ફેક માહિતી દ્વારા આપણી સંવેદનાઓ સાથે થઈ રહી છે રમત.......
આવતા વર્ષોમાં ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોમાં એક ફરજનો ઉમેરો કરીને સ્કૂલોમાં પ્રતિજ્ઞા બોલાવવામાં આવશે અને એ છે, “ હું ફેક માહિતી ફેલાવીશ નહી અને ફેક માહિતી પર વિશ્વાસ કરીશ નહી.” જ્યારે જ્યારે દેશના સાચા નાગરિક કે દેશભક્ત લોકોની વ્યાખ્યા લખવામાં આવશે તો એમાં એવું ઉમેરવામાં આવશે કે જે લોકો ફેક માહિતી નહી ફેલાવે તે આ વ્યાખ્યામાં ફીટ બેસશે. દેશમાં બોમ્બ-બ્લાસ્ટ જેવા સંવેદનશીલ પ્રસંગે પણ સરકારે દેશના લોકોને અપીલ કરવી પડે છે કે મહેરબાની કરીને ખોટી માહિતી ના ફેલાવો કે ખોટી માહિતીથી દૂર રહો.
દેશમાં રોજ અનેક ઘટનાઓ અને દુર્ઘટનાઓ બને છે. જેની માહિતી સોસિયલ મીડિયા થકી આપણાં સુધી પહોંચે છે. દેશ આપણો છે, એટલે આવી માહિતીમાં આપણને રસ હોય એ સ્વભાવિક છે પણ છે. કોમ્યુનિકેશનના એક્સપર્ટના કહેવા મુજબ આપણને બધાને થોડા વધતાં ઓછા પ્રમાણમાં બીજાની અંગત લાઈફમાં કે પછી થયેલી ઘટનાઓ વિષે જાણવામાં રસ હોય જ છે. ઘણા તો જીવતા જ એના માટે હોય છે. વર્ષો જૂની એક કોમેડી સીરીયલ હમ પાંચ માં એક એવું પાત્ર આવતું, જેને મળેલી માહિતી બીજાને ના કહે ત્યાં સુધી પેટમાં દૂ:ખ્યા કરતું. જેવી એ વાત બીજા સુધી તે પહોંચાડે તેનું પેટદર્દ ગાયબ થઈ જતું!
આજકાલ આ કામ આખા દેશે ઉપાડી લીધું છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, ટ્વિટર, લિંકડેન, વગેરે વગેરે સોસિયલ એપ્સ પર માહિતીનો ઓવરડોઝ ઠલવાતો જ રહે છે, એ એટલો અનલિમિટેડ છે કે દરિયાની વિશાળતા પણ તેની આગળ ટૂંકી પડે! આવી બધી જ માહિતીની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં પણ વધુ હોય છે. બધાને એમ થાય છે કે પહેલા હું બીજાને માહિતી આપી દઉં. અને એ ચક્કરમાં એ માહિતી સાચી છે કે ખોટી? તેની ખરાઈ કર્યા વિના લોકો આવી માહિતીને આડેધડ શેર કર્યા જ કરે છે. આવી રીતે કેટલાયે અભિનેતા અને અભિનેત્રીઓને મર્યા પહેલા ‘શ્રદ્ધાંજલી’ અપાઈ ગઈ.
જીવંત આત્માને આપણે યમરાજા પાસે પહોંચાડી દીધા! ધર્મેન્દ્રજી સાજા થઈને ઘરે આવી ગયા અને સોસિયલ મીડિયા અને આ વખતે તો ઓથેંટીક ન્યૂઝ ચેનલ્સ વાળાએ પણ તેઓને મૃત્યુના દ્વારે પહોંચાડી દીધા! એક સર્કલ જેવુ થઈ ગયું છે, ઘણીવાર તો આપણે સવારે મૂકેલી પોસ્ટ રાત્રે આપણાં સુધી જ પાછી આવે છે! ફોરવર્ડ કરવું એ આજના લોકોનો જીવનમંત્ર બની ગયો છે.
બ્રેકિંગ ન્યૂઝ આપવાની દરેક ન્યૂઝ ચેનલ્સને એટલી ઉતાવળ હોય છે કે તેને લીધે ઘણા લોકોનું ઘણું બ્રેક થઈ જતું હોય છે. પણ વ્યુયર્સ મેળવી લેવાની લ્હાયમાં હવે આવી ન્યૂઝ ચેનલ્સ પણ સમાચારની ખરાઈ કર્યા વિના સ્ક્રીન પર ખોટી માહિતી દેખાડે છે. અને લોકો તેને સાચી પણ માની લે છે. ફેક માહિતી અને ફેલ સોસિયલ મીડિયા એકાઉન્ટ એ આજની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. અઢળક એવું શેર થતું રહે છે, જેને આપણે સાચું માની લીધું છે, પણ એ હોય છે ખોટું! સાચા સમાચાર મેળવવા એ કોઈ સાચી વ્યક્તિ મળવા જેટલું અઘરું થઈ ગયું છે. આમ તો આપણે આપણી આસપાસ નજર કરીશું તો સમજાશે કે ફેક માહિતીનો ઉપયોગ ક્યાં નથી થતો?
માલનું વેચાણ વધારવા ધંધાકીય એકમો પણ પોતાની પ્રોડક્ટ વિષે ગ્રાહકોને ફેક માહિતી આપતા રહે છે. કોઈપણ પ્રોડક્ટની જાહેરાતમાં કેટલું સત્ય હોય છે? એ આપણને સૌને ખબર છે જ. સોસિયલ મીડિયાના આ જમાનામા જલ્દીથી ફેમસ થઈ જવા મોટા ભાગના લોકો આવી ફેક માહિતી સ્પ્રેડ કરતાં હોય છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓને ફેક માહિતી આપી છેતરતા હોય છે. તો નેતાઓ ચૂંટણી પ્રચારમાં જે વચનો આપે છે, તે પણ ફેક જ હોય છે ને!
ભારતમાં સૌથી વધુ ફેક માહિતી રાજકીય ક્ષેત્રે ફેલાય છે. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રનો આવે છે. જુદા જુદા રોગોની રીમીડિઝના વિડિયોઝ અને રીલ્સથી સોસિયલ મીડિયા કાયમ ઓવરલોડેડ રહે છે. ત્યારબાદ સેલિબ્રેટીઝ સાથે સંકળાયેલી માહિતીનો નંબર આવે છે. ઇકોનોમિક ફોરમના લેટેસ્ટ સર્વે મુજબ ભારત ફેક માહિતી બાબતે ઊંચા રિસ્ક ઝોનમાં આવે છે.
સોસિયલ મીડિયા પર રીલીઝ થતી માહિતીમાથી 70% જેટલી માહિતી ફેક હોય છે. જે આ દેશના 76.6% લોકો સુધી રોજ પહોંચે છે.


