Thursday, 4 December 2025

 

લગ્નો શાશ્વત છે, અને લગ્નેત્તર સંબંધો? 
 Extramarital Affair: Why Do Faithful Partners Engage In Adultery?

 

હેડિંગ: 

ખાડા ખોદીને લાશ દાટવી, એના કરતાં આપણા પૂર્વગ્રહો દાટીને અંદર એવું કશુંક ઉગાડીએ કે આપણને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજાય જાય.... 

 

 

 

        ભારતની સૌથી મોંઘી દાટ અને ઠાઠમાઠવાળી મેરેજ સિઝન ચાલી રહી છે. અનેક લગ્નો થઈ રહ્યા છે. પોતાની જિંદગીમાં એક જ વાર (સાચે જ !) આવતા આ પ્રસંગને ચાર ચાંદ લગાડવા લોકો આખી જિંદગીભરની કમાણી વહાવી રહ્યા છે. અને જેની પાસે નથી, તેઓ ઉછીના લઈને આ ખુશીને સેલિબ્રેટ કરી રહ્યા છે. દર વર્ષે એકાદ સેલિબ્રેટીના લગ્નની ધામધૂમની સોસિયલ મીડિયા પર એટલી ચર્ચા અને દેખાડો થાય છે કે આવતી મેરેજ સીઝનમાં અમારે પણ દુનિયાને દેખાડી દેવું છે, એવું નક્કી કરી લઈને ઘણા લોકો ત્રેવડ ના હોવા છતાં બેફામ ખર્ચા કરે છે. અને ઘણીવાર તો માતા-પિતા લગ્નના ખર્ચમાથી બહાર પણ ના આવ્યા હોય અને છૂટા-છેડા થઈ જતાં હોય છે!

 આજકાલના લગ્નોમાં કમીટમેંટ સિવાય બધુ જ હાજર હોય છે. લગ્ન એટલે ગમે તેવી પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી આખી જિંદગી સાથે રહેવું એ જાણે કે ભૂલાય જ ગયું છે. બધા નહી પણ મોટા ભાગના લગ્નોમાં કપલ્સનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ તળિયે આવી ગયો છે. લગ્ન બહારના સંબંધોએ લગ્ન સંસ્થાના પાયા હચમચાવી નાખ્યા છે. એક રીપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા 5 વર્ષોમાં મેરિચ્યુયલ અફેર્સની લીધે સૌથી વધુ આપઘાતો થયા હતા, તો સૌથી વધુ એટલે કે 42% જેટલા મર્ડર થયા હતા. અને તેમાથી મોટા ભાગના એટલા ઘાતક અને ક્રૂર હતા કે તેની વિગતો જાણીને પોલીસની આંખોમાં પણ આંસુ આવી જતાં કે અરેરાટી થઈ જતી.

  એક્સ્ટ્રા મેરિચ્યુયલ અફેર્સની એક આશ્ચર્ય પમાડે એવી માહિતી એ છે કે સ્ત્રીઓ દ્વારા પુરુષો વધુ પ્રમાણમાં મરી રહ્યાં છે. સ્ત્રી-સશક્તિકરણ! એન.સી.આર.બી. ના લેટેસ્ટ રીપોર્ટ મુજબ ભારતમાં રોજ 20 આત્મહત્યા અને હત્યા આવા અફેર્સને લીધે થાય છે. દર વર્ષે લગભગ 4500 સ્ત્રીઓ અને 6000 જેટલા પુરુષો આ અફેર્સને લીધે મૃત્યુને શરણે થઈ જતાં હોય છે. સાથે જીવવું એટલું અસહ્ય થઈ ગયું છે કે મૌત સિવાય બીજો કોઈ વિકલ્પ તેમને દેખાતો નથી. જુદી જુદી સોસિયલ સાઇટ્સ પર લોકો એકબીજાને મળે છે, એકબીજાના જીવનના અને જીવનસાથીના પ્રોબ્લેમ્સ શેર થાય છે, પછી તેઓ મળે છે, આકર્ષણ થાય છે, અને એ આકર્ષણ પતિ કે પત્નીના આપઘાત કે હત્યાનું કારણ બની જાય છે.

   કા તો એકવખતના જૂના પ્રેમીઑનું રીયુનિયન થાય છે અને ના જીવી શકાયેલુ જીવન સપાટી પર તરી આવે છે, અને એ જીવન જીવી લેવા પ્રેમીઓ પોતાના જીવનસાથીને જ નહી, પણ પોતાના સંતાનોને પણ મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સે જે વર્ચ્યુયલ દુનિયા ઊભી કરી છે, તેને લીધી લોકોને પોતાનું લગ્નજીવન બીજાની સાપેક્ષે દૂ:ખી દૂ:ખી જ લાગી રહ્યું છે. સૌના મનમાં મને આ નથી મળી રહ્યું, તેનો અસંતોષ તેઓને ગમે તેવા ક્રૂર રસ્તે લઈ જાય છે. કોઈને મારી નાખવાથી જો પોતાની  જરૂરિયાતો પૂરી થઈ જતી  હોય, તો એકાદ ખૂન કરી લેવામાં કઈ વાંધો નહી, એવું કપલ્સ માનવા લાગ્યા છે. પણ પછી જયારે એ પકડાય ત્યારે જિંદગી કેવી થઈ જશે? એ વાસ્તવિક્તા આ આભાસી દુનિયામાં કોઈ નથી જોઈ રહ્યું!

  છાપું વાંચતાં વાંચતાં આપણા હાથ ધ્રુજી જતાં હોય છે, દિવસોના દિવસો સુધી એ હત્યાઓ અને આત્મહત્યાઓ આપણા મનને અશાંત કરી દેતી હોય છે, તો જેઓ આવા ઘાતકી કિસ્સાઓ સાથે જોડાતા હશે, તેઓને કશું નહી થતું હોય? 

   મોટા ભાગના ઘરોમાં વડીલોની બાદબાકી આ દુર્ઘટનાઑ બનવા માટેનું સૌથી મોટું કારણ છે. ઘરમાં વડીલો હોય તો તેઓ કપલ્સમાં ઊભા થતાં પ્રશ્નોને કેમ ઉકેલવા તે સમજાવી શકે, પણ હવે ઘરમાં વડીલો લોકોને ખાસ કરીને સ્ત્રીઓને જૂના ફર્નિચર કે ડસ્ટબિન જેવા લાગે છે. અને આવા જૂના ફર્નિચરનું મકાનમાં શું કામ?

  તે ઉપરાંત પ્રેમ સંબંધનો સ્ટ્રેસથી લઈને છૂટાછેડા પછીના પરિણામો, ખોટા કાનૂની કેસ અને સામાજિક કલંક પણ  આ આત્મહત્યાઓ અને હત્યાઓ પાછળ છુપાયેલા કારણો છે. ભારતમાં લોકોને પોતાનું લગ્ન-જીવન બચાવવા સાયકોલોજિસ્ટ પાસે જવામાં પણ શરમ આવે છે. હોર્મોનિયલ સમસ્યાઓ અને મૂડ-સ્વીંગસને સમજવા મેરેજ કાઉન્સેલર પાસે જવું જરૂરી છે, પણ આ અંગે હજી આપણે એટલા જાગૃત નથી.

  ખાડા ખોદીને લાશ દાટવી, એના કરતાં આપણા પૂર્વગ્રહો દાટીને અંદર એવું કશુંક ઉગાડીએ કે આપણને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજાય જાય....

 

    

No comments:

Post a Comment

એ.આઈ.રમકડાઓ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

  ‘ એ.આઈ.રમકડાઓ ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!           રમકડાં એક એવું વિશ્વ છે , જ્યાથી બહાર નીકળવું બાળકો માટે અશક્...