Friday 5 May 2023

ઓર્ગેનિક અને ઇકો-ફ્રેંડલી સસ્તું કે મોંઘું?

 

ઓર્ગેનિક અને ઇકો-ફ્રેંડલી સસ્તું કે મોંઘું? 

Organic Logo Vector Art, Icons, and Graphics for Free Download

   હમણાં અમે પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા બાબતે લોકોને સમજાવવા એક અભિયાન શરૂ કરેલું. જેમાં લોકોને અમે ઝબલાની જગ્યાએ કાપડની થેલી વાપરવા કહ્યું. અને સાથે સાથે દુકાનદારોને પણ સમજાવ્યા કે પ્લાસ્ટિકના ઝબલા ના રાખો. એક દુકાનદારે કહ્યું, તમારી વાત તો સાચી છે, પણ કાપડની એક થેલી 10/15રૂ. માં પડે છે, જ્યારે આ ઝ્બલા 50પૈસે/ નંગ આવે છે. અને વળી જે ગ્રાહકોને અમે ઝ્બલા આપવાની ના પાડીએ છીએ તેઓ વસ્તુઓ લીધા વગર જતાં રહે છે. અમે બધાએ ભેગા મળીને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી લોકો સુધી પહોંચાડવા પ્રયાસો કરી જોયા પણ આકર્ષક કાપડની થેલી તો પર નંગ 35રૂ. કરતાં પણ મોંઘી પડે છે. વળી કાપડ પર સરખું પ્રિંટિંગ નથી થઈ શકતું એટલે કોઈ સ્પોન્સર પણ ના મળે.

  ઓર્ગેનિક વસ્તુઓના પ્રદર્શનમાં જતાં લોકો કશું જ લીધા વિના પાછા ફરી જતાં હોય છે, કારણકે વસ્તુઓ એકદમ મોંઘી હોય છે. ઓર્ગેનિક ખેતી કરતાં લોકોને પૂંછયું તો તેમણે કહ્યું કે આ વસ્તુઓની ખેતીમાં બહુ મહેનત થાય છે અને ખર્ચા પણ ખૂબ વધી જતાં હોય છે. જેમકે ઓર્ગેનિક ખેતરમાં નકામા ઘાસને દૂર કરવા 1500 થી 2500 સુધીનો ખર્ચ થાય છે, જ્યારે એ ઘાસને એક ખાસ પ્રકારની દવાથી દૂર કરવાનો ખર્ચ માત્ર 70રૂ થાય છે!

    એ જ રીતે જે કઈ ઇકો-ફ્રેંડલી છે, તેવી વસ્તુઓના ભાવ ખૂબ વધારે હોય છે. અને મધ્યમ વર્ગના લોકોની ખરીદીની પહોંચથી બહાર હોય છે. એવું જ શુદ્ધ દૂધ, ઘી કે બીજી દૂધની બનાવટો ખરીદતી વખતે થાય છે. ઓર્ગેનિક કે ઇકો-ફ્રેંડલી વસ્તુઓ ખરીદવા પાછળ ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. આવા કેટલાયે સવાલો લઈને અમે એક પર્યાવરણપ્રેમી અને આરોગ્ય પ્રત્યે ઊંડી કાળજી ધરાવનાર વ્યક્તિ પાસે ગયા. અને તેમણે અમને જે કઈ સમજાવ્યું તે આપણે સૌએ સમજવા જેવુ છે.

  આપણે બધા એવું વિચારીએ છીએ કે ઓર્ગેનિક કે ઇકો-ફ્રેંડલી મોંઘું છે, પણ જો આપણે તેને આરોગ્યની દ્રષ્ટિએ વિચારીશું તો સમજાશે કે આ મોંઘી વસ્તુઑ આરોગ્ય ખરાબ થાય અને જે કઈ ખર્ચો થાય એના કરતાં તો ઘણી સસ્તી પડતી હોય છે. આજે આપણી પાસે સમય નથી એટલે આપણે સૌ જે સસ્તું મળે તે ખરીદી લેતા હોઈએ છીએ. પણ એ જ વસ્તુઓ જ્યારે આપણાં આરોગ્યને નુકસાન પહોંચાડે ત્યારે આપણે પાછા આ જ વસ્તુઓ તરફ પાછા ફરતા હોઈએ છીએ.

 પ્લાસ્ટિકના વપરાશને લીધે આજકાલ કેન્સર અને બીજા અનેક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.  કેન્સરની સારવાર કેટલી મોંઘી અને પીડાદાયક હોય છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. તેનું રીસાયકલિંગ કરવાનો ખર્ચો ખૂબ જ થાય છે. દુનિયાભરના જળ-પ્રવાહો પ્લાસ્ટિકને લીધે પ્રદુષિત થઈ ગયા છે. વિશ્વના 90% દરિયાઈ પક્ષીઓના પેટમાં પ્લાસ્ટિકના ટુકડાઓ હાજર છે. ને પ્રાણીઓ પણ પ્લાસ્ટિકને લીધે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હવે વિચારો 50પૈસાની જગ્યાએ 30/35 રૂ.કે 200 રૂ. સુધીનો  ખર્ચ કરી લેવો સારો કે પછી પર્યાવરણને અને ખુદ આપણને થઈ રહેલું આટલું મોટું નુકસાન સહન કરવું સારું?

 ઇકો-ફ્રેંડલી અને ઓર્ગેનિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જે કુદરતના તત્વોનો ઉપયોગ કરીને કુદરતી રીતે બનાવવામાં આવે છે,જેનાથી માણસ અને કુદરત વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. મને લાગે છે કે લોકો આ વસ્તુઓનું મહત્વ ત્યારે જ સમજશે જ્યારે આ પૃથ્વી પરથી માનવ-જીવન સમાપ્ત થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી હશે.  આપણે આપણી જિંદગી બચાવવા પૈસા ખર્ચીએ છીએ, તો પછી જે વસ્તુઓને લીધે આપણી જિંદગી ખરેખર બચી શકે એમ છે, તેવી વસ્તુઓ મોંઘી હોય તો પણ શા માટે ના ખરીદવી? જે દિવસે આપણી જિંદગી અંત તરફ જઇ રહી હશે તો આપણે ગમે તેટલો ખર્ચો કરીશું, પણ તે દિવસે પૈસા વડે જિંદગી નહી ખરીદી શકીએ પણ અત્યારે પૈસા દઈને ઇકો-ફ્રેંડલી વસ્તૂઓ જરૂર ખરીદી શકીશું!

  આવી વસ્તુઓના ઉત્પાદન થકી જમીનમાં રહેલા પોષક-તત્વો પણ જળવાઈ રહેતા હોય છે. જમીન અને પાણીનું પ્રદૂષણ આવા તત્વો દ્વારા દૂર કરી શકાય છે. તો પછી ઇકો-ફ્રેંડલી બ્રશ કે ચશ્માનો ઉપયોગ કરીને સ્ટાઇલિશ દેખાઈએ અને પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો પણ આપીએ.

 

Wednesday 26 April 2023

વસ્તી-વધારો દરેક સમસ્યાનું મૂળ.... આ હવે સાચું નથી....

 

 વસ્તી-વધારો દરેક સમસ્યાનું મૂળ.... આ હવે સાચું નથી....

The population time bomb

 

  છેલ્લા બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ચૂક્યો છે. આપણે આઝાદ થયા એ વર્ષે આપણી વસ્તી 33 કરોડ હતી અને 76માં વર્ષે આપણે તેમાં ચોખ્ખો 100 કરોડનો વધારો નોંધાવી ચૂક્યા છીએ. છેલ્લા રીપોર્ટ મુજબ ભારતની વસ્તી 143 કરોડ થઈ ગઇ છે. વિશ્વની કુલ વસ્તીના 17.7% હવે ભારતીયો છે.

  અત્યાર સુધી આપણે આપણી દરેક સમસ્યાનું કારણ વસ્તી-વધારાને માનતા હતા. ગરીબી, બેકારી, પ્રદૂષણ, ગંદકી, નીચી માથાદીઠ આવક, વગેરે વગેરે સમસ્યાઓના મૂળમાં વસ્તી-વધારો છે, એવું આપણે સામાજિક વિજ્ઞાનોમાં ભણાવતા આવ્યા છીએ. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આ જ વસ્તી આપણા દેશ માટે સમસ્યાને બદલે વિકાસનું માધ્યમ બની ગઈ છે!

   વિશ્વના વિકસિત રાષ્ટ્રોની નજર આજે ભારતના બજારો પર છે. આજે વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો ભારત સાથે વેપાર કરવા ઊંચા-નીચા થઈ ગયા છે, કારણકે ભારત જેવડું વિશાળ બજાર તેઓને ક્યાં મળવાનું? વસ્તી-વધારાને લીધે ભારતમાં માનવ-શ્રમ ખુબ સસ્તા દરે મળી રહ્યો છે, જેને લીધે વસ્તુઓની પડતર પણ ઘટાડી શકાય છે. વિશ્વની ઘણી બધી એવી કંપનીઓ છે, જેને પોતાના દેશ કરતાં પણ વધુ નફો આ દેશ રળી આપે છે. અને એટલે જ તેઓ કોઈપણ ભોગે ભારતીય બજાર કેપ્ચર કરવા માંગે છે.

   આટલી વિશાળ વસ્તી હોવા છતાં આપણે વૈશ્વિક મંદી સામે ટકી ગયા, કારણકે આપણી વસ્તીનો મોટો ભાગ આજે ઉત્પાદક પ્રવૃતિઓમાં રોકાઇ ગયો છે. વિશ્વના મોટા ભાગના દેશો આજે મંદીમાં સપડાય ગયા છે. ત્યારે ભારતીયો જે કામ મળે તે કરી રહ્યા છે. તમે આજે નાના શહેરોની ગલીઓમાં જઈને જોશો તો ખ્યાલ આવશે કે મધ્યમ વર્ગના ઘરોની મોટા ભાગની સ્ત્રીઓ ભરત-ગૂંથણ, કે પછી સાડી ભરવાના કે ઇમિટેશનના કે બીજા કોઈ કામો કરી રહી છે. શેરીઓમાં બેઠા બેઠા આસપાસની સ્ત્રીઓ સાથે વાતો કરતાં કરતાં તેઓ ભારતના અર્થતંત્રને પરોક્ષ રીતે મજબૂત ટેકો આપી રહી છે.

  યુવાનો અને યુવતીઓની સંખ્યા આપણા દેશમાં સૌથી વધુ છે. ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. અને આ યંગ-જનરેશન આજે અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું કામ અને ક્ષમતા બતાવી રહી છે.સાર્ક-ટેન્કમાં આપણે આપણી યંગ-જનરેશનની કમાલ જોઈ જ રહ્યા છીએ. ગામડાઓમાં યંગ-જનરેશન શિક્ષણ સાથે ખેતીને ટેકો આપી રહી છે. સવારે ચાર કલાકે ઊઠીને બે કલાક ખેતરમાં કામ કરીને છ વાગ્યાની બસ પકડીને 8 વાગ્યે કોલેજે પહોંચી શિક્ષણ મેળવી રહી છે!

 ભારતનો માનવ-શ્રમ આજે વિશ્વના ખૂણે ખૂણે પોતાનો પસીનો વહાવી રહ્યો છે. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો વિકસિત દેશ હશે, જ્યાં ભારતીયોની વસ્તી નહી હોય. હકીકત તો એ છે કે ભારતીયો કોઈપણ પરિસ્થિતિમાં પોતાના કુટુંબ પૂરતી રોજગારી મેળવી લેવામાં માસ્ટરી ધરાવે છે. ફૂટપાથ પર બેસીને ધંધો કરી લેતા લોકો પણ આ દેશમાં છે અને રેંકડી, કેબિન કલ્ચર પણ છે. તો રસ્તાની ધારે ઊભા રહીને પાણી-પૂરી કે બીજી કોઈ વાનગીઓ કે વસ્તુઓ વહેંચીને કમાઈ લેવા વાળાથી આ દેશનું અર્થતંત્ર ધબકતું રહે છે.

 વિશ્વના કુલ મોબાઈલ ધારકોમાં 46.5% એકલા આ દેશના છે.  તો સૌથી વધુ સોનામાં રોકાણ ચીન પછી આ વસ્તી જ કરે છે. વિશ્વની મોટી મોટી કંપનીઓમાં આ જ દેશના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કૃષિ-પેદાશોમાં પણ આપણે એક મોટા ઉત્પાદક રાષ્ટ્ર તરીકે ઊભરી રહયા છીએ. ભારત આજે વિશ્વનું પાંચમું મોટું અર્થતંત્ર બની ગયું છે. ઘણી બધી વસ્તુઓના ઉત્પાદનમાં આજે આપણે આત્મ-નિર્ભર બની રહ્યા છીએ.

આઈ.પી.એલ. ની મેચોમાં સ્ટેડિયમ જોઈને ભલે એવું લાગે, આ દેશમાં નવરા માણસો વધારે છે, પણ એ જ દર્શકોને લીધે એ લીગ આજે વિશ્વની નંબર વન ક્રિકેટ લીગ બની ગઈ છે. ભલે આપણી પાસે પ્લાન્ડ વસ્તી નથી, પણ એવી વસ્તી જરૂર છે જે મુશ્કેલીના સમયે કદમ થી કદમ મેળવીને એકબીજાને સહારો આપી શકે.

 આપણી સરકારના ઘણા પ્રયાસો છતાં આપણે વસ્તીને કંટ્રોલ નથી કરી શક્યા. વસ્તી વધવી જોઈએ હું એવું પણ નથી કહતી પણ એ વસ્તીને હજી વધુ ઉત્પાદક રસ્તે આપણે વાળી શકીએ એમ છીએ. એ સિગ્નલો ઘણા સમયથી આપણને મળી રહ્યાં છે.

Monday 24 April 2023

અમુલ–નંદિની વિવાદ...... it happens only in India!!!

 

અમુલ–નંદિની વિવાદ...... it happens only in India!!!

 Artificial scarcity to favour Gujarati brand': Amul vs Nandini debate takes  centrestage in Karnataka poll campaign | Karnataka Elections | Manorama  English

 

     ડીસેમ્બર-2022માં અમિતભાઈ શાહે ગુજરાતની અમુલ અને કર્ણાટકની નંદિની ડેરી વચ્ચે સહકારની વાતો કરી હતી. તેમણે એવું કહ્યું હતું કે અમુલ અને નંદિની સાથે મળીને સહકારના ક્ષેત્રમાં અગાઉ કોઈએ ના કર્યું હોય તેવું કામ કરી શકે એમ છે. સહકારના વિકાસ થકી જ ડેન્માર્ક અને સ્વીડન જેવા નાના અને યુદ્ધમાં પાયમાલ થઈ ગયેલા દેશોએ પોતાનો આર્થિક વિકાસ સાધ્યો છે. પણ આપણા દેશમાં..... આ બાબતે વિવાદોનું વંટોળ ઊભું કરી દીધું છે.

  5મી એપ્રિલે અમુલે પોતાની ફેશ ડેરી પ્રોડકસને લઈને બેંગલુરુમાં એન્ટ્રી કરવાનું ટ્વિટ કર્યું અને પછી આ બાબતને વિરોધ પક્ષોએ ગલત રીતે ચૂંટણીનો મુદ્દો બનાવીને એવી ચગાવી કે અમુલ ડેરીએ પોતાની એન્ટ્રી રોકવી પડી!

  અમુલ અને નંદિની બંને ભારતની ડેરી ઉદ્યોગની સફળ બ્રાન્ડ્સ છે. બંનેનું પોતાનું આગવું બજાર છે. બંને ડેરીઓ પાસે પોતાના ખાસ ગ્રાહકો છે. બંને GCMMF અને KMF તેઓના માર્કેટમાં નંબર વન છે. બંનેએ પોતાનો વિકાસ ગામડાઑમાથી જ દૂધ ભેગું કરીને કરેલો છે. અમુલ દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદનો બનાવતી કંપની છે, તો નંદિની કર્ણાટકમાં પોતાનું હોલ્ડિંગ ધરાવે છે. જો કર્ણાટકના સો-કોલ્ડ વિરોધ પક્ષોને એવું લાગી રહ્યું હોય કે અમુલ કર્ણાટકમાં એન્ટ્રી કરશે તો નંદિનીનું મહત્વ ઘટી જશે તો એ સાવ પાયા વિહોણી વાતો છે.

 અમુલ અને નંદિનીના ડેરી-ઉત્પાદનોના ભાવમાં ઘણો ફેર છે. અમુલ દૂધના એક પાઉચના 54રૂ. વસૂલ કરે છે, જ્યારે નંદિનીના દૂધનો ભાવ 43રૂ. છે! આવી રીતે નંદિનીની મોટા ભાગની દૂધની બનાવટોનો ભાવ અમુલ ડેરી કરતાં ઓછો છે. તો કેવી રીતે અમુલ નંદિનીનું બજાર કેપ્ચર કરી શકે? અમુલ પોતાના ઘણા બધા ઉત્પાદનો જેવાકે ઘી, માખણ, યોગાર્ટ, આઇસ્ક્રીમ વગેરે કર્ણાટકમાં ઘણા સમયથી વેચે જ છે. તો પછી હવે અત્યારે જ આનો વિરોધ કેમ?

    એક નેતાના કહેવા મુજબ આ રાજ્યમાં નંદિની અને અમુલ સિવાય પણ બીજી 10 કંપનીઓ પોતાની દૂધની બનાવટો વહેંચે છે. અને તેનાથી નંદિનીને કોઈ ફર્ક નથી પડ્યો અને માત્ર અમુલની એન્ટ્રીથી પડશે? સાથે સાથે એમ પણ કહ્યું કે ઉનાળા દરમિયાન કર્ણાટકમાં દૂધની અછત પડે છે, ગયા વર્ષ કરતાં પશુઓમાં લંપી વાઇરસને લીધે 60000 લિટર દૂધનું ઉત્પાદન ઓછું થયું છે. તેને પહોંચી વળવા અમુલને આ બજારમાં દૂધ અને દહી સાથે એન્ટ્રી કરવાની હતી.

  કર્ણાટકની આ ડેરી પોતાના ઉત્પાદનો તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણા વગેરે રાજ્યોમાં વહેંચે છે, તો અમુલ કેમ આવું ના કરી શકે? એક વિચાર એવો પણ છે કે અમુલનું કાર્યક્ષેત્ર નંદિની કરતાં વધુ છે અને તેની પાસે લેટેસ્ટ ટેકનૉલોજિ પણ છે, જેનો લાભ નંદિનીને પણ મળશે. સહકારનો અર્થ જ છે, સૌનો સાથ સૌનો વિકાસ પણ લાગે છે અહી સૌનો વિશ્વાસ નથી મળી રહ્યો.

   વિરોધ પક્ષોનું એવું કહેવું છે કે અમુલ નંદિનીનો માર્કેટ શેર પચાવી પાડશે. તેઓનું માનવું છે કે BJP 49વર્ષોના KMP ના નંદિની સાથેના કોલાબ્રેશનને તોડીને તેને અમુલ સાથે જોડીને પોતાનું one nation one Amul” નું સપનું પૂરું કરવાનો પ્રયાસ કરી રહી છે. વળી તેઓનું એમ પણ કહેવું છે કે દૂધની તંગી એ કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી છે. આ મુદ્દે કર્ણાટકમાં ઉનાળા પહેલા જ ગરમી ચાલુ થઈ ગઈ છે. 10મી મે ના રોજ કર્ણાટકમાં ચૂંટણી છે, ત્યાં સુધી આ મુદ્દો ચગેલો રહેશે. કોઈએક પક્ષ જીતી જશે પછી કોઈને આ મુદ્દો યાદ પણ નહી આવે. અને કદાચ જો વિરોધ પક્ષોમાથી કોઈ જીતે તો આવતા વર્ષોમાં તે પક્ષ જ અમુલની કર્ણાટકમાં એન્ટ્રી પણ કરાવી શકે....!!!

 આપણો દેશ એક એવો લોકશાહી અને જાગૃત દેશ છે, જેમાં ચૂંટણી સમયે કોણે કેટલું કામ કર્યું? કે પછી દેશની સમસ્યાઓનો ઉકેલ લાવવા ક્યાં પક્ષે કેટલૂ કામ કર્યું? તેની ચર્ચા થવાને બદલે કે તેના આધારે નવી સરકાર નક્કી થવાને બદલે સાવ બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઈને ચૂંટણી થતી રહે છે! લોકોની લાગણીઓ સાથે જોડાયેલો એકાદ મુદ્દો ઉઠાવી લ્યો અને પછી તેને # વાઇરલ કરી દયો એટલે પછી આગળ પાછળનું બધુ જ ભૂલીને લોકો આંધળા બની તે તરફ ચાલવા લાગે છે.

 

 

 

 

 

 

Wednesday 12 April 2023

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 

આપણે ગુણવત્તા નહી, આંકડા-પ્રેમી બનીને રહી ગયા છીએ....

 Select one number life partner name dare | Puzzles World

    સ્કૂલમાં છોકરા છોકરીઓના ગ્રૂપમાં પરિણામ પછીની ચર્ચાઓ થતી હતી, એમાં એક છોકરીએ કહ્યું, મારે અર્થશાસ્ત્રમાં 100 માથી 100 આવે એમ હતા, પણ 99 જ આવ્યા, મારે પેપર ખોલવવું છે, એક માર્ક ક્યાં કપાયો? એટલે તેની સાથે ઉભેલા છોકરાએ કહ્યું, યાર બસ કર 99 માર્કસમાં તો અમારા જેવા ત્રણ છોકરાઓ પાસ થઈ જાય! અને બધા હસી પડ્યા. કેટલા માથી કેટલા? આ પ્રશ્ન આજે રાષ્ટ્રીય પ્રશ્ન બની ગયો છે.

     આપણને દરેક ક્ષેત્રોમાં આંકડા સાથે જ પ્રેમ થઈ ગયો છે. વસ્તીગણતરીથી લઈને જુદા જુદા તમામ સર્વેમાં આપણે આંકડાઓ જ તો ભેગા કરતાં રહીએ છીએ. કેટલી સ્ત્રીઓ, કેટલા પુરુષો, કેટલી સાક્ષરતા, કેટલા બાળકો, કેટલા યુવાનો, કેટલા વૃદ્ધો, કેટલા ધર્મો, વગેરે વગેરે......

  એવી જ રીતે દરેક સ્પર્ધામાં પણ આંકડાનો ખેલ જોવા મળે છે, તો આપણું શિક્ષણ તો આંકડાઓની એવી માયાજાળ રચે છે, કે અમુક આંકડાઓ ના મળતા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેતા હોય છે. 28/29 માર્ક્સ લાવનારને વધારાના માર્કસ લાવી પાસ કરવા પડે છે, અને 90-100ની વચ્ચે માર્ક્સ લાવનારના ક્યાથી કાપવા? એ માટે તેનું પેપર ત્રણ વાર ચેક થતું હોય છે!

 સરકારી દરેક પરિપત્ર અને કાર્યક્રમો આંકડાઓ માંગતા રહે છે. વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા? એના કરતાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું વધ્યું? એમાં જ બધાને રસ છે. ઘણીવાર તો ઘણા કાર્યક્રમોમાં માત્ર આંકડા જ માંગવામાં આવે છે. કાર્યક્રમની સફળતાનો માપદંડ જ આંકડાઓ બની રહે છે! તે કાર્યક્રમમાથી કોણ કેટલું શિખ્યું? કે કોણે વાવેલા વૃક્ષોને ઉછેર્યા? કે કોણે પ્લાષ્ટિકનો ઉપયોગ ઘટાડયો? એ બધી જ વાત અભેરાઈએ ધૂળ ખાતી હોય છે. મોટા મોટા નેતાઓની સભામાં કેટલા માણસો આવ્યા? કે લાવવામાં આવ્યા? એના આંકડામાં જ બધાને રસ હોય છે! કેટલા મત મળ્યા? કે કેટલી સીટ મળી? તે  આંકડાઓ પર તો આખા દેશનો શ્વાસ અટકી જતો હોય છે.

જી.ડી.પી. પણ એક આંકડો, અને ગરીબી પણ એક આંકડો, વળી બેકારી પણ એક આંકડો અને સતત વધી રહેલી વસ્તી પણ એક આંકડો! અને હવે તો માણસ કેટલો સુખી છે? એ પણ હેપ્પીનેસ ઇંડેક્સ નક્કી કરે છે! જન્મતું બાળક પોષિત છે કે નહી તેના આંકડાથી માંડીને મૃત્યુદર સુધી બધુ જ આંકડાઓમાં રજૂ થતું રહે છે. સરેરાશ માથાદીઠ આવક પણ એક આંકડો અને આપણું જીવન-ધોરણ પણ એક આંકડો! કહે છે કે આંકડાઓ વિશ્વસનિય માહિતી રજુ કરે છે, પણ સાથે સાથે આંકડાઓ જ ભ્રામક માયાજાળ પણ રચતાં હોય છે!

  ધંધોનો નફો એક આંકડો છે, સૌથી વધુ કમાણી કરતા માણસની આવક એક આંકડો છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની તો સ્થાપના જ આંકડા જાહેર કરવા માટે થઈ હોય એવું લાગ્યા કરે છે. દેશના લોકોની સરેરાશ ઉંમર એક આંકડો છે. નોકરી કરતાં માણસને મળતું પેકેજ કે પગાર પણ આંકડો જ છે. વિશ્વના પાંચ વિકસિત રાષ્ટ્રોનો ક્રમ એક આંકડો છે. જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં આપણે ક્યાં સ્થાન પર છીએ? એ પણ એક આંકડો!

અરે માનવતા પણ આંકડાઓમાં મપાય રહી છે. ક્યાં સંપ્રદાયમાં કેટલા ભક્તો? એ પણ આંકડામાં અને દિવસોની ઉજવણી વખતે કોણ કોણ હાજર હતું? એના પણ આંકડાઓ! દર વિદ્યાર્થીએ કેટલા શિક્ષક? દર દર્દીએ કેટલા ડોક્ટર્સ કે નર્સિસ? દર ચોરસ કિલોમીટરે કેટલી વસ્તી? વગેરે વગેરે આંકડાઓ ભેગા કરી આપણે શું કરી રહ્યા છીએ? કારણકે અત્યારે તો લગભગ દરેક ક્ષેત્રોમાં ગુણવત્તાની ક્રાઈસિસ જોવા મળી રહી છે.

 મોટા મોટા મેગેઝિનોમાં દુનિયાની સૌથી ધનાઢય વ્યક્તિઓના આંકડા અને નામો રીલીઝ થતાં રહે છે, તો દુનિયાની સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓના લિસ્ટ પણ ક્રમ સહિત બહાર પડતાં રહે છે. ગણિત ભલે બધાને અઘરો વિષય લાગતો હોય, પણ આંકડાઓ સાથેનો આપણો સંબંધ વધુ ને વધુ ઘનિષ્ઠ બનતો જાય છે. આપણે સૌ એક ગજબની નંબરગેમ માં ફસાઈને જિંદગીને અઘરી બનાવી રહ્યાં છીએ. માપતા રહીને ઘણું બધુ આપણે પામતા નથી.

 જિંદગીને રેસ સમજીને આપણે સૌ એક નંબર મેળવવા દોડી રહ્યા છીએ. પણ આ આંકડાઓની બહાર પણ એક દુનિયા છે....આપણી ખુશીઓ કોઈ અમુક નમ્બર્સ કે ઇંડેક્સ દ્વારા નકકી ના જ કરી શકાય કેમ ખરું ને?

 

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...