Wednesday, 18 December 2024

 

ભારતીય ‘ન્યાય-વ્યવસ્થા’ દેર પણ અને અંધેર પણ!!!

 Fallacies of Digitization of Judicial System of India - LawLex.Org

 

         નીટનું પેપર ફોડીને જેણે આ દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ગરકાવ કરી દિધૂ?  એ લોકોને સજા થશે કે કેમ? તથ્ય પટેલ કે જેણે કોઈના ઘરના દીપકને ઓલવી નાખ્યા, તેને સજા થશે કે કેમ?  ધનીકો અને મોટા મોટા રાજકારણીઓના નબીરાઓ મોંઘીદાટ ગાડીઓના નશામાં જે ગરીબોને કચડીને ભાગી જતાં હોય છે, તેઓને સજા થશે કે કેમ? વડોદરા રેપ કેસના ગુનેગારોને કેટલા વર્ષે સજા મળશે? મોરબીના ઝૂલતા પુલ હત્યા-કાંડના આરોપીઓને કોઈ પકડી શકશે કે નહી?  રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને સજા મળશે કે કેમ?  હમણાં બેંગલુરુમાં એ.આઈ. એંજિનિયરે આ સિસ્ટમથી કંટાળીને લાઈવ સ્યૂસાઇડ કર્યું. તેને કોણ ન્યાય અપાવશે? બે વર્ષ પહેલા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના આરોપીઓ અત્યારે ક્યાં છે? કોલકાતા રેપ અને મર્ડર કેસના આરોપીઓને સજા થશે કે કેમ?

      ઉપરના બધા પ્રશ્નોનાં જવાબોનો જો સર્વે કરવામાં આવે તો 95% લોકો એવું કહેશે કે આમાથી કોઈને કઈ થવાનું નથી. અમને ખબર છે, આ લોકો પૈસા અને પાવરનો ઉપયોગ કરીને ગમે તેમ કરીને છટકી જશે. એટલે કે કોઈને સજા નહી થાય! આપણી આસપાસ આજકાલ જે કઈ થઈ રહ્યું છે, તેને જોઈને એવું નથી લાગી રહ્યું કે આ દેશમાં તમારી પાસે પૈસો અને પાવર બેમાથી કોઈ એક શક્તિ હોય એટલે તમને આ દેશનો કાયદો ટચ પણ નહી કરી શકે. આવા કેસોના ચુકાદાઓમાં એટલી બધી તારીખો પડે છે, કે પેઢીઓની પેઢીઓ બદલાય જાય છે, પણ કોઈ ચુકાદો આવતો નથી. ઉપરના જેવા મોટા ભાગના કેસોને એટલા બધા ખેંચવામાં આવે છે કે તેની સાથે જોડાયેલા બધા જ સાક્ષીઓ ફરી જાય છે, લોકો શું થયું હતું? એ ભૂલી જાય છે. સાચું બોલજો ઉપરના કેસોમાથી આપણને કેટલા યાદ છે? જ્યારે જુવાળ ઊભો થયો હતો, ત્યારે બધાને એવું લાગતું હતું કે સજા થવી જોઈએ, પણ હવે અત્યારે આપણે શું માની લીધું છે?

  હકીકત એ છે કે આ દેશમાં જ્યારે કોઈ આવો ચોંકાવી દેનારો કિસ્સો થાય ત્યારે થોડા દિવસો સુધી બધે જ એની ચર્ચા થાય છે, લોકો આંદોલનો કરવા રસ્તા પર ઉતરી આવે છે, મીણબત્તીઓ લઈને ન્યાય મળે તે માટે એક દિપક પ્રગટાવવાની કોશીશો થાય છે, પણ પછી થોડા જ સમયમાં એ દીપક ઓલવાઈ જતો હોય છે. સવારે ચા ની ચૂસકી સાથે વાંચેલી આ હેડલાઈન્સો વરાળ બનીને ક્યાય ઊડી જતી હોય છે. આપણે ત્યાં કોર્ટમાં કેસો એટલા લાંબા ચાલે છે. કે મૂળ કેસ જ ભૂલાય જતો હોય છે, અને કા તો એ આરોપીએ ગુનો કર્યો હતો, એ આ દેશની 142.67 કરોડની વસ્તીને ખબર હોય છે, પણ છતા પુરાવાઓના અભાવે તે છૂટી જતા હોય છે. યાદ કરો, સલમાનખાન વાળો હિટ એન્ડ રન વાળો કેસ! એ કેસ લગભગ 13 વર્ષો સુધી ચાલ્યો, પણ ચુકાદો શું આવ્યો? તે કેસ સાથે જોડાયેલા આઈ-વિટનેસ ની હાલત વિષે કોને ખબર નથી?

      ભારતની જુદી જુદી કોર્ટસમાં પેન્ડિંગ કેસોના આંકડા દેશના જી.ડી.પી. વૃદ્ધિદરની જેમ વધતાં જ જઇ રહ્યા છે. વિશ્વના સૌથી મોટા બંધારણમાં કાયદાઓ એટલા બટકણા છે, અને એમાં એટલા બધા છીંડા છે કે શક્તિશાળી આરોપીઑ આબાદ છટકી જતાં હોય છે. આ દેશમાં સેલેબ્રેટીઓ માટે, મોટા માણસો માટે, રાજકારણીઓના સગાવહાલાં માટે, ધનિક માણસો માટે, અને ગરીબ માણસો માટે અલગ આલગ કાયદાઓ છે! આગળના બધા જ ખરાબ કામો કરીને છૂટી જાય છે, જ્યારે જેની કોઈ પહોંચ નથી કે જેની પાસે પૈસો નથી તેઓ કાયદાની આંટીઘૂંટીમાં જકડાઈ જતાં જોય છે. આ દેશમાં સજા શબ્દ માત્ર પૈસા કે પાવર વગરના લોકોના શબ્દકોશમાં જ છે.

   જેઓ ન્યાયની અપેક્ષામાં પોતાના મંગલસૂત્ર પણ વહેંચી દેતાં હોય છે, તેવા સામાન્ય લોકો માટે આ કાચબા જેવી સિસ્ટમ સિવાય બીજો સહારો કોનો છે? અમુક કેસોના ચુકાદાઓ 32 વર્ષે, પણ આવે છે. વચ્ચેથી ત્રણ પેઢીઓ પસાર થઈ જાય પછી મળેલા ન્યાયનું શું મહત્વ? કેસ દાખલ કરનાર ઘણા લોકો તો મૃત્યને પણ પામી ગયા હોય છે. મોડે મોડે મળતો ન્યાય પણ અન્યાય સમાન જ ગણાય!

   આપણાં દેશમાં એક સક્રિય સિસ્ટમ છે, જ્યારે આવો કોઈપણ હાઇ-પ્રોફાઇલ કે લો-પ્રોફાઇલ કેસ માર્કેટમાં આવે, દરેકને તેમાં પોતાનો હિસ્સો જ દેખાતો હોય છે. રાજકારણીઓને તેઓનો, વકીલોને તેઓનો, પોલીસોને તેઓનો, મીડિયાવાળાઓને તેઓનો, વગેરે વગેરે સૌને સૌનો હિસ્સો મળી જાય એટલે કેસ બાષ્પ બનીને ઊડી જાય છે. ગુનેગારો આબાદ છટકી જાય છે. અને આની સૌથી મોટી આડઅસર એ થાય છે કે ગુનાઓ વધતાં જ જાય છે, કારણકે કાયદાઓનો કોઈને ડર નથી.

Wednesday, 11 December 2024

ગીતાજી... ઈશ્વરે આપણાં વાંચન પર મૂકેલી શ્રદ્ધા છે!!!

 

ગીતાજી... ઈશ્વરે આપણાં વાંચન પર મૂકેલી શ્રદ્ધા છે!!!

 Unveiling the Essence of the Bhagavad Gita: A Guide to Life's Ultimate  Learnings

 

કોણ એવું હશે? જેણે હતાશ, નિરાશ થઈને જિંદગીમાં એકવાર હથિયાર હેઠા મૂક્યા નહી હોય? કોણ એવું હશે? જેણે પોતાની જિંદગીના કુરુક્ષેત્રની લડાઈ અંગત સંબંધો સામે નહી લડી હોય? કોણ એવું હશે? જેને એકવાર તો જિંદગીમાં હું કોણ છુ” એવો પ્રશ્ન નહી થયો હોય? 142.67 કરોડ ભારતીયો, ભલે પછી તેઓ ગમે તે ધર્મને અનુસરનારા હોય, કોણ એવું હશે જેણે જિંદગીમાં એકવાર આ જ્ઞાન-ગંગામાં ડૂબકી મારવાનું નહી વિચાર્યું હોય? સાવ ખાલી થઈને કોઇની પાસે જઈએ તો શું મળી શકે? થાકીને, હારીને, નિરાશાના અંધકારમાં ગરકાવ થઈને કોઇની પાસે જઈએ તો શું મળી શકે? જ્યારે આત્મજ્ઞાન ખોટા સમયે પ્રગટે ત્યારે શું મળી શકે? જ્યારે જિંદગીના કુરુક્ષેત્રમાં અંગત માણસો સામે ધર્મ માટે લડવા અંગે મૂંઝવણ હોય ત્યારે શું મળી શકે? હું સક્ષમ છુ, છતાં લડી નહી શકું! એવા નકારાત્મક વિચારો મનને ધમરોળી નાખે ત્યારે શું મળી શકે?

  તમને થશે લેખ છે, કે પ્રશ્નબેંક? પણ જરા વિચારો એક પ્રિય મિત્ર પોતાના પરમ મિત્રને એક પછી એક એમ પ્રશ્નો પૂંછતો જાય અને બીજો મિત્ર તેને બધુ જ સમજાય ના જાય, તે લડવા માટે તૈયાર ના થઈ જાય ત્યાં સુધી જવાબો આપતો જ રહે, એ પણ જરાપણ ગુસ્સે થયા વિના! તો હું તમને એટલા પ્રશ્નો તો પુંછી જ શકું ને? જેથી તમને ખબર પડી જાય કે આજે એટલે કે માગશર શુદ અગિયારસના પાવન દિવસે આપણે વિશ્વને સદીઓથી મૂંઝવતા પ્રશ્નોનાં જવાબો આપનાર જીવંત પુસ્તકની વાતો કરવાના છીએ.

 5 હજાર વર્ષો પહેલા કુરુક્ષેત્રના ધર્મયુદ્ધ માં લડાઈ શરૂ થવાના થોડા સમય પહેલા અર્જુનમાં પ્રગટેલા ક-ટાઇમના આત્મજ્ઞાનને ( ભાગેડુવૃત્તિને) નિરાશાના અંધકારમાથી આશાના અંજવાળામાં લઈ આવવા બંને મિત્રો વચ્ચે જે સંવાદો થયા તે આજે પણ આ દેશની ગલીએ ગલીએ ગુંજી રહ્યા છે. આજે પણ લખાતું અને છપાતું દર ત્રીજું પુસ્તક ગીતાજીના વિચારોને આધારે ઘડાઈ રહ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટ થી લઈને રીલેશન મેનેજમેન્ટ સુધી બધુ જ મેનેજ કરવા ગીતાજીમાં શ્રીકૃષ્ણએ આપેલા વિચારોને લોકો અપનાવી રહ્યા છે.

   જીવનની વિપરીત પરિસ્થિતિઓ સામે લડવા બહાર ભટકતા રહેવું એના કરતાં અંદરનું જે જીવન આપણને બોલાવી રહ્યું છે, તેનો અવાજ સાંભળવા લોકો આ પુસ્તકને જીવતે-જીવ વાંચે તો એમાં મારે કેમ જીવવું? એ જાણવા માટેની શ્રદ્ધાના બીજ રોપાયેલા છે. આપણાં મનમાં ઉછળતા પ્રશ્નોને બંધ નથી કરવાના પણ જે કઈ સવાલો આપણને આપણાં અસ્તિત્વને લઈને ઊભા થાય છે, તે સઘળા પ્રશ્નોનાં જવાબો મેળવવા આ ગ્રંથને ઘરની અને જીવનની લાયબ્રેરીમાં સામે રાખવાનું છે,વાંચવાનું છે.

  દરેક પરિસ્થિતિને એકસરખી રીતે ફીલ કરતાં શીખી જઈશું તો તમામ વિપરીત અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની આપણી ઇમ્યુનિટી વધી જશે. મને કશું મળશે કે નહી? તે અપેક્ષામાં ફસાયા વિના પ્રયત્નો કરતાં રહીશું તો જિંદગીમાં જે મેળવવું છે, તે મળી રહેવાની આશાઓને કાયમ જીવંત રાખી શકીશું. જીવવા માટે, જીવી લેવા માટે સૌથી શ્રેસ્ઠ સમય વર્તમાન છે. મારુ અત્યારનુ, આ ક્ષણનું કર્તવ્ય શું છે? જેઓને આ પ્રશ્નનો જવાબ ગીતાજી થકી મળી જાય તેઓ સરદાર વલ્લભભાઈની જેમ ચાલુ અદાલતે પત્નીના મૃત્યુના સમાચાર વાંચીને પણ સ્વસ્થતાથી જીંદગીનો કોઈપણ અઘરો કેસ લડી શકે છે, જીતી શકે છે. આ તો માત્ર ટ્રેલર છે, આવા લગભગ દરેક સમસ્યાઓને લગતા સોલ્યુશન આ ગ્રંથ આપણને આપે છે.

  શ્લોકોની સંખ્યા, અધ્યાયોની સંખ્યા એ ગીતાજીનું વિષયવસ્તુ નથી. ઘણા લોકો આખી ગીતાજી મોઢે કરી લેતા હોય છે. પણ એનાથી શું થઈ જવાનું? આપણે ગીતાજી કેટલા ગોખ્યા? કેટલીવાર વાંચ્યા? એ મહત્વનુ નથી, મહત્વનું તો છે, કે ગીતાજી સાંભળ્યા બાદ કે વાંચ્યા બાદ આપણે અર્જુનની જેમ રીફ્રેશ અને અપડેટ થઈને લડવા તૈયાર થઈ ગયા કે નહી? આ ગ્રંથ જીવનમાં ઉતારવાનો છે. જ્યારે જ્યારે આપણે મૂંઝાઈએ ત્યાં માર્ગદર્શન મેળવવાનો ગ્રંથ છે. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ કોઈપણ યોગનો એકાદ શ્લોક પણ જીવનમાં છેક તળિયા સુધી લઈ જઇ શકીશું તોપણ જિંદગીને મોજ-મસ્તીથી જીવી શકીશું. જીવંત રાખી શકીશું. અરે મૃત્યુનો ડર ખતમ કરી શકીશું. જિંદગીને આત્માના રહસ્યો શોધવામાં વેડફી નાખવાને બદલે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન કેમ કરવું? આત્માનું સિગ્નલ સાંભળીને ખરાબ રસ્તે જતાં સ્ટોપ થઈ જવું, ખરાબ કર્મો કરતાં અટકી જવું બસ એ જ ગીતા જયંતીની સાચી ઉજવણી છે.

   હકીકત તો એ છે કે આ ગ્રંથનું જ્ઞાન આપ્યા બાદ આપણે યંગ જનરેશનને કઈ પણ નહી આપીએ તોપણ ચાલશે. સાહિત્યના અઘરા અર્થોમાથી, વિવેચનોમાથી, ગીતાજીને બહાર લઈ આવી સરળ ભાષામાં યંગ જનરેશનને તેઓની ભાષામાં જ તેઓ સુધી પહોંચાડી શકીશું. જેમ પ.પૂ. મોરારી બાપુ પોતાની રામકથા માં રામને, હનુમાનજીને અને રામાયણના સંદેશાઓને લોકોના હ્રદય સુધી પહોંચાડે છે, તેમ જ સ્તો!

          

  

 

  

 

Tuesday, 10 December 2024

જિંદગીનું બજાર, સુખની માંગ અને આપણે!!!


 જિંદગીનું બજાર, સુખની માંગ અને આપણે!!!

Diwali 2023: દિવાળીના તહેવારમાં કમાણી માટે કરો આ બિઝનેસ, 3 મહિનામાં બની જશો  લાખોપતિ!

 

 

જિંદગીનું બજાર માંગો ઊભી કરતું જ રહે છે, અને આપણે એ માંગના ચક્રવ્યૂહમાં એવા ફસાઈ જઈએ છીએ કે જિંદગી શાંતિથી જીવવાને બદલે આપણે દોડતા-ભાગતા જ રહીએ છીએ. આપણી આસપાસ રહેલી વસ્તુઓની આપણે યાદી બનાવીશું તો સમજાશે કે એ યાદીમાની મોટા ભાગની ચીજ-વસ્તુઓની જરૂરિયાતો બજારે ઊભી કરેલી છે!

  આપણે બજાર કહે એમ જિંદગી જીવવા લાગ્યા છીએ. વસ્તુઓના ઢગલા નીચે આપણા સૌનું સુખ દટાઈ ગયું છે. અરે આપણે સૌ લીટરલી એ ઢગલા નીચે કચડાઈ ગયા છીએ. જ્યાં સુધી માંગ=પુરવઠો હતો, આપણે સુખી અને સંતોષી હતા, પણ મશીન્સ દ્વારા ઢગલાબંધ ઉત્પાદન થવા લાગ્યું અને પરિણામે પુરવઠાનો વધારો બજાર પર ઠાલવી દેવાની વૃત્તિને કારણે માર્કેટિંગ વધી ગયું.

 અને એ માર્કેટિંગે આપણા સૌના જીવનમાં બિનજરૂરી વસ્તુઓનો ઢગલો કરી દીધો. એમાં વળી અમુક મોજશોખની વસ્તુઓને આપણે જીવનજરૂરી વસ્તુઓના લીસ્ટમાં ફેરવી દીધી અને હવે લોકોને જરૂરિયાતોની કોઈ ફિનિશિંગ લાઇન જ દેખાઈ નથી રહી.

બજારે રચેલા આ ચક્રવ્યૂહમાં મોટા ભાગના લોકો ફસાઈ ગયા છે. હવે લોકોને માત્ર ગાડી નહી, બીજા કરતાં વધુ સારી અને વધુ સારા ફીચરવાળી ગાડી જોઈતી હોય છે. એવું જ બીજા વ્હીકલ્સની ખરીદી બાબતે જોવા મળે છે. અરે લોકો આઈ-ફોન ખરીદી લેવા પોતાની કિડની પણ વહેંચી રહ્યા છે! આઈ-ફોન ખરીદવાનું ગાંડપણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.

  જેઓ પાસે અઢળક પૈસો છે, તેઓ મોટા ભાગે સાદાઈભર્યું જીવન જીવી રહ્યા છે, જ્યારે જેઓ પાસે નથી તેઓ આવી વસ્તુઓ પાછળ દોડી રહ્યા છે. એ પણ પોતાને  જરૂરી છે, એટલે નહી, પણ બીજા પાસે છે, એટલે! બજાર થોડા અપડેશન સાથે વસ્તુઓ લાવી રહ્યું છે, અને લોકો વિચાર્યા વિના એ વસ્તુઓ ખરીદવા પાછળ દોડી રહ્યા છે.

 લેટેસ્ટ આ છેતરામણો શબ્દ હવે બધાને છેતરી રહ્યો છે. અને લોકો આ લેટેસ્ટ ખરીદી લેવાની લ્હાયમાં ખરેખર જે ખરીદવાનું છે, તેને અવગણી રહ્યા છે. મોબાઈલ માટે ઘરે ઘરે ઝઘડા થઈ રહ્યા છે. આમ તો મોટાભાગની જરૂરિયાતોએ લોકોના ઘરોની શાંતિ છીનવી લીધી છે. અને આ જરૂરિયાતોએ જ લોકોને ગલત રસ્તે લઈ જવાનું કાર્ય કર્યું છે.

  બજારે ઊભી કરેલી કલ્પનાઓની દુનિયામાં માણસો એટલી હદે ભટકી રહ્યા છે કે કોઈને જે સાચું છે, એ દેખાઈ જ નથી રહ્યું. સાબુ અને વોશિંગપાવડરની કંપનીઓએ રચેલી ચમકમાં સૌ ગુમ થઈ ગયા છે. બજાર સાથે મળીને માર્કેટિંગે જે કાઇપણ આભાસી વિશ્વ ઊભું કર્યું છે, તેની જાળમાં સૌ એવા ફસાઈ ગયા છે કે વાત ના પુંછો. હકીકત તો એ છે કે માર્કેટિંગ માંગ ઊભી કરવામાં બજાર સાથે એવું મળી ગયું છે કે બંનેને એકબીજાથી અલગ જ કરી શકાય એમ નથી!

  માર્કેટિંગ ઈચ્છાઓ ઊભી કરે છે, અને બજાર એ ઈચ્છાઓને માંગમાં ફેરવવાનું કામ કરે છે. બજાર વસ્તુઓથી ઉભરાય રહ્યું છે અને લોકો એ વસ્તુઓને જોઈને જરૂર ના હોય છતાં ખરીદી કરવા લાગ્યા છે. મારે આ વસ્તુની જરૂરિયાત ખરેખર છે કે નહી, એ સમજવાની જ કોઈને જરૂર નથી લાગી રહી.

  એમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને બ્રાન્ડ નું ઘેલું લાગ્યું છે. વટ પાડવા માટે લોકો બ્રાન્ડની લહેરો સાથે ઉછળી રહ્યા છે. જુદા જુદા સામાજિક પ્રસંગોએ ભેગા થતાં લોકો બસ આ બ્રાન્ડની જ ચર્ચામાં મશગુલ હોય છે. પેલાએ કે પેલીએ આ બ્રાન્ડની વસ્તુઑ પહેરી છે, તેની ચર્ચાઓમાં કલાકો વિતાવતા લોકો પછી પોતે પણ એ બ્રાન્ડની વસ્તુઓ ખરીદવા પડાપડી કરતાં હોય છે.

  મોંઘીદાટ બ્રાંડેડ વસ્તુઓને પોતાનું સ્ટેટસ માનતા લોકો વધુ કમાય લેવાના ચક્કરમાં ગલત રસ્તે પણ વળી જતાં હોય છે. હવે લોકો માટે કાર અગત્યની નથી, અગત્યનું છે, સનરૂફ! બીજા કરતાં વધુ સારું જીવનધોરણ જીવવાના મોહમાં લોકો અંદરના જીવનને અવગણી રહ્યા છે.

  સુખ શોધવા ફાંફા મારતા લોકોને સુખ ક્યાય નથી મળી રહ્યું. અને તેઓ જેને સુખ માની રહ્યા છે, એ એવું મૃગજળ છે, જે નજીક આવતા જ ગાયબ થઈ જતું હોય છે. નક્કી આપણે કરવાનું છે કેવું જીવવાનું છે? જીવન બ્રાંડેડ હોવું જોઈએ. બસ

 બજારે ઊભી કરેલી આ બિનજરૂરી જરૂરિયાતોના પ્રવાહમાં આપણે તણાઇ ના જવા જોઈએ.

તો આવજો અને જીવજો.

Happy living!!!

 

 

 

 

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...