Tuesday 20 December 2022

આપણે જેવા છીએ તેવા સ્વીકારવાની હિંમત છે? આપણા સૌમા!!!

 

આપણે જેવા છીએ તેવા સ્વીકારવાની હિંમત છે? આપણા સૌમા!!

 Self-acceptance quotes | The World of English

 

     કરણ જોહરે પોતાની આત્મકથા An Unsuitable Boyમાં હું ગે છુ એવું સ્વીકાર્યું છે. લોકો તરફથી વારંવાર કરણની જેન્ડરને લઈને થતી પંચાતોનો જવાબ આપતા તેણે જવાબ આપ્યો હતો કે,  "Everybody knows what my sexual orientation is. I don't need to scream it out. If I need to spell it out, I won't only because I live in a country where I could possibly be jailed for saying this". પોતાના શરીરને અને મનને તેમણે સ્વીકારી લીધું છે. માટે જ તેમણે સરોગેસી થકી બે સુંદર બાળકોના પિતા બનવાનું પસંદ કર્યું છે.

  શું આપણે આવી રીતે ખુદને સ્વીકારી શકીએ છીએ ખરા? આપણે આપણા વિકસવાના વર્તુળની ત્રિજ્યા જ એટલી સાંકડી કરી લીધી છે કે સમાજના વર્તુળની બહાર આપણે નીકળી જ નથી રહ્યા. અને એટલે આપણે બીજાને પણ વિકસવા નથી દેતાં! હકીકત તો એ છે કે આપણે ખુદને ક્યારેય નજીકથી જોવાનો કે સમજવાનો જ પ્રયાસ નથી કરતાં હોતા. હેલન કેલરે પોતાનામાં રહેલી શારીરિક ખામીઓને સ્વીકારી લીધી એટલે તેણી માનસિક રીતે મજબૂત બની આગળ વધી શકી. અને એવું કામ કરી બતાવ્યુ જે શારીરિક રીતે ફીટ માણસો પણ નથી કરી શકતા.

   આપણી આસપાસ એવા ઘણા લોકો વસે છે, જેમણે પોતાની જાતને સ્વીકારી લીધી છે, એટલે તેઓ સફળ છે. તેઓને આવી રીતે સફળ થતાં જોઈને પણ આપણે પ્રેરણા લેતા નથી. આપણે ખુદને અને ખુદમાં રહેલી ખામીઓને સમાજથી છુપાવતા રહીએ છીએ. અને તેને લીધે આપણે આપણી વિશિષ્ટતાઓ પર પણ ધ્યાન નથી આપી શકતા.

 આપણે કાળા છીએ, આપણે જાડા છીએ, આપણે ઠીંગણા છીએ, આપણે ઓછાબોલા છીએ, આપણે ગરીબ છીએ, આપણે અશક્ત છીએ, સમાજે નકકી કરેલા માપદંડો મુજબ આપણને જીવવું નથી ગમતું, વગેરે વગેરે બાબતો આપણે આપણા મનમાં એવી રીતે ભરી લેતા હોઈએ છીએ, કે નવી કોઈ વાતો મનમાં દાખલ થઈ જ શકતી નથી! અરે યાર આપણે જેવા હોઈએ ખુદને પસંદ હોવા જોઈએ. જો આપણે આવી બિનજરૂરી બાબતોને જીવનમાં સ્થાન આપતા રહીશું તો ખુદનું જીવન કદી નહી જીવી શકીએ.

આપણે જ્યારે કોઈ સ્થળે કિન્નરને જોઈએ છીએ, તો મજાક ઉડાવતા હોઈએ છીએ. જેઓના આશીર્વાદ લેવા આપણને ગમતા હોય છે, એ વ્યક્તિઓને આપણે એવી નજરથી જોતાં હોઈએ છીએ કે માતા-પિતાને આવા બાળકો જન્મે એ સાથે જ તેઓનો ત્યાગ થઈ જતો હોય છે. છતાં કેટલાક લોકો પોતાના એ શરીરને પણ સ્વીકારીને આગળ વધી જતાં હોય છે. એ શરીરને પણ આપણે સ્વીકારી લેવું જોઈએ.

આપણે જેટલી જલ્દી ખુદને ઓળખી અને સ્વીકારી લઈશું, એટલૂ વહેલા જીવન જીવવાની મોજ માણી શકીશું. આપણે અહી સમાજના માળખામાં ફીટ થવા નથી આવ્યા, પણ ઈશ્વરે આપણા પર મૂકેલી શ્રદ્ધાને ફીલ કરવા આવ્યા છીએ. આપણને એકપણ ફિલટરની જરૂર નથી, કે કોઈના અપ્રૂવલની પણ જરૂર નથી. આપણે જેવા છીએ તેવા રહીએ, જરૂર મુજબ ખુદને અપડેટ કરતા રહીએ અને જિંદગીમાં જીવંતતા ઉમેરતા રહીએ.

  આપણી કોઈપણ ખામી ક્યારેય આપણા પર હાવી ના થવી જોઈએ. આપણે શારીરિક રીતે ભલે વિકલાંગ હોઈએ, પણ માનસિક રીતે આપણે દિવ્યાંગ હોવા જોઈએ. આપણી અંદર જે કઈ હોય તેને સાથે લઈને ચાલવું જરૂરી છે. ટ્રોલ થઈ જવાની બીકે આપણે આપણી જિંદગી વિષે ટ્વિટ કરવાનું છોડી દેવાની જરાપણ જરૂર નથી. સમાજની ચર્ચાની એરણે સૌ કોઈ ચડતું રહે છે, આગળ તેઓ જ વધી શકે છે, જેઓ આ ચર્ચાને અવગણતા રહે છે.

  ખુદનો સ્વીકાર આપણામાં આત્મવિશ્વાસ પેદા કરે છે. જેઓ ખુદને જેવા છે, તેવા સ્વીકારી લે છે, તેઓ માનસિક રીતે મજબૂત બની જતાં હોય છે. જેઓ ખુદને સ્વીકારી લેતા હોય છે, તેઓ પોતાની અંદર રહેલી નકારાત્મકતાને સરળતાથી દૂર કરી લેતા હોય છે. તેઓ જીંદગીને વધુ ઝડપથી હકારાત્મક બનાવી શકતા હોય છે. સમાજે ફૂંકેલા વાવાઝોડાનો તેઓ દ્રઢતાથી સામનો કરી શકતા હોય છે.

 આપણે દેખાવડા ના હોઈએ તો ક્યારેય લઘુતાગ્રંથિથી પીડાવું ના જોઈએ. દુનિયામાં ઘણી એવી વ્યક્તિઓ છે, જે સુંદર ના હોવા છતાં સફળતાના શિખરે છે. આપણી અંદરની ગુણવત્તા જ આપણને બીજાથી અલગ પાડતી હોય છે. સમાજના માપદંડો જ કઈક એવા છે કે સમાજની વ્યાખ્યાઓથી અલગ વ્યક્તિઓ પોતાની જાતને અભિવ્યક્ત કરતાં ડરતી રહે છે અને ક્યારેક તો આવી વ્યક્તિઓ હતાશા અને નિરાશામાં પણ ગરકાવ થઈ જતી હોય છે.

  માટે ખુદને જેવા છીએ, તેવા સ્વીકારવાની હિંમત રાખીએ અને આપણી ખામીઓ અને નિષ્ફળતાને સ્ટેટસમાં મૂકતાં ના ડરીએ. ખુદને અપડેટ કરવા લોકોની કમેંટસને અવગણતા રહીએ. આપણી જિંદગી  કોઈના લાઈક, કમેંટ્સ કે શેર પર આધારિત ના હોવી જોઈએ. આપણી જિંદગી ખુદ પર આધારિત હોવી જોઈએ.

 

 

Friday 2 December 2022

સ્ત્રીઓ ધર્મસ્થાનો, અંદર આવવાની મનાઈ છે....કારણકે?

 

સ્ત્રીઓને ધર્મસ્થાનોની, અંદર આવવાની મનાઈ છે....કારણકે?

Controversial Notice Outside Jama Masjid Gets Withdrawn After Widespread Backlash

     હમણાં હમણાં દિલ્હીની જામા મસ્જિદમાં સ્ત્રીઓએ અંદર આવવું નહી એવા બોર્ડે બહુ વિવાદ જગાવ્યો. અંગે બહુ ચર્ચાઓ ચાલી. અંતે એ બોર્ડ લઈ લેવામાં આવ્યું. તો 2016 પહેલા શિંગળાપૂરના શનિદેવના મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવાની મનાઈ હતી! 2016 પછી તૃપ્તિ દેસાઈની ચળવળને લીધે સ્ત્રીઓને શનિદેવના મંદિરમાં પ્રવેશ મળવા લાગ્યો.

 કેરલના Pathanamthitta district માં આવેલા શબરીમાલા મંદિરમાં સદીઓથી સ્ત્રીઓ માટે નો એન્ટ્રી છે! 1991માં થયેલી એક પિટિશનને લીધે 10 થી 50વર્ષની સ્ત્રીઓને શબરીમાલા મંદિરમાં પ્રવેશવાની મનાઈ હાઇ-કોર્ટે ફરમાવેલી છે. જે સ્ત્રીઓ પિરિયડસમાં હોય તેઓને અંદર આવવાની મનાઈ કરવામાં આવી હતી. જેનો 2018 બાદ ખૂબ જ વિરોધ થયેલો. ઘણી સ્ત્રીઓએ મંદિરના પરિસરમાં જવાના પ્રયાસો કરેલા. ઘણી સ્ત્રીઓ સફળ પણ થઈ. પણ તેઓના ગયા બાદ મંદિરને ફરીથી પવિત્ર કરવામાં આવ્યું! સ્ત્રીઓ વિના કોઈ ધર્મસ્થાન પવિત્ર કેવી રીતે થઈ શકે? ને હાઈકોર્ટે સ્ત્રીઓને મદિરમાં જવાની મંજૂરી આપતા ત્યાં રમખાણો પણ ફાટી નીકળ્યા હતા!

   જે ધર્મસ્થાનોને આપણે ઈશ્વરનું ઘર માનીએ છીએ, એ ઘરોમાં સ્ત્રીઓને શા માટે પ્રવેશ નથી મળતો? સ્ત્રી એ પરમ પિતા પરમાત્માનું સર્જન છે, તો પછી તેઓને શા માટે ધર્મસ્થાનોમાં પ્રવેશવા દેવામાં નથી આવતી? એક સર્વે મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓ ધર્મના અસ્તિત્વને વધુ ઝડપથી સ્વીકારતી હોય છે, તો પછી શા માટે તેઓને ધર્મસ્થાનોથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે?

  સ્ત્રી જ્યારે પિરિયડ્સમાં હોય ત્યારે તેઓને ધર્મસ્થાનોમાં જવાની મનાઈ કરવામાં આવે છે, એ પૂર્વગ્રહ હવે બદલવાની જરૂર છે. પિરિયડસમાં હોવું એ સ્ત્રીના અસ્તિત્વ સાથે સંકળાયેલી ઘટના છે, તે એવું ઋતુચક્ર છે, જે પૃથ્વી પરના લોકોના જન્મ સાથે સંકળાયેલું છે. એ દિવસો કેમ કરીને ઈશ્વરથી દૂર રહેવાના દિવસો હોય શકે? પ્રાચીન સમયથી આપણાં દેશમાં આ માન્યતા ચાલી આવે છે, જેને હવે આપણે બદલવાની જરૂર છે. આપણે આપણાં વિચારોને બદલવાની જરૂર છે. પ્રાચીન સમયમાં જે કાઇપણ કારણો હતા, તે યુગ બદલાય તેની સાથે બદલાઈ જવા જોઈએ. જેટલી ઝડપથી આપણે ટેકનૉલોજિ બદલી રહ્યા છીએ, તે ઝડપે આવા જુનવાણી વિચારો પણ બદલવાની જરૂર છે.

  બીજું કારણ પ્રવેશનિષેધનું ખરેખર જાણવા જેવુ છે. જામા મસ્જિદના ઈમામે બોર્ડનો વિરોધ થતાં એવું કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ અહી સેલ્ફી અને ફોટા પાડવા આવે છે, એટલે આવું બોર્ડ મૂકવું પડ્યું. અરે છોકરીઓ સાથે છોકરાઓ પણ આ બધુ કરતાં હતા, તો તેઓ માટે શા માટે આવું બોર્ડ ના મુકાયું? હકીકત તો એ છે કે પુરુષપ્રધાન સમાજમાં સમાજને જાળવી રાખવાની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીઓ પર નાખી દેવામાં આવે છે. એટલે આવા પ્રવેશનિષેધના નિયમો પણ સ્ત્રીઓ માટે જ મૂકવામાં આવે છે. છોકરાઓ માટે પણ આવું બોર્ડ મૂકી શકાયું હોત...

  પુરુષો તો હોય જ એવા, પણ સ્ત્રીઓએ આવું ના કરવું જોઈએ. એવું કહીને સ્ત્રીઓ પર નિયંત્રણ લાદી દેવામાં આવે છે. મને તો એ જ નથી સમજાતું કે સમાજ શા માટે સ્ત્રીઓને ધર્મસ્થાનોથી દૂર રાખવા માંગે છે? જો સ્ત્રી અને પુરુષ બંને ઉપરવાળાનું જ સર્જન હોય તો પછી સ્ત્રીઓ માટે આવા નિયમો શા માટે? તો વળી ઘણા ધર્મસ્થાનોમાં સ્ત્રીઓને જીન્સ કે બીજા કપડાં પહેરીને ના આવવું, એવી સૂચનાઓનું પાલન કરવું પડે છે.  

 તો વળી ઘણા ધર્મોમાં સ્ત્રીઓને જોવાની પણ મનાઈ કરી દેવામાં આવે છે. ના જોવાથી અંદરના જે કઈ હોર્મોન્સ છે, એ બદલાઈ જવાના? પુરુષો અને સ્ત્રીઓના ધર્મસ્થાનો પણ અલગ અલગ બાંધવામાં આવે છે! તેઓને બને તેટલા દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે. શું થશે એનાથી? પરિણામો આપણી સામે જ છે! જે લોકો ધર્મને સમજવા માંગે છે, તેમણે એક વાત સમજી લેવાની જરૂર છે કે સ્ત્રીઓથી અલગ રહેવાથી તેઓ ક્યારેય ઉપરવાળાની નજીક નથી જઇ શકવાના. આપણાં ઋષિમુનિઓ હમેંશા સાંસારિક જીવન જીવીને જ આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકયા હતા.

 સ્ત્રીઓને ધર્મસ્થાનોથી દૂર રાખવાના આ કારણો સાવ પાયા વિનાના છે. યોગામાં શ્વાસને રોકી રાખવાની ક્રિયા નકારાત્મક ગણાય છે. તેમજ સ્ત્રીઓના પ્રવેશને ધર્મસ્થાનોમાં રોકવાની ક્રિયા પણ નકારાત્મક છે. આપણાં કોઈપણ ધર્મગ્રંથોમાં સ્ત્રીઓને ધર્મસ્થાનોમાં પ્રવેશવા ના દેવી, કે તેઓની સામે પણ ના જોવું, એવું કઈ લખેલું જ નથી. તો પછી આપણે ક્યાં આધારે આ બધા પૂર્વગ્રહો પાછળ દોડી રહ્યા છીએ. ધર્મસ્થાનોમાં જો ખરેખર સૃષ્ટિના સર્જક્નુ અસ્તિત્વ હોય તો સ્ત્રીઓ પણ ત્યાં એન્ટર થઈ શકતી હોવી જોઈએ. એના માટે સ્ત્રીઓએ લડવું પડે એનો અર્થ એ છે કે ત્યાં સર્જકનું અસ્તિત્વ નથી.

   

   

 

Sunday 20 November 2022

લગ્ન સૌથી અંગત સંબંધ, પણ સૌથી વધુ દખલગીરી પામતો સંબંધ!!!

 

લગ્ન સૌથી અંગત સંબંધ, પણ સૌથી વધુ દખલગીરી પામતો સંબંધ!!!

Family interference is one of the reasons why marriages fail - Mufti Menk -  Quotes

 

    હમણાં એક સગાઈમાં જવાનું થયું. બધા ભેગા થાય એટલે ગોસીપ તો થાય જ. એમાં કોઈ પાસેથી જાણવા મળ્યું કે છોકરાને સગાઈ નહોતી કરવી, પણ તેના કુટુંબમાં પ્રભુત્વ ધરાવતા એક મહાનુભાવના કહેવાથી સગાઈ કરવી પડી! લગ્ન જેવા આખી જિંદગીને અસર કરતાં નિર્યણમાં કોઇની આટલી બધી દખલગીરી આજની જનરેશન કેવી રીતે સહન કરી શકે? સાથે સાથે એ પ્રશ્ન પણ થયો.

આપણાં સમાજમાં કેટલાક લોકો એટલા સાર્વજનિક હોય છે, કે જે ગમે તે લોકોના અંગત જીવનમાં ઘૂંસીને તેઓને હેરાન કરતાં રહે છે. આપણાં સમાજમાં અમુક વ્યક્તિઓને કોઈના અંગત ઝોનમાં પ્રવેશવાની ગંદી આદત હોય છે. અને એ આદત ઘણાને હેરાન પરેશાન કરી દેતી હોય છે. દરેક કોલોનીમાં, દરેક કુટુંબમાં, કે દરેક ઘરમાં અમુક વ્યક્તિઓ એવી હોય છે, જેઓનું કામ જ કોઈના આવા કજોડા બનાવવાનું હોય છે. તેઓ પોતાના સંબંધો અને સ્ટેટસ મજબૂત બનાવવા આવા સંબંધો કોઈ પણ પર ઠોકી બેસાડતા હોય છે. આવા લોકો પોતાની વાત મનાવવા સંબંધો પર ગજબનું દબાણ ઊભું કરતાં રહે છે. જો કોઈ લગ્ન માટે ના પડે તો આખી જિંદગી તેઓ સાથે સંબંધ પણ તોડી નાખતા હોય છે.ગરીબ કુટુંબોના લગ્નો આવા ધનિક સગાઓ દ્વારા જ નક્કી થતાં હોય છે!  

  જીવનસાથીની પસંદગીથી લઈને તેઓનું લગ્ન-જીવન કેવી રીતે ચલાવવું ત્યાં સુધી સતત સલાહોનો મારો ચાલુ જ રહે છે. ઘણીવાર તો યુવાન અને યુવતીને એકબીજાને ગમતું ના હોવા છતાં સગાઓના દબાણને લીધે એકબીજા સાથે લગ્ન કરી લેવા પડે છે. લગ્ન પછી બધુ સરખું થઈ જશે, સાથે રહેવાથી પ્રેમ થઈ જશે, એવી સલાહો દ્વારા સંબંધને બાંધી દેવામાં આવે છે, અને પછી એ લગ્નો હાંફતા હાંફતા પૂરા થાય છે.

  ઘરમાં કોઈ કપલને જોઈતું અંગત વાતાવરણ આપણે પૂરું પાડી શકતા નથી. તેઓ સાથે સંકળાયેલી બાબતોને આપણે શ્વાસ લેવા દેતાં નથી! ને પરિણામે સંબંધો હાંફવા લાગે છે. આવી દખલગિરિને લીધે જ સંબંધોમાં સ્ટ્રેસ વધી જતું હોય છે. સંબંધોમાં હળવાશ આવતી નથી ને પરિણામે વ્યક્તિઓ મૂંઝવણ અનુભવતી રહે છે. મહાન વિચારક જોન સેલ્ડન એવું કહેતા કે લગ્ન એક એવી પ્રવૃતિ છે, જેમાં લોકોની દાખલ સૌથી ઓછી હોવી જોઈએ. પણ તેમાં જ સૌથી વધુ લોકો હસ્તક્ષેપ કરે છે!

    લગ્ન-જીવન બેડરૂમમાં અંગત જીવાવું જોઈએ. પણ જ્યારે એ ડ્રોઈંગરૂમમાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે, તો જીવંત રહેતું નથી. સાથે રહીને પ્રેમ જાળવી રાખવો સૌથી અઘરો હોય છે, અને એમાં પણ આસપાસના લોકોની બિનજરૂરી દખલગિરિથી કોઈપણ વ્યક્તિના જીવનના સૌથી અગત્યના સંબંધો મૂંઝાયેલા મૂંઝાયેલા રહે છે. સગા-વહાલાઓ જાણે દંપતિઓના જીવનમાં દબાણ ઊભા કરવામાં જ પોતાનું સુખ માનતા હોય છે. એમાં પણ જે દંપતિઓને મુક્ત જીવવા ના મળ્યું હોય તેઓ સૌથી વધુ કોઈના લગ્ન-જીવનમાં દખલગિરિ કરતાં હોય છે.

   કોઈના જીવનમાં અંગત બાબતોમાં પડવું, એવું શા માટે કરવું જોઈએ? કોઈ બીજાની જિંદગીમાં એન્ટર થવાની આપણી કુટેવો સામેની વ્યક્તિના જીવનમાથી આપણાં માટેનું સન્માન લઈ જતી હોય છે! આપણે મોટાભાગે અંગત સંબંધોને સ્પેસ આપવાનું ભૂલી જતાં હોઈએ છીએ. બે નજીકની વ્યક્તિઓએ પોતાના જીવનમાં શું કરવું કે શું ના કરવું? એ આપણો પ્રશ્ન જ નથી, પણ આપણે તો પતિ-પત્ની પર સમાજની અપેક્ષાઓનો મારો ચલાવ્યે જ કરીએ છીએ.

હવે બાળક ક્યારે? એ પ્રશ્ન આપણાં કુટુંબના દંપતીને પુંછાતો સૌથી સામાન્ય પ્રશ્ન છે. કોઈપણ પતિ-પત્નીના લગ્ન-જીવન સાથે આ પ્રશ્ન સૌથી ફેવિકોલની જેમ ચોંટેલો રહે છે. લગ્નનું એકમાત્ર ધ્યેય જાણે કે આ ગૂડ-ન્યૂઝ હોય એવું લાગતું રહે છે. આપણી કુટુંબ વ્યવસ્થામાં પતિ અને પત્ની આ બંને પાત્રોને જાણે કે પોતાની કોઈ અંગત જિંદગી જ ના હોય એવું આપણાં સમાજમાં જોવા મળે છે. બાળક ક્યારે કરવું?, કેટલા બાળકો કરવા? દીકરી થાય તો શું કરવું? વગેરે વગેરે પ્રશ્નો પતિ-પત્નીના અંગત જીવનનો એક ભાગ હોય છે, પણ તેમાં પણ કુટુંબના લોકોનું દબાણ જોવા મળે છે. માતા-પિતા ના બની શકવું એ જાણે કોઈ ગુનો હોય એવું વાતાવરણ આપણાં સમાજમાં જોવા મળે છે.

 લગ્ન બે કુટુંબોને જોડે છે, એ સાચું પણ એ બે વ્યક્તિઓને બાંધી દેતી વ્યવસ્થા હોય એવું લાગતું રહે છે. પતિ-પત્નીની અંગત જિંદગીને આપણું કુટુંબ જરાપણ અંગત નથી રહેવા દેતું! લગ્નના અમુક વર્ષો બાદ બાળક ના થાય તો તો પતિપત્ની પર જાણે કે પહાડ તૂટી પડે છે. કુટુંબની અપેક્ષાઓ જ મોટાભાગના લગ્ન-જીવનોમાં વિસંવાદ ઊભો કરે છે. પતિ-પત્નીને માતા-પિતા બનવું છે કે નહી? એ તેમણે જ નક્કી કરવા દેવું જોઈએ. અમુક બાબતો જે પતિ-પત્નીના અંગત દાયરામાં આવે છે, તેમાં કોઈએ પ્રવેશ ના કરવો જોઈએ.

  ના તો જીવનસાથી પસંદ કરવામાં કે ના તો લગ્ન-જીવન ચલાવવામાં, સગાવહાલાઓ એ આ રસ્તે ખરેખર એન્ટર થવાની જરૂર નથી ને નથી જ.

Thursday 10 November 2022

ચુંટણીમાં મત આપવા જઈએ ત્યારે.........સાથે શું લઈ જવું?

 

ચુંટણીમાં મત આપવા જઈએ ત્યારે.........સાથે શું લઈ જવું?

 election-commission-of-india - Focus on poll panel's role on election  rallies during pandemic - Telegraph India

  ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ પોતાના દેશની પ્રજા પર પૂરેપુરું નિયંત્રણ ધરાવે છે. આ દેશમાં બહુ વિચિત્ર બાબતો માટે લોકોને સજા આપવામાં આવે છે. જો કોઈ વિદેશી ફિલ્મો જુએ કે વિદેશોમાં કોલ કરે તો તેઓને જેલની સજા આપવામાં આવે છે, એટલું જ નહી કોઈપણ ગુના માટે ત્યાં આખા કુટુંબને સજા કરવામાં આવે છે. અરે લોકો પોતાને ગમતી હેર-સ્ટાઈલ પણ રાખી શકતા નથી! પોતાના જ દેશમાં રહેવા ત્યાનાં લોકોએ વારંવાર પરમીશન લેવી પડે છે!

ચીનમાં ત્યાના ccp લીડર અને જીન પિંગે દેશના લોકો પર અને લોકોની સ્વતંત્રતા પર અનેક નિયંત્રણો લાદેલા છે. હમણાં જ ત્યાની એક મહિલાનો વિડીયો વાઇરલ થયો હતો, જેમાં તે પોતાની જાતને પ્લાષ્ટિક વડે ઢાંકીને છાનામાના કેળું ખાઈ રહી છે! કારણકે ત્યાની સરકારે ઝીરો કોવિડ પોલિસી અંતર્ગત લોકો માટે મુસાફરી સમયે કશું ખાવા પર પ્રતિબંધ મૂકેલો છે! ત્યાની સરકારે લોકોની જિંદગીના દરેક પાસા પર નિયંત્રણો મૂકેલા છે! ત્યાં લોકો જાહેરમાં સરકારની કોઈપણ ના ગમતી નીતિઓ વિષે પણ કશું બોલી શકતા નથી. ત્યાં મીડિયા પર પણ પ્રતિબંધ છે! જીન પિંગે પોતે જીવે ત્યાં સુધી ખુદને ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરી દીધેલ છે!

     અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ સ્ત્રીઓ પર અને ત્યાની પ્રજા પર કેવા કેવા અત્યાચારો કરી રહ્યા છે કે કર્યા હતા? એ આપણે સૌ વારંવાર જુદા જુદા મીડિયાઝ દ્વારા જોઈએ, વાંચીએ કે સાંભળીએ જ છીએ. પ્રેમ કરવાની પણ ત્યાં સજા આપવામાં આવે છે! સ્ત્રીઓના ભણવા પર, મેક-અપ કરવા પર, ઘરની બહાર નિકળવા પર, અરે હસવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે! આ દેશોમાં લોકોને ચૂંટણીઓ થકી પોતાની સરકાર નકકી કરવાનો અધિકાર નથી! પણ આપણને આ હક મળેલો છે.

   આ બધુ તમને એટલા માટે જણાવી રહી છુ કે હમણાં જ આપણાં ચૂંટણી પંચે  કેટલાક રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આપણાં ગુજરાતનો પણ આમાં સમાવેશ થાય છે. લોકશાહી દેશની જનતા માટે ચૂંટણી એક એવું પર્વ છે, જેના થકી તેઓ દેશ અને પોતાના માટે વિકાસનો રોડમેપ તૈયાર કરી શકે છે. કહો ને કે ચૂંટણી થકી જ લોકો પોતાના માટે સાચું કે ખોટું શું છે? તે જાતે નકકી કરી શકે છે. ચૂંટણી જ લોકોને પોતાનું ભાવી નક્કી કરવાની છૂટ આપે છે. પણ આપણે આપણાં મતનો એક મજબૂત હથિયાર તરીકે ઉપયોગ કરીએ છીએ ખરા? આ સવાલનો જવાબ આપણે સૌએ જાતે જ શોધવાનો છે.

  ભારત એક લોકશાહી દેશ છે, જેમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દેશનો વહીવટ ચલાવે છે, લોકો માટે કામ કરે છે. ચૂંટણીની પ્રક્રિયા દ્વારા આપણને સૌને એક એવી સરકાર ચૂંટવાની છૂટ મળે છે, જે આપણાં હિત માટે અને દેશના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કામ કરતી હોય. એક એવી સરકાર જે લોકોના કદમ થી કદમ મિલાવીને કામ કરતી હોય. જેના માટે લોકોનું આરોગ્ય, શિક્ષણ, જીવનધોરણ, તેઓની પ્રાથમિક જરૂરિયાતો સૌથી અગત્યની હોય. એવી સરકાર જેના માટે દેશનો વિકાસ જ સૌથી મોટી પ્રાથમિકતા હોય. સ્થાનિક સ્વરાજથી માંડીને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી.... દરેકની ચુંટણીમાં આ બાબતો મહત્વની હોય છે. જીવંત રહેવા માટે જેમ લાગણીઓ જરૂરી છે, તેમ જ દેશને ધબકતો રાખવા આ દરેક ચૂંટણીઓમાં આપણો મત જરૂરી છે. અને છે જ.

   પણ મત આપવા જતી વખતે કેટલાક સવાલો ખુદને કરી લઈએ.

હું જેને મત આપવા જઇ રહ્યો કે રહી છુ એ વ્યક્તિ મારા મતનું મૂલ્ય સમજે છે ખરો?

હું ધર્મ કે જ્ઞાતીના આધારે મતદાન કરવા જઇ રહ્યો છુ કે રહી છું?

હું કોઈપણ પ્રકારની લાલચમાં આવીને મારા અગત્યના પાંચ વર્ષો ગુમાવી રહી/રહ્યો છુ?

હું પૈસા કે શરાબ માટે કોઈને મત આપી રહી/રહ્યો છુ?

હું કોઈ વ્યક્તિ કે સંગઠનના દબાણમાં આવીને મત આપી રહી/રહ્યો છું? 

હું માત્ર કોઈની વોટબેંકનો હિસ્સો જ તો નથી બની રહી/રહ્યો ને? વગેરે વગેરે ...

      આપણી લોકશાહી હવે શિક્ષિત બની રહી છે, ત્યારે આપણે સૌ માત્રને માત્ર જ્ઞાતીવાદને આધારે જ કે પછી ધર્મના આધારે જ મતદાન ના કરીએ એ ખાસ જરૂરી છે. આપણાં દેશમાં મોટા ભાગની ચૂંટણીઓનો આધાર આ બંને બાબતો જ હોય છે. ચૂંટણીઓને આ જ્ઞાતિવાદ અને ધર્મના વાડામાં સંકુચિત કરી દઇશું તો તેના વિપરીત પરિણામો આપણે અત્યાર સુધી તો ભોગવતા આવ્યા છીએ, હજી પણ ભોગવતા રહીશું.

 જો આપણે તટસ્થ સરકાર ઇચ્છતા હોઈએ તો આપણે પણ તટસ્થ બની મત આપવો પડશે. કોઈપણ પ્રકારની લાલચને ધ્યાનમાં લીધા વિના મતદાન કરવું પડશે. જે દેશોના લોકોને ચુંટણીમાં મત આપવાનો અધિકાર નથી મળ્યો, એવા દેશોમાં જનતાની હાલત કેવી છે? એ આપણે ઉપરના ઉદાહરણો દ્વારા જોયું. આપણને આપણાં બંધારણે આ હક આપ્યો છે, તો તેનો ઉપયોગ દેશના વિકાસ માટે કરીએ નહી કે પોતાના અંગત સ્વાર્થની સફળતા માટે. કોઈ નેતા આપણી જ્ઞાતીનો હોય એટલે મત તેને જ આપીએ એ સંકુચિતતામાથી આપણે આપણાં દેશની ચૂંટણીઓને બહાર લઈ આવવાનો સમય આવી ગયો છે.

  જે હક દુનિયાની વિકસિત જનતાને નથી મળી રહ્યો એ આપણને મળી રહ્યો છે, તો તેનો આપણાં ખુદના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરીએ અને લોકશાહીને જીતાડીએ. મત આપવા જઈએ ત્યારે જરૂરી ડોક્યુમેન્ટની સાથે આ વિચારને પણ સાથે લઈને જઈએ.

  

 



કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...