Friday, 23 May 2025

ખરાબ મેનેજમેન્ટ હમેંશા સારા વ્યક્તિનો ભોગ લે છે!

ખરાબ મેનેજમેન્ટ હમેંશા સારા વ્યક્તિનો ભોગ લે છે!

 Resolve Crazy-inducing Workplace Communication Issues

 

   જુદી જુદી કોઈપણ સંસ્થાના કર્મચારીઓ એક જગ્યાએ ભેગા થઈને વાતો કરતાં હોય તો તેઓની દરેકની વાતોમાં પોતાના કામના સ્થળ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. કોઈને બોસ સાથે પ્રોબ્લેમ હોય છે, તો કોઈને પોતાના કામ પ્રત્યે વધતાં ઓછા પ્રમાણમાં અણગમો હોય છે. ( જો કે આવું ઘરની આસપાસ ઓટલે બેઠેલી સ્ત્રીઓની વાતોમાં પણ જોવા મળે છે. તેઓની પણ આ જ વાર્તાઓ હોય છે.)

  હમણાં એક લેખમાં ભારતની એક સમયની સૌથી પ્રખ્યાત ઘડિયાળ કંપની એચ.એમ.ટી.ના અપ અને ડાઉન ફોલ વિષે વાંચ્યું. જેમાં લખ્યું હતું કે જે કંપનીનું એક સમયે આપણા દેશના 90% બજારો પર વર્ચસ્વ હતું, તે કંપની ઇ.સ. 2016માં બંધ થઈ ગઈ. જેના ડાઉનફોલ માટેના કરણોમાં સૌથી મોટું કારણ હતું તેઓના 350 એંજિનિયરોએ એકસાથે ટાઈટન કંપની જોઇન કરી લીધી તે. આવડી મોટી કંપનીના કર્મચારીઓએ શા માટે નવીસવી કંપની જોઇન કરી લીધી?

     કોઈપણ સંસ્થા પછી એ સરકારી હોય કે ખાનગી, 99% સંસ્થાઓના કર્મચારીઓ પોતે જે જગ્યાએ નોકરી કરતાં હોય છે, તેના વાતાવરણથી કે પછી પોતાના કામની કદરથી ખુશ નથી હોતા! અને તેઓ ખુશ નથી હોતા એટલે તેઓને આત્મસંતોષ મળતો નથી. અને જ્યારે વ્યક્તિને એવું લાગે કે તેને જે જોઈએ છીએ, તે અહી નથી મળી રહ્યું તો તે કામ પ્રત્યે વફાદાર નથી રહેતો કે નથી રહેતો સંસ્થા પ્રત્યે વફાદાર.

   એક સર્વે મુજબ ભારતમાં 70% લોકો પોતાના કામના સ્થળથી ખુશ નથી, જેમાથી 50% લોકો નવી નોકરીઓ શોધી રહ્યા છે. કોર્પોરેટ જગત માટે હવે એવું કહેવાય છે કે સ્ટ્રેસ,ગુસ્સો, અને કામ પ્રત્યે અસંતોષ હવે લોકોના પર્સનલ પ્રોબ્લેમ્સ નથી, પણ હવે તે કામના સ્થળના ઇસ્યુ બનીને રહી ગયા છે. અને આ બાબતોની અસરો તેઓની પર્સનલ લાઈફ પર પણ પડી રહી છે.

  અલગ અલગ મગજ અને તેને લીધે અલગ અલગ વિચારો ધરાવનાર વ્યક્તિઓ એક જગ્યાએ ભેગી થાય એટલે પ્રશ્નો તો ઊભા થવાના જ. માણસો મશીનોની જેમ અટક્યાં વિના એકધારું કામ નથી કરી શકવાના. વળી વ્યક્તિઓને પોતાની લાગણીઓ અને સમસ્યાઓ હોય છે. જેને મોટા ભાગની કંપનીઓ સમજી શકતી નથી. નિયમિતતા અને શિસ્ત જરૂરી છે, પણ તેના નેજા નીચે કર્મચારીઓનું સ્વમાન ના ઘવાવું જોઈએ.

  માલિક અને કર્મચારીઓના ગોલ અલગ અલગ હોય છે. માલિક માટે પોતાની સંસ્થાનો નફો અને પ્રતિષ્ઠા સૌથી મહત્વની હોય છે. જ્યારે કર્મચારીઓના પોતાના ગોલ કઈક જુદા જ હોય છે. સાચો બોસ એ છે જે પોતાના ગોલ એચિવમેન્ટ માટે કર્મચારીઓને સમજાવી શકે. તે પોતાના કર્મચારીને ફીલ કરાવી શકે એ આ સંસ્થા મારી છે. અને મારે તેના માટે કામ કરવાનું છે. પણ મોટા ભાગે એવું નથી થતું ને પરિણામે એક જ સંસ્થામાં અલગ અલગ પ્રવાહો સામ-સામા વહેવા લાગે છે.  

  વળી આજકાલ એ.આઈ.અને પર્ફોર્મન્સના ડરને લીધે મોટા ભાગના કર્મચારીઓને ગમે ત્યારે છુટ્ટા થઈ જવાની બીક લાગે છે. આ અસલામતી પણ તેઓને અસંતોષ તરફ લઈ જાય છે. મોટા ભાગની કંપનીઓ કર્મચારીઓ પાછળ થતાં ખર્ચાઓને બિનજરૂરી માને છે, પણ હકીકત તો એ છે કે કર્મચારીઓની સુખ-સુવિધાઓ પાછળ થતું ખર્ચ એક પ્રકારનું રોકાણ છે, જે ઉત્પાદન અને નફાના વધારા સાથે કંપનીને પાછું મળે છે.

  સફળ કંપનીઓ આ સત્યને સ્વીકારે છે, એટલે તે સફળ છે. દરેક કર્મચારી એક જીવંત વ્યક્તિત્વ છે, એક ધબકતું હ્રદય છે. જે ચાવીથી કે સ્વીચઓન કરવાથી ક્લિક થઈ શકતું નથી. તેને ક્લિક કરવા તેઓની સમસ્યાઓને સમજવી પડશે. તેઓમાં રહેલી પ્રતિભાને જાણીને બહાર લાવવી પડશે. તમારું કામ તેની પાસેથી કઢાવવા તેને ખુશ રાખવો પડશે. અને સૌથી મહત્વનુ તેને સરસ રીતે કરેલા કામની કદર કરવી પડશે.

   જો કે નોન-સ્ટોપ કરવા પડતા ઘરકામ માટે પોતાની કદર થવી જોઈએ, એવુ તો સ્ત્રીઓ પણ સદીઓથી માંગી રહી છે....

 

No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...