Friday, 28 November 2025

મિસ યુનિવર્સ સ્પર્ધા અને વિવાદો... ]હમ બને તુમ બને એક દુજે કે લિયે

મિસ યુનિવર્સ સ્પર્ધા અને વિવાદો... ]હમ બને તુમ બને એક દુજે કે લિયે 


Inline image





 

 

    


હેડિંગ :
આવી સ્પર્ધાઓમાં સ્ત્રીઓની સુંદરતા માપવાના જે કઈ માપદંડો હોય, પણ જ્યાં સુધી સ્ત્રીઓને વિશ્વ સન્માનની નજરે નહી જુએ ત્યાં સુધી તેઓ સ્ત્રીઓની સુંદરતાને નહી સમજી શકે.






 થાઈલેંડમાં યોજાયેલી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ગઇકાલે મિસ યુનિવર્સ તરીકે મેક્સિકોના ફાતેમા બોસ્ક ચૂંટાયા. આ જ ફાતેમા બોસ્કે થોડા દિવસ પહેલા આ એવાર્ડમાં ચાલતી ગેરરીતિઓ વિષે વિશ્વને માહિતી આપેલ. તેમણે જ વિરોધ કરેલો કે આ સ્પર્ધામાં પહેલેથી જ બધુ નક્કી હોય છે. આ જ સ્પર્ધકને મિસ યુનિવર્સના થાઈલેન્ડના ડિરેક્ટરે મૂર્ખ કહીને અપમાન પણ કરેલું. એટલે થોડા દિવસો પહેલા ચાલુ સ્પર્ધાએ કેટલીક મોડેલ્સે વોક-આઉટ કરેલું. અને ડીરેકટરે ચાલુ શો એ આ બધાને ડીસક્વોલિફાય કરવાની ધમકી પણ આપેલી. મિસ યુનિવર્સ કમિટીએ આ ઘટનાની નોંધ લીધેલી અને ડીરેકટરે માફી પણ માંગવી પડી હતી.

    આયોજકો પર પસંદગીમાં ગોટાળા કરવાના આરોપસર બે જજીસે રાજીનામાં આપી દીધા. લેબનીઝ-ફ્રેન્ચ સંગીતકાર ઓમર હાર્ફૌચેજેમણે ઇન્સ્ટાગ્રામ પર આઠ સભ્યોની જ્યુરીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતીતેમણે આરોપ લગાવ્યો હતો કે સ્પર્ધા થઈ એ પહેલા જ જયુરીએ ફાઇનલિસ્ટની પસંદગી કરી લીધી હતી. તેના અમુક કલાકો બાદ ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકેલેલેએ પણ વ્યક્તિગત કારણોસર જજ તરીકે રાજીનામું આપી દીધું. આમ આ વર્ષે આ સ્પર્ધા એકદમ વિવાદાસ્પદ રહી. જો કે ભૂતકાળમાં પણ ઘણીવાર આ સ્પર્ધામાં આવા વિવાદો થયેલા છે.

    1957માં મેરી લિયોના ગેજને ખોટું બોલવાને લીધે મિસ યુનિવર્સમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી તો 1994માં વિનર મિસ પ્યુઅર્ટો રિકોનો ખિતાબ છીનવી લેવામાં આવ્યો હતો કારણકે તેણીને બાળક હતું! 1996માં ડોનાલ્ડ ટ્રમ્પે 18 વર્ષની વિનર માચાડોનું વજન વધી જવાથી ટીકા કરેલી. ડોનાલ્ડ ટ્રમ્પે તેણી માટે મિસ પિગી અને મિસ હાઉસ-કીપીંગ જેવા શબ્દો વાપરેલાં! 2008 માં, મિસ પ્યુઅર્ટો રિકો ઇન્ગ્રીડ મેરી રિવેરાએ આરોપ લગાવ્યો હતો કે સ્પર્ધા દરમિયાન તેમના મેકઅપ અને કપડાં પર મરીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 2015 માં, સ્ટીવ હાર્વેએ ખોટા વિજેતાને તાજ પહેરાવી દીધો હતો! 2022માં  મારિયા ફર્નાન્ડા પાવિસિકે અન્ય મિસ યુનિવર્સ સ્પર્ધકો વિશે કરેલી વાતોને  કારણે પોતાનું ટાઇટલ ગુમાવી દીધું. 

   વિશ્વમાં સ્ત્રીઓની સુંદરતા શોધવા માટે, મિસ વર્લ્ડ, મિસ અર્થ, મિસ ઇન્ટરનેશનલ અને મિસ યુનિવર્સ આ ચાર સ્પર્ધાઓ દર વર્ષે યોજાય છે. મિસ યુનિવર્સ સ્પર્ધાની શરૂઆત આંતરરાષ્ટ્રીય પ્યુરિટીડ પેજન્ટ, દ્વારા 1926માં થયેલી. 1935 સુધી આ સ્પર્ધા દર વર્ષે યોજાઇ પણ ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધને લીધે અમુક વર્ષો સુધી તે બંધ કરી દેવામાં આવી. આ સ્પર્ધાની ફરીથી શરૂઆત 1952માં પેસિફિક નિટિંગ મીલ દ્વારા થયેલી. સ્પર્ધાનું સૌપ્રથમ ટી.વી. માં પ્રસારણ 1955માં થયું. સી.બી.એસે ૧૯૬૦માં મિસ યુ.એસ.એ અને મિસ યુનિવર્સ સ્પર્ધાઓનું સંયુક્ત પ્રસારણ શરૂ કર્યું, અને ૧૯૬૫માં અલગ-અલગ સ્પર્ધાઓ તરીકે. ૧૯૭૫માંગલ્ફ અને વેસ્ટર્ન ઇન્ડસ્ટ્રીઝે કેસર-રોથ કોર્પોરેશનને ખરીદી લીધું. ૧૯૯૧ સુધી તે મિસ યુનિવર્સ સ્પર્ધાનું માલિક હતું, ત્યાર બાદ પ્રોક્ટર એન્ડ ગેમ્બલે તેને ખરીદી લીધી.

 ૧૯૯૬માંડોનાલ્ડ ટ્રમ્પે આઇટીટી કોર્પ પાસેથી આ સ્પર્ધા ખરીદીઅને ૨૦૦૨ સુધી સી.બી.એસ સાથે પ્રસારણ વ્યવસ્થા કરી. 1998માં મુખ્ય મથક લોસ એન્જલસથી ન્યુ યોર્ક સિટી ખસેડાયું. ૨૦૦૨ના અંત સુધીમાંટ્રમ્પે એન.બી.સી સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો૨૦૦૩ થી ૨૦૧૪ સુધીઆ સ્પર્ધા યુ.એસ.માં એન.બી.સી પર પ્રસારિત થતી રહી.

    સુસ્મિતા સેને ભારત વતી સૌપ્રથમ 1994માં આ સ્પર્ધા જીતેલી. ત્યારબાદ 2000માં લારા દત્તાએ અને 2021માં હરનાઝ સંધુએ આ સ્પર્ધા જીતેલી. આ સ્પર્ધામાં સ્ત્રીઓના સૌંદર્ય સાથે સાથે તેઓની બુદ્ધિમત્તાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેઓની હાજર જવાબીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. લગભગ 19/20 દિવસો સુધી ચાલતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના તમામ પાસા ધ્યાનમાં લેવામાં આવે છે.

     મિસ યુનિવર્સ સ્પર્ધકોના કહેવા મુજબ આ સ્પર્ધામાં ઘણીવાર સ્ત્રીઓ સાથે મિસ બીહેવ કરવામાં આવે છે. તેઓ જાણે કે કોઈ શો-કેસની આઈટમ હોય તેવો વ્યવહાર તેઓની સાથે કરવામાં આવે છે. એટલુ જ નહી ઘણીવાર તેઓનું જાતિય શોષણ પણ થતું હોય છે. તો મેકઅપ અને ફેશન જગત સાથે જોડાયેલી વ્યક્તિઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે આવી સ્પર્ધાઓ ગોઠવતી હોય છે, એવું પણ ઘણા લોકોનું કહેવું છે.


 


Saturday, 22 November 2025

ફેક માહિતી દ્વારા આપણી સંવેદનાઓ સાથે થઈ રહી છે રમત......

 

ફેક માહિતી દ્વારા આપણી સંવેદનાઓ સાથે થઈ રહી છે રમત.......

 Dealing with Fake News in India

 

 

 

     આવતા વર્ષોમાં ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોમાં એક ફરજનો ઉમેરો કરીને સ્કૂલોમાં પ્રતિજ્ઞા બોલાવવામાં આવશે  અને એ છે, “ હું ફેક માહિતી ફેલાવીશ નહી અને ફેક માહિતી પર વિશ્વાસ કરીશ નહી.” જ્યારે જ્યારે દેશના સાચા નાગરિક કે દેશભક્ત લોકોની વ્યાખ્યા લખવામાં આવશે તો એમાં એવું ઉમેરવામાં આવશે કે જે લોકો ફેક માહિતી નહી ફેલાવે તે આ વ્યાખ્યામાં ફીટ બેસશે. દેશમાં બોમ્બ-બ્લાસ્ટ જેવા સંવેદનશીલ પ્રસંગે પણ સરકારે દેશના લોકોને અપીલ કરવી પડે છે કે મહેરબાની કરીને ખોટી માહિતી ના ફેલાવો કે ખોટી માહિતીથી દૂર રહો.

   દેશમાં રોજ અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બને છે. જેની માહિતી સોસિયલ મીડિયા થકી આપણાં સુધી પહોંચે છે. દેશ આપણો છે, એટલે આવી માહિતીમાં આપણને રસ હોય એ સ્વભાવિક છે પણ છે. કોમ્યુનિકેશનના એક્સપર્ટના કહેવા મુજબ આપણને બધાને થોડા વધતાં ઓછા પ્રમાણમાં બીજાની અંગત લાઈફમાં કે પછી થયેલી ઘટનાઓ વિષે જાણવામાં રસ હોય જ છે. ઘણા તો જીવતા જ એના માટે હોય છે. વર્ષો જૂની એક કોમેડી સીરીયલ હમ પાંચ માં એક એવું પાત્ર આવતું, જેને મળેલી માહિતી બીજાને ના કહે ત્યાં સુધી પેટમાં દૂ:ખ્યા કરતું. જેવી એ વાત બીજા સુધી તે પહોંચાડે તેનું પેટદર્દ ગાયબ થઈ જતું!

  આજકાલ આ કામ આખા દેશે ઉપાડી લીધું છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર, લિંકડેન, વગેરે વગેરે સોસિયલ એપ્સ પર માહિતીનો ઓવરડોઝ ઠલવાતો જ રહે છે, એ એટલો અનલિમિટેડ છે કે દરિયાની વિશાળતા પણ તેની આગળ ટૂંકી પડે!  આવી બધી જ માહિતીની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં પણ વધુ હોય છે. બધાને એમ થાય છે કે પહેલા હું બીજાને માહિતી આપી દઉં. અને એ ચક્કરમાં એ માહિતી સાચી છે કે ખોટી? તેની ખરાઈ કર્યા વિના લોકો આવી માહિતીને આડેધડ શેર કર્યા જ કરે છે. આવી રીતે કેટલાયે અભિનેતા અને અભિનેત્રીઓને મર્યા પહેલા શ્રદ્ધાંજલી અપાઈ ગઈ.

    જીવંત આત્માને આપણે યમરાજા પાસે પહોંચાડી દીધા! ધર્મેન્દ્રજી સાજા થઈને ઘરે આવી ગયા અને સોસિયલ મીડિયા અને આ વખતે તો ઓથેંટીક ન્યૂઝ ચેનલ્સ વાળાએ પણ તેઓને મૃત્યુના દ્વારે પહોંચાડી દીધા! એક સર્કલ જેવુ થઈ ગયું છે, ઘણીવાર તો આપણે સવારે મૂકેલી પોસ્ટ રાત્રે આપણાં સુધી જ પાછી આવે છે! ફોરવર્ડ કરવું એ આજના લોકોનો જીવનમંત્ર બની ગયો છે.

  બ્રેકિંગ ન્યૂઝ આપવાની દરેક ન્યૂઝ ચેનલ્સને એટલી ઉતાવળ હોય છે કે તેને લીધે ઘણા લોકોનું ઘણું બ્રેક થઈ જતું હોય છે. પણ વ્યુયર્સ મેળવી લેવાની લ્હાયમાં હવે આવી ન્યૂઝ ચેનલ્સ પણ સમાચારની ખરાઈ કર્યા વિના સ્ક્રીન પર ખોટી માહિતી દેખાડે છે. અને લોકો તેને સાચી પણ માની લે છે.  ફેક માહિતી અને ફેલ સોસિયલ મીડિયા એકાઉન્ટ એ આજની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અઢળક એવું શેર થતું રહે છે, જેને આપણે સાચું માની લીધું છે, પણ એ હોય છે ખોટું! સાચા સમાચાર મેળવવા એ કોઈ સાચી વ્યક્તિ મળવા જેટલું અઘરું થઈ ગયું છે. આમ તો આપણે આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે ફેક માહિતીનો ઉપયોગ ક્યાં નથી થતો?

  માલનું વેચાણ વધારવા ધંધાકીય એકમો પણ પોતાની પ્રોડક્ટ વિષે ગ્રાહકોને ફેક માહિતી આપતા રહે છે. કોઈપણ પ્રોડક્ટની જાહેરાતમાં કેટલું સત્ય હોય છે? એ આપણને સૌને ખબર છે જ. સોસિયલ મીડિયાના આ જમાનામા જલ્દીથી ફેમસ થઈ જવા મોટા ભાગના લોકો આવી ફેક માહિતી સ્પ્રેડ કરતાં હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ફેક માહિતી આપી છેતરતા હોય છે. તો નેતાઓ ચૂંટણી પ્રચારમાં જે વચનો આપે છે, તે પણ ફેક જ હોય છે ને!

   ભારતમાં સૌથી વધુ ફેક માહિતી રાજકીય ક્ષેત્રે ફેલાય છે. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રનો આવે છે. જુદા જુદા રોગોની રીમીડિઝના વિડિયોઝ અને રીલ્સથી સોસિયલ મીડિયા કાયમ ઓવરલોડેડ રહે છે. ત્યારબાદ સેલિબ્રેટીઝ સાથે સંકળાયેલી માહિતીનો નંબર આવે છે. ઇકોનોમિક ફોરમના લેટેસ્ટ સર્વે મુજબ ભારત ફેક માહિતી બાબતે ઊંચા રિસ્ક ઝોનમાં આવે છે.

  સોસિયલ મીડિયા પર રીલીઝ થતી માહિતીમાથી 70% જેટલી માહિતી ફેક હોય છે. જે આ દેશના 76.6% લોકો સુધી રોજ પહોંચે છે.

Friday, 14 November 2025

વો કાગઝ કી કસ્તી, વો બારીસ કા પાની!

 

 

 

વો કાગઝ કી કસ્તી, વો બારીસ કા પાની!

World Children's Day 2023 : २० नोव्हेंबर..? 'बालदिन' नेमका केव्हा...? या  दिवसाबद्दल अजूनही गोंधळ का...? | Maharashtra Times 

 

અમે નાના હતા, ત્યારની વાત જ કઈક ઓર હતી! આ વાક્ય લગભગ આ દુનિયાની પ્રત્યેક વ્યક્તિએ એકાદવાર તો ફીલ કરેલું જ હશે અને બોલેલું પણ હશે. વિશ્વની તમામ વ્યક્તિઓનું બાળપણ એકસરખું હતું અને રહેશે. એટલું સારું છે કે કોઈ નાનપણથી મહાનતાના લક્ષણો નથી દેખાડતું!

  “આ પૃથ્વી પર જન્મ લેતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરનો માણસ જાત પ્રત્યેનો વિશ્વાસ હજી ડગ્યો નથી.” એવું રવિન્દ્રનાથ ટાગોરે કહેલું હતું. ઘરમાં બાળકનું આગમન થાય એટલે ઘરનો ખૂણેખુણો ખુશીઓથી ઝૂમી ઊઠતો હોય છે. કહે છે, બાળક જન્મે તેની સાથે જ માતા-પિતાનો પણ જન્મ થતો હોય છે. બાળક એક એવી કિતાબ છે, જેના શરૂઆતના પ્રકરણો પર આપણે જે લખીશું એનો પ્રભાવ આખી જિંદગી પર જોવા મળશે.

 દુનિયાભરના મનોવૈજ્ઞાનિકો બાળપણને સમજવાના પ્રયાસો કરી રહ્યા છે. પણ આજે પણ બાળપણ પહેલા જેટલું જ અનપ્રેડિકટેબલ છે. અને એ જ બાળપણની સૌથી રસપ્રદ વાત છે. આપણને સૌને શ્રીકૃષ્ણ અને શ્રી રામની બાળ-લીલાઓ સૌથી વધુ ગમે છે. ઘરમાં આવતું બાળક ઘરના પ્રત્યેક વ્યક્તિની જિંદગીને બદલી નાખે છે. તેના તોફાનો, તેની મસ્તી, તેની આંખોમાં રહેલી નવીનતા, તેના પ્રશ્નોમાં રહેલી વિસ્મયતા, તેની જીદ, તેનું રુદન, તેનું હાસ્ય, તેના નાના શરીરનું હલન-ચલન, બધુ જ આપણાં સૌના જીવનને સતત વહેતું રાખે છે.

  નાની નાની બાબતોમાં ખુશ થઈ જવાનું, ઝઘડાઓને તરત ભૂલી જવાનું, જેની પાસેથી લાભ મળે લઈ લેવાનું, દરેક બાબતોને નવીનતાથી જોવાનું, વગેરે વગેરે આપણને બાળકો સતત શીખવતા રહે છે. નિખાલસતા અને નિર્દોષતા બાળકોની સૌથી મોટી મૂડી હોય છે. આપણી અંદર એક બાળક કાયમ જીવતું રહેવું જોઈએ. જેથી આપણે જિંદગીને જીવવાનું ના ભૂલી જઈએ. જિંદગી આપણને બાળકો જેટલી સરળ લાગવી જોઈએ. જવાબદારીઓના બોજ હેઠળ જિંદગીના કોઈપણ તબક્કે આપણી અંદર ઉછાળતા મારતું બાળપણ સ્થિર ના થઈ જવું જોઈએ.

 

 જીંદગીની જે ક્ષણો આપણે જવાબદારીઓ ભૂલીને જીવીએ છીએ, એ જ મસ્ત બનીને જીવાતી હોય છે. બાળપણ આપણને શીખવાની પદ્ધતિઓ પણ શીખવે છે, આસપાસના વાતાવરણમાથી જે કઈ શીખવાનું મળે, શીખી લઈએ. નીડરતા તો બાળપણની સૌથી મોટી ઓળખાણ છે. બાળપણ જેવુ સાહસિક કોઈ નથી હોતું. બાળપણ સળગતા કોલસાને પણ હાથમાં લઇ શકે છે.

 

આપણે મોટા થઈને જવાબદારીઓના બોજ હેઠળ કચડાઈ નથી જતાં, પણ બાળપણ જીવવાનું ભૂલી જતાં હોઈએ છીએ એટલે જિંદગી અઘરી લાગે છે. બાળપણની મોજ સાચવી રાખવા કરતાં પણ કેરી ફોરવર્ડ કરતાં રહેવું જોઈએ, બાળરમતો બાળપણ સાથે જતી ના રહેવી જોઈએ. ટૂંકમાં બાળપણ આપણી અંદર જીવંત રહેવું જોઈએ. એકવાર ટ્રાય કરી જો જ ના ફાવે તો મોટા તો થઈ જ ગયા છીએ.

  બાળવાર્તાઓ, પરિકથાઓ, દાદા-દાદીની વાર્તાઓ, માતા-પિતાની હુંફ, કાકા-કાકીના લાડ, મોટા ભાઈ-બહેનનું પ્રોટેકશન, કઝીન્સનો સપોર્ટ, મિત્રોની ધિંગામસ્તીથી બાળપણ વિકસતું રહે એ જરૂરી છે. બાળપણ સંપતિ નહી, સંસ્કારો માંગી રહ્યું છે. તે જરૂરિયાતો નહી, સમય માંગી રહ્યું છે. તે ખીલવા અને ખૂલી જવાનો અવકાશ માંગી રહ્યું છે. જે આપણે આપવું રહ્યું.

 ઘણા બાળકો પાસે આજે એટલે બાળપણ નથી કારણ કે માતા-પિતા ગરીબ છે, અને કેટલાક બાળકોનું બાળપણ માતા-પિતાની સંપતિએ છીનવી લીધું છે. એક ભારે થેલો ઊંચકીને રડતાં રડતાં સ્કૂલે જાય છે, અને એક ખાલી થેલો લઈને હસતાં હસતાં એમાં કચરો ભરવા જાય છે. બાળ-મજૂરી ખરેખર કોઈપણ સમાજનું કલંક છે.

 બાળપણ ટિંચાવું જોઈએ, પણ ટોર્ચર ના થવું જોઈએ. ચાની લારીએ ઊડતી વરાળ સાથે બાળપણના સપનાઓ ધૂંધળા ના થઈ જવા જોઈએ. એ ફટાકડાઓના કારખાનાઓમા ધૂંધવાઈ ના જવું જોઈએ. એ ભૂખમરાથી ભૂખ્યું ના રહેવું જોઈએ. બસ એ કાદવમાં ખીલી ઉઠતાં કમળ જેવુ હોવું જોઈએ.

 અને હા ખાસ વાત તો રહી જ ગઈ, એ ઈલેક્ટ્રોનિક ગેઝેટસ સામે ઉછરતું ના હોવું જોઈએ. મોબાઈલ કે ટી.વી. કે ટેબલેટની સ્ક્રીન અને સ્ક્રોલિંગ વચ્ચે ફસાયેલું ના હોવું જોઈએ. શેરીમાં રમતા બાળકોનું દ્રશ્ય આજે ધૂધળું થઈ ગયું છે, પણ આપણે જ પ્રયાસો કરી એ બાળપણને શેરીમાં ઢસડી લાવવું પડશે. તેને શેરીની ધૂળમાં રગદોળવું પડશે અને વડની વડવાઈઓમાં ઝૂલતા શિખવવું પડશે. બાળપણને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા આપણે જ પ્રયાસો કરવા રહ્યા. શું સારું છે? શું ખરાબ છે? તે બાળકોને નથી ખબર, માટે આપણે જ તેઓને એ શીખવવું પડશે....

બાળપણ ઓન-લાઇન ગેમ્સના બદલે બાળ સહજ રમતો સાથે જ જીવાવું જોઈએ. તે શિયાળામાં ઠૂઠવાવું જોઈએ, ગરમીમાં તપવું જોઈએ અને વરસાદમાં ભીંજાવું જ જોઈએ. તે ખાબોચિયામાં છબછબિયા કરતું હોવું જોઈએ, અને એ ગલીઓમાં રખડતું જ હોવું જોઈએ. એ રમતના મેદાનમાં પરસેવો પાડતું હોવું જોઈએ. તે માત્ર ભણતું જ નહી, પણ ઘડાવવું  પણ જોઈએ.

  બાળકોને પ્રકૃતિ સાથે જોડીને જ આપણે પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરી શકીશું. આશા અને ઉમિદ રાખીએ કે બાળકોનું બાળપણ સચવાય રહે અને માતા-પિતા બાળકોને અભાવમાં જીવતા પણ શીખવી શકે. તેની બધી જ નહી, પણ લાગણીઓની જરૂરિયાતો સંતોષીશું તો એ આપોઆપ ખીલી ઉઠશે.

  બાળપણ 365*24 દિવસો કિલ્લોલ કરતું રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.......બાળકોમાં જે કઈ સારું ઉગાડવું છે,તેના બીજ આજથી જ વાવવાનું ચાલુ કરી દઈએ.

 ઘર સે મસ્જિદ હે બહોત દૂર

ચલો યુ કર લે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે.

 

 

Thursday, 6 November 2025

ફસાયેલી દીકરીઓ માટે, એક ડગલું બસ એક ડગલું......

 

ફસાયેલી દીકરીઓ માટે, એક ડગલું બસ એક ડગલું...... 

હેડિંગ: સમાજે ભલે મોટા ભાગની જવાબદારીઓ દીકરીઓ પર નાખી દીધી હોય, પણ આપણે હવે જ્યારે સમાજમાં નવા વિચારોના પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે આ બધી જવાબદારીઓ માથી દીકરીઓને મુક્ત કરી દેવાની છે.

Family Love: How it Looks, and How to Cultivate it

      હમણાં અમારા ગામમાં કારકિર્દી બનાવવા માટે આતુર એક દીકરી સાથે દુર્ઘટના બની ગઈ. આમ તો પ્રેમ એ કોઈપણ વ્યક્તિના જીવનની સૌથી મસ્ત ફીલિંગ હોય છે, જેના થકી આખું જીવન મહેંકતું રહે છે, પણ ક્યારેક આ ફીલિંગ ગલત જગ્યાએ ફીલ થઈ જાય તો આખી જિંદગી તેની નકારાત્મકતા જિંદગીને હેરાન કરતી રહે છે. પ્રેમની મજા તે દીકરી માટે સજા બની ગઈ. જેની સાથે પ્રેમની શ્રદ્ધા સાથે તેણીએ સુંદર જિંદગી જીવવાના સપના જોયા હતા, તે દીકરાએ તેને દગો આપ્યો. અને ફોટાઝ અને વિડિયોઝને લઈને તે દીકરીને તે બ્લેકમેલ કરવા લાગ્યો. તેના આ ખરાબ કામમાં તેના બીજા ત્રણ મિત્રોએ પણ સહકાર આપ્યો!

 શરૂઆતમાં તો દીકરીએ તેનું બ્લેકમેલિંગ સહન કરી લીધું અને માતા-પિતાને ખબર ના પડવા દીધી, પણ એકદિવસ તેની માંગણીએ હદ વટાવી દીધી. માતા-પિતા ઘણા સમયથી દીકરીનું અણધાર્યું વર્તન ફીલ કરતાં હતા, પણ પૂંછતા નહોતા. માંગણીના દિવસે દીકરી તૂટી ગઇ અને રડતાં રડતાં બધુ તેણીએ માતા-પિતાને કહી દીધું. તમને થશે આજકાલ આવા કિસ્સાઓ તો ઘરે ઘરે થાય છે, આમાં નવું શું છે?  માતા-પિતાએ દીકરીનું ઘરથી બહાર નિકળવાનું બંધ કરી દીધું હશે, તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હશે, પેલા દીકરાને જરૂરી પૈસા આપી બધુ સેટલ કરી લીધું હશે.... વગેરે વગેરે આમાથી શીખવાનું શું છે? પણ હવે વાતમાં જે વળાંક છે, તેમાથી આપણે સૌએ ખાસ શીખવાની જરૂર છે.

  તે દીકરીના માતા-પિતાએ કોઈપણ જાતનો કકળાટ કર્યા વિના દીકરીને માનસિક રીતે મજબુત બનાવી, ભૂલને સ્વીકારવાની તેને તાકાત આપી અને લડતા પણ શીખવ્યું. પોલીસમાં જાણ કરી, અને પેલા દીકરાઓને જેલભેગા કર્યા. એટલું જ નહી, હવે એ દીકરી મુક્ત મને સમાજમાં હરીફરી રહી છે અને પોતાની કારકિર્દી એસ્ટાબ્લીસ કરવા મથી રહી છે. તેણીની જીંદગીની ગાડી ફરીથી પાટા પર દોડવા લાગી છે. હિંમતનું એક ડગલું નકરાત્મક સમાજ સામે લડવાનું અનેક ગણું બળ આપણને આપે છે. બસ એ એક ડગલું ભરવાની તાકાત આપણાં સૌમાં હોવી જોઈએ.

  એ દીકરીને જેમ તેના માતા-પિતાએ સપોર્ટ આપ્યો, એવો સપોર્ટ આપનારા માતા-પિતાની સંખ્યા જેટલી સમાજમાં વધશે, તેટલી આપણે દીકરીઓની આત્મહત્યાઓને અટકાવી શકીશું. તેઓને ગલત રસ્તે જતી અટકાવી શકીશું. આ એ સપોર્ટ સિસ્ટમ છે, જેની દરેક દીકરીઓને જરૂર છે. જો આ સપોર્ટ સિસ્ટમ ઓન રહેશે, તો કોઈ આફતાબ શ્રદ્ધાના ટુકડે ટુકડા કરી ફ્રીજમાં નહી મૂકી શકે. અરે દીકરીઓ કદાચ આકર્ષણને પ્રેમ સમજી લઈ, ના પાડી હોય, તેવા છોકરા સાથે ભાગી જાય અને પછીથી કશુંક આવું થાય તો પણ માતા-પિતાએ તેને આવો જ મજબૂત આધાર પૂરો પાડવાનો છે.

  દીકરી આવા નર્ક જેવા જીવનમાથી પાછી આવવા માંગતી હોય તો પણ આપણે સૌએ તેણીને સપોર્ટ આપવો જ રહ્યો. દીકરીઓને નવજીવન આપવાની આ મહામૂલી તક કુટુંબના સભ્યોએ ગુમાવવી જોઈએ નહી. સોસિયલ મીડિયાનો ઉપયોગ જેટલી હદે વધશે, તેટલી હદે આવા કિસ્સાઓ વધવાના છે, સાથે સાથે દીકરીઓ હવે પહેલા કરતાં વધુ ઘરથી બહાર નીકળી રહી છે. એટલે આવું થવાના ચાન્સીઝ વધતાં જ જશે. પણ જો આપણે તેઓની મજબૂત સપોર્ટ સિસ્ટમ બની જઈશું, તો પોતાની જિંદગી સાથે જાણ્યે-અજાણ્યે થયેલી આ દુર્ઘટનાઓનો સામનો દીકરીઓ કરી શકશે.

  સૌથી મહત્વનુ એ પણ છે કે આવા બ્લેકમેલિંગ બાદ આ દીકરીઓને પોતાનું જીવન નવા રસ્તે વાળવામાં પણ આપણે જ મદદ કરવાની છે. હવે તેનો હાથ કોણ જાલશે? એ પ્રશ્ન વણઉકેલ્યો ના રહી જવો જોઈએ. જિંદગીમાં થયેલી દરેક ભૂલોની સુધારણા માટેના રસ્તાઓ હોય જ છે. આવી ભૂલો માટે માત્ર દીકરીઓને જ જવાબદાર ગણીને તેઓને આત્મહત્યાના રસ્તે ધકેલી દેવાનું કોઈપણ સમાજ માટે યોગ્ય નથી.

 સમાજે ભલે મોટા ભાગની જવાબદારીઓ દીકરીઓ પર નાખી દીધી હોય, પણ આપણે હવે જ્યારે સમાજમાં નવા વિચારોના પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે આ બધી જવાબદારીઓ માથી દીકરીઓને મુક્ત કરી દેવાની છે. તેઓ જ્યારે પોતાની ભૂલોની માફી માટે આપણાં સૌ સામે આશાભરી નજરે જોતી હોય તો આપણે સૌએ એ આશાભરી નજરોને નિરાશામાં નથી ધકેલી દેવાની ......

    

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...