Friday, 17 April 2026

ચાલો મળીએ વિશ્વની સૌપ્રથમ ‘હાથ-પગ’ વગરની વિજેતા દીકરીને!!!

 

ચાલો મળીએ વિશ્વની સૌપ્રથમ ‘હાથ-પગ’ વગરની વિજેતા દીકરીને!!!

 खेलो इंडिया पैरा गेम्स 2025: शीतल देवी ने पायल नाग को हराकर तीरंदाजी में  जीता स्वर्ण पदक

 

 

 

     હમણાં જ ગોલ્ડ-મેડલ જીતેલી એક દીકરી, જે વ્હીલ-ચેરમાં જીવન પસાર કરી રહી છે, રાષ્ટ્રગીતના ગાન સમયે ત્રિરંગા તરફ ફરી નહોતી શકતી, ત્યાં હાજર રહેલા અધિકારીઓ મદદ કરે એ પહેલા એ દીકરીને લીધે જ પોતાનો ગોલ્ડમેડલ ગુમાવનાર બીજી દીકરી આગળ વધી, જેની પાસે પણ હાથ નથી, તે નીચે ઝૂકી ગઈ, જે રીતે ધનુષ્ય દોરે છે તે જ રીતે તેના પગનો ઉપયોગ કરીને, તેણીએ પેલી દીકરીની  વ્હીલચેરના ફૂટરેસ્ટને હળવેથી હૂક કર્યો અને તેને ફેરવ્યો, જેથી કિશોરી ધ્વજનો સામનો કરી શકે! રમતના મેદાન જેવી ખેલીદિલી આપણને કોઈ શીખવી શકે એમ નથી.

  તેણી પાસે હાથ નથી, તેણી પાસે પગ નથી, પણ તેની પાસે છે, એકાગ્રતા, દ્રઢ મનોબળ અને જીતની આગ! આ છે, પાયલ નાગ.. આ ટ્વિટર પોસ્ટ છે, એશિયન પેરાઓલમ્પિક કમિટીની અને કોણ છે? આ પાયલ નાગ, એક એવી દીકરી કે જેની પાસે હાથ અને પગ ના હોવા છતા આજે તેણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પાયલ નાગ એક એવું વ્યક્તિત્વ છે, જેમણે આ દેશના તમામ લોકોને પ્રેરિત કર્યા છે કે જિંદગીમાં કશુંક કરી દેખાડવાની તાકાત હોય તો તમને કોઈ રોકી શકતું નથી. અને ખેલદિલી દેખાડનાર દીકરી હતી, શીતલદેવી! કે જેમણે પણ 2024માં પેરાઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  તમે જેને આદર્શ માનતા હોય, એ વ્યક્તિ જ પાછળ રાખીને તમે તેના જ દ્વારા ગોલ્ડ-મેડલ મેળવો, બેક-ગ્રાઉન્ડમાં રાષ્ટ્ર-ગીત ગવાતું હોય એ ફીલિંગ જ કઈક ઓર હોય છે. દરેક સફળતા પાછળ કાળો સંઘર્ષ હોય છે, અને આવો જ સંઘર્ષ પાયલ નાગના જીવન પ્રવાસનો સાથી અને મજબૂત સહાયક બની રહ્યો! માત્ર 8 વર્ષની ઉંમરે ઇલેક્ટ્રીક શોકને લીધે પાયલે પોતાના હાથ અને પગ બંને ગુમાવ્યા. પિતા એકદમ ગરીબ, પાયલની સારવાર પાછળ તેમણે પોતાનું ખેતર પણ વેચી દેવું પડ્યું. સારવાર નહી થઈ શકતા પાયલને જિલ્લા કલેકટરની મદદથી 2019માં બાલનગીરના અનાથાશ્રમમાં મૂકી દીધેલી.

  પાયલનાં ગુરુ કુલદીપ સાથે તેનું કનેક્શન એક વાઇરલ મોમેન્ટને લીધે થયેલું, જેમાં પાયલ હાથ-પગ વિના મોઢાથી ડ્રોઈંગ કરી રહી હતી! એ વિડીયો જોઈને કુલદીપ સર કે જેઓ જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ આર્ચરી એકેડેમી ચલાવતા હતા, તેઓને આ દીકરીની આંખોમાં કઈક અલગ જ દેખાયું. તેઓ અનાથાશ્રમમાં જઈને આ દીકરીને 2022માં આ એકેડેમીમાં લઈ આવ્યા. અહી તેમણે પાયલને ખભ્ભા અને મોઢાનો ઉપયોગ કરીને તીર ચલાવતા શીખવ્યું. અને પાયલ શીખી પણ ગઈ. ઓડિશાની 18 વર્ષીય ખેલાડીએ પોતાના જીવનમાં આવેલી આપત્તિને અવસરમાં ફેરવી નાખી. અને તે આપત્તિને પાછળ છોડી ગઈ, જેના કારણે ડોકટરોએ તેના હાથ અને પગ કાપી નાખવા પડ્યા હતા.

  પાયલની મોટી બેન વર્ષા નાગે પણ તેની આ સિદ્ધિમાં અગત્યનું યોગદાન આપ્યું છે, તેની મોટી બહેન વર્ષા નાગ તેની સાથે એકેડેમી હોસ્ટેલમાં રહે છે અને તેને નવડાવવાથી લઈને ખવડાવવા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખે છે. જિંદગી એક એવી રીલે રેસ છે, જેની ફિનિશિંગ લાઇન કુટુંબના સહારે ઝડપથી ક્રોસ કરી શકાય છે. ગુરુ-શિષ્યના એક-બીજા પ્રત્યેના સમર્પણે પાયલને એ શીખવી દીધું જે સંપૂર્ણ સ્વસ્થ માણસ પણ શીખી શકતો નથી! અને એ શીખ હતી, ગમે તેવી પરિસ્થિતિ સામે દ્રઢ મનોબળ થકી લડી લેવું અને આગળ વધી જવું. અને એ જ શીખ સાથે આજે આ દીકરીએ બેંગકોંગમાં યોજાયેલી વર્ડ આર્ચરી પેરા સીરિઝમાં ગોલ્ડ-મેડલ મેળવી લીધો. એ પણ પોતાની જ આઇડિયલ શીતલદેવીને પાછળ રાખીને! 

   પાયલ નાગની આ વાર્તા ખેલદિલીની, એક ગુરુએ પોતાના શિષ્યમાં જોયેલી સંભાવનાઓની વાર્તા છે, એક શિક્ષકને પણ જો પોતાના વિદ્યાર્થીઓમાં રહેલી આવી જ કોઈ સંભાવના દેખાય જાય અને તે પોતાના વિદ્યાર્થીઓમાં પાયલ નાગ જેવી જ્ઞાનની આગ પ્રગટાવી શકે તો આપણી ખોવાઈ ગયેલી ગુરુ-શિષ્ય પરંપરા આપણને પાછી મળી જશે. કેમ ખરું ને?

 હવે આ દીકરીની આંખોમાં એશિયન ગેમ્સ 2026 અને પેરાઓલમ્પિક 2028ના સપનાઓ ઠેકડા મારી રહ્યા છે.

 

Monday, 6 April 2026

મકાનથી.......... ઘર સુધીનું અંતર

 

 મકાનથી.......... ઘર સુધીનું અંતર 

Domenico Starnone Quote: “There is a distance that cannot be measured in  kilometers or even in


આજકાલ સ્પેસિયસ મકાનોની ફેશન ચાલે છે. મકાનો સ્કેવેરફીટમાં મપાય રહ્યા છે. પેન્ટ હાઉસ તો એટલા સ્પેસિયસ હોય છે કે એક એક ઓરડામાં રહેતા લોકો જાણે કે એક એક અલગ અલગ ટાપુ પર જીવી રહ્યા હોય એવું લાગે છે. આસપાસ બધુ જ છે, લેટેસ્ટ સગવડો, આકર્ષક ગાર્ડન, વગેરે વગેરે પણ આસપાસ માણસો જોવા મળતા નથી. આપણે સૌ એકલા એકલા એવી રીતે જીવી રહ્યા છીએ જાણે કે આપણે ધબકી જ નથી રહ્યા... એ.આઈ. સ્વરૂપે વર્ચ્યુઅલ સાથીદાર આપણે શોધવા લાગી ગયા છીએ. ઘણા એ તો એ અનુભવ પણ શરૂ કરી દીધો છે!

 પણ આપણે એ ભૂલી રહ્યા છીએ કે આપણે ઈલેક્ટ્રોનિક ગેઝેટસના જંગલમાં એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે જ્યાં સૂર્યપ્રકાશ પણ નથી પહોંચી રહ્યો....ચારેબાજુ લીલ અને શેવાળ જામી ગઈ છે, અને એ રસ્તાઓ એકદમ સ્લીપરી થઈ ગયા છે. આપણે લપસી રહ્યા છીએ, અને એટલે જિંદગીનું બેલેન્સ હલબલી ગયું છે. પહેલા જાજા માણસો નાનકડા એવા ઘરમાં પણ મોજથી જીવી લેતા અને હવે ઓછા માણસો સ્પેસિયસ બંગલાઓમાં પણ મોજનું જીવન માણી નથી શકતા.

 મકાનો મોટા થઈ ગયા, તો માણસો ઘટી ગયા છે. ખરેખર વી ઓલ ટોટલી લોસ્ટ.... અને એ પણ એવા દલદલમાં કે જેમ અંદર ઉતરતા જઈએ છીએ, તેમ તેમ વધુ ને વધુ ફસાતા જઈએ છીએ.

  લાગણી સભર ઘરો છોડી લોકો એવા મકાનોમાં રહેવા ચાલ્યા જઇ રહ્યા છે કે જ્યાં તેઓ એકલા એકલા કોઈ એક ખૂણે બેસીને ખુશીઓને શોધી રહ્યા છે, પણ ખુશીઓ તો પેલા ઘરોમાં રહી ગઈ.... દરેક સગવડો માટે અલગ વ્યવસ્થા છે, પણ માણસો નથી... બાળકો માટે અલગ ઓરડાઓ છે, પણ વધુ બાળકો નથી. અરે ઘણા લોકો તો મકાનોના અલગ અલગ ફ્લોર કરાવે છે, લિફ્ટ મુકાવે છે, પણ લાગણીઓ લિફ્ટ થઈ શકતી નથી.

આપણે સાથે રહેવાનુ ભૂલી રહ્યા છીએ, એ યાદ કરવું પડશે. કુટુંબ પતિ, પત્ની, સાસુ, સસરા, ભાઈ, ભાભી, કાકા, કાકી થકી જ ધમધમતા રહે છે. ફેમિલીને આપણે જોઇન્ટ કરવા પડશે. લાગણીઓનો ફેવિકોલ લઈને તૂટેલા સંબંધોને ફરીથી જોડવા પડશે. ખાલી ખાલી મકાનોમાં આપણે એટલા એકલા પડી જઈશું કે જિંદગી શૂન્યાવકાશમાં સરી જશે.

  જેઓ સાથે નથી જીવી શકતા તેમણે એકલા મરવું પડે છે. જિંદગીના કોઈપણ તબકકે સાથી વિના ચાલી શકાતું નથી. આપણે ઘરોથી જતાં  રહેલા માણસોને પાછા બોલવવા પડશે. જો આપણે એમ નહી કરી શકીએ તો આપણે વિખેરાઈને સાવ અસ્તવ્યસ્ત થઈ  જઈશું. માટે જે કઈ વિખેરાઈ જવા લાગ્યું છે, તેને સમેટવાની શરૂઆત કરવી પડશે. અને એ શરૂઆત આપણા ઉંબરેથી જ કરવી પડશે. સાંકડા ઘર હશે તો ચાલશે પણ મનને મોટું કરવું પડશે. જો આપણે એ નહી કરી શકીએ તો સંબંધોનો વિસ્તાર તો વધશે, પણ ઊંડાણ આપણે ગુમાવી દઇશું.

 મને ખબર છે, મન મોટું કરવું એ અઘરું છે, પણ અશક્ય તો નથી જ.... જ્યારે સાવ તૂટી જઈશું ત્યારે આ વિશાળ મકાન ખાવા દોડશે... એકપણ દીવાલ આપણને સહારો નહી આપી શકે કારણકે તે લાગણીથી નહી, પણ સીમેન્ટ અને રેતીથી જ માત્ર બનેલી છે. કોરોના સમયે આપણે જોઈ લીધું છે કે એકલા રહેવું કેટલું અઘરું છે!

સમય વારે વારે આપણને સબક શીખવતો રહે છે, પણ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. એટલે એ રીવિઝન પણ કરાવે છે, પણ આપણે કરતાં નથી, છેક છેલ્લા સમયે આપણને યાદ આવે છે, પણ હવે તો બહુ મોડુ થઈ ગયું હોય છે. અને આપણે આ મોટા મોટા મકાનોના ખાલી ખાલી ઓરડાઓમાં ના જીવી શકાયેલી ક્ષણોની ગિલ્ટી ફીલ કરતાં રહીએ છીએ.

મકાન બહાર ગાર્ડન એરિયા નહી હોય તો ચાલશે, પણ કુટુંબના સભ્યોનો કલરવ હોવો જરૂરી છે. બસ આપણે દરેક એરિયા માટે આટલું પણ યાદ રાખી લઈશું તો જિંદગી મસ્ત જીવી શકીશું. દૂ:ખ જ નહી, સુખ શેર કરવા માટે પણ આસપાસ નજીકમાં માણસો હોવા જરૂરી છે.

 આપણે સંબંધો પાસેથી અપેક્ષાઓ નહી પણ આશાઓ તો જરૂરથી રાખી જ શકીએ..... અને એ જ આપણે કરવાનું છે... થોડોક અહમ, થોડી એવી જીદ, સાઈડ પર મૂકી દઈએ... કોઈ સાચું જ કહ્યું છે, આપણે દુનિયા નથી જીતવાની, ઘરને જીતવાનું છે.

 ધરતીનો છેડો ઘર... રોજ સાંજે જ્યાં આવવા માટે મન અધીરું થઈ જાય એ ઘર.... મકાનો તો સૌ બનાવી જાણે, જે ઘર બનાવી શકે એ જ ધબકતો માણસ!

To:  me · Mon, Mar 30 at 6:37 PM

  • રૂપલ મહેતા 
    જસદણ જી. રાજકોટ 
    9426530403 

  • Thursday, 2 April 2026

    ક્યાં સુધી આપણે ધર્મના નામે છેતરાતા રહીશું?

     

    ક્યાં સુધી આપણે ધર્મના નામે છેતરાતા રહીશું?

     blind-follow

     

     

      ફરી આપણે છેતરાઈ ગયા, ફરી આપણી શ્રદ્ધાનો કોઈ ગેરલાભ ઉઠાવી ગયું. વારંવાર આપણે એની એ જ જગ્યાએ છેતરાઇ જઈએ છીએ અને છતા આપણે એ ઘટનાઓમાથી કશું શિખતા નથી. મહારાષ્ટ્રમાં અશોક ખરાત નામના વ્યક્તિએ જે પોતાને ઈશ્વર માને છે,અને જેને લોકોએ પણ ઈશ્વર માની લીધો એ વ્યક્તિએ ધર્મગુરુ બની, સ્ત્રીઓનું જાતિય શોષણ કર્યું, એટલું જ નહી નરબલી પણ ચડાવ્યા.

        અમુક પ્રકારનું મધ તુર્કીની સમુદ્રી ગુફામાથી લાવવામાં આવ્યું છે અને તેનાથી યૌન શક્તિ વધે છે, એવું કહી એક કિલોની બોટલ 9 લાખમાં વેચતો અને લોકો ખરીદતા પણ! માત્ર 10/12 વર્ષોમાં ધર્મના નામે આવા કાંડ કરીને તેણે 1500 કરોડની સંપતિ ભેગી કરી લીધી હતી. મહારાષ્ટ્રના ઘણા રાજનેતાઓ પણ તેની શરણમાં હતા!  તેના ભકતોમાં સૌથી વધુ શિક્ષિત માણસો હતા!

     ભારત શ્રદ્ધા પર નભતો દેશ છેદુનિયાના કોઈપણ દેશ કરતાં આપણે વધુ ધાર્મિક છીએ. સૌ પોતપોતાની આસ્થા મુજબ ધર્મને અનુસરતા રહે છે. આપણે સુખી હતાકારણકે આપણી પાસે ધર્મની અનેક ધારાઓ હતી,જેમાં ડૂબકી લગાવીને આપણે જીવનને ખરા અર્થમાં સમજી શકતા હતા અને માણી પણ શકતા હતા.પણ એકાદ સદીથી આ ધારાઓ પોતે જ એટલી ગંદી થઈ ગઈ છે કે ડૂબકી લગાવનારકોઈને પણ બ્લાઇન્ડલી ફોલો કરનાર પોતાના આત્માની આંખોને મીંચીને એ વ્યક્તિને ભગવાનમાની લેવાની ભૂલ કરી બેસે છે અને પછી જે અધર્મનું સામ્રાજ્ય સ્થપાય છેએમાં આપણી શ્રદ્ધાનું વિસર્જન થઈ જાય છે.

      આશારામ, બાબા રામ-રહીમ, કેશવાનંદ, જયેન્દ્ર સરસ્વતી, સારાઠી બાબા, બહુ લાંબુ લિસ્ટ છે. આ તો માત્ર એ જ નામ છે, જે સોસિયલ મીડિયાની અડફેટે આવી ગયા છે, આપણી આસપાસ એવા તો કેટલાયે બાબાઓ વસે છે, જે આપણને ધર્મના નામે છેતરતા રહે છે. અને આપને છેતરાતા પણ રહીએ છીએ. જેમ જેમ આપણે શિક્ષિત થતાં જઈએ છીએ, એમ આપણે વધુ ને વધુ આવી બાબતોમાં ફસાતા જઈએ છીએ!

      ક્યાં સુધી આપણે એવું માનીને છેતરાતા રહીશું કે આપણા દૂ:ખોના ઉપાયો આવા સાધુ-સંતો પાસે હશે. વ્યક્તિઓને ભગવાન માની લેવાની આ ભૂલ આપણે કેટલીવાર રિપીટ કરતાં રહીશું! શું આપણાં વિચારોને ટેકનોલોજીની કોઈ જ અસર નથી થઈ! એ બાબતે આપણે જરાપણ અપડેટ નથી થયા! આવા કહેવાતા ધર્મગુરુઓ આપણી માનસિક નબળાઈઓનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે અને આપણે કશું નથી કરી શકતા! આશારામ હોય કે બાબા રામ રહિમ સ્ત્રીઓની પીડા ઓછી નથી રહી. કોઈને કોઈ બહાને તેઓનું શારીરિક શોષણ થઈ રહ્યું છે, ક્લિપિંગો બની રહી છે અને સેક્સનું બજાર વિસ્તરતું જ જાય છે.

      અરે તમને સંતાન નથી થતું કે બીજું કોઈ દૂ:ખ છે, તો ડોક્ટર પાસે કે મનોચિકિત્સક પાસે જાવ, આવા ઢોંગી બાબાઓ પાસે જઈને શું મળવાનું! જે તમારાથી નથી થવાનું એ શું તેઓથી થઈ જવાનું? ધર્મ એટલે આવા બાબાઓના આશ્રમોમાં જઇ તેઓના સાનિધ્યમાં રહેવું એ વ્યાખ્યા જ સાવ ખોટી છે. શા માટે આપણે એવું માની લઈએ છીએ કે તેઓ પાસે આપણા બધા દર્દોની દવા છે? 

     ભગવદગીતામાં ભગવાને કહ્યું છે એમ આ વિશ્વ "છેતરપિંડી કરનારા અને છેતરાયેલા" બંનેથી ભરેલું છે કારણ કે વ્યક્તિઓ મોટાભાગે ધર્મ અને બલિદાનને સમજયા વિના સંપ્રદાયોની જાળમાં ફસાય જતાં હોય છે. તેમને એવું લાગે છે કે આપણે આવા કોઈ ધર્મગુરુના શરણે જતાં રહીશું તો આપણને મનની શાંતિ મળી જશે. 

      અને ધર્મગુરુઓ પણ આપણી દૂ:ખતી રગને ઓળખી ગયા છે. તમને તમારા પ્રયાસોનું યોગ્ય વળતર નથી મળતું? બસ આ એક પ્રશ્ન અને આપણે આવા બાબાઓના ચક્રવ્યૂહમાં ફસાય જતાં હોઈએ છીએ. આપણે સૌએ આવી માન્યતાઓમાથી બહાર નીકળી જવાની જરૂર છે, આપણાં દૂ:ખો આપણે જ ઊભા કરેલા છે અને તેનું નિવારણ પણ આપણી પાસે જ હોય છે. જીવન જીવવાનો કે સફળ થવાનો કોઈ શોર્ટકર્ટ નથી હોતો.આવા બાબાઓના આંધળા ફોલોઅર્સ બનીને આપણે કશું જ મેળવી શકવાના નથી. 

     ગુણવંત શાહે કહ્યું છે, એમ મનુષ્ય શ્રદ્ધા વિના તરી ન શકે અને અંધશ્રદ્ધા વિના ડૂબી ન શકે.

     

     

     

    Thursday, 26 March 2026

    ખુશી માપવાનો કોઈ ઇન્ડેક્સ હોય ખરો?

     

    ખુશી માપવાનો કોઈ ઇન્ડેક્સ હોય ખરો? 

     International Day of Happiness 2025: History & Significance | Khan Global  Studies Blogs

     

     

     

        તમને સૌથી વધુ ખુશી ક્યારે ફીલ થાય છે? આ પ્રશ્નનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોવાનો. વળી કોઈ એક વ્યક્તિ માટે જે ઘટના ખુશી આપનારી હોય એ બીજી વ્યક્તિ માટે દૂ:ખ આપનારી પણ હોય શકે! ખુશ થવું કે રહેવું એ મનની પરિસ્થિતિ પર આધાર રાખે છે. જો કે ખુશ રહેવું એ બહુ સરળ ફીલિંગ છે, જેને આપણે જીવનધોરણ અને જરૂરિયાતો સાથે બાંધીને એકદમ ભારેખમ બનાવી દીધી છે.

        આજે મોટા ભાગની વ્યક્તિઓ પાસે જરૂરિયાતોનું એક અનલિમિટેડ લિસ્ટ છે, જે ખૂંટતું જ નથી. વળી આ લિસ્ટની આશ્ચર્યજનક વાત એ છે કે આ લિસ્ટ આપણું પોતાનું નથી, એ સરખામણીથી અનલિમિટેડ બનતું જાય છે. જે બીજા પાસે છે, એ મારી પાસે પણ હોવું જોઈએ એ જીદ આપણને ખુશ થવા દેતી નથી. સૌને બીજાની જ જિંદગી વધુ સુંદર લાગે છે. અને એ જ લોકો પાસેથી તેઓની ખુશીઓ છીનવી રહી છે.

     જે કઈ બાકી હતું એ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સોસિયલ મીડિયાએ પૂરું કરી દીધું. સોસિયલ મીડિયાના વધુ પડ્યા ઉપયોગે આપણી ખુશીઓમાં ઘટાડો કરી દીધો છે, ને આપણાં ડીપ્રેશન અને ચિંતામાં વધારો. સરખામણીના હવનમાં ઘી હોમવાનું કામ સોસિયલ મીડિયાએ કર્યું અને આપણે એમાં ફસાતા ગયા. અને આજે આપણા સૌના દૂ:ખનું સૌથી મોટું કારણ જ સોસિયલ મીડિયા બની ગયું છે.

      આજે મોટા ભાગની વ્યક્તિઓ ‘fomo’ થી પીડાય રહી છે. બધાને એવું લાગે છે કે એકાદ કલાક પણ જો સોસિયલ મીડિયાથી છેટું પડી જશે, તો આપણે કશુંક ચૂકી જઈશું. પોસ્ટ, લાઈક, શેર, કમેંટ, રીલ વગેરે વગેરેથી જિંદગી એટલી બધી ડિસ્ટર્બ થઈ રહી છે કે આપણે ખુશ થવા માટે દૂ:ખી થતાં રહીએ છીએ. સોસિયલ મીડિયાએ આપણને જે કઈ આપ્યું છે, એના કરતાં ઘણું વધારે છીનવી લીધું છે, અને એમાં સુખનો પણ સમાવેશ થઈ જાય છે.

      પ્રકૃતિથી દૂર થઈને પણ આપણે સુખને ગુમાવી રહ્યા છીએ. કેટલા વિચિત્ર છીએ આપણે ખબર છે? જંગલોને કાપીને આપણે સુકાભટ્ટ થઈ ગયા અને હવે જંગલોને ફીલ કરવા રીસોર્ટનો સહારો લઈ રહ્યાં છીએ! વરસતા વરસાદે આપણે બારી-બારણાં બંધ કરી દઈએ છીએ, અને પછી કૃત્રિમ ફુવારાઓમાં રેન-ડાન્સ માટે પૈસા ખર્ચીએ છીએ. અત્યારે પૈસા કમાઈ લઈએ, પછી ખુશી મેળવી લઈશું, એ વહેમમાં આપણે ક્ષણોને માણવાને બદલે માત્ર આપણે ક્ષણોને કેપ્ચર કરવામાં ખુશીઓને વેડફી રહ્યા છીએ.

      આ બધુ આજે એટલા માટે યાદ આવ્યું કે 20212થી યુનાઈટેડ નેશન્સે નક્કી કરેલા ધારા-ધોરણો મુજબ  20મી માર્ચ દર વર્ષે વર્લ્ડ હેપ્પીનેસ ડે ઉજવાય છે. અને ક્યાં દેશના લોકો કેટલા પ્રમાણમાં ખુશ છે, તેનો ઇંડેક્સ પણ તૈયાર કરવામાં આવે છે. જે મુજબ છેલ્લા 9 વર્ષથી ફિનલેંડ વિશ્વનો સૌથી સુખી દેશ છે! અને અફઘાનિસ્તાન સૌથી વધુ દૂ:ખી દેશ છે. વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા ધરાવતા ભારતનો ક્રમ 147 દેશોમાં 116મો છે.  આશ્ચર્યજનક બાબત આ ઇન્ડેકસની એ છે કે વિશ્વના સૌથી ધનિક રાષ્ટ્રો પાછળના ક્રમે છે. અને સૌથી રસપ્રદ વાત આ સર્વેની એ છે કે તેઓ ખુશીને પણ માપી શકે છે! અને રેંકિંગ પણ આપી શકે છે!

     આપણે જે ખુશીઓ આપણી અંદર છે, તેને બહાર મેળવી લેવાના રીતસરના ફાંફા મારી રહ્યા છીએ. નાની નાની બાબતો થકી અને જરૂરિયાતોના અભાવ સાથે પણ ખુશ રહી શકાય છે. સુખની મંઝિલ કરતાં પણ એ મંઝીલે પહોંચવામાં સહન કરેલા દર્દનું સુખ વધુ ફીલ કરવા જેવુ હોય છે. પસાર કરેલી દરેક મુશ્કેલ પરિસ્થિતિનું વર્ણન આપણે હસતાં હસતાં કરતાં હોઈએ છીએ.

      હકીકતમાં તો એ મુશ્કેલ પરિસ્થિતિઑ જ આપણને દર્દ અને પીડા સાથે પણ હસતાં શીખવે છે. અને જેઓ સતત શિખતા રહે છે, તેઓનો હેપ્પીનેસ ઇંડેક્સ માપવાની પણ જરૂર નથી હોતી, કારણકે કે જેમણે સુખને પામી લીધું છે, તેમણે સુખને માપવાની જરૂર નથી રહેતી!

     

     

     

     

     

       

     

     

    ચાલો મળીએ વિશ્વની સૌપ્રથમ ‘હાથ-પગ’ વગરની વિજેતા દીકરીને!!!

      ચાલો મળીએ વિશ્વની સૌપ્રથમ ‘હાથ-પગ’ વગરની વિજેતા દીકરીને!!!               હમણાં જ ગોલ્ડ-મેડલ જીતેલી એક દીકરી , જે વ્હીલ-ચે...