Wednesday, 11 February 2026

 

 જે બીજા લોકો માટે અઘરું છે, એ શું આપણા માટે સરળ છે? 

 61 Motivational Self-Discipline Quotes - inPeaches

 

 

 

 

 

 જિંદગીમાં સૌથી સરળ હોય છે, બીજાને સમજાવવાનું અને સૌથી અઘરું હોય છે, ‘પોતાની જાતને સમજાવવાનું!’ આપણે સામેવાળાને તો બહુ સિફતપુર્વક કોઈપણ બાબતે સમજાવી લેતા હોઈએ છીએ. આ પ્રશ્નનો ઉકેલ તો એકદમ સરળ છે. આ સમસ્યા ઉકેલવા આટલું તો કરી જ શકાય, તમે તમારી જાતને એટલી તો બદલી જ શકો છો, તમે આમ તો કરી જ શકો છો, લે એમાં શું? આટલું તો તમે કરી જ શકો છો, વગેરે વગેરે હૈયાધારણ આપણે બીજાને આપતા જ રહીએ છીએ.

 સામેવાળી વ્યક્તિ માટે બધુ જ આપણે એકદમ સરળ કરી દેતાં હોઈએ છીએ. જેમ કે વ્યસન છોડવું સહેલું છે, ગુસ્સે ના થવું સરળ છે, મનને શાંત રાખવું સરળ છે, બીજા પ્રત્યે રાગ-દ્વેષ ના રાખવો સરળ છે, કોઈનું ખરાબ ના વિચારવું સરળ છે, કોઈની સાથે સરખામણી ના કરવી સરળ છે, જરૂરિયાતો પર બ્રેક મારવી સરળ છે, ઇલેકટ્રોનિક્સ ગેઝેટ્સનો ઉપયોગ ઘટાડવો સરળ છે, નિષ્ફળતા મળે તો હતાશ કે નિરાશ ના થવું સરળ છે, યોગા અને મેડિટેશન કરવું સરળ છે, નિયમિત કસરતો કરવી સરળ છે,

 અરે નિયમિત અને સાત્વિક જીવન જીવવું પણ એકદમ સરળ છે. કોઈપણ બાબતનો ડર ના રાખવો સરળ છે, મુશ્કેલીઓનો સામનો કરવો સરળ છે, અરે સરળ બાબતોની એક અનલિમિટેડ યાદી છે, જે આપણે સામેવાળી વ્યક્તિના હાથમાં થમાવી દેતાં હોઈએ છીએ.

  પણ આ જ બધી બાબતો જ્યારે આપણી જાતને સમજાવવાની આવે તો? એ પેપર એટલું અઘરું લાગે છે કે આપણે કવીટ કરી લેતા હોઈએ છીએ. આ જીવનમાં સૌથી અઘરું કામ જ ખુદને સમજાવવાનુ હોય છે. જાત સાથે લડીને આપણે એટલા થાકી જતાં હોઈએ છીએ કે પછી આપણે ખુદ સાથે સંવાદો કરવાનું જ ભૂલી જતાં હોઈએ છીએ.

  તમને, મને બધાને ખબર છે કે જો આપણે જાતને સમજાવી શકીશું, તો જિંદગીની મોટા ભાગની સમસ્યાઓ ઉકેલી શકીશું. પણ આપણે જાતને જ સમજાવી શકતા નથી. ને પરિણામે એટલી બધી બિનજરૂરી બાબતોમાં ફસાયેલા રહીએ છીએ કે ના કરવાનું પેલા કરીએ છીએ, અને કરવાનું યાદ રહેતું નથી.

 બીજા માટે સરળ લાગતી બાબતો આપણને આપણાં માટે અઘરી અને અશક્ય લાગવા માંડતી હોય છે. સૌથી વધુ આપણે ઉપરની બાબતો માટે જાત સાથે લડતા હોઈએ છીએ, પણ મોટા ભાગે એ બાબતો અપનાવતી વખતે ખુદને મનાવી શકતા નથી.

 જેને લીધે ઘણું બધુ આપણાં પર હાવી થઈ જતું હોય છે. વહેલું ઊઠાતું નહી, વ્યસનો છૂટતા નથી, એમાં પણ ડિજિટલ વ્યસનો તો મૂકી જ શકાતા નથી. રોજ સવારે ઊઠીએ એ સાથે જ આપણાં આપણી જાત સાથે સંવાદો શરૂ થઈ જતાં હોય છે, જે સમયાંતરે વિવાદોમાં ફેરવાઇ જતાં હોય છે. અને એ વિવાદો એટલે આપણે એટલું બધુ મનમાં સ્ટોર કરી રાખીએ છીએ કે જિંદગી હેંગ થઈ જાય છે, પણ આપણે ડિલીટ કરતાં નથી. કોઈ વર્ષો સુધી આપણને હેરાન કરતું રહે છે, અને આપણે થતાં રહીએ છીએ!

 નફરત, રાગ-દ્વેષ, નિર્બળતા વગેરે વગેરે આપણી અંદર એવા હાવી થઈ જાય છે કે સાવ સરળ લાગતી બાબતોમાં પણ આપણું જીવન ઘૂંચવાઈ જતું હોય છે. વળી જે ગાંઠો કાપી નાખવાની સલાહો આપણે બીજાને આપતા હોઈએ છીએ, એ ગાંઠોના છેડાઓ પકડીને આપણે બેઠા રહેતા હોઈએ છીએ.

  સેલ્ફી લેવી જેટલી સરળ લાગે છે, સેલ્ફ સાથે એડજસ્ટ થવું એટલું જ અઘરું બની રહે છે. આપણે ખુદને વિવિધ, વિચિત્ર અને વિપરીત પરિસ્થિતિમાં ગોઠવી નથી શકતા, એટલે જ દૂ:ખી થતાં રહીએ છીએ. અને બીજાને પણ દૂ:ખી કરતાં રહીએ છીએ.

  જે બાબતો આપણે બીજાને સમજાવીએ છીએ, તે પહેલા ખુદને સમજાવી લઈએ. જો એવું થઈ શકશે, તો આ દેશમાં જે એકબીજાને સલાહ આપવાનો રોગ છે, તેને આપણે કાયમ માટે દૂર કરી શકીશું.

   જેમ ગાંધીજીએ પોતાની જિંદગીને સત્યના પ્રયોગો એવું નામ આપ્યું હતું એમ આપણે પણ સત્યના પ્રયોગો પેલા ખુદ પર કરીએ, તેનું અવલોકન કરીએ અને જે તારણ મળે તેને બીજા સમક્ષ મૂકીએ પણ તેમણે એમ કરવું જ જોઈએ, એવો આગ્રહ ના રાખીએ....

 

Thursday, 5 February 2026

મજાની લાઈફ, સફળતાનો ખાલીપો અને ‘બ્રેક’!

મજાની લાઈફ, સફળતાનો ખાલીપો અને ‘બ્રેક’!
 હેડિંગ: રૂટિન જિંદગીમાથી લીધેલો બ્રેક આપણાં જીવનમાં યોગા અને મેડિટેશનનું કામ કરે છે! નવેસરથી જીવવા માટે જિંદગીને પણ ક્યારેક 'બ્રેક' મારવી પડે છે. પણ એના માટે આપણી અંદર હિંમત અને સંબંધોનો સાથ હોવો જોઈએ. 

Inline imageInline image


 

 

          સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં સૌથી વધુ ખુશ ક્યારે હોય છે? જવાબ છે, રીસેસના સમયે અને છૂટવાના સમયે! આપણે માર્ક કર્યું હશે કે આ સમયગાળા દરમિયાન તેઓ આનંદની કિકિયારીઓથી આસપાસના વાતાવરણને ભરી દેતાં હોય છે. કિટકેટની એક સરસ જાહેરાત છે, જેમાં એક વાક્ય આવે છે, આઈ નીડ અ બ્રેક. આપણને સૌને પણ ક્યારેક ને ક્યારેક સંબંધોથી કે પછી કામથી બ્રેક જોઈતો હોય છે. બસ આ બ્રેકની ફીલિંગ આપણને ફીલ થવી જોઈએ. હકીકત તો એ છે કે જેઓ ફીલ કરે છે, તેઓને બ્રેકની જરૂર પડે છે.

  કોઈ વ્યક્તિ સફળતાની ટોચે હોય, સોસિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ હોય, અને એવા સમયે કોઈ સેલિબ્રેટી નિવૃતિની જાહેરાત કરે, અને એ પણ એવું કહીને કે મારા ઓરિજિનલ શોખ આ ઘોંઘાટમાં ક્યાંક ખોવાઈ ગયા હતા, તેને ફરીથી શોધવા માટે આઈ નીડ અ બ્રેક! તો આપણને પણ ફીલ થાય કે હજી આ એ.આઈ. ની દુનિયામાં કોઈ તો એવું છે, જેને આ બ્રેક લેવાની લાગણી ફીલ થાય છે. એવી બે વ્યક્તિઓ કે જેમણે સફળતાની ટોચે બ્રેક લીધો, એમાં પહેલું નામ આવે, જેમણે હમણાં જ થોડા દિવસો પહેલા પ્લેબેક સિંગિંગમાથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. એવું કહીને કે આ ઘોંઘાટમાં હું ક્લાસિકલ ગાયનને મારા શોખને ફીલ કરી શકતો નથી. હવે હું મારુ ના જીવી શકાયેલું જીવન જીવવા માંગુ છુ.

  માત્ર 38 વર્ષની વયે, આવો બોલ્ડ ડીસીઝન લઈને તેમણે બધાને ચોંકાવી દીધા. પૈસા કમાઈ લેવાની દોડમાં હું મારી અંદરનું જીવન નહોતો જીવી શકતો, જે હવે મારે જીવવું છે. જે નથી કરી શક્યા, તે કરી લેવા માટે બ્રેક લેવો જરૂરી છે. જે મે લીધો. હું સંગીત સાથે જ જોડાયેલો રહીશ, પણ અંદરથી. બીજું નામ આવે, ફેમસ રેડિયો જૉકી, ધ્વનિતઆ નામ રેડિયો મિર્ચી સાથે 2003 થી 2021 સાથે અવિરતપણે જોડાયેલું હતું, ઘણા બધા લોકોની સવાર અને સાંજ આ નામ સાથે શરૂ થતી હતી. અને ધ્વીનિતે એકાએક 2021માં રેડિયો મિર્ચી છોડી દીધું.

   તેમણે પણ એવું કહ્યું હતું કે, હવે મને મારુ મન કહે એમ કરવું છે, એટલે હું છોડી રહ્યો છુ. આ સફળ જિંદગીએ મારી અંદર એક ખાલીપો ભરી દીધો છે, અને એ ખાલીપો પૂરવા માટે, નવા રંગો શોધવા માટે હું આ રૂટિન છોડી રહ્યો છુ. તેમણે એવું પણ કહેલું કે મારી નજીકની વ્યક્તિઓને સમય આપવા માટે હું આ કરી રહ્યો છુ. હમણાં એક મુલાકાતમાં એમણે કહેલું કે જિંદગીમાં જે કઈ ચૂકી ગયો છુ, એ બધી ટ્રેનો પકડી લેવા માટે હવે મારે જૂનું કામ છોડવું છે, અને નવી દિશા તરફ ફંટાવું છે. મને એવું લાગ્યું કે સોસિયલ મીડિયા પર લોકો મને સાંભળી રહ્યા છે, પણ અનુસરી નથી રહ્યા! એટલે હવે મારે આ ડોગ-ચેઝ છોડી દેવી છે.

     મજાની લાઈફ જીવવા માટે, આવો બ્રેક લેવો જરૂરી છે. પણ આપણે સૌ સફળતાની રેસમાં એવા બંધાઈ ગયા છીએ, કે આવા બંધનો તોડી શકતા નથી. છે કશુંક એવું આપણાં સૌની અંદર જે બહાર આવવા મથે છે, પણ સાથે સાથે કશુંક એવું પણ છે, જે આપણને રોકતું રહે છે. આ જે સંઘર્ષ છે, એમાથી જ કશુંક નવું ઊગી નીકળતું હોય છે. જે ક્ષણે એક બીજ છોડ, ક્ષુપ કે વૃક્ષ બનીને ઊગી નીકળવા મથે છે, અને જ્યારે નવી કૂંપળો ફૂંટી નીકળે છે, ત્યારે જે આનંદ આપણાં જીવનમાં છવાઇ જાય છે, એ અદભૂત અને અવર્ણીય હોય છે. બસ આપણે જ્યારે ખુદ સાથે લડતા હોઈએ છીએ, ત્યારે પણ અંતે કશુંક નવું ઊગી નીકળતું હોય છે.

   અને એ નવું કશુંક ઉગાડવા માટે પણ બ્રેક લેવો જરૂરી છે. ઘણા મુવીઝમાં ઈંટરવલ પછી જ મજા આવે છે. આપણા સૌની જિંદગી પણ ક્યારેક ને ક્યારેક બ્રેક માંગે જ છે, તો લઈ લઈએ અને મોજ કરીએ.

 

  

Thursday, 29 January 2026

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

 Technology Influence Unique Art ...

 

 

 

 

 

 

         હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ મંદિર વિષે શીખવ્યું. આમ તો જેઓ ઇતિહાસ જાણવાના શોખીનો હશે, કે પછી પ્રવાસનના શોખીનો હશે, તેના માટે આ મંદિર જરાપણ અજાણ્યું નહી હોય. આ મંદિરને લઈને ઘણી બધી દંતકથાઓ છે. એક એવું ભવ્ય ગુફા મંદિર કે એકવાર જોયા બાદ તે બનાવનારની સર્જનાત્મકતાને વંદન કર્યા વિના આપણે ના રહી શકીએ.

 આ આખું ગુફા મંદિર માત્ર બે જ પ્રકારના સાધનોની મદદથી ઊભું કરવામાં આવ્યું હતું. તે એટલી કલાત્મક રીતે નિર્માણ પામ્યું છે કે એક એક પથ્થર વિચારી વિચારીને મૂકવામાં આવેલો છે. કોતરણી તો એટલી બેનમૂન છે કે તેને જોઈને પેલા ગીતની કડી યાદ આવી જાય, “ જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા એક ભારતીય તરીકે જેમણે એકવાર આ મંદિર નથી જોયું, તેમનું જીવન અધૂરું છે!  આવા તો અનેક ઐતિહાસિક સ્થળો આપણને વિરાસતમાં મળ્યા છે. જેના નિર્માણમાં તે સમયના કારીગરોએ અને આર્કિટેકટસ એ પોતાનો જીવ રેડી દીધો હતો.

     આજે આપણે સર્જનાત્મકતા અને મૌલિકતાના દુકાળમાં જીવી રહ્યા છીએ, ત્યારે એક વિચાર આવે છે કે તે સમયે લોકો પાસે ટેકનૉલોજી નહોતી, એટલે તેઓ આટલા બધા સર્જનાત્મક થઈ શક્યા હશે. તમે માર્ક કરજો, એ બધા જ કામો જેમાં આપણે પહેલા આપણા મગજને ભરપૂર કસરત આપતા હતા, એ બધા જ કામો હવે આપણે મશીન્સને સોંપીને આપણે આપણી સર્જનાત્મકતા અને મૌલિકતા બંને ગુમાવી રહ્યા છીએ.

 એ લોકો પાસે આસપાસમાં જે કઈ પણ હતું, તેનો તેઓ સર્વશ્રેસ્ઠ ઉપયોગ કરતાં હતા. પથ્થરો, ગુફાઓ, ઝાડના પાંદડાઓ વગેરે વગેરેના ઉપયોગ થકી તેમણે શ્રેસ્ઠ સર્જન કરેલું હતું. તે લોકો પાસે જે કઈ હતું તે મર્યાદિત હતું, પણ સર્જનાત્મકતા અમર્યાદિત હતી. અને સૌથી મહત્વનુ એ હતું કે તેઓ પ્રકૃતિના અસ્તિત્વ અને તેની તાકાતને સ્વીકારીને જીવન જીવતા હતા.

  આજે આપણે બધુ જ મશીન્સને પુંછી પુંછી ને કર્યા કરીએ છીએ? આપણા આરોગ્યથી લઈને આપણા લોકેશન ટ્રેક કરવા સુધી આપણે સૌ અલગ અલગ પ્રકારના મશીન્સથી ઘેરાઈ ગયા છીએ. એક કલાક આપણે ટેક્નોલોજી વિના નથી જીવી શકીએ એમ! આપણે દિન-પ્રતિદિન વધુ ને વધુ ટેક્નોલોજી પર આધારિત થઈ રહ્યા છીએ?

 ટેકનોલોજી સાથે આપણે જે રીતે ક્રિયાપ્રતિક્રિયા કરીએ છીએ તે એટલી સરળતાથી વિકસિત થઈ રહી છે કે આપણે એ પ્રશ્ન કરવાનું બંધ કરી દીધું છે કે તે ફક્ત આપણા કાર્યોને જ નહીં, પણ આપણે કોણ છીએ? તેને પણ એકદમ શાંતિથી આકાર આપી રહી છે. તે આપણને સતત ટ્રેક કરી રહી છે, અને આપણે સતત તેની સાથે બંધાયેલા રહીને ખુદ સાથેની મિત્રતા તોડી રહ્યા છીએ.

    એક ચિત્રકાર, જે એક સમયે પોતાના હાથથી દોરેલા ચિત્રો બનાવવામાં ગર્વ ફીલ કરતો હતો, તેની જગ્યાએ હવે તે એ.આઈ. ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાની સર્જનાત્મકતા ગુમાવી રહ્યો છે. તેવી જ રીતે સંગીતકરો જે એક સમયે સુંદર મજાની ધુનો બનાવતા, તેને બદલે હવે તે પણ સંગીતની રચનાઓ બનાવવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. મલ્ટિ-ટ્રેક રેકોર્ડિંગની શોધથી લઈને ડિજિટલ ઓડિયો વર્કસ્ટેશન (DAWs) ના ઉદય સુધી જે આખા ઓર્કેસ્ટ્રાને લેપટોપમાં ફિટ કરવાની મંજૂરી આપે છે. પરંતુ સર્જનાત્મકતાના ખર્ચે?

  દરેક નવી ટેક્નોલૉજી આપણી સર્જનાત્મકતાને ડિલીટ કરી રહી છે. આપણી તર્કશક્તિ અને મૌલિકતાને  એ.આઈ.આસિસ્ટન્ટ કૃત્રિમ બનાવી રહ્યું છે. આપણે આ સાધનોનો ઉપયોગ આપણી જ્ઞાનની સીમાઓને વિસ્તૃત કરવા કરી રહ્યા છીએ કે પછી તેને ટેકનોલોજીએ રચેલી દીવાલોમાં બંધ કરીને સાંકડી કરી રહ્યા છીએ? આ પ્રશ્ન એકવાર આપણે સૌએ આપણી જાતને પુંછી લેવાની જરૂર છે.

  આપણે એક કલાત્મક માનવ બનવા માંગીએ છીએ કે પછી માત્ર એક સિસ્ટમ ઓપરેટર બનીને રહી જવા માંગીએ છીએ? માણસ અને મશીન્સ વચ્ચેની બાઉન્ડ્રીઝ દોરવાનો સમય આવી ગયો છે. આ એક એવો ક્રોસરોડ છે, જ્યાં આપણે ખુદની જાતને નવેસરથી શોધવી પડશે.  આપણે મશીન્સને વધુ સ્માર્ટ બનાવે એવી ટેક્નોલોજી શોધવાને બદલે આપણને વધુ ને વધુ સર્જનાત્મક બનાવે તેવી કળાઓ પ્રત્યે વધુ ધ્યાન દેવાની જરૂર છે.

 

Thursday, 22 January 2026

'ચીરહરણ' દ્રૌપદીથી લઈને સમન્થા સ્મિથ સુધી ......

 

'ચીરહરણ'  દ્રૌપદીથી લઈને સમન્થા સ્મિથ સુધી ......

 NCW forms panel to probe Bhopal rape ...

 

        મહાભારતમા દ્રૌપદી ચીર-હરણ સૌથી કરૂણ અને આક્રોશ વાળો પ્રસંગ છે. દ્રૌપદીએ પુંછેલા પ્રશ્નોનાં જવાબો આજે પણ કોઈ આપી શકે એમ નથી. કારણકે  આજે પણ ગલીએ ગલીએ રહેલા દુર્યોધન અને દૂ:શાસન આ જ કરી રહ્યા છે. દ્રૌપદીને તો કૃષ્ણએ બચાવી લીધેલા પણ આજની દ્રૌપદીને કોઈ બચાવી શકે એમ નથી.ભારતમાં NCRBના લેટેસ્ટ સર્વે મુજબ બળાત્કારના કુલ આરોપીઓમાથી માત્ર 28-29% ને જ સજા થાય છે. એમાં હવે ટેકનોલોજીએ સર્જેલા રેપ સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે.

  આમપણ સદીઓથી સ્ત્રીઓ પુરુષો માટે સોફ્ટ ટાર્ગેટ હતી જ. એટલે અત્યાર સુધી સ્ત્રીઓ ઘરની અંદર કે પડદા પાછળ છુપાયેલી રહેતી! જો કે એ ઘરમાં કે પડદા પાછળ પણ સેફ તો નહોતી જ! પણ બહારના પુરુષોથી તો ઓઝલ હતી! પણ હવે જેમ જેમ સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, તેમ તેમ પુરુષોના તેણી પ્રત્યેની ઈર્ષ્યા અને અહમ બંને વધી રહ્યા છે. અને જ્યારે પુરુષો સ્ત્રીઓને કોઈ રીતે આગળ વધતી નથી રોકી શકતા તો તેઓ સ્ત્રીઓના કેરેક્ટર પર ઘા કરતાં હોય છે, કારણકે આ સમાજે કેરેક્ટરની ફીલિંગ માત્ર ને માત્ર સ્ત્રીઓને જ ભેટમાં આપી છે.

 ટેકનૉલોજીએ સૌ પહેલા પોર્ન એમ.એમ.એસ. થકી સ્ત્રીઓ પર રેપ કર્યા. 2004માં સૌથી પહેલા દિલ્હી પબ્લિક સ્કૂલ, આર.કે. પુરમમાં ભણતા હેમંત ચુઘ નામના એક વિદ્યાર્થીએ પોતાના ફોન પર એક સગીર વિદ્યાર્થીનીને ટોપલેસ થઈને તેના પર ફોસલાવીને તેનું અપમાન કરતો વીડિયો શૂટ કર્યો, જે તેણીને ખબર પણ ન હતી. તે બંને ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. ત્યારબાદ વીડિયો ક્લિપ MMS દ્વારા શેર કરવામાં આવી હતી અને પોર્ન સાઇટ્સ પર વાયરલ થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં આવા સેંકડો એમ.એમ.એસ. વાઇરલ થઈ ચૂક્યા છે.

   જેમ જેમ ટેકનૉલોજી અપડેટ થતી ગઈ, સ્ત્રીઓ પર થતાં રેપની પેટર્ન પણ બદલાતી ગઈ. ત્યાર બાદ આવ્યું, IBSA ઈમેજ બેઝ્ડ સેક્સુઅલ એબ્યુઝ એટલે છોકરીઓની સંમતી વિના તેઓના પર્સનલ ફોટા અથવા વિડિયોઝ શેર કરવા કે શેર કરવાની ધમકી આપવી. 30-40 વર્ષો પહેલા ગમતી છોકરી ના પાડે, તો તેને સળગાવી દઈ કે પછી આજકાલ છોકરી ના પાડે તો તેનો બદલો લેવા ચહેરા પર એસિડ ફેંકવામાં આવે છે. તેમજ હવે સ્ત્રીઓની ના નો બદલો લેવા રીવેંજ પોર્નનો ઉપયોગ થાય છે.

 ઓનલાઈન સેક્સુઅલ હેરેસમેંટ એક ટેકનૉલોજી છે, જેના થકી સ્ત્રીઓ પર રેપ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર સેક્સુઅલ કન્ટેન્ટ મોક્લવાથી માંડીને ધમકી આપવા સુધીની કળાઓનો આમાં સમાવેશ થઈ જાય છે. સોસિયલ મીડિયાનો આબાદ ઉપયોગ કરીને છોકરો હોવા છતા છોકરીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી સ્ત્રીઓને સેક્સુઅલ એબ્યુઝ કરવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ સ્ત્રીઓની હત્યા અને આત્મહત્યા સેક્સુઅલ હેરેસમેંટને લીધે થાય છે.

    તે ઉપરાંત પણ એક ટેક્નોલૉજી છે, જેમાં દુરુપયોગ કરનારાઓ GPS ટ્રેકિંગનો ઉપયોગ કરે છે, સ્ત્રીઓની પરવાનગી વિના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઍક્સેસ કરે છે, અથવા પીડિતાની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને નિયંત્રિત કરવા માટે સ્માર્ટ હોમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એનો અર્થ હવે સ્ત્રીઓ ઘરમાં પણ સલામત નથી!

 ને હવે લેટેસ્ટ રેપ-સિસ્ટમ પણ આવી ગઈ છે, જેમાં એ.આઈ. નો ઉપયોગ કરીને સ્ત્રીઓની ડીપ-ફેક ઇમેજ બનાવવામાં આવે છે, તો 2025માં આવેલા જીબલી અને સારી ટ્રેન્ડ સમયે પણ ફરિયાદો થઈ હતી કે આવા ટ્રેન્ડ વડે સ્ત્રીઓ પાસેથી માહિતી ભેગી કરી તે માહિતીનો ગલત ઉપયોગ કરવામાં આવે છે. તો હમણાં થોડા દિવસો પહેલા એલન મસ્કના સોસિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમન્થા સ્મિથ નામની છોકરીના કહેવા પ્રમાણે તેના ફોટાને એડિટ કરીને તેણીના શરીર પરના કપડાં ઉતારીને તેણીને ન્યુડ દેખાડાઈ હતી.

  ત્યારબાદ અનેક લોકોએ આવા ન્યુડ ફોટાની ફરિયાદો કરી હતી. ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સ્ત્રીઓ પર થતાં રેપ અંગે દુનિયાના કોઈપણ દેશમાં કોઈ ઠોસ કાયદા નથી. ફિઝિકલ રેપની સ્ત્રીઓ સાબિત નથી કરી શકતી, તો ટેક્નોલૉજીના ઉપયોગ થકી થયેલા રેપને કેવી રીતે સાબિત કરી શકશે? એકવાર વાઇરલ થઈ ગયેલા ફોટાઝ, વિડિયોઝ પર ખુદ એ અપલોડ કરનારનો પણ કાબૂ રહેતો નથી. માટે આપણે સ્ત્રી તરીકે સ

 

Thursday, 15 January 2026

વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ભારતની તકદીર બદલાય છે, પણ શું નવા સંશોધનો થકી તેઓની તકદીર બદલાય છે ખરી??

 

વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ભારતની તકદીર બદલાય છે, પણ શું નવા સંશોધનો થકી તેઓની તકદીર બદલાય છે ખરી??
 Top 10 Scientists in India: From Zero to Science Heroes
 
 
 


 

 

   

  એક પ્રશ્ન છે? જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. આપણાં દેશની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતીને આવે એ મહત્વનુ છે કે પછી આપણી ઇસરોની વૈજ્ઞાનિકોની ટીમ ભારતને પ્રથમ પ્રયાસે માર્સ ઓર્બિટર મિશન અંતર્ગત મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ દેશનું સન્માન અપાવે એ મહત્વનુ ગણાય? તમે કહેશો કે અલગ અલગ ક્ષેત્રની આ બંને સિદ્ધિઓને કમ્પેર કેવી રીતે કરવી? પણ નૈતિક રીતે જોઈએ તો ( જે દ્રષ્ટિથી આપણે ઓછું જોઈએ છીએ) બીજી ઘટના વધુ મહત્વની ગણાય! બીજી ઘટના સમયે પણ આપણે શેરીઓમાં વિજયનો ઉત્સવ મનાવવા નીકળી પડવું જોઈએ.

 ઇસરો એ સંસ્થા છે, જેણે છેલ્લા 20 વર્ષોમાં આપણાં દેશના અવકાશ સંશોધન ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી દીધું છે. ઇસરો જેની સ્થાપના ડો.વિક્રમભાઈ સારાભાઈના પ્રયાસો થકી જવાહર લાલ નહેરૂજીએ કરાવેલ. 1962માં સ્થપાયેલ આ સંસ્થા 1968 સુધી ઇંડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રી-સર્ચ તરીકે જાણીતી હતી.

  15 ઓગષ્ટ,1969માં ઇસરોને તેનું અત્યારનું નામ મળ્યું, ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈજેશન જેણે અત્યાર સુધીમાં 133 અવકાશયાન મિશન, 104 પ્રક્ષેપણ મિશન હાથ ધર્યા છે અને ગગનયાન-ક્રૂ/રોબોટિક અને આંતરગ્રહીય મિશન જેમ કે ચંદ્રયાન-4, ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન, શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર મિશન સહિત અનેક મિશનનું આયોજન કર્યું છે. 2035માં ઇસરો અવકાશમાં ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરશે. જેનું પ્રથમ મોડ્યુલ 2028-2030 ની આસપાસ લોન્ચ થવાની ધારણા છે, જે લાંબા ગાળાના રોકાણ અને માઇક્રોગ્રેવિટી સંશોધનમાં મદદ કરશે. 

  19મી એપ્રિલ, 1975ના દિવસે ભારત દેશનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કરીને અવકાશ સંશોધનક્ષેત્રે પગ મૂકનાર આ દેશે પોતાના વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમને લીધે આખા વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ જ બનાવી લીધી છે. જે સંસ્થાએ આપણને વિશ્વના નકશામાં અગ્રીમ સ્થાન અપાવ્યું તે સંસ્થાના વૈજ્ઞાનિકો વિષે આપણે કેટલું જાણીએ છીએ? અને બીજા કોઈપણ ક્ષેત્રની સેલિબ્રેટીઝ વિષે આપણે કેટલું જાણીએ છીએ? આ પણ એક રસપ્રદ સવાલ છે, જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.

   હવે એના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, અને એ છે, આ વૈજ્ઞાનિકોને આર્થિક વળતર અને ફેમ કેટલી મળે છે? અને ક્રિકેટરોને કેટલી?’ ઇસરોના વૈજ્ઞાનિકોને તેઓની નોકરીના વર્ષોને ધ્યાનમાં લઈને એક લેવલ-10ના સરકારી કર્મચારીને જેટલો પગાર મળે, એટલો જ પગાર મળે છે! જુદી જુદી કેટેગરીના વૈજ્ઞાનિકો અને એંજિનિયરોના પગાર તેઓની ઇસરોની નોકરી મુજબ ગણીએ તો હાઈએસ્ટ પગાર પર મંથ 300000 જેટલો મળે છે. જે ક્રિકેટરોની એક મેચ ફી કરતાં પણ ઓછો હોય છે.

   A ગ્રેડના ક્રિકેટર્સને વાર્ષિક 7 થી 8 કરોડ જેટલી આવક મળે છે, વધારાની અને જાહેરાતોની આવક સિવાય! આ બધી આવકોનો ટોટલ કરીશું તો સમજાશે કે ક્રિકેટર્સ કરોડો રૂપિયા મેળવે છે, હજી આપણે આઈ.પી. એલ. ની આવક તો આમાં ઉમેરી જ નથી. જો એ ઉમેરાય તો એક સામાન્ય ક્રિકેટરને પણ આપણા વૈજ્ઞાનિકો કરતાં વધુ આવક મળે છે. ઇવન ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર કેમેરુન ગ્રીનને આ વર્ષે આઈ.પી.એલ. ઓકશનમાં રૂ. 25.20 કરોડ જેટલી રકમ મળી હતી!  ક્રિકેટરો જ્યારે કોઈપણ મોટી ટુર્નામેન્ટ જીતીને આવે તો જે કવરેજ તેઓને મળે છે, જે રૂપિયો તેઓને મળે છે, જે રીતે તેઓનું વિજય સરઘસ નીકળે છે, તેવી પ્રસિદ્ધિ શું આપણા દેશના સંશોધકોને મળે છે?

  આપણા ભારતમાં સંશોધકો અને વૈજ્ઞાનિકો કેમ ઓછા છે? અપાર સંભાવનાઓ હોવા છતાં આપણા યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકો દેશમાં રહેવાને બદલે વિદેશોમાં શા માટે જતાં રહે છે? આ સંભાવનાઓને આપણે શા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી આપી શકતા? આપણા જે વૈજ્ઞાનિકો અને સંશોધકો અહી રહીને સંઘર્ષ કરતાં હોય છે, તેઓને જીવનમાં એકાદ વખત તો એ ફીલિંગ થતી જ હોય છે કે આ દેશે આપણી યોગ્ય કદર ના કરી...

  અંધેરી નગરી અને ગંડુ રાજાની વાર્તામાં ગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે, જે દેશમાં બધી વસ્તુઓ એકસરખા ભાવે મળતી હોય, ત્યાં વસવાટ ના કરાય એ જ શિખામણને આપણે થોડી ફેરવીને લખીએ તો, જે દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોને ક્રિકેટર્સ કરતાં પણ ઓછી આવક અને ફેમ મળતી હોય તે દેશમાં!

 

   જે બીજા લોકો માટે અઘરું છે, એ શું આપણા માટે સરળ છે?                જિંદગીમાં સૌથી સરળ હોય છે , બીજાને સમજાવવાનું અને સૌથી અઘરું હોય છે, ...