સાચે જ સાચું શું છે? એ જ નથી સમજાય રહ્યું......
ક્લાસરૂમમાં ભણાવતી વખતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી ના કરાય એવા પાઠો શીખવીએ છીએ. ઘરમાં સંતાનોને પણ આપણે સમજાવતા રહીએ છીએ કે સત્ય અને પ્રામાણિક્તાના રસ્તે જ ચાલવું જોઈએ. પણ વિદ્યાર્થીઓએ અને સંતાનો જ્યારે વર્ગખંડ અને ઘર છોડીને વાસ્તવિક દુનિયામાં જે કઇ ચાલી રહ્યું છે, તે જુએ છે, ત્યારે તેઓ આપણને પૂંછતા થઈ જાય છે કે આ શું?
પરીક્ષાખંડની બહાર આવી વિદ્યાર્થીઓ ગર્વથી કહે છે કે આખો કલાસ ચોરી કરતો હતો, પણ મે ના કરી. આપણે તેને શાબાશી આપીએ છીએ. પણ જ્યારે પરિણામ આવે ત્યારે જેણે ચોરી કરી હોય, તેઓ ચોરી ના કરનાર વિદ્યાર્થીઓ કરતાં માર્કસમાં આગળ નીકળી ગયા હોય છે. એટલે જેણે ચોરી નહોતી કરી એ વિદ્યાર્થી તરત પૂંછશે કે મેડમ તમે તો કહેતા હતાને કે જે કોપી કરે છે, તેઓ જિંદગીમાં ક્યારેય આગળ નથી નીકળી શકતા. પણ આ લોકો તો અમારાથી આગળ નીકળી ગયા અને નિશાળવાળાએ પોતાના સ્કૂલ પ્રોસ્પેક્ટમાં કે જાહેરાતના ફ્રન્ટ પેઇજ પર તેઓના નામ અને ફોટા પણ મૂકી દીધા.
બાળકોને અને વિદ્યાર્થીઓને ક્યૂ સત્ય શીખવવું? એ જ સમજાતું નથી. હમણાં અમારી નિશાળમાં બે એકસરખા હોશિયાર વિદ્યાર્થીઓએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી. એકે એકદમ પ્રામાણિકતાથી પેપર લખ્યું, જ્યારે બીજા છોકરાના મમ્મી તે સ્કૂલમાં ટીચર હતા, એટલે તેણે પોતાના દીકરાને પેપર લખવામાં મદદ કરી. હવે થયું એવું કે જેણે સાચી રીતે પેપર લખ્યું હતું, તે સીલેકટ ના થયો અને જેણે ચોરી કરીને લખ્યું હતું એ સીલેકટ થઈ ગયો!
હવે પેલો હોશિયાર વિદ્યાર્થી બધાને પુંછી રહ્યો છે, મહેનત કરવા છતા અને પ્રામાણિક્તાથી પરીક્ષા દેવા છતાં હું સીલેકટ કેમ ના થયો? પણ કોઈ પાસે તેના પ્રશ્નનો જવાબ નથી.
આ તો થઈ સ્કૂલો અને કોલેજોની વાત. મોટા ભાગની પ્રવેશ પરીક્ષાઓના પેપર્સ ફૂટી જાય છે. નીટ જેવી દેશની સૌથી અગત્યની પરીક્ષા પણ શંકાના ઘેરામાં ફસાયેલી છે. બાળકો થોડા મોટા થાય એટલે એ પોતાની આસપાસ ગલત રસ્તો પસંદ કરીને આગળ વધતાં લોકોને સફળ થતાં જુએ છે. અને તેઓ વધુ ને વધુ મૂંઝવણમાં મુકાય જાય છે.
જે નિશાળમાં ભણવા જતાં હોય, તે નિશાળનાં શિક્ષકો પાસે ટ્યુશનમાં જવું ફરજિયાત છે. જો તેઓ બીજા કોઈ ટ્યુશનમા જાય તો શિક્ષકો ક્લાસમાં તેઓને સરખું ભણાવતા નથી. ને વળી જેઓ એ શિક્ષકના ટ્યુશનમા જાય તેઓને આઈ.એમ.પી. પ્રશ્નો મળી જતાં હોય છે. અંતે થાકી હારીને માતા-પિતા સંતાનોને એ જ શિક્ષકો પાસે ટ્યુશનમા મોકલે છે અને એકાએક બાળકો હોશિયાર થઈ જતાં હોય છે!
જે માતા-પિતા પોતાના સંતાનોના શિક્ષણ પાછળ લખલૂટ ખર્ચાઓ કરે છે, અને જે માતા-પિતા પોતાના સંતાનોના શિક્ષણ માટે સૌથી વધુ ચિંતિત હોય છે, તેઓ એ પણ જાણવાની કોશિશ નથી કરતાં કે મારુ બાળક જે નિશાળમાં ભણવા જાય છે, ત્યાં ખરેખર ચાલી શું રહ્યું છે? એ નિશાળો જ પોતાનું પરિણામ સારું લાવવા બોર્ડની પરીક્ષાઓમાં બેફામ ચોરીઓ કરાવે છે. ઘરે આવીને બાળક વળી એ જ પ્રશ્ન કરતાં રહે છે. આમાં સાચું શું? તમે કહો એ કે અમારી નિશાળ શીખવે એ?
ઘરે વડીલો વાતો કરતાં હોય કે આ સરકારી કે બિન સરકારી કામ કરાવવા ઘણા ધક્કા ખાધા, પછી નક્કી કર્યું કે સાહેબને આટલા આપી કામ જલ્દી કરાવી લીધું. કોણ લાંબી લાઈનોમાં ઊભું રહે? આમપણ હવે પૈસા દીધા વિના કોઈ કામ થવાનું જ નથી. ગમે તે ઓફીસમાં જઈએ અંડર ટેબલ વહીવટ તો કરવો જ પડે છે. લોન પાસ કરાવવાથી માંડીને, મકાનના નકશા પાસ કરાવવા સુધી, રેશનકાર્ડ કઢાવવાથી લઈને આધારકાર્ડ કે ઇવન આયુષ્યમાન કાર્ડ કઢાવવા કે પછી આ કાર્ડના ગલત ઉપયોગ બાબતે એમ દરેક ક્ષેત્રે આપણે ભ્રષ્ટાચારને એટલો નજીકથી જોઈએ છીએ કે ઘરેથી કામ કરાવવા નિકળીએ ત્યારે આપણને અંદરથી તો એવું જ ફીલ થતું હોય છે કે જે કામ મફતમાં થાય એમ છે, એના પૈસા તો આપવા જ પડશે અને જો પૈસા નહી આપીએ તો કામ નહી થાય.
ડગલે ને પગલે આપણે આ બાબતને એટલી સ્વીકારી લીધી છે કે બાળકોને પ્રામાણિકતા વિષે સમજાવતી વખતે અંદરથી તો આપણને પણ એમ થતું હોય છે કે આપણે જે શીખવી રહ્યા છીએ એ બાબતે આપણને જ શંકા છે કે ખરેખર જે શીખવી રહ્યા છીએ એના થકી જિંદગીમાં આગળ વધી શકાશે ખરા?
ચોપડાઓનો આદર્શવાદ કઈક અલગ છે, વાસ્તવિક દુનિયાના સિદ્ધાંતો કઈક અલગ છે. જે લોકો ખોટા રસ્તે આગળ વધી રહ્યા છે, તેઓને દુનિયા પુજી રહી છે. જેઓને કોઈપણ ગલત કામ બદલ સજા થવી જોઈએ તેઓ મોજથી જીવી રહ્યા છે. કમાણી ગલત રસ્તે લઈ આવો અને પછી એ કમાણીને શુદ્ધ કરવા ધર્મસ્થાનોમાં કે સામાજિક સંસ્થાઓમાં દાન આપી દેવાનું! બસ આ જ સમાજનું સૌથી મોટું સ્ટેટસ બની ગયું છે.
સારા માણસો નથી, એવું નથી પણ પ્રામાણિક્તાનો અર્થ સૌ પોતપોતાની રીતે કરી રહ્યા છે. અને પ્રામાણિક માણસો એટલી બધી કસોટીઓમાથી પસાર થઈ રહ્યા છે કે લોકો તેઓને જોઈને એ રસ્તે જવાનું ટાળી રહ્યા છે. સત્ય અને નીતિમત્તાના મૂલ્યો એવી અભેરાઈએ ચડી ગયા છે, જ્યાથી નીચે નથી ઉતરી રહ્યા. અસત્યના ઘોંઘાટમાં સત્ય શૂન્યાવકાશમાં સરી પડ્યું છે.



