કલાઇમેટ ચેન્જ પ્રત્યે ક્યારે સંવેદનશીલ થઈશું?

ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. ઝાકળને લીધે સવારે ટૂ-વ્હીલર્સની સિટ્સ ભીની થઇ રહી છે. ગમે ત્યારે ગમે ત્યાં પડી રહેલો વરસાદ લોકોને ભીંજવી નથી રહ્યો, પણ હેરાન કરી રહ્યો છે. ક્યારેક એટલો બધો તડકો ફીલ થઈ રહ્યો છે કે ચામડી બળી રહી હોય એવો અહેસાસ થાય છે. લોકો ઘરનું પાગરણ સુકવવા આ તડકાનો આશરો લઈ રહ્યા છે. દિવાળીકામની તૈયારીઓ લગભગ દરેક ઘરોમાં થઈ રહી છે. કેલેન્ડર મુજબ દિવસો વીતી રહ્યા છે, તહેવારો આવીને જઇ રહ્યા છે. હમણાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ લેવાય જશે અને દિવાળી વેકેશન પણ પડી જશે. આમ આપણે જોઈએ તો બધુ જ નોર્મલ ચાલી રહ્યું છે. પણ એક બાબત નોર્મલ ફીલ નથી થઈ રહી અને એ છે, વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો અને દવાખાનામાં વધતી જતી દર્દીઓની સંખ્યા!
નવા નવા રોગો આપણા સૌના જીવનને એબનોર્મલ બનાવી રહ્યા છે. કેરળમાં મગજ ખાનાર અમીબાએ અનેક લોકોના જીવ લઈ લીધા છે. ખુદ ડોક્ટર્સ પણ આ પ્રકારના અમીબાને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. આ ચેપ સામાન્ય રીતે મીઠા પાણીમાં નાક દ્વારા ફેલાય છે અને એટલો દુર્લભ છે કે મોટાભાગના ડોકટરો તેમની આખી કારકિર્દીમાં ક્યારેય કેસનો સામનો કરતા નથી. ખબર પડે કે દર્દીને આ શું થયું છે? ત્યાં સુધીમાં તો તેઓના પ્રાણ નીકળી જાય છે! કેરળમાં વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આબોહવા પરિવર્તન જોખમ વધારી રહ્યું છે. ગરમ પાણી, લાંબો ઉનાળો અને વધતું તાપમાન અમીબા માટે આદર્શ પરિસ્થિતિઓ બનાવે છે. 1 સેન્ટિગ્રેડનો વધારો પણ કેરળના ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં તેના ફેલાવાને ઉત્તેજિત કરી શકે છે અને જળ પ્રદૂષણ અમીબા દ્વારા ખવાયેલા બેક્ટેરિયાને ખવડાવીને તેને વધુ બળ આપે છે.
કેરળમાં 2016 માં કેસ મળવાનું શરૂ થયું, વર્ષમાં ફક્ત એક કે બે, અને તાજેતરમાં સુધી લગભગ બધા જ જીવલેણ હતા. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1962 થી વૈશ્વિક સ્તરે ફક્ત 488 કેસ નોંધાયા છે - મોટાભાગે યુએસ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં. અને 95% પીડિતો આ રોગથી મૃત્યુ પામ્યા છે. આવા તો અનેક રોગોને આપણે આપણા સૌના જીવનમાં એન્ટ્રી આપી દીધી છે. જેનું એકમાત્ર કારણ છે, પર્યાવરણ પ્રત્યેની આપણી બેદરકારી.
આપણે વિકાસની આડમાં વાતાવરણમાં જે કઈ ફેરફારો થઈ રહ્યા છે, તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા છે. કેટલા બધા સિગનલ્સ આપણને મળી રહ્યા છે કે આપણે જે રસ્તે જઇ રહ્યા છીએ, તે આપણને વિનાશ તરફ લઈ જઇ રહ્યો છે. પણ આપણે એ રસ્તેથી પાછા ફરવા જ નથી માંગતા. પંજાબ, હિમાચલ-પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર વગેરે સ્થળોએ કુદરતે જે તાંડવ કર્યું છે, તેના આપણે સાક્ષી છીએ, પણ કોઈ એ પુરાવાઓને યાદ રાખવા જ નથી માંગતા! પ્રવાસન આવા હરવા ફરવાના સ્થળે વસતા લોકોની રોજી-રોટી છે, પણ પ્રવાસનના નામે કુદરત સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે. તેના પરિણામો આપણે સૌ ભોગવી જ રહ્યા છીએ.
દુનિયાનો દરેક દેશ આજે કોઈને કોઈ કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. ક્યાંક ભૂકંપ, તો ક્યાંક દાવાનળ, તો ક્યાંક જવાળામુખી, દેશોને અને દેશોની મિલકતોને બરબાદ કરી રહ્યો છે. છેલ્લા સર્વે મુજબ કુદરતી આફતોએ વૈશ્વિક સ્તરે ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં વિશ્વ હવામાન સંગઠન (WMO) ના સર્વે મુજબ 1970 થી 2021 વચ્ચે હવામાન, આબોહવા અને પાણી સંબંધિત જોખમોને કારણે $4.3 ટ્રિલિયનનું આર્થિક નુકસાન અને 2 મિલિયનથી વધુ લોકોના મોત થયા હતા.
કુદરતને અવગણવાનું પરિણામ આપણી સામે જ છે.વાતાવરણ તેની સ્ફૂર્તિ ગુમાવી રહ્યું છે, અને તેને લીધે આપણે પણ સવારે ફ્રેશનેશ નથી ફીલ કરી રહ્યા. આપણાં સૌના જીવનમાથી વાતાવરણની શુદ્ધતા વિદાય લઈ રહી છે. અને તેના વર્સ્ટ પરિણામો આપણે તો ભોગવી જ રહ્યા છીએ, પણ આવનારી પેઢીઓ પણ ફીલ કરશે. આપણે તેઓને વારસામાં સંપતિના ઢગલા ના આપી શકીએ તો કઈ નહી, પણ શુદ્ધ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ થઈએ.

No comments:
Post a Comment