Wednesday 13 June 2018

આપણે અને આપણે,


આપણે અને આપણે,


   







શીર્ષક વાચી નવાઈ ના લગાડતા! આપણે શબ્દમાં આપણે સૌ આવી જઈએ છીએ. અને આપણે હમેશા કોઈપણ બાબતે બીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ આપણી જાતને અમુક પ્રશ્નો કદી પૂછતાં નથી ને એટલે જ આપણી અને આપણા રાષ્ટ્રની સમસ્યાઓ નો કદી કોઈ ઉકેલ નથી. ના સમજાયું તો ચાલો એક સર્વે કરીએ. આમપણ જુદી-જુદી ન્યુઝ ચેનલો અને સમાચાર-પત્રો દ્વારા જુદી જુદી સરકારોની કામગીરી બાબતે સર્વે થતા રહે છે.આપણે ઉત્સાહભેર એમાં ભાગ પણ લઈએ છીએ અને સર્વેના આધારે સરકારોની કામગીરી મૂલવતા રહીએ છીએ. સર્વેમાં શું હોય આપણે હા કે ના લખી દઈએ અગર તો અમુક પ્રશ્નોના જવાબમાં જે ઓપશન આપેલા હોય તેની સામે ટીક કરી દઈએ. જાણે એવું લાગે આપણે આપણી કેવડી મોટી જવાબદારી નિભાવી દીધી અને સરકારને પણ કહી દીધું કે તમે કેટલું કામ કર્યું અને કેટલું બાકી છે. આમ પણ આપણે ત્યાં ભારતમા બે બાબતો હમેંશા મફતમાં જ મળી રહે છે, ૧) સલાહ અને ૨) અભિપ્રાય. કેમ ખરું ને? આમ કરો અને આમ ના કરો એ સલાહ અને સરકાર આમ કરે છે અને આમ કરતી નથી એવા અભિપ્રાયો! આપણે આખો દિવસ ચર્ચા કરીએ છીએ અને ટી.વી. પર સાંભળતાં રહીએ છીએ, જોતા રહીએ છીએ. એ ચર્ચાઓ ટાઇમ પાસ કે ટી.આર.પી. વધારવાના પ્રયત્નોથી વિશેષ કશું હોતી નથી. ઘણીવાર તો સાવ બિનજરૂરી બાબતોની ચર્ચાઓ થતી રહે છે અને આપણ હોંશે હોંશે જોતા રહીએ છીએ. સરવાળે શું થાય? ચૂંટણી આવે ત્યારે જરૂરી મુદ્દાઓ ભૂલાય જાય અને બિનજરૂરી ચર્ચાતા રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઇ વોટ પણ આપી આવીએ છીએ અને પછી પાંચ વર્ષ સુધી ગલત સરકારને સહન કરતા રહીએ છીએ. શું કરવું જોઈએ એ બધા કહે છે, પણ કરતુ કોઈ નથી. અને હદ તો ત્યારે થાય જયારે કોઈ એ દિશામાં કઈ કામ કરે તો આપણે એની મજાક ઉડાવતા રહીએ છીએ અને પછી એ વ્યક્તિ મસ્ત કામ કરે ત્યારે એના જ ગુણગાન ગાતા રહીએ છીએ.
ચાલો આજે આપણે આપણો ખુદનો જ સર્વે કરીએ એક પ્રજા તરીકે આપણે સરકારના સારા કાર્યોને કેટલો સપોર્ટ કર્યો? અને પછી નક્કી કરીએ આપણે હજી સુધી કેમ ‘વિકાસશીલ’ છીએ? હકીકત તો એ છે કે દરેક રાષ્ટ્રનું એક કેરેક્ટર હોય છે. જે સર્વ વિશ્વમાં ઓળખાતું હોય છે. આપણે પણ થોડું ચેક કરી લઈએ એક નાગરિક તરીકે આપણે દેશ માટે શું કરીએ છીએ. અને પછી સરકાર પર આરોપ લગાવીએ. ok તો ચાલો સર્વે ચાલુ કરીએ.
૧) સરકારના સ્વચ્છતા-અભિયાન પ્રોજેક્ટ માટે આપણે શું કર્યું?
૨) સરકારના નદીઓના પાણીને સ્વચ્છ કરવાના પ્રયાસોમાં આપણે કેટલી મદદ કરી?
૩) સરકારે ખાનગી શિક્ષણ સંસ્થાઓ સામે ફી ઘટાડાનો જે કાયદો ઘડ્યો એના પાલનમાં કેટલા વાલીઓએ મદદ કરી?
૪) સરકાર માર્ગ સલામતી માટે જે કાયદાઓ બનાવે એમાથી કેટલા આપણે પાળીએ છીએ?
૫) ચૂંટણી સમયે સાચા ઉમેદવારને વોટ આપવાના બદલે આપણે હમેંશા આપણી ‘જ્ઞાતિના’ જ ઉમેદવારને પસંદ કરી છીએ?ભણેલા હોવા છતાં! હા કે ના
૬) સરકાર જે કોઈ યોજનાઓ બહાર પાડે એ ગરીબ વર્ગ માટે હોવા છતાં આપણે ધનિક થઈને પણ તેનો લાભ લઇ લઈએ છીએ? હા કે ના
૭) ભ્રૂણહત્યા,દહેજ,બળાત્કાર,ઘરેલુંમારપીટ,વગેરે સામાજિક સમસ્યાઓ સામે લડવા સરકારે જે કઈ કાયદાઓ ઘડ્યા છે, એમાં આપણે કેટલો સપોર્ટ આપીએ છીએ?
૮) પર્યાવરણ બચાવવા સરકાર જે કઈ પ્રયત્નો કરે જેમકે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવાનો, વૃક્ષારોપણ, જળબચાવો,પૃથ્વી બચાવો,વગેરે બાબતોમાં આપણે કેટલો સહયોગ કરીએ છીએ?
૯) જંગલી પ્રાણીઓને બચાવવા અને ઘર આંગણાના પશુ-પક્ષીઓને બચાવવા આપણે શું કરી છીએ?
૧૦) ભ્રષ્ટાચાર રોકવા આપણે શું કર્યું?
૧૧) સગાવાદ,કોમવાદ,જ્ઞાતિવાદ,લાગવગશાહી રોકવા આપણે શું કર્યું?
૧૨) વસ્તી આપણા દરેક પ્રશ્નનું મૂળ હોવા છતાં એને ઘટાડવા સરકારે જે કઈ પણ પ્રયાસો કર્યા એમાં આપણે ક્ર્ટલો સહયોગ આપ્યો?
૧૩) સરકારે  ખરાબ ખોરાકથી બચાવવા આપણા માટે જે કોઈપણ કાયદાઓ ઘડ્યા એના પાલન માટે આપણે શું કર્યું? અરે આપણી પાસે તો બોટલ કે પેકિંગ પર લખેલી એક્સપાયરી ડેટ વાંચવાનો પણ સમય હોતો નથી. હા કે ના
૧૪) અમુક જ્ઞાતિઓ આજે પણ સામાજિક કે આર્થીક રીતે પછાત છે, કારણકે તેઓ દારૂ અને જુગાર જેવા દુષણોમાંથી બહાર આવતા નથી, હા કે ના
૧૫) આપણી પ્રાચીન સારામાં સારી શિક્ષણ-પ્રથા છોડી આપણે મેકોલ ની જ શિક્ષણ પદ્ધતિને અનુસરી રહ્યા છીએ,હા કે ના જે માત્ર કારકુનો જ પેદા કરે છે. કે સંશોધકો નહિ.
૧૬) આજે પણ આપણે અંધશ્રદ્ધા ને મહત્વ આપીએ છીએ અને એટલે જ આશારામ કે બાબા રામરહીમ જેવા લોકો આપણને છેતરતા રહે છે? હા કે ના
૧૭) હજી આજે પણ આપણે રાહ જોઈ બેઠા છીએ કે કોઈ આવશે અને આપણો ઉદ્ધાર કરશે? હા કે ના ( જ્યારે આપણને પણ હવે સમજાય ગયું છે કે આપણે જ આપણે ઉદ્ધારક છીએ છતાં!)
૧૮) સરકારના સોચાલય અભિયાન માટે આપણે શું કર્યું? ( આઝાદીના ૭૧ વર્ષો પછી પણ આપણને શીખવાડવું પડે છે કે લેટ્રિન કરવા ક્યાં જવાય?)
૧૯) દર ચૂંટણીઓમાં રાજકારણીઓ આપણને ‘ઉલ્લુ’ બનાવી ધર્મના નામે ઝઘડાવી મુકે છે, છતાં આપણે હજી પણ ‘ઉલ્લુ’ બનતા જ રહીએ છીએ? હા કે ના
૨૦)  આપણે આપણા દેશના બધા જ પ્રશ્નો જાણીએ છીએ, છતાં આંખ આડા કાન કરી છીએ, અને વિચારીએ છીએ મારા એકલાથી શું થવાનું? હા કે ના
 હજી તો ઘણા પ્રશ્નો છે, પણ આદર્શ પ્રશ્નાવલી ટૂંકી હોવી જોઈએ એટલે હવે પ્રશ્નો અહી અટકાવી દઉં છું. પણ આ સર્વેમાં ભાગ જરૂર લેજો. આપણે દેશ માટે શું કરીએ છીએ? એનું પરિણામ મળી રહેવાનું છે. મિત્રો કોઈપણ દેશ વિકસિત છે, કારણકે ત્યાની પ્રજા પણ સરકારની લગોલગ કામ કરે છે. દેશના વિકાસ માટે સરકારને પૂરેપૂરો સહકાર આપે છે. આપણે તો સહકાર આપવાને બદલે સરકારે ઘડેલા કાયદાઓ કેમ તોડવા એ જ વિચારતા રહીએ છીએ! ઉપર પૂછેલા દરેક પ્રશ્નોના જવાબ તમારી જાતને પણ પૂછજો. આપણે એક સ્ટેટમેન્ટ હમેંશા આપતા રહીએ છીએ, કે “ સરકાર કઈ કરતી નથી” પણ કદી એ પણ વિચારો કે “ આપણે દેશ માટે શું કર્યું?” આપણે સૌ દેશના ઓછા વિકાસ માટે એકબીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ એ નથી વિચારતા કે એક આંગળી જયારે આપણે અન્ય તરફ ચીન્ધીએ છીએ તો બાકીની આપણી તરફ જ જાય છે. પ્રજા સહકાર ના આપે તો કોઈ દેશ કદી પ્રગતિ કરી શકતો નથી. વિશ્વના જે દેશોએ પ્રગતિ કરી છે, એ પ્રગતિમાં ત્યાની પ્રજાનો પુરેપુરો સપોર્ટ છે. જાપાન વિકસિત છે કારણ કે ત્યાની પ્રજાએ નિર્ણય લીધો કે આપણે માત્ર દેશમાં બનેલી વસ્તુ જ વાપરીશું અને આજે પરિણામ આપણી સમક્ષ છે.આપણો સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે એક પ્રજા તરીકે આપણે ક્યારેય આપણી ભૂલોમાંથી શીખતા નથી. અને એટલે જ આપણે વિકસતા નથી. એટલીસ્ટ સારા કામો કરી બતાવે એવી સરકાર તો આપણે ચૂંટી જ શકીએ ને? દેશના દરેક પ્રશ્નો આપણા છે, એવું આપણે સમજવું પડશે.
  કચરો કચરાપેટીમાં નાખવો પડશે, દીકરા દીકરી વચ્ચેનો ભેદ દુર કરવો પડશે, દારૂ અને જુગાર જેવા દુષણોથી દુર રહેવું પડશે,પર્યાવરણ ચોખ્ખું રાખવું પડશે. ઉપર જણાવેલા દરેક પ્રશ્નોના ઉકેલ માટે આપણે મહેનત કરવી પડશે. કાયદાઓનું પાલન આપણા સહકાર વિના નહિ થાય. દેશનું ઘડતર આપણા થકી જ થઇ શકશે. આપણે જેટલુ દેશ માટે કામ કરીશું દેશ એટલો જ આગળ વધશે. અને હા સર્વેમાં જોડાજો અને પ્રજા તરીકેના આપણા કેરેક્ટરને સમજજો. શું ખબર આપણે સમજી શકીએ, “જાગ્યા ત્યારથી સવાર”
બસ એટલું યાદ રાખવું આપણું કેરેક્ટર એ જ દેશનું કેરેક્ટર બની રહેશે?
સરકારનો કેસ-સ્ટડી આપણે વારંવાર કરીએ છીએ, ચાલો આજે આપણે આપણો પણ કરીએ!
જે વિદેશના રસ્તા,ગાડીઓ, ટેક્નોલોજી વગેરે વગેરે આપણને બહુ ગમે છે, એ બધું એટલે આટલું સરસ છે કે ત્યાં લોકો દરેક નિયમોનું અને કાયદાઓનું પાલન કરે છે. કાયદાઓ તોડવા એને કોઈ બહાદુરી ગણતું નથી.


દેશ તો આઝાદ થતા થઇ  ગયો 
પણ તે શું કર્યું? 
  ઉમાશંકર જોષી.  
                                                 

No comments:

Post a Comment

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...