Friday, 19 September 2025

ચાલો મળીએ આજના અભણ અને ગરીબ સેલીબ્રેટીને....

 

ચાલો મળીએ આજના અભણ અને ગરીબ સેલીબ્રેટીને.... 

 Rajasthan: झालावाड़ हादसे के बाद मिसाल बने मोर सिंह, स्कूल के लिए दे दिया  घर, खेत में बनाई झोपड़ी | mor singh gives house lives on farm to make space  for classrooms

         25 મી જુલાઇ, 2025માં રાજસ્થાનના એક નાના એવા ગામ પીપલોડીમાં ભારે વરસાદને લીધે એક જર્જરિત નિશાળનાં પડી જવાથી એ નિશાળમાં પુરથી બચવા સૂતેલા કુટુંબોમાથી 7 બાળકો મૃત્યુ પામ્યા અને 21 જેટલા ઘાયલ થયા. શાળાનું મકાન ધારાશાયી થઈ ગયું અને હવે બાળકો તેમાં ભણવા જઇ શકે એમ નથી. આ હેડલાઇન્સ આપણે સૌએ લગભગ દરેક વર્તમાનપત્રમાં વાંચી હતી અને તેને લગતી અજાણ્યા લોકોના આંખમાં પણ  આંસુ આવી જાય, તેવી પોસ્ટસ પણ સોસિયલ મીડિયામાં જોઈ હતી. આ બધુ જોઈને કે વાંચીને ઘણા બધા સંવેદનશીલ લોકોના હ્રદયમાં દર્દ પણ થયું હશે અને થોડીવાર પછી આપણે સૌ ડેઇલી રૂટીનમાં પણ જોડાઈ ગયા હોઈશું.

  થોડી વાર આ દુર્ઘટનાના સણકા પણ ઉપડ્યા હશે, જેમણે બાળકો ગુમાવ્યા હતા, એ કુટુંબો વિષે વિચારીને આંખના ખૂણા પણ ભીના થયા હશે. પણ અંતે એ વિચારો વરાળ બનીને ઊડી ગયા હશે અને એકાદ દિવસ બાદ આપણે સૌ આ દર્દને સાવ ભૂલી પણ ગયા હોઈશું. હવે તો એ ઘટનાને એક કે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે, જે આપણા સૌના મેમરી સ્ટોરેજમાથી કાયમ માટે ડિલીટ થઈ ગયો હશે. હું તમને સૌને એ દુર્ઘટના વિષે કઈ યાદ કરાવવા નથી માંગતી.

  પણ તેની સાથે જોડાયેલી એક અભણ વ્યક્તિની પ્રેરણામય વાર્તા આજે સૌને કહેવા માંગુ છુ. એ નાનકડા ગામમાં રહેતા ગરીબ ખેડૂતની સમૃદ્ધ વિચારોની સરવાણી થકી આજે આપણે સૌ ભીંજાઇ જઈએ અને હ્રદયનું કોરાપણું ભીનું ભીનું થઈ જાય એ પ્રેરણાનું ઝરણું તમને સૌને ફીલ કરાવવા માંગુ છુ. શા માટે કુદરતના આવા કારમા ઘા સામે પણ આજે આપણે સૌ અડીખમ ઊભા છીએ? એ પ્રશ્નનો જવાબ આપણને સૌને આ 60 વર્ષીય વિચારોના સમૃદ્ધ ખેડૂત પાસેથી મળી રહે છે.

   પિપલોડી ગામના મોર સિંહ નામના ખેડૂતે, જેઑ પોતે ક્યારેય નિશાળે નથી ગયા તેમણે ગામની શાળાને પોતાનું ઘર બાળકોને ભણાવવા માટે આપી દીધું! તેમનું બે રૂમનું સાદું ઘર હવે ગામના બાળકો માટે સંસ્કારનું કેન્દ્ર બની ગઈ છે. જ્યાં ભણીને બાળકો પોતાનું ભાવિ ઘડી શકશે. પોતાના સપનાઓ સાકાર કરી શકશે. અત્યારે તે શાળામાં 50/60 બાળકો અભ્યાસ કરે છે. જો મોર સિંહે આ મહાન કામ ના કર્યું હોત તો એ બધા બાળકોનું ભણવાનું છૂટી જાત અને તેમણે બાળ મજૂરીમાં જોતરાઈ જવું પડત.

  આ ગામમાં 90 ઘરો છે, જેમાં મોટા ભાગના આદિવાસી લોકો રહે છે. જેમણે વિકાસનો રસ્તો ક્યારેય જોયો નથી, અને એટલે જ તેઓ માટે મોર સિંહે આપેલું બલિદાન ખૂબ મહત્વ ધરાવે છે. મોર સિંહ પોતાનું આ ઘર બાળકોને આપી દઈ પોતે વાંસના બનેલા ઘરમાં રહેવા ચાલ્યા ગયા, જ્યાં કોઈ જ સગવડો નથી. પણ મોર સિંહે નક્કી કર્યું છે કે બાળકોનું ભવિષ્ય સલામત રહેવું જોઈએ. હવે તો ઘણા બધા બાળકો એ શાળામાં ભણવા આવવા લાગ્યા છે. શાળાને લગતી સગવડો પણ ત્યાં પહોંચવા લાગી છે.

    શ્રી સિંહે પોતાના ઘરને શાળામાં રૂપાંતરિત કર્યા પછી, રાજ્ય સરકારે પીપલોડીને ફેડરલ યોજના હેઠળ "મોડેલ ગામ" જાહેર કર્યું છે. આનાથી નવી શાળા, રમતનું મેદાન, આરોગ્ય કેન્દ્ર અને અન્ય સુવિધાઓ માટે વધુ ભંડોળ એકત્રિત કરવામાં મદદ મળશે, એવું તે ગામના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે. "ગામમાં નવી શાળા બનાવવામાં ઓછામાં ઓછો દોઢ વર્ષ લાગશે," પણ હવે બાળકોને ભણવામાં કોઈ અવરોધ કે અડચણ નથી, કારણકે તેઓને પોતાની કામચલાઉ સુંદર મજાની શાળા મળી ગઈ છે. 
 
    ૨૫ જુલાઈના રોજ પીપલોડીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજસ્થાનમાં નબળી શાળા માળખાગત સુવિધાઓના પ્રણાલીગત મુદ્દાઓને ઉજાગર કર્યા. તાજેતરના સરકારી સર્વેક્ષણ મુજબ રાજ્યમાં ૫,૬૦૦ થી વધુ શાળાઓ જર્જરિત હાલતમાં છે. પણ જ્યાં સુધી આ દેશમાં મોર સિંહ જેવી અડીખમ દીવાલો છે, ત્યાં સુધી માનવતા અને શિક્ષણ ક્યારેય જર્જરિત નથી થવાનું, કેમ ખરું ને? 
  સંવેદનાઓને સારા વિચારોમાં ફેરવી શકીશું ત્યારે જ આપણે દેશની જર્જરિત દિવાલોને મજબૂત કરી શકીશું. 
  
 

 

 

 

Friday, 5 September 2025

# ફોમો, આપણે ખરેખર શું મિસ કરી રહ્યા છીએ?

 

# ફોમો, આપણે ખરેખર શું મિસ કરી રહ્યા છીએ? 

 Fomo Fear Missing Out: Over 505 Royalty-Free Licensable Stock Illustrations  & Drawings | Shutterstock

 

 

     સરેરાશ ભારતીયનો સ્ક્રીન ટાઈમ રોજનો આશરે 7.3 કલાકનો છે. જેમાં સૌથી વધુ સમય તેઓ સોસિયલ મીડિયા પર પોસ્ટ જોવામાં અને ચેટ કરવામાં ખર્ચે છે. તમને થશે આમાં નવું શું છે? પણ આ સ્ક્રીન સ્ક્રોલ કરતાં કરતાં એકાએક જો તેઓ કોઈ મિત્ર કે સગા-સંબંધીઓના ટ્રાવેલિંગ કે  પ્રસંગના વિડિયોઝ કે ફોટા જુએ છે. કે પછી પોસ્ટ દ્વારા એ જાણે છે કે પોતાના મિત્રો અને સંબંધીઓ તેઓ  વિના ક્યાંક મોજ કરી આવ્યા? અને મનમાં વિચારો અને પ્રશ્નોનો ત્સુનામી આવી જાય છે.

   તમે સ્ક્રોલ કરી રહ્યા છો અને તમને એ પાર્ટીનો ફોટો દેખાય છે જેમાં તમે ગયા નહોતા. અથવા કોઈ "ઇન્ફલુઅન્સર" ના વેકેશનના ફોટા જે વિદેશી સ્થળોએ 5-સ્ટાર હોટલોમાં બીચ પર બેઠા હોય અને આપણને માર્કેટિંગની જાળમાં ફસાવતા હોય! અથવા કોઈ ન્યૂલી મેરીડ કપલ તેમના ભવ્ય હનીમૂન પર હોય.. જે આપણને એ નકારાત્મક વિચારો તરફ લઈ જાય છે કે “મને આ બધુ કેમ ના મળ્યું?” ચિંતા, ગુસ્સો, ઈર્ષ્યા, ઈર્ષ્યા, ઉદાસી વગેરે જેવી અનેક લાગણીઓ ઉભરીને સપાટી પર આવી જાય છે.

   FOMO હંમેશા સમાજમાં અસ્તિત્વમાં હતો જ પરંતુ હવે સોશિયલ મીડિયાની સુવિધા સાથે, આ ઉત્તેજનાઓ પ્રત્યેનો આપણો સંપર્ક સતત વધી રહ્યો છે. અને પછી, એટલી જ ઝડપથી, તમે બધું સમજવાનો પ્રયાસ કરતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો: તમે શું ખોટું કર્યું છે તે વિચારતા રહો છો, ઈચ્છો છો કે તમને પણ તેમાં સામેલ કરવામાં આવે, તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર સ્ક્રોલ કરીને તેઓએ તમને કેમ ના બોલાવ્યા? એ પ્રશ્નનો જવાબ શોધતા રહો છો, આખરે, તમે ઉદાસી, અપરાધભાવ અથવા શરમમાં ડૂબી જાઓ છો કારણ કે તમે ફીલ કરો છો કે તમે કશુંક બહુ જ જરૂરી મિસ કરી દીધું છે. આ છે ફીલિંગે ફોમો ( ફીઅર ઓફ મિસિંગ આઉટ)

  સોશિયલ મીડિયા પર અન્ય લોકો દ્વારા દર્શાવવામાં આવતી પ્રવૃત્તિઓ સાથે પોતાના જીવનની તુલના કરતી વખતે નકારાત્મકતાની લાગણી અનુભવવી, અન્ય લોકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે વારંવાર સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા પછી માનસિક થાક અનુભવવો, લાંબુ સમયપત્રક બનાવીને દરેક જગ્યાએ હાજર રહેવાનો પ્રયાસ કરવો, શારીરિક થાક અનુભવવો, ઉદાસી, ચિંતા અથવા હતાશાની લાગણી અનુભવવી, એકાગ્રતામાં મુશ્કેલીઓનો સામનો કરવો, ઊંઘવા માટે ફાંફા મારવા, ખુદને એકલી ફીલ કરવી...વગેરે વગેરે બાબતો થકી ફોમોએ રચેલી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે.

  આ ઘટના સૌપ્રથમ 1996 માં માર્કેટિંગ વ્યૂહરચનાકાર ડૉ. ડેન હર્મન દ્વારા ઓળખવામાં આવી હતી, જેમણે સંશોધન કર્યું હતું અને 2000 માં ધ જર્નલ ઓફ બ્રાન્ડ મેનેજમેન્ટમાં આ વિષય પર પ્રથમ શૈક્ષણિક પેપર પ્રકાશિત કર્યું હતું. હર્મન એમ પણ માને છે કે આ ખ્યાલ મોબાઇલ ફોનના ઉપયોગ, ટેક્સ્ટિંગ અને સોશિયલ મીડિયા દ્વારા વધુ ભયંકર બન્યો છે. લેખક પેટ્રિક જે. મેકગિનીસે FOMO શબ્દ બનાવ્યો અને 2004 માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના મેગેઝિન ધ હાર્બસમાં એક ઓપ-એડમાં તેને લોકપ્રિય બનાવ્યો.

  FOMO અંગે સૌપ્રથમ રજૂઆત 2004 માં શૈક્ષણિક જોસેફ રીગલ દ્વારા લખાયેલા હાર્બસ લેખમાંથી પણ મળી આવી છે. અત્યારે આ શબ્દ સોસિયલ મીડિયાના વાઇરલ ટ્રેન્ડમાં છે. આ લાગણીએ ઘણા લોકોના માનસિક આરોગ્યને ઊંડેથી નુકસાન પહોંચાડયું છે. એક સર્વે મુજબ દર 10 માથી ચાર વ્યક્તિઓ ફોમોથી પીડાય રહી છે. ખાસ કરીને જનરેશન Z તેની જોરદાર ઝપટે ચડી ગઈ છે. આ ભય લોકોની સંતોષની લાગણીને માઇનસ લેવલ પર લઈ જઇ રહ્યું છે. મોટા ભાગના લોકો માત્ર આ ભયને લીધે સોસિયલ મીડિયાથી ચીપકીને રહેલા જોવા મળે છે.

  ફોમો ને લીધે બેટર લાઇફની સંકલ્પના જ બદલાઈ ગઈ છે. જેના વગર પણ જિંદગી મોજથી જીવી શકાય છે, તેવી તમામ બાબતોને આપણે આપણા જરૂરિયાતોના લીસ્ટમાં ઉમેરીને હેરાન થઈ રહ્યા છે. અને હવે આનો ઉપાય પણ આપણે જ શોધવો રહ્યો...

 

 

  

 

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...