Sunday, 15 June 2025

યુદ્ધ... રોજ ક્રેશ થતી જિંદગીઑ અને માનવતા!!

 

યુદ્ધ... રોજ ક્રેશ થતી જિંદગીઑ અને માનવતા!!

Conflict in Israel and Gaza, in Photos - The New York Times

 

             પ્લેન ક્રેશ થયું, સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહોતા બેઠા એવા પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. વર્ષો સુધી આપણે સૌ આ દુર્ઘટનાને ભૂલી નહી શકીએ. એમાં પણ જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ તો આ દુર્ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે. ચારે તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તે આપણને અંદરથી હચમચાવી દે, તેવા છે. મોટા ભાગના લોકોની સમાચારો જોયા બાદ કે વાંચ્યા બાદ આંખો ભીની થઈ રહી છે. આંખોના ખૂણા લૂંછતા લૂંછતા આપણાં બધાથી આકાશ તરફ જોવાય જાય છે અને ઈશ્વરને પુંછાય જાય છે કે હે પ્રભુ આ શું થઈ ગયું?

      પણ જ્યાં છેલ્લા બે-ત્રણ વર્ષોથી રોજ જ્યાં માનવતા અને જિંદગી બંને ક્રેશ થઈ રહી છે, સેંકડો લોકો રોજ મોતને ઘાટ ઉતરી રહ્યા છે. આકાશમાથી કે પછી સૈનિકોની બંદુકોમાથી ગમે ત્યારે મોત વરસી રહ્યું છે, અને હવે નવા બે રાષ્ટ્રો વળી પાછા યુદ્ધના ઓછાયા હેઠળ આવી રહ્યા છે, ત્યારે આપણે કોની તરફ જોઈ પૂંછવાનું કે આ શું થઈ રહ્યું છે?’ યુક્રેન અને રશિયા વચ્ચે અને ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધો હજી સમાપ્ત નથી થયા, ત્યાં તો ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

  આ બધા રાષ્ટ્રો છેલ્લા ત્રણ ત્રણ વર્ષોથી રોજ એક જ સમાચાર વાંચી રહ્યા છે. આજના યુદ્ધમાં કેટલા મર્યા અને કેટલા ઘાયલ થયા. ક્યો પ્રદેશ કોના કબજામાં આવ્યો? અને કોને ક્યો પ્રદેશ ગુમાવ્યો? પણ આ બધા વચ્ચે રોજ સેંકડો બાળકો પોતાના માતા-પિતા અને સેંકડો માતા-પિતા પોતાના બાળકો ગુમાવી રહ્યા છે? તેનો હિસાબ કોઈ નથી કરી રહ્યું? આ પ્લેન ક્રેશની હ્રદયદ્રાવક તસ્વીરો આપણે બે-ત્રણ દિવસોથી જોઈ રહ્યા છીએ, અને ઘણા તો જોઈ પણ શકતા નથી. ને આપણે ધ્રુજી જઈએ છીએ, તો જેઓ રોજ આવા દ્રશ્યો જોઈ રહ્યા છે, તેઓની સંવેદનાઓનું શું? તેઓના આંસુઓનું શું?

  ખબર નથી ક્યારે કોના શરીરના ટુકડે-ટુકડા વિખેરાઈને અલગ અલગ જગ્યાએ પડશે? ઘરમાં બેઠા છે, લોકો અને ધડ દઈને બોમ્બ કે મિસાઇલ ઝીંકાય છે અને હસતું-રમતું ઘર થોડી જ ક્ષણોમાં સુમશાન ખંડેરમાં ફેરવાઇ જાય છે. જે શેરીઓમાં રમીને મોટા થયા હોય છે, તે શેરીઓ સુની સુની થઈ જતી હોય છે. કાટમાળ નીચે દટાયેલી જિંદગીઓ શ્વાસ માંગે છે, પણ એ શ્વાસ પૂરવા વાળું કોઈ મળતું નથી. જ્યાં જિંદગીઓ રોજ કચડાય રહી છે, ત્યાં એ કચડાતી જિંદગીઓને કાંધો આપનાર પણ કોઈ નથી! યુદ્ધને લીધે સેંકડો લોકો હેંડિકેપ્ટ થઈ જતાં હોય છે.

   શેરીઓ અને ગલીઓમાં ભૂખ્યા બાળકોની ચીસ સાંભળવાવાળું કોઈ નથી. આપણે રોટલીને બદલે તેઓને ગોળીઓ અને દારૂગોળો આપી રહ્યા છીએ. છેલ્લા એક દસકામા યુદ્ધને લીધે 20 લાખ બાળકો મૃત્યુ પામ્યા છે. ઈશ્વરે માણસો પર શ્રદ્ધા રાખી આ પૃથ્વી પર મોકલેલા બાળકોને આપણે રક્તથી રંજિત દુનિયા આપી રહ્યા છીએ. એ ફૂલો ખીલે એ પહેલા જ આપણે તેઓને મૂરઝાતા જોઈ રહ્યા છીએ. રોજ નવી સવાર તેઓ માટે માત્ર ને માત્ર મૃત્યુ લઈને આવે છે.

        લોકોને પોતાના વતનને છોડીને જવું પડી રહ્યું છે. હવે એ માતૃભૂમિમાં બીજીવાર આવવા મળશે કે કેમ? એ પ્રશ્નનો જવાબ તેઓની ઉદાસ આંખો માંગી રહી છે. રશિયન સૈનિકો દ્વારા યુક્રેનની સ્ત્રીઓ પર રેપ થઈ રહ્યા છે. આવું દરેકે દરેક યુદ્ધ વખતે થાય છે. આ બળાત્કારીઓને કોણ સજા આપશે? મહાભારત થી લઈને આજના આ યુદ્ધો સુધી મુઠ્ઠીભર લોકોની મહત્વાકાંક્ષાઓનો ભોગ કરોડો લોકો બની રહ્યા છે.

  શું આપણે વિશ્વશાંતિનો મંત્ર ભૂલી ગયા છીએ? યુદ્ધોથી વેરાન થઈ ગયેલી આ ધરતીને ફરીથી સજીવન કોણ કરશે? યુદ્ધમાં અનાથ થયેલા બાળકોને માતા-પિતાનું સુખ કોણ આપશે? રોજ દારૂગોળાના ધુમાડામાં મૂંઝાતી જિંદગીઓને નવા શ્વાસો કોણ આપશે? કોણ આ યુદ્ધોને સ્ટોપ કરાવશે? કે પછી આપણા પછીની પેઢીઓને પણ યુદ્ધ અને યુદ્ધની અસરો વાળું સાહિત્ય જ ભણવું પડશે?

 

Friday, 13 June 2025

જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!

 

જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!  

Smiling Selfie On Ill-Fated Plane: A Doctor Couple And Their 3 Young  Children

 

          પ્લેન ક્રેશ થયું, સેંકડો લોકો માર્યા ગયા. જેઓ પ્લેનમાં નહોતા બેઠા એવા પણ ઘણા લોકો મૃત્યુ પામ્યા. વર્ષો સુધી આપણે સૌ આ દુર્ઘટનાને ભૂલી નહી શકીએ. એમાં પણ જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ તો આ દુર્ઘટનાને ક્યારેય નહી ભૂલી શકે. ચારે તરફ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, તે આપણને અંદરથી હચમચાવી દે, તેવા છે. મોટા ભાગના લોકોની સમાચારો જોયા બાદ કે વાંચ્યા બાદ આંખો ભીની થઈ રહી છે. આંખોના ખૂણા લૂંછતા લૂંછતા આપણાં બધાથી આકાશ તરફ જોવાય જાય છે અને ઈશ્વરને પુંછાય જાય છે કે હે પ્રભુ આ શું થઈ ગયું?

   એક કુટુંબ જે વર્ષો બાદ સેટલ થવા લંડન જઇ રહ્યું હતું, તે આખું કુટુંબ આગની જવાળાઓમાં બળીને રાખ થઈ ગયું. તેઓની પ્લેનમાં બેઠા ત્યારની સેલ્ફી સોસિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. રાજસ્થાનનું એ કુટુંબ પતિ-પત્ની અને ત્રણ બાળકો કાયમ માટે ભારત છોડીને લંડન શિફ્ટ થઇ રહ્યા હતા, જેનું ઈશ્વરે સ્વર્ગમાં શિફ્ટિંગ કરી દીધું. છેલ્લી સેલ્ફીમાં આખું કુટુંબ એકદમ ખુશખુશાલ દેખાય રહ્યું છે. નવી જીંદગીની શરૂઆત કરવા જનારને મૃત્યુ આંબી ગયું.

  આજે ફરી સાબિત થઈ ગયું કે આપણે ગમે તેટલું પ્લાનિંગ કરીએ પણ જો ઉપરવાળો નથી ઈચ્છતો તો બધા જ પ્લાનિંગ ઉંધા વળી જતાં હોય છે. બંને પતિ-પત્ની અલગ-અલગ રહેતા હતા, કૌમી વ્યાસ કે જેણી એક ડોકટર હતી, તે એક ખાનગી દવાખાનામા કામ કરતી હતી, જ્યારે કૌમીનો પતિ લંડનમાં કામ કરતો હતો. અલગ-અલગ રહી કમાઈ લઈએ, પૈસા બનાવી લઈએ પછી મોજથી સાથે જીવીશું એ માન્યતાને આ દુર્ઘટનાએ ધક્કો પહોંચાડ્યો છે.

   આપણી આસપાસ આજકાલ જે કઈ થઈ રહ્યું છે, તે જાણીને, જોઈને એવું ફીલ થવા લાગ્યું છે કે આપણી પાસે જીવવા માટે જે કઈ પણ છે, તે છે, આજ! અત્યારે આપણે જે જીવી શકીશું એ જ જિંદગી છે. જે ક્ષણોને આપણે પેન્ડિંગ રાખીએ છીએ, તે જીવી જ શકીશું એની કોઈ ગેરંટી નથી. ભવિષ્યના પ્લાનિંગમાં આજની અમૂલ્ય અને અતુલ્ય ક્ષણોને આપણે વેડફી નાખતા હોઈએ છીએ.

     બસ થોડા વર્ષો હજી થોડા વર્ષો હજી.... અલગ અલગ રહી લઈએ, પછી તો જિંદગી સેટ જ છે ને! પણ હકીકત તો એ છે કે જિંદગી છેક છેલ્લા શ્વાસ સુધી સેટલ થતી જ નથી. અને એટલે જ આજે જે મળે એ ક્ષણોને જીવી લઈએ. મોજ કરી લઈએ. હું એમ નથી કહેતી કે ભવિષ્યનું પ્લાનિંગ ના કરવું જોઈએ. બસ મારુ એટલું જ કહેવું છે કે જિંદગી સાવ ટાઈમ-ટેબલ મુજબ ગોઠવેલી ના હોવી જોઈએ. આપણી જીંદગીની ડાયરી અપોઇનમેંટ ડાયરી જેવી ના હોવી જોઈએ.

   પછી જીવી લઈશું એ શબ્દથી બને તેટલા દૂર રહીએ. ભલે થોડી ઓછી વસ્તુઓ સાથે જીવવું પડે, પણ આજે જે કઈ મળે છે, તેને માણી લઈએ. શું છે? ખુશીની પરિભાષા આપણાં સૌ માટે? બસ શાંતિથી જીવન જીવીએ અને મોજ-મસ્તી કરતાં રહીએ. આપણે મોટા બંગલામાં રહેવા, કે ફાઇવ-સ્ટાર હોટેલમાં જમવા કે પછી લેટેસ્ટ બ્રાન્ડની વસ્તુઓ ખરીદવા કે પછી હાઇ-ફાઈ લાઈફ જીવવા નથી જન્મ્યા. અરે આપણે કરોડપતિ થવા પણ નથી જન્મ્યા. આપણે તો યાર જીવવા માટે જન્મ્યા છીએ.

  અને જીવવાથી જ મોટા ભાગની ખુશીઓ આપણાં જીવનમાં એન્ટ્રી લેતી લઈ લેતી હોય છે. દરેક ક્ષણોની સેલ્ફી લેવી જરૂરી નથી પણ દરેક ક્ષણોમાં સેલ્ફને જોડવો જરૂરી છે. દુર્ઘટનાઓ પર આપણો કોઈ જ કંટ્રોલ નથી, ખુદની બીજા સાથે સરખામણી ના કરવા પર આપણો કંટ્રોલ છે જ...

  કોની કેટલી મિનિટમાં કેટલી આવક છે? તેઓની એક સેકન્ડ કેટલી કિંમતી છે? એ માત્ર આંકડાઓ છે. અગત્યનું તો એ છે કે આપણે એ ક્ષણોમાં જીવ્યા કેટલું? જે કઈ ભેગું કર્યું છે, તેને પામ્યા કેટલું? અમુક બાબતો ક્યારેય માપી શકાતી નથી, બસ પામી જ શકાય છે. જીવનનું પણ એવું જ છે. જીવી લઈએ, જરૂરિયાતોનું પ્લેન ક્રેશ થાય એ પહેલા!  

 જે આપણે જીવતા નથી, એ વેડફાય જતું હોય છે. રીટાયર્ડ થઈને જીવી લઈશું, જીવનની છેલ્લી ક્ષણો સાથે જીવી લઈશું. આજે નહી કાલે જીવી લઈશું. સાલું આ ગણિત જ ખોટું છે. અને ગણિતનો તો નિયમ છે, પહેલું સ્ટેપ ખોટું, તો આખો દાખલો ખોટો....

Saturday, 7 June 2025

કોઈને મદદ કરતાં પહેલા......

કોઈને મદદ કરતાં પહેલા...... 

 What the dark side of helping people who have a serious health issue is  like – Part 1

 

 

            થોડા દિવસો પહેલા એક દુકાનેથી વસ્તુ લેતા સમયે એક લઘર-વઘર અને ગંદુ બાળક દુકાનમાથી ખરીદી કરી રહેલા લોકો પાસે ભીખ માંગી રહ્યો હતો. ઉભેલા લોકોમાથી એક-બે જણાએ તેને થોડા પૈસા આપ્યા. મને એમ હતું કે તે ભૂખ્યો હશે, એટલે સામે રહેલી ખાણી-પીણીની લારીમાથી કશુંક લઈને ખાશે. પણ એવું ના થયું. તે તો એ પૈસાથી ગુટકા લઈને ખાવા માંડયો. એવી જ રીતે કોઈ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને આપણે ખાવા માટે બિસ્કીટના પેકેટસ આપીએ તો તેઓ એ પેકેટ્સ વેચીને એમાથી જે પૈસા મળે, તેમાથી પોતાનું વ્યસન સંતોષતા હોય છે.

   આપણાં દેશમાં ખરેખર કેટલીક વસ્તી એવી છે, જે કારમી ગરીબીમાં જીવે છે, તો સાથે સાથે મધ્યમ વર્ગમાં પણ એવા ગરીબ લોકો છે, જેઓને અમુક પ્રકારની મદદની જરૂર હોય છે. પણ તેઓ કોઈ પાસે માંગી શકતા નથી. હકીકત તો એ  છે કે ગરીબો માટે સરકારની અનેક યોજનાઓ છે, અને ધનીકો પાસે પૈસા. સૌથી વધુ જો આ દેશમાં કોઈ પિંસાતું હોય તો એ મધ્યમ વર્ગ છે. જેઓ માટે કોઈ જ સરકારી યોજનાઓ પણ નથી કે પૂરતા પૈસા પણ નથી.

   છેલ્લા કેટલાક વર્ષોથી આપણાં દેશમાં સમાજસેવા પ્રત્યેનું વાતાવરણ એકદમ હકારાત્મક બની ગયું છે. ગરીબ લોકોને મદદ કરવા આગળ આવનારી સંસ્થાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. જરૂરિયાતવાળા લોકોને કપડાંથી માંડીને શિક્ષણ સુધીનું, તેમજ ખોરાકથી માંડીને આરોગ્ય સુધીની સેવાઓ મફતમાં મળી રહે એવી વ્યવસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી હોય છે. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે ખરેખર જે લોકો સુધી આ બધુ પહોંચવું જોઈએ, તે લોકો સુધી પહોંચતું નથી.

 અથવા તો તે એવા લોકોને પહોંચે છે, જેઓને મન આ સુવિધાઓનું મૂલ્ય રોકડી કરી લેવા સિવાય કશું હોતું નથી. તેઓ પોતાને મળતી આ સુવિધાઓનો ગલત ફાયદો ઉઠાવતા રહે છે. સોસિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મળી રહે એ માટે પણ લોકો હવે બીજાને મદદ કરી, ફોટા પડાવી એ ફોટા સોસિયલ મીડિયા પર મૂકી સંતોષનું સુખ પ્રાપ્ત કરી લેતા હોય છે. સરકારી યોજનાઓ હોય કે પછી એન.જી.ઓ. થકી મળતી મદદ હોય, આવા લે-ભાગુઓ જાજા છે, જેઓ આ મદદનો ગેરફાયદો ઉઠાવતા રહે છે.

  સોસિયલ મીડિયાના આ દેકારામા ખરેખર જેઓને જરૂર છે, તેવા લોકોનું મૌન દટાઇ જતું હોય છે. મદદ કરનારી સંસ્થાઓએ પણ પહેલા સર્વે કરાવવો જોઈએ કે અમે જે પ્રકારની મદદ કરીએ છીએ તે ખરેખર જેઓને જરૂર છે, તેવા લોકો સુધી પહોંચે છે ખરી.... જો સંસ્થાઓ આવું કશું જ કર્યા વિના મદદ કરતી રહેશે તો એ મદદનો કોઈ અર્થ જ નહી રહે. આવી સંસ્થાઓનો ઉદેશ સારો હોય છે, બસ હવે તેમણે ટાર્ગેટ સાચો નકકી કરવાનો છે.

  સેવાઓ ખરેખર જરૂરી હોય તેવા લોકો સુધી પહોંચશે તો એ સેવાઓનો સાચો અર્થ સરશે. જો કરેલી સેવાથી કોઈના ચહેરા પર ઓરિજિનલ હાસ્ય આવશે તો એ પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચશે. અને આખરે તો આ બધુ આપણે એટલા માટે જ તો કરતાં હોઈએ છીએ. સામેવાળાની જરૂરિયાત સમજીને જો આપણે ચીજવસ્તુઓ પૂરી પાડીશું તો એને પણ એ વસ્તુઓ મદદરૂપ થઈ પડશે. ના જોઈતી હોય એવી વસ્તુઓના ઢગલા કરીને આપણે શું કરીશું?

  વળી મફતમાં મળતી વસ્તુઓનો ઘણીવાર બહુ બગાડ થતો હોય છે. તો આવી કોઈ વ્યક્તિઓને મદદ કરતી વખતે વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફીનો આગ્રહ ના રાખીએ. કોઇની મજબૂરીને આપણાં સોસિયલ મીડિયાની પોસ્ટ બનાવીને આપણે બહુ મોટી ભૂલ કરતાં હોઈએ છીએ. દેખાડો કરીને કરેલું દાન તો ઈશ્વરના ચોપડે પણ લખાતું નથી. માટે જેને જરૂર છે, તેને જ આપીએ અને છાનું છાનું આપીએ. આપને કરેલી સેવાનો કોઈ દુરુપયોગ ના કરી જાય એ ધ્યાન આપણે રાખવાનું છે.

  વળી આવા લોકો મફતમાં વસ્તુઑ મેળવીને આળસુ પણ થઈ જતાં હોય છે. ને ઘણા લોકો તો કામધંધો છોડીને આવી વસ્તુઓનો લાભ લેવા ગોઠવાઈ જતાં હોય છે. જ્યાં જ્યાં અન્નક્ષેત્રો ચાલુ હોય છે, ત્યાં આવા લોકો જમી લેતા હોય છે. અને વ્યસનો માટે પૈસા માંગી લાવતા હોય છે. 

  હકીકત તો એ છે કે કોઈને આત્મનિર્ભર બનાવવા એ જ સૌથી મોટી સેવા છે. આવા લોકોને પગભર કરીએ અને જિંદગીમાં આગળ વધતાં શીખવીએ.

Saturday, 31 May 2025

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરીની તકો વધારશે કે ઘટાડશે???

 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરીની તકો વધારશે કે ઘટાડશે???

હેડિંગ: 
     એ.આઈ. માણસોમાં રહેલી સર્જનાત્મકતાને અપડેટ કરવાનું અને તેઓની અંદર રહેલી આવડતને ડેવલપ કરવાનું કામ પણ કરશે.
What is AI? | GeeksforGeeks


 

 

      એ.આઈ. એ ભારતમાં આજે ક્રિકેટ, ગાંધીજી, સીનેમાં અને ધર્મ કરતાં પણ વધુ હોટ ટોપીક બની ગયો છે. દર બીજો લેખ એ.આઈ. અને તેનાથી ભવિષ્યમાં થનારી અસરો વિષે લખાય રહ્યો છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીની વ્યક્તિઓ એ.આઈ. વિષેની ચર્ચાઓમાં હોંશભેર જોડાય રહી છે. ચેટ-જી.પી.ટી. અને બીજા એ.આઈ. ટૂલ્સ ભારતના અડધાથી વધુ મોબાઇલ્સમાં ડાઉનલોડ થઈ ગયા છે. દુનિયાભરની આઈ.ટી. કંપનીઓ એ.આઈ. ના ક્ષેત્રમાં નવા નવા સંશોધનો કરવા ગળા-કાપ સ્પર્ધાઓ કરી રહી છે.

  સાથે સાથે મોટા ભાગના લોકોને એ ડર પણ સતાવી રહ્યો છે કે એ.આઈ.ને લીધે જુદા જુદા અનેક ક્ષેત્રોમાં રોજગારીની તકો ઘટશે. ઘણા લોકોને પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવશે. માણસનું સ્થાન મશીન લઈ લેશે અને માણસ પોતાની નોકરી ગુમાવી બેકાર થઈ જશે. કોઈપણ નવી ટેકનૉલોજી આવે, ત્યારે માર્કેટમાં આવો ડર ઊભો થઈ જ જતો હોય છે, પણ સમય જતાં સમજાય છે કે નવી ટેકનૉલોજી પણ રોજગારીની નવી તકો લઈને આવે છે. અને એ.આઈ. ના કિસ્સામાં પણ એ સાચું છે. એ.આઈ. થકી પણ ઘણા એવા નવા ક્ષેત્રો ઉદભવશે જેના લીધે નવી નવી રોજગારીની તકો ઊભી થઈ શકશે. કોઈપણ જાતની હો હા કર્યા વિના આપણે પહેલા એ નવા ક્ષેત્રો વિષે જાણી લઈએ જ્યાં એ.આઈ. માણસ માટે નવી તકો ઊભી કરવાનું છે.

 એ.આઈ. ભારતના માર્કેટમાં નવી નોકરીની તકો લાવી રહ્યું છે. એ.આઈ. થકી નવા સંશોધનો અને નવા નવા ઉકેલો મળી શકે છે. તેના થકી આપણે આપણી સર્જનાત્મક વૃતિઓને એક નવા જ સ્તરે લઈ જઇ શકીએ છીએ. કંપનીઓ હવે માહિતી વિશ્લેષણ, ઓટોમેશન અને સર્જનાત્મક કાર્ય જેવી બાબતો માટે એ.આઈ માં નિષ્ણાતોની ભરતી કરી રહી છે. એ.આઈ. ની અસર ખૂબ મોટી છે, જે શીખવા અને અનુકૂલન કરવા માટે તૈયાર લોકો માટે તકો પૂરી પાડે છે.  હકીકત તો એ છે કે એ.આઈ. નોકરીઓ છીનવી રહ્યું નથી પરંતુ તેમને બદલી રહ્યું છે. તે વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓને વધુ સ્માર્ટ અને વધુ સક્ષમ બનાવી રહ્યું છે.

  વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના રીપોર્ટ મુજબ ઇ.સ. 2025માં એ.આઈ. 12 મિલિયન નવી નોકરીઓનું સર્જન જુદા જુદા ક્ષેત્રોમાં કરશે. એટલું જ નહી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના 2019 ના અહેવાલ મુજબ, 2025 સુધીમાં, એ.આઈ. ડિજિટલાઈજેશન, પુનઃતાલીમ અને પુનઃકુશળતા દ્વારા ભારતમાં આશરે 40-45 મિલિયન કામદારોને અપડેટ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત IT-BPM, ઉત્પાદન, કૃષિ, અને પરિવહન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં લગભગ 20 મિલિયન નવી નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે.

NASSCOM ના 2020 ના અહેવાલ મુજબ, 2025 સુધીમાં ભારતના GDP માં AI અને ડેટા 540 બિલિયન થી 500 બિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે. આ મૂલ્યનો આશરે 45% ભાગ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાંથી આવવાની ધારણા છે, ગ્રાહકોને માલનું છૂટક વેચાણ, ખેતી અને બેંકિંગ- વીમા.  તે ઉપરાંત ટેલિકોમ, મીડિયા અને આઈ.ટી. એનર્જી, પરિવહન વગેરે વગેરે ક્ષેત્રેઓમાં પણ એ.આઈ. દ્વારા નવી રોજગારીનું સર્જન થશે.   

  જો કે કેટલાક આઇ.ટી. નિષ્ણાંતોનું માનવું છે કે એ.આઈ. ને લીધે મોટા ભાગની કંપનીઓને ભલે એવું લાગે કે એ.આઈ. માનવ શક્તિ ઘટાડશે, કાર્યક્ષમતા ઘટાડશે, અને નફામાં વધારો કરશે. પણ જો એ.આઈ. ને લીધે લોકોની નોકરીઓ જશે  તો  લોકોના પોકેટમાં પૈસા જ નહી રહે અને જો લોકો પાસે પૈસા જ નહી હોય તો એ.આઈ. દ્વારા તૈયાર કરેલો માલ ખરીદશે કોણ? એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈએ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લીધે આગામી પાંચ વર્ષમાં 50 ટકા એન્ટ્રી-લેવલ વ્હાઇટ-કોલર નોકરીઓનો ગાયબ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાભરની સરકારો ભલે આ ખતરાને ઓછો આંકે પણ  AI ના વધતા ઉપયોગથી બેરોજગારીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે જ.  

   એ.આઈ. ને લઈને આવી ઘણી-બધી આગાહીઓ થઈ રહી છે. જોઈએ ભવિષ્યમાં શું થાય છે? આપણું ભવિષ્ય તો આપણે જ ઘડવાનું છે, એ કઈ એ.આઈ. નહી ઘડી શકે. એ.આઈ. વિષે જરૂરી માહિતી ભેગી કરી પોતાનું કરિયર પ્લાન કરવું.

 

 

Friday, 23 May 2025

ખરાબ મેનેજમેન્ટ હમેંશા સારા વ્યક્તિનો ભોગ લે છે!

ખરાબ મેનેજમેન્ટ હમેંશા સારા વ્યક્તિનો ભોગ લે છે!

 Resolve Crazy-inducing Workplace Communication Issues

 

   જુદી જુદી કોઈપણ સંસ્થાના કર્મચારીઓ એક જગ્યાએ ભેગા થઈને વાતો કરતાં હોય તો તેઓની દરેકની વાતોમાં પોતાના કામના સ્થળ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. કોઈને બોસ સાથે પ્રોબ્લેમ હોય છે, તો કોઈને પોતાના કામ પ્રત્યે વધતાં ઓછા પ્રમાણમાં અણગમો હોય છે. ( જો કે આવું ઘરની આસપાસ ઓટલે બેઠેલી સ્ત્રીઓની વાતોમાં પણ જોવા મળે છે. તેઓની પણ આ જ વાર્તાઓ હોય છે.)

  હમણાં એક લેખમાં ભારતની એક સમયની સૌથી પ્રખ્યાત ઘડિયાળ કંપની એચ.એમ.ટી.ના અપ અને ડાઉન ફોલ વિષે વાંચ્યું. જેમાં લખ્યું હતું કે જે કંપનીનું એક સમયે આપણા દેશના 90% બજારો પર વર્ચસ્વ હતું, તે કંપની ઇ.સ. 2016માં બંધ થઈ ગઈ. જેના ડાઉનફોલ માટેના કરણોમાં સૌથી મોટું કારણ હતું તેઓના 350 એંજિનિયરોએ એકસાથે ટાઈટન કંપની જોઇન કરી લીધી તે. આવડી મોટી કંપનીના કર્મચારીઓએ શા માટે નવીસવી કંપની જોઇન કરી લીધી?

     કોઈપણ સંસ્થા પછી એ સરકારી હોય કે ખાનગી, 99% સંસ્થાઓના કર્મચારીઓ પોતે જે જગ્યાએ નોકરી કરતાં હોય છે, તેના વાતાવરણથી કે પછી પોતાના કામની કદરથી ખુશ નથી હોતા! અને તેઓ ખુશ નથી હોતા એટલે તેઓને આત્મસંતોષ મળતો નથી. અને જ્યારે વ્યક્તિને એવું લાગે કે તેને જે જોઈએ છીએ, તે અહી નથી મળી રહ્યું તો તે કામ પ્રત્યે વફાદાર નથી રહેતો કે નથી રહેતો સંસ્થા પ્રત્યે વફાદાર.

   એક સર્વે મુજબ ભારતમાં 70% લોકો પોતાના કામના સ્થળથી ખુશ નથી, જેમાથી 50% લોકો નવી નોકરીઓ શોધી રહ્યા છે. કોર્પોરેટ જગત માટે હવે એવું કહેવાય છે કે સ્ટ્રેસ,ગુસ્સો, અને કામ પ્રત્યે અસંતોષ હવે લોકોના પર્સનલ પ્રોબ્લેમ્સ નથી, પણ હવે તે કામના સ્થળના ઇસ્યુ બનીને રહી ગયા છે. અને આ બાબતોની અસરો તેઓની પર્સનલ લાઈફ પર પણ પડી રહી છે.

  અલગ અલગ મગજ અને તેને લીધે અલગ અલગ વિચારો ધરાવનાર વ્યક્તિઓ એક જગ્યાએ ભેગી થાય એટલે પ્રશ્નો તો ઊભા થવાના જ. માણસો મશીનોની જેમ અટક્યાં વિના એકધારું કામ નથી કરી શકવાના. વળી વ્યક્તિઓને પોતાની લાગણીઓ અને સમસ્યાઓ હોય છે. જેને મોટા ભાગની કંપનીઓ સમજી શકતી નથી. નિયમિતતા અને શિસ્ત જરૂરી છે, પણ તેના નેજા નીચે કર્મચારીઓનું સ્વમાન ના ઘવાવું જોઈએ.

  માલિક અને કર્મચારીઓના ગોલ અલગ અલગ હોય છે. માલિક માટે પોતાની સંસ્થાનો નફો અને પ્રતિષ્ઠા સૌથી મહત્વની હોય છે. જ્યારે કર્મચારીઓના પોતાના ગોલ કઈક જુદા જ હોય છે. સાચો બોસ એ છે જે પોતાના ગોલ એચિવમેન્ટ માટે કર્મચારીઓને સમજાવી શકે. તે પોતાના કર્મચારીને ફીલ કરાવી શકે એ આ સંસ્થા મારી છે. અને મારે તેના માટે કામ કરવાનું છે. પણ મોટા ભાગે એવું નથી થતું ને પરિણામે એક જ સંસ્થામાં અલગ અલગ પ્રવાહો સામ-સામા વહેવા લાગે છે.  

  વળી આજકાલ એ.આઈ.અને પર્ફોર્મન્સના ડરને લીધે મોટા ભાગના કર્મચારીઓને ગમે ત્યારે છુટ્ટા થઈ જવાની બીક લાગે છે. આ અસલામતી પણ તેઓને અસંતોષ તરફ લઈ જાય છે. મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓ પાછળ થતાં ખર્ચાઓને બિનજરૂરી માને છે, પણ હકીકત તો એ છે કે કર્મચારીઓની સુખ-સુવિધાઓ પાછળ થતું ખર્ચ એક પ્રકારનું રોકાણ છે, જે ઉત્પાદન અને નફાના વધારા સાથે કંપનીને પાછું મળે છે.

  સફળ કંપનીઓ આ સત્યને સ્વીકારે છે, એટલે તે સફળ છે. દરેક કર્મચારી એક જીવંત વ્યક્તિત્વ છે, એક ધબકતું હ્રદય છે. જે ચાવીથી કે સ્વીચઓન કરવાથી ક્લિક થઈ શકતું નથી. તેને ક્લિક કરવા તેઓની સમસ્યાઓને સમજવી પડશે. તેઓમાં રહેલી પ્રતિભાને જાણીને બહાર લાવવી પડશે. તમારું કામ તેની પાસેથી કઢાવવા તેને ખુશ રાખવો પડશે. અને સૌથી મહત્વનુ તેને સરસ રીતે કરેલા કામની કદર કરવી પડશે.

   જો કે નોન-સ્ટોપ કરવા પડતા ઘરકામ માટે પોતાની કદર થવી જોઈએ, એવુ તો સ્ત્રીઓ પણ સદીઓથી માંગી રહી છે....

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...