Friday, 22 August 2025

આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું?

 

આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું? 

 We are the next lost generation. – Drops of Ink

 

 

    આજની પેઢી આ શબ્દોથી વધુ ચર્ચાસ્પદ આજકાલ કઈ જ નથી. જો દેશમાં કઈ નવા-જૂની થઈ હોય, તો લોકો તેના વિષે વાતો કરતાં હોય છે, પણ જો ચર્ચા કરવા માટે બીજું કઈ ના હોય તો આજની પેઢી એ સૌથી હોટ ટોપીક હોય છે. લોકોની વાતોમાં આજની પેઢી વિશે ચિંતાઓ દેખાય છે. તેઓની વાતોમાં વારંવાર પોતે આજની પેઢી જેવડા હતા ત્યારે શું શું કરતાં હતા? તેનું એક લાંબુ લિસ્ટ છે. અને એ લિસ્ટ કોઈ રીતે આજની જનરેશનની પ્રવૃતિઓ સાથે મેચ થતું નથી. ને પરિણામે જે ગેપ ઊભો થાય છે, તેને પૂરવાના પ્રયાસો દરેક ઘરમાં થતાં રહે છે, પણ એ પુરાય છે, ખરા....

   માનવજાત અસ્તિત્વમાં આવ્યાને લગભગ 200,000 વર્ષ થઈ ગયા છે. માનવજાતની ઘણી પેઢીઓ આવી અને ઘણા વિકાસ થયા. હવે માનવજાત 21મી સદીમાં છે. અત્યારે જે પેઢી અસ્તિત્વમાં છે, યુવાનોની દુનિયામાં તેને "જનરેશન z" તરીકે ઓળખવામાં આવે છે. જનરેશન z એ 1997-2012 ની વચ્ચે જન્મેલા બાળકો છે, નામમાં Z એ ઝૂમર્સ માટે વપરાય છે જેમણે તેમના જીવનના ખૂબ જ શરૂઆતના તબક્કાથી ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.

  આપણે આજની પેઢીને આપણી પાસે જે કઈ સારું હતું, ( આપણો શ્રેસ્ઠ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો) તે આપવા અધીરા થઈ રહ્યા છીએ. પણ લેટેસ્ટ ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના પ્રવાહમાં આજની પેઢી એવી વહી રહી છે કે તેઓને એ પ્રવાહમાથી બહાર લઈ આવવાના આપણા મોટા ભાગના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. આપણે આપણી આ નિષ્ફળતાના કારણો ધ્યાનથી તપાસવાની જરૂર છે. અને નવેસરથી નવા પ્રયાસો કરવાની જરૂર છે.

  પેલા તો એ વિચારી લઈએ કે ખરેખર આપણે તેઓને આપવા શું માંગીએ છીએ? આપણે એ પૂર્વગ્રહમાથી બહાર આવી જઈએ કે આ પેઢી કોઈનું સાંભળતી નથી કે કોઈને સીરિયસ લેતી નથી. જો આપણી રજૂઆત આકર્ષક હોય તો તેઓ ઘણું બધુ સાંભળે છે અને તેઓને સાચું લાગે એ જીવનમાં પણ ઉતારે છે. પણ મુશ્કેલી એ છે કે આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની જેમ આકર્ષક રજૂઆત થકી કશું સમજાવી નથી શકતા. ને વળી આપણે તેઓને જે રસ્તે વાળવા માંગીએ છીએ, આપણે ખુદ એ રસ્તે ચાલીએ છીએ ખરા? આ પ્રશ્ન તો આજે મોટા ભાગના લોકો જે આજની પેઢી વિશે ચિંતા પાળીને બેઠા છે, તેમણે ખુદને પુંછી લેવો જોઈએ.

 આપણે તેઓને પુસ્તક વાચન સાથે જોડવા માંગીએ છીએ, પણ શું આપણે પુસ્તક સાથે મિત્રતા કરી છે? આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી દૂર કરવા માંગીએ છીએ, પણ શું આપણે પોતે તેનાથી દૂર રહી શકીએ છીએ? આપણે ઈચ્છીએ છીએ કે તેઓ પ્રકૃતિ સાથે જીવે, પણ શું આપણે પ્રકૃતિ સાથે જીવંત રહીએ છીએ? આપણે તેઓની પાસે સમય માંગીએ છીએ, પણ શું આપણે તેઓને સમય આપીએ છીએ ખરા? આપણે તેઓને ખુલ્લા મેદાનમાં રમતા જોવા ઈચ્છીએ છીએ, પણ એ માટે આપણે કોઈ ખાસ પ્રયાસો કરીએ છીએ? યોગા,મેડિટેશન કે કોઈપણ પ્રકારના ધાર્મિક સંસ્કારો તરફ આપણે આજની પેઢીને લઈ જવા માંગીએ છીએ, પણ શું આપણે એ રસ્તે વળ્યા છીએ?

   હકીકત તો એ છે કે આપણે એવું માની લીધું છે કે આજની પેઢી માટે લાગણીઓ કરતાં પણ વધુ જરૂરી છે, તેઓની જરૂરિયાતોની પૂર્તિ! આપણે નાના હતા ત્યારે આપણી જે જરૂરિયાતો પૈસાના અભાવે પૂરી ના થઈ શકી એ હવે આપણાં બાળકોની થઈ જ જવી જોઈએ. આજની પેઢીનું જરૂરિયાતોનું લિસ્ટ આપણે જ લાંબુ કર્યું છે. આપણે જ તેઓને બહુ નાની ઉંમરે ના શીખવાનું શીખવા દીધું છે. આજની જનરેશન બહુ સ્માર્ટ છે, એવું કહેનારા દરેક લોકોએ તેઓની સ્માર્ટનેસને સમજવી પડશે.

  આપણે આપણી સગવડતા મુજબ તેઓનો ઉછેર કરી રહ્યા છીએ, એટલે આજની જનરેશન લોસ્ટ જનરેશનશા માટે કહેવાય છે? એ આપણે જ સમજવું પડશે. ખરેખર તો આપણે જ તેઓને પાછા શોધી આપવા પડશે. આપણા વિચારો તેમના પર થોપવાથી કશું નહી થાય, તેઓને આપણે હુંફ અને પ્રેમ થકી પાછા વાળવા પડશે.

 

Sunday, 10 August 2025

જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!

 

જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!

 Library - Trilogy Curated Bookshop and ...

 

 

 

   હમણાં એક દિવસ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને પુસ્તકાલય જવાનું વિચાર્યું. મુલાકાત ગોઠવવા માટે પુસ્તકાલયના વ્યવસ્થાપકને ફોન કર્યો. પેલા તો તેમને વિશ્વાસ જ ના આવ્યો કે કોઈ સ્કૂલના છોકરાવ મુલાકાતે આવવા માંગે છે, પણ પછી એ અવઢવની સ્થિતિમાથી બહાર આવીને તેમણે મુલાકાત ગોઠવી આપી.

  વિદ્યાર્થીઓને લઈને મુલાકાતે ગઈ, તો વિદ્યાર્થીઓ અવનવા પુસ્તકો અને સામયિકો તેમજ સમાચારપત્રો જોઈને ખુશ થઈ ગયા. ને પુસ્તકો પણ અમારા વિદ્યાર્થીઓને જોઈને ખુશ ખુશ થઈ ગયા. ચાલો કોઈક તો આવ્યું અમને આ કબાટોમાથી બહાર કાઢવાવાળું! લગભગ કલાક સુધી તેમણે ધ્યાન દઈને વાચન કર્યું. પુસ્તકોના એક બે પાનાં વાચ્યા, સામયિકો વાચ્યા, અને સમાચાર પત્રો પણ... ઘણાને સમજાવવું પડ્યું કે સામયિકો અને છાપાઓ વચ્ચે શું તફાવત હોય છે? પણ ઓવરઓલ એ કલાકની મુલાકાત વિદ્યાર્થીઓ માટે આનંદદાયક રહી. ઘણા વિદ્યાર્થીઓએ પુસ્તકાલયમાં ખાતું ખોલાવવાનું ફોર્મ પણ છેલ્લે લીધું.

     હું તે લોકોને વારંવાર વાચન માટે સમજાવતી હોવ છુ. કે રોજ થોડો થોડો સમય વાચનને આપો, જેથી તમે તમારા જીવનમાં નવા અને વૈવિધ્યસભર વિચારોનો ઉમેરો કરી શકો. જેના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓને હમણાં એક દિવસ મે એક ગુજરાતી છાપું દેખાડ્યું! 70 વિદ્યાર્થીઓના વર્ગમાં 80% વિદ્યાર્થીઓએ ક્યારેય ગુજરાતી છાપું નહોતું જોયું! મે પુછ્યું પણ ખરું કે તો તમે ડિજિટલ ન્યૂઝપેપર વાચો છો? તો તેની પણ તે લોકોએ ના પાડી!

   ખરેખર અત્યારના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યે જરાપણ લાગણી નથી રહી. પુસ્તકો તો દૂર તેઓને નાના નાના ફકરાઓ વાચવામાં પણ કંટાળો આવે છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની સ્ક્રીનમાં તેઓનું વાચન ક્યાંક ગુમ થઈ ગયું છે. પુસ્તકોરૂપી આત્મા ઘરોમાથી જાણે કે અદ્રશ્ય જ થઈ ગયો છે. હકીકત તો એ છે કે આપણી પેઢી યંગ જનરેશનને પુસ્તકો આપવાનું જ ભૂલી ગઈ છે. કારણકે આપણે સૌ પણ આ સ્ક્રીનના વમળમાં ફસાઈ ગયા છીએ.

  2024 નેશનલ બુક ટ્રસ્ટ સર્વેએ કરેલા સર્વે મુજબ ભારતમાં માત્ર 36.8% બાળકો જ પુસ્તકો વાંચે છે, જ્યારે યંગ જનરેશનમાં તો આ આંકડો હજી નીચો છે. માત્ર 25% યુવાનો જ પુસ્તકો વાંચે છે. એટલું જ નહી જે પેઢીના લોકો પુસ્તકો પ્રત્યે લાગણીશીલ હતા, તેઓ પણ બીજા વિકલ્પો મળી રહેવાને લીધે પુસ્તકોનો સાથ છોડી રહ્યા છે. આપણા સૌના જીવનમાથી પુસ્તકોની લીટરલી બાદબાકી થઈ રહી છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં પુસ્તક વાંચન દર પ્રમાણમાં ઓછો છે તેના માટે ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ, શિક્ષણનો વધુ પડતો ભાર, ઈલેક્ટ્રોનિક ગેઝેટસ અને સોસિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, મોંઘા પુસ્તકો અને  વધુમાં, વાંચન સમય માંગી લે તેવું વલણ જેવા પરિબળો જવાબદાર છે. 
 

  જે બાળકો ઓછું વાંચે છે તેઓ તેમના શૈક્ષણિક પ્રદર્શન, સામાજિક-ભાવનાત્મક સુખાકારી અને ભવિષ્યની તકો પર નકારાત્મક અસર અનુભવી શકે છે. ઓછું વાંચન શબ્દભંડોળ વિકાસ, સમજણ કૌશલ્ય અને એકંદર શૈક્ષણિક સફળતાને અવરોધી શકે છે, જે સંભવિત રીતે નીચા ગ્રેડ, શાળામાં ગેરહાજરી અને વર્તણૂકીય સમસ્યાઓ તરફ દોરી શકે છે. વધુમાં, ઓછું વાંચન કરનાર બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ, ચિંતા અને સાથીદારોના અસ્વીકાર જેવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે. એટલું જ નહી ઓછા વાચનને લીધે બાળકોની કલ્પનાશક્તિને અને સર્જનાત્મક શક્તિને પણ નુકસાન થાય છે.

  ખુદ આપણે આપણી જાતને પુંછી લઈએ કે છેલ્લે આપણે ક્યારે એક આખું પુસ્તક વાંચ્યું હતું? કે આપણે ખુદ છેલ્લે ક્યારે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? જવાબ જ નહી આપી શકીએ.

  પુસ્તકો આપણાં સૌના જીવનમાં નવીનતા, વિવિધતા અને પ્રેરણા લઈને આવતા હોય છે. મોટા ભાગના સફળ લોકોની સફળતા પાછળ પુસ્તકોનો ફાળો જોરદાર હોય છે. વાચન એક પ્રકારનું મેડિટેશન છે, જેના થકી આપણું માનસિક આરોગ્ય જળવાય રહે છે, રહી વાત બાળકોને એ તરફ વાળવાની, તો એના માટે આપણે સૌએ પણ હાથમાં મોબાઇલને બદલે પુસ્તકો લેવા પડશે. શિક્ષણ સંસ્થાઓમાં એક પિરિયડ વાચનનો હોવો જોઈએ.

 

Friday, 11 July 2025

ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે.

 

ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે.

 Guru Purnima 2025, Know Date, Time, History, Significance, ritual and more  | ગુરુ પૂર્ણિમા 2025

 

 

               તમે જ્યારે આ લેખ વાંચી રહ્યા હશો, તેના બીજા દિવસે અષાઢ પૂર્ણિમાનું અંજવાળું આપણાં સૌના જીવનમાં પથરાશે. આ દિવસે દરેક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ પર્વ ઉજવવામાં આવે છે, લોકો મોટી સંખ્યામાં જોડાય પણ છે. મોટા ભાગના લોકો આ દિવસે પોતાના ગુરુનું પૂજન કરતાં હોય છે.પણ અફસોસ એ વાતનો છે કે આ પર્વની ઉજવણી પાછળનો જે મુખ્ય ઉદેશ છે, તે આપણે સૌ ભૂલી ચૂક્યા છીએ. સોસિયલ મીડિયા પર તે દિવસે ઘણા લોકો પોતાના ગુરુના અને ગુરુપૂજનના ફોટા શેર કરશે, પણ ગુરુએ આપેલા જ્ઞાનને કે ઉપદેશને પોતાના જીવનમાં ઉતારવાવાળા બહુ ઓછા જોવા મળશે.

    ગુરુ એ આપણા સૌના જીવનની એ વ્યક્તિવિશેષ છે, જેના થકી આપણા જીવનને સાચો રસ્તો મળે છે. એક એવો છાંયડો મળે છે, જેના થકી આપણે જીવનના ગમે તેવી મુશ્કેલીઓના તાપને જીરવી શકીએ છીએ. ગમે તેવી આફતો સામે લડતા શીખી શકીએ છીએ. હકીકત તો એ છે કે આપણને આપણા અસ્તિત્વની ઓળખાણ ગુરુ જ કરાવે છે. આપણને આપણા ઈશ્વર સુધી ગુરુ જ લઈ જાય છે.

    ગુરુ પૂર્ણિમા એટલે માત્ર હિન્દુઓ સાથે જોડાયેલો તહેવાર એવું માનવાની ભૂલ ના કરશો. આ પર્વ સાથે ભગવાન બુદ્ધ, અને મહાવીર સ્વામી પણ જોડાયેલા છે. આ દિવસે ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આ વિશ્વને આપ્યો હતો. તો મહાવીર સ્વામીને આ જ દિવસે પોતાના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી મળેલા. આ પૂર્ણિમાનો ચંદ્ર ઋષિ વેદવ્યાસના જન્મ સાથે જોડાયેલો છે. વિશ્વને વેદ અને મહાભારત જેવા ધર્મગ્રંથોની ભેટ આપનાર વેદ વ્યાસને આપણે આ દિવસે યાદ કરવા જ રહ્યા. આ એ જ દિવસ છે, જે દિવસે ભગવાન શંકરે સપ્તરૂષિઓને સૌપ્રથમ યોગનું જ્ઞાન આપેલ.

  આજે આપણે ભલે ગુરુ-શિષ્ય પરંપરાને નવા ફ્લેવર અને કલેવરમાં જોતાં હોઈએ. પણ આપણી ઋષિ પરંપરાએ જ્ઞાનના જે બીજ વાવ્યા હતા, તે વટવૃક્ષના બીજ એટલા ઊંડા ઉતરી ગયા છે કે તેને સપાટી પર લઈ આવવાની જરૂર છે. તે બીજને સૌના જીવનમાં વાવવાની જરૂર છે. કે જેથી આપણે દેશને સારા અને સાચા માર્ગે લઈ જઇ શકીએ. ગુરુ રામાનંદ થકી આપણને કબીર જેવા સંત મળ્યા જેમણે તે સમયની બૂરાઈઓ સામે અવાજ ઉઠાવ્યો. જેમણે સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાનો પોતાની શ્રદ્ધા થકી સામનો કર્યો.

  સમર્થ ગુરુ રામદાસ થકી આપણને શિવાજી જેવા શિષ્ય મળ્યા જેમણે ભારતમાં સ્વધર્મનો એવો ઝંડો લહેરાવ્યો જેના થકી આપણે આપણી ઓળખ જાળવી શક્યા. તો ચાણકય જેવા ગુરુએ આપણને ચંદ્રગુપ્ત મૌર્ય જેવો શાસક આપ્યા જેમણે ધનનંદ જેવા અધર્મી રાજાના ત્રાસમાથી પ્રજાને છોડાવી વર્ષો સુધી ગુરુના આશીર્વાદ થકી શુસાસન ચલાવ્યું. તો અશોક જેવા શાસકે કલિંગના રક્તપાત બાદ પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ પોતાના હ્રદયને ધર્મના માર્ગે વાળ્યું. અને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપ્યો.

  ગુરુની આ જ કમાલ છે, જે આપણામાં રહેલી શુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં, આપણાં અશાંત મનને શાંત કરવામાં અને આપણી અંદર રહેલા અંધકારને દૂર કરવામાં આપણને મદદ કરે છે. જિંદગીમાં આપણને જેની પાસેથી કશુંક સારું અને સાચું શીખવા મળે, એ બધા જ આપણા ગુરુઓ છે. પછી એ કોઈ પક્ષી પણ હોય શકે અને કોઈ પ્રાણી પણ! ભગવાન દત્તાત્રેયે કૂતરાને પણ પોતાના ગુરુ માનેલા!

  ગુરુ એ લેટેસ્ટ ટેક્નોલોજી છે, જે આપણને સતત અપડેટ કરતી રહે છે. જેથી આપણે આઉટ ઓફ ડેટ ના થઈ જઈએ. ગુરુ એ નેચરલ ઇંટેલિજન્સ છે, જે આપણામાં સતત નવા વિચારોનું ઇમપ્લાન્ટ કરે છે. તે આપણને શીખવે છે, કે સમાજમાં ચાલતા કુરિવાજો સામે કેમ લડવું? ગુરુ એ મોસમનો એ પ્રથમ વરસાદ છે. જે દર વર્ષે આપણને તેની તાજગીથી ભીંજવતો રહે છે.અને એ ફીલિંગ જ આપણને જીવંત રહેવાની સતત પ્રેરણા આપતી રહે છે.

  અલબત આપણે પોતે પણ આપણાં ગુરુ બની શકીએ છીએ.

  

  

Thursday, 3 July 2025

માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

 

      માર્કેટિંગ ગઇકાલ, આજ અને આવતીકાલ

 Creative Marketing Campaign Ideas That Work

 

 

 

  તમે ઘરમાં હોવ કે ઓફિસમાં કે પછી વિદ્યાર્થી તરીકે તમે સ્કૂલમાં હોવ કે કોલેજમાં કે બીજા કોઈ ફિલ્ડમાં તમારી આસપાસ તમે નજર કરશો તો સમજાશે કે આજે આપણી પાસે દરેક વસ્તુઓ અને સેવાઓનું સ્પેશ્યલાઈઝ બજાર છે. આપણને સૌને એ માર્કેટ સુધી લઈ જનાર માર્કેટિંગના બદલાતા માધ્યમોના ફ્લેશબેકમાં આજે આપણે જવું છે.

  સમય વિતતો ગયો તેમ માર્કેટિંગના માધ્યમો પણ બદલાતા ગયા. એમાં પણ  છેલ્લા કેટલાક દાયકાઓમાં માર્કેટિંગમાં ઝડપી પરિવર્તન આવ્યું છે. પ્રિન્ટ જાહેરાતો અને બિલબોર્ડના યુગથી લઈને સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના યુગ સુધી, માર્કેટિંગના ઉત્ક્રાંતિને ટેકનોલોજીકલ પ્રગતિ અને બદલાતા ગ્રાહક વર્તન દ્વારા વેગ મળ્યો છે. ઇન્ટરનેટની આપણાં સૌના જીવનમાં એન્ટ્રી પહેલાં, માર્કેટિંગ મુખ્યત્વે પ્રિન્ટ મીડિયા, ટેલિવિઝન, રેડિયો અને ડાયરેક્ટ મેઇલ જેવી પરંપરાગત ચેનલો પર જ આધારિત હતું. ભારતમાં માર્કેટિંગની ઓફિસિયલ શરૂઆત ઇ.સ. 1959માં થયેલી.

    ઇ.સ. 1950ની આસપાસ એક ઠંડા પીણાની એક કંપનીએ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે મેગેઝિન અને છાપામાં રંગબેરંગી છાપેલી જાહેરાતોનો ઉપયોગ કર્યો, જેને ગ્રાહકોએ હસતાં હસતાં અપનાવી લીધી. તો ફૂડનું વેચાણ કરતી એક કંપનીએ હાઇવે પર કલરફૂલ હોડિંગસ દ્વારા ગ્રાહકો સુધી પોતાની પ્રોડકસને પહોંચાડી. જો કે આ હોડીગ્સ તો આજે પણ વસ્તુઓના માર્કેટિંગનું અસરકારક માધ્યમ ગણાય છે.

   તો ઇ.સ. 1983માં ભારતમાં સૌપ્રથમ બોમ્બે-ડાઇંગે ટી.વી. પર સૌથી પહેલી રંગીન જાહેરાત 100 સેકંડની બનાવેલી. ઇ.સ. 1980-2000 ના દસકાઓ દરમિયાન ટી.વી. પર એટલી રસપ્રદ જાહેરાતો આવતી કે Z-જનરેશનને અમુક જાહેરાતો જેવી કે હમારા બજાજ, કુછ ખાસ હે જિંદગી મે, મેગીની એડ, પારલે-જી, ફેવિકોલ,લાઈફ-બોય, નટરાજ પેન્સિલ, ફિલિપ્સ, ઓનીડા ટી.વી., થમ્સ-અપ, વગેરે વગેરે આજે પણ યાદ છે. અને જો ક્યાંક જોવા મળી જાય તો ફરીથી જોવા થંભી પણ જવાય છે.

  1990 ના દાયકામાં ઇન્ટરનેટની એન્ટ્રીથી માર્કેટિંગમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ. વેબસાઇટ્સ, ઇમેઇલ માર્કેટિંગ અને સર્ચ એન્જિન ગ્રાહકો સુધી પહોંચવા માટે નવા માધ્યમો બન્યા. એમેઝોને ઇ.સ. 1995માં સૌપ્રથમ પોતાના ઓનલાઇન બૂક-સ્ટોરની શરૂઆત કરી. અને આજે ઓનલાઈન માર્કેટિંગ અને શોપિંગ આપણાં સૌની ખરીદીનો અતૂટ હિસ્સો બની ચૂક્યું છે. 2000ની આસપાસ ડેલ કંપનીએ પોતાની પ્રોડક્ટના માર્કેટિંગ માટે ડાયરેક્ટ ગ્રાહકના ઇ-મેઈલના ઈનબોક્સનો ઉપયોગ કર્યો. 2000 ના દાયકાની શરૂઆતમાં ગૂગલ ગુરુએ ગ્રાહકોને પટાવવા SEOને(સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન) ને જોરદાર માર્કેટિંગ વ્યૂહરચના તરીકે લોન્ચ કર્યું.

 

     2000 ના દાયકાના મધ્યમાં ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન જેવા સોશિયલ મીડિયા પ્લેટફોમ્સે દુનિયામાં ધૂમ મચાવી દીધી. જેણે બ્રાન્ડ્સના માર્કેટિંગ અને ગ્રાહકોને 360 ડિગ્રીએ ફેરવી નાખ્યા. સોશિયલ મીડિયા માર્કેટિંગે વ્યવસાયોને વાસ્તવિક સમયમાં તેમના ગ્રાહકો સાથે સરળતાથી અને ઝડપથી જોડી દીધા. અને આજે લગભગ દરેક વ્યવસાયિકો ગ્રાહકો સુધી પહોંચવા આ સોસિયલ મીડિયાઝના સહારે છે.

    ઇનસ્ટાની રીલથી લઈને યુ-ટ્યુબ વિડિયોઝ સુધી કે પછી ફેસબૂક એક લિંકડેન થકી મોટા ભાગના ધંધાદારીઓ પોતાના સંભવિત ગ્રાહકો સુધી પહોંચી ગયા છે. સ્ત્રીઓમાં રહેલા હિડન ટેલેન્ટ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને લગતી પ્રોડકટ્સ આ જ માધ્યમો થકી વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકી છે.

 

  ફેસબુક પર ઠંડા પીણાની એક કંપનીએ શરૂ કરેલું શેર અ ડ્રિંક’, ટ્વિટર પર ઓરિયોએ શરૂ કરેલ ‘dunk in the dark’ અને આઈ.બી.એ. મે અપનાવેલું લિંકડેન માર્કેટિંગ આના શ્રેસ્ઠ સફળ ઉદાહરણો છે. સોસિયલ મીડિયા અને મોબાઈલે સાથે મળીને આપણી આસપાસ માર્કેટિંગનું એક એવું જાળું રચી દીધું છે કે જાહેરાતોને હવે આપણે આપણાં જીવનમાથી દૂર કરી શકીએ એમ નથી. વિશ્વની અડધી પ્રજાના ખીસ્સામાં રહેલા મોબાઈલ પણ મોબાઈલ કંપનીઓની માર્કેટિંગ સ્કીલને જ આભારી છે.

       માર્કેટિંગનો વિકાસ પરંપરાગત પદ્ધતિઓથી અદ્યતન ડિજિટલ વ્યૂહરચના સુધીની એક રસપ્રદ સફર રહી છે. આ સતત બદલાતા વાતાવરણમાં ગ્રાહકો સુધી પહોંચવાનો શ્રેસ્ઠ રસ્તો એ છે કે  નવી ટેકનોલોજી અપનાવવી, ગ્રાહક વર્તણૂકને સમજવી અને સતત નવીનતા લાવવી.

 

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...