Friday 18 June 2021

ટ્રોલ થવું જરૂરી છે? આજે આ જ ટ્રેન્ડમાં છે!

 

ટ્રોલ થવું જરૂરી છે? આજે આ જ ટ્રેન્ડમાં છે!

you can troll me, but for that you have to read my thoughts, see my photoes and look at my posts 

  ગઈકાલે એક છાપાના એડીટરને લેખ લખવા બાબતે મળવા ગયેલાં. તેમની સાથે લેખ બાબતે વાત થઇ, તેમણે કહ્યું આજકાલ પારુલ ખોખર કરીને એક કવીયીત્રી એ લખેલી કવિતા ટ્વીટર પર બહુ ટ્રોલ થઇ રહી છે, તમે વાંચી છે. મેં કહ્યું નાં! તેમણે કહ્યું આજકાલ એ કવિતા બહુ વંચાય છે, ઘણા લોકોએ આ બાબતે તેમને અપશબ્દો પણ કહ્યા છે! હું મારો આ લેખ પૂરો કરીશ એ પહેલા તમારામાંથી ઘણા એ ગૂગલ પર આ બહેનને અને તેની કવિતાને સર્ચ કરી જ લીધા હશે. શું છે? એ કવિતામાં એવું તો!  એ તો તમે વાંચીને સમજી લે જો. હકીકત તો એ છે કે કોઈ વાતનો વિરોધ કરવા કે વખાણવા માટે પણ એને વાંચવી અને જાણવી તો પડે જ છે ને! વેલ હું તો તમને બધાને એ પુંછવા માંગુ છું કે શું કોઈ ટ્રોલ થાય જે કશું વાયરલ થાય તો જ આપણું ધ્યાન તેના પર જાય? એ ટ્રોલ થયું એટલે સારું? કે પછી સારું છે એટલે ટ્રોલ થયું? જો કે આજકાલ તો અપશબ્દો વધુ ટ્રોલ થતાં હોય છે. કદાચ આપણે બધા સોસીયલ મીડિયાની લ્હાયમાં સારા/સાચા કે ખરાબ/ખોટાનું વિવેકભાન ભૂલી ગયા છીએ. પોસ્ટ કરતા રહેવું એ જાણે આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો બની રહી ગયું છે. કમેંટ,શેર,લાઇક વગેરે જાણે આપણા સૌના જીવનના માપદંડો બની રહી ગયા છે. સારા સારા લેખકો કે સેલીબ્રેટીઓ પણ આમાંથી બાકાત નથી રહી શક્યા. ટ્રેન્ડમાં રહેવાનો આ કેવો શોખ?

           કોઈ લેખક જયારે કશું લખે છે, એ તેના વિચારોની અભિવ્યક્તિ હોય છે. તે કોઈપણ મુદ્દે શું વિચારે છે? એ લખવાનો તેને પુરેપુરો હક છે. વળી આપણો દેશ તો લોકશાહી દેશ છે. બધાને વિચારોની અને વાણીની સ્વતંત્રતા મળેલી છે. પણ મિત્રો એ સ્વતંત્રતા સાથે જવાબદારી પણ ઉભી થતી હોય છે. અને એ જવાબદારીમાંથી કોઈ લેખક છૂટી શકે નહી. જયારે કોઈના શબ્દોની પ્રજા પર કે દેશના ભવિષ્ય પર અસરો ઉદ્-ભવતી હોય ત્યારે તો એ શબ્દો ખાસ સમજીને,વિચારીને લખાવવા જોઈએ. કોઇપણ દેશ ક્યારેય શબ્દો થકી ચાલતો નથી, પ્રજા થકી ચાલે છે. અને પ્રજા જ જો પોતાની રીતે જીવવા ઈચ્છતી હોય તો?

   આજે પણ લોકોને માસ્ક પહેરવાનું સમજાવવા પડે છે, કેટલાયે એવા લોકો છે, જેમણે દવાઓ, ઇન્જેકશનો, હોસ્પીટલના બેડ, વગેરે વગેરે એડવાન્સમાં ખરીદી લીધા છે. ઇન્જેકશનો,દવાઓના કાળા-બજાર હજી ચાલી રહ્યા છે. ઘણાને હજી વેક્સીન લેવા માટે સમજાવવા પડે છે. ગામડાઓમાં હજી લોકો એવું માની રહ્યા છે કે દેશની વસ્તી ઘટાડવા વેક્સીન આપવામાં આવી રહી છે. વેક્સીન પહોંચે એ પહેલા તેની આડ-અસરો પહોંચી ગઈ છે! ઘણા ભણેલા લોકો પણ વેકસીન લેવા તૈયાર નથી! ઘણા માતા-પિતાને બાળકોના જીવન કરતા વધુ ચિંતા તેઓના શિક્ષણની છે! હજી છાનાં-ખૂણે ઘણા બધા કલાસીસ ચાલુ છે. પ્રજા તરીકે આપણે ક્યાં છીએ? જેટલો સમય આપણે કોઈને ટ્રોલ કરવામાં વિતાવીએ છીએ, એટલો સમય પ્રજા તરીકે દેશને મદદરૂપ થવામાં વીતાવીશું તો મને લાગે છે. થર્ડ વેવને રોકી શકીશું.

 લખવું બહુ સરળ છે, આટલા વિશાળ દેશનો વહીવટ કોઈપણ માટે અઘરો છે. કોઈ ગંગામાં શબ ફેંકી આવે એના માટે સરકાર જવાબદાર છે? દોડતા શાંતિ-રથો માટે શું માત્ર સરકાર જ જવાબદાર છે? ઓક્સીજનના બાટલાની અછત માટે પણ શું માત્ર સરકાર જ જવાબદાર છે? આપણા સ્વજનો આપણને છોડીને જતાં રહ્યા એટલા માટે પણ શું સરકાર જ જવાબદાર છે? સરકારનો વાંક છે, પણ આપણે શું ઓછા જવાબદાર છીએ?

લગ્નોમાં દોડ્યા, આપણે સીમંતો અને જન્મ-દિવસો પણ ઉજવ્યા,

 તેઓ નાચ્યા જીત પર અને આપણે લગ્નના વરઘોડામાં!

મત પાછળ તેમણે આપણને દોડાવ્યા, પણ આપણે દોડ્યા શું કામ?

સંતાનોના જીવન કરતાં પણ વધુ આપણને તેઓનું શિક્ષણ જરૂરી લાગે છે!

તેમણે ફી ભરવાનું કહ્યું, પણ આપણે ભરી શું કામ?

વિકાસ અંગેના પ્રવચનો સાંભળવા દોડ્યા આપણે,

પણ આપણે આપણો વિકાસ સમજયા જ નહી શું કામ?

ઠોકર વાગી,ઠેસ લાગી તો પણ રસ્તા પરનાં પથ્થરો આપણે ઉપાડતાં નથી!

મૌન રહીને,સહીને આપણે જીવી રહ્યા છીએ શું કામ?

  દેશનો વહીવટ કરવો એ સોસીયલ મીડિયામાં પોસ્ટ લખી નાખવા જેટલુ સરળ નથી. સલાહ,અભિપ્રાયો સૌ આપી શકે છે. સહકાર આપે એ સાચો નાગરિક અને એ નાગરીકને સાચો રસ્તો બતાવી શકે એ સાચો લેખક! તંત્રને વખોડતા રહેવું બહુ સરળ છે, પણ એમાં સુધારો લાવવા જે કંઈપણ કરવું પડે એના માટે આપણે તૈયાર છીએ ખરા?

  માત્ર ટ્રોલ થઈએ એવું લખવુ એ ફેશન છે, અને ફેશન તો બહુ ઝડપથી બદલાઈ જતી હોય છે. લેખન તો લોકોને કાયમ પ્રેરણા અને વાસ્તવિકતાની ધરતી પર લઇ જાય તેવું હોવું જોઈએ. દઝાડે એવું લખવા કરતા ઠંડક આપે એવું લખાણ લોકોને જીવવામાં મદદ કરી શકે છે. લેખક કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં ના હોવો જોઈએ, એ તટસ્થ હોવો જોઈએ! 

 


No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...