Sunday 18 September 2022

ઈશ્વરની ભેટ ગણાતા બાળકો ‘અનૌરસ’ કેમ??

 

 

 


"We need to live in a country where there will be no example to cite for the word 'bastard'," the Kerala high court said recently, while ruling that a child can use only the mother’s name on official documents

 રોહિત શેખરે 2012માં સાબિત કર્યું કે તે નારાયણ તિવારીનો દીકરો છે. તેના માટે તેઓ સાત વર્ષ સુધી કોર્ટમાં લડયા. તેઓના પિતાએ આખરે DNA-ટેસ્ટના રીપોર્ટના આધારે સ્વીકારવું પડ્યું કે રોહિત તેમનુ જ સંતાન છે.

  આવા તો કેટલાયે કિસ્સાઓ છે, જેમાં પિતાએ ના સ્વીકારેલા બાળકો કા તો માતાના સહારે કે પછી માતા દ્વારા તરછોડાઈને સંઘર્ષમય જીવન જીવતા હોય છે. તેઓ સમાજ દ્વારા અધિકૃત થવા લાખો પ્રયાસો કરતાં હોય છે, પણ સમાજ તેઓને અનૌરસ સમજીને ધિકકારતી જ રહે છે. બંને દ્વારા જન્મેલા બાળકની જવાબદારી જ્યારે પિતા નથી લેતા તો એ માં અને બાળક બંને જીંદગીભર સમાજના અપ્રુવલ માટે લડતા રહે છે. આ બાળકના પિતા કોણ છે? એના માટે જ્યારે કોર્ટમાં જવું પડે, સંબંધોની વચ્ચે કાયદો આવે તો એ અંગત સંબંધો જાહેરમાં ચર્ચાઇ જતાં હોય છે. અને એમાં સૌથી વધુ સ્ત્રીઓ એ જ સહન કરવાનું આવતું હોય છે. પેલા આવા બાળકોને સમાજ નફરતની નજરે જોતો, અને હવે આવા બાળકો કોઈપણ ક્ષેત્રમાં આગળ આવે તો, ટ્રોલ થતાં રહે છે! આવા બાળકોને જોવાનો ના આપણો અભિગમ બદલાયો, ના આપણે બદલાયા!

 મારે તો તમને સૌને એક જ પ્રશ્ન પૂંછવો છે, કે સ્ત્રી-પુરુષના સહવાસથી જન્મેલું બાળક માત્ર એકલી સ્ત્રીનું કેવી રીતે હોઇ શકે? કુંવારી માં આ શબ્દ આપણાં સમાજના શબ્દકોશમાં છે, પણ કુંવારો બાપ એ શબ્દ નથી! પુરુષપ્રધાન સમાજે આવા તમામ કિસ્સાઓની જવાબદારી માત્રને માત્ર સ્ત્રીઓ પર જ નાખી દીધી છે. પુરુષને પુરુષ તરીકે જે કઈ પણ કરે, તેમાથી છટકી જવાની છૂટ છે, પણ સ્ત્રીઓ માટે દરેક જગ્યાએ બંધનો જ છે. કોઈ બાળક કેવી રીતે અનૌરસ હોઇ શકે? સદીઓ પહેલા મહાભારતમાં કુંતીએ કર્ણ સાથે જે કર્યું હતું એ આજે પણ આપણાં સમાજમાં થઈ રહ્યું છે.

  કર્ણ જન્મતાવેંત તરછોડાયો એને કારણે મહાભારતનું સૌથી કરૂણ પાત્ર બનીને રહી ગયો. ક્ષમતા હોવા છતાં જીવનભર ખુદને સાબિત કરવા મથતો રહ્યો, પણ સાબિત ના કરી શક્યો. એમ જ તરછોડાયેલ બાળક મોટા ભાગે અનાથ તરીકે પોતાની જિંદગી જીવે છે, એક એવા અંધારામા જીવે છે, જ્યાં તેની આખી જિંદગી પ્રકાશ શોધતી રહે છે, પણ એ પ્રકાશ તેને મળતો નથી. માતા-પિતાના આધાર વિનાનું એ બાળક આખી જિંદગી પ્રેમ માટે તરસતું અને તડપતું રહે છે.

 સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોની નૈતિકતાને આધારે બાળકોનું મૂલ્યાંકન કરવાનો હક સમાજને કોણે આપ્યો? સેક્સને લીધે જન્મતુ બાળક પોતાની સાથે લગ્ન નામની સંસ્થાનો સિક્કો લઈને ના આવે તો એ બાળક અનૌરસ કેવી રીતે થઈ જતું હોય છે. સમાજ આવા બાળકને બાળક તરીકે શા માટે નથી સ્વીકારતું? આવા બાળક માટે અંગ્રેજીમાં ‘unwanted’ એવો શબ્દ વપરાય છે. જો આપણે બાળકને ઈશ્વરનું સ્વરૂપ માનતા હોઈએ તો એ ‘unwanted’ કેવી રીતે હોઇ શકે? આવા બાળકો સતત પોતાના અસ્તિત્વને સાબિત કરવા મથતા રહે છે, પણ પિતા કે સમાજ દ્વારા તેઓ સ્વીકૃતિ પામતા હોતા નથી.

બાળકનો જન્મ એ કોઈપણ કુટુંબ માટે સૌથી મોટી ખુશીનો ઉત્સવ હોય છે.બાળક એ માતા-પિતાનું શ્રેસ્ઠ સર્જન છે. “આ પૃથ્વી પર અવતરતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરને માણસ પર હજી શ્રદ્ધા છે.” એવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે. પણ એ જ બાળકને જન્મતાવેંત જ્યારે કોઈ તરછોડી દે છે, તો હ્રદયમાં વેદના સાથે પ્રશ્નો પણ ઉદભવે છે. કે આ દુનિયામાં કેટલાયે માતા-પિતાઓ બાળક ના થાય તો ઘાંઘા થઈ જતાં હોય છે, બાધા માનતા રાખતા હોય છે. અને એ જ બાળક જ્યારે લગ્નના લાઇસન્સ વિના આવે, તો આપણો સમાજ તેને અપનાવતો નથી! કેમ?

 

  

 

Tuesday 6 September 2022

સ્ત્રીઓને કોઈપણ ભોગે મેળવી લેવાની ઘેલછા. સતયુગ થી કળયુગ સુધી……..આ વિચારધારા બદલાઈ નથી!

 સ્ત્રીઓને કોઈપણ ભોગે મેળવી લેવાની ઘેલછા. સતયુગ થી કળયુગ સુધી……..આ વિચારધારા બદલાઈ નથી!

 What is the statement before death, which can lead to the death of Ankita's  convict. Jharkhand

ઝારખંડના દુમકા ગામે આવેગમાં પાગલ એક શેતાને અંકિતા નામે એક છોકરીને સળગાવી દીધી. આને એકતરફી પ્રેમ નહી, પણ હેવાનિયત કહેવાય. તે છોકરો છેલ્લા પંદર દિવસથી અંકિતાને હેરાન કરી રહ્યો હતો. ફોન નંબર કોઈ પાસેથી મેળવી તેણીને હેરાન કરતો હતો. મિત્રતા કરવા બળજબરી કરતો હતો! અને જો અંકિતા ન માને, તો મારી નાખવાની ધમકી આપતો હતો!

  અને એક રાત્રે તેણીને ક્રૂરતાથી પેટ્રોલ છાંટીને મારી નાખી. છોકરી પાંચ દિવસ સુધી તરફડીને મરી ગઈ. મરતા મરતા તેણીએ કહ્યું કે હું મરી રહી છુ, એમ શાહરૂખ મરવો જોઈએ. જોકે આવી લાગણી આપણને સૌને પણ થવી જોઈએ કે એ છોકરાને જાહેરમાં ફાંસી થવી જોઈએ. તેનું મૃત્યુ જોઈને આવું કરવાનો વિચાર કરનારને પણ ધ્રુજારી છૂટી જવી જોઈએ.

  ગમતું પાત્ર ના મળે એટલે આચરવામાં આવતી આવી ક્રૂરતા તેઓના મનમાં ક્યાથી આવતી હશે? “તું મારી નહી તો કોઇની નહી” એવી વિકૃતિ એસિડ સ્વરૂપે છોકરીઓના મોઢા પર ફેંકાતી રહે છે. ના મળી શકે એમ હોય એ પાત્રને બળજબરીથી વશમાં કરી લેવાના આ પ્રયાસો કોઈ માસુમની જિંદગીને મૃત્યુની ગોદમાં સુવડાવી દેતું હોય છે. સામેવાળી વ્યક્તિની હા પણ પ્રેમમાં જરૂરી છે, એવું આવા લોકો સમજતા હોતા નથી.

  કોઈનો પ્રેમ કોઈ વસ્તુ નથી હોતી જેને આપણે ગમે તે ભોગે મેળવી લઈએ. હકીકત તો એ છે કે જ્યાં બળજબરી હોય છે, ત્યાં પ્રેમ કદીયે હોતો જ નથી. આપણે કેમ કોઈના રીજેકશનને સમજી શકતા હોતા નથી. દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે અને આપણે તે પસંદગીને માન આપવું જ જોઈએ. જો આપણે આપણાં સંબંધો કોઈ પર થોપતા રહીશું તો એ વ્યક્તિ આપણાથી અને આપણા વર્તનથી કંટાળી જ જવાની. માટે કોઈને કહીએ કે હું તને પ્રેમ કરું છુ, તું મને કરે છે? અને એ વ્યક્તિ ના પાડે, તો ધરાર એ વ્યક્તિને મેળવી લેવાની કોશિશો બંધ કરી દેવી જોઈએ.

  જ્યારે આપણે રીજેકશનને અહમ અને સ્ટેટસ સાથે જોડી દઈએ છીએ, સમાજમાં આવા કિસ્સાઓ વધતાં જાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોસિયલ મીડિયાઝ પર આવા કિસ્સાઓ નિયમિત રીતે ચર્ચાતા રહે છે, પણ સમાજમાથી આ વિકૃતિ દૂર કરવાના પ્રયાસો કોઈ નથી કરી રહ્યું.

  આજના બાળકો, યુવાનો અને યુવતીઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપીને તેઓને એક વિશ્વમાં છોડી દીધા છે, જ્યાં તેઓને મૂંઝવણ સમયે માર્ગદર્શન આપે એવું કોઈ નથી રહ્યું. માતા-પિતા કે ઘરના બીજા સભ્યો પાસે બેસીને પોતાના બાળકો, યુવાનો, અને યુવતીઓને શું સારું છે? અને શું ખરાબ? એ બંને વચ્ચેનો ભેદ નથી શીખવી રહ્યા અને એટલે તેઓ આવી જિદના રસ્તે ચડી જતાં હોય છે.

  અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે વૃદ્ધો એકલા છે, પણ છેલ્લા 5 વર્ષોથી એવું લાગી રહ્યું છે કે બાળકો, યુવાનો અને યુવતીઓ પણ એકલા છે! કશુંક મેળવવા શું કરવું જોઈએ? એ આપણે તેઓને સમજવી છીએ, પણ કશુંક ના મળે તો, તેને મેળવવા હેવાનિયતની હદે ના જવાય! એવું શીખવતા હોતા નથી.

    છોકરી ના પાડે તો તેના ચહેરા પર એસિડ નાખી દેવું, તેની જિંદગીને બરબાદ કરી નાખવી, તેના ચારિત્ર્યને ડહોળી નાખવું, તેના કરિયરને ખતમ કરી નાખવું, આમ તો આવા બળજબરીના કિસ્સાઓ છપાતા રહે છે, પણ ખાનગીમાં સ્ત્રીઓ સાથે ડગલે ને પગલે જે બળજબરી થતી રહે છે, તે મોટા ભાગે બહાર આવતી હોતી નથી.

  કોઈપણ પુરુષ સ્ત્રીને ભોગવવા માટે જ્યારે તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે, તો એ પણ વિકૃતિ જ છે, ક્યાકને ક્યાક આપણાં સમાજનો મોટો ભાગ આવી માનસિક વિકૃતિથી પીડાય રહ્યો છે. જેના કારણે કોઈપણ ક્ષેત્રે સ્ત્રીઓને આગળ વધવા માટે આવી માનસિકતાઓ સામે લડતા રહેવું પડે છે. અને જે સ્ત્રીઓ લડી નથી શકતી તેઓ ક્ષમતા હોવા છતાં આગળ આવી શકતી હોતી નથી.

  રમત-ગમત, સાહિત્ય, સિનેમા, કળા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં આ દૂષણ જોવા મળે છે. સ્ત્રીઓને કોઈપણ ભોગે પ્રાપ્ત કરવાની ઘેલછા આમ તો આપણાં સમાજમાં રામાયણ, મહાભારત કાળથી જોવા મળે છે. ક્યારેક તો એવો પ્રશ્ન થાય કે આપણે ખરેખર વૈચારિક રીતે બદલાયા છીએ ખરા! પુરુષોના મનમાં સ્ત્રીઓને માત્ર ને માત્ર માલિકીભાવની નજરે જોવાની નકારાત્મકતા હજી સુધી ખતમ થઈ શકી નથી.

  પુરુષોની બળજબરી સામે ઘણીવાર સ્ત્રીઓએ પોતાનું ચારિત્ર્ય ગીરવે મૂકવું જ પડે છે!

 

 

 

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...