Saturday 31 August 2019

પર્યાવરણ અને આપણે,


પર્યાવરણ અને આપણે,




આપણે આર્યો એવુ માનીએ છીએ કે કુદરત થી મોટું કોઈ નથી. આપણે સ્વભાવથી પ્રકૃતિ-પ્રેમી પ્રજા છીએ. પ્રાચીન સમયથી આપણે પ્રકૃતિની પૂજા કરતા આવ્યા છીએ. આપણાં સૌ માટે નદી,સાગર,વૃક્ષ,પશુ,પક્ષી પર્વત આકાશ,સૂર્ય, ચંદ્ર આદી બહુ અગત્યની બાબતો છે. આપણે પ્રકૃતિના આ દરેક તત્વને પૂજીએ છીએ. એને માન,સન્માન આપતા હતા. તમને થશે કે આપતા હતા કેમ લખ્યું? હવે આપણે કુદરતના આ તમામ તત્વોને માન-સનમાન આપવાનું ભૂલી ગયા છીએ. અરે આપણે કુદરતથી જેટલા નજીક હતા એટલા જ દૂર થઈ ગયા છીએ.સ્વામી દયાનંદ સરસ્વતીએ જેમ લોકોને વેદો તરફ પાછા વળો એવુ સૂત્ર આપ્યું હતું એમ આપણે કુદરત તરફ પાછા વળો એ સૂત્ર જીવનમાં ઉતારવાનો સમય આવી ગયો છે. ટેકનોલોજિના આ યુગમાં આપણે આપણા આ પ્યારા મિત્રોને સાવ ભૂલી ગયા છીએ. વિકાસની આંધળી દોટમાં આપણે આ ઉપયોગી મિત્રો તરફ જાણે જોવાનું જ ભૂલી ગયા છીએ. પ્રકૃતિના આ તમામ તત્વો આપણને સાદ પાડી પાડી બોલાવી રહ્યા છે,પણ આપણે ઘોંઘાટ વચ્ચે કશું જ સાંભળી રહ્યા નથી. આપણે આપણી અવિચારી પ્રવૃતિઓ થકી આ કુદરતથી એટલા બધા દૂર ચાલ્યા ગયા છીએ કે છેલ્લે આપણે પક્ષીઓનો કલરવ ક્યારે સાંભળ્યો હતો એ પણ યાદ નથી! ક્યારે કોઈ વૃક્ષની છાયા નીચે બેસી આપણે વૃક્ષ સાથે સંવાદ કર્યો હતો એ પણ આપણને યાદ નથી!  અરે આ ભાગ-દોડમાં આપણે ક્યારે છેલ્લે આકાશ તરફ જોયું હતું એ પણ યાદ નથી. કુદરત સાથેનો આપણો સંબંધ ધીમે- ધીમે સાવ છૂટતો જાય છે.
 હવે આ બાબતની બીજી સાઈડ જોઈએ. આપણે મૂળ છીએ તો પ્રકૃતિના જ સંતાનો, એટલે એના વિના રહી તો શકીએ જ નહીં! તો આપણે શું કરી રહ્યા છીએ, ઓરિજિનલ પ્રકૃતિને ભૂલતા રહીએ છીએ અને પછી ડુપ્લિકેટ પ્રકૃતિ પાછળ દોડતા રહીએ છીએ. ના સમજાયું, ચાલો સમજીએ. આપણે વૃક્ષો કાપી જંગલોનું પ્રમાણ ઘટાડી નાખ્યું, જંગલો અત્યારે આપણી પાસે હોવા જોઈએ એના કરતાં સાવ ઓછા છે, અને હવે આપણે ઓરિજિનલ જંગલો છોડી, સફારી પાર્ક અને જુદા જુદા રીસોર્ટમાં ફરતા રહીએ છીએ, હકીકત તો એ છે કે આવી જગ્યાએ ફરવાના આપણે ખૂબ ઉચ્ચા ચાર્જ ચૂકવતા હોઈએ છીએ. છીએ ને આપણે પણ કમાલ! ઈશ્વરે બનાવેલું બુદ્ધિશાળી પ્રાણી એટલે માણસ! નદી, તળાવ, નાળા, ઝરણા દરિયાઓ આ બધુ જ આપણને ઈશ્વરે આપ્યું છે, છતા આપણે આ બધુ છોડી સ્વિમિંગ કરવા વોટર પાર્કમાં દોડીએ છીએ. એ પણ પૈસા આપીને. વરસાદ આવે છે, ત્યારે ઘરમાં કે ઓફિસમાં બેસી રહીએ છીએ અને પછી રેન-ડાંસના પૈસા ચૂકવીએ છીએ. લોકો વૃક્ષોને કાપતા રહે છે, પણ પછી વૃક્ષોનો આનંદ માણવા રીસોર્ટનો સહારો લે છે. એ પણ હજારો રૂપિયા ખર્ચીને. છે ને કમાલ! કુદરતે આપણને સઘળું ઓરિજિનલ આપ્યું છે, પણ આપણે એને સમજી શકતા નથી. હકીકતમાં તો આપણે સૌ કુદરતને છોડી કુદરત તરફ દોડતા રહીએ છીએ.
લોકો પર્યાવરણ ને નુકસાન ના પહોચાડે એટલે આપણે તેને ધર્મ સાથે જોડી દીધું તો લોકો એ ભૂલી ગયા કે ધર્મ એટલે પર્યાવરણ ની જાળવણી! એને બદલે આપણે ધર્મ જાળવવા માંડ્યા અને પર્યાવરણ ને ભૂલી ગયા! વૃક્ષને આપણે પૂજીએ છીએ પણ એને કપાતા અટકાવી શકતા નથી. ક્રોકિંટ ના જંગલોમાં વૃક્ષોના જંગલો તો જાણે સાવ ખોવાય જ ગયા છે. નદીઓને આપણે માતા માનીએ છીએ પણ માતા જેવુ સન્માન આપી શકતા નથી. નદીઓના ઘાટ આપણે એટલા બધા ગંદા કરી મૂક્યા છે કે એને પવિત્ર કેમ માનવા એ જ પ્રશ્ન છે. જેને આપણે પવિત્ર માનીએ છીએ એને જ આપણે જાળવી શકતા નથી. દરિયાઓની પણ એ જ હાલત છે.  પર્વતો પણ પ્રદુષિત થવામાથી બાકાત નથી. પર્વતારોહકો સાથે જે કચરો લઈ જાય છે,એ ત્યાં જ છોડ્તા આવે છે, અને પરિણામે એ પણ આપણી બેદરકારીનો ભોગ બની ચૂક્યા છે. આપણી બેદરકારીએ પશુ-પક્ષીઓનો પણ એટલો જ ભોગ લીધેલ છે. એના રહેઠાણ એવા જંગલોને આપણે આડેધડ કાપી રહ્યા છીએ. કોઈ આપણું ઘર તોડી નાખે તો આપણી શું હાલત થાય? જો કે એવી સંવેદનાઓ અનુભવવાનો સમય આજે આપણી પાસે રહ્યો નથી. હકીકત તો એ છે મિત્રો કે મશીન સાથે રહી આપણે પણ મશીન જેવા બની ગયા છીએ. કુદરત વિષે વિચારી શકીએ એવી સંવેદના જ આપણામાં રહી નથી. કુદરત સાથે પણ આપણો કોઈ સંબધ છે, એ આપણે સાવ ભૂલી ગયા છીએ. જંગલો કપાવાને લીધે પશુ-પક્ષીઓના કુદરતી રહેઠાણો તૂટી રહ્યા છે. પણ આપણે શું? આપણે તો આપણા ઘરોમાં સુરક્ષિત છીએ ને?
પર્યાવરણનું એકે એક તત્વ આપણાથી ત્રસ્ત છે. જમીન, હવા,અવકાશ,પાણી પ્રત્યેક જગ્યાએ આપણે પ્રદૂષણ ફેલાવી દીધું છે. આપણે જ્યાં જયા પહોચ્યા છીએ પ્રદૂષણ ફેલાવી દીધું છે. આપણી પૃથ્વી ને આપણે રહેવાલયક રહેવા દીધી નથી. આપણે સૌ અંદરથી જાણીએ છીએ કે કુદરત વિના આપણે ચાલવાનું નથી પણ વિકાસની દોટે આપણને બધૂ જ વિસરાવી દીધું છે. પર્યાવરણની સુરક્ષા માટે આપણે કેટલાયે દિવસો ઉજવીએ છીએ, પણ આપણે એ નથી સમજતા જે પર્યાવરણ આપણી આસપાસ કાયમ રહે છે, એને જાળવવાની આપણી જવાબદારી પણ કાયમની હોય છે. જેટલા આપણે પર્યાવરણ ની નજીક રહી એને જાળવીશું એ પૂરા વળતર સાથે આપણને મળવાનું છે. વૃક્ષ વિનાના જીવન અને માનવની કલ્પના થઈ શકે એમ નથી. છતા આપણે સમજતા નથી. પર્યાવરણની ચિંતા કરનારાઓ, સરકાર, છાપાવાળા,સોસિયલ મીડિયા વાળા બધા જ આપણને વારંવાર યાદ અપાવતા રહે છે, પણ આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી એકપણ જવાબદારી નિભાવતા નથી. કોઈનું નહીં માનવાનું એ આપણે સૌએ નક્કી કરી લીધું છે. કેમ ખરું ને? આપણે સૌ કાલિદાસની જેમ એ જ ડાળ કાપી રહ્યા છીએ, જેના પર આપણે સૌ બેઠા છીએ. હજી મોડુ નથી થયું. જો આપણે બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરી પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજો નિભાવીશું તો આપણે આપણા આ મિત્રને પાછો મેળવી શકીશું.
પ્લાષ્ટિક જેવા ખતરનાક પદાર્થોનો આપણે ત્યાગ કરવો પડશે, વૃક્ષો ઉગાડી ઉછેરવા પડશે, પાણીને ગંદુ થતું અટકાવવું પડશે, હવા શુધ્ધ રાખવાના પ્રયાસો કરવા પડશે, પશુ-પક્ષીઓ સાથેની આપણી જૂની મિત્રતા પાછી કેળવવી પડશે, ધરતીમાતાનું ધોવાણ અટકાવવું પડશે, જ્યાં ત્યાં કચરો ફેકવાનું બંધ કરવું પડશે, સાઇકલ ચલાવવાનું ફરીથી શરૂ કરવું પડશે,આપણી પર્યાવરણ પ્રત્યેની તમામ ફરજો આપણે નિભાવવાનો સમય આવી ગયો છે. હવે નહીં જાગીએ તો આ આપણો મિત્ર આપણાથી કાયમ રિસાય જવાનો છે. ચાલો સૌ સાથે મળી પ્રકૃતિનો નાદ સાંભળીએ અને પ્રકૃતિ સાથે જીવવાની ટેવ પાડીએ. પ્રકૃતિ આપણને બધુ ફ્રીમાં આપે છે, છતાં એનું મુલ્ય સમજીએ અને તેના પ્રત્યેનું ઋણ ચૂકવીએ. ઈશ્વરે આપેલી બુધ્ધિનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.
ચાલો આપણો બેસ્ટ ફ્રેન્ડ આપણને બોલાવી રહ્યો છે. આપણે સૌ એના વિના અધૂરા છીએ.



Monday 12 August 2019

શિક્ષણ,સગવડ અને આપણે..............


શિક્ષણ,સગવડ અને આપણે.............. 











      જો કોઈ આપણને પૂછે કે શિક્ષણ અને સગવડો વચ્ચે કોઈ સંબંધ છે? તો આપણે સૌ શું જવાબ આપીશું? માણસ અગવડો વેઠીને વધુ શીખે છે કે પછી સગવડો વચ્ચે ઉછરીને? શું આ સગવડો સારા ‘શિક્ષણ’ નું સ્થાન લઇ શકે? કે પછી ભણવા માટે એ.સી. ક્લાસ કે લેટેસ્ટ સગવડો જરૂરી છે ખરી? જવાબ વિચારજો અને પછી આગળ વાંચજો.



કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સીટીનું કે પછી કોઈ કલાસીસનું બ્રોશર જોઈએ, વાંચીએ તો આજે આપણને લાગે આ બ્રોશર કોઈ ફાઈવસ્ટાર હોટેલનું છે કે પછી કોઈ શૈક્ષણિકસંસ્થાનું! લેટેસ્ટ ક્લાસરૂમ, લેટેસ્ટ બિલ્ડીંગ, એ.સી. લેટેસ્ટ ફર્નીચર, લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, લાયબ્રેરી,લેબોરેટરી (જેનો ઉપયોગ થતો પણ હશે કે કેમ!), અરે ઘણી સંસ્થાઓમાં તો લીફ્ટ પણ હોય! સારામાં સારી સુવિધાઓ સાથેનું સુસજ્જ બિલ્ડીંગ હોય! સરસ મજાનો બાગ, સાથે વિશાળ રમતનું મેદાન પણ જ્યાં રમવા જવાનું ક્યારેક જ બનતું હોય. પછી વર્ણન હોય ટોપમાં આવેલા વિદ્યાર્થીઓનું અને છેલ્લે આવે વાયદાઓ! તમારા બાળકોનું આમ કરી નાખીશું અને તેમ કરી નાખીશું. એને આવા બનાવી દેશું અને તેવા બનાવી દઈશું. એની સર્જનાત્મકતા સવારી દેશું. એને સફળતાના શિખરે પહોચાડી દઈશું. સર્વાંગી વિકાસ કરીશું વગેરે વગેરે. અરે બ્રોશર વાચી આપણને એમ થાય આ દેશમાં બધા બાળકો ડોક્ટર, એન્જીનીયર, પ્રોફેસર, વકીલ, જ બનશે. ( નેતાઓ અને ધર્મગુરુઓ ઉંચી પોસ્ટ છે, એના માટે સ્કૂલ જાવું જરૂરી નથી એટલે અહી સમાવેશ કર્યો નથી.) અને જો એ નહિ બની શકે તો કોઈ મોટા કલાકારો બની જશે. પણ હકીકત તો એ છે કે જેટલા સારા બ્રોશર બને છે, જેટલું ઉમદા માર્કેટિંગ થાય છે, એટલું સારું શિક્ષણ અપાતું નથી. આમાં એક પેજ જે વિદ્યાર્થીઓ સારા રેન્ક લઇ આવે એને હાથમાં કપ લઇ ઉભા રાખનારનું પણ હોય છે. પી.આર. ની રેલમછેલ! આપણને એમ થાય ૧૦૦ કરતા આંકડો ક્યાંક વધી નાં જાય! જેને માર્ક ઓછા આવે એને તો એવું લાગે આપણે ક્યાં ગ્રહ પર આવી ગયા! બિચારા એકલા અટુલા. અને માતા-પિતા આ માર્કેટિંગ થી પ્રેરાઈ લાખો રૂપિયા પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચી નાખે. અરે ઘણા ઘરોમાં તો બાળકોના શિક્ષણની એટલી બધી ચર્ચા થતી હોય આપણને લાગે આનાથી મોટી કોઈ રાષ્ટ્રીય સમસ્યા જ નથી. ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતા પણ આ રેસમાં જોડાય જાય. લોકો પોતાની આવકનો મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચતા રહે છે, પણ એ રોકાણનું યોગ્ય વળતર મળતું નથી. પણ એને માટે શિક્ષણ-સંસ્થાઓ જવાબદાર નથી, જવાબદાર તો માતા-પિતા પોતે હોય છે, જે સ્ટેટસ માટે, દેખા-દેખી ને લીધે પોતાના સંતાનોને ખુબ ઉંચી ફી આપી ભણાવે છે.
 હવે બીજી વાત, રીઝલ્ટ આવે એટલે તમે સૌ જાણો છો, જે વિદ્યાર્થીઓના રેન્ક ઊંચા હોય, જેઓના પી.આર. ઊંચા હોય તેઓના ઈન્ટરવ્યું વર્તમાનપત્રોમાં આવે છે. એ ઈન્ટરવ્યું જો આપણે સૌ ધ્યાનથી વાંચીએ તો સમજાશે કે રેન્ક લાવનાર વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ આવે છે? રેન્ક લાવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ જાત-મહેનત દ્વારા આગળ આવ્યા હોય છે. તેઓ કોઈપણ જાતની વિશેષ સગવડ વિના આવું પરિણામ લઈને આવ્યા હોય છે. અરે એમાંથી મોટા ભાગના તો એવા ગરીબ માતા-પિતાના સંતાનો હોય છે, જેઓ ને જીવનની પાયાની જરૂરીયાતો પણ મળતી હોતી નથી. કોઈ શેરીના થાંભલે બેસીને તો કોઈ પિતાજીની સાવ નાની દુકાનમાં બેસીને તો કોઈ  તમામ ઘરનું કામ કાર્ય પછી પણ ભણીને આગળ આવેલા હોય છે. જે વિદ્યાર્થીઓ આટલી આટલી અગવડો વચ્ચે આવું સુંદર પરિણામ લાવે છે, સૌ તેની નોંધ લે છે, તેઓને કોઈ જ પ્રકારના માર્કેટિંગની જરૂર પડતી નથી. આવા વિદ્યાર્થીઓ અનેક અગવડો વચ્ચે પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવામાં સફળ રહે છે. સંઘર્ષ  રોજ તેઓના દરવાજા ખખડાવતો રહે છે, પણ તેઓ અટકતા નથી. સખત પરિશ્રમ દ્વારા તેઓ આગળ આવતા રહે છે. અરે ઘણીવાર તો માતા-પિતાને ખ્યાલ પણ નથી હોતો કે તેઓનું સંતાન આટલું પ્રતિભાશાળી છે. આમપણ મિત્રો કમળ કાદવમાં જ ખીલે છે. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ કોઈપણ કલાસીસમાં પણ જતા હોતા નથી. સ્કૂલમાં શીખવાડે એનું પૂનરાવર્તન કરી ના સમજાય એની પાછળ જાતે મથી શીખતા હોય છે.
તમે G.P.S.C. કે U.P.S.C. ના પરિણામો અને ઇન્ટરવ્યુ તપાસસો તો ખ્યાલ આવશે કે આમાં પણ એવા જ વિદ્યાર્થીઓ નંબર છે કે પાસ થાય છે, જેઓ સાવ સગવડો વિના મહેનત કરતા હોય છે. તેઓમાંથી પણ ઘણાના માતા-પિતા પાસે બે ટંક જમવાનું પણ હોતું નથી. હાથ-રીક્ષા ચલાવનાર, કે ઓટો-રીક્ષા ચલાવનાર કે મજુરી કરનાર માતા-પિતા ના સંતાનો સખત મહેનત કરીને આગળ આવતા હોય છે. આપણી સમક્ષ એવા ઘણા ઉદાહરણો છે, જેઓ સખત ગરીબીમાં ઉછરીને આગળ આવેલા હોય છે. ડો. એ.પી.જે.અબ્દુલ કલામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે! જેઓ સ્ટ્રીટ લાઈટ નીચે ભણીને આગળ આવેલા છે. હકીકત તો એ છે કે સગવડતાઓ અને શિક્ષણને કોઈ સંબંધ હોતો નથી. હોશિયારી અને સગવડોને પણ કોઈ સંબંધ નથી. ( જો કે હોશિયારી એ કોઈ જ્ઞાતિનો ઈજારો નથી હોતી.) જેની અંદર પ્રતિભા અને ધગશ હોય એ બહાર આવ્યા વિના રહેતી નથી. એના માટે પ્રેરણા અને પ્રેરકબળ જ જરૂરી હોય છે. કોઈ વિશિષ્ટ સુવિધાઓ જરૂરી હોતી નથી. આપણે નાનપણથી જ શીખતા આવ્યા છીએ કે ફૂલો કાંટાઓ વચ્ચે જ ખીલે છે. ફૂલોની મહેંકને કોઈ રોકી શકતું નથી એમ જ વ્યક્તિમાં રહેલી ધગશ અને પ્રતીભાને કોઈ રોકી શકતું નથી.
હમણાં હમણાં એક મુવી આવ્યું છે. ‘સુપર૩૦’ જેમાં આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એક ઘગશ વાળો શિક્ષક કોઈપણ જાતની સુવિધા વિના ૩૦ ગરીબ બાળકોને ભણાવી IIT માં એડમીશન અપાવે છે. જેનામાં ઇચ્છાશક્તિ અને હોશિયારી છે, તેને તમે સાવ સામાન્ય નિશાળમાં ભણાવશો તો પણ એ આગળ વધી શકશે. તેની અંદર પ્રતિભાની જે કઈ આગ છે, એ બહાર આવ્યા વિના રહેવાની નથી. માટે આપણે સમજીએ અને આપણા સંતાનોને સગવડોના ભાર નીચે દબાવવાનો પ્રયત્ન ના કરીએ.એને જાતે જ વિકસવા દઈએ. પ્રથમ વાર ચાલવાનું શીખતા બાળકનો માત્ર હાથ પકડવો પડે છે, એ ચાલતા શીખી જાય એટલે એ સહારો છોડી દેવો પડે છે.એમ જ સગવડોનો સહારો પણ છોડી દેવો જોઈએ. જરૂર પૂરતું એને આપીએ અને બાકીના માટે એને જાતે લડવા દઈએ. કેમ ખરું ને?

Monday 29 April 2019

એકલા ચાલો, અને આપણે,


એકલા ચાલો, અને આપણે,



                                  
 ekla chalo re images के लिए इमेज परिणाम










 અટલ બિહારી વાજપાઈ, દશરથ માંઝી, અન્ના હઝારે, બાબા રામદેવ, હેનરી ફોર્ડ,રાજા રામ મોહનરાય, આ બધા જ મહાનુભાવોમાં કયું સામ્ય રહેલું છે, કોઈ પૂછે તો સૌનો જવાબ તેમણે મેળવેલી સફળતાને આધારે અલગ અલગ હશે. પણ જો મારા આજના આર્ટીકલના શીર્ષક ને ધ્યાનમાં લઈએ તો હું કહીશ આ બધા અને જેણે આ વિશ્વને બદલવામાં પોતાનો અદ્વિતીય ફાળો આપ્યો છે, એ બધા જ લોકોએ જયારે પોતાના કાર્યની શરૂઆત કરી ત્યારે તેઓ એકલા હતા. એક વિચાર સાથે તેઓ વિશ્વમાં આવ્યા અને આજે એ વિચાર સમગ્ર દુનિયા માટે પ્રેરણા આપનારો બની રહ્યો છે. આ લોકોએ જયારે ચાલવાની શરૂઆત કરી સમગ્ર સંઘર્ષ દરમિયાન તેઓ એકલા હતા પણ જયારે એ સંઘર્ષ સફળતામાં ફેરવાયો ત્યારે તેઓ સાથે આખી દુનિયા હતી. આપણે સૌ હમેંશા એવું વિચારતા હોઈએ છીએ જયારે કોઈ નવી શરૂઆત કરવી હોય ત્યારે કે મારા એકલાથી શું થશે, મને કોણ સાંભળશે અને હું એકલો/એકલી આ સંઘર્ષ કેવી રીતે પાર કરી શકીશ. આપણે જયારે એવું વિચારતા હોઈએ છીએ ત્યારે આપણને આપણામાં રહેલી શક્તિઓ પર વિશ્વાસ હોતો નથી અગર તો આપણે આપણી જાતને ‘અન્ડરએસ્ટીમેટ’ કરતા હોઈએ છીએ. પણ ઈશ્વરે આપણને મોટીવેટ કરવા એવા એવા ઉદાહરણો આપણી સમક્ષ મુક્યા છે, જેના થકી પ્રેરણા લઇ આપણે આપણી શક્તિઓને ઓળખી કોઇપણ રસ્તે ‘એકલા’ ચાલી સફળ થઈએ કે ના થઇએ પણ આગળ વધી શકીએ છીએ. યાદ રાખવું સફળ થવું એ કોઈપણ પ્રયત્નોનો માપદંડ નથી. આપણે જે પ્રકારનું જીવન જીવવા ઈચ્છતા હોઈએ એ જીવવા મળે એ પણ સફળતા જ છે.પણ એના માટે પણ એકલા એકલા જીવનના રસ્તાઓ પર ચાલવું જ પડે છે, આમપણ જીવનનો સંઘર્ષ જેટલા એકલે હાથે લડીશું, એટલા જ પરિણામો વધુ મીઠા લાગશે.
   આગળના ફકરામાં જેટલા જેટલા મહાનુભાવોની વાત કરી છે, એ બધાને આજે આખી  સલામ કરે છે, પણ તેઓએ જયારે શરૂઆત કરી હશે, કેટલા મજબુત મનોબળ સાથે કરી હશે. અટલ બીહારી વાજપાઈએ જયારે જનસંઘ વિખેરી ૬ એપ્રિલ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી તેઓ સાવ એકલા હતા.૧૯૮૪માં તેઓની પાર્ટીએ માત્ર બે જ બેઠકો જીતી હતી. એકવાર તો તેઓ હાર્યા પણ ખરા.પણ હાર માને એ વ્યક્તિત્વ જ તેઓનું નહોતું. અને આજે એ ભારતીય જનતા પાર્ટી ભારતની સૌથી મોટી પોલીટીકલ પાર્ટી છે. તેઓ ભારતનાં પ્રથમ બીનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા. ૧૯૮૦ માં પાર્ટીની સ્થાપના બાદ તેઓએ  આખા ભારતમાં ભ્રમણ કર્યું અને લાખો કાર્યકર્તાઓને બીજેપી તરફ વાળ્યા. આજે ભલે આ પાર્ટી નરેન્દ્ર મોદીના ના નામે ઓળખાય છે, પણ એની સ્થાપના અને વિકાસનો સંપૂર્ણ શ્રેય અટલજી  ને જ મળવો રહ્યો.અટલજી એ વિચાર્યું હોત કે  હું એકલો શું કરી શકું? તો આજે આ પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ ના હોત! આ લેવલે પાર્ટીને પહોચાડવા તેમણે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હશે. જેઓ સંઘર્ષ કરતા રહે છે,તેઓ જ કઈક અલગ રસ્તો કંડારતા રહે છે. હકીકત તો એ છે કે “ હું એકલો/એકલી શું કરી શકું એ ભાવના જ આપણામાં નકારાત્મકતા જન્માવે છે. આવું વિચારીએ છીએ ત્યારે આપણે દુનિયા જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ અને આપણા સપનાઓ અધૂરા રહી જાય છે.

બીજું ઉદાહરણ લઈએ દશરથ માંઝીનું જેને લોકો ‘mountain man’ તરીકે ઓળખે છે.પત્ની ફાલ્ગુની દેવીને સમયસર સારવાર ના મળવાથી મૃત્યુ પામી કારણકે નજીકમાં કોઈ હોસ્પિટલ નહોતી. તેઓએ નક્કી કર્યું કે હવે કોઈ આ અસુવિધાને લીધે મરણને શરણ થવું જોઈએ નહિ. અને એકલા હાથે તેણે ૧૧૦ મી લાંબો, ૭.૭ મી.ઊંડો અને ૯.૧ મી પહોળો રસ્તો બનાવી લીધો. એ પણ પર્વતો અને ખડકોની વચ્ચેથી! એના આ પ્રયત્નોને લીધે તેઓના ગામ ગેહલર (બિહાર) ના લોકોનું જીવન આજે સરળ બની રહ્યું છે. શરૂઆતમાં ગામના લોકોએ તેનો વિરોધ પણ કરેલો પણ પછી મદદ પણ કરી. છે ને એકલા ચાલવાની મજા! એમાં જેવી લક્ઝરી મળે બીજામાં ના મળે. શરૂમાં કોઈ સાથે ના  હોય પણ છેલ્લે બધા સાથે જોડાય જાય છે.વિરોધ કરનારા સાથે જોડાય એનાથી વધુ આનદ-દાયક પ્રવાસ કયો હોવાનો! આવો પ્રવાસ જ જીવનને વધુ સારા કાર્યો કરવાની પ્રેરણા આપતો રહે છે.
રાજા-રામ મોહનરાય નામ સાંભળ્યું હશે, જેમણે એકલે પંડે પહેલીવાર ‘સતીપ્રથાના’ રિવાજનો વિરોધ કર્યો. શું તેમણે એવું વિચાર્યું કે હું એકલો શું કરી શકીશ?  મારા એકના વિરોધથી આ કાળો રીવાજ કેવી રીતે બદલાશે? સદીઓથી ચાલ્યા આવતા અ ગલત રિવાજનો તેમણે એકલા હાથે સામનો કર્યો. વળી વિચારો કે એ સમયે સમાજ પણ કેટલો રૂઢીચુસ્ત હતો.છતાં તેમણે પ્રયાસો કર્યા અને એ રીવાજ  બદલાવ્યો. તેઓના થકી આ ક્રૂર રિવાજનો અંત આવ્યો. એકલે હાથે આવા ચમત્કારો પણ થઇ શકે છે.
 સાલુમરાદા થીમક્કા (કર્ણાટક) છે ને કઈક અલગ નામ! તેઓનું કામ પણ તેમના નામ જેવું જ અલગ છે. તેઓને આ વર્ષે પદ્મશ્રીનો એવાર્ડ મળ્યો છે. જો આ એવાર્ડ તેમને મળ્યો એમાં એવોર્ડની ગરિમા વધી ગઈ! તેઓએ પર્યાવરણની સુરક્ષા કાજે હજારો વૃક્ષો એકલા હાથે ઉગાડ્યાં અને ઉછેર્યા પણ ખરા! તેઓએ સ્કૂલનું ઔપચારિક શિક્ષણ પણ લીધું નથી. પણ જેણે એકલા હાથે સમાજના ભલા માટે કામ કરવું જ છે, એને કશું નડતું નથી. નડે છે, તેઓને જ જેણે માત્ર ફરિયાદો જ કરવી છે. પર્યાવરણ માટે એકલે હાથે વૃક્ષો ઉગાડવાની તેમની જીદ આજે તેઓને ક્યાં સુધી લઇ ગઈ? માત્ર વાતો કર્યા કરવી અને કામ કરતા રહેવું એમાં ધરતી-આકાશનો ફર્ક હોય છે.
હેનરી ફોર્ડ જેને અમેરિકન ઉધોગોના ‘કેપ્ટન’ માનવામાં આવે છે. તેમણે એકલા હાથે ફોર્ડ કંપનીની સ્થાપના કરી. અને કંપનીને સફળતાના શિખરે પહોચાડી. તેઓએ પોતાના કર્મચારીઓને ઊંચા પગાર આપી કંપનીને એક નવી ઓળખ આપી. તેઓના એકલા હાથના પ્રયાસોને જ લીધે દુનિયા તેઓને ‘ફોરડીઝમ’ તરીકે ઓળખે છે. એકલા પંથે ચાલી અમેરિકાના ઉધોગોને નવી દિશા આપનારા આ સાહસિકની ઓળખને કોણ વળી ભૂલી સકે?
મિત્રો આવા તો કેટલાયે ઉદાહરણો છે, દરેક ક્ષેત્રમાં આપણને આવી એકલા પંથે ચાલી સફળ વ્યક્તિઓ મળી આવશે. ભારતમાં ફિલ્મ ઉધોગની શરૂઆત કરનાર દાદા સાહેબ ફાળકે ને વળી કોણ ભૂલી સકે. હકીકત તો એ છે મિત્રો આ દુનિયા આવા એકલ પ્રવાસીઓને લીધે જ બદલાતી અને વિકસતી રહે છે. આ વ્યક્તિઓ જ આપણને સમજાવી શકી છે, કે એકલે હાથે દ્રઢ નિશ્ચયતાથી લડનાર જ વિશ્વને નવો રાહ ચિંધનાર બની શકે છે. આવા લોકો જ પોતાના સપનાઓ સાકાર કરી શકે છે. કોઈ કામને ક્રેડીટ આપે કે નાં આપે એકલા એકલા લડતા રહેવું એ જીવનમંત્ર અપનાવવા જેવો ખરો. હવે ક્યારેય એવું ના વિચારતા કે હું એકલો/એકલી શું કરી શકું? જે કંઈપણ નવું કરવું છે, એના માટે મુહુર્ત જોવાની જરૂર નથી માત્ર આપણા દ્રઢ સંકલ્પો જ કાફી છે. 


                                                                                                                       
ekla chalo re images के लिए इमेज परिणाम 

Monday 22 April 2019


અકસ્માતો અને આપણે,



Image result for accidents in india 
 દેશ ક્યારેય સરહદોથી બનતો નથી. સરહદ એ તો કોઈપણ દેશની રાજકીય અને પ્રાદેશિક મર્યાદા બતાવે છે. કોઈપણ દેશનું નકશામાં સ્થાન સરહદ નક્કી કરી આપે છે. આમ તો સરહદો લોકોને તોડવાનું અને વહેચવાનું કામ કરે છે. પણ આજે આપણે સરહદ નહિ સરહદોથી દોરાયેલા આપણા દેશની વાત કરવી છે. એનો ભવ્ય ઈતિહાસ, એની ભવ્ય સંસ્કૃતિ આપણે બહુ વાગોળતા રહીએ છીએ, એના ઉજવવળ ભવિષ્યની આપણે કલ્પનાઓ કરતા રહીએ છીએ. પણ એનો વર્તમાન કદી આપણી સમક્ષ રહેતો નથી. હા આપણી વાતોમાં,ચર્ચાઓમાં, આપણો દેશ કેન્દ્રસ્થાને હોય છે, પણ આપણે દેશ વિશે માત્ર વાતો કરતા રહીએ છીએ. દેશ વિષે જયારે કશું કરવાનું આવે આપણે આઘા ખસી જઈએ છીએ.( જે લોકો દેશ માટે કશું કરતા હોય એણે ખોટું ના લગાડવું) જેને લાગૂ પડતું હોય એની જ વાત અહી થાય છે. આપણે બધા માત્ર ત્યારે જ જાગીએ છીએ જયારે કોઈ સમસ્યા આપણને નડે કે આપણા ઘર સુધી પહોંચે. અન્યથા આપણે સુતા જ રહીએ છીએ. આપણે ઉઠીએ છીએ રોજ પણ જાગીએ છીએ ત્યારે જ જયારે કોઈ દુર્ઘટના આપણી સાથે કે આપણા કુટુંબ સાથે બને. આ દેશમાં એક સામાન્ય સમસ્યા લઇએ. દેશમાં સડક અકસ્માતો નિયમિત થતા રહે છે.અરે આપણે સેકન્ડો કે મીનીટોમાં આંકડા કાઢીએ તો મળી આવે, એવી રીતે અહી લોકો વિહિકલ ચલાવતા રહે છે. દારૂ પીકે ડાન્સ કરેગા નહિ દારૂ પીકે ગાડી ચલાયેંગે એ આપણું સુત્ર છે. નશામાં તરબત્તર વ્યક્તિ જયારે અકસ્માત કરી બેસે છે,નિર્દોષ લોકો એનો ભોગ બને છે, કોઈ ફેમીલી અધૂરું થઇ જાય છે. કોઈ બાળક પોતાના માતા-પિતા કે કોઈ પત્ની પતિ ગુમાવી બેસે કે કોઈ માતા-પિતા પોતાનો વહાલસોયો દીકરો ગુમાવી દે છે. પણ આપણે નથી નશો કરવાનું છોડતા કે નથી ટ્રાફિકના નિયમોનું પાલન કરી આપણી જિંદગી બચાવવાનું વિચારતા. આપણે ટ્રાફિકના નિયમોને તોડવામાં બહાદુરી સમજીએ છીએ. અતિ ટ્રાફિક વાળા શહેરોમાં તો વ્યક્તિ ઘરે પહોંચે, ત્યારે સમજવાનું કે આજે તે જીવતા પાછા આવ્યા.પણ છતા આપણે અકસ્માતો ટાળવાનો જરાપણ પ્રયાસ કરતા નથી!  







Image result for accidents in india
આપણે ત્યાં ૪થાકે પાચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વિહિકલ ચલાવતા થઇ જાય છે. લીટરલી ઘણા માતા-પિતા ગર્વ અનુભવતા હોય છે કે મારું સંતાન નાનું હોવા છતાં વિહિકલ ચલાવે છે.એ બાળકોને ટ્રાફિકના નિયમોનું જરાપણ જ્ઞાન હોતું નથી, આગળ થઇ જવાની ઉતાવળમાં તેઓ ગમે તેમ ઓવર ટેક કરે છે અને અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવતા રહે છે. પછી અફસોસ સિવાય આપણી પાસે કશું રહેતું નથી. જીવન ઝડપ કરતાયે સસ્તું બની રહે છે. એક જ વાહનમાં કેપેસીટી કરતા જાજા ભરવાની આપણી પોલીસી પણ ક્યારેક સેંકડોના મૃત્યુનું કારણ બની રહે છે.પણ આપણે કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડી સૌનો જીવ જોખમમાં મુકતા જ રહીએ છીએ. બાઈકની કેપેસીટી ૨ વ્યક્તિની જ છે, છતાં આપણે ૪/૫ એમ બેસાડતા જ રહીએ છીએ. તમે વિચારો ક્યારેક તો સામસામાં બાઈક ભટકાય તો પણ ૪/૫ લોકો મૃત્યુ પામે છે. કેવી બેદરકારી! આપણી એસ.ટી. બસો તો જાણે ગમે તેટલા મુસાફરો સમાડવાની બસો  હોય એવું જોતા લાગે. અમુક રાજ્યોમાં તો લોકો બસની ઉપર પણ બેસતા હોય છે. આપણી ટ્રેનો પણ આ જ પરીસ્થીતીમાં હોય છે. એક ડબામાં કેપેસીટી કરતા વધુ મુસાફરો ભરી આપણે લોકોની જિંદગીને સસ્તી બનાવી મુકીએ છીએ. અહી વાહનમાં લોકો અંદર બહાર ઉપર જ નહિ પણ બારણે લટકીને પણ પોતાનું જીવન મુસીબતમાં મુક્તા રહે છે. ચાલુ વિહીકલે ચડવું કે ઉતરવું પણ અહી એકદમ કોમન ગણાય છે. ટૂંકમાં અહી લોકોને પોતાની જાતની સલામતી કરતા વધુ ઝડપ વહાલી હોય છે. દરેકને ઝડપી ક્યાંક પહોચવું છે. એ ઝડપમાં તેઓ પોતાની જિંદગીને પણ દાવ પર લગાવી દે છે.ક્યાંક ઉતાવળમાં પહોંચમાં આપણે સીધા ઈશ્વરના ધામમાં પહોચી જતા હોઈએ છીએ.
આવું બધું જયારે વાંચીએ કે સાંભળીએ આપણને પ્રવચન જેવું લાગે, પણ જયારે આપણા પર વીતે ત્યારે જ અમુક બાબતો સમજાતી હોય છે. ઘરમાંથી વિહિકલ લઈને ગયેલું કોઈ જયારે પાછું નાં આવે, ત્યારે આ બધી બાબતોની ગંભીરતા આપણને સમજાતી હોય છે.સરકાર કડક કાયદા કરે, હેલ્મેટ પહેરવાનું કહે, રસ્તા પર સુત્રો મુકે, પણ આપણે તો માનવાનું નહિ એ નક્કી જ કરી લીધું છે. અને જયારે અકસ્માત થાકી આખી જિંદગીની વિકલાંગતા ભોગવવી પડે ત્યારે સમજાય કે આડેધડ વાહન ચલાવવું કેટલું ખતરનાક છે. આપણા દેશમાં કદાચ વસ્તી બહુ છે, એટલે મૃત્યુનું મુલ્ય નહિ સમજાતું હોય! મુંબઈની ટ્રેનોમાં મુસાફરી  આખા વિશ્વમાં સૌથી વધુ એડવેન્ચરીયસ ગણવી પડે લોકો એટલી ઝડપથી જીવનાં જોખમે ચડતા હોય, ટીંગાતા હોય આપણને લાગે વિશ્વમાં આનાથી વધુ સાહસિક કાર્ય કોઈ છે જ નહિ! લોકો ચડતા ચડતા થાંભલા સાથે ભટકાય જાય કે પડી જાય તો માત્ર જોઈ લેવાનું જીવ્યો કે મર્યો? માનવ જીવનનું કશું મહત્વ જ નહિ!
તમને શરૂઆત નું લખાણ જોઈ એવું લાગતું હશે ગાડી પાટા પરથી ઉત્તરી ગઈ કે શું? અરે એ અકસ્માત તો ચર્ચવાના જ રહી ગયા! બેદરકારી ને લીધે દર વર્ષે આપણા દેશમાં બે-ત્રણ મોટા અકસ્માતો થતા જ રહે છે અને સેંકડો લોકો જીવ ગુમાવતા રહે છે. અમુક અકસ્માતો તો સાવ નજીવી બેદરકારીને લીધે થાય છે. પછી તપાસ થાય પણ છેલ્લે કોની બેદરકારી હતી એ નક્કી નાં થાય! અને આપણે પ્રજા તરીકે બહુ ટૂંકી યાદ-શક્તિ ધરાવીએ છીએ. બે-ત્રણ દિવસ હો-હા કરી આપણે ભૂલી જઈએ છીએ. મિત્રો વિહિકલ આપણી સરળતા અને સગવડતા માટે છે,પણ આપણે જ એને આપણા મૃત્યુનું કારણ બનાવી મુકીએ છીએ. યાદ છે,મિત્રો હમણાં દશેરા પર રાવણ દહન દરમિયાન લોકો એટલા મગ્ન થઇ ગયા કે ક્યારે ટ્રેન આવી અને ઘણા લોકોને કચડી ગઈ એ પણ કોઈને ખબર ના રહી. આપણે ત્યાં હજી એક સ્થળ એવું છે, જ્યાં આવા અકસ્માતો થાય છે અને એ છે ધર્મસ્થાનો દર વર્ષે એકાદ ધર્મસ્થાનમાં એવી ઘટના તો બને જ છે, જેમાં ધક્કા-મુક્કી માં સેંકડો લોકો મૃત્યુને શરણે જતા રહે છે. ઈશ્વર પાસે જવાની ઉતાવળ એટલી કે સીધા ઈશ્વર પાસે જ પહોંચી જાય! ઝડપની લાયમાં જિંદગીને આપણે સાવ સસ્તી બનાવી દીધી છે. ખબર નહિ આપણને સૌને ક્યાં પહોચવાની ઉતાવળ હોય છે. કેમ ખરું ને?
એક પ્રજા તરીકે આવી બાબતો પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ, એ ખ્યાલ આવે એટલે લખ્યું. દરેક સમસ્યા સામે આપણો એક જ ઉકેલ હોય છે, ‘સરકાર કઈ કરતી નથી’ ઓવર ક્રાઉડ આપણો પ્રશ્ન છે, પણ એનો ઉકેલ પણ છે અને એ છે, આપણામાં સ્વયમ શિસ્ત હોવી જોઈએ. બેદરકારીથી વાહન  ચલાવતા પકડાય જઈએ તો દંડ ભરાય કે પછી ટ્રાફિક પોલીસના ખિસ્સા ભરાય એ આપણે નક્કી કરવાનું છે. હેલ્મેટ પહેરવાથી આપણી સુરક્ષા જળવાય તો પહેરવું કે ના પહેરવું એ આપણે નક્કી કરવાનું છે. ટ્રાફિકના નિયમો આપણી સુરક્ષા માટે છે, એ પાળવા કે ના પાળવા એ આપણે નક્કી કરવાનું છે, નહિ તો કોઈ સ્કૂલ-વાન વધુ બાળકોને લઇ જતી હશે અને ઉથલી પડશે, પ્રવાસની કોઈ બસ વિદ્યાર્થીઓ સહીત ગમે ત્યારે અકસ્માત નોતરી બેસશે.જેટલી કાળજી આપણે રાખીશું અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું. હવે તો ફોર ટ્રેક બની રહ્યા છે, સૌનો પોતાનો અલગ ટ્રેક છે, જો આપણે આપણા ટ્રેકને વળગી રહીશું તો અકસ્માત નહિ થાય. બાકી જો દરેક વખતે કોઈ વાહનને ઓવર-ટ્રેક કરવાનો પ્રયાસ કરીશું તો જિંદગી આપણી આઉટ ઓફ ટ્રેક થઇ જશે. નિર્યણ આપણે લેવાના છે, આખરે જિંદગી પણ આપણી જ છે ને? અને યાદ રાખો આપણી જિંદગી માત્ર આપણી એકલાની નથી એની સાથે કેટલાયે અન્ય લોકો સંકળાયેલા છે. એના માટે પણ સલામતી અપનાવીએ.
અકસ્માતો થકી વાહનો તો કાટમાળમાં ફેરવાય જ છે, પણ જિંદગીઓ પણ કાટમાળ બની રહે છે.

Be Cautions, Life Is Precious.
                                                                                                          

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...