Friday 25 June 2021

શિક્ષણ,આરોગ્ય અને આપણે,,,


શિક્ષણ,આરોગ્ય અને આપણે,,,

શિક્ષણના અધિકાર અધિનિયમ — Vikaspedia

 શિક્ષણનું મહત્વ આપણે વર્ષોથી સમજતાં આવ્યાં છીએ, આરોગ્યનું મહત્વ છેલ્લા એક-દોઢ વર્ષે આપણને સમજાવી દીધું છે. માનવ-જીવનમાં ખોરાક,કપડાં અને રહેઠાણ પછીની કોઈ અગત્યની જરૂરીયાત હોય તો એ છે શિક્ષણ અને આરોગ્ય! આપણે શિક્ષણ અને આરોગ્યને સ્થાન અને માન બંને આપીએ છીએ. બાળક જન્મે ત્યારથી આજ-કાલ માતા-પિતા તેના શિક્ષણની ચિંતા કરતાં રહે છે. બાળકો ભણશે કે નહી ભણે? એ દરેક ઘરનો ‘રાષ્ટ્રીય- પ્રશ્ન’ બની ગયો છે. આપણી પાસે આપણી પ્રાચીન શિક્ષણ-વ્યવસ્થા જેને આપણે ‘ગુરુકુળ-પ્રથા’ કહેતાં, એ હતી પણ હવે એનું સ્થાન મેકોલની શિક્ષણ-પદ્ધતિએ લઇ લીધું છે. આઝાદી આપણને મળી ગઈ એને પણ ૭૫ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, છતાં એ બદલાઈ કેમ નહી? ખુદ આપણું શિક્ષણ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો સમજી શક્યા નથી! 

આરોગ્યની પરિસ્થિતિ પણ કઈક એવી જ છે. આપણને સૌને ખબર છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ પણ આપણે જીવનની દોડ-ધામમાં આ સત્યને સાવ અભેરાઈ પર જ મૂકી દીધું. અરે ઘરકામ કરતી વખતે પણ નીચે નથી ઉતારતા!  આપણે આપણી સારી લાઈફ-સ્ટાઈલ છોડીને શું સાબિત કરવા માંગીએ છીએ એ તો આવનાર સમય જ બતાવશે, પણ એટલું નક્કી છે કે આ બંને જરૂરીયાતો પાછળ આપણે સાવ ખર્ચાય ગયા છીએ અને ખર્ચાય રહ્યા પણ છીએ. હકીકત તો એ છે કે આપણે આ બંને જરૂરીયાતોને જીવન સાથે જોડવાનું ભૂલી ગયા છીએ. અને એટલે જ આ જરુરોયાતો આજે લક્ઝરી બની ગઈ છે. આ જરૂરિયાતો સામાન્ય માણસની પહોચની બહાર થઇ ગઈ છે.

  શિક્ષણ માણસને જીવતા શીખવે છે, શિક્ષણ એ સમાજમાં પરિવર્તન લાવનાર સૌથી મજબુત પરિબળ છે. શિક્ષણ થકી જ આપણે આપણા પ્રાચીન વારસાને અને સંસ્કૃતિને આજની પેઢી સુધી પહોંચાડી શકીએ એમ છીએ. પણ ખબર નહિ, આપણને સતત એવું લાગ્યા કરે છે કે આપણી શિક્ષણ-પદ્ધતિમાં કશુંક ખૂંટે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણું પ્રાચીન શિક્ષણ અત્યારના શિક્ષણ કરતાં ઘણું સારું હતું, આપણે જાણીએ છીએ કે શિક્ષણ મેળવવા અને શિક્ષિત થવા સગવડો નહિ, પણ ધગશ જ જરૂરી છે, છતાં આપણે આ જરૂરીયાત પાછળ આપણા જીવન ભરની બચત ખર્ચી નાખતાં હોઈએ છીએ. 

સારા શિક્ષણ માટે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું અનુસંધાન સૌથી જરૂરી છે, પણ આપણને તો શિક્ષક કરતાં વધુ સંસ્થાના બ્રોશર, બિલ્ડીંગ, એ.સી. અને અન્ય લક્ઝરી બાબતો પર વધુ વિશ્વાસ હોય છે. મોંઘાદાટ કલાસીસ પર વધુ વિશ્વાસ હોય છે. એક એક વિષય શીખવવા પાછળ માતા-પિતા કેટલો ખર્ચો કરતાં રહે છે. એટલું જ નહિ, ઘણા ઘરોમાં તો આ શિક્ષણના શ ને લીધે જ માતા-પિતા અને સંતાનો વચ્ચે ગેપ પડી જતો હોય છે. નાનાં નાનાં બાળકો આ શિક્ષણના ચક્કરમાં પોતાનું બાળપણ ગુમાવી દેતાં હોય છે. બાળકને ખુબ જ નાની ઉંમરે શાળાએ મોકલી દેવામાં આવે છે, મોટા ભાગના બાળકોને રમવું હોય છે, જયારે માતા-પિતાને તેઓને શાળાને હવાલે કરી દેવા હોય છે. 

હકીકતમાં તો આ પરાણે નિશાળે મોકલવાના ચક્કરમાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જતી હોય છે. ૨ કે ૨.૫ વર્ષનું બાળક જે હજી રમતની પા પા પગલી તરફ વળવા માંગતું હોય છે, તેઓને ફરજીયાત ક, ખ,ગ કે A,B,C શીખવાડી દેવાની જાણે કે માતા-પિતાને ધૂન સવાર થઇ ગઈ છે! જે ઉંમરે બાળક કુદરતી રીતે ખીલવા માંગતું હોય છે, તેને કૃત્રિમ રીતે ગોઠવી દેવાની માતા-પિતાને તાલાવેલી લાગી ગઈ છે! કેટલી કેટલી ફીઝ ભરીને માતા-પિતા પોતાના બાળકોને પ્લે-હાઉસ કે હાયર કે.જી. કે લોઅર કે.જી. માં મોકલતા હોય છે.

 ઘણા માટે તો આ પણ સ્ટેટસનો વિષય બની રહે છે. મારું બાળક સો & સો સ્કૂલમાં ભણે છે, એની પણ મોટી કિંમત તેઓ ચુકવતા હોય છે. બાળક જન્મે ત્યારથી ૬ વર્ષનું થાય ત્યાં સુધી તેનો શારીરિક અને માનસિક વિકાસ ઘરમાં જ થવો જોઈએ. તેને આપણે રમતમાં ને રમતમાં ઘણું બધું શીખવી શકીએ એમ હોઈએ છીએ. તે આજુબાજુની દુનિયાને જોઇને ઘણું ઘણું શીખી શકે એમ હોય છે, પણ આપણે તો તેને ચાર દીવાલોની વચ્ચે જ પૂરી દેવા માંગીએ છીએ. 

રડતું,આખડતું બાળક સ્કૂલે જવા નથી માંગતું, પણ એને સમજે કોણ? ટ્રેન્ડમાં સરકીને તમામ માતા-પિતા પોતાના સંતાનોનું બાળપણ પણ તેની પાસેથી સરકાવી લેતાં હોય છે. કેટલા ફોર્સથી બાળકને સ્કૂલે ધકેલી દેવામાં આવતા હોય છે, એટલે જ કેટલાક બાળકોને તો નાનપણથી જ શિક્ષણ પ્રત્યે અણગમો થઇ જતો હોય છે. જે છેક સુધી ચાલે છે.

   ધક્કા-ગાડીની જેમ બાળક આગળ ને આગળ વધતું જાય છે, પણ શીખતું કશું નથી! આપણી વિદ્યાર્થીને ફેલ નહી કરવાની પોલીસીએ વાંચતા નાં આવડતું હોય તેવા વિદ્યાર્થીઓને પણ કોલેજ સુધી પહોંચાડી દીધેલા છે! જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પ્રત્યે સજાગ છે, તેઓને સાયન્સ સિવાય કશું ભણવાનું છે, નહિ એવું વાતાવરણ આપણે સૌએ ઉભું કરી દીધું છે. બધા જ બે-ત્રણ ડિગ્રીઓ પાછળ જ દોડતા રહે છે. ક્ષમતા હોય કે ના હોય વિદ્યાર્થીઓ એ રસ્તે દોડતા જ રહે છે. બીજા ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં આગળ વધી શકાય એમ હોય છે, પણ આપણે તો એ તરફ જોતા જ હોતા નથી.

 આર્ટસ અને કોમર્સ તો જાણે સાઈડ પર જ રહી જાય છે. આર્ટસ રાખનાર વિદ્યાર્થીઓ સૌથી વધુ આઈ.એ.એસ. કે ક્લાસ-૨ બનતા હોય છે, પણ સમજે કોણ? આપણે તો એક જ જગ્યાએ ભીડ કરવા ટેવાયેલા છીએ! આપણને સૌને ખબર છે, આપણી શિક્ષણ-પદ્ધતિમાં પ્રાયોગિક જ્ઞાન માટે બહુ ઓછી જગ્યા ફાળવવામાં આવે છે. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ એક નાનું એવું ફોર્મ કે અરજી પણ ભરી શકતા નથી! આપણે શારીરિક કસરતોને પણ શિક્ષણમાંથી કાઢી નાખી છે. મોટા ભાગના લોકો લાખો રૂપિયા ખર્ચી, બાળકોને ભણાવતા રહે છે અને એ વિદ્યાર્થીઓ જયારે વાસ્તવિક કાર્ય-ક્ષેત્રમાં આવે છે, તેઓનું ધ્યાન પૈસા વસુલ કરવામાં જ રહે છે! 

આપણે બધા જ જાણીએ છીએ આપણી શિક્ષણ-પ્રથા બહુ બધા ફેરફારો માંગે છે, પણ આપણે સૌ પણ એ સિસ્ટમનો એક ભાગ બનીને રહી ગયા છીએ. છાપામાં કે સોસીયલ મીડિયામાં આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે કેવા માતા-પિતાના સંતાનો પરિશ્રમના બળે ક્યાંના કયા પહોંચી જતા હોય છે. તેઓના ઇન્ટરવ્યુ ક્યારેક વાંચજો કે સાંભળજો તમને સમજાય જશે કે શિક્ષણ માટે શું જરૂરી છે? મિડલ ક્લાસ લોકો પણ આ રેસમાં જોડાઈને ખુદને અને કુટુંબને હેરાન કરતાં રહે છે.

 તમને થશે શિક્ષણના વ્યવસાયીકરણ વિષે નાં લખ્યું? મિત્રો આપણે જે માંગીએ છીએ એ તેઓ આપણને આપે છે. આપણે બ્રોશર જોઇને જ એ સંસ્થામાં દાખલ થવા માંગીએ છીએ, તો એ લોકો તો એ જ આપશે! તેઓ માટે તો શિક્ષણ આજીવિકાનું સાધન છે, આપણા માટે શિક્ષણ શું છે? એ આપણે નક્કી કરવાનું છે. દુનિયાભરના મહાનુભાવોના શિક્ષણ-વિષયક વિચારો જાણવાની કોશિશ કરજો, તમને સમજાઈ જશે કે શિક્ષણ એ જીવન-ઉપયોગી હોવું જોઈએ. અને માતૃ-ભાષામાં જ હોવું જોઈએ.

 જે બાળકના વિકાસમાં આપણે સમજીએ છીએ કે શિક્ષણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે, એ બાળકને શિક્ષણમાં દાખલ કરતાં પહેલા થોડું વિચારીએ. મોંઘુ શિક્ષણ એટલે સારું શિક્ષણ એ મેંટાલીટી બદલાવાની જરૂર છે! શિક્ષણ બાળકનાં સર્વાંગી વિકાસ સાથે જોડાયેલી પ્રક્રિયા છે, ગાંધીજીના કહેવા મુજબ શિક્ષણ એ હેડ,હેન્ડ અને હાર્ટની કેળવણી છે. ખોટા દેખાડાથી અંજાઈને આપણા બાળકોને ફરજીયાત શિક્ષણ તરફ નાં લઇ જઈએ. શિક્ષણ ક્યારેય ફરજીયાત ના હોઈ શકે!

 હવે આવીએ આરોગ્ય તરફ, આરોગ્ય જેટલું સારું પ્રજા એટલી બળવાન! કોઈપણ દેશના આરોગ્યની જવાબદારી સરકારની હોય છે. આપણા દેશમાં પણ છે જ! પણ આપણે એમાં પણ સંપૂર્ણ વ્યવસાયીકરણ દાખલ કરી દીધું છે. આરોગ્ય આજે બીજી લકઝરી બની ગયું છે. આરોગ્યની સુવિધાઓ આજે એટલી મોંઘી થઇ ગઈ છે કે લોકોને રોગ કરતા રોગની સારવારનો ભય લાગતો રહે છે. કોરોના સમયે આપણે જોયું કે ઘણા લોકો મોંઘી સારવારથી ડરીને દવાખાને જ નાં ગયા અને મૃત્યુ પામ્યા. આરોગ્ય સુવિધાઓના બીલ જોઈ ભલભલાને હાર્ટ-એટેક આવી જાય એવી પરિસ્થિતિ છે. આપણા પૂર્વજો દરેક બાબતમાં આરોગ્યને મુખ્ય સ્થાને રાખતા, પણ આપણે એ સ્થાન આરોગ્યને આપવાનું જ ભૂલી ગયા છીએ.

 આ દેશમાં જન્મતા બાળકોમાં ૭૦% બાળકો કુપોષિત અવસ્થામાં જન્મે છે, જન્મ્યા બાદ પણ તેઓને પુરતું પુષણ માતા-પિતા આપી શકતા નથી. સ્ત્રીઓના આરોગ્ય બાબતે કાયમ દુર્લક્ષ સેવવામાં આવે છે. મોટા ભાગની સ્ત્રીઓ હિમોગ્લોબીનની તકલીફથી પીડાય રહી છે. આપણે આપણી સારી આદતોને છોડીને ખરાબ આદતો તરફ વળી રહ્યા છીએ. જે કુદરતી જીવન આપણા લાંબા અને સ્વસ્થ આરોગ્ય માટે સારું હતું, તેને ભૂલીને આપણે અકુદરતી જીવન તરફ વળી રહ્યા છીએ. જે રોગો વર્ષો પહેલા અમુક ઉંમર બાદ જ શરીરમાં આવતા, એ રોગો આજકાલ બહુ નાની ઉંમરે આપણા સૌમાં પ્રવેશી રહ્યા છે. અત્યારની પેઢી સ્વાસ્થ્યની દ્રષ્ટીએ નબળી પુરવાર થઇ રહી છે.

  વ્યક્તિ એકવાર કોઈ રોગના સકંજામાં ફસાય જાય એટલે તેની આખી જિંદગીની બચત એમાં વપરાય જાય છે. લોકો સરકારી દવાખાનામા જતાં ડરતા રહે છે. અને ખાનગી દવાખાનાવાળા લુંટતા રહે છે. આપણે કોરોના મહામારી વખતે જોયું કે આરોગ્ય સાથે સંકળાયેલા લોકો કેવી રીતે સામાન્ય પ્રજાને લુંટતા રહે છે. બીજી વેવમાં એવા ૩૫% લોકો છે, જે સારવારના અભાવે મૃત્યુ પામ્યા! સામે પક્ષે લોકો પણ ડરીને ખાનગી દવાખાનાવાળાને પૈસા ધરતા રહે છે. હોસ્પિટલો અને હોટેલોમાં આજકાલ બહુ ઝાઝો તફાવત રહ્યો નથી. ‘આરોગ્યમ ધન સંપદા’ એવું આપણે શીખીએ છીએ, પણ એ આરોગ્ય પાછળ આપણી મોટાભાગની સંપદા વપરાય જાય છે!  લોકો હોસ્પીટલના પગથીયા ચડતા પહેલા સો વાર વિચારે છે, અને પગથીયા ચડાય જાય પછી, થાક જ થાક  લાગતો રહે છે. 

આર્થિક અને માનસિક રીતે લોકો સાવ ભાંગી પડે છે, ઘણા ડોકટરો દર્દી મૃત્યુ પામે પછી પણ દર્દી જીવિત છે, એવું કહી સગા-વહાલા પાસે પૈસા વસુલતા રહે છે. દર્દીના મનમાં સામાન્ય રોગનો પણ હાઉ ઉભો કરી દેવામાં આવે છે. આરોગ્યની સુવિધાઓ નાગરિકોને સરળતાથી મળી રહેવી જોઈએ. ઘણા ડોકટરો જે દવાઓ લખે છે, તે માત્ર અમુક મેડીકલ-સ્ટોરમાં જ મળે છે. રિપોર્ટ કરવાથી માંડીને ઓપરેશન થીયેટર સુધીમાં બધું જ કમીશનથી નક્કી થયેલું હોય છે. ઘણીવાર તો લોકોની અજ્ઞાનતાનો આ લોકો ભરપુર ફાયદો ઉઠાવતા રહે છે.

  પૈસા દઈને ડોકટર્સ બની જનાર પણ અહી ઓછા નથી! આપણા દેશમાં ડોક્ટર્સને તેઓનું લાયસંસ રીન્યુ કરાવવું પડતું નથી. દવાઓના કન્ટેન્ટ આપણે સમજવાની કોશિશ કરતા નથી. મેડીકલ સ્ટોરવાળા ડોકટરના પ્રીસક્રીપ્શન વિના દવાઓ આપે છે. લોકો લઇ પણ લે છે. નથી લોકો અપડેટ થતા, નથી ડોકટર્સ કે નહિ દવાઓ! દરેક રોગનો હાઉ ઉભો કરી તેનું એક બજાર ઉભું કરી દેવામાં આવે છે. અને લોકો એ બજારમાં ખર્ચાતા રહે છે. આપણી ભાવિ પેઢીનું સ્વાસ્થ્ય આપણે સાવ દાવ પર મૂકી દીધું છે. યોગા અને મેડીટેશન જેવી આપણી પ્રાચીન પરંપરાઓ ભૂલીને આપણે દોડી જ રહ્યા છીએ. હવે અટકીએ તો સારું!

    શિક્ષણ અને આરોગ્ય આ બંનેને આપણે સેવાની કેટેગરીમાં મુકીએ છીએ, પણ એ બંને સેવાઓ આજે કોમન-મેન માટે મોંઘી થઇ ગઈ છે. આપણે પણ આ બાબતે થોડી સમજદારી દાખવવાની જરૂર છે. વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીશું તો આ જરૂરિયાતો પાછળ થતો ખર્ચ પણ ઘટાડી શકીશું. આપણા બાળકોની ક્ષમતાઓને સમજીને એ મુજબનું શિક્ષણ આપીએ, ખોટા દેખાડામાં નાં ફસાઈએ. આરોગ્ય જળવાય રહે એવી રીતે જીવીએ. પૈસાની ગરીબીનો ઉપાય છે, પણ વિચારોની ગરીબીનો કોઈ ઉપાય નથી! માટે વિચારોને સમૃદ્ધ બનાવીએ.

 Health Quotes - 50+ Best Quotes To Inspire You To Stay Healthy

 

 

  

 








No comments:

Post a Comment

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...