Saturday, 22 November 2025

ફેક માહિતી દ્વારા આપણી સંવેદનાઓ સાથે થઈ રહી છે રમત......

 

ફેક માહિતી દ્વારા આપણી સંવેદનાઓ સાથે થઈ રહી છે રમત.......

 Dealing with Fake News in India

 

 

 

     આવતા વર્ષોમાં ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોમાં એક ફરજનો ઉમેરો કરીને સ્કૂલોમાં પ્રતિજ્ઞા બોલાવવામાં આવશે  અને એ છે, “ હું ફેક માહિતી ફેલાવીશ નહી અને ફેક માહિતી પર વિશ્વાસ કરીશ નહી.” જ્યારે જ્યારે દેશના સાચા નાગરિક કે દેશભક્ત લોકોની વ્યાખ્યા લખવામાં આવશે તો એમાં એવું ઉમેરવામાં આવશે કે જે લોકો ફેક માહિતી નહી ફેલાવે તે આ વ્યાખ્યામાં ફીટ બેસશે. દેશમાં બોમ્બ-બ્લાસ્ટ જેવા સંવેદનશીલ પ્રસંગે પણ સરકારે દેશના લોકોને અપીલ કરવી પડે છે કે મહેરબાની કરીને ખોટી માહિતી ના ફેલાવો કે ખોટી માહિતીથી દૂર રહો.

   દેશમાં રોજ અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બને છે. જેની માહિતી સોસિયલ મીડિયા થકી આપણાં સુધી પહોંચે છે. દેશ આપણો છે, એટલે આવી માહિતીમાં આપણને રસ હોય એ સ્વભાવિક છે પણ છે. કોમ્યુનિકેશનના એક્સપર્ટના કહેવા મુજબ આપણને બધાને થોડા વધતાં ઓછા પ્રમાણમાં બીજાની અંગત લાઈફમાં કે પછી થયેલી ઘટનાઓ વિષે જાણવામાં રસ હોય જ છે. ઘણા તો જીવતા જ એના માટે હોય છે. વર્ષો જૂની એક કોમેડી સીરીયલ હમ પાંચ માં એક એવું પાત્ર આવતું, જેને મળેલી માહિતી બીજાને ના કહે ત્યાં સુધી પેટમાં દૂ:ખ્યા કરતું. જેવી એ વાત બીજા સુધી તે પહોંચાડે તેનું પેટદર્દ ગાયબ થઈ જતું!

  આજકાલ આ કામ આખા દેશે ઉપાડી લીધું છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર, લિંકડેન, વગેરે વગેરે સોસિયલ એપ્સ પર માહિતીનો ઓવરડોઝ ઠલવાતો જ રહે છે, એ એટલો અનલિમિટેડ છે કે દરિયાની વિશાળતા પણ તેની આગળ ટૂંકી પડે!  આવી બધી જ માહિતીની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં પણ વધુ હોય છે. બધાને એમ થાય છે કે પહેલા હું બીજાને માહિતી આપી દઉં. અને એ ચક્કરમાં એ માહિતી સાચી છે કે ખોટી? તેની ખરાઈ કર્યા વિના લોકો આવી માહિતીને આડેધડ શેર કર્યા જ કરે છે. આવી રીતે કેટલાયે અભિનેતા અને અભિનેત્રીઓને મર્યા પહેલા શ્રદ્ધાંજલી અપાઈ ગઈ.

    જીવંત આત્માને આપણે યમરાજા પાસે પહોંચાડી દીધા! ધર્મેન્દ્રજી સાજા થઈને ઘરે આવી ગયા અને સોસિયલ મીડિયા અને આ વખતે તો ઓથેંટીક ન્યૂઝ ચેનલ્સ વાળાએ પણ તેઓને મૃત્યુના દ્વારે પહોંચાડી દીધા! એક સર્કલ જેવુ થઈ ગયું છે, ઘણીવાર તો આપણે સવારે મૂકેલી પોસ્ટ રાત્રે આપણાં સુધી જ પાછી આવે છે! ફોરવર્ડ કરવું એ આજના લોકોનો જીવનમંત્ર બની ગયો છે.

  બ્રેકિંગ ન્યૂઝ આપવાની દરેક ન્યૂઝ ચેનલ્સને એટલી ઉતાવળ હોય છે કે તેને લીધે ઘણા લોકોનું ઘણું બ્રેક થઈ જતું હોય છે. પણ વ્યુયર્સ મેળવી લેવાની લ્હાયમાં હવે આવી ન્યૂઝ ચેનલ્સ પણ સમાચારની ખરાઈ કર્યા વિના સ્ક્રીન પર ખોટી માહિતી દેખાડે છે. અને લોકો તેને સાચી પણ માની લે છે.  ફેક માહિતી અને ફેલ સોસિયલ મીડિયા એકાઉન્ટ એ આજની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અઢળક એવું શેર થતું રહે છે, જેને આપણે સાચું માની લીધું છે, પણ એ હોય છે ખોટું! સાચા સમાચાર મેળવવા એ કોઈ સાચી વ્યક્તિ મળવા જેટલું અઘરું થઈ ગયું છે. આમ તો આપણે આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે ફેક માહિતીનો ઉપયોગ ક્યાં નથી થતો?

  માલનું વેચાણ વધારવા ધંધાકીય એકમો પણ પોતાની પ્રોડક્ટ વિષે ગ્રાહકોને ફેક માહિતી આપતા રહે છે. કોઈપણ પ્રોડક્ટની જાહેરાતમાં કેટલું સત્ય હોય છે? એ આપણને સૌને ખબર છે જ. સોસિયલ મીડિયાના આ જમાનામા જલ્દીથી ફેમસ થઈ જવા મોટા ભાગના લોકો આવી ફેક માહિતી સ્પ્રેડ કરતાં હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ફેક માહિતી આપી છેતરતા હોય છે. તો નેતાઓ ચૂંટણી પ્રચારમાં જે વચનો આપે છે, તે પણ ફેક જ હોય છે ને!

   ભારતમાં સૌથી વધુ ફેક માહિતી રાજકીય ક્ષેત્રે ફેલાય છે. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રનો આવે છે. જુદા જુદા રોગોની રીમીડિઝના વિડિયોઝ અને રીલ્સથી સોસિયલ મીડિયા કાયમ ઓવરલોડેડ રહે છે. ત્યારબાદ સેલિબ્રેટીઝ સાથે સંકળાયેલી માહિતીનો નંબર આવે છે. ઇકોનોમિક ફોરમના લેટેસ્ટ સર્વે મુજબ ભારત ફેક માહિતી બાબતે ઊંચા રિસ્ક ઝોનમાં આવે છે.

  સોસિયલ મીડિયા પર રીલીઝ થતી માહિતીમાથી 70% જેટલી માહિતી ફેક હોય છે. જે આ દેશના 76.6% લોકો સુધી રોજ પહોંચે છે.

Friday, 14 November 2025

વો કાગઝ કી કસ્તી, વો બારીસ કા પાની!

 

 

 

વો કાગઝ કી કસ્તી, વો બારીસ કા પાની!

World Children's Day 2023 : २० नोव्हेंबर..? 'बालदिन' नेमका केव्हा...? या  दिवसाबद्दल अजूनही गोंधळ का...? | Maharashtra Times 

 

અમે નાના હતા, ત્યારની વાત જ કઈક ઓર હતી! આ વાક્ય લગભગ આ દુનિયાની પ્રત્યેક વ્યક્તિએ એકાદવાર તો ફીલ કરેલું જ હશે અને બોલેલું પણ હશે. વિશ્વની તમામ વ્યક્તિઓનું બાળપણ એકસરખું હતું અને રહેશે. એટલું સારું છે કે કોઈ નાનપણથી મહાનતાના લક્ષણો નથી દેખાડતું!

  “આ પૃથ્વી પર જન્મ લેતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરનો માણસ જાત પ્રત્યેનો વિશ્વાસ હજી ડગ્યો નથી.” એવું રવિન્દ્રનાથ ટાગોરે કહેલું હતું. ઘરમાં બાળકનું આગમન થાય એટલે ઘરનો ખૂણેખુણો ખુશીઓથી ઝૂમી ઊઠતો હોય છે. કહે છે, બાળક જન્મે તેની સાથે જ માતા-પિતાનો પણ જન્મ થતો હોય છે. બાળક એક એવી કિતાબ છે, જેના શરૂઆતના પ્રકરણો પર આપણે જે લખીશું એનો પ્રભાવ આખી જિંદગી પર જોવા મળશે.

 દુનિયાભરના મનોવૈજ્ઞાનિકો બાળપણને સમજવાના પ્રયાસો કરી રહ્યા છે. પણ આજે પણ બાળપણ પહેલા જેટલું જ અનપ્રેડિકટેબલ છે. અને એ જ બાળપણની સૌથી રસપ્રદ વાત છે. આપણને સૌને શ્રીકૃષ્ણ અને શ્રી રામની બાળ-લીલાઓ સૌથી વધુ ગમે છે. ઘરમાં આવતું બાળક ઘરના પ્રત્યેક વ્યક્તિની જિંદગીને બદલી નાખે છે. તેના તોફાનો, તેની મસ્તી, તેની આંખોમાં રહેલી નવીનતા, તેના પ્રશ્નોમાં રહેલી વિસ્મયતા, તેની જીદ, તેનું રુદન, તેનું હાસ્ય, તેના નાના શરીરનું હલન-ચલન, બધુ જ આપણાં સૌના જીવનને સતત વહેતું રાખે છે.

  નાની નાની બાબતોમાં ખુશ થઈ જવાનું, ઝઘડાઓને તરત ભૂલી જવાનું, જેની પાસેથી લાભ મળે લઈ લેવાનું, દરેક બાબતોને નવીનતાથી જોવાનું, વગેરે વગેરે આપણને બાળકો સતત શીખવતા રહે છે. નિખાલસતા અને નિર્દોષતા બાળકોની સૌથી મોટી મૂડી હોય છે. આપણી અંદર એક બાળક કાયમ જીવતું રહેવું જોઈએ. જેથી આપણે જિંદગીને જીવવાનું ના ભૂલી જઈએ. જિંદગી આપણને બાળકો જેટલી સરળ લાગવી જોઈએ. જવાબદારીઓના બોજ હેઠળ જિંદગીના કોઈપણ તબક્કે આપણી અંદર ઉછાળતા મારતું બાળપણ સ્થિર ના થઈ જવું જોઈએ.

 

 જીંદગીની જે ક્ષણો આપણે જવાબદારીઓ ભૂલીને જીવીએ છીએ, એ જ મસ્ત બનીને જીવાતી હોય છે. બાળપણ આપણને શીખવાની પદ્ધતિઓ પણ શીખવે છે, આસપાસના વાતાવરણમાથી જે કઈ શીખવાનું મળે, શીખી લઈએ. નીડરતા તો બાળપણની સૌથી મોટી ઓળખાણ છે. બાળપણ જેવુ સાહસિક કોઈ નથી હોતું. બાળપણ સળગતા કોલસાને પણ હાથમાં લઇ શકે છે.

 

આપણે મોટા થઈને જવાબદારીઓના બોજ હેઠળ કચડાઈ નથી જતાં, પણ બાળપણ જીવવાનું ભૂલી જતાં હોઈએ છીએ એટલે જિંદગી અઘરી લાગે છે. બાળપણની મોજ સાચવી રાખવા કરતાં પણ કેરી ફોરવર્ડ કરતાં રહેવું જોઈએ, બાળરમતો બાળપણ સાથે જતી ના રહેવી જોઈએ. ટૂંકમાં બાળપણ આપણી અંદર જીવંત રહેવું જોઈએ. એકવાર ટ્રાય કરી જો જ ના ફાવે તો મોટા તો થઈ જ ગયા છીએ.

  બાળવાર્તાઓ, પરિકથાઓ, દાદા-દાદીની વાર્તાઓ, માતા-પિતાની હુંફ, કાકા-કાકીના લાડ, મોટા ભાઈ-બહેનનું પ્રોટેકશન, કઝીન્સનો સપોર્ટ, મિત્રોની ધિંગામસ્તીથી બાળપણ વિકસતું રહે એ જરૂરી છે. બાળપણ સંપતિ નહી, સંસ્કારો માંગી રહ્યું છે. તે જરૂરિયાતો નહી, સમય માંગી રહ્યું છે. તે ખીલવા અને ખૂલી જવાનો અવકાશ માંગી રહ્યું છે. જે આપણે આપવું રહ્યું.

 ઘણા બાળકો પાસે આજે એટલે બાળપણ નથી કારણ કે માતા-પિતા ગરીબ છે, અને કેટલાક બાળકોનું બાળપણ માતા-પિતાની સંપતિએ છીનવી લીધું છે. એક ભારે થેલો ઊંચકીને રડતાં રડતાં સ્કૂલે જાય છે, અને એક ખાલી થેલો લઈને હસતાં હસતાં એમાં કચરો ભરવા જાય છે. બાળ-મજૂરી ખરેખર કોઈપણ સમાજનું કલંક છે.

 બાળપણ ટિંચાવું જોઈએ, પણ ટોર્ચર ના થવું જોઈએ. ચાની લારીએ ઊડતી વરાળ સાથે બાળપણના સપનાઓ ધૂંધળા ના થઈ જવા જોઈએ. એ ફટાકડાઓના કારખાનાઓમા ધૂંધવાઈ ના જવું જોઈએ. એ ભૂખમરાથી ભૂખ્યું ના રહેવું જોઈએ. બસ એ કાદવમાં ખીલી ઉઠતાં કમળ જેવુ હોવું જોઈએ.

 અને હા ખાસ વાત તો રહી જ ગઈ, એ ઈલેક્ટ્રોનિક ગેઝેટસ સામે ઉછરતું ના હોવું જોઈએ. મોબાઈલ કે ટી.વી. કે ટેબલેટની સ્ક્રીન અને સ્ક્રોલિંગ વચ્ચે ફસાયેલું ના હોવું જોઈએ. શેરીમાં રમતા બાળકોનું દ્રશ્ય આજે ધૂધળું થઈ ગયું છે, પણ આપણે જ પ્રયાસો કરી એ બાળપણને શેરીમાં ઢસડી લાવવું પડશે. તેને શેરીની ધૂળમાં રગદોળવું પડશે અને વડની વડવાઈઓમાં ઝૂલતા શિખવવું પડશે. બાળપણને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા આપણે જ પ્રયાસો કરવા રહ્યા. શું સારું છે? શું ખરાબ છે? તે બાળકોને નથી ખબર, માટે આપણે જ તેઓને એ શીખવવું પડશે....

બાળપણ ઓન-લાઇન ગેમ્સના બદલે બાળ સહજ રમતો સાથે જ જીવાવું જોઈએ. તે શિયાળામાં ઠૂઠવાવું જોઈએ, ગરમીમાં તપવું જોઈએ અને વરસાદમાં ભીંજાવું જ જોઈએ. તે ખાબોચિયામાં છબછબિયા કરતું હોવું જોઈએ, અને એ ગલીઓમાં રખડતું જ હોવું જોઈએ. એ રમતના મેદાનમાં પરસેવો પાડતું હોવું જોઈએ. તે માત્ર ભણતું જ નહી, પણ ઘડાવવું  પણ જોઈએ.

  બાળકોને પ્રકૃતિ સાથે જોડીને જ આપણે પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરી શકીશું. આશા અને ઉમિદ રાખીએ કે બાળકોનું બાળપણ સચવાય રહે અને માતા-પિતા બાળકોને અભાવમાં જીવતા પણ શીખવી શકે. તેની બધી જ નહી, પણ લાગણીઓની જરૂરિયાતો સંતોષીશું તો એ આપોઆપ ખીલી ઉઠશે.

  બાળપણ 365*24 દિવસો કિલ્લોલ કરતું રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.......બાળકોમાં જે કઈ સારું ઉગાડવું છે,તેના બીજ આજથી જ વાવવાનું ચાલુ કરી દઈએ.

 ઘર સે મસ્જિદ હે બહોત દૂર

ચલો યુ કર લે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે.

 

 

Thursday, 6 November 2025

ફસાયેલી દીકરીઓ માટે, એક ડગલું બસ એક ડગલું......

 

ફસાયેલી દીકરીઓ માટે, એક ડગલું બસ એક ડગલું...... 

હેડિંગ: સમાજે ભલે મોટા ભાગની જવાબદારીઓ દીકરીઓ પર નાખી દીધી હોય, પણ આપણે હવે જ્યારે સમાજમાં નવા વિચારોના પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે આ બધી જવાબદારીઓ માથી દીકરીઓને મુક્ત કરી દેવાની છે.

Family Love: How it Looks, and How to Cultivate it

      હમણાં અમારા ગામમાં કારકિર્દી બનાવવા માટે આતુર એક દીકરી સાથે દુર્ઘટના બની ગઈ. આમ તો પ્રેમ એ કોઈપણ વ્યક્તિના જીવનની સૌથી મસ્ત ફીલિંગ હોય છે, જેના થકી આખું જીવન મહેંકતું રહે છે, પણ ક્યારેક આ ફીલિંગ ગલત જગ્યાએ ફીલ થઈ જાય તો આખી જિંદગી તેની નકારાત્મકતા જિંદગીને હેરાન કરતી રહે છે. પ્રેમની મજા તે દીકરી માટે સજા બની ગઈ. જેની સાથે પ્રેમની શ્રદ્ધા સાથે તેણીએ સુંદર જિંદગી જીવવાના સપના જોયા હતા, તે દીકરાએ તેને દગો આપ્યો. અને ફોટાઝ અને વિડિયોઝને લઈને તે દીકરીને તે બ્લેકમેલ કરવા લાગ્યો. તેના આ ખરાબ કામમાં તેના બીજા ત્રણ મિત્રોએ પણ સહકાર આપ્યો!

 શરૂઆતમાં તો દીકરીએ તેનું બ્લેકમેલિંગ સહન કરી લીધું અને માતા-પિતાને ખબર ના પડવા દીધી, પણ એકદિવસ તેની માંગણીએ હદ વટાવી દીધી. માતા-પિતા ઘણા સમયથી દીકરીનું અણધાર્યું વર્તન ફીલ કરતાં હતા, પણ પૂંછતા નહોતા. માંગણીના દિવસે દીકરી તૂટી ગઇ અને રડતાં રડતાં બધુ તેણીએ માતા-પિતાને કહી દીધું. તમને થશે આજકાલ આવા કિસ્સાઓ તો ઘરે ઘરે થાય છે, આમાં નવું શું છે?  માતા-પિતાએ દીકરીનું ઘરથી બહાર નિકળવાનું બંધ કરી દીધું હશે, તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હશે, પેલા દીકરાને જરૂરી પૈસા આપી બધુ સેટલ કરી લીધું હશે.... વગેરે વગેરે આમાથી શીખવાનું શું છે? પણ હવે વાતમાં જે વળાંક છે, તેમાથી આપણે સૌએ ખાસ શીખવાની જરૂર છે.

  તે દીકરીના માતા-પિતાએ કોઈપણ જાતનો કકળાટ કર્યા વિના દીકરીને માનસિક રીતે મજબુત બનાવી, ભૂલને સ્વીકારવાની તેને તાકાત આપી અને લડતા પણ શીખવ્યું. પોલીસમાં જાણ કરી, અને પેલા દીકરાઓને જેલભેગા કર્યા. એટલું જ નહી, હવે એ દીકરી મુક્ત મને સમાજમાં હરીફરી રહી છે અને પોતાની કારકિર્દી એસ્ટાબ્લીસ કરવા મથી રહી છે. તેણીની જીંદગીની ગાડી ફરીથી પાટા પર દોડવા લાગી છે. હિંમતનું એક ડગલું નકરાત્મક સમાજ સામે લડવાનું અનેક ગણું બળ આપણને આપે છે. બસ એ એક ડગલું ભરવાની તાકાત આપણાં સૌમાં હોવી જોઈએ.

  એ દીકરીને જેમ તેના માતા-પિતાએ સપોર્ટ આપ્યો, એવો સપોર્ટ આપનારા માતા-પિતાની સંખ્યા જેટલી સમાજમાં વધશે, તેટલી આપણે દીકરીઓની આત્મહત્યાઓને અટકાવી શકીશું. તેઓને ગલત રસ્તે જતી અટકાવી શકીશું. આ એ સપોર્ટ સિસ્ટમ છે, જેની દરેક દીકરીઓને જરૂર છે. જો આ સપોર્ટ સિસ્ટમ ઓન રહેશે, તો કોઈ આફતાબ શ્રદ્ધાના ટુકડે ટુકડા કરી ફ્રીજમાં નહી મૂકી શકે. અરે દીકરીઓ કદાચ આકર્ષણને પ્રેમ સમજી લઈ, ના પાડી હોય, તેવા છોકરા સાથે ભાગી જાય અને પછીથી કશુંક આવું થાય તો પણ માતા-પિતાએ તેને આવો જ મજબૂત આધાર પૂરો પાડવાનો છે.

  દીકરી આવા નર્ક જેવા જીવનમાથી પાછી આવવા માંગતી હોય તો પણ આપણે સૌએ તેણીને સપોર્ટ આપવો જ રહ્યો. દીકરીઓને નવજીવન આપવાની આ મહામૂલી તક કુટુંબના સભ્યોએ ગુમાવવી જોઈએ નહી. સોસિયલ મીડિયાનો ઉપયોગ જેટલી હદે વધશે, તેટલી હદે આવા કિસ્સાઓ વધવાના છે, સાથે સાથે દીકરીઓ હવે પહેલા કરતાં વધુ ઘરથી બહાર નીકળી રહી છે. એટલે આવું થવાના ચાન્સીઝ વધતાં જ જશે. પણ જો આપણે તેઓની મજબૂત સપોર્ટ સિસ્ટમ બની જઈશું, તો પોતાની જિંદગી સાથે જાણ્યે-અજાણ્યે થયેલી આ દુર્ઘટનાઓનો સામનો દીકરીઓ કરી શકશે.

  સૌથી મહત્વનુ એ પણ છે કે આવા બ્લેકમેલિંગ બાદ આ દીકરીઓને પોતાનું જીવન નવા રસ્તે વાળવામાં પણ આપણે જ મદદ કરવાની છે. હવે તેનો હાથ કોણ જાલશે? એ પ્રશ્ન વણઉકેલ્યો ના રહી જવો જોઈએ. જિંદગીમાં થયેલી દરેક ભૂલોની સુધારણા માટેના રસ્તાઓ હોય જ છે. આવી ભૂલો માટે માત્ર દીકરીઓને જ જવાબદાર ગણીને તેઓને આત્મહત્યાના રસ્તે ધકેલી દેવાનું કોઈપણ સમાજ માટે યોગ્ય નથી.

 સમાજે ભલે મોટા ભાગની જવાબદારીઓ દીકરીઓ પર નાખી દીધી હોય, પણ આપણે હવે જ્યારે સમાજમાં નવા વિચારોના પવન ફૂંકાય રહ્યો છે, ત્યારે આ બધી જવાબદારીઓ માથી દીકરીઓને મુક્ત કરી દેવાની છે. તેઓ જ્યારે પોતાની ભૂલોની માફી માટે આપણાં સૌ સામે આશાભરી નજરે જોતી હોય તો આપણે સૌએ એ આશાભરી નજરોને નિરાશામાં નથી ધકેલી દેવાની ......

    

Sunday, 19 October 2025

સાચે જ સાચું શું છે? એ જ નથી સમજાય રહ્યું......

 

 

 સાચે જ સાચું શું છે? એ જ નથી સમજાય રહ્યું...... 

  

 What Is Truth?

 

 

ક્લાસરૂમમાં ભણાવતી વખતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી ના કરાય એવા પાઠો શીખવીએ છીએ. ઘરમાં સંતાનોને પણ આપણે સમજાવતા રહીએ છીએ કે સત્ય અને પ્રામાણિક્તાના રસ્તે જ ચાલવું જોઈએ. પણ વિદ્યાર્થીઓએ અને સંતાનો જ્યારે વર્ગખંડ અને ઘર છોડીને વાસ્તવિક દુનિયામાં જે કઇ ચાલી રહ્યું છે,  તે જુએ છે, ત્યારે તેઓ આપણને પૂંછતા થઈ જાય છે કે આ શું?

  પરીક્ષાખંડની બહાર આવી વિદ્યાર્થીઓ ગર્વથી કહે છે કે આખો કલાસ ચોરી કરતો હતો, પણ મે ના કરી. આપણે તેને શાબાશી આપીએ છીએ. પણ જ્યારે પરિણામ આવે ત્યારે જેણે ચોરી કરી હોય, તેઓ ચોરી ના કરનાર વિદ્યાર્થીઓ કરતાં માર્કસમાં આગળ નીકળી ગયા હોય છે. એટલે જેણે ચોરી નહોતી કરી એ વિદ્યાર્થી તરત પૂંછશે કે મેડમ તમે તો કહેતા હતાને કે જે કોપી કરે છે, તેઓ જિંદગીમાં ક્યારેય આગળ નથી નીકળી શકતા. પણ આ લોકો તો અમારાથી આગળ નીકળી ગયા અને નિશાળવાળાએ પોતાના સ્કૂલ પ્રોસ્પેક્ટમાં કે જાહેરાતના ફ્રન્ટ પેઇજ પર તેઓના નામ અને ફોટા પણ મૂકી દીધા.

   બાળકોને અને વિદ્યાર્થીઓને ક્યૂ સત્ય શીખવવું? એ જ સમજાતું નથી. હમણાં અમારી નિશાળમાં બે એકસરખા હોશિયાર વિદ્યાર્થીઓએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી. એકે એકદમ પ્રામાણિકતાથી પેપર લખ્યું, જ્યારે બીજા છોકરાના મમ્મી તે સ્કૂલમાં ટીચર હતા, એટલે તેણે પોતાના દીકરાને પેપર લખવામાં મદદ કરી. હવે થયું એવું કે જેણે સાચી રીતે પેપર લખ્યું હતું, તે સીલેકટ ના થયો અને જેણે ચોરી કરીને લખ્યું હતું એ સીલેકટ થઈ ગયો!

   હવે પેલો હોશિયાર વિદ્યાર્થી બધાને પુંછી રહ્યો છે, મહેનત કરવા છતા અને પ્રામાણિક્તાથી પરીક્ષા દેવા છતાં હું સીલેકટ કેમ ના થયો? પણ કોઈ પાસે તેના પ્રશ્નનો જવાબ નથી.

  આ તો થઈ સ્કૂલો અને કોલેજોની વાત. મોટા ભાગની પ્રવેશ પરીક્ષાઓના પેપર્સ ફૂટી જાય છે. નીટ જેવી દેશની સૌથી અગત્યની પરીક્ષા પણ શંકાના ઘેરામાં ફસાયેલી છે. બાળકો થોડા મોટા થાય એટલે એ પોતાની આસપાસ ગલત રસ્તો પસંદ કરીને આગળ વધતાં લોકોને સફળ થતાં જુએ છે. અને તેઓ વધુ ને વધુ મૂંઝવણમાં મુકાય જાય છે.

   જે નિશાળમાં ભણવા જતાં હોય, તે નિશાળનાં શિક્ષકો પાસે ટ્યુશનમાં જવું ફરજિયાત છે. જો તેઓ બીજા કોઈ ટ્યુશનમા જાય તો શિક્ષકો ક્લાસમાં તેઓને સરખું ભણાવતા નથી. ને વળી જેઓ એ શિક્ષકના ટ્યુશનમા જાય તેઓને આઈ.એમ.પી. પ્રશ્નો મળી જતાં હોય છે. અંતે થાકી હારીને માતા-પિતા સંતાનોને એ જ શિક્ષકો પાસે ટ્યુશનમા મોકલે છે અને એકાએક બાળકો હોશિયાર થઈ જતાં હોય છે!

 જે માતા-પિતા પોતાના સંતાનોના શિક્ષણ પાછળ લખલૂટ ખર્ચાઓ કરે છે, અને જે માતા-પિતા પોતાના સંતાનોના શિક્ષણ માટે સૌથી વધુ ચિંતિત હોય છે, તેઓ એ પણ જાણવાની કોશિશ નથી કરતાં કે મારુ બાળક જે નિશાળમાં ભણવા જાય છે, ત્યાં ખરેખર ચાલી શું રહ્યું છે? એ નિશાળો જ પોતાનું પરિણામ સારું લાવવા બોર્ડની પરીક્ષાઓમાં બેફામ ચોરીઓ કરાવે છે. ઘરે આવીને બાળક વળી એ જ પ્રશ્ન કરતાં રહે છે. આમાં સાચું શું? તમે કહો એ કે અમારી નિશાળ શીખવે એ?

  ઘરે વડીલો વાતો કરતાં હોય કે આ સરકારી કે બિન સરકારી કામ કરાવવા ઘણા ધક્કા ખાધા, પછી નક્કી કર્યું કે સાહેબને આટલા આપી કામ જલ્દી કરાવી લીધું. કોણ લાંબી લાઈનોમાં ઊભું રહે? આમપણ હવે પૈસા દીધા વિના કોઈ કામ થવાનું જ નથી. ગમે તે ઓફીસમાં જઈએ અંડર ટેબલ વહીવટ તો કરવો જ પડે છે. લોન પાસ કરાવવાથી માંડીને, મકાનના નકશા પાસ કરાવવા સુધી, રેશનકાર્ડ કઢાવવાથી લઈને આધારકાર્ડ કે ઇવન આયુષ્યમાન કાર્ડ કઢાવવા કે પછી આ કાર્ડના ગલત ઉપયોગ બાબતે એમ દરેક ક્ષેત્રે આપણે ભ્રષ્ટાચારને એટલો નજીકથી જોઈએ છીએ કે ઘરેથી કામ કરાવવા નિકળીએ ત્યારે આપણને અંદરથી તો એવું જ ફીલ થતું હોય છે કે જે કામ મફતમાં થાય એમ છે, એના પૈસા તો આપવા જ પડશે અને જો પૈસા નહી આપીએ તો કામ નહી થાય.

 ડગલે ને પગલે આપણે આ બાબતને એટલી સ્વીકારી લીધી છે કે બાળકોને પ્રામાણિકતા વિષે સમજાવતી વખતે અંદરથી તો આપણને પણ એમ થતું હોય છે કે આપણે જે શીખવી રહ્યા છીએ એ બાબતે આપણને જ શંકા છે કે ખરેખર જે શીખવી રહ્યા છીએ એના થકી જિંદગીમાં આગળ વધી શકાશે ખરા?

  ચોપડાઓનો આદર્શવાદ કઈક અલગ છે, વાસ્તવિક દુનિયાના સિદ્ધાંતો કઈક અલગ છે. જે લોકો ખોટા રસ્તે આગળ વધી રહ્યા છે, તેઓને દુનિયા પુજી રહી છે. જેઓને કોઈપણ ગલત કામ બદલ સજા થવી જોઈએ તેઓ મોજથી જીવી રહ્યા છે. કમાણી ગલત રસ્તે લઈ આવો અને પછી એ કમાણીને શુદ્ધ કરવા ધર્મસ્થાનોમાં કે સામાજિક સંસ્થાઓમાં દાન આપી દેવાનું! બસ આ જ સમાજનું સૌથી મોટું સ્ટેટસ બની ગયું છે.

 સારા માણસો નથી, એવું નથી પણ પ્રામાણિક્તાનો અર્થ સૌ પોતપોતાની રીતે કરી રહ્યા છે. અને પ્રામાણિક માણસો એટલી બધી કસોટીઓમાથી પસાર થઈ રહ્યા છે કે લોકો તેઓને જોઈને એ રસ્તે જવાનું ટાળી રહ્યા છે. સત્ય અને નીતિમત્તાના મૂલ્યો એવી અભેરાઈએ ચડી ગયા છે, જ્યાથી નીચે નથી ઉતરી રહ્યા. અસત્યના ઘોંઘાટમાં સત્ય શૂન્યાવકાશમાં સરી પડ્યું છે.

 

 

 

 

Friday, 17 October 2025

મારિયા કોરિના મચાડો, મજબૂત લોકશાહી મૂલ્યોની લોખંડી સ્ત્રી....

મારિયા કોરિના મચાડો, મજબૂત લોકશાહી મૂલ્યોની લોખંડી સ્ત્રી.... 


હેડિંગ: 
          માચાડોનો રાજકીય સંઘર્ષ એ વાતની સાબિતી આપે છે કે લોકશાહી એવા લોકો પર આધાર રાખે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમ હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે. 
Nobel Peace Prize awarded to Venezuelan opposition leader María Corina  Machado



 

 

       વિશ્વમાં આજે જે કોઈપણ સફળ છે, તેઓની પાછળ એક લાંબી, સંઘર્ષકથા છે. 'સંઘર્ષ' એ દરેક વ્યક્તિના જીવનનું કોમન તત્વ છે. મુશ્કેલીઓ દરેકની જિંદગીમાં આવે છે, બસ દરેકની તેને હેન્ડલ કરવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે. ઘણા મુશ્કેલીઓ સામે સરેન્ડર કરી દેતાં હોય છે, તો ઘણા મુશ્કેલીઓને સરેન્ડર કરાવતા હોય છે. હકીકત તો એ છે કે આ પૃથ્વી પરનો પ્રત્યેક જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતો હોય છે. કોઈ જીવતા રહેવા તો કોઈ મળેલા જીવનને(સ્ટેટસને) ટકાવી રાખવા સંઘર્ષ કરતાં જ હોય છે. આપણી આસપાસ રોજ આપણે આવી અનેક સંઘર્ષવાર્તાઓને ફીલ કરતાં હોઈએ છીએ.

  પણ આ વિશ્વમાં કેટલાક લોકો એવા છે, જે સત્ય, આદર્શો, સિદ્ધાંતો, પરોપકાર, સ્વતંત્રતા, અધિકારો, ગરીબી, કોઈ જાતિ કે વર્ગના વિકાસ વગેરે વગેરે માટે સંઘર્ષ કરતાં હોય છે, પણ આપણા ધ્યાનમાં ત્યારે જ આવે છે, જ્યારે તેઓને કોઈ મોટા એવોર્ડ મળે છે! એમાં પણ જો આ વિશ્વનો સૌથી શ્રેસ્ઠ ગણાતો નોબલ પ્રાઇઝ મળે, એટલે આખી દુનિયાનું ધ્યાન તેઓ તરફ ખેંચાઇ જતું હોય છે. અને થોડા જ સમયમાં એ વ્યક્તિ ગૂગલ પર સૌથી વધુ વાર સર્ચ થયેલી વ્યક્તિ પણ બની જતી હોય છે.

  નૉર્વે નોબલ સમિતિ દ્વારા આ એવોર્ડ ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, શરીર શાસ્ત્ર કે દવા,સાહિત્ય, જુદા જુદા માનવશસ્ત્રો અને શાંતિના ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષનું વિશ્વશાંતિ માટેનું નોબલ પ્રાઇઝ મેળવવાની ઈચ્છા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપની અધૂરી રહી ગઈ અને એ એવાર્ડ મળી ગયો વેનેઝુએલાની સંઘર્ષવાર્તાની રાજકારણી મહિલા મારિયા કોરિના મચાડોને. -આ એવોર્ડ તેણીનો  દેશની સરકાર સામે શરૂ કરેલા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાનો માર્ગ મોકળો કરવામાં મદદ કરી શકે છે. લોકશાહી અધિકારોને આગળ ધપાવવાના તેમના પ્રયાસોને આ પ્રોત્સાહન થકી એનર્જી મળી જશે.

   વેનેઝુએલાની સંઘર્ષકથાની આ હીરોઈનનો જન્મ ઇ.સ. 1967માં કારાકાસમાં થયેલો. ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરીંગની ડિગ્રી મેળવનાર આ મહિલાએ બે દાયકા કરતાં પણ વધુ સમયથી સરમુખત્યારશાહી સામે સંઘર્ષ કરવા લોકોને પ્રેરિત કર્યા હતા. છેલ્લા વર્ષમાં, માચાડોને છુપાઈને રહેવાની ફરજ પાડવામાં આવી છે. તેમના જીવન સામે ગંભીર જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યા અને  એક એવી જિંદગી પસંદ કરી  જેનાથી લાખો લોકોને પ્રેરણા મળી છે.  તેઓ  વેનેઝુએલાના સમાજના લશ્કરીકરણનો પ્રતિકાર કરવામાં ક્યારેય ડગમગ્યા નથી. માચાડો શાંતિપૂર્ણ લોકશાહી માટે અડગ યોદ્ધાની જેમ આજે પણ ઊભા છે. અને શાંતિથી પોતાની લડત લડી રહ્યા છે.

   તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વોટ-મોનિટરિંગ સંસ્થા સુમાટેના સ્થાપક તરીકે કરી હતી. તે રાજકીય પક્ષ વેન્ટે વેનેઝુએલાના રાષ્ટ્રીય સંયોજક છે અને 2012 ના વિપક્ષી રાષ્ટ્રપતિ પ્રાઇમરીમાં ભાગ લીધો હતો, જેમાં તેણી હેનરિક કેપ્રિલેસ સામે હારી ગઈ હતી. 2014 ના વેનેઝુએલાના વિરોધ પ્રદર્શનો દરમિયાન, તેણીએ માદુરોની સરકાર સામે પ્રદર્શનોનું આયોજન કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. 2023 માં, માચાડોએ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એકતા ઉમેદવાર બનવા માટે વિપક્ષી પ્રાથમિક ચૂંટણી જીતી. ત્યારબાદ વેનેઝુએલાની સરકારે તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણીના સંતાનો પણ હુમલાના જોખમને લીધે તેનાથી દૂર રહે છે.

 વેનેઝુએલા શાંતિનો રસ્તો છોડીને એવા રસ્તે વળી ગયું છે, જ્યાં ડગલે ને પગલે લોકશાહી અને માનવતાનું અસ્તિત્વ જોખમાય રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 8 મિલિયન લોકો પોતાનો દેશ છોડીને જતાં રહ્યા છે, સરમુખત્યારો હિંસાનો આશરો લઈ રહ્યા છે, કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે, સાચું બોલનારને કેદ કરવામાં આવી રહ્યા છે,  એવા સમયે પણ આ સંઘર્ષકથા ચાલુ જ છે.

   માચાડોનો રાજકીય સંઘર્ષ એ વાતની સાબિતી આપે છે કે લોકશાહી એવા લોકો પર આધાર રાખે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમ હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે, અને જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ હંમેશા તેનો બચાવ કરવો જોઈએ - શબ્દોથી, હિંમતથી અને દૃઢ નિશ્ચયથી."

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...