પથ્થર પર કોતરાતી જીંદગીની સફર......
પથ્થરો ઈતિહાસ સાચવીને બેઠા હોય છે. કહે છે કે માટીનો એક કણ બનતા વર્ષો લાગે છે. પથ્થરો બનતા તો સદીઓ વીતી જતી હોય છે. અને એ પથ્થરોને કોતરીને એમાથી બે-નમૂન કૃતિઓ બનતા પણ વર્ષો વીતી જતાં હોય છે. કાળમાં અને કળામા રહેલી સર્જનાત્મકતા થકી પથ્થરો પણ બોલી ઉઠતાં હોય છે. ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતી વખતે આપણે પથ્થરની મૂર્તિઓમાં રહેલી કલાત્મકતાને આંકવાનો વ્યર્થ પ્રયાસ કરતાં હોઈએ છીએ.
આમ તો આપણે સૌ પથ્થરોને ઝડ માનતા હોઈએ છીએ, પણ કોઈ કારીગરની સર્જનાત્મકતા એ પથ્થરોને પણ જીવંત કરી દેતી હોય છે. એ ઝડ પથ્થરોમાં જ આપણને આપણી શ્રદ્ધાને લીધે ઈશ્વરનો પરિચય થતો હોય છે. એ પથ્થરોમાં આપણને ધબકતો આત્મા દેખાતો હોય છે. ધોબીનો પથ્થર અને ધર્મસ્થાનોના પથ્થર સરખા જ હોય છે, પણ બંનેમાં ફર્ક સર્જનાત્મકતાનો જ હોય છે.
આપણે જ્યારે કોઈ રાજાઓના મહેલો કે તેમણે બંધાવેલા સ્થાપત્યો જોઈએ છીએ, ત્યારે ત્યાનો એક એક પથ્થર આપણને કશુંક કેવા માંગતો હોય એવું લાગે છે. પથ્થરો રાજાશાહીથી લોકશાહી સુધીની સફરના મૌન સાક્ષી છે. શું શું નહી જોયું હોય? એ પથ્થરોએ અને એટલે જ કદાચ તેઓ આટલા ઝડ થઈ જતાં હશે. હકીકત તો એ છે કે માણસ જેટલી સર્જનાત્મકતા પથ્થરોને જીવંત કરવામાં વાપરે છે, એટલો તે પોતાની જિંદગીને જીવંત કરી શકતો નથી!
પહેલાના જમાનામા રાજાઓ રાણીને ખુશ કરવા કે પછી બીજા રાજાઓ કરતાં પોતાના સ્થાપત્યો વધુ સુંદર બને તે માટે પથ્થરો પર સિતમ ગુજારતા. આ પથ્થરો થકી આવનારી પેઢીના હ્રદયમાં રહેવાના પ્રયાસો કરતાં! દરેક પથ્થર કોઈ ને કોઈ વાર્તા સાચવીને બેઠો હોય છે. આ કલાકૃતિનું સર્જન કેવી રીતે થયું? કેવા સંજોગોમાં થયું? તેને બનતા કેટલા વર્ષો લાગ્યા? વગેરે વગેરે પણ પથ્થરોમાં જ કોતરાતું હોય છે.
એ પથ્થરો થકી જ તો આપણે જે તે સમયમાં સફર કરી શકીએ છીએ. જો કે સમયની થપાટો પથ્થરોને પણ લાગતી હોય છે. તેઓ પર પણ સમારકામ થતું હોય છે. કહે છે કે ખંડેર પરથી પણ કોઈ ઇમારતની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. અને એ ખંડેરોમાં પણ બચ્યું શું હોય છે? પથ્થરો ને પથ્થરો જ!
નદીકિનારાના પથ્થરો કરતાં દરિયાકિનારાના પથ્થરો અલગ હોય છે. દરિયાકિનારાના પથ્થરો પર લહેરોની થપાટો લાગતી રહે છે. સમયની હથોડી તેઓના શરીરમાં છેદ પાડતી જ રહે છે. તેની ટોચ પર પગ મુકાય જાયતો લોહી નીકળવા લાગે છે. નદીકિનારાના પથ્થરો તેઓના પ્રમાણમાં વધુ ડેલિકેટ લાગતાં રેહ છે. તે લીસા પણ હોય છે.
આમ જોવા જઈએ તો આરસ પણ એક પ્રકારનો પથ્થર જ છે ને! અને હીરો જેની પાછળ દુનિયા પાગલ છે, એ પણ એક પ્રકારનો પથ્થર જ છે ને! અર્થ એ થયો કે આપણે સૌ પથ્થરો પાછળ જ દોડીએ છીએ. જો કે એ પથ્થરોમાથી જ ઝરણાઓ ફૂંટતા હોય છે. અને જ્યારે એ ધોધ રચે તો આખી પ્રકૃતિ નાચી ઉઠતી હોય છે.
જ્યારે માણસ આદિમાનવ હતો, ત્યારે તેનું એકમાત્ર હથિયાર પથ્થર હતું. આપણે સૌ ‘પથ્થર-યુગમાં’ પણ જીવી ગયા છીએ. બે પથ્થરોને અથડાવીને જ આપણે આગ ઉત્પન્ન કરેલી. પથ્થરોની ગુફાઓ જ આદિમાનવનું પહેલું ઘર હતું. આ પથ્થરોની વચ્ચે જ માણસોના ઘરોમાં લાગણીઓ, ઝઘડાઓ, વગેરે વગેરે રેલાતું હોય છે. પથ્થરો જ માણસોને હુંફ આપે છે.
પથ્થરો પર પ્રેમીઓ પોતાના નામ પણ લખતા હોય છે. ગામ કે શહેરની બહારના પથ્થરો સાથે આજની યંગ જનરેશન સૌથી વધુ સેલ્ફીઝ લેતી હોય છે. કોઈ વ્યક્તિમાં લાગણીઓ ઓછી હોય કે તેઓ વિપરીત પરિસ્થિતિમાં મજબૂત રહી શકતા હોય કે રડતા ના હોય તો તેને પથ્થર હ્રદયવાળી વ્યક્તિ કહે છે.
પણ સાચું તો એ છે કે પથ્થરો પણ સંવેદનાઓ ફીલ કરતાં હોય છે. બસ તેઓ દર્શાવતા હોતા નથી. તેઓ દરેક સમયને હસતાં હસતાં જીરવી લેતા હોય છે, તમને થશે પથ્થરો તો કદી હસતાં હસે? અરે યાર પથ્થરો પણ હસે છે. કારણકે તેઓને પણ માણસો સાથે જોડાયેલી વેદનાઓ અને સંવેદનાઓ અસર કરતી હોય છે.
ફીલ કરજો જે પથ્થરોના મકાનમાં આપણે રહીએ છીએ, તેઓ આપણી ખુશીઓમાં હસે છે, અને આપણા દૂ:ખોમાં રડે છે. સાંભળજો ધ્યાનથી દરેક પથ્થર કઈક કહે છે. વ્યક્તિને પણ બહુ બધા દૂ:ખો પથ્થર જેવી કરી દેતાં હોય છે. પણ એ પથ્થર જ્યારે પીગળે ત્યારે સંવેદનાઓના બાંધ તૂટી જતાં હોય છે.
પથ્થરો વડે બાંધેલા સેતુ થકી આપણે લોકો સુધી પહોંચી શકીએ છીએ. પેલે પાર જઇ શકીએ છીએ. ઇનફેક્ટ આપણે રહીએ જ છીએ, પથ્થરો સાથે. તમને થશે આ શું? પથ્થર પર વળી કોણ લખે? ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી તો ફીલ કર્યું કે આ પથ્થરો પણ કઈક કહેવા માંગે છે. પોતાની અંદર રહેલી મજબૂતાઈને લીધે તેઓ સદીઓ સુધી અડીખમ ઊભા રહી શકે છે.
આપણે પણ તેઓ જેવા મજબૂત બનીને જીંદગીની વિપરીત પરિસ્થિતિઓ સામે અડીખમ ઊભા રહી જઈએ. પથ્થરો ના હોત તો, આપણે ઘણું બધુ મિસ કરી રહ્યા હોત.....

