મારિયા કોરિના મચાડો, મજબૂત લોકશાહી મૂલ્યોની લોખંડી સ્ત્રી....

વિશ્વમાં આજે જે કોઈપણ સફળ છે, તેઓની પાછળ એક લાંબી, સંઘર્ષકથા છે. 'સંઘર્ષ' એ દરેક વ્યક્તિના જીવનનું કોમન તત્વ છે. મુશ્કેલીઓ દરેકની જિંદગીમાં આવે છે, બસ દરેકની તેને હેન્ડલ કરવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે. ઘણા મુશ્કેલીઓ સામે સરેન્ડર કરી દેતાં હોય છે, તો ઘણા મુશ્કેલીઓને સરેન્ડર કરાવતા હોય છે. હકીકત તો એ છે કે આ પૃથ્વી પરનો પ્રત્યેક જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતો હોય છે. કોઈ જીવતા રહેવા તો કોઈ મળેલા જીવનને(સ્ટેટસને) ટકાવી રાખવા સંઘર્ષ કરતાં જ હોય છે. આપણી આસપાસ રોજ આપણે આવી અનેક સંઘર્ષવાર્તાઓને ફીલ કરતાં હોઈએ છીએ.
પણ આ વિશ્વમાં કેટલાક લોકો એવા છે, જે સત્ય, આદર્શો, સિદ્ધાંતો, પરોપકાર, સ્વતંત્રતા, અધિકારો, ગરીબી, કોઈ જાતિ કે વર્ગના વિકાસ વગેરે વગેરે માટે સંઘર્ષ કરતાં હોય છે, પણ આપણા ધ્યાનમાં ત્યારે જ આવે છે, જ્યારે તેઓને કોઈ મોટા એવોર્ડ મળે છે! એમાં પણ જો આ વિશ્વનો સૌથી શ્રેસ્ઠ ગણાતો નોબલ પ્રાઇઝ મળે, એટલે આખી દુનિયાનું ધ્યાન તેઓ તરફ ખેંચાઇ જતું હોય છે. અને થોડા જ સમયમાં એ વ્યક્તિ ગૂગલ પર સૌથી વધુ વાર સર્ચ થયેલી વ્યક્તિ પણ બની જતી હોય છે.
નૉર્વે નોબલ સમિતિ દ્વારા આ એવોર્ડ ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, શરીર શાસ્ત્ર કે દવા,સાહિત્ય, જુદા જુદા માનવશસ્ત્રો અને શાંતિના ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષનું વિશ્વશાંતિ માટેનું નોબલ પ્રાઇઝ મેળવવાની ઈચ્છા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપની અધૂરી રહી ગઈ અને એ એવાર્ડ મળી ગયો વેનેઝુએલાની સંઘર્ષવાર્તાની રાજકારણી મહિલા મારિયા કોરિના મચાડોને. -આ એવોર્ડ તેણીનો દેશની સરકાર સામે શરૂ કરેલા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાનો માર્ગ મોકળો કરવામાં મદદ કરી શકે છે. લોકશાહી અધિકારોને આગળ ધપાવવાના તેમના પ્રયાસોને આ પ્રોત્સાહન થકી એનર્જી મળી જશે.
વેનેઝુએલાની સંઘર્ષકથાની આ હીરોઈનનો જન્મ ઇ.સ. 1967માં કારાકાસમાં થયેલો. ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરીંગની ડિગ્રી મેળવનાર આ મહિલાએ બે દાયકા કરતાં પણ વધુ સમયથી સરમુખત્યારશાહી સામે સંઘર્ષ કરવા લોકોને પ્રેરિત કર્યા હતા. છેલ્લા વર્ષમાં, માચાડોને છુપાઈને રહેવાની ફરજ પાડવામાં આવી છે. તેમના જીવન સામે ગંભીર જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યા અને એક એવી જિંદગી પસંદ કરી જેનાથી લાખો લોકોને પ્રેરણા મળી છે. તેઓ વેનેઝુએલાના સમાજના લશ્કરીકરણનો પ્રતિકાર કરવામાં ક્યારેય ડગમગ્યા નથી. માચાડો શાંતિપૂર્ણ લોકશાહી માટે અડગ યોદ્ધાની જેમ આજે પણ ઊભા છે. અને શાંતિથી પોતાની લડત લડી રહ્યા છે.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વોટ-મોનિટરિંગ સંસ્થા સુમાટેના સ્થાપક તરીકે કરી હતી. તે રાજકીય પક્ષ વેન્ટે વેનેઝુએલાના રાષ્ટ્રીય સંયોજક છે અને 2012 ના વિપક્ષી રાષ્ટ્રપતિ પ્રાઇમરીમાં ભાગ લીધો હતો, જેમાં તેણી હેનરિક કેપ્રિલેસ સામે હારી ગઈ હતી. 2014 ના વેનેઝુએલાના વિરોધ પ્રદર્શનો દરમિયાન, તેણીએ માદુરોની સરકાર સામે પ્રદર્શનોનું આયોજન કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. 2023 માં, માચાડોએ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એકતા ઉમેદવાર બનવા માટે વિપક્ષી પ્રાથમિક ચૂંટણી જીતી. ત્યારબાદ વેનેઝુએલાની સરકારે તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણીના સંતાનો પણ હુમલાના જોખમને લીધે તેનાથી દૂર રહે છે.
વેનેઝુએલા શાંતિનો રસ્તો છોડીને એવા રસ્તે વળી ગયું છે, જ્યાં ડગલે ને પગલે લોકશાહી અને માનવતાનું અસ્તિત્વ જોખમાય રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 8 મિલિયન લોકો પોતાનો દેશ છોડીને જતાં રહ્યા છે, સરમુખત્યારો હિંસાનો આશરો લઈ રહ્યા છે, કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે, સાચું બોલનારને કેદ કરવામાં આવી રહ્યા છે, એવા સમયે પણ આ સંઘર્ષકથા ચાલુ જ છે.
માચાડોનો રાજકીય સંઘર્ષ એ વાતની સાબિતી આપે છે કે લોકશાહી એવા લોકો પર આધાર રાખે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમ હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે, અને જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ હંમેશા તેનો બચાવ કરવો જોઈએ - શબ્દોથી, હિંમતથી અને દૃઢ નિશ્ચયથી."

No comments:
Post a Comment