Monday 24 April 2023

અમુલ–નંદિની વિવાદ...... it happens only in India!!!

 

અમુલ–નંદિની વિવાદ...... it happens only in India!!!

 Artificial scarcity to favour Gujarati brand': Amul vs Nandini debate takes  centrestage in Karnataka poll campaign | Karnataka Elections | Manorama  English

 

     ડીસેમ્બર-2022માં અમિતભાઈ શાહે ગુજરાતની અમુલ અને કર્ણાટકની નંદિની ડેરી વચ્ચે સહકારની વાતો કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે અમુલ અને નંદિની સાથે મળીને સહકારના ક્ષેત્રમાં અગાઉ કોઈએ ના કર્યું હોય તેવું કામ કરી શકે એમ છે. સહકારના વિકાસ થકી જ ડેન્માર્ક અને સ્વીડન જેવા નાના અને યુદ્ધમાં પાયમાલ થઈ ગયેલા દેશોએ પોતાનો આર્થિક વિકાસ સાધ્યો છે. પણ આપણા દેશમાં..... આ બાબતે વિવાદોનું વંટોળ ઊભું કરી દીધું છે.

  5મી એપ્રિલે અમુલે પોતાની ફેશ ડેરી પ્રોડકસને લઈને બેંગલુરુમાં એન્ટ્રી કરવાનું ટ્વિટ કર્યું અને પછી આ બાબતને વિરોધ પક્ષોએ ગલત રીતે ચૂંટણીનો મુદ્દો બનાવીને એવી ચગાવી કે અમુલ ડેરીએ પોતાની એન્ટ્રી રોકવી પડી!

  અમુલ અને નંદિની બંને ભારતની ડેરી ઉદ્યોગની સફળ બ્રાન્ડ્સ છે. બંનેનું પોતાનું આગવું બજાર છે. બંને ડેરીઓ પાસે પોતાના ખાસ ગ્રાહકો છે. બંને GCMMF અને KMF તેઓના માર્કેટમાં નંબર વન છે. બંનેએ પોતાનો વિકાસ ગામડાઑમાથી જ દૂધ ભેગું કરીને કરેલો છે. અમુલ દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદનો બનાવતી કંપની છે, તો નંદિની કર્ણાટકમાં પોતાનું હોલ્ડિંગ ધરાવે છે. જો કર્ણાટકના સો-કોલ્ડ વિરોધ પક્ષોને એવું લાગી રહ્યું હોય કે અમુલ કર્ણાટકમાં એન્ટ્રી કરશે તો નંદિનીનું મહત્વ ઘટી જશે તો એ સાવ પાયા વિહોણી વાતો છે.

 અમુલ અને નંદિનીના ડેરી-ઉત્પાદનોના ભાવમાં ઘણો ફેર છે. અમુલ દૂધના એક પાઉચના 54રૂ. વસૂલ કરે છે, જ્યારે નંદિનીના દૂધનો ભાવ 43રૂ. છે! આવી રીતે નંદિનીની મોટા ભાગની દૂધની બનાવટોનો ભાવ અમુલ ડેરી કરતાં ઓછો છે. તો કેવી રીતે અમુલ નંદિનીનું બજાર કેપ્ચર કરી શકે? અમુલ પોતાના ઘણા બધા ઉત્પાદનો જેવાકે ઘી, માખણ, યોગાર્ટ, આઇસ્ક્રીમ વગેરે કર્ણાટકમાં ઘણા સમયથી વેચે જ છે. તો પછી હવે અત્યારે જ આનો વિરોધ કેમ?

    એક નેતાના કહેવા મુજબ આ રાજ્યમાં નંદિની અને અમુલ સિવાય પણ બીજી 10 કંપનીઓ પોતાની દૂધની બનાવટો વહેંચે છે. અને તેનાથી નંદિનીને કોઈ ફર્ક નથી પડ્યો અને માત્ર અમુલની એન્ટ્રીથી પડશે? સાથે સાથે એમ પણ કહ્યું કે ઉનાળા દરમિયાન કર્ણાટકમાં દૂધની અછત પડે છે, ગયા વર્ષ કરતાં પશુઓમાં લંપી વાઇરસને લીધે 60000 લિટર દૂધનું ઉત્પાદન ઓછું થયું છે. તેને પહોંચી વળવા અમુલને આ બજારમાં દૂધ અને દહી સાથે એન્ટ્રી કરવાની હતી.

  કર્ણાટકની આ ડેરી પોતાના ઉત્પાદનો તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા વગેરે રાજ્યોમાં વહેંચે છે, તો અમુલ કેમ આવું ના કરી શકે? એક વિચાર એવો પણ છે કે અમુલનું કાર્યક્ષેત્ર નંદિની કરતાં વધુ છે અને તેની પાસે લેટેસ્ટ ટેકનૉલોજિ પણ છે, જેનો લાભ નંદિનીને પણ મળશે. સહકારનો અર્થ જ છે, સૌનો સાથ સૌનો વિકાસ પણ લાગે છે અહી સૌનો વિશ્વાસ નથી મળી રહ્યો.

   વિરોધ પક્ષોનું એવું કહેવું છે કે અમુલ નંદિનીનો માર્કેટ શેર પચાવી પાડશે. તેઓનું માનવું છે કે BJP 49વર્ષોના KMP ના નંદિની સાથેના કોલાબ્રેશનને તોડીને તેને અમુલ સાથે જોડીને પોતાનું one nation one Amul” નું સપનું પૂરું કરવાનો પ્રયાસ કરી રહી છે. વળી તેઓનું એમ પણ કહેવું છે કે દૂધની તંગી એ કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી છે. આ મુદ્દે કર્ણાટકમાં ઉનાળા પહેલા જ ગરમી ચાલુ થઈ ગઈ છે. 10મી મે ના રોજ કર્ણાટકમાં ચૂંટણી છે, ત્યાં સુધી આ મુદ્દો ચગેલો રહેશે. કોઈએક પક્ષ જીતી જશે પછી કોઈને આ મુદ્દો યાદ પણ નહી આવે. અને કદાચ જો વિરોધ પક્ષોમાથી કોઈ જીતે તો આવતા વર્ષોમાં તે પક્ષ જ અમુલની કર્ણાટકમાં એન્ટ્રી પણ કરાવી શકે....!!!

 આપણો દેશ એક એવો લોકશાહી અને જાગૃત દેશ છે, જેમાં ચૂંટણી સમયે કોણે કેટલું કામ કર્યું? કે પછી દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવા ક્યાં પક્ષે કેટલૂ કામ કર્યું? તેની ચર્ચા થવાને બદલે કે તેના આધારે નવી સરકાર નક્કી થવાને બદલે સાવ બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી થતી રહે છે! લોકોની લાગણીઓ સાથે જોડાયેલો એકાદ મુદ્દો ઉઠાવી લ્યો અને પછી તેને # વાઇરલ કરી દયો એટલે પછી આગળ પાછળનું બધુ જ ભૂલીને લોકો આંધળા બની તે તરફ ચાલવા લાગે છે.

 

 

 

 

 

 

Wednesday 12 April 2023

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 Select one number life partner name dare | Puzzles World

    સ્કૂલમાં છોકરા છોકરીઓના ગ્રૂપમાં પરિણામ પછીની ચર્ચાઓ થતી હતી, એમાં એક છોકરીએ કહ્યું, મારે અર્થશાસ્ત્રમાં 100 માથી 100 આવે એમ હતા, પણ 99 જ આવ્યા, મારે પેપર ખોલવવું છે, એક માર્ક ક્યાં કપાયો? એટલે તેની સાથે ઉભેલા છોકરાએ કહ્યું, યાર બસ કર 99 માર્કસમાં તો અમારા જેવા ત્રણ છોકરાઓ પાસ થઈ જાય! અને બધા હસી પડ્યા. કેટલા માથી કેટલા? આ પ્રશ્ન આજે રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે.

     આપણને દરેક ક્ષેત્રોમાં આંકડા સાથે જ પ્રેમ થઈ ગયો છે. વસ્તીગણતરીથી લઈને જુદા જુદા તમામ સર્વેમાં આપણે આંકડાઓ જ તો ભેગા કરતાં રહીએ છીએ. કેટલી સ્ત્રીઓ, કેટલા પુરુષો, કેટલી સાક્ષરતા, કેટલા બાળકો, કેટલા યુવાનો, કેટલા વૃદ્ધો, કેટલા ધર્મો, વગેરે વગેરે......

  એવી જ રીતે દરેક સ્પર્ધામાં પણ આંકડાનો ખેલ જોવા મળે છે, તો આપણું શિક્ષણ તો આંકડાઓની એવી માયાજાળ રચે છે, કે અમુક આંકડાઓ ના મળતા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે. 28/29 માર્ક્સ લાવનારને વધારાના માર્કસ લાવી પાસ કરવા પડે છે, અને 90-100ની વચ્ચે માર્ક્સ લાવનારના ક્યાથી કાપવા? એ માટે તેનું પેપર ત્રણ વાર ચેક થતું હોય છે!

 સરકારી દરેક પરિપત્ર અને કાર્યક્રમો આંકડાઓ માંગતા રહે છે. વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા? એના કરતાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું વધ્યું? એમાં જ બધાને રસ છે. ઘણીવાર તો ઘણા કાર્યક્રમોમાં માત્ર આંકડા જ માંગવામાં આવે છે. કાર્યક્રમની સફળતાનો માપદંડ જ આંકડાઓ બની રહે છે! તે કાર્યક્રમમાથી કોણ કેટલું શિખ્યું? કે કોણે વાવેલા વૃક્ષોને ઉછેર્યા? કે કોણે પ્લાષ્ટિકનો ઉપયોગ ઘટાડયો? એ બધી જ વાત અભેરાઈએ ધૂળ ખાતી હોય છે. મોટા મોટા નેતાઓની સભામાં કેટલા માણસો આવ્યા? કે લાવવામાં આવ્યા? એના આંકડામાં જ બધાને રસ હોય છે! કેટલા મત મળ્યા? કે કેટલી સીટ મળી? તે  આંકડાઓ પર તો આખા દેશનો શ્વાસ અટકી જતો હોય છે.

જી.ડી.પી. પણ એક આંકડો, અને ગરીબી પણ એક આંકડો, વળી બેકારી પણ એક આંકડો અને સતત વધી રહેલી વસ્તી પણ એક આંકડો! અને હવે તો માણસ કેટલો સુખી છે? એ પણ હેપ્પીનેસ ઇંડેક્સ નક્કી કરે છે! જન્મતું બાળક પોષિત છે કે નહી તેના આંકડાથી માંડીને મૃત્યુદર સુધી બધુ જ આંકડાઓમાં રજૂ થતું રહે છે. સરેરાશ માથાદીઠ આવક પણ એક આંકડો અને આપણું જીવન-ધોરણ પણ એક આંકડો! કહે છે કે આંકડાઓ વિશ્વસનિય માહિતી રજુ કરે છે, પણ સાથે સાથે આંકડાઓ જ ભ્રામક માયાજાળ પણ રચતાં હોય છે!

  ધંધોનો નફો એક આંકડો છે, સૌથી વધુ કમાણી કરતા માણસની આવક એક આંકડો છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની તો સ્થાપના જ આંકડા જાહેર કરવા માટે થઈ હોય એવું લાગ્યા કરે છે. દેશના લોકોની સરેરાશ ઉંમર એક આંકડો છે. નોકરી કરતાં માણસને મળતું પેકેજ કે પગાર પણ આંકડો જ છે. વિશ્વના પાંચ વિકસિત રાષ્ટ્રોનો ક્રમ એક આંકડો છે. જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં આપણે ક્યાં સ્થાન પર છીએ? એ પણ એક આંકડો!

અરે માનવતા પણ આંકડાઓમાં મપાય રહી છે. ક્યાં સંપ્રદાયમાં કેટલા ભક્તો? એ પણ આંકડામાં અને દિવસોની ઉજવણી વખતે કોણ કોણ હાજર હતું? એના પણ આંકડાઓ! દર વિદ્યાર્થીએ કેટલા શિક્ષક? દર દર્દીએ કેટલા ડોક્ટર્સ કે નર્સિસ? દર ચોરસ કિલોમીટરે કેટલી વસ્તી? વગેરે વગેરે આંકડાઓ ભેગા કરી આપણે શું કરી રહ્યા છીએ? કારણકે અત્યારે તો લગભગ દરેક ક્ષેત્રોમાં ગુણવત્તાની ક્રાઈસિસ જોવા મળી રહી છે.

 મોટા મોટા મેગેઝિનોમાં દુનિયાની સૌથી ધનાઢય વ્યક્તિઓના આંકડા અને નામો રીલીઝ થતાં રહે છે, તો દુનિયાની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓના લિસ્ટ પણ ક્રમ સહિત બહાર પડતાં રહે છે. ગણિત ભલે બધાને અઘરો વિષય લાગતો હોય, પણ આંકડાઓ સાથેનો આપણો સંબંધ વધુ ને વધુ ઘનિષ્ઠ બનતો જાય છે. આપણે સૌ એક ગજબની નંબરગેમ માં ફસાઈને જિંદગીને અઘરી બનાવી રહ્યાં છીએ. માપતા રહીને ઘણું બધુ આપણે પામતા નથી.

 જિંદગીને રેસ સમજીને આપણે સૌ એક નંબર મેળવવા દોડી રહ્યા છીએ. પણ આ આંકડાઓની બહાર પણ એક દુનિયા છે....આપણી ખુશીઓ કોઈ અમુક નમ્બર્સ કે ઇંડેક્સ દ્વારા નકકી ના જ કરી શકાય કેમ ખરું ને?

 

Monday 10 April 2023

दशपुत्रसमा कन्या दशपुत्रान्प्रवर्धयन्। यत्फलं लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥

 

दशपुत्रसमा कन्या दशपुत्रान्प्रवर्धयन्। यत्फलं लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥

 

60+ Inspiring Quotes About Strong Women - The Goal Chaser

 

     અમુક સમાજમાં અને અમુક પ્રદેશોમાં દીકરીઓના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોય છે. દીકરીઓ મોબાઈલનો ઉપયોગ કરે તો બગડી જાય અને દિકરાઓ કરે તો ના બગડે! આ કેવી માનસિકતા! સમાજમાં આપણે જયારે કોઈ પરિણીત સ્ત્રી-પુરુષના અફેર વિષે સાંભળીએ છીએ તો એવું જ સાંભળવા મળે છે કે, “ એ તો પુરુષ છે, સ્ત્રીઓ એ સમજવું જોઈએ ને.” દીકરીઓને વધુ  ભણાવવાથી એ બગડી જતી હોય છે.....

  હમણાં હોસ્પીટલમાં એક બહેનને ચોથી દીકરી આવી, દીકરાની રાહમાં..... પ્રસૂતિની પીડા કરતાં પણ વધુ પીડા તેને દીકરીના જન્મની હતી! અને એના કરતાં પણ વધુ પીડા એ હતી કે દીકરો ના આપી શકનાર એ સ્ત્રીને હવે ઘરમાં બધાનું સાંભળવું પડશે અને તેનો પતિ બીજા લગ્ન પણ કરી શકે! કે પછી હજી તેના પર પાંચમી વાર પ્રેગ્નેન્ટ થવાનું દબાણ પણ આવી શકે! હા હા આ હમણાંની જ વાત છે!

આપણી એક સુંદર સમાજ-વ્યવસ્થા હતી, જેમાં પુરુષ કુટુંબને આર્થિક રીતે પગભર કરતો અને સ્ત્રી કુટુંબને સામાજિક રીતે પગભર કરતી. બંને પોતપોતાને સોંપવામાં આવેલું કામ સરસ રીતે કરતાં અને ઘર સુશોભિત થઈ જતું. સ્ત્રી-પુરુષ એકબીજાના વિરોધી નહી, પણ પૂરક છે, એવું ક્યારેક સમાજે સ્વીકારેલું. સ્ત્રીઓને પણ ઘરની બહાર પોતાના અસ્તિત્વના વિકાસ માટેની છૂટ મળેલી હતી. આપણે જ્યારે ગાર્ગી કે લોપામુદ્રાની વાતો કરીએ છીએ તો આપણને સમજાઈ જતું હોય છે કે સ્ત્રીઓને વિકસવાની તકો મળી રહેતી.

 તો પછી એવું શું થયું કે સ્ત્રીઓનું સ્થાન ડગમગી ગયું અને તેઓને જન્મવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો! આપણે આર્થિક જવાબદારીઓને જ મહત્વ આપતા ગયા અને પરિણામે કુટુંબનું સર્વસ્વ પુરુષ બની ગયો અને સ્ત્રીઑ હાંસિયામાં ધકેલાતી ગઈ. સ્ત્રીઓના ઘરકામને એટલી નીચલી કક્ષાએ લઈ જવાયું કે સવારે ઊઠીને રાત્રે સૂતા સુધીમાં તેની મિનીટે મિનિટ ઘરકામમાં ગરકાવ થઈ ગઈ પણે તેના અસ્તિત્વની સામાજિક જીવનમાથી બાદબાકી થઈ ગઈ!

 પછી શરૂ થયું સ્ત્રીઓ પર કુરિવાજો લાદવાનું... સતી થવાનું, પોતાનાથી ગમે તેટલી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરી લેવાના, વિધવાએ ફરીથી લગ્ન નહી કરવાના, દહેજના નામે સ્ત્રીઑ પર અત્યાચાર કરવાના, સ્ત્રીઓ તાબે ના થાય તો બળાત્કાર કરવાનો, વગેરે વગેરે એટલા કુરિવાજો કે દીકરીના જન્મને જ સમાજ અશુભ માનવા લાગ્યો. જે આજ સુધી અમુક સમાજોમાં ચાલુ છે. દીકરીઓને દૂધપીતી કરવાનો કુરિવાજ હજી આજ સુધી ભ્રૂણ-હત્યાના નામે ચાલુ જ છે.

  ચારિત્ર્યના નામે સ્ત્રીઓ સાથે જેટલી રમત થઈ છે, એટલી બીજી કોઈ બાબતે નથી થઈ. જાણે સમાજની આબરૂ જાળવવાની જવાબદારી માત્ર ને માત્ર સ્ત્રીઓ પર જ હોય એવું ચિત્ર આપણા સમાજે ખડું કરી દીધું. સીતાએ આપેલી અગ્નિ-પરીક્ષાની જાળ આજે પણ કેટલીયે સ્ત્રીઓને દઝાડતી રહે છે. કુંવારી માતાની બીકે સ્ત્રીઓને હમેંશા ભય હેઠળ જ રાખી છે. છુટ્ટા-છેડાં માટે પણ સ્ત્રીઓને જ જવાબદાર ગણવામાં આવે છે.

 સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ? એ સવાલનો જવાબ સ્ત્રીઓ સિવાય બધા પાસે છે. સાધુ સંતોથી માંડીને સામાન્ય માણસ બધા જ સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ? એ વિષે સલાહ સૂચનો આપતા રહે છે. અને ઘણા મહા-પુરુષોએ તો સ્ત્રી તરફ જતાં રસ્તાને જ બ્લોક કરી દીધો છે. વળી ઘણા ધર્મો અને સંપ્રદાયો સ્ત્રીઓને જોવાની જ મનાઈ ફરમાવે છે. હકીકત તો એ છે કે જેઓ પોતાની જાત પર કાબૂ નથી રાખી શકતા તેઓ સ્ત્રીઓ વિષે ગમે તેમ સ્ટેટમેન્ટ આપવાનું અને સ્ત્રીઓ વિષે ગમે તેમ બોલવાનું ચાલુ રાખે છે.

સમાજ સ્ત્રીઑ પ્રત્યે કહેવાતો ઉદાર બની ગયો છે. સ્ત્રીઓ પોતાની તરફેણના કાયદાઓનો ગલત ઉપયોગ કરી રહી છે, દીકરીઓ પોતાને મળેલી છૂટનો ગલત ઉપયોગ કરી રહી છે, તેઓએ એકવાર ગામડાઓમાં જઈને સ્ત્રીઓની હાલત જોઈ લેવી જોઈએ. તો તેઓને સમજાશે કે સ્ત્રીઑ આજે પણ ત્યાં જ છે, જ્યાં પેલા હતી!  મુઠ્ઠીભર આગળ વધી રહેલી સ્ત્રીઓના સથવારે બધી સ્ત્રીઓને ઉડવા આકાશ મળી ગયું છે, એવું માનવું ભૂલભરેલું ગણાશે.

 

 

 

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

  પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!                          આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનુ...