લોકો કે જેમણે ક્રિકેટના પાગલપનથી ઘેરાયેલા આપણા દેશમાં, બહુ ઓછા સમર્થન કે માન્યતા હોવા છતાં  અકલ્પનીય મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો.

  અસ્મિતા ડે: તેમના પિતા સાયકલ રિપેરિંગની દુકાન ચલાવતા હતા અને તેમના સૌથી મોટા સમર્થક હતા. ડિસેમ્બર 2025માં તેમનું અવસાન થયું. તેના થોડા જ મહિનાઓ બાદ, તેમણે મહિલાઓની 48 કિગ્રા જુડો સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો; આ રમતમાં ભારતનો આ પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ મેડલ હતો.

શર્મિલા ધનકર: બે વર્ષની ઉંમરે એક અકુશળ વ્યક્તિ  દ્વારા આપવામાં આવેલા ખોટા ઈન્જેક્શનને કારણે તેઓ દિવ્યાંગ બની ગયા હતા. 19 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા, પરંતુ તે સંબંધ અત્યાચારપૂર્ણ હતો અને એકવાર તેમના પતિએ ગામમાં તેમને નિર્વસ્ત્ર પણ કર્યા હતા. 26 વર્ષની ઉંમરે તેમને તેમના બે બાળકો સાથે ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના બીજા પતિએ જ તેમને પેરા-એથ્લેટિક્સનો પરિચય કરાવ્યો હતો. હવે તેમણે મહિલાઓની F57 શોટ પુટ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને પેરા-એથ્લેટિક્સમાં કોમનવેલ્થ ગેમ્સ મેડલ માટે ભારતની 20 વર્ષની રાહનો અંત આણ્યો છે.

દિલીપ ગાવિત: બાળપણમાં ઝાડ પરથી પડી ગયા બાદ યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમણે પોતાનો હાથ ગુમાવ્યો હતો. તેમના કોચ, વૈજનાથ કાલેએ તેમને તેમના ગામમાં જોયા, તેમને દત્તક લીધા અને તાલીમ આપી. આજે, તેઓ પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં પેરા-ટ્રેક ઈવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સનો સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.

ઋષિકાંત સિંહ: તેઓ દૈનિક વેતન મેળવતા મજૂર તરીકે કામ કરતા હતા અને દિવસના માત્ર 150200 કમાતા હતા; આ પૈસાનો ઉપયોગ તેઓ વેઈટલિફ્ટિંગના પોતાના સપનાને સાકાર કરવા માટે કરતા હતા અને બાદમાં તેઓ ભારતીય સેનામાં જોડાયા. તેમણે પુરુષોની 60 કિગ્રા સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો.

  આ તો હજી થોડી જ સંઘર્ષ-કથાઓ છે, જે આપણને ગમે તેવી વિપરીત પરિસ્થિતીઓમા ફરિયાદો કરવાને બદલે લડી લેવાની પ્રેરણા આપતી રહે છે. બાકી આ વખતે આપણને મળેલા 39 મેડલ્સ સાથે એક એક આવી સંઘર્ષ-કથા જોડાયેલી છે. કોઈ આપણને મહત્વના સમજે કે ના સમજે પણ આપણે નક્કી કરેલા રસ્તે આપણે આગળ વધતાં રહેવાનુ છે.

 સાથે સાથે આપણે હવે માતા-પિતા તરીકે આપણાં બાળકોને એ પણ સમજાવવાનું રહેશે કે રમત-ગમત થકી પણ કેરિયર બનાવી શકાય છે. અને ક્રિકેટ સિવાય પણ ઘણી બધી રમતો છે, જેમાં આપણે આગળ વધી શકીએ છીએ. બાળકોને એથલિટ્સ, જુડો, જિમનાસ્ટિક જેવી રમતો તરફ પણ વાળવા પડશે, એમાં પણ રસ લેતા કરવા પડશે. ભારતમાં, પરંપરાગત રીતે, રમતગમતને આશાસ્પદ કારકિર્દી કરતાં વધુ મનોરંજન પ્રવૃત્તિઓ તરીકે જોવામાં આવે છે. રમતગમતને સામાન્ય રીતે ગૌણ રુચિ માનવામાં આવતી હતી. એટલું જ નહી, યોગ્ય સુવિધાઓના અભાવે, ખેલાડીઓ પાસે સગવડો ના હોવાને લીધે કે તેઓની આર્થિક-સામાજિક પરિસ્થિતી નબળી હોવાને લીધે તેઓને આગળ આવવાનું કોઈ પ્લેટફોર્મ્ જ મળતું નહોતું. પણ આ ખેલાડીઓએ આ બધી બાબતોને સાઈડ પર રાખી આગળ વધી ગયા.

  ભારતમાં રમતગમતનો વિકાસ એ માન્યતાને કારણે અવરોધાયો છે કે રમતગમત દ્વારા લાંબા ગાળાના નાણાકીય આયોજનો થઈ શકતા નથી. જેને લીધે અલગ અલગ રમતોમાં યોગ્ય પ્રતિભા ધરાવતા રમતવીરોને તકો મળી નહી. પણ હવે નવો વાયરો ફૂંકાઈ રહ્યો છે, અને આપણે એ ફ્રેશ વાયરાને આપણાં વિચારોમાં સ્થાન આપવાની ખાસ જરૂર છે.

Friday, 7 August 2026

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન!

 

 India – A Land of Cultures - Diplomatist

ભારતીય સંસ્કૃતિ, શૂન્યમાથી અનંત સર્જન! 

1875માં ભારતના એક મંદિરમાથી વિમાનિકા શાસ્ત્ર ગ્રંથની પ્રત મળેલી, જેની રચના ઈ.સ. પૂર્વે 400 દરમિયાન ઋષિ ભારદ્વાજે કરેલી. જેમાં પણ વિમાનોના આકાર અને પ્રકાર વિશે માહિતી આપેલી છે.  

 

 

    શૂન્યની શોધ  સૌપ્રથમ કોણે કરી? વાયરલેસ રેડિયો વેવ્સની શોધ સૌપ્રથમ કોણે કરી? ગણિતમાં આવતા પાયથાગોરસના સૂત્રની સૌપ્રથમ શોધ કોણે કરી? ગણિતમાં જ આવતા અને કોઇકને જ સમજાતાં સાઇન, કોસ, વગેરે ત્રિકોણમિતિના નિયમોની સૌપ્રથમ શોધ કોણે કરી? અણુનું સૌપ્રથમ વિભાજન કોણે સમજાવ્યું? ફિબોનાકી જેવી સંખ્યાઓની વિશિષ્ટ શ્રેણી સૌપ્રથમ કોણે શોધી? ગોડ પાર્ટીકલ સાથે સૌપ્રથમ કોનું નામ જોડાયું હતું? ક્વોન્ટમ ઓપ્ટિક્સમાં ડાયાગોનલ રિપ્રેઝન્ટેશન સૌપ્રથમ કોણે રજૂ કરેલું? ફાઈબર ઓપ્ટિક્સના ક્ષેત્રે સૌપ્રથમ મહત્વનુ યોગદાન કોણે આપેલું? પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, એવું સૌપ્રથમ કોણે સમજાવેલું? મોટા ભાગના રોગોની સારવાર પદ્ધતિઓ સૌપ્રથમ ક્યાં શોધાઈ હતી? સૌપ્રથમ વ્યવસ્થિત હિસાબી પદ્ધતિની શરૂઆત ક્યાં દેશમાં થઈ હતી?

  આ સિવાય પણ ઘણા બધા સવાલો છે, જેના જવાબો આખું વિશ્વ જાણે છે, બસ આપણે ભારતીયો જ આ સવાલોના જવાબો મેળવવાની તસ્દી લેતા નથી. અને તેથી મોટા ભાગના સંશોધનો પાછળ વિદેશી વ્યક્તિઓના નામ જોડાઈ ગયા છે. અને મોટા ભાગના સંશોધનો માટેના નોબલ પ્રાઇઝ જે તે વ્યક્તિઓને મળી ગયા છે. આપણાં પ્રાચીન ગ્રંથો અને સંશોધકો આપણાં માટે જ્ઞાનનો અદ્ભૂત વારસો આપણને આપતા ગયા હતા, પણ આપણે તેને સાચવી ના શક્યા અને પરિણામે આજે આ બધુ જ આપણે આપણાં વિદ્યાર્થીઓને વિદેશી સંશોધકોના નામે શીખવાડી રહ્યા છીએ!

 ભારતીય સંસ્કૃતિની એ જ તો વિશેષતા છે કે તે સૌથી પ્રાચીન અને જીવંત હોવા સાથે સાથે વૈજ્ઞાનિક પણ છે. મોટા ભાગના ઈતિહાસકારોનું માનવું છે કે આપણી સંસ્કૃતિ 10000 વર્ષો જૂની છે. આપણા વેદો એ માત્ર ધાર્મિક નહી, પણ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા ગ્રંથો છે. જેમાં વ્યક્તિના શરીર અને મનની રચના સંબધિત અગત્યની માહિતીઓ આપેલી છે. બસ આપણે માત્ર વાંચવાની તસ્દી લેવાની જરૂર છે. આપણે હડપ્પાનું નગર-આયોજન સમજીશુ તો જણાશે કે ત્યાના લોકો માપનપ્રક્રિયા અને ભૂમિતિથી પૂરેપૂરા માહિતગાર હતા.

  આર્યભટ્ટ, બ્રમ્હ્ગુપ્ત, લીલાવતી, ભાસ્કરાચાર્ય વગેરે વગેરે ગણિતજ્ઞો થકી આપણે સમૃદ્ધ છીએ. પૂર્ણાંક સંખ્યાઓ અને દશાંશ પદ્ધતિઓનો ઉપયોગ ઇ.સ. પૂર્વે 3જી સદીથી થતો,તો બીજ-ગણિત અને ભૂમિતિના ખરા શોધક પણ હિન્દુઓ જ હતા. રસાયણવિદ્યામાં પતંજલિ અને નાગાર્જુન જેવા મહાનુભાવોનો ફાળો આપણે જાણી લેવાની ખાસ જરૂર છે. 2600 વર્ષો પહેલા ઋષિ કણાદે અણુસિદ્ધાંત ની શોધ કરેલી જેનો શ્રેય અત્યારે ડાલ્ટનને મળી રહ્યો છે. ભૌતિક વિજ્ઞાનમાં પણ આપણી પાસે ગુરુત્વાકર્ષણ વિષે ખાસ્સી માહિતી હતી, ગતિના નિયમો પણ હતા અને વીજળીક ઘટનાની ઉમાસ્વતીએ ઇ.સ. પૂર્વે 50માં નોંધ લીધેલી.

  એવો જ દબદબો આપણો રોગોની સારવાર પદ્ધતિઓમાં હતો. જેમાં ચરક અને સુશ્રુતના કારનામાં સૌથી જાણીતા છે. ઇ.સ. પૂર્વે 500 વખતે આ બંને સારવાર પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી. આ સારવાર પદ્ધતિઓમાં ઓપરેશન પણ થતાં અને રોગોની જડ-મુળથી સારવાર પણ થતી. તેઓ પાસે દમ, લકવો, હાર્ટ-એટેક, વગેરે વગેરે રોગોની સારવાર થઈ શકે એવી દવાઓ હતી! એટલું જ નહી આ બંને સારવાર પદ્ધતિઓનો ઉપયોગ વિશ્વના ઘણા દેશોએ પણ કરેલો છે! હિંદુઓની શરીરરચના પદ્ધતિ પણ એકદમ આધુનિક હતી, જેને આજના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારેલી છે. અને આપણે સૌએ એ ખાસ વાંચવા જેવી છે. ચરક અને સુશ્રુત દ્વારા રજૂ થયેલી જનીન વિષેની હકીકતોને આજની નેનો-ટેકનૉલોજી પણ સ્વીકારે છે. શરીરના તમામ અંગોના રોગો વિષેની સમજણ આપણી પ્રાચીન સારવાર પદ્ધતિઓ પાસે હતી.

 રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં પણ અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉલ્લેખ જોવા મળે છે. જેનું એક ઉદાહરણ સંજય 80 કિલોમીટર દૂર રહી, યુદ્ધના દ્રશ્યોનું લાઈવ ટેલિકાસ્ટ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. રામાયણમાં રાવણ પાસે વિમાન હતું, એ આપણને ખબર જ છે. આ બંને મહાકાવ્યોમાં અનેક જગ્યાએ આપણી પાસે છે, એના કરતાં પણ લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ વિષેની જાણકારી આપવામાં આવી છે. એટલું જ નહી, ઋગ્વેદમાં પણ વિમાનનો ઉલ્લેખ વાંચવા મળે છે. 1875માં ભારતના એક મંદિરમાથી વિમાનિકા શાસ્ત્ર ગ્રંથની પ્રત મળેલી, જેની રચના ઈ.સ. પૂર્વે 400 દરમિયાન ઋષિ ભારદ્વાજે કરેલી. જેમાં પણ વિમાનોના આકાર અને પ્રકાર વિશે માહિતી આપેલી છે.

 આવું તો ઘણું બધુ છે, આપણી સંસ્કૃતિ પાસે, બસ આપણે લાઈબ્રેરી તરફ વળવાની જરૂર છે....

 

 

 

  

યંગ જનરેશનનો નવો સંવાદ, ‘ પોડકાસ્ટ’

    યંગ જનરેશનનો નવો સંવાદ, ‘ પોડકાસ્ટ’        આપણે માણસો એકબીજા સાથે વાતો શેર કર્યા વિના નથી રહી શકતા. બધા જ પોતાની અંદર રહેલ...