Wednesday, 10 December 2025

મૃત્યુ મળે એ પહેલા જીવી લઈએ, જેની સાથે જીવવું હોય તેની સાથે જીવી લઈએ....

 

 મૃત્યુ મળે એ પહેલા જીવી લઈએ, જેની સાથે જીવવું હોય તેની સાથે જીવીલઈએ....

  

 5 moving, beautiful essays about death and dying | Vox

 

 

 

 

   હમણાં અમારા ગામ નજીક એક અકસ્માત થયો, આમ તો અકસ્માત થવા એ આ દેશમાં કોઈ નવી વાત નથી, પણ આ અકસ્માત એટલા માટે યાદ રહી ગયો કે એમાં એક એવી વ્યક્તિ મૃત્યુ પામી, જે ભટકાયેલા એકપણ વાહનમાં નહોતી બેઠી! એક જૈન સાધ્વીજી હતા, જે ચાલીને બીજે ગામ જતાં હતા, હવે અરસપરસ ભટકાયેલા બે વાહનોમાથી એક વાહન જે અનાજની ગુણોથી ભરેલું હતું, તેમાથી ગુણો તે સાધ્વીજી પર પડી, અને તેઓ મૃત્યુ પામ્યા. આશ્ચર્યની વાત એ છે કે ગાડીના જે ડ્રાઇવરની ઓવર સ્પીડે અકસ્માત સર્જ્યો હતો, એ ડ્રાઈવર બચી ગયો!

 મૃત્યુ ક્યાથી કઈ રીતે આપણને જિંદગીથી અલગ કરી દે છે? કોઈને ખબર નથી. તમને યાદ હોય તો અમદાવાદમા પ્લેન ક્રેશ થયું, ત્યારે પ્લેનમાં હતા તેમાથી એકને બાદ કરતાં બાકીના તો મૃત્યુ પામ્યા જ પણ સાથે સાથે એ પ્લેન જ્યાં ક્રેશ થયું, એ મેડિકલ કોલેજના અનેક વિદ્યાર્થીઓ અને બીજા અનેક લોકો મૃત્યુ પામ્યા...

 મૃત્યુ જીવનની સૌથી નિશ્ચિત ઘટના છે, પણ સાથે સાથે સૌથી અનિશ્ચિત પણ તે જ ઘટના છે. ક્યારે ક્યાં સ્વરૂપે એ આપણી પાસે આવે અને આપણને નવા જીવન તરફ લઈ જાય, તેની કોઇની પાસે માહિતી નથી હોતી, અને કદાચ હોત તો પણ આપણે મૃત્યુને રોકી શકતા નથી.

 આમ પણ આ બ્રહાંડમાં મૃત્યુથી વધુ રહસ્યમય કોઈ નથી. મૃત્યુ પછીના જીવન વિષે લગભગ બધાને જાણવાની જિજ્ઞાસા હોય છે, પણ કોઈ પાસે એ જીવન વિષેની સચોટ માહિતી નથી.... દરેક ધર્મની મૃત્યુ વિષેની સંકલ્પનાઓ અલગ અલગ હોય છે. માન્યતાઓ જુદી જુદી હોય છે.

 આવી રીતે એક દિવસ આપણને સૌને પણ મૃત્યુ શોધી જ લેશે. એક શ્વાસ પણ ઉછીનો મળવાનો નથી, ગમે તેટલું બાકી રહી ગયું હશે, છોડીને જવું પડશે એટલે જવું જ પડશે! ઉપરની બંને ઘટનાઓમાં એવા લોકો મૃત્યુ પામ્યા હતા કે જેઓને એ અકસ્માત સાથે કોઈ લેણ-દેણ જ નહોતી!

મૃત્યુ આપણી પાસેથી શું લઈ જાય છે? એ તો કોઈ નજીકની વ્યક્તિ છોડીને જાય ત્યારે જ સમજાતું હોય છે. ત્યારે મૃત્યુ જેટલું ક્રૂર કોઈ નથી લાગતું... વર્ષોના સંબંધો એક જ ઝાટકે દૂર થઈ જતાં હોય છે, એ સંબંધના દૂર થઈ જવાથી જિંદગીમાં જે ખાલીપો આવે છે, એ ક્યારેય ભૂલી શકાતો નથી, હા પણ પૂરી શકાય છે, ખરો!

અચાનક મૃત્યુ એકદમ ભયાનક ચિત્ર આપણી સમક્ષ ખડું કરી દેતું હોય છે. જેને યાદ કરીને આપણે જીવીએ છીએ, ત્યાં સુધી દર્દ ફીલ કરતાં રહીએ છીએ. મૌતની હાજરી કોઈ ગમે તેટલી સમજાવે પણ ઘરમાથી કોઈ કાયમ માટે ચાલ્યું જાય, ત્યારે આંસુઓને અને થોડા દિવસો સુધી એ એકલતાથી આપણે આપણી જાતને દૂર કરી શકતા નથી.

એક વ્યક્તિ કે જે આજ સુધી આપણી સાથે હતી, તે નેક્સ્ટ મોમેન્ટથી આપણી પાસે નહી હોય.... (સાથે તો એ વિચારો અને અહેસાસો રૂપે કાયમ હોય છે.) એ  ફીલિંગ જ આપણને જિંદગીમાં ખાલી ચડી ગઈ હોય તેવો અહેસાસ કરાવતી રહે છે.

 મૃત્યુ એ નવા જીવનની શરૂઆત છે, એ હવે લગભગ આપણને સૌને સમજાય ગયું છે. જે જતું રહ્યું છે, એ એવી દુનિયામાં જતું રહ્યું છે કે ત્યાથી કદી પાછું નથી આવવાનું.... એ પોતે એક એવા નવા વિશ્વમાં એન્ટર થવાનું છે, જ્યાં જૂના એકપણ સંબંધો નહી હોય.... જેટલા વર્ષો જીવ્યા એટલા વર્ષો સુધી જેની જેની સાથે જે પ્રકારના સંબંધો હતા, એ હવે તેઓ હવે ભૂલી ગયા છે.

  સ્મશાનમાં આપણે તેઓને રાખમાં ભળતા જોઈશું તો સમજાશે કે આ જીવન જેમાં આપણે ડગલે ને પગલે સ્ટેટસ અને સામાજિક માપદંડોને આધારે અહમ અને પૂર્વગ્રહોને મનમાં ભરી જિંદગીને વેડફી નાખતા હોઈએ છીએ, તે આપણી સૌથી મોટી ભૂલ છે, જો કે એ સ્મશાનવૈરાગ્ય બહુ જાજુ નથી ટકતું, થોડા દિવસો પછી વળી પાછા જિંદગીના એ જ પ્રવાહમાં આપણે ભળી જતાં હોઈએ છીએ.

મૃત્યુને જો કે બહુ નજીકથી જોવાની જરૂર નથી, કારણ કે એક દિવસ એ આપણને નજીકથી જોઈ જ લેવાનું છે, નજીકથી જોવાની જરૂર છે, જિંદગીને.... જિંદગી જ અઘરી છે, મૃત્યુ તો એકદમ સરળ છે. માટે જિંદગીને એ જ્યારે પણ આપણી પાસે આવે, જીવી લઈએ.

 જે જતાં રહ્યા, તેઓ સાથે હજી માટે જીવવાનું રહી ગયું, એ અફસોસ જીંદગીનો સૌથી મોટો અફસોસ બની જતો હોય છે. કેટલું બધુ એવું છે, જે જીવવાનું રહી જાય છે અને આપણે આપણી નજર સામે એ વ્યક્તિઓને જતાં માત્ર જોઈ રહીએ છીએ, કશું કરી શકતા નથી...

 હાથ પકડીને દૂર સુધી ચાલવું હતું, સાથે ફરવા જવું હતું, વરસાદમાં ભીંજાવવું હતું, આ યાદી લાંબી લાંબી બાકી જ રહી જાય છે. અને આપણે હજી સમય છે, એ વહેમમાં એ ક્ષણોને ટાળતા રહીએ છીએ.

 મૃત્યુ જેને લઈ જાય છે, એ વ્યક્તિ અને વીતી ગયેલો સમય ક્યારેય પાછા આવતા નથી, માટે બધુ જ છોડીને જેની સાથે જીવી લેવું છે, એ વ્યક્તિઓ સાથે જીવી લઈએ. અને જે ક્ષણોને માણવી છે, તેને માણી લઈએ.

 મૃત્યુ સ્પર્શી જાય એ પહેલા એ વ્યક્તિને સ્પર્શી લઈએ, મળેલી જિંદગીને છેક સુધી જીવી લઈએ. 

 તસ્વીરોની સામે જોઈને રડયા કરવું, એના કરતાં જીવંત વ્યક્તિઓ સાથે જીવી લઈ, એ સંવેદનાઓને સ્મૃતિઓ સ્વરૂપે યાદ કરતાં રહેવું વધુ મહત્વનુ છે.... 

No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...