Thursday, 15 January 2026

વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ભારતની તકદીર બદલાય છે, પણ શું નવા સંશોધનો થકી તેઓની તકદીર બદલાય છે ખરી??

 

વૈજ્ઞાનિકો અને સંશોધકો થકી ભારતની તકદીર બદલાય છે, પણ શું નવા સંશોધનો થકી તેઓની તકદીર બદલાય છે ખરી??
 Top 10 Scientists in India: From Zero to Science Heroes
 
 
 


 

 

   

  એક પ્રશ્ન છે? જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. આપણાં દેશની ક્રિકેટ ટીમ વર્લ્ડકપ જીતીને આવે એ મહત્વનુ છે કે પછી આપણી ઇસરોની વૈજ્ઞાનિકોની ટીમ ભારતને પ્રથમ પ્રયાસે માર્સ ઓર્બિટર મિશન અંતર્ગત મંગળની ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ દેશનું સન્માન અપાવે એ મહત્વનુ ગણાય? તમે કહેશો કે અલગ અલગ ક્ષેત્રની આ બંને સિદ્ધિઓને કમ્પેર કેવી રીતે કરવી? પણ નૈતિક રીતે જોઈએ તો ( જે દ્રષ્ટિથી આપણે ઓછું જોઈએ છીએ) બીજી ઘટના વધુ મહત્વની ગણાય! બીજી ઘટના સમયે પણ આપણે શેરીઓમાં વિજયનો ઉત્સવ મનાવવા નીકળી પડવું જોઈએ.

 ઇસરો એ સંસ્થા છે, જેણે છેલ્લા 20 વર્ષોમાં આપણાં દેશના અવકાશ સંશોધન ક્ષેત્રને આત્મનિર્ભર બનાવી દીધું છે. ઇસરો જેની સ્થાપના ડો.વિક્રમભાઈ સારાભાઈના પ્રયાસો થકી જવાહર લાલ નહેરૂજીએ કરાવેલ. 1962માં સ્થપાયેલ આ સંસ્થા 1968 સુધી ઇંડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રી-સર્ચ તરીકે જાણીતી હતી.

  15 ઓગષ્ટ,1969માં ઇસરોને તેનું અત્યારનું નામ મળ્યું, ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈજેશન જેણે અત્યાર સુધીમાં 133 અવકાશયાન મિશન, 104 પ્રક્ષેપણ મિશન હાથ ધર્યા છે અને ગગનયાન-ક્રૂ/રોબોટિક અને આંતરગ્રહીય મિશન જેમ કે ચંદ્રયાન-4, ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન, શુક્ર ઓર્બિટર મિશન અને માર્સ લેન્ડર મિશન સહિત અનેક મિશનનું આયોજન કર્યું છે. 2035માં ઇસરો અવકાશમાં ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરશે. જેનું પ્રથમ મોડ્યુલ 2028-2030 ની આસપાસ લોન્ચ થવાની ધારણા છે, જે લાંબા ગાળાના રોકાણ અને માઇક્રોગ્રેવિટી સંશોધનમાં મદદ કરશે. 

  19મી એપ્રિલ, 1975ના દિવસે ભારત દેશનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કરીને અવકાશ સંશોધનક્ષેત્રે પગ મૂકનાર આ દેશે પોતાના વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમને લીધે આખા વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ જ બનાવી લીધી છે. જે સંસ્થાએ આપણને વિશ્વના નકશામાં અગ્રીમ સ્થાન અપાવ્યું તે સંસ્થાના વૈજ્ઞાનિકો વિષે આપણે કેટલું જાણીએ છીએ? અને બીજા કોઈપણ ક્ષેત્રની સેલિબ્રેટીઝ વિષે આપણે કેટલું જાણીએ છીએ? આ પણ એક રસપ્રદ સવાલ છે, જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.

   હવે એના કરતાં પણ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, અને એ છે, આ વૈજ્ઞાનિકોને આર્થિક વળતર અને ફેમ કેટલી મળે છે? અને ક્રિકેટરોને કેટલી?’ ઇસરોના વૈજ્ઞાનિકોને તેઓની નોકરીના વર્ષોને ધ્યાનમાં લઈને એક લેવલ-10ના સરકારી કર્મચારીને જેટલો પગાર મળે, એટલો જ પગાર મળે છે! જુદી જુદી કેટેગરીના વૈજ્ઞાનિકો અને એંજિનિયરોના પગાર તેઓની ઇસરોની નોકરી મુજબ ગણીએ તો હાઈએસ્ટ પગાર પર મંથ 300000 જેટલો મળે છે. જે ક્રિકેટરોની એક મેચ ફી કરતાં પણ ઓછો હોય છે.

   A ગ્રેડના ક્રિકેટર્સને વાર્ષિક 7 થી 8 કરોડ જેટલી આવક મળે છે, વધારાની અને જાહેરાતોની આવક સિવાય! આ બધી આવકોનો ટોટલ કરીશું તો સમજાશે કે ક્રિકેટર્સ કરોડો રૂપિયા મેળવે છે, હજી આપણે આઈ.પી. એલ. ની આવક તો આમાં ઉમેરી જ નથી. જો એ ઉમેરાય તો એક સામાન્ય ક્રિકેટરને પણ આપણા વૈજ્ઞાનિકો કરતાં વધુ આવક મળે છે. ઇવન ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર કેમેરુન ગ્રીનને આ વર્ષે આઈ.પી.એલ. ઓકશનમાં રૂ. 25.20 કરોડ જેટલી રકમ મળી હતી!  ક્રિકેટરો જ્યારે કોઈપણ મોટી ટુર્નામેન્ટ જીતીને આવે તો જે કવરેજ તેઓને મળે છે, જે રૂપિયો તેઓને મળે છે, જે રીતે તેઓનું વિજય સરઘસ નીકળે છે, તેવી પ્રસિદ્ધિ શું આપણા દેશના સંશોધકોને મળે છે?

  આપણા ભારતમાં સંશોધકો અને વૈજ્ઞાનિકો કેમ ઓછા છે? અપાર સંભાવનાઓ હોવા છતાં આપણા યુવા વૈજ્ઞાનિકો અને સંશોધકો દેશમાં રહેવાને બદલે વિદેશોમાં શા માટે જતાં રહે છે? આ સંભાવનાઓને આપણે શા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી આપી શકતા? આપણા જે વૈજ્ઞાનિકો અને સંશોધકો અહી રહીને સંઘર્ષ કરતાં હોય છે, તેઓને જીવનમાં એકાદ વખત તો એ ફીલિંગ થતી જ હોય છે કે આ દેશે આપણી યોગ્ય કદર ના કરી...

  અંધેરી નગરી અને ગંડુ રાજાની વાર્તામાં ગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે, જે દેશમાં બધી વસ્તુઓ એકસરખા ભાવે મળતી હોય, ત્યાં વસવાટ ના કરાય એ જ શિખામણને આપણે થોડી ફેરવીને લખીએ તો, જે દેશમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોને ક્રિકેટર્સ કરતાં પણ ઓછી આવક અને ફેમ મળતી હોય તે દેશમાં!

 

No comments:

Post a Comment

એ.આઈ.રમકડાઓ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

  ‘ એ.આઈ.રમકડાઓ ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!           રમકડાં એક એવું વિશ્વ છે , જ્યાથી બહાર નીકળવું બાળકો માટે અશક્...