Tuesday 28 December 2021

ફૂટતા પેપર તૂટતાં યુવાનો અને યુવતીઓ!!!

 

ફૂટતા પેપર તૂટતાં યુવાનો અને યુવતીઓ!!!

 બિનસચિવાલય પરીક્ષા વિવાદ : પેપર ફોડવાનું કૌભાંડ બહાર કેવી રીતે આવ્યું? -  BBC News ગુજરાતી


             આજના યુવાનો અને યુવતીઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા, બોર્ડની પરીક્ષા કે યુનિવર્સિટીની પરીક્ષા આપીને આવે, એટલે એ પેપર સોલ્વ કરવાને બદલે પેલો પ્રશ્ન એ પૂછે છે કે “પેપર ફૂંટયુ તો નથી ને?’’

   પેપર દઈને ઘરે પહોંચી વિદ્યાર્થીઓ માર્ક્સ ગણે, તેને એવું લાગે કે આ વખતે મારૂ સીલેકશન થઈ જશે, એ ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોવા લાગે, ત્યાં તો સોસિયલ-મીડિયામાં પેપર ફૂંટયાના સમાચાર વાંચીને કે સાંભળીને કે જોઈને તે ઊંડા અંધારામાં જતાં રહે છે. ઘણા વિદ્યાર્થીઓ તો હતાશ કે નિરાશ થઈને આત્મ-હત્યા સુધી પણ પહોંચી જતાં હોય છે. જે પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરતાં હોય છે, સખત પરિશ્રમ કરતાં હોય છે, એ પરીક્ષાનું પેપર ફૂંટી જતાં તેઓ કેટલું કેટલું ગુમાવી દેતાં હોય છે, એ તો તેઓ જ જાણી શકે છે!

  વહેલી સવારે ઊઠીને કડકડતી ઠંડીમાં દોડવાથી લઈને આખી આખી રાતના ઉજાગરા કરીને યુવાનો અને યુવતીઓ એ પરીક્ષાની તૈયારી માટે પોતાના બધા મોજ-શોખને થોડા સમય માટે બ્રેક મારી દેતાં હોય છે. તેઓના અથાક પરિશ્રમ બદલ જ્યારે તેઓને આવું પરિણામ મળે છે, એ પણ કેટલાક અસામાજિક કે વગ ધરાવતા લોકોને લીધે, ત્યારે તેઓનું મોરલ એકદમ તળિયે આવી જતું હોય છે. તેઓનો ઉત્સાહ તૂટીને રાખ થઈ જતો હોય છે. એમાં પણ વિચારો જેઓનું પેપર સારું ગયું હોય છે અને જેઓને મેરિટમાં આવી ગયાનો પૂરેપૂરો વિશ્વાસ છે, એ લોકોનું શું?

નીટ, ટેટ,એલ.આર.ડી. હેડ-ક્લાર્ક, યુનિવર્સિટીની પરિક્ષાના પેપર્સ, બોર્ડની પરિક્ષાના પેપર્સ, લિસ્ટ હજી લાંબુ છે. કેટલાક લોકો જે ટૂંકા રસ્તા દ્વારા સફળ થઈ જવા માંગે છે, તેઓ પૈસા અને લાગવગના જોરે આવી મહત્વની પરિક્ષાના પેપર્સ લીક કરીને લાખો વિદ્યાર્થીઓના ભાવીને અંધકારમાં ધકેલી દેતાં હોય છે. એક એક પ્રશ્ન માટે મથતા વિદ્યાર્થીઓ અને એક જ ઝાટકે આખું પેપર મેળવી લેતા વિદ્યાર્થીઓ.... ઘણીવાર જ્યારે પેપર ફૂંટયાની કોઈને ખબર ના પડે, અને પેલા વગ અને પૈસાદાર પિતાજીઓના સંતાનો એ પદ માટે પસંદ થઈ જાય તો પછી આપણે ભ્રષ્ટાચાર સામે લડી શકીશું એ જ ભૂલી જવાનું! એ લોકો આવા અગત્યના સ્થાન પર પસંદ થઈ પછી શું કરવાના? મને નથી લાગતું કે આ પ્રશ્નનો જવાબ મારે અહી લખવો પડે. આપણને બધાને ઘણીવાર કોઈ વ્યક્તિને અમુક ઊંચા સ્થાને જોઈને સવાલ થતો જ હોય છે કે “ આની પસંદગી કોણે કરી?”

છાપામાં પેપર ફૂંટયા બાદ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ વાંચીએ કે ટી.વી. પર જોઈએ ત્યારે ખ્યાલ આવે તેઓ કેવા હતાશ થઈ જતાં હોય છે. જે શિક્ષણ પાછળ તેઓ પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો રોકે છે, એ શિક્ષણ જ તેઓ માટે હતાશા અને નિરાશાનું કારણ બની રહે છે! એક પરીક્ષા પાસ કરવા હોશિયાર અને પ્રમાણિક વિદ્યાર્થી રોજના સરેરાશ 10થી12 કલાક વાંચન અને લેખન કરતો હોય છે, એ બધુ જ પેપર ફૂંટી જવાથી વ્યર્થ થઈ જતું હોય છે. પોતાના ખિસ્સા ભરવા જે લોકો આવું કામ કરે છે. તેઓને સજા કરવાની કોઈ ઠોસ જોગવાઇઓ આપણા કાયદાઓમાં છે ખરી? હકીકત તો એ છે કે આમાં એવા મોટા મોટા માથા ફસાયેલા હોય છે, કે આવી રીતે પેપર ફૂંટયાની જાણ થતાં જ તેઓ તો જાણે ક્યાંક ખોવાઈ જ જતાં હોય છે.

 આ બધુ કરવામાં ઘણા લોકો ફસાયેલા હોય છે, પણ સજા માત્ર થોડા લોકોને અને એ પણ નજીવી જ થતી હોય છે. આથી જ તો એક પછી એક એમ જુદી જુદી પરીક્ષાઓના પેપર્સ ફૂટયે જ જાય છે. થોડા દિવસો સોસિયલ મીડિયામાં હોબાળો થાય છે અને પછી પરીક્ષાની નવી તારીખો આવતા બધુ જ થાળે પડી જાય છે. જેમણે પેપર ફોડયા તેઓને શું સજા થઈ? એમાથી કેટલાને આકરી સજા થઈ? એ બાબત જ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. કોઈપણ ક્ષેત્રમાં નવી દાખલ થયેલી પરીક્ષા તેઓ માટે કમાવાનું જાણે કે માધ્યમ બની ગઈ છે! એક એક પેપર કેટલામાં વેચાયું? તેના આંકડા જાણીએ ત્યારે આશ્ચર્ય થાય કે આવી પરીક્ષાઓ પણ કેટલી લક્ઝરીયસ બની ગઈ છે!

છેલ્લી કેટલીક પરીક્ષાઓમાં તો જાણે પેપર ફૂંટવું એ રૂટિન ઘટના બની ગઈ છે. પરીક્ષાખંડમાથી સારું પેપર ગયું છે, એવી આશાએ બહાર આવનાર વિદ્યાર્થીને જ્યારે આ સમાચાર મળે છે, તે સાવ તૂટી જતાં હોય છે. ઘણા તો હવે પરીક્ષા આપવી જ નથી, એવું પણ નક્કી કરી લેતા હોય છે. તેઓનો આપણી સિસ્ટમ પરથી વિશ્વાસ જ ઉઠી જાય છે. તેઓ માનસિક મજબૂતાઈ ગુમાવી દેતા હોય છે. ફરીથી તૈયારી કરવી એ બાબત તેઓ માટે અત્યંત અઘરી બની જતી હોય છે.

જે લોકો આ કામ કરે છે, તેઓ માટે કડક સજાની જોગવાઈ હોવી જોઈએ. એમાં ગમે તેટલા મોટા માથા સંડોવાયા હોય આવી ઘટનાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. આપણે પણ આવા લોકોને સજા થાય એ માટે અવાજ ઉઠાવતા રહીએ. એકબીજા પર દોષારોપણ કરવાને બદલે આનો કોઈ સચોટ ઉપાય મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પેપર ફોડનારને અને જેણે પેપર ફોડનારને લાલચ આપી એ બંનેને સજા થવી જોઈએ. જે યુવાનો અને યુવતીઑ થકી આપણા દેશનું ભાવી ઘડાવાનું છે, તેઓનું જ ભાવી જો આવી રીતે અંધકારમય બની રહેશે, તો દેશનું ભાવી કેવું ઘડાશે? પેપર ફોડનાર વ્યક્તિઓ ધન કમાઈ લેવાની લાલચે, આપણા યુવાધનને અંધકારમાં ધકેલી રહી છે. આ અપરાધ બીજા કોઈ પણ અપરાધ કરતાં નાનો ના ગણાવો જોઈએ.

આવા લોકો પર ચાલતા કેસો પણ એટલા લાંબા ચાલે છે, કે વર્ષો નીકળી જતાં હોય છે. અને અંતે બધા પુરાવાઓની વ્યવસ્થા થઈ જાય એટલે તેઓને ક્લીનચીટ મળી જતી હોય છે. અને લોકોની યાદશક્તિ તો હોય જ છે, નબળી તેઓ બધુ ભૂલી જાય એટલે આવા લોકોને સજા થઈ કે નહી? એ સવાલ પણ ભુલાઈ જતો હોય છે!

આપણે જ્યારે આપણાં સંતાનોને સ્કૂલમાં ભણવા મૂકીએ છીએ, ત્યારે એ સ્કૂલે જવા તૈયાર ના થાય તો આપણે તેને કહીએ છીએ કે નહી ભણે તો નોકરી નહી મળે, તું આગળ નહી વધી શકે. સંતાનો ચાલવાનું શીખે ત્યારથી આપણે તેઓને ભણાવવા પાછળ પડી જતાં હોઈએ છીએ. તેઓ સ્કૂલે જાય અને ભણે એ માટે આપણે અથાક પ્રયત્નો કરતાં હોઈએ છીએ. જે વિસ્તારમાં શિક્ષણ ઓછું છે, ત્યાં આપણે માતા-પિતાને વારંવાર સમજાવીએ છીએ કે તમારા બાળકોને ભણાવો. 

કહે છે “શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રમાં પરીવર્તન લાવવામાં સૌથી ઉપયોગી સેવા છે.” આજના માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા પાછળ ખર્ચાય જતાં હોય છે. તેઓ પેટે પાટા બાંધીને સંતાનોને સારું શિક્ષણ અપાવવા મથતા હોય છે. આજે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, પણ શિક્ષણ એવા લોકોના હાથમાં જતું રહ્યું છે, જ્યાં એ જરાપણ પવિત્ર રહ્યું નથી. 

વર્ષો નોકરી માટે ભણ્યા પછી નોકરી મેળવવાની પરીક્ષા આપવા જાય ત્યારે એ પરીક્ષાના પેપર ફૂટી જાય છે! ' it happens only in India!'

   લાઈક કમેંટ,શેર.....

pepr-nhiin-maannso-phuutte-che

    

Friday 3 December 2021

धन के हाथों बिके हैं सब क़ानून अब किसी जुर्म की सज़ा ही नहीं!!! નિદા ફાજલી

 

             

 

 

 

 

 

 

 

 

 .. धन के हाथों बिके हैं सब क़ानून अब किसी जुर्म की सज़ा ही नहीं!!! નિદા ફાજલી

 

The Law-Money Nexus | The Modern Money Network

   14 જૂન, 2020 ના રોજ બોલિવૂડમાં કોઈએ વિચાર્યું ના હોય એવું કશુક બની ગયેલું. જે લોકોએ બપોરે પોતાના ટી.વી. સેટ. કે સોસિયલ મીડિયા ઓન કર્યું હતું તેઓ એ સામાચાર જોઈને આઘાતમાં ગરકાવ થઈ ગયેલા. ઘણાને એવું લાગેલું કે આ ફેક ન્યૂઝ છે. લોકો એકબીજાને ફોન કરીને પૂછી રહ્યા હતા કે શું આ સમાચાર સાચા છે? પણ સાંજ પડતાં સુધીમાં તે સમાચાર સાચા છે, તેની ખરાઈ થઈ ગયેલી. તે દિવસે રડેલા ઘણાને આજે એ બનાવ ભૂલાય ગયો હશે. આમ પણ કહે છે કે લોકોની યાદશક્તિ બહુ ઓછી હોય છે. તેઓ કોઈપણ ઘટનાને થોડા જ સમયમાં ભૂલી જતાં હોય છે. આજે આપણે સૌ પણ એ ઘટનાને ભૂલી ગયા છીએ. તમને થતું હશે કે એ દિવસે એવું તો શું થઈ ગયેલું? ઘણા તો ગૂગલ પર એ તારીખ સર્ચ પણ કરવા લાગ્યા હશે. પણ થોભો હું જ કહી દઉં......

 એ દિવસે બોલિવૂડના ઇમર્જિંગ સ્ટાર અને થોડા જ મુવીઝ દ્વારા પોતાની અમીટ છાપ છોડી જનાર શુશાંતસિંગ રાજપૂતે આપઘાત કરેલો. આજે એ વાતને 1.5વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે. એ દિવસ બાદ તેના મૃત્યુએ ઘણા વળાંકો લીધેલા. કેટલીક એવી બાબતો જે સામે આવી, તો લાગ્યું કે શુશાંતસિંગે આપઘાત નહોતો કરેલો પણ તેની હત્યા કરવામાં આવી હતી. થોડા દિવસો સુધી સોસિયલ મીડિયા તેમના મૃત્યુના સમાચારોથી જ છવાયેલા રહ્યા. કેટ-કેટલા સત્યો સામે આવ્યા! કેટલી અફવાઓએ બજારને ગરમ રાખ્યું! 

આપણે સૌ એવું માનતા હતા કે શુશાંતસિંગની હત્યા કે આત્મહત્યા? એ પ્રશ્નનો જવાબ આપણને મળશે. તેમના પિતા અને ઘરના બીજા સભ્યોએ પણ આ કેસ સી.બી.આઈ. ને સોંપવાની માંગણી કરી. આપણને સૌને એમ હતું કે આવા જાત-મહેનત કરીને આગળ આવેલ અને છેક સુધી લડી લેનાર અભિનેતા આવી રીતે આપઘાત કરે જ નહી. કેટલા બધા લોકોને તપાસ કરવા બોલાવેલા. રોજ નવા નવા નામો બહાર આવતા પણ ખરેખર શું થયું હતું? તે ક્યારેય આપણી સામે ના આવ્યું!

ચારે બાજુ વિરોધ થતાં સરકારે તપાસ તો શરૂ કરાવી, પણ એ તપાસને ડ્રગ્સ સાથે જોડી, બે-ત્રણ મોટી મોટી અભિનેત્રીઓને તપાસ માટે બોલાવવાના નાટક કરીને આ આખા કેસને નબળો કરી દેવામાં આવ્યો. આજે હવે આ કેસ વિષે કોઈ જાણવાની કોઈ માંગણી પણ કરતું નથી. શરૂઆતની લડત બાદ તેમના કુટુંબીજનોએ પણ કશો અવાજ ના ઉઠાવ્યો. અને આપણે સૌએ આ વર્ષની 14મી જૂને તેમની પ્રથમ પુણ્યતિથિ ઉજવીને સંતોષ માની લીધો! એ કેસમાં ઘણા મોટા માથા સંડોવાયેલા હતા પણ અંતે કશું આપણને જાણવા ના મળ્યું! 

  એ જ રીતે સલમાનખાન હિટ & રન કેસમાં પણ આપણને એમ હતું કે દોષીને સજા મળશે. એ કેસ 13 વર્ષ સૂધી ચાલ્યો પણ આપણને તેના ચુકાદાથી ન્યાય થયો હોય એવું ના લાગ્યું. તે જ રીતે હરણ મારવાના કેસમાં પણ સલમાનખાન, સેફખાન, સોનાલી બેન્દ્રે, કરિશ્માકપૂર વગેરે છૂટી ગયા. લાગે છે કે આપણાં દેશમાં અદાલતની દેવીને એટલે પટ્ટી બાંધવામાં આવે છે, જેથી તે આવા વગવાળા લોકોના દોષ ના જોઈ શકે. અને તે લોકો છૂટી જાય! છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈશું તો ખબર પડશે કે એવા કેટલા મર્ડર અને બીજા કેસો છે, જેમાં ન્યાય થયો નથી અને એ બધા કેસ સાથે કોઈને કોઈ વગ ધરાવતી વ્યક્તિ સંકલાયેલી છે! આરૂષિ મર્ડર કેસ, સીના બોરા મર્ડર કેસ, પ્રદ્યુમન ઠાકોર મર્ડર-કેસ,અમરસિંગ ચમકીલા મર્ડર કેસ, સુનંદા પુષ્કર મર્ડરકેસ, નીરજ ગ્રોવર મર્ડર કેસ, અદનાન પટારવાલા, હજી તો લિસ્ટ લાંબુ છે.... લખતા લખતા થાકી જવાય એટલું. આ બધા જ કેસમાં દોષીને સજા મળેલ નથી!

 આપણે ત્યાં હાલતા કોઈ ધનિક કુટુંબના નબીરાઓ હિટ & રન કેસમાં છૂટી જવા જોતાં મળે છે, જાણે કે ફૂટપાથ પર સૂતેલા કે ચાલી રહેલા લોકોની જિંદગીનું કોઈ મુલ્ય જ નથી!

   નિર્ભયા ગેંગરેપ કેસમાં પણ જો આટલો હોબાળો ના થયો હોત તો દોષીઓને સજા મળેત ખરી? આ સવાલ પણ આપણે આપણી જાતને પૂછવા જેવો ખરો!! જેવુ મર્ડર કેસમાં થાય છે, એવું જ રેપના કેસોમાં પણ થાય છે. બહુ થોડી સ્ત્રીઓને ન્યાય મળે છે. ભારતમાં જ્યાં સ્ત્રીઓને નવરાત્રિ દરમિયાન માતા તરીકે પૂજવામાં આવે છે, ત્યાં સ્ટેટ-વાઇઝ રેપના આંકડા જાણીએ ત્યારે ખબર પડે કે આપણે હજી સ્ત્રીઓને સલામતી નથી આપી શક્યા! હમણાં મૂંબઈમાં કુર્લામાં 24 વર્ષની મહિલા સાથે થયેલા રેપની વિગતો જાણીએ તો ખબર પડે કે રેપ કરનાર સ્ત્રીઓ સાથે કેવી બર્બરતા આચરવામાં આવે છે. હવે તો નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ પણ આ દૂષણનો ભોગ બની રહી છે. જેમ આપણાં દેશમાં અનેક મર્ડર કેસ વણ-ઉકેલાયેલા રહી ગયા છે, એમ જ રેપ કેસિઝનું પણ એવું જ છે!

  વગદાર આરોપીઓ બહુ સિફત-પૂર્વર્ક છટકી જતાં હોય છે. હકીકત તો એ છે કે જ્યારે આવા વગદાર લોકોના કેસ આવે, મીડિયા અને પોલીસ બંને શરૂ-શરૂમાં બહુ કવરેજ આપે છે, પણ પછી એ કવરેજ ધીમે ધીમે ઘટતું જાય છે! આની પાછળ ક્યૂ પરિબળ જવાબદાર છે? એ આપણને સૌને ખબર જ છે. આવા કેસો અમુક વર્ગના લોકો માટે મોટી કમાણીનું માધ્યમ બની રહેતા હોય છે. 

અમુક કિસ્સાઓમાં તો પોલીસે ખુદ પુરાવાઓના નાશ કર્યાના પુરાવાઑ હોય છે! સૌ પોત-પોતાના હિસ્સા માટે દોડવા લાગે છે. અને હિસ્સો મળી જાય એટલે કેસ ક્યાક બીજી દિશામાં જ ફ્ંટાઈ જતાં હોય છે. આવા કેટલાયે રેપ કેસીઝ છે, જેમાં આરોપીને સરળતાથી જામીન મળી જતાં હોય છે. અને તેઓ નિર્દોષ પણ છૂટી જતાં હોય છે. હાથરસ ગેંગરેપ કેસ, કઠુઆ રેપ-કેસ, ઉન્નાવ રેપ કેસ, બદાઉન રેપ કેસ.... અહી પણ લિસ્ટ લાંબુ છે.

 ઘણા કિસ્સાઓમાં તો ફરિયાદ કરનારની એફ.આઈ.આર. પણ નોંધવામાં આવતી નથી! પછી એ કેસ કોઈ મંત્રી કે મુખ્ય-મંત્રી પાસે જાય ત્યારે તેની વિષે માહિતી મેળવવા પૉલિસ દોડા-દોડી કરી મૂકે છે. શું કોઈ સામાન્ય વ્યક્તિ આવીને ફરિયાદ કરે તો તેના આધારે પગલાં લેવાની પોલીસની ફરજ નથી હોતી? 

આપણાં દેશમાં બે કાયદાઓ છે, ધનિક અને વગદાર માટે અલગ અને ગરીબ અને લાગવગ વગરના માટે અલગ! વળી ઘણા કિસ્સાઓમાં જેઓને ફાંસીની સજા થઈ હોય છે, તેઓની સજાને જન્મ-ટીપની સજામાં ફેરવી નાખવામાં આવે છે. સમય વીતે એટલે શું અપરાધની કક્ષા બદલાઈ જતી હશે? આવા લોકોની સજા ઓછી કરવાથી તેઓ તો બદલાતા નથી, પણ જે લોકો આવા કૃત્યો કરે છે, તેઓના મનમાથી સજાનો ડર નીકળી જતો હોય છે.

   આપણાં દેશમાં નાના નાનાં ગુનાઓ માથી લોકોને આબાદ છટકવા મળી જાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ના કરનારને કે પછી સ્કૂલ કે કોલેજની પરીક્ષામાં ચોરી કરનારને, લાંચ લેતા પકડાઈ જનાર ઓફિસરને, કોઈના ઘરમાં કે દુકાનમાં ચોરી કરનારને, પૈસાના જોરે નિર્દોષ જાહેર થવાનું બળ મળી રહે છે. તમને થશે જે રાજકારણીઓ મોટા મોટા કોભાંડોમાં પકડાય અને છૂટી જાય છે, તેમના વિષે કઈ નહી, અરે યાર તેઓ માટે એક અલગ આર્ટીકલ ફાળવવો પડે! જો આ જ રીતે આપણી વ્યવસ્થાઓ નાણાંના જોરે ચાલતી રહેશે તો, આપણે માત્ર કુદરતના ન્યાય પર જ આધાર રાખવો પડશે.

લાઈક, કમેંટ,શેર.............

 Money equals power, power makes the law, and law makes government. Kim Stanley

   

 

Saturday 30 October 2021

કોરોના,2020 થી 2021,આપણે શું શીખ્યા?


  • કોરોના,2020 થી 2021,આપણે શું શીખ્યા?

     Lessons from COVID-19 in the Education Sector — Observatory | Institute for  the Future of Education

              હમણાં છાપામાં એક સર્વે વાચ્યો કે કોરોના દરમિયાન સ્ત્રીઓએ અપડેટ થઈ સૌથી વધુ નવું નવું શિખ્યું. અહી આપણે ફેમિનીઝમની વાત નથી કરવી. પણ મિત્રો એક સવાલ આપણે સૌ આપણી જાતને પુંછી શકીએ કે આપણે આ સંઘર્ષકાળ દરમિયાન કઈ નવું શીખ્યા? અપ-ડેટ થયા કે પછી? આમપણ આ સમય દરમિયાન આપણને સૌથી વધુ મોકો આપણી જાત સાથે રહેવાનો મળ્યો છે. તો આપણે એ જાતને નવી ઊંચાઈ તરફ લઈ ગયા કે નહી? તમે આ પ્રશ્નો તમારી જાતને પુંછીને આગળનું વાચજો. તમે ખુદ ઘણુબધું લખી શકશો. પણ અત્યારે તો તમારે મારુ લખેલું જ વાચવું રહ્યું.

        2020ની સાલમાં માર્ચ મહિનો એક નવું એંડિંગ લઈને આવેલો. આમ તો માર્ચ મહિનો એટલે આપણાં આખા વર્ષના નાણાકીય હિસાબોના સરવૈયાનો મહિનો. આપણે આખા વર્ષ દરમિયાન શું મેળવ્યું ?તેનો હિસાબ આ માહિનામાં થતો હોય છે. પણ આ માર્ચ પહેલીવાર આપણાં સૌ માટે લોકડાઉન લઈને આવેલો. 24મી માર્ચ-2020 ની રાત્રે આપણાં આદરણીય વડાપ્રધાને આપણને 21 દિવસનું પ્રથમ લોકડાઉન આપેલું. બધુ જ બંધ. અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર નહી નિકળવાનું. બહાર જઈએ તોપણ સોસિયલ ડિસ્ટન્સ રાખવાનું અને હાથને સેનેટાઈઝ કરતાં રહેવાનુ. માસ્ક પહેરીને નીકળવાનું. રસ્તાઓ સુમશાન, ગલીઓ ખાલી, કામ વિના બહાર નીકળે એને પોલીસના ડંડા ખાવા પડે. એક ગામથી બીજા ગામ જવા પણ વિઝા લેવા પડે. જે લોકો જ્યાં હતા ત્યાં ને ત્યાં જ ઊભા રહી જવું પડ્યું. ધંધા બંધ. આપણે તો ટોળાના માણસો અને ટોળાથી જ દૂર થઈ જવું પડ્યું. ( જે લોકોને કશાનું વ્યસન હતું, તેઓની હાલત તો સૌથી વધુ ખરાબ થઈ ગયેલી.) ટી.વી. અને અન્ય સોસિયલ મીડિયા પર કોરોનાના આંકડા જોતાં રહેવાનુ અને ડરીને ઘરની અંદર પુરાઈ રહેવાનુ. વચ્ચે દીવા પણ પ્રગટાવ્યા. બધા તહેવારોની ઉજવણી પણ બંધ! અરે આપણે ગરબા ના રમ્યા! આપણે સામાજિક પ્રસંગો પણ ના ઉજવી શક્યા! આપણે જાણે પેરેલાઇઝ્ડ થઈ ગયા!

      આ સમય દરમિયાન માનવજાતના ઈતિહાસમાં પ્રથમવાર ધર્મસ્થાનો પણ બંધ રહ્યા! ( જાણે પરમ શકિતએ  ખુદ સમજાવ્યું કે મને તમે શોધો છો, ત્યાં તો હું હોતો જ નથી!). પરીક્ષાઓ પણ બંધ, બસ માત્ર ખુલ્લા હતા દવાખાના,મેડિકલો, કરિયાણું, અને ડેરીઓ. ( જાણે આપણને સમજાવવા કે ખરેખર આપણાં માટે જીવવા કઈ કઈ જરૂરિયાતો જરૂરી છે?). ઘણા લોકોને આ સમય દરમિયાન પોતાનું વતન યાદ આવ્યું અને તેઓ રાતોરાત ચાલીને પણ નીકળી ગયા. આપણે ધાર્યું ના હોય એવું બધુ જ જાણે આપણી જિંદગી સાથે થઈ ગયું. ખરું રમખાણ તો ઘરમાં થયું. બહાર નીકળવાની મનાઈ એટલે બધા ઘરમાં ને ઘરમાં! ઘર ખાલી ખાલી હતા તે ભરાઈ ગયા. બાળકો સ્કૂલે સચવાતા તે ઘરમાં,ઓફિસે જતાં પુરુષો પણ ઘરમાં, ટૂંકમાં બધા જ ઘરમાં!!!! છેલ્લા થોડા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું કે આપણે બધા 24 કલાક એકસાથે એક જ ઘરમાં અને જે ધમાલ થઈ, થોડા દિવસો તો એવું લાગ્યું કે ઘરમાં સાથે એક છત નીચે રહી શકાશે કે કેમ? આપણે બનાવેલા દરેક પ્લાનિંગ પર આ મુશ્કેલીએ ઠંડુ પાણી રેડી દીધું. દૂર રહેલા આપણાં સગા-સંબંધીઓની ચિંતાએ આ મુશ્કેલીને વધુ ઘેરી બનાવી દીધી. આપણને એ ફીલ થયું કે “ ધરતીનો છેડો એટલે ઘર”

     જો કે સમય જતાં આપણે ઘરમાં સાથે રહેતા પણ શીખી ગયા. કોરોનાએ ભલે સોસિયલ ડિસ્ટન્સ આપ્યું,પણ ઈમોશનલ ડિસ્ટન્સ ઘટી ગયું! અરે વર્ક પણ ફ્રોમ હોમ થઈ ગયું. ઘણા બાળકોને પહેલીવાર ઘરમાં નવું વાતાવરણ જોવા મળ્યું. આપણાં દેશના સૈનિકો ડોકટર્સ અને પોલીસ બની ગયા. ઘણા ડોકટર્સ પણ શહિદ થયા. ઘણા ડોકટર્સે પોતાનું સર્વસ્વ દર્દીઓની સારવારમાં લગાવી દીધું. લોકડાઉન ને લીધે જેઓને બે ટંક ખાવાના ફાંફા હતા, તેઓને ભોજન આપવા માટે પણ અનેક સંસ્થાઓ આગળ આવી. ઘણી બધી સામાજિક સંસ્થાઓ એ પણ લોકોની સેવા કરવા માટે પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું. તો ઘણા બધા લોકોએ દવા,ઈંજેકશન, અને ઓક્સિજનના કાળાબજાર પણ કર્યા. તો કોઈ જગ્યાએ વૃદ્ધોએ પોતાના શ્વાસો એટલે કે વેન્ટિલેટર કોઈ યુવાનને આપીને તેઓને નવજીવન પણ આપ્યું.

    સાથે સાથે આર્થિક નુક્સાનીઓ પણ ચાલુ થઈ ગઈ. મહિનાઓ સુધી અમુક ધંધાઓ બંધ રહ્યા. લોકો માટે કુટુંબનું ભરણ-પોષણ કરવું પણ અઘરું થઈ પડ્યું. એક આશ્ચર્ય એ પણ થયું કે ખેતી સાથે જોડાયેલા રહેલા લોકોને ઓછું આર્થિક નુકસાન થયું. ( કદાચ આપણને ઈશ્વર સમજાવવા માંગતા હશે કે આપણે જમીન સાથે જોડાયેલા માણસો જ છીએ!) રોજનું કમાઈને રોજ ખાવાવાળા લોકો માટે આ સમય સૌથી વધુ કપરો હતો. માત્ર ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આ પરિસ્થિતિ હતી. ઈટલી, બ્રિટન,અમેરિકા, બ્રાઝિલ વગેરે  જેવા દેશોમાં તો પરિસ્થિતી અત્યંત ખરાબ હતી. હજી પણ ઘણા દેશો કોરોનાથી પ્રભાવિત છે જ! પ્રથમ અને બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સગા-સંબંધી ગુમાવ્યા. એ ઈમોશનલ આઘાતમાથી તો હજી પણ આપણે બહાર આવી શક્યા નથી. વર્ષો વીતી જશે, કોરોના સાવ ખતમ પણ થઈ જશે પણ એણે આપણાં સૌના જીવનમાં ઊભો કરેલો ખાલીપો આપણને પૂરતા વાર લાગવાની. શિક્ષણ ક્ષેત્રે, કોરોનાને લીધે ઓનલાઈન શિક્ષણ આવ્યું અને સાથે અનેક સવાલો પણ લાવ્યું. જે સવાલોના જવાબ હજી સુધી મળી શક્યા નથી. ( જો કે કોરોનાને લીધે ઘણા બધા શિક્ષકો અને અધ્યાપકો લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં પણ થયા) જે લોકોએ પોતાની આવકના સ્ત્રોતો ગુમાવ્યા, તેમણે નવા સ્ત્રોતો શોધી પણ લીધા. આપણે આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે કેટલા નવા નવા રસ્તાઓ આ સમય દરમિયાન આપણે આપણી માટે ખોલી દીધા છે.

      મારે તમને પણ એ દિશામાં જ લઈ જવા છે. કોરોના એક એવો સંઘર્ષકાળ લઈને આપણાં સૌના જીવનમાં આવ્યો કે આપણામાં બદલાવ જરૂરી બની ગયો. છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જે ઇચ્છતા હતા તે નવરાશ અને જાત સાથે એક મુલાકાત કરવાનો મોકો આપણને આ સમય દરમિયાન મળ્યો. આ સમયે આપણને જે બોધપાઠ આપ્યા આપણે એમાથી કશું શિખીને અપડેટ થયા કે નહી એ આપણે આપણી જાતને ખાસ પૂછવાનું છે. જોઈએ કેટલાક બોધપાઠ,,,

    જીવનમાં આરોગ્ય સૌથી અગત્યની બાબત છે. પહેલું સુખ તે જાતે નર્યા

    કુટુંબ આપણાં સૌના જીવનના વર્તુળનું કેન્દ્ર છે, જેના વિના આપણે આપણાં જીવનની ત્રિજ્યાઓ ખેંચી શકતા નથી.

    ધર્મસ્થાનોમાં દાન આપવા કરતાં કોઈ ગરીબ વ્યક્તિને કે સામાજિક સંસ્થાને મદદ કરવી વધુ જરૂરી છે.

    માનવતાથી મોટો કોઈ ધર્મ નથી.

    સાચવેલા સંબંધોથી વિશેષ કોઈ સંપતિ નથી.

    પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, જો લડતા રહીશું તો એને પણ પાર કરી શકીશું.

    જેઓ સતત કશું નવું શિખતા રહે છે, તેઓ ફરિયાદો કરતાં પ્રયાસોને વધુ મહત્વ આપે છે.

    ગૃહિણી કેવી રીતે મકાનને ઘર બનાવે છે?

    એકલા એકલા કોઈપણ મુશ્કેલીનો સામનો થઈ શકતો નથી, પણ સમૂહમાં રહીશું તો ગમે તેવી મુશ્કેલીઓનો સામનો થઈ શકશે.

    હજી તમારા મુજબ પણ કોઈ બોધપાઠ હશે. તો એમાથી શિખતા રહીએ અને આ સંઘર્ષકાળનો સામનો કરતાં રહીએ. કોઈપણ સંઘર્ષકાળ આપણામાં રહેલું શ્રેસ્ઠ લાવે છે. એ આપણાં પણ નભે છે કે આપણે તેને તક માનીને આગળ વધીએ છીએ કે અવરોધ માનીને અટકી જઈએ છીએ. જેઓ આ સમય દરમિયાન કશું શીખ્યા છે, તેઓ આગળ પણ સતત અપડેટ થતાં રહેશે. ઘણા બધા લોકોએ આ સંઘર્ષનો સુંદર રીતે સામનો કર્યો છે. આપણે પણ શીખી લઈએ કારણકે જીંદગીની પરીક્ષામાં માસ-પ્રમોશન નથી હોતું! કેમ ખરું ને?

     હવે કોરોનાની ત્રીજી લહેર નહી, પણ આપણાં સૌના જીવનમાં ખુશીઓની લહેર આવે એવી પ્રાર્થના સાથે,

    સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ!

    લાઈક,કમેંટ,શેર....

      જેઓ સમય સાથે અપડેટ નથી થતાં તેઓ આઉટ ઓફ ડેટ થઈ જતાં હોય છે.

     



Sunday 24 October 2021

હજી આજે પણ બિલાડીના ગળે ઘંટ બાંધવાવાળું કોઈ મળ્યું નથી!!!

 

   હજી આજે પણ બિલાડીના ગળે ઘંટ બાંધવાવાળું કોઈ મળ્યું         નથી!!!

 Who will tie the bell on the cat's neck - YouTube

      આજે જ્યારે આસપાસની અને દેશની પરિસ્થિતી જોઈએ છીએ, તો નાનપણની એક વાર્તા યાદ આવી જાય છે. એક ગામમાં એક શેરીમાં  ઘણા બધા ઊંદરો રહેતા હતા. નાના, મોટા, વૃદ્ધ એમ દરેક પ્રકારના ઊંદરો રહેતા હતા. શરૂ શરૂમાં તેઓને કોઈ તકલીફ નહોતી, બધા મોજથી રહેતા હતા.  પણ એક દિવસ એ ગામની એ શેરીમાં એક બિલાડી આવી. બિલાડીને તો આટલા બધા ઉંદર જોઈ મજા આવી ગઈ. તે એકદમ દબાતા પગલે રોજ આવતી અને ઉંદરને મારીને ખાઈ જતી. બિલાડી એટલી સાવધાન રહેતી કે ઉંદર ગમે તેટલા છટકવાનો પ્રયાસ કરે કોઈને કોઈ ઉંદર તો પકડાઈ જ જતો. દિવસે દિવસે બિલાડીનો ત્રાસ વધવા લાગ્યો. અંતે એક દિવસ બધા ઉંદરોએ આ બિલાડીનો ત્રાસ દૂર કરવા શું કરવું? એ નક્કી કરવા એક મીટિંગ બોલાવી. ( આપણે પણ કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવા આવી જ મીટિંગ્સ ભરતા હોઈએ છીએ!!)  બિલાડીનો ત્રાસ દૂર કરવા ઘણાએ અલગ અલગ ઉપાયો સૂચવ્યા. એમાથી એક ઉપાય બધાને ગમી ગયો. એ ઉપાય હતો, બિલાડીના ગળે ઘંટ બાંધવાનો! બધા હા હા કરવા લાગ્યા. પણ એક વૃદ્ધ ઉંદરે કહ્યું ઉપાય સારો છે, પણ બિલાડીના ગળે ઘંટ બાંધશે કોણ? અને બધા એકદમ ચૂપ થઈ ગયા.

  આપણે આપણને નડતી સમસ્યાઓ સામે આ જ કરતાં હોઈએ છીએ. સમસ્યાઓ ઉકેલવા માટે કોઈને કોઈએ તો પહેલ કરવી જ પડે છે. પણ પહેલ કરે કોણ? એ પ્રશ્ન દરેક ક્ષેત્રમાં ઉદભવતો રહે છે! આપણે બધા જ આ સમસ્યાઓ વિષે ચર્ચા કરતાં રહીએ છીએ, પણ તેનો ઉકેલ લાવવા માટે જે પહેલ કરવી પડે એ કરતાં હોતા નથી. બધા ને ખબર છે, સામાજિક અને ધાર્મિક દૂષણો દૂર કરવા કોઈને કોઈએ તો પહેલ કરવી જ પડે છે. પણ કરે કોણ એ શાશ્વત પ્રશ્ન છે.

  આ દેશમાં મોટા ભાગના એમ કહે છે કે ભ્રષ્ટાચાર છે, લાગવગ છે, ભ્રૂણ-હત્યાઓ થાય છે, બળાત્કારો થાય છે, જ્ઞાતિવાદ છે, કોમવાદ છે, પ્રદેશવાદ છે, ગરીબી છે, બેકારી છે, ગામડાઓ હજી વિકસિત નથી, અમુક વિસ્તારોમાં માથાભારે લોકોનો ત્રાસ છે, ધર્મના નામે ઝઘડા થતાં રહે છે, હજી અમુક વિસ્તારોમાં અશ્પૃશ્યતા છે, બાળ-લગ્નો પણ થાય છે, અંધશ્રદ્ધા પણ છે, દેશના પ્રતિભાશાળી લોકોને આગળ આવવાની તકો નથી મળતી, રમતવીરોને તકો નથી મળતી, કૂ-પોષણ છે, વગેરે વગેરે હજી તો લાંબુ લિસ્ટ છે. આપણી સમસ્યાઓનું!! પણ આપણે માત્ર લિસ્ટ જ તૈયાર કરીએ છીએ, તેને દૂર કરવાના ઉપાયોની ચર્ચા કરીએ છીએ, પણ પહેલ કરવાની વાત આવે ત્યારે આપણે ખસી જતાં હોઈએ છીએ. આ બધી જ બિલાડીઓના ગળે ઘંટ બાંધવાની પહેલ કોઈ કરતું નથી.

  કોઈ સરકારી કે ખાનગી ઓફિસોમા આપણું કામ થતાં વાર લાગે કે ના થાય છતાં કરાવવું હોય તો આપણે શું કરતાં હોઈએ છીએ? ખુદને પુંછી લેવું. એ લોકો લાંચ કે રિશ્વત લે છે, પણ આપે છે કોણ? દેશમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર વિષે ચર્ચાઓ બધા કરતાં રહે છે, પણ તેની સામે લડવાની વાત આવે ત્યારે બધા જ.... અરે હકીકત તો એ છે કે બાળકોને બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવાની ભલામણ માતા-પિતા જ કરતાં હોય છે! પોતાના સંતાનોને ભ્રષ્ટાચારની એ.બી.સી.ડી. જ તેઓ શીખવતા હોય છે. ગમે તે રીતે સંતાનોને એડમિશન અપાવવા માતા-પિતા જ હવાતિયાં નાખતા હોય છે. શિક્ષણની હાટડીઓ તેમણે ખોલી પણ ગ્રાહક બનીને આપણે પણ ગયા જ ને! બાળકને તો આપણે જે શીખવીએ એ જ તે શીખે છે, અગર તો આપણને જોઈને શીખે છે! ભ્રષ્ટાચાર એવું કેન્સર છે, જેને દૂર કરવા રેઝ લેવા પડે પણ આ માટે પહેલ કરે કોણ! આપણે સૌ આ સિસ્ટમનો વિરોધ કરવાને બદલે તેનો જ એક ભાગ બની રહી ગયા છીએ. હું મારુ કામ કરાવવા ભ્રષ્ટાચાર નહી જ કરું... કરે છે કોઈ પહેલ?

      હવે વાત કરીએ બીજી આવી જ સમસ્યાની, ભ્રૂણ-હત્યા આ શબ્દ સાંભળીએ ત્યાં જ શરીરમાં કંપારી છૂટી જવી જોઈએ. ( જો આપણે માનવ હોઈએ તો!) પણ એવું નથી થતું. જેમ કોઈ રીઢો ગુનેગાર ઠંડે કલેજે કોઈનું ખૂન કરી નાખે એમ જ કુટુંબના સભ્યો ભેગા મળીને આ કામને ઠંડે કલેજે પાર પાડતા હોય છે! ભ્રૂણ-હત્યા એ દીકરીને દૂધપીતી કરવાના કુરિવાજનું આધુનિક સ્વરૂપ છે. ખબર પડે કે ગર્ભમાં દીકરી ઉછરી રહી છે, એટલે તેના અસ્તિત્વને ત્યાં ને ત્યાં જ ખતમ કરી દેવાનું. આ દૂષણ એ ભણેલા લોકોનું આભૂષણ છે. તેઓ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી ભ્રૂણ-હત્યા કરતાં રહે છે. ગર્ભ-પરીક્ષણ કરવું એ ગુનો બને છે, અહી એવું કોઈ પરીક્ષણ કરવામાં આવતું નથી. આવું બોર્ડ આપણે દરેક દવાખાનામાં વાંચીએ છીએ,પણ એવા કેટલા દવાખાના હશે, જ્યાં આ પરીક્ષણ નહી થતું હોય? તેઓ પરીક્ષણ કરે છે, કારણકે આપણે કરાવીએ છીએ. હાલતા એવા દવાખાના પકડાય છે, જ્યાં આ અધર્મ થતું હોય છે. તેઓ પકડાય છે, પણ છૂટી જતાં હોય છે. અને આપણે કોઈ બીજા દવાખાના તરફ વળી જતાં હોઈએ છીએ. મોટા ભાગના રાજ્યોમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આટઆટલા પ્રયત્નો છતાં! હવે આપણે જ નક્કી કરીએ કે આ કુરિવાજના ગળે ઘંટ કોણ બાંધશે? સિસ્ટમને બદલવા પહેલા આપણે બદલાવવું પડે છે!

       આવું જ વલણ સ્ત્રીઓ સાથે થતાં બળાત્કારો બાબતમાં જોવા મળે છે. બળાત્કાર એવું દૂષણ છે,જે સ્ત્રીઓને તેઓના અસ્તિત્વથી અલગ કરી દેતું હોય છે. આપણા દેશમાં સેકંડે સેકંડે ગણવા પડે એવી રીતે બળાત્કારો થતાં રહે છે. બળાત્કાર બાદ સ્ત્રીઓને મારી પણ નાખવામાં આવે છે, અમુક પ્રદેશોમાં આ કુરિવાજથી લોકો એટલા ડરે છે કે દીકરીઓને સાંજે અમુક સમય થયા બાદ ઘરની બહાર પણ નીકળવા દેવામાં આવતી નથી. છાપામાં ગેંગ-રેપ ના કિસ્સાઓ રોજ છાપાની કાળી શાહીને વધુ કાળી કરતાં રહે છે. દરેક નિર્ભયાના નસીબમાં ન્યાય નથી હોતો! કેટલીક સ્ત્રીઑ તેની નજર સામે જ પોતાની સાથે બળાત્કાર કરનારને ખુલ્લેઆમ ફરતા જોઈ રહે છે. અને રોજ રોજ મરતી રહે છે. પોતાની સાથે થયેલા બળાત્કારને સાબિત કરવા સ્ત્રીઓએ વારંવાર પોતાના અસ્તિત્વ સાથે રેપ કરવો પડે છે. આ દૂષણ સામે લડવાને બદલે મોટા ભાગના લોકો પોતાની દીકરીને આ અન્યાય ચૂપચાપ સહન કરી લેવાનું કહેતા હોય છે! અહી પણ ઘંટ બાંધવાવાળું કોઈ નથી....

            આપણું સમસ્યાઓ તરફનું આવું વલણ જ આપણને કોઈપણ સમસ્યાના ઉકેલ તરફ જવા નથી દેતું. આ બધી સમસ્યાઓ વારંવાર આપણા દેશના અસ્તિત્વને હર્ટ કરતી રહે છે. પણ આપણે હજી પણ આ સમસ્યાઓના ગળે ઘંટ બાંધી શક્યા નથી. અહી તો માત્ર આપણે બે-ત્રણ સમસ્યાઓની જ વાત કરી છે. જો આપણે બધી સમસ્યાઓ વિષે લખીશું તો તો શબ્દો ઓછા પડી જશે. આ બધી સમસ્યાઓ ઉકેલી ના શકાય તેવી નથી, પણ આપણે પહેલ કરતાં ડરીએ છીએ, એટલું જ નહી, જે લોકો પહેલ કરે છે, તેઓને પણ મદદ કરતાં નથી. અહી લડનાર એકલો/એકલી થઈ જતા હોય એવું લાગ્યા કરે છે.

 વળી આપણે એવું પણ વલણ ધરાવીએ છીએ કે કોઈપણ સમસ્યા જ્યાં સુધી મને નથી નડતી ત્યાં સુધી એ મારી સમસ્યા જ નથી. પગ તળે રેલો આવે ત્યારે જ આપણે એ સમસ્યાની મુશ્કેલી અનુભવવા લાગીએ છીએ. સમસ્યાઓ સામે સમસમીને મૌન રહી જવાની આપણને સૌને આદત પડી ગઈ છે. આ સઘળી સમસ્યાઓ લાંબા સમયથી આપણા દેશને પજવી રહી છે, પણ આપણે તેને દૂર કરવાની પહેલ કરવાનું જ જાણે ભૂલી ગયા છીએ.

        આ બધી સમસ્યાઓ સામે લડવા પહેલ કરે એવા વ્યક્તિઓની આજે ખાસ જરૂર છે. છે કોઈ?? ફરિયાદો કરનાર તો ગલીએ ગલીએ છે, બહાનાઓ કાઢનાર રસ્તે રસ્તે ઊભાછે.બસ સમસ્યાઓસામે ઘંટ બાંધનાર જોઈએ છીએ.

લાઈક, કમેંટ, શેર........

          દુનિયામાં સમસ્યા છે, સમસ્યાનું કારણ છે અને સમસ્યાનો ઉકેલ છે.

                                                           ભગવાન બુદ્ધ

 

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...