Sunday 24 April 2022

છુટ્ટા-છેડા–પતિ-પત્ની ભલે છુટ્ટા થાય, પણ માતા-પિતા સંતાનો સાથે રહેવા જોઈએ!!!

 

છુટ્ટા-છેડા–પતિ-પત્ની ભલે છુટ્ટા થાય, પણ માતા-પિતા સંતાનો સાથે રહેવા જોઈએ!!!

 How Divorce Affects the Children's Future | California Divorce Attorneys

મણાં એક માતા-પિતાને મળવાનું થયું, જેઓને છુટ્ટા પડવું હતું. કોઈપણ રીતે હવે સાથે રહી શકાય એવું નહોતું. બે સંતાનો છે અને બંને એવું ઈચ્છે છે કે સંતાનો સાથે રહે. સંતાનો માટે બંને વચ્ચે સ્પર્ધા જાણે કે થઈ રહી હતી. સંતાનો નાના હોવાથી હજી પરિસ્થિતિને સમજી શકે એમ નહોતા. માટે પિતાએ એવા પ્રયાસો કર્યા કે તે માંગે એટલું લઈ દેવાનું. તેઓની માંગણીઑ સારી હોય કે ખરાબ બસ પૂરી કરવાની ! માતાએ બળાપો કાઢતા કહ્યું, હું તો ગરીબ છુ ક્યાથી તેઓની બધી જરૂરિયાતો પૂરી કરી શકું? માટે બંને સંતાનો પિતા સાથે રહે છે, એના પિતાએ વસ્તુઓથી એટલા ભરી દીધા છે કે તેઓ મારી પાસે પણ આવતા નથી!

    સંતાનોને પૂછ્યું કે મમ્મી યાદ નથી આવતી? તો કશું બોલ્યા નહી, તેઓ માતાની સામે જોવા પણ તૈયાર નહોતા. અલબત નફરતને લીધે નહી, પણ જરૂરિયાતો પૂરી થઈ રહી હતી, તેના દબાણમાં! છુટ્ટા થતાં માતા-પિતા માટે પોતાના સંતાનોની કસ્ટડી ગમે તે ભોગે લેવી એ જ એકમાત્ર ધૂન સવાર થઈ જતી હોય છે. તેના માટે તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જતાં હોય છે. પતિ-પત્ની ભલે છૂટા થાય પણ શું માં-બાપ સાથે મળીને સંતાનોને સારી જિંદગી ના આપી શકે? સાથે રહ્યા વિના પણ સંતાનોને લાગણી-સભર રીતે ઉછેરી શકાય છે. તેના માટે આવી હરિફાઇઓ કરી સંતાનોના ભવિષ્યને બગાડવાની કોઈ જ જરૂર નથી હોતી.

   કોઈપણ લગ્ન તૂટે ત્યારે એની સૌથી ઊંડી અસર સંતાનો પર પડતી હોય છે. તેઓને એક વિકલ્પ આપવામાં આવે છે કે તારે કોની સાથે રહેવું છે?’ આ પ્રશ્નનો જવાબ કદાચ એ સંતાન ત્યારે તો આપી દે છે, પણ માતા/પિતા એ બંનેમાથી કોઈ એકને તે ગુમાવી દેતાં હોય છે. સંતાનોના વિકાસ માટે માતા-પિતા બંનેનો પ્રેમ જરૂરી હોય છે. સંતાનનું અસ્તિત્વ જ બંને થકી હોય છે. અને ઉછેર કોઈ એક દ્વારા થાય તો તેની અસરો સંતાનોના મનમાં આખી જિંદગી રહી જતી હોય છે.

   માતા-પિતાનું સુખી લગ્ન-જીવન સંતાનો માટે હુંફ બની રહેતું હોય છે. એવી હુંફ જે તેના જીવનને લાગણીઓથી ભરી દેતું હોય છે. સંતાનોની માનસિક તંદુરસ્તી માટે કુટુંબના બંને આધાર-સ્તંભો જરૂરી છે. પણ જ્યારે એ સંબંધો તૂટે છે, ત્યારે  સંતાનો સૌથી પહેલા તૂટતાં હોય છે.  ઘણીવાર તો તેઓ લગ્ન-વ્યવસ્થાથી દૂર ભાગતા થઈ જતાં હોય છે. તેઓને એ જ નથી સમજાતું કે સાથે રહેનાર બે લોકો પાસે કેમ ના રહી શક્યા? તેઓના જુદા થવાના કારણો જે હોય પણ તેઓ પાસે ભેગા રહેવા માટે એક સબળ કારણ તો હતું ને! છતાં તેઓ કેમ જુદા થઈ ગયા?

   હવે બંને સાથે અલગ અલગ રહેવાનુ છે, એ વિચાર જ તેઓને ધ્રૂજવી દેતો હોય છે. એ ધરતીકંપથી પડતી તિરાડો ક્યારેય પુરાઈ શકતી નથી. જીવન આગળ વધે છે, પણ ખાલીપો ત્યાં ને ત્યાં જ રહી જાય છે. છુટ્ટા-છેડા હવે આપણા સમાજમાં પણ કોમન ઘટના બની ગઈ છે. છુટ્ટા-છેડા કોઈ સેલિબ્રેટીના હોય કે કોઈ સામાન્ય માણસોના કારણો લગભગ સરખા જ હોય છે. અને સંવેદનાઓ પણ સરખી જ હોય છે. એમ જ સંતાનોની લાગણીઓ પણ માતા-પિતા પ્રત્યે એકસરખી જ હોય છે.

    છુટ્ટા-છેડા લેતા માતા-પિતાએ સંતાનોને તેના કારણો વહેલી તકે સમજાવી દેવા જરૂરી છે. ભલે છુટ્ટા પડયા પણ ગૌરવપૂર્ણ રીતે છૂટા પડીએ. સામસામે બ્લેમિંગગેમ નહી પણ જુદા થવું જરૂરી હતું એટલે એમ થયું! સંતાનો કારણો શોધતા ફરે એના કરતાં તો માતા-પિતાએ પોતે જ કહી દેવાનું કે શા માટે છુટ્ટા પડ્યા?  ભલે એ કારણો સમજતા સંતાનોને સમય લાગશે પણ એની સંવેદનાઓને ધક્કો ઓછો લાગશે. એ કારણો તેઓને કોઈ બીજા પાસેથી શા માટે જાણવા મળવા જોઈએ? વળી ઘણીવાર બીજા લોકો પાસેથી કારણો સાથે ઘણું બધુ બીજું પણ ઉમેરાતું રહે છે, જે સંતાનોના જીવનમાં ઊંડા ઘાવ કરી શકે છે.

   સાથે રહીને ભલે સંતાનોને હુંફ અને પ્રેમ ના આપી શકીએ પણ તેઓના પ્રેમ અને હુંફ વિશેના વિચારો પર કોઈ ખરાબ અસર ના પડવી જોઈએ. માતા-પિતાનો તૂટેલો સંબંધ તેઓની માટે જખમ ના બની જવો જોઈએ.તેઓને એવી સ્મૃતિઓ આપીએ કે તેઓની લાગણીઓને ઠેસ ના લાગે. તેઓનું જીવન કાયમ ડિસ્ટર્બ થતું રહે એવું ના કરીએ. તેઓને કહીએ કે દરેક લગ્નોમાં આવું નથી થતું. છૂટા પડીને પણ એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ. અમે અલગ અલગ રહીને પણ તમારો ઉછેર કરી શકીએ છીએ. તેઓ આગળની જિંદગી પ્રત્યે નકારાત્મક ના બની જવા જોઈએ. ભલે છુટ્ટા થયા પણ સંતાનો મેળવવા સ્પર્ધા તો ના કરીએ!!! લાગણીથી તેઓને ઉછેરીએ........

   જે કશુંક તેઓની અંદર સતત ટૂંટતું રહે છે, તેને માતા-પિતાએ જ સાંભળવાનું હોય છે અને પુરવાનું પણ તેઓને જ હોય છે.


A study published in 2013 suggested that mothers are often less supportive and less affectionate after divorce. Additionally, their discipline becomes less consistent and less effective.5

Tuesday 19 April 2022

કમાલ કરે છે, એ ધમાલ કરે છે, ડોસો ડોસી આ ઉંમરે પણ જીવનસાથી શોધે છે!!!

 

    

 

 

 

 

 

 


 કમાલ કરે છે, એ ધમાલ કરે છે, ડોસો ડોસી આ ઉંમરે પણ જીવનસાથી શોધે છે!!!

Dating and Divorce After 50 | Wheaton Elder Divorce Attorneys | DuPage  County, Illinois

 આજથી છ વર્ષો પહેલા સૂર્યનારાયણે (74 વર્ષની ઉંમરે) તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં આવેલા એક મેરેજ બ્યુરોની મદદથી ભાનુમતી (ઉંમર વર્ષ 64) ને શોધ્યા અને  બંનેએ એક મંદિરમાં જઇ લગ્ન કરી લીધા.  સૂર્યનારાયણ ના પત્ની મૃત્યુ પામ્યા હતા અને ભાનુમતીએ લગ્ન કર્યા નહોતા. તેઓએ જ્યારે આવું કર્યું તો તેમના બાળકોએ આનો વિરોધ કરતાં કહ્યું કે આ ઉંમરે પુનર્લગ્ન! કદાચ એ બાળકો પોતાના માતા-પિતાની એક્લતાને નહી સમજી શક્યા હોય. સંતાનોએ પુંછેલા પ્રશ્નનો જવાબ તેમણે આપ્યો કે આ ઉંમરે અમને સૌથી વધુ એક જ બાબતની જરૂર છે, અને એ છે “સાથીદાર શરૂઆતમાં તેઓની આ જરૂરિયાતને કોઈ ના સમજી શક્યું પણ સમય જતાં સમજવા લાગ્યા. આજુબાજુના લોકો અને તેઓના સંતાનો પણ તેઓને સાથ આપવા લાગ્યા. પછીથી જ્યારે ભાનુમતીને કેન્સર થયું તો તેની સર્જરી પણ સૂર્યનારાયણના પુત્રોએ કરાવી. ભાનુમતી એ કહ્યું કે “ છેલ્લા કેટલાક વર્ષોથી અમે બહુ ખુશ છીએ.”

 વળી હમણાં એક સરસ પહેલ વાંચી, જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકો વિષે એક જાહેરાત હતી.  જે વૃદ્ધોએ કોરોના દરમિયાન પોતાના જીવનસાથીને ગુમાવ્યા હોય તેઓ માટે જીવનસાથી પસંદગીમેળો યોજવા અમો જઇ રહ્યા છીએ. ઘણા બધા લોકોએ એમાં ભાગ પણ લીધો. બીજી એક-બે એવી વાતો સાંભળી કે 70 વર્ષના એક ભાઈએ પત્નીને ગુમાવ્યા બાદ ફરીથી લગ્ન કર્યા. અને એક સ્ત્રીએ 65 વર્ષની ઉંમરે ફરીથી લગ્ન કર્યા. વળી 85 વર્ષના એક દાદાએ યુવાનીમાં ના મળી શકેલી પોતાની લવરને પ્રપોઝ કરી તેની સાથે લગ્ન કર્યા. આવા કિસ્સાઓ આપણાં સમાજમાં દિન-પ્રતિદિન વધતાં જ જાય છે અને સફળ પણ થઈ રહ્યા છે. લોકોને જ્યારે સહવાસનું મુલ્ય સમજાય તેઓ પોતાના માટે આવું પાત્ર શોધે છે અને મેળવે પણ છે. વૃદ્ધ લોકોનું શારીરિક અને માનસિક આરોગ્ય જાળવી રાખવા પણ આ પ્રકારના લગ્નોને આવકારીએ.

       આપણાં સમાજમાં આ બદલાવ એક હકારાત્મક પહેલ છે. હજી થોડા વર્ષો પહેલા અને હજી અમુક સમાજોમાં જિંદગીને ઉંમર સાથે બાંધીને બે માથી એક પાત્ર મૃત્યુ પામે એટલે ( ખાસ કરીને સ્ત્રીઓને) બીજાને એકલવાયુ જીવન વિતાવવાની સજા આપી દેવામાં આવે છે. આ એક પ્રકારની ઉંમરકેદ જ છે!  કોઈ કારણસર બેમાથી એક જતું રહે તો બીજા પાત્રને તે ઇચ્છતું હોય તો ગમે તે ઉંમરે જીવનસાથી પસંદ કરવાની છૂટ મળવી જ જોઈએ. આ ઉંમરે જ તો કોઈના સહવાસની જરૂરિયાત ઊભી થતી હોય છે.

    ઘણા કુટુંબોમા દીકરા કે દીકરી એવું વિચારે છે કે અમારા માતા-પિતા આ ઉંમરે લગ્ન કરશે તો અમારા કુટુંબની આબરૂનું શું થશે? અરે લોકો તો અમુક સમય બોલીને ચૂપ થઈ જશે, ભૂલી જશે. પણ તેઓને ધ્યાનમાં રાખીને જો આપણે આપણાં માતા-પિતાને નવેસરથી જીવવાની તક નહી આપીએ તો તેઓ એક્લવાયુ ઉદાસ જીવન જીવીને કંટાળી જશે. ગમે તે ઉંમરે પોતાનો જીવનસાથી પસંદગી કરવાની છૂટ મળવી જોઈએ. સમાજની રચના જ એટલા માટે થઈ છે કે વ્યક્તિઓ નવા નવા વિચારો સાથે આગળ વધી શકે, મનગમતું જીવી શકે.

  આપણે અમુક ઉંમર બાદ વ્યક્તિઓને  આમ જીવાય અને આમ ના જીવાય એનું લિસ્ટ થમાવી દેતાં હોઈએ છીએ. માણસો જેમ વૃદ્ધ થતાં જાય છે, એકબીજાના પ્રેમ અને હુંફની વધુ ને વધુ જરૂર હોય છે, આવા સમયે જો બેમાથી કોઈ પાત્ર જતું રહે તો જીવિત વ્યક્તિને જીવંત રહેવા માટે કોઈ સહારાની જરૂર પડતી હોય છે, જેમાં આપણે તેઓને સપોર્ટ આપી આધુનિક બની શકતા હોઈએ છીએ? પણ આપણે તો લોકો શું કહેશે? એ બીકે તેઓને એ સપોર્ટ આપી શકતા નથી. પણ હવે જ્યારે સમાજમાં નવા નવા વિચારોનો પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે આપણે પણ એ નવીનતાને અપનાવવી રહી.

       ધ્રૂજતા હાથોને, લથડાતા કદમોને, ખાલી ખાલી ઓરડાઓને, એકલી એકલી વાતોને સાંભળવા, ધૂંધળી આંખોને, સુમશાન જિંદગીને કોઈ સહારો આપવા વાળું મળી રહે તો તેઓ કદાચ ના જીવી શકાયેલું પણ જીવી શકે! આપણે સૌ તો આપણાં વિશ્વમાં ખોવાય જઈશું, તેઓ એકલાં એકલાં મૂંઝાતા રહે એના કરતાં તો એના વિશ્વને સમજનારું કોઈ મળી રહે એમાં આપણને લેશમાત્ર પણ વાંધો ના હોવો જોઈએ. દરેકને કોઈપણ ઉંમરે પોતાની જિંદગીમાં વસંતના પગરવનો હક મળવો જ જોઈએ.

    વ્યક્તિઓ તો દરેક ઉંમરે ધબકતી જ રહેવી જોઈએ. શા માટે આપણે તેઓની આ પહેલને ટેકો આપવાને બદલે ટીકા કરતાં રહેતા હોઈએ છીએ? હવે આ ઉંમરે એવું બોલીને તેઓની અંદરની ઇચ્છાઓને શા માટે મારતા રહીએ છીએ? શું કોઈ આવા નવા કપલને કોઈ બગીચામાં બેસીને હસતાં હસતાં જિંદગીને વેલકમ કરવાનો કોઈ અધિકાર નથી? શું તેઓ પોતાની બચેલી જિંદગીને કોઈ નવા સહારા સાથે ના જીવી શકે? તેઓની લાગણીઓને સમજી શકે, તેઓની ક્ષણોને સભર કરી શકે, એવી વ્યક્તિના આગમનને ના રોકીએ.

          ઘણીવાર સંપતિના પ્રશ્નોને લઈને પણ આવા લગ્નોનો વિરોધ થતો હોય છે. આ ઉંમરે તેઓને સંપતિની નહી એકબીજાના ખોવાયેલા સાથની જરૂર હોય છે. તેઓ ફરીથી એ નવા પાત્રમાં લાગણીઓને અનુભવવા માંગતા હોય છે. અહી કોઈ લેવડ-દેવડનો હિસાબ નથી હોતો પણ જીવનની ઢળતી સાંજે આકાશમાં નવા સંબંધોની સંધ્યા ખીલવવાનો પ્રયાસ હોય છે. જીંદગીનો એક હિસ્સો જે કોઈના જવાથી ખાલી થઈ ચૂક્યો છે, તેને સમજણ અને સમાધાનથી હર્યોભર્યો કરવાનો પ્રયાસ છે.

  શું આપણે તેમાં તેઓને મદદ ના કરી શકીએ? જે માતા-પિતાએ પોતાની જીંદગીની શ્રેસ્ઠ ક્ષણો આપણને આપી દીધી, તેઓને ખુશીની ક્ષણો આપણે આપી ના શકીએ? જો તેઓ માંગે તો......

  લાઈક,કમેંટ,શેર....  

           લાગણીઓ કદી વૃદ્ધ થતી નથી. 

         

Tuesday 12 April 2022

કેટલીક ‘કુટેવો’ હવે ખરેખર આપણાં પર્યાવરણનું સૌંદર્ય છીનવી રહી છે!!!

 

 કેટલીક ‘કુટેવો’ હવે ખરેખર આપણાં પર્યાવરણનું સૌંદર્ય છીનવી રહી છે!!!

 Buy Go Back to Nature & Heal your 'Self' Book Online at Low Prices in India  | Go Back to Nature & Heal your 'Self' Reviews & Ratings - Amazon.in

1)     આપણને સૌને બજારમાં ખરીદી કરવા જતી વખતે, કાપડની થેલી લઈને જતાં શરમ આવે છે, એટલે આપણે પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ.

2)   પ્લાસ્ટિક બહુ જ ખરાબ રીતે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે, છતાં આપણે તેનો ઉપયોગ કરવાનું બંધ નથી કરી રહ્યા.

3)   જ્યાં ત્યાં કચરો ફેંકવાનું ભૂલતા નથી. બેફામ કચરો કરતાં રહેવું એ આપણી રાષ્ટ્રીય આદત બની ગઈ છે.

4)   પાણીનો બગાડ કરતાં રહીએ છીએ. તેને ગંદુ કરતાં રહીએ છીએ.

5)   વૃક્ષો વાવીએ છીએ, પણ ઉછેરતા નથી.

6)   પશુ-પક્ષીઓ આપણાં સાથીદારો છે, એ તો આપણે સાવ ભૂલી જ ગયા છીએ.

7)   જંગલો સાથે આપણો ગાઢ સંબંધ છે, છતાં આપણે તેઓને બેરહેમીથી કાપી રહ્યા છીએ.

8)   દરિયાઓના પાણીમાં પણ આપણે કચરો પધરાવતા રહીએ છીએ.

9)   એ.સી. ફ્રીજ જેવા સાધોનાના વધુ પડતાં ઉપયોગને ટાળી નથી રહ્યા.

10) લાઉડ-સ્પીકરોના ઘોંઘાટના વોલ્યુમને ઘટાડી નથી રહ્યા.

      આ લિસ્ટ હજી લાંબુ થાય એમ છે, પણ આપણે અત્યારે પર્યાવરણ ને અસર કરી રહેલી કુટેવો વિષે જ વાતો કરીએ. પર્યાવરણની સુરક્ષા એ અત્યારનો સૌથી જરૂરી મુદ્દો છે. જેને આપણે જેટલી ગંભીરતાથી લેવો જોઈએ એટલી ગંભીરતાથી લઈ નથી રહ્યા! ઉપરની તમામ કુટેવો આપણને અને આવનારી પેઢીને જીવવાલાયક પૃથ્વી નહી આપી શકે. એ વાત તો નકકી જ છે. આપણે સૌ પેલા કાલિદાસજીની જેમ જે ડાળીએ બેઠા છીએ એ જ ડાળીને કાપી રહ્યા છીએ! ફર્ક એટલો છે, કે તેમના હાથમાં કુહાડી હતી અને આપણાં હાથમાં આ કુટેવો છે. ખરીદી કરવા જતી વખતે પણ આપણે સ્ટેટસ જાળવી રાખવા માંગીએ છીએ અને એટલે જ આપણી પૃથ્વીનું સ્ટેટસ બગડી રહ્યું છે.

.    કોઈ જાહેર કાર્યક્રમ પૂરો થાય પછી એ સ્થળે રહેલા કચરાનું અવલોકન કરવામાં આવે તો એ સ્થળ ઉકરડો બની ગયુ હોય છે!  આપણી જાહેર આદતો એટલી બધી ગંદી છે, કે આપણે એ સ્થળોને કચરા નાખવાનું સ્થળ જ સમજી લેતા હોઈએ છીએ. બેફામ કચરો કરતાં રહેવું એ આપણી રાષ્ટ્રીય આદત બની ગઈ છે. પ્લાસ્ટિક આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે, છતાં આપણે અંધ બનીને તેનો ઉપયોગ કરતાં જ રહીએ છીએ. આપણે આપણી જ જિંદગીમાં ઝેર ઘોળી રહ્યા છીએ. પ્લાસ્ટિક સાથે રહીને આપણે પણ પ્લાસ્ટિક જેવા થઈ ગયા છીએ. જેમ પ્લાસ્ટિકનો કોઈ રીતે નિકાલ નથી થઈ શકતો એ જ રીતે આપણી કુટેવોનો પણ કોઈ નિકાલ નથી!

    કેટલીક એવી નાની નાની કુટેવો છે, જે આપણે છોડી જ શકતા નથી. અને તેને લીધે આજે પૃથ્વી એટલી બધી ગરમ થઈ ગઈ છે, કે આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું છે. આપણને આપણાં ભલા માટે વૃક્ષો વાવવાનું અને ઉછેરવાનું કહે છે, પણ આપણે એ પણ કરી શકતા નથી. આપણે આપણાં વિકાસની દોડમાં એટલા અટવાઈ  ગયા છીએ કે પૃથ્વીને રોજ આપણે થોડા થોડા વિનાશ તરફ લઈ જઈ રહ્યા છીએ. આપણે આપણાં વાહનો માટે પણ વૃક્ષોનો છાંયડો શોધતા ફરીએ છીએ, પણ વૃક્ષો ઉગાડવાની તસ્દી લેવા તૈયાર નથી. એ.સી. ફ્રીજ જેવા સાધોનાના વધુ પડતાં ઉપયોગને લીધે વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુનું પડ પાતળું થઈ રહ્યું છે, જેને લીધે સૂર્યના કિરણો આટલા જલદ લાગી રહ્યા છે. આપણે ઠંડા થઈ રહ્યા છીએ પણ પૃથ્વી ગરમ થઈ રહી છે.

  વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યા છે, પણ આપણે વાતાવરણને શુદ્ધ કરવા તરફ નથી વળી રહયા એ પણ એક રેકોર્ડ છે!  ભારતના અનેક શહેરો પ્રદૂષણની હદ વટાવી ગયા છે. અમુક શહેરોનું વાતાવરણ એટલી હદે પ્રદુષિત થઈ ચૂક્યું છે કે એ શહેરોમાં રહેનાર લોકોની આંખોમાં અને ચામડીમાં બળતરા થઈ રહી છે. વાતાવરણ એટલું બધુ ધૂંધળું થઈ ગયું છે કે આપણે એમાં આવનાર સમયની ભયાનકતા પણ જોઈ શકતા નથી. બસ દોડયે જ જઈએ છીએ, વિકાસની આ આંધળી દોડ આપણને કચરાના ઢગલા તરફ લઈ જઇ રહી છે. એવો ઢગલો જેમાં માનવજીવન દટાઈ રહ્યું છે.

       બીચનું સૌંદર્ય જોઈને આપણે ત્યાં ફરવા તો જઈએ છીએ, પણ બીચનાં સૌંદર્યને માણવાને બદલે આપણે તેને નુકસાન પહોંચાડતા રહીએ છીએ. વળી કારખાનામાથી નીકળતા કેમિકલો તેમાં ભળવાથી દરિયાની અંદર જીવતા જીવો પણ મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યા છે. આપણે આપણાં સ્વાર્થને લીધે સૃષ્ટિના તમામ જીવોને હેરાન કરી રહ્યા છીએ. આવી જ રીતે સુંદર નદીકિનારાઓને પણ આપણે પ્રદુષિત કરી દીધા છે. આખા વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો માત્ર 1.2% જેટલો જ રહ્યો છે. પાણી આપણાં જીવન સાથે જોડાયેલુ અનિવાર્ય તત્વ છે, છતાં આપણે તેની અહેમિયત સમજી નથી રહ્યા.

    કુદરત આપણને વારંવાર સિગ્નલ આપી રહ્યું  છે, પણ આપણે સ્ટોપ નથી થઈ રહ્યા. ટૂંકો લાભ મેળવવા આપણે લાંબાગાળાની આફતો નોતરી રહ્યા છીએ. દુનિયા ભરના પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકો આપણને ચેતવી રહ્યા છે કે બસ હવે કુદરત તરફ પાછા વળી જઈએ પણ આપણે આપણાં સ્વાર્થ માટે ચેતવણીને ઇગ્નોર કરી રહ્યા છીએ! તેના ખરાબ પરિણામો પણ આપણને મળવાના શરૂ થઈ ગયા છે. પણ આપણે અટકી નથી રહ્યા. જે જે વસ્તુઓના વપરાશથી પર્યાવરણ પ્રદુષીત થઈ રહ્યું છે, તે વસ્તુઓના વપરાશને આપણે અટકાવી નથી રહ્યા.

     આપણે જાણવા છતાં આપણાં ખુદના અસ્તિત્વ પર પણ ખતરો ઊભો કરી રહયા છીએ. ભાવિ પેઢીએ તો હવે આપણી પાસેથી અમુક અપેક્ષાઓ રાખવાનું જ છોડી દીધું છે. આપણે આવતી પેઢીને સંપતિ આપવા પાછળ ભાગી રહ્યા છીએ, પણ પ્રાકૃતિક સંપતિ તેઓ પાસેથી છીનવી રહ્યા છીએ. આપણે તેઓને એવું પ્રદુષિત વાતાવરણ આપી રહ્યા છીએ કે તેઓ પાસે ચોખ્ખી હવા પણ નહી રહે કે નહી રહે ચોખ્ખું પાણી કે નહી રહે વૃક્ષો, પક્ષીઓ કે પશુઓ.

  લાઉડસ્પીકરોના ઘોંઘાટમાં આપણે કુદરતના કલરવને અને તેનાં સાદને નથી સાંભળી રહ્યા. તો ઈશ્વર તો આપણને શું સાંભળશે? જ્યાં જ્યાં માણસ ત્યાં ત્યાં પ્રદૂષણ.

          ખરેખર આપણે આ કુટેવોને આપણાં અસ્તિત્વ માટે છોડી દેવાની જરૂર છે.

      

        

  

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...