Tuesday, 8 April 2025

પથ્થર પર કોતરાતી જીંદગીની સફર......

 

પથ્થર પર કોતરાતી જીંદગીની સફર......

Kabhi neelam, kabhi heera - Hindi Shayari,Love Shayari,Attitude Shayari,Sad  Shayari

 

 

પથ્થરો ઈતિહાસ સાચવીને બેઠા હોય છે. કહે છે કે માટીનો એક કણ બનતા વર્ષો લાગે છે. પથ્થરો બનતા તો સદીઓ વીતી જતી હોય છે. અને એ પથ્થરોને  કોતરીને એમાથી બે-નમૂન કૃતિઓ બનતા પણ વર્ષો વીતી જતાં હોય છે. કાળમાં અને કળામા રહેલી સર્જનાત્મકતા થકી પથ્થરો પણ બોલી ઉઠતાં હોય છે. ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતી વખતે આપણે પથ્થરની મૂર્તિઓમાં રહેલી કલાત્મકતાને આંકવાનો વ્યર્થ પ્રયાસ કરતાં હોઈએ છીએ.

  આમ તો આપણે સૌ પથ્થરોને ઝડ માનતા હોઈએ છીએ, પણ કોઈ કારીગરની સર્જનાત્મકતા એ પથ્થરોને પણ જીવંત કરી દેતી હોય છે. એ ઝડ પથ્થરોમાં જ આપણને આપણી શ્રદ્ધાને લીધે ઈશ્વરનો પરિચય થતો હોય છે. એ પથ્થરોમાં આપણને ધબકતો આત્મા દેખાતો હોય છે. ધોબીનો પથ્થર અને ધર્મસ્થાનોના પથ્થર સરખા જ હોય છે, પણ બંનેમાં ફર્ક સર્જનાત્મકતાનો જ હોય છે.

  આપણે જ્યારે કોઈ રાજાઓના મહેલો કે તેમણે બંધાવેલા સ્થાપત્યો જોઈએ છીએ, ત્યારે ત્યાનો એક એક પથ્થર આપણને કશુંક કેવા માંગતો હોય એવું લાગે છે. પથ્થરો રાજાશાહીથી લોકશાહી સુધીની સફરના મૌન સાક્ષી છે. શું શું નહી જોયું હોય?  એ પથ્થરોએ અને એટલે જ કદાચ તેઓ આટલા ઝડ થઈ જતાં હશે. હકીકત તો એ છે કે માણસ જેટલી સર્જનાત્મકતા પથ્થરોને જીવંત કરવામાં વાપરે છે, એટલો તે પોતાની જિંદગીને જીવંત કરી શકતો નથી!

 પહેલાના જમાનામા રાજાઓ રાણીને ખુશ કરવા કે પછી બીજા રાજાઓ કરતાં પોતાના સ્થાપત્યો વધુ સુંદર બને તે માટે પથ્થરો પર સિતમ ગુજારતા. આ પથ્થરો થકી આવનારી પેઢીના હ્રદયમાં રહેવાના પ્રયાસો કરતાં! દરેક પથ્થર કોઈ ને કોઈ વાર્તા સાચવીને બેઠો હોય છે. આ કલાકૃતિનું સર્જન કેવી રીતે થયું? કેવા સંજોગોમાં થયું? તેને બનતા કેટલા વર્ષો લાગ્યા? વગેરે વગેરે પણ પથ્થરોમાં જ કોતરાતું હોય છે.

  એ પથ્થરો થકી જ તો આપણે જે તે સમયમાં સફર કરી શકીએ છીએ. જો કે સમયની થપાટો પથ્થરોને પણ લાગતી હોય છે. તેઓ પર પણ સમારકામ થતું હોય છે. કહે છે કે ખંડેર પરથી પણ કોઈ ઇમારતની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. અને એ ખંડેરોમાં પણ બચ્યું શું હોય છે? પથ્થરો ને પથ્થરો જ!

  નદીકિનારાના પથ્થરો કરતાં દરિયાકિનારાના પથ્થરો અલગ હોય છે. દરિયાકિનારાના પથ્થરો પર લહેરોની થપાટો લાગતી રહે છે. સમયની હથોડી તેઓના શરીરમાં છેદ પાડતી જ રહે છે. તેની ટોચ પર પગ મુકાય જાયતો લોહી નીકળવા લાગે છે. નદીકિનારાના પથ્થરો તેઓના પ્રમાણમાં વધુ ડેલિકેટ લાગતાં રેહ છે. તે લીસા પણ હોય છે.

  આમ જોવા જઈએ તો આરસ પણ એક પ્રકારનો પથ્થર જ છે ને! અને હીરો જેની પાછળ દુનિયા પાગલ છે, એ પણ એક પ્રકારનો પથ્થર જ છે ને! અર્થ એ થયો કે આપણે સૌ પથ્થરો પાછળ જ દોડીએ છીએ. જો કે એ પથ્થરોમાથી જ ઝરણાઓ ફૂંટતા હોય છે. અને જ્યારે એ ધોધ રચે તો આખી પ્રકૃતિ નાચી ઉઠતી હોય છે.

  જ્યારે માણસ આદિમાનવ હતો, ત્યારે તેનું એકમાત્ર હથિયાર પથ્થર હતું. આપણે સૌ પથ્થર-યુગમાં પણ જીવી ગયા છીએ. બે પથ્થરોને અથડાવીને જ આપણે આગ ઉત્પન્ન કરેલી. પથ્થરોની ગુફાઓ જ આદિમાનવનું પહેલું ઘર હતું. આ પથ્થરોની વચ્ચે જ માણસોના ઘરોમાં લાગણીઓ, ઝઘડાઓ, વગેરે વગેરે રેલાતું હોય છે. પથ્થરો જ માણસોને હુંફ આપે છે.

 પથ્થરો પર પ્રેમીઓ પોતાના નામ પણ લખતા હોય છે. ગામ કે શહેરની બહારના પથ્થરો સાથે આજની યંગ જનરેશન સૌથી વધુ સેલ્ફીઝ લેતી હોય છે. કોઈ વ્યક્તિમાં લાગણીઓ ઓછી હોય કે તેઓ વિપરીત પરિસ્થિતિમાં મજબૂત રહી શકતા હોય કે રડતા ના હોય તો તેને પથ્થર હ્રદયવાળી વ્યક્તિ કહે છે.

  પણ સાચું તો એ છે કે પથ્થરો પણ સંવેદનાઓ ફીલ કરતાં હોય છે. બસ તેઓ દર્શાવતા હોતા નથી. તેઓ દરેક સમયને હસતાં હસતાં જીરવી લેતા હોય છે, તમને થશે પથ્થરો તો કદી હસતાં હસે? અરે યાર પથ્થરો પણ હસે છે. કારણકે તેઓને પણ માણસો સાથે જોડાયેલી વેદનાઓ અને સંવેદનાઓ અસર કરતી હોય છે.

  ફીલ કરજો જે પથ્થરોના મકાનમાં આપણે રહીએ છીએ, તેઓ આપણી ખુશીઓમાં હસે છે, અને આપણા દૂ:ખોમાં રડે છે. સાંભળજો ધ્યાનથી દરેક પથ્થર કઈક કહે છે. વ્યક્તિને પણ બહુ બધા દૂ:ખો પથ્થર જેવી કરી દેતાં હોય છે. પણ એ પથ્થર જ્યારે પીગળે ત્યારે સંવેદનાઓના બાંધ તૂટી જતાં હોય છે.

    પથ્થરો વડે બાંધેલા સેતુ થકી આપણે લોકો સુધી પહોંચી શકીએ છીએ. પેલે પાર જઇ શકીએ છીએ. ઇનફેક્ટ આપણે રહીએ જ છીએ, પથ્થરો સાથે. તમને થશે આ શું? પથ્થર પર વળી કોણ લખે? ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી તો ફીલ કર્યું કે આ પથ્થરો પણ કઈક કહેવા માંગે છે. પોતાની અંદર રહેલી મજબૂતાઈને લીધે તેઓ સદીઓ સુધી અડીખમ ઊભા રહી શકે છે.

  આપણે પણ તેઓ જેવા મજબૂત બનીને જીંદગીની વિપરીત પરિસ્થિતિઓ સામે અડીખમ ઊભા રહી જઈએ. પથ્થરો ના હોત તો, આપણે ઘણું બધુ મિસ કરી રહ્યા હોત.....

 

Tuesday, 1 April 2025

હાય યંગ જનરેશન, ઓય યંગ જનરેશન, ઓહ યંગ જનરેશન!

 હાય  યંગ જનરેશન, ઓય યંગ જનરેશન, ઓહ યંગ જનરેશન!

 India's youth population is not just a statistic; it's a symbol of hope and  promise for a brighter tomorrow! 🌟🇮🇳 #YouthMovement #NYPF2024  #IndiaPride #Fact #YouthEmpowerment #NYKS


 

    ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનો અને યુવતીઓ ધરાવતો દેશ છે. આ દેશની યંગ જનરેશન કઈ દિશામાં જઇ રહી છે અને શું કરી રહી છે? તેના પરથી દેશનું ભાવી નકકી થતું હોય છે. જેમ આપણે આપણી મહેનત થકી કમાયેલા નાણાનું આપણને શ્રેસ્ઠ વળતર  મળી રહે એવી જગ્યાએ તેનું રોકાણ કરતાં હોઈએ છીએ એવી જ રીતે આ યુવાનો અને યુવતીઓને આપણે એવી રીતે હેન્ડલ કરવાના છે કે તેઓ થકી આપણે શ્રેસ્ઠ ભારતનું નિર્માણ કરી શકીએ.

  આપણને લાગે છે કે આ યંગ જનરેશન ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને લીધે કે પછી ફિલ્મોને લીધે કે પછી પશ્ચિમી સંસ્કૃતિને લીધે ગલત રસ્તે જઇ રહી છે, પણ આપણી આ ધારણાઓ એકદમ ખોટી છે. તેઓને આપણા તરફથી જે હુંફ, પ્રેમ કે સારા વિચારો મળવા જોઈએ એ આપણે તેઓને નથી આપી શકતા. એટલે તેઓ કોઈને કોઈ ખરાબ આદતોના ભોગ બની રહ્યા છે. એવી મોટા ભાગની બાબતો જેના આધારે તેઓનું જીવન ઘડાતું, એ બાબતો આપણે તેઓની પાસેથી છીનવી લીધી છે.

  આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે આ યંગ જનરેશન આજે કઈ દિશામાં ભટકી રહી છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સે રચેલી જાળમાં તેઓ ફસાઈ રહ્યા છે. ડ્રગ્સ, દારૂ, માવા, ગુટકા, વગેરે વ્યસનોમાં તેઓ ઝકડાઈ ગયા છે. આ બંને વ્યસનોને લીધે તેઓની જિંદગી નિરાશા અને હતાશાની ઊંડી ખીણોમાં ગરકાવ થઈ રહી છે. આ આખી પેઢીએ પોતાનાથી આગળની પેઢી સાથે જાણે કે અબોલા લઈ લીધા છે. તેઓને પાસે બેસીને સમજાવી શકે એવું જાણે કે કોઈ બચ્યું જ નથી.

  તેઓ જુદી જુદી ચેનલો પર મોટીવેશનલ સ્પીકર્સને બહુ સાંભળે છે, પણ તેઓ જે કહે છે, તેને અનુસરી શકતા નથી. તેઓની આસપાસ એટલા બધા બિનજરૂરી નોટિફિકેશન્સ છે, કે તેઓ કોઈ મહત્વની બાબત પર એકાગ્ર જ થઈ શકતા નથી. ઉંમર અને સમય પહેલા તેઓ કેટલીક બાબતો શીખી રહ્યા છે, જે તેઓને સતાવી રહી છે, તેઓમાં બિનજરૂરી આવેગો ઊભા કરી રહી છે. તેઓની દુનિયા એટલી બધી લેટેસ્ટ અને ડિજિટલ થઈ ગઈ છે કે તેઓ પોતે રચેલી આભાસી દુનિયામાથી બહાર જ નથી આવી રહ્યા! પોતાના વડિલો, શિક્ષકો અને ગુરુઓ કરતાં તેઓને ગૂગલ વધુ જ્ઞાની લાગી રહ્યું છે. ગૂગલ નક્શો દેખાડી શકે, પણ રોડમેપ તો વડીલો અને ગુરુઓ થકી જ બનાવી શકાય એ બાબત તેઓને આપણે સમજાવવાની છે.

  યંગ જનરેશનમાં રહેલી મોટા ભાગની ક્ષમતાઓ રીલ બનાવવામાં, વાઇરલ થવામાં, કે પછી ટ્રેન્ડ પાછળ દોડવામાં ખર્ચાઈ રહી છે. બાકીની ઉર્જા ઓનલાઈન ગેમ્સ પાછળ વપરાઇ રહી છે. ઓનલાઈન ગેમ્સને લીધે તો આ જનરેશનનો મોટા ભાગનો સમય વેડફાઇ રહ્યો છે. તેઓ પોતાનું શારીરિક અને માનસિક સંતુલન આ ગેમ્સને લીધે સાવ ખોરવાઈ ગયું છે. તેઓ ચિડિયા અને દુનિયાથી સાવ એકલા થઈ ગયા છે. આ ગેમ્સ રમવા ના મળે તો તેઓ કોઈનું ખૂન કરવા પણ તૈયાર થઈ જાય છે. તેઓની દુનિયા જ આ સ્ક્રીનમાં જાણે કે સમાય ગઈ છે. તેઓને આ દુનિયામાં ધકેલનાર પણ આપણે જ છીએ. આપણે જ તેઓને પુસ્તકો અને સંસ્કારોને બદલે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને જરૂરિયાતોના ઢગલા તરફ વાળી દીધા છે!  આ ગેમ્સના વળગણે તેઓને આપઘાત કરતાં પણ કરી દિધા છે.

   ટેકનૉલોજી તેઓની સમક્ષ રોજ કઈક નવું નવું લઈને આવી રહી છે અને આપણે તેઓને પરંપરાગત બાબતો તરફ ખેંચી રહ્યા છીએ. આ ખેંચાખેંચી પણ તેઓને ભિસમાં લઈ રહી છે. હકીકતમાં તો આપણે આ પેઢી માટે જે અને જેટલું કરવું જોઈએ એવું કશુ જ કરી નથી રહ્યા. ણે પરિણામે તેઓએ પોતાનો રસ્તો ખુદ પસંદ કરી લીધો છે. ઘણા યંગ-સ્ટર્સ ખૂબ સારું કામ કરી રહ્યા છે, પણ તેઓને પ્રોત્સાહન આપનારું કોઈ નથી. આપણે સૌ એવું ઈચ્છી રહ્યા છીએ કે તેઑ આપણે દેખાડેલા રસ્તે જ ચાલે, પોતાનો કોઈ નવો રસ્તો ના કંડારે. અને આ સંઘર્ષે જ તેઓને હેરાન-પરેશાન કરી દીધા છે.

   કેટલાક માતા-પિતાએ પોતાના સંતાનોની દરેક જરૂરિયાત પૂરી કરવાના સોગંધ લીધા છે. અમને ના મળ્યું એ બધુ જ તેઓને પણ મળવું જોઈએ. આ વિચાર આખા સમાજને નડી રહ્યો છે. હાઇ ફાઈ જિંદગી આપીને આવા માતા-પિતા પોતાના સંતાનોને રસ્તા પર મોંઘીદાટ ગાડીઓ લઈને ખુલ્લા છોડી રહ્યા છે, જેઓ રસ્તે ચાલ્યા જતાં કે ફૂટપાથ પર સૂતેલા લોકોને મનફાવે તેમ કચડી રહ્યા છે. કેટલાક નેતાઓના સંતાનો પોતાના પિતા કે માતાના હોદ્દાની રૂએ દીકરીઓ પર બળાત્કાર કરવા જેવા ગુનાઓ કરીને પણ ખુલ્લે આમ સાંઢની જેમ સમાજમાં ફરી રહ્યા છે. તેઓને કોઈ કાયદો લાગુ પડતો નથી!

  એક બાજુ તેઓ પોતાની અંદર ઉછળી રહેલા હોર્મોન્સથી અપરિચિત અને હેરાન છે, તો બીજી બાજુ કરિયર અંગેના સવાલો તેઓને મૂંઝવી રહ્યા છે. તેઓના સવાલોને સમજી શકે એવા માતા-પિતા બહુ ઓછા છે. કારણકે મોટા ભાગના માતા-પિતા પોતાની મહાત્વાકાંક્ષાઓ સંતાનો પર ઠાલવતાં હોય છે. તેઓ પર એકબાજુથી પિયર્સ પ્રેશર છે, તો બીજી બાજુ પાડોશી કે સગાવહાલાના દીકરા/દીકરી પોતાના કરતાં આગળ નીકળી ગયા છે, એવું કુટુંબ અને સમાજનું પ્રેશર તેઓને શાંતિ લેવા દેતું નથી. તેઓનું મન આ બધા પ્રેશરને લીધે સતત સ્ટ્રેસ ફીલ કરી રહયું છે. અને એ સ્ટ્રેસ જ એકદિવસ તેઓને આપઘાત તરફ દોરી જતું હોય છે.

  જુદા જુદા ઑ.ટી.ટી. પ્લેટફોર્મ્સ પર વળી તેઓ કઈક અલગ દુનિયા જ જોઈ રહ્યા છે. બેશુમાર દોલત, આલીશાન બંગલાઓ, હાઇ-ફાઈ ગાડીઓ, સેક્સના દ્રશ્યો, ડ્રગ્સ અને દારૂની રેલમછેલ, એક એવું કલ્ચર જે તેઓની પહોંચથી બહુ દૂર છે, પણ એકદમ આકર્ષક છે. સપનાઓની એક એવી દુનિયા જ્યાં તેઓ હકીકતમાં જવા માંગે છે. પણ ત્યાં પહોંચવા તો અઢળક પૈસા જોઈએ અને પૈસા કમાવવાનો સાચો રસ્તો તો બહુ લાંબો છે. એટલે તેઓ શોર્ટકર્ટ તરફ વળી જતાં હોય છે. અને એ શોર્ટકર્ટ્સ તેઓને એવા અંધકારમાં લઈ જાય છે, જેનું કોઈ અંજવાળું હોતું નથી.

  યંગ જનરેશનને સારા અને સાચા રસ્તે લઈ જવા આપણે જ તેઓને સમય આપવો પડશે. શાળાઓ અને કોલેજોએ તેઓમાં જરૂરી મૂલ્યોનું સિંચન કરવું પડશે. આપણું આ મહામૂલું ધન સાવ ગલત રસ્તે વેડફાઇ ના જાય એ જોવાની જવાબદારી આખા સમાજની છે. તેઓને જરૂરિયાતો નહી સમય આપીએ. તેઓને નડતી સમસ્યાઓ બાબતે તેઓ સાથે શાંતિથી બેસી ચર્ચા કરીએ. તેઓ કોઈ ભૂલ કરે તો એ ભૂલ સુધારવાની તેઓને તક આપીએ. તેઓમાં આવતા શારીરક અને માનસિક ફેરફારોને આપણે પણ સમજીએ અને તેઓને પણ સમજાવીએ. રીલ અને રિયલ દુનિયા વચ્ચેનો તફાવત આપણે તેઓને સમજાવવો પડશે.

  આપણે તેઓમાં આપણા સમયનું મૂડીરોકાણ કરીશું તો તેઓને આવનાર સમય માટે આપણે તૈયાર કરી શકીશું. તેઓને સારા રસ્તે વાળી શકીશું. આપણો હેપ્પીનેસ ઇંડેક્સ તેઓ સાથે જ જોડાયેલો છે. માટે તેઓને ખુશ રાખીશું તો આપણે પણ ખુશ રહી શકીશું.

Saturday, 29 March 2025

બળાત્કારની પૂર્વતૈયારી અને બળાત્કાર બંનેની વ્યાખ્યાઓ અલગ અલગ! સજા પણ અલગ!

 

 બળાત્કારની  પૂર્વતૈયારી અને બળાત્કાર બંનેની વ્યાખ્યાઓ અલગ અલગ! સજા પણ અલગ! 

Understanding "rape culture" in ...


 

        પ્રયાગરાજમાં હમણાં મહિના પહેલા જ 144 વર્ષો પછી આવેલી ધન્ય ક્ષણોને આ દેશના લગભગ 67 કરોડ લોકોએ નિહાળી અને આજે એક મહિનો પૂરો થયા બાદ અલાહાબાદ હાઈકોર્ટે વર્ષ 2021માં એક માતા દ્વારા પોતાની 11 વર્ષની દીકરીના જાતીય શોષણના કેસના ચુકાદામાં આપેલ એકદમ અસંવેદનશીલ રીમાર્ક્સ થકી દેશની 65.19 કરોડ સ્ત્રીઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કોર્ટના ચુકાદા મુજબ રેપ માટે તૈયારી કરવી અને રેપ કરવો એ બંને અલગ અલગ ઘટના છે. માટે કોઈ પુરુષ/પુરુષો સ્ત્રીના સ્તન પકડે કે તેના પાયજામાની નાડી ખોલે કે તેણીને રેપ કરવા માટે નિર્જન સ્થળે ઢસડી જાય એ બળાત્કાર નથી!

  આ કેસની એફ.આઈ.આર લખાવવા જ્યારે માતા ગઈ હતી, તો પોલીસે લખી પણ નહોતી! અને કોઈ પગલાં પણ નહોતા લીધા. એટલે તેણીએ કોર્ટમાં આવેદન આપ્યું, જે અંતર્ગત 2022માં આ કેસની સુનાવણી શરૂ થઈ. અને સુનાવણી પણ કેવી થઈ? કે આરોપીઓને બચાવવા કોર્ટે ધારાઓ જ બદલી નાખી?

    બળાત્કાર એટલે શું? શું બળાત્કારની કોઈ વ્યાખ્યા હોઇ શકે? બળાત્કારને વર્ણવી શકાય ખરા! બળાત્કાર સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ? સ્ત્રીના આત્મા પર થતાં ઘા ને સાબિત કેવી રીતે કરવા? બળાત્કારનો ભોગ બનેલી કોઈ સ્ત્રી જ્યારે એફ.આઇ.આર. લખાવવા જાય તો એ ઘટનાને અનંત વેદના સાથે ઠાલવતી હશે. હકીકત તો એ છે કે જ્યારે જ્યારે કોઈ બળાત્કારનો કેસ ચાલતો હોય, ત્યારે ત્યારે જેટલો સમય એ કેસ ચાલે, એટલા સમય માટે એ સ્ત્રીને ક્ષણે ક્ષણે પોતાના પર થયેલા બળાત્કારને રીવાઇઝ કરવો પડતો હોય છે.  

    જે ઘટનાએ તેના અસ્તિત્વના લીરેલીરા ઉડાડી દીધા હોય છે, એ ઘટનાને તેણીએ વારંવાર સાબિત કરવી પડે છે. સ્ત્રી પર થતાં બળાત્કારની શરૂઆત આમ તો જે ક્ષણે કોઈ પુરુષ તેણી પર વાસનાભરી નજરે જુએ ત્યાંથી જ થઈ જતી હોય છે. સ્ત્રીઓ આમ તો સતત રેપના ભયના ઓથાર હેઠળ જીવતી હોય છે. કામના સ્થળે, કામના સ્થળેથી મોડી રાત્રે એકલા ઘરે જતાં સમયે, વાડી-ખેતરોમાં કામ કરતાં સમયે, અરે ઘરમાં ઘરના પુરુષ સભ્યો થકી પણ તેણી રેપના ભય હેઠળ ધ્રૂજતી હોય છે.

  ગમતી સ્ત્રી પુરુષના શારીરિક આધિપત્યનો અસ્વીકાર કરે તે બાબત પુરુષોને ગમતી નથી. મોટા ભાગના બળાત્કારો પાછળ આ જ માનસિકતા જવાબદાર હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બળાત્કારની પેટર્નમાં ફેરફાર થયો છે. સેક્સની સમજણ વગર બહુ નાની ઉંમરે પોર્ન વિડિયોઝ અને ફિલ્મો જોતાં બાળકો પણ હવે બળાત્કાર કરવા લાગ્યા છે અને મોટી ઉંમરના પુરુષો નાની બાળકીઓ પર પણ બળાત્કાર કરવા લાગ્યા છે! નવ મહિનાથી માંડીને નેવું વર્ષની સ્ત્રીઓ પર થતાં બળાત્કારોને અદાલત જે  રીતે ડીફાઇન કરી રહી છે, એ દીકરીઓ માટે ચિંતાજનક છે.

  બાળકીઓ અને છોકરીઓ પર થતી જાતીય સતામણીની અસરો તેઓના જીવન અને મન પર આજીવન રહેતી હોય છે. ઘણી છોકરીઓ તો આવું થયા બાદ લાંબા સમય સુધી માનસિક રીતે બીમાર રહેતી હોય છે. કોઈ અજાણી વ્યક્તિ કે કુટુંબના સભ્યો દ્વારા જ્યારે સ્ત્રીઓ કે બાળકીઓને અણગમતો સ્પર્શ થાય છે, તો એ સ્પર્શ તેઓને લાંબા સમય સુધી ટચ કરતો રહે છે. તેઓ માનસિક રીતે એકદમ પડી ભાંગે છે. આ દેશમાં મોટા ભાગના બળાત્કારો તો સરકારી ચોપડે નોંધાતા પણ નથી.

  બળાત્કાર કરનાર આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોય છે. તેઓને સજા ના મળતી હોવાને લીધે તેઓ બીજી સ્ત્રીઓની પણ જિંદગી બરબાદ કરી નાખતા હોય છે. ત્યારે કોર્ટના આવા નિવેદનોથી આવા આરોપીઓને વધુ ને વધુ પ્રોત્સાહનો મળશે. ઘણા રેપ-કેસ વર્ષોના વર્ષો ચાલતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી સ્ત્રીઓ અને બાળકીઓ પર જે રીતે અમાનુષી બળાત્કાર થઈ રહ્યા છે, તો આપણે જાજીસની એ બેચને પૂંછવું રહ્યું કે શું સ્ત્રીઓની યોનિમાં બોટલ કે સળિયો ઘૂંસાડી દેવાને બળાત્કાર ગણવો કે બળાત્કારની તૈયારી...

  કોઈ છોકરી તેના બોયફ્રેંડ સાથે એકાંત માણતી હોય ત્યારે થતાં બળાત્કારને બળાત્કાર ગણવો કે કેમ? બળાત્કાર એટલે શું? એ માત્ર તે જ જાણી શકે જેણે એ સહન કર્યો હોય છે. જો આપણે જાતીય શોષણને નહી રોકીએ તો એ પણ બળાત્કાર સુધી પહોંચીને જ રહેશે. બળાત્કાર ની તૈયારી અને બળાત્કાર વચ્ચે કોઈ ભેદ પાડી જ શકાય નહી..... માટે બંનેની સજા એક જ હોવી જોઈએ.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         

 

Wednesday, 19 March 2025

શું આપણે આપણને છેતરનાર સાઇબર અપરાધીઓ કરતાં વધુ સ્માર્ટ ના બની શકીએ?

 

શું આપણે આપણને છેતરનાર સાઇબર અપરાધીઓ કરતાં વધુ સ્માર્ટ ના બની શકીએ?

 Cyber Crime: Definition, Types and Prevention : Cyber Crime Awareness  Society

 

ઓડિશાની બહેરામપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગીતા દાસને ED અધિકારી બનીને એક વ્યક્તિએ ફોન કર્યો. ફોન કરનારે તેમને કહ્યું કે તમારું નામ મની લોંડરિંગ કેસમાં આવ્યું છે અને તેમની ડિજિટલ ધરપકડ કરવામાં આવી છે. જો તમે અમારા ખાતામાં 14 લાખ રૂપિયા ટ્રાન્સફર નહી કરો તો તમારી બધી મિલકત જપ્ત કરવામાં આવશે. ડર અને ધરપકડથી બચવા માટે તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા. સામેની વ્યક્તિએ ફોન ઉપાડવાનું બંધ કર્યું, ત્યારે તેમણે સમજાયું કે તેઓ ડિજિટલ એરેસ્ટ સ્કેમનો ભોગ બની ગયા છે.

  છેલ્લા કેટલાક મહિનાઓથી ડિજિટલ અરેસ્ટના આવા અનેક કેસો સામે આવી રહ્યા છે. બે મહિના પહેલા અમારી સ્કૂલના એક વાલી પર કોઈ વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે તમારો દીકરો એક રેપકેસમાં ફસાયો છે. જો તમે એવું ઇચ્છતા હોવ કે તેની ધરપકડ અને સમાજમાં તમારી બદનામી ના થાય, તો અત્યારે ને અત્યારે જ અમે જણાવીએ એ ખાતામાં 50000 ટ્રાન્સફર કરો. તેઓ સીધા નિશાળે આવ્યા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનો દીકરો તો નિશાળમાં ક્લાસમાં બેસીને ભણી રહ્યો હતો. તેમણે કહ્યું મને મારા દીકરા પર વિશ્વાસ જ હતો કે તે કદી એવું કરે જ નહી. મોબાઇલની સ્ક્રીન પરથી એ નંબર હવે ગાયબ થઈ ગયો હતો. એ પિતા ડિજિટલ અરેસ્ટ સ્કેમથી બચી ગયા!

  કોઈ આપણને ગમે તે કેસ બાબતે ડરાવે, ધમકાવે અને આપણે ડરી જઈને તેણે બતાવેલા બેન્ક ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ છીએ પણ વિચારતા નથી કે મે તો આવું કશું કર્યું જ નથી તો મને કોઈ અરેસ્ટ કેવી રીતે કરી શકે?’ અરે આપણે આવા કોલ્સ વિષે ઘરના સભ્યોને પણ જાણ નથી કરતાં. ડરી ડરીને આપણે એકલા આ ડિજિટલ અરેસ્ટની જાળમાં ફસાય જતાં હોઈએ છીએ.

  આપણને ખુદ પર એટલો વિશ્વાસ કેમ નથી હોતો કે આપણે આવા પ્રકારના કોઈ કિસ્સામાં ઇન્વોલ્વ છીએ જ નહી તો આવા કોલ્સથી ડરવાની શી જરૂર? પણ આમ જુઓ તો આપણી અંદર રહેલા ડરનો લાભ કોણ નથી ઉઠાવતું?  ધર્મસ્થાનોથી માંડીને જ્યોતિષીઓ સુધી અને ડોકટર્સથી માંડીને શિક્ષકો સુધી દરેકે દરેક વ્યક્તિ આપણી અંદર રહેલા ડરનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છીએ.  

   આપણે હકીકતે તો સમાજના ડરથી ડરીને આવા ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા હોઈએ છીએ. જો પોલીસ કે સી.બી.આઈ. મને પકડી લેશે તો સમાજમાં મહાપ્રયત્ને સ્થાપિત કરેલી મારી આબરૂનું શું થશે?   બસ આ ડર જ આપણને પૈસા ટ્રાન્સફર કરવાની પ્રેરણા આપે છે. મે કઈ ખોટું કર્યું જ નથી, તેવો આત્મવિશ્વાસ ડર સામે હારી જાય છે. કારણકે આપણને ડર છે કે મને આવો કોઈ કોલ આવ્યો છે, તેની જાણ દુનિયાને થઈ જશે તો? વિપરીત પરિસ્થિતિઓ સામે લડવાને બદલે આપણે ડરી ડરીને સરેન્ડર કરી રહ્યા છીએ.

  લોભ અને લાલચમાં ફસાઇને પણ આપણે આવા સાઇબર શિકારીઓની જાળમાં ફસાય રહ્યા છીએ. એક સાથે એક ફ્રી અને બીજી એવી કેટલીયે સ્કીમો આપણને છેતરી રહી છે અને આપણે છેતરાઈ પણ રહ્યા છીએ. સસ્તું મેળવી લેવાની લાલચ આપણને મોંઘી પડી રહી છે.

  બહુ ઓછા સમયમાં જાજા પૈસા કમાઈ લેવાની લાલચ પણ આપણને એ રસ્તે લઈ જઈ રહી છે. ઓનલાઈન ગેમ્સવાળા આપણને લલચામણી જાહેરાતોથી આકર્ષણની એવી દુનિયામાં લઈ જઈ રહ્યા છે, જ્યાં આકર્ષણના આંજી નાખતા પ્રકાશે આપણી આંખોને આંધળી કરી દીધી છે. જેમ કોઈ જ્યોતિષને આપણી નબળાઈઓની ખબર હોય છે, તેમજ તેઓ પણ આપણી આ નબળાઈઓને બરાબર ઓળખી ગયા છે.

  કઈક તો આપણી બધાને દેખાડી દેવાની આદતે પણ આવા સાઇબર અપરાધીઓ માટે દરવાજા ખોલી નાખ્યા છે. આપણે ઘરની બહાર પગ મૂકીએ એટલે જુદા જુદા સોસિયલ મીડિયા પર આપણી સ્ટોરીઝ ગાજતી થઈ જાય છે. ગામ કે શહેરના ચોરો એ સ્થિતિનો લાભ લેવાનું ચુકતા નથી.

     લોભ, લાલચ, કામ અને ક્રોધ બસ આ ચાર બાબતો પર કંટ્રોલ રાખી શકીશું તો આપણે આપણા સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ કરતાં પણ વધુ સ્માર્ટ બની શકીશું.

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...