Friday, 8 November 2024

નવું વર્ષ શું માંગી રહ્યું છે? આપણી સૌ પાસે.....

 

નવું વર્ષ શું માંગી રહ્યું છે?  આપણી સૌ પાસે.....

 Pin page


   વળી પાછી દિવાળી આવીને જતી પણ રહેશે. નવું વર્ષ અનેક નવી આશાઓ,ઉમંગો અને ઉત્સાહ લઈને આવશે. જે વિતેલા વર્ષમાં ના મેળવી શકાયું એ આ નવા વર્ષે મેળવી લઈશું એવા સંકલ્પો સાથે આપણે વર્ષની શરૂઆત કરતાં હોઈએ છીએ. આ પાંચ દિવસના તહેવાર દરમિયાન અનેક સારા વિચારો આપણા સૌની મોબાઈલ સ્ક્રીન પર ચમકતા રહેશે. એકબીજાને ભરપૂર શુભેચ્છાઓ આપણે આપતા રહીશું. લાભ-પાંચમ સુધી લોકો નવરાશનો આનંદ માણતા રહેશે અને ત્યારબાદ વહી રફતારે જિંદગી! પણ આ રૂટિન જિંદગી હવે ખરેખર કેટલીક બાબતોમાં આપણી પાસેથી સુધારાની અપેક્ષા રાખી રહી છે!

  આ દોડતા, હાંફતા નગરોમાં આપણે જે હવા શ્વાસમાં લઈ રહ્યા છીએ, તે હવા એટલી હદે પ્રદુષિત થઈ ગઈ છે કે આ અસ્વચ્છ હવાને લીધે આ દેશમાં દર 24 કલાકે 92 લોકો મૃત્યુ પામે છે. બ્રિટિશ મેડિકલ જર્નલે 2008 અને 2019 વચ્ચે ભારતના 10 મોટા શહેરોના કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે તમામ 10 મોટા શહેરોમાં દર વર્ષે 33,627 લોકો મૃત્યુ પામે છે. ધ લેન્સેટ દ્વારા જુલાઈના એક અભ્યાસ મુજબ, PM2.5 તરીકે ઓળખાતા નાના અને જોખમી હવાના કણોના રોજિંદા સંપર્કને કારણે ભારતમાં થતા તમામ મૃત્યુમાંથી લગભગ 7.2% મૃત્યુ પ્રદુષિત હવાને લીધે થાય છે. આ હાંફતા જીવનને નવા શ્વાસ આપવા માટેના પ્રયાસોમાં આપણે સૌએ જોડાવું જ રહ્યું.

    જળ એ જ જીવન છે, આ વાક્ય નાના હતા ત્યારે લગભગ દરેક ધોરણમાં શિખવવામાં આવતું. છતાં પણ આપણા દેશની શેરીઓમાં રોજ જે રીતે પાણી વેડફાઇ રહ્યું છે, તે જોઈને લાગી રહ્યું છે કે એ જીવનને આપણે જીવંત રાખી શક્યા નથી.  આપણા દેશમાં લગભગ 70% પાણી દૂષિત છે. 163 મિલિયન ભારતીયોને પીવાનું સલામત પાણી મળતું નથી. 21% ચેપી રોગો અસુરક્ષિત પાણી સાથે સંકળાયેલા છે. ભારતમાં દરરોજ પાંચ વર્ષથી ઓછી ઉંમરના 500 બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે. આપણા આંધળા ઔધોગિક વિકાસને લીધે જેના કિનારે મોટા ભાગની પ્રાચીન સંસ્કૃતિઓ પાંગરેલી હતી, એ નદીઓ એટલી પ્રદુષિત થઈ ચૂકી છે કે વર્ષોથી પ્રયાસો થવા છતાં એ સ્વચ્છ નથી થઈ રહી. પાણીને પ્રદુષિત કરનારી બીજી પ્રવૃતિઓ વિષે આપણે ઘણું બધુ શીખ્યા છીએ, પણ એ શિખને આપણે પ્રયાસોમાં કન્વર્ટ નથી કરી શક્યા.. આપણી અંધશ્રદ્ધાઑ પારદર્શક પાણીને વધુ ને વધુ ગંદુ કરી રહી છે.

   જે ધરતી પર આપણું ઘર બને છે, જેના પર આપણા વાડી ખેતરો અનાજ, શાકભાજી અને વૃક્ષોને ઉછેરે છે, એ ધરતીને પણ આપણે નથી છોડી! તેમાં રહેલા પોષક તત્વોને આપણે એટલી હદે નુકસાન પહોંચાડયું છે કે એ ધરતી પોતાની ફળદ્રુપતા ગુમાવીને આજે બંજર થઈ ગઈ છે. જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, વૃક્ષોનું બેફામ નિકંદન, આ બધુ પણ આપણા થકી જ જમીન સુધી પહોંચ્યું છે. જે જમીન પર કશું પણ ઊભું કરતાં પહેલાં આપણે તેની પૂજા કરીએ છીએ, તેમાં રહેલી પોષકતાને આપણે નામશેષ કરી નાખી છે.

   છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે આપણી આસપાસનું પર્યાવરણ તેની તાજગી ગુમાવી રહ્યું છે, રાત્રે ગરમીને લીધે આપણે મીઠી નીંદર નથી માણી રહ્યા, ગરમી આપણા સૌના જીવનને પરસેવે રેબઝેબ કરી રહી છે, જેને લીધે માટલાઓમા રહેલું પાણી પેલા જેવુ ઠડું નથી થઈ રહ્યું, એ ગરમી આપણી પાસેથી કુદરતી ઠંડક છીનવી રહી છે. જેને કૃત્રિમ રીતે મેળવવા આપણે એ.સી. અને ફ્રિજનો સહારો લઈ રહ્યા છીએ, અને એ કૃત્રિમ ઠંડક પૃથ્વી પરના વાતાવરણને વધુ ને વધુ ગરમ કરી રહી છે. અરે ઓઝોનનું પડ પણ તેને લીધે ડેમેજ થઈ રહ્યું છે. પૃથ્વી પરનું વાતાવરણ 3.1 ડિગ્રી જેટલું વધવા જઇ રહ્યું છે. ઈશ્વરે આપણી માટે સર્જેલા દરેક નિયમિત ચક્રને આપણે અનિયમિત કરી નાખ્યા છે.

  આ દેશમાં ભૂખમરાને લીધે દર વર્ષે 25 લાખ લોકો મૃત્યુ પામે છે, રોજ 20 કરોડ લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે. અને એ દેશમાં લોકો જુદા જુદા પ્રસંગોએ થાળીઓ ભરીને ભોજન પડતું મૂકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ જળ,જમીન અને હવા ત્રણેયના પ્રદૂષણ માટે જવાબદાર છે, છતાં લોકોને કાપડની થેલી લઈને ખરીદી કરવા જવામાં શરમ આવે છે. જ્યાં ઘોંઘાટ કર્યા વિના કોઈ પર્વ ઉજવી જ ના શકાય એવી માન્યતા સાથે લોકો ડેસીબલની માત્રા વધારીને પછી ખુદ શાંતિ મેળવવા ફાંફા મારી રહ્યા છે.

 દૂ:ખ તો એ વાતનું છે કે જે ભારતીય સંસ્કૃતિએ વિશ્વને પ્રકૃતિ સાથે રહીને કેવી રીતે વિકસી શકાય? એના પાઠ શિખવ્યા છે, એ જ ભારતીયો આજે પ્રકૃતિને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ, થકી હજારો વર્ષો સુધી સ્વસ્થ જીવન જીવવાની કેડીઓ કંડારનાર ભારતીયો જ આજે સારા આરોગ્યના પાઠો ભૂલી ગયા છે. બહુ નાના નાના પ્રયાસો થકી આપણે આપણી આસપાસના પર્યાવરણને ખુશ રાખી શકીએ એમ છીએ, બસ આ નવા વર્ષે એ તરફ પહેલું ડગલું ઉઠાવીએ. અંદર અને બહાર બંને તરફ રહેલા કચરાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય? એનું લિસ્ટ છે જ આપણી પાસે. બસ આપણે એ ઇંડેક્સને હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ફેરવવાનો છે. અને એ પણ આપણા અને આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tuesday, 29 October 2024

 

સાવધાન!  ફાર્માસ્યુટિકલ કંપનીઓ બોર્ડર ક્રોસ કરી રહી છે..........

 The Indian Pharmaceutical Industry: A Remarkable Journey, Health News, ET  HealthWorld

    હમણાં મારી એક મિત્ર શરીરમાં થોડી તકલીફો હોવાને લીધે ડોક્ટર પાસે બોડી ચેક-અપ માટે ગયેલી. ડોકટરે રીપોર્ટ્સનું લાંબુ લિસ્ટ પકડાવી દીધું. તેણીને બધા રીપોર્ટ્સ કરાવ્યા. બાકી બધુ નોર્મલ આવ્યું, પણ ડાયાબિટિસનો રીપોર્ટ જોઈ આશ્ચર્ય થયું. તે રીપોર્ટ વાંચીને ડોક્ટર્સે નિદાન કર્યું કે, તમને પ્રી-ડાયાબિટીસ છે એટલે કે ડાયાબિટીસ બોર્ડર પર છે, જાણે તે પણ બોર્ડર ક્રોસ કરવાની રાહ જોઈને બેઠું હોય! અને એ ડોકટરે ડાયાબિટીસ બોર્ડર ક્રોસ ના કરે તે માટે દવાઓ અને પરેજીનું લાંબુ લિસ્ટ પકડાવી દીધું. દર મહિને બતાવવા જવાનું તો ખરું જ! કહેવાની જરૂર ખરી કે બિલ અને દવાઓનું લિસ્ટ જોઈને જ લાગે કે આ બિલ ભરતા ભરતા જ ડાયાબિટીસ બોર્ડર ક્રોસ કરી જવાનું........

   તમે એકવાર તો મૃત્યુ પામવાના જ છો, અરે તમે મૃત્યુની બોર્ડર પર છો, જીવવા માટે તમારે આટલું આટલું કરવું પડશે, આ તો આના જેવી વાત થઈ. આજકાલ રોગો કરતાં પણ વધુ રોગોનો ડર લોકોને વધુ માંદા કરી રહ્યો છે. ડાયાબિટીસની જેમ બી.પી. પણ હવે બોર્ડર પર ફરવા લાગ્યું છે. અરે અમુક જગ્યાએ તો તમને ભવિષ્યમાં અમુક પ્રકારના રોગો થશે કે કેમ? એના સેમિનારો અને કેમ્પસ થતાં હોય છે. જેમાં સ્વસ્થ દર્દીને ધરાર રોગીષ્ઠ બનાવી દેવામાં આવે છે. શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે, પણ કાઇ જ ના થયું હોય અને આવા સેમિનારોમાં લોકોને બોલાવી જે તે રોગનો ડર તેઓમાં એન્ટર કરવો એ દવા બનાવતી કંપનીઓનો માસ્ટર પ્લાન બની ગયો છે. કોઈ રોગ બાબતે લોકોમાં જાગૃતિ લાવવી અને આવા સેમિનારો થકી લોકોમાં ડર પેદા કરવો બંને અલગ અલગ બાબતો છે. એ આપણે સૌએ ખાસ સમજી લેવાની જરૂર છે.

   એક સર્વે મુજબ દર્દીઓ પર થતાં મેડિકલ ટેસ્ટસમાથી 40 થી 60 ટકા ટેસ્ટ્સ બિનજરૂરી હોય છે. આવા બિનજરૂરી પરીક્ષણો દર્દીને નુકસાન પહોંચાડતા હોય છે. ઘણીવાર આવા દર્દીઑ કાઇ જ ના થયું હોવા છતાં જે તે રોગના ડરથી પોતાનું માનસિક આરોગ્ય ગુમાવી દેતાં હોય છે. તેઓમાં એ રોગો પ્રત્યે માનસિક ભય ઘૂસી જતો હોય છે, જેને લીધે દર્દીને ઘણીવાર બિનજરૂરી ખર્ચાઓ પણ કરવા પડે છે. પેલા ડોક્ટર્સ દર્દીને જોઈને કે તેની રગ ચેક કરીને નિદાન કરી દેતાં, પણ હવે તો દવાખાને આવેલા દર્દીને સીધા જ ટેસ્ટ્સ કરવા જ મોકલી દેવામાં આવે છે. અને કા તો ટેસ્ટ કરવા વાળા જે તે ડોક્ટરના દવાખાને જ હાજર થઈ જતાં હોય છે!

  ડાયાબિટીસ, બી.પી., હ્રદયને લગતા રોગો, થાઈરૉઈડ, વગેરે રોગો એકવાર નિદાનમાં આવી જાય પછી તેની દવાઓ આખી જિંદગી લેવી પડે છે. અને એટલે જ દવા બનાવતી કંપનીઓ ઈચ્છે છે કે આવા રોગો વિશેનો ભય લોકોમાં જળવાય રહેવો જોઈએ. એના માટે પણ તેઓ ડોકટર્સને કમિશન આપે છે. અને ડોક્ટર્સ ખાસ કરીને જેમણે ડોક્ટર બનવા માટે જંગી રકમો ખર્ચી છે, તેઓ ઝડપથી એ રોકાણ વસૂલ કરવા આ રસ્તે નીકળી પડતાં હોય છે. તેઓની વફાદારી દર્દીઓ કરતાં આવી કંપનીઓ પ્રત્યે વધુ હોય છે! અમાથી ઘણા બધા પરીક્ષણો તો એવા છે કે જેનાથી દર્દીઓને ફાયદો થવાને બદલે નુકસાન વધુ થતું હોય છે. જેમકે એક્સ-રે અને સી.ટી. સ્કેનને લીધે દર્દીઓને વારંવાર રેડીએશનના સંપર્કમાં આવવું પડે છે. વળી આવા પરીક્ષણો ખર્ચાળ પણ બહુ હોય છે.

   તંદુરસ્ત લોકો જેઓ માને છે કે તેઓ બીમાર છે તેમની પાસેથી ઘણા પૈસા કમાઈ શકાય છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ રોગોને સ્પોન્સર કરે છે અને ડોક્ટર્સ તે રોગોને લોકોના મનમાં ઘુસાડે છે. આવી રીતે બિનજરૂરી દવાઓ અને પરિક્ષણોનું બજાર ધમધમતું રહે છે. માંદગીનું સામાજિક બાંધકામ રોગના કોર્પોરેટ બાંધકામ દ્વારા બદલવામાં આવી રહ્યું છે, જેમાં દવા કંપનીના સ્ટાફ, ડોકટરો અને ગ્રાહક જૂથોનો સમાવેશ થાય છે. "રોગ જાગૃતિ" ઝુંબેશ સામાન્ય રીતે કંપનીઓની માર્કેટિંગ વ્યૂહરચના સાથે જોડાયેલી હોય છે, તેથી તેઓ નવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો લોકોના મગજમાં ડોક્ટર્સ, સેમિનારો, કેમ્પસ અને સોસિયલ મીડિયા થકી એવા ઉતારી દે કે લોકોને એ દવાઓમાં જ પોતાનું જીવન દેખાવા લાગે!

     ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં વિશાળ બજાર ઊભું કરીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અઢળક નફો કમાઈ લેવાના લોભમાં દેશના લોકોના આરોગ્ય સાથે રમત કરી રહી છે. જે રમત લોકો માટે બહુ ભયંકર સાબિત થવાની છે. માટે રોગોના ડરથી ડરીએ નહી. રોગ કા તો હોય અને કા તો ના હોય. પ્રી-ડાયાબિટીક કે પ્રી-કોલેસ્ટોરેલ જેવુ કશું હોતું નથી. એક સર્વે મુજબ ભારતમાં 70 થી 80 ટકા જેટલા લોકો કેન્સરના ડરથી ડરીને જીવી રહ્યા છે. મહર્ષિ પતંજલિ કહેતા એમ, આપણા 90% રોગોનું મૂળ આપણી માનસિક નબળાઈ છે. માટે મનમાં કોઈપણ રોગનો ભય ઘૂંસવા ના દઈએ.

 

 

Monday, 14 October 2024

સીને મે જલન આંખોમે તૂફાન સા ક્યૂ હે? ઇસ શહેરમે હર શખ્સ પરેશાન સા ક્યૂ હે?

 

સીને મે જલન આંખોમે તૂફાન સા ક્યૂ હે? ઇસ શહેરમે હર શખ્સ પરેશાન સા ક્યૂ હે?

 Work Stress Relief Therapy - Heal & Recharge at FHE Health

 

  યે બેચારા કામ કે બોજ કા મારા’, નાના હતા ત્યારે ટી.વી. પર આવી એક જાહેરાત આવતી. આજે આ કામનો બોજ માણસોને ડીપ્રેશનમાં ધકેલી રહ્યો છે. લોકો પાસેથી તેઓનો નવરાશનો અને ફેમિલી ટાઈમ છીનવી રહ્યો છે. સવારે ઘરેથી થેલો લઈને નીકળતા સ્ત્રીઓ અને પુરુષો સાંજે (રાત્રે) પાછા આવે, ત્યારે પણ ઢગલાબંધ કામો લઈને ઘરે પાછા આવે છે કા તો ઓફિસમાં જ એટલું કામ કરતાં રહે છે કે તેઓનું શારીરિક અને માનસિક આરોગ્ય બહુ નાની ઉંમરે કથળી રહ્યું છે!

કામ અને સંબંધોમાં જેમ જેમ અપેક્ષાઓ વધતી જાય છે, વ્યક્તિઓ ડીપ્રેશન માં સરી પડતાં હોય છે. ટારગેટ્સ, ટાઈટ ડેડલાઇન્સ, કર્માચારીઓ પાસેથી કલાકો ના કલાકો સુધી કામ કરાવતા રહેવું, એ આજના ઓફિસ કલ્ચરની કડવી વાસ્તવિકતા બની ગઈ છે. કામના ઢગલાઓ નીચે માણસો રીતસરના કચડાઈ રહ્યા છે. તેઓના અંગત જીવન જેવુ કશું જાણે કે રહ્યું જ નથી.

કેરળની એક યુવા આશાસ્પદ દીકરી જેણે સી.એ. કરેલું હતું, તે  21મી જુલાઈએ, કામના પ્રેશર અને લાંબા કામના કલાકોને લીધે મૃત્યુ પામી. તેણીના પિતાના કહેવા મુજબ દીકરી ફોન પર કામના દબાણને લીધે રડતી હતી, અને આખરે કામના દબાણને લીધે તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામી! કામના દબાણને લીધે લોકોના પોતાના જ કુટુંબ સાથેના સંબંધોમાં પણ તિરાડો પડવા લાગી છે. કામના ઓવરલોડને લીધે તેઓ કામ અને કુટુંબ વચ્ચે બેલેન્સ નથી રાખી શકતા.

આવા કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે.  હૈદરાબાદમાં એક મોટી આઈ.ટી. કંપનીના વાઇસ-પ્રેસિડેંટે 2015માં કામના ઓવરલોડને લીધે આપઘાત કરેલો. રંજન દાસ કે જેઓ ભારતમાં SAP કપનીના સી.ઈ.ઑ. હતા, તેઓ કામના ઓવરલોડને લીધે મેસિવ હાર્ટ-એટેક આવતા મૃત્યુ પામેલા.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના એક રીપોર્ટ મુજબ કામના ઓવરલોડના દબાણને લીધે કેન્સર, હ્રદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને ઊંઘમાં ખલેલનું જેવા રોગોનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે. માનસિક આરોગ્ય વ્યક્તિના જીવનના દરેક પાસાને સ્પર્શતું હોય છે. વ્યક્તિની કામની ગુણવત્તા, સર્જનાત્મકતા, સામાજિક જીવન વગેરેમાં ડીપ્રેશનને લીધે નકારાત્મક અસરો ઊભી થાય છે. એટલું જ નહી, એકાગ્રતાની ખોટ, નબળી નિર્ણયશક્તિ, અસ્વસ્થતા પણ કામના બોજને લીધે લોકો ફીલ કરી રહ્યા છે.

  2021માં થયેલા એક સર્વે મુજબ ભારતમાં 55% લોકો કામના સ્થળે કામના દબાણને લીધે સ્ટ્રેસ અનુભવે છે. જ્યારે કોર્પોરેટ જગતમાં થયેલા સર્વે મુજબ 42.5%લોકો કામના સ્થળે ચિંતા અને સ્ટ્રેસને લીધે કામ પર પૂરેપુરૂ ધ્યાન નથી આપી શકતા. રોજ સવારે ઉઠીને કામ માટે નીકળી પડવું એ બાબત તેઓને સતત સ્ટ્રેસની ફીલિંગ આપે છે. કામની તાણને કારણે વ્યક્તિની કામગીરી અને કામ પર અને સંસ્થાના વિકાસ બંને પર નકારાત્મક અસર કરે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદના એક સંશોધન અહેવાલ મુજબ કામનો તણાવ એ ભારતમાં કર્મચારીઓમાં બર્નઆઉટનું મુખ્ય કારણ હતું. વર્ક-લોડ માત્ર કામના સ્થળો દ્વારા જ નથી ઊભો થતો. વ્યક્તિ પોતે પણ ઘણીવાર પોતાની મહાત્વાકાંક્ષા પૂરી કરવા આખી ઓફિસનું કામ પોતાની માથે ઇયલને ફરતો રહે છે. ગળાકાપ સ્પર્ધાને લીધે લોકોને જે સ્થાને ઊભા છે, તે સ્થાને ઊભા રહેવા માટે પણ દોડતા રહેવું પડે છે અને તેને લીધે પણ આજે લોકો સ્ટ્રેસ અને ચિંતા જેવી માનસિક બીમારીઓથી પીડાય રહ્યા છે.

દરેકને કામના સ્થળે પોતાનું શ્રેસ્ઠ આપવું છે અને એ બાબત જ લોકોમાં ડીપ્રેશન વધારી રહી છે. દરેકને એકબીજા કરતાં આગળ વધવું છે અને એટલે જ આપણે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ. આપણે એ ભૂલી ગયા છીએ કે મન અને શરીર બંને ચોક્કસ સમયના અંતરે આરામ માંગે છે, અને આપણે આરામ આપવો પણ પડે છે. પણ આપણે કામના બોજ હેઠળ જાણે કે ખુદને જ ભૂલી ગયા છીએ.

  કુટુંબની અનલિમિટેડ જરૂરિયાતો પણ લોકો પાસે ગજા બહારનું કામ કરાવી રહી છે. ઘરનું પ્રેશર, કામના સ્થળનું પ્રેશર.... આ બધા દબાણે માણસને માનસિક અને શારીરિક રીતે જ હંફાવી દીધો છે. બહુ નાની ઉંમરે વ્યક્તિઓમાં મોટા રોગો આ દબાણને કારણે એન્ટર થઈ રહ્યા છે. આ અનલિમિટેડ જરૂરિયાતો અને અપેક્ષાઓ સામે આપણે આપણી સીમાઓ બાંધવી પડશે.

  ધંધાકીય એકમોએ પણ સમજવું પડશે કે જો કર્મચારીઓ શારીરિક અને માનસિક ફીટ હશે તો તે પૂરેપુરી સ્વસ્થતાથી કામ કરી શકશે. જે તેઓના વર્ક-પ્લેસ માટે સારા પરિણામો લઈને આવશે. અને આપણે સૌએ બિનજરૂરી રીતે દોડવાનું બંધ કરવું પડશે.

 જો કે કોઈપણ જાતની ફરિયાદ વિના સ્ત્રીઓ સતત કામ કરતી રહે છે. તેને પડતાં કામના બોજ વિષે અને તેઓના ડીપ્રેશન બાબતે આપણે જાગૃત થઈશું ખરા!

 

Friday, 20 September 2024

 

 

 આપણને ખુશ કોણ રાખી શકે?

Stats About Happy People - Happy People Stats

મૂડ સુધારવા કે ઊંઘ સુધારવા હમણાં એક લ્યુમિનેટ ચશ્માની જાહેરાત વાંચી! દરરોજ સવારે 30 મિનિટ સુધી એ ચશ્મા પહેરી રાખવાના, અને 7 દિવસમાં જ મૂડ સુધરવા લાગશે. આ મનની શાંતિ અને મુડને આપણે ક્યાં મૂકી આવ્યા છીએ? કે તે મેળવવા આવા આવા સાધનો વિકસાવવા અને ખરીદવા પડે છે!

  કે પછી વધુ પડતી સુખ-સુવિધાઓએ જ આપણે હેંડિકેપ્ટ કરી દીધા છે? જેમ જેમ આપણે સગવડો પાછળ પાછળ દોડતા જઈએ છીએ, તેમ તેમ આપણે હાંફી રહ્યા છીએ. તમે માર્ક કરજો, સોસિયલ મીડિયા પર સતત એવા વિડિયોઝ કે પોસ્ટસ આવતી રહે છે કે જેમાં આપણા માનસિક આરોગ્યને સાચવવા અને જાળવી રાખવા પર એકાગ્ર થવાનું આપણને શીખવવામાં આવી રહ્યું છે. લોકો રીતસરના શાંતિ મેળવવા ફાંફા મારી રહ્યા છે.

  જેમ જેમ તેઓ શાંતિ મેળવવા ફાંફા મારી રહ્યા છે, તેમ તેમ જિંદગી વધુ ને વધુ ખલેલમય બની રહી છે. કારણકે શાંતિ મેળવવાના જે રસ્તાઓ તેઓ પસંદ કરી રહ્યા છે, તે ગલત સાબિત થઈ રહ્યા છે. આપણે બીજાની સુવિધાઓ સભર જિંદગીઓ જોઈને એવું માનવા લાગ્યા છીએ કે સુવિધાઓ થકી જીવન શાંતિવાળું બની રહેશે. પણ જ્યારે આપણે આ બધુ ભેગું કરવામાં જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ, ત્યારે સમજાતું હોય છે કે આપણે તો ગલત રસ્તે આવી ગયા!

 લોકો બહારનું દેખાડાનું જીવન જીવવા અંદરના જીવનને સતત અવગણી રહ્યા છે. અને એમાં ને એમાં જ મનનું જીપીએસ ખોરવાય રહ્યું છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સને લીધે આપણે એક વર્ચુયલ દુનિયામાં ખોવાય ગયા છીએ કે શાંતિ પણ આપણે વર્ચુઅલ દુનિયામાં શોધવા લાગ્યા છે. અને શાંતિ એ તો મનનો વિષય છે, માટે એ ત્યાં મળી નથી રહી.

 હકીકત તો એ છે કે આપણે જેટલા વધુ પ્રયાસો સુખી થવાના કરી રહ્યા છીએ, એટલા જ આપણે વધુ ને વધુ દૂ:ખી થઈ રહ્યા છીએ. કારણકે સુખી થવા માટે પ્રયાસો નહી, પણ લાગણીઓ જરૂરી હોય છે. દરેક સંબંધો પાછળ કારણો શોધવાની આપણને આદત પડી ગઈ છે. અને એ કારણોમાં જ આપણી ખુશીઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. જે ખુશીઓની ચાવી આપણે જરૂરિયાતોની દુનિયામાં શોધી રહ્યા છીએ, એ તો જરૂરિયાતોના ઢગલા નીચે જ ક્યાંક દટાઇ ગઈ છે.

 જેમ ઘણીવાર સામે રહેલી કોઈ વસ્તુ આપણને ના દેખાય અને તેને શોધવા આપણે ફાંફા મારતા રહીએ છીએ, તેમજ આપણે અત્યારે ફાંફા મારી રહ્યા છીએ, જ્યારે ખુશીઓ આપણી સામે જ છે! કેવા કેવા સાધનો અને સગવડો વડે આપણે ખુદને ખુશ કરવાના મોકાઓ શોધતા રહીએ છીએ. જ્યારે જ્યારે આપણે આપણી ખુશીઑ કોઈને આધીન કરી દેતાં હોઈએ છીએ, આપણી અંદરનો આનંદ ખોવાઈ જતો હોય છે. અને મિત્રો જે કઈ ખોવાય ગયું છે, એને શોધવાથી એ જરૂર પાછું મળી જતું હોય છે, બસ શરત એટલી છે કે એને કોઈ સાધનો કે સગવડોમાં નહી પણ ખુદની અંદર જ શોધતા રહીએ. બાળકોની જેમ જેમ નાની નાની બાબતોમાં ખુશ થતાં આપણે શીખી લેવાનું છે.

 સુખ સાથે ભલે સુવિધા શબ્દ બોલાતો પણ સુખને અને સુવિધાઓને કોઈ જ લેવાદેવા નથી. જો એવું હોત તો પશ્ચિમના દેશો આપણી ખુશીઓની થીયરી પાછળ ના દોડતા હોત! વધુ પડતી સુવિધાઓ આપણને પરતંત્ર બનાવી દેતી હોય છે, અને જ્યાં પરાવલંબન હોય છે, ત્યાં સુખ હોતું નથી. માટે જ્યાથી જેવી અને જેટલી ખુશીઓ મળે મેળવતા રહીએ.

  ખુશ થવા અને રહેવા માટે વિશિષ્ટ પ્રયાસોની કોઈ જ જરૂર નથી. માટે મોજથી જીવીએ. કોઈપણ પરિસ્થિતિમાં સંતોષ મેળવી શકનારને સુખી થવા કોઈપણ ગેઝેટ્સની જરૂર પડતી નથી. જેટલા આપણે આવા સાધનો પાછળ દોડતા રહીશું એટલા આપણે હાંફતા અને થાકતા જઈશું.

 યાદ રહે, આપણે અહી ભેગું કરવા માટે નથી આવ્યા. જીવવા માટે આવ્યા છીએ. અને જીવવાનું કોઈ સાધન આપણને શીખવી શકવાનું નથી. તે તો આપણે જાતે જ શીખવાનું છે. આપણી અંદરનું જીવન આપણને બોલાવતું રહે છે, બસ આપણે સાંભળવા તૈયાર હોવા જોઈએ. ખુશ રહેવું એ એકદમ સ્વાભાવિક પ્રક્રિયા છે. ખુશ રહેવા માટે બસ ખુશ રહેવાની જરૂર હોય છે.

  આપણા આનંદને કોઈ પણ સગવડ કે સુવિધા સાથે ના જોડીએ, મુક્ત રહીએ અને મોજથી જીવીએ. આપણે જેટલું સમજીએ છીએ, ખુશ રહેવું એટલું અઘરું નથી ને નથી જ!

 

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

        શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???          સોસિયલ મીડિયા આજકાલ આપણા સૌના જીવનનો એક ...